Opinion Magazine
Number of visits: 9458213
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

આપણે સજીવને નિર્જીવ અને નિર્જીવને સજીવ કરવા મથી રહ્યા છીએ …

રવીન્દ્ર પારેખ|Opinion - Opinion|10 March 2023

રવીન્દ્ર પારેખ

મેં એક વાર્તા લખેલી, ‘જીવ’ કરીને. તેમાં એક કોમ્યુટર સાયન્ટિસ્ટ તેની આસિસ્ટન્ટને એવો ફિમેલ રોબોટ વિકસાવવા કહે છે જે એટલો બધો ‘સ્ત્રી’ હોય કે સાચી સ્ત્રી પણ તેની સામે ફિક્કી લાગે. એવો સ્ત્રી-રોબોટ વિકસાવવામાં આસિસ્ટન્ટ એટલી બધી સ્ત્રી મટતી જાય છે કે સાયન્ટિસ્ટ સ્ત્રીમાં મશીનત્વ અને રોબોટમાં સ્ત્રીત્વ અનુભવવા લાગે છે. આસિસ્ટન્ટની સ્ત્રી તરીકે એટલી ઉપેક્ષા થાય છે કે તે ત્રાસીને સાયન્ટિસ્ટને કહે છે કે એ સજીવને નિર્જીવ અને નિર્જીવને સજીવ કરવા મથી રહ્યો છે.

આ વાર્તા સાચી પાડવી હોય તેમ આપણે એટલાં ઉપકરણો વિકસાવી રહ્યાં છીએ કે જીવતો માણસ ફાજલ પડવાનો ભય ઊભો થયો છે. ભારતમાં ફાજલ માણસની નવાઈ નથી. અહીં કામ વગરનાં, સાવ નવરા માણસોની ધારો ત્યારે ભીડ ઊભી કરી શકાય તેમ છે. અહીં અશક્ત વૃદ્ધો કે માંદા માણસોની નહીં, પણ સશક્ત અને કામ વગરનાં માણસોની વાત છે. અહીં ધાર્મિક વરઘોડો કાઢવો છે, તો ભીડ હાજર છે. ડી.જે. પર નાચવા યુવાનો જોઈએ છે, તો જોઈએ એટલા હાજર છે. સરઘસો કાઢવાં છે, કથામાં ભક્તો જોઈએ છે, નેતાની સભામાં મતદારો જોઈએ છે, સરકાર વિરુદ્ધ રેલી કાઢવી છે, નો પ્રોબ્લેમ, બસો ભરીને લોકો જે તે સ્થાન પર ખડકાવા તૈયાર છે. ભારતમાં આવી નવરાશનો વાવર વધુ છે.

આ નવરાશ શિક્ષિતોમાં આપઘાત સુધી વિસ્તરે છે. એમણે નવરા બેસવું નથી, પણ પૂરતું શિક્ષણ છતાં એમની પાસે નોકરી કે કોઈ કામ નથી. ઓછી લાયકાતવાળા તેમના કરતાં વધુ ઝડપથી ઉચ્ચ હોદ્દાઓ પર બિરાજે છે, એ વાત તેમને હતાશ કરે છે. આ હતાશા તેમને આપઘાત કે ગુનાહિત પ્રવૃત્તિઓ તરફ ધકેલે છે. ઓછી લાયકાતવાળો, નેતા કે મંત્રી બને છે ને વધુ યોગ્યતા ધરાવતો અધિકારી તેના હુકમો ઉઠાવે છે. આ સ્થિતિ કોઈ પણ યોગ્યતા ધરાવતી વ્યક્તિને ખટકે છે. કહેવાનું તાત્પર્ય એ છે કે ગરીબ કે તવંગર, શિક્ષિત કે અશિક્ષિત, વૃદ્ધ કે યુવાનમાંથી ઘણાં એવા છે જે નવરા છે, કામકાજ વગરના છે. એવું નથી કે કોઈ કામ કરવા માંગતું નથી. કામ કરવું છે, પણ કોઈ કામ કે કમાણી આપતું નથી. સરકાર દર વર્ષે નવું કામ આપવાની, નોકરીઓ ઊભી કરવાની વાતો બજેટમાં કરે છે, પણ બેકારીમાં બહુ ફરક પડતો નથી. થોડા બેકારોને કામ મળે પણ છે, પણ તે દરમિયાન નવા શિક્ષિત બેકારો ઊભા થઈ જાય છે. આ ઉપરાંત શિક્ષિતો પાસે ડિગ્રી હોય છે, પણ જે તે પ્રોજેક્ટ પર કામ કરવાની આવડત હોતી નથી એટલે તેમને પ્રોપર ટ્રેનિંગ આપવી પડે છે ને એનો મોટો ખર્ચ સરકારે કે કંપનીઓએ ઉઠાવવાનો આવે છે. એ હવે કોઈને પરવડતું નથી. આવું ભારતમાં જ છે એવું નથી.

ઓક્સફર્ડ યુનિવર્સિટી સૌથી ધનિક સંસ્થાઓમાંની એક છે, આ સંસ્થા પાસે 6.4 અબજ પાઉન્ડની રકમ જમા છે, 2020-‘21માં 80 કરોડ પાઉન્ડની રિસર્ચ ગ્રાન્ટ મળી છે, પણ અહીં ફેકલ્ટી કોન્ટ્રાક્ટ પર રખાય છે અને વર્ષો સુધી આ રીતે કામ કર્યાં પછી પણ તેની નોકરી નિયમિત થતી નથી. ઓક્સફર્ડનો લગભગ 65 ટકા સ્ટાફ કામના કલાક દીઠ મહેનતાણું મેળવે છે. આ શિક્ષકોને એક કલાકના શિક્ષણના 25 પાઉન્ડ મળે છે ને એ એક કલાકના લેકચર માટે સરેરાશ ચાર કલાકની તૈયારી તેણે કરવી પડે છે, જેનો મહેનતાણામાં સમાવેશ નથી, એટલે કલાકના લઘુત્તમ વેતન દર 10.42 પાઉન્ડ કરતાં પણ આ શિક્ષકોને ઓછું મળે છે. ઓક્સફર્ડની આ સ્થિતિ હોય ને શિક્ષકની આ કદર હોય તો સમજી શકાય એવું છે કે મનુષ્યની બુદ્ધિનું કેટલું મૂલ્ય છે !

હવે માણસોને બદલે મશીનો ને રોબોટ્સ પાસેથી કામ લેવાનું ચાલ્યું છે. જેથી લઘુત્તમ વેતનની જવાબદારી પણ ઘટે. મશીનથી કામની ગુણવત્તા સુધરી છે ને કામની ઝડપ પણ વધી છે. કેટલી ય કંપનીઓ હવે માણસો કરતાં મશીન રાખવામાં વધુ નફો જુએ છે. એને લીધે સ્થિતિ એવી થઈ છે કે વધતાં શિક્ષણે વધુ સ્નાતકો અને અનુસ્નાતકો બહાર પાડવા માંડ્યા છે ને બીજી તરફ ઓફિસોમાં ને ફેક્ટરીઓમાં મશીનોએ, રોબોટ્સે કામ કરવાં માંડ્યાં છે, પરિણામે શિક્ષિતો વધુને વધુ ફાજલ પડવા માંડ્યા છે. આવનારા સમયમાં શિક્ષિત બેકારોની ટકાવારી ઘટે એવી શક્યતાઓ નહિવત્‌ છે. બીજી તરફ સંસ્થાઓની ટેન્ડન્સી, વધુને વધુ કામ, મશીનો અને રોબોટ્સ પાસેથી લેવાની રહી છે. તે એટલે પણ કે એથી કામ કે ઉત્પાદન વધુ ઝડપથી ને ઓછા ખર્ચે થાય છે. બીજું, કે કર્મચારીઓને પગાર, પેન્શન અને અન્ય લાભો આપવામાંથી બચી જવાય છે જે સરવાળે તો વધુ નફો જ જે તે સંસ્થાને રળી આપે છે.

ભારત સંદર્ભે અત્યારની સ્થિતિ વિચારીએ તો મશીનોનું આક્રમણ શિક્ષિતોની સ્થિતિ ઉત્તરોત્તર બગાડે એમ બને. મશીનોનો કોઈ જ વાંધો નથી. મશીનોને કારણે સમય બચે છે, ઉત્પાદન વધે છે ને ઓછા ખર્ચમાં ગંજાવર કામ થઈ શકે છે એ ખરું, પણ ભારત સંદર્ભે વિચારીએ તો માણસો ગધેડે ગવાતાં હોય ત્યારે મશીનો માણસોને ફાજલ જ પાડતાં રહે એ ઈચ્છવા જેવું ખરું? એ ખરું કે મશીનો ચલાવવા માણસો જોઈશે, પણ તે મશીન કરતાં તો ઓછા જ હશે. એ સ્થિતિમાં જે માણસો ફાજલ પડે છે એને કયાં ગોઠવવા એ પ્રશ્ન રહે જ છે. ભારતમાં એનો પ્રભાવ કદાચ ઓછો હશે, પણ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો મહિમા વધે તો ભારતમાં માણસોની સ્થિતિ વધુ દયનીય બની શકે. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (એ.આઈ.) મનુષ્યની બુદ્ધિનું સ્થાન લઈ રહી છે. એ ખરું કે એ.આઈ.ને લીધે કોમ્પ્યુટર સિસ્ટમ વધુ વિકસી છે, એને લીધે એવાં મશીનો તૈયાર થઈ રહ્યાં છે જે મનુષ્યની જેમ વિચારીને સમસ્યાઓનો ઉકેલ લાવે. અહીં સવાલ એ આવે કે મશીનો મનુષ્યની જેમ વિચારીને ઉકેલ આપતાં હોય તો મનુષ્યને જ સમસ્યાઓ ઉકેલવા દેવામાં શું મુશ્કેલી છે? માણસનું સ્થાન મશીનને સોંપવાનું સલાહ ભરેલું ખરું? આમ પણ મશીનની મેમરીમાં માણસના ઉકેલ જ ફીડ કરવાના હોય તો માણસને જ એ નિર્ણયો લેવા દેવામાં શું જોખમ છે?

ટૂંકમાં, કોમ્પ્યુટરની મદદથી મશીનમાં માનવનું જ્ઞાન, તેના વિચારો, લાગણીઓ લોડ કરવાં અને તે ટેકનોલોજીનો ઉપયોગ કરવો તે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ છે. મોટે ભાગે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો ઉપયોગ રોબોટ બનાવવા માટે થાય છે. કાર, ટ્રેન, પ્લેન ઉપરાંત કોમ્પ્યુટરમાં ને બીજાં અનેક આધુનિક ઉપકરણમાં એ.આઈ.નો ઉપયોગ થાય છે. આમ તો આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ મનુષ્ય કરતાં વધુ ઝડપથી ને વધુ ચોકસાઈથી પરિણામો આપે છે. એ રીતે તે ઉપયોગી પણ છે, પણ તેનો ગેરલાભ એ છે કે તે મનુષ્યને વિકલ્પે છે જે નવી પેઢી માટે જોખમી બની શકે. થોડું દૂરનું વિચારીએ તો મશીનો કે રોબોટ્સ જ જગતનું સંચાલન હાથમાં લઈ લે તો મનુષ્ય અનવોન્ટેડ બની જાય. એમ થવા દેવા જેવું ખરું? મનુષ્યનું સ્થાન મશીન લેવાનું હોય ને મનુષ્યે બનાવેલું મશીન, મનુષ્ય પર જ રાજ કરે એ ઠીક છે? માણસે મશીન બનાવ્યું છે, નહિ કે મશીને માણસને બનાવ્યો છે. તો મનુષ્યને મશીનનો ગુલામ થવા દેવા જેવો ખરો? મનુષ્ય ક્યારેકને ક્યારેક કોઈક પ્રકારની ગુલામી વેઠવા ટેવાયેલો છે, પણ તે લાંબો સમય ગુલામ રહી શકતો નથી. તે મશીનને પોતાનાં પર હાવિ થવા નહીં દે, પણ એ પણ મનુષ્ય જ છે જેણે એકથી વધુ વખત પૃથ્વીનો નાશ થાય એટલાં શસ્ત્રો વિકસાવ્યાં છે. તેણે વિનાશની જેટલી સગવડ ઊભી કરી છે એટલી તકો વિકાસ માટે રાખી નથી. એટલે જ ભય રહે છે કે પોતાનું જ ખૂન કરવા માણસ મશીનને તો છરી નહીં આપે ને !

આખી પૃથ્વીમાંથી માણસનો છેદ ઉડાડવાનું કાવતરું મશીન કરે તો એમ થવા દેવાનું છે? પૃથ્વી મનુષ્યહીન  થાય અને મશીન પૃથ્વીનું સંચાલન કરે એને માટે આ પૃથ્વી હજારો હજારો વર્ષથી ફરી રહી છે? જેને લીધે પૃથ્વીને તેનાં હોવાનો અર્થ મળ્યો, તે મનુષ્ય હવે મશીનને, પોતાને બદલે મૂકશે? એ યોગ્ય છે? આમ તો આ બધું જ મનુષ્યે કર્યું છે. મશીનને પોતાને બદલે પ્રમોટ કરવાનું તેને કઇ રીતે હિતકારક લાગ્યું તે નથી સમજાતું. મશીનને કેટલી હદે પ્રમોટ કરવાં એનો વિવેક દાખવવાનું મનુષ્યને સૂઝ્યું જ નહીં હોય, શું? માણસની જગ્યાએ ઠેર ઠેર રોબોટ્સ ગોઠવાઈ રહ્યાં છે, એ જ્યાં જરૂરી હોય ત્યાં ભલે હોય, પણ તે મનુષ્યને જ નામશેષ કરી દે તો તેટલી છૂટ મશીનને આપવા જેવી ખરી? વારુ, જ્યાં કરોડો શિક્ષિત બેકારો ભારતમાં વસતા હોય, ત્યાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ દ્વારા મશીનો વધારવાનો ઉદ્યમ કરવા જેવો ખરો? આમ તો સમસ્યાઓના ઉકેલ માટે જ મનુષ્યે મશીનોનાં ઉપયોગનું પ્રમાણ વધાર્યું. હવે મશીનોનાં વધવાથી મનુષ્યનું જ અસ્તિત્વ જોખમમાં મુકાય એવી સ્થિતિ સર્જાતી હોય તો ક્યાંક અટકવું કે વિકાસની આંધળી દોટ ચાલુ રાખવી એ પ્રશ્ન છે. કોઈ પણ સંજોગોમાં મશીનોને માણસ પર હાવિ થવા ન દેવાય. એ ખરું કે આ સ્થિતિ પણ માણસે જ સર્જી છે, પણ માણસ હશે તો જીવંતતાની અનુભૂતિય હશે, બાકી, મશીનો જ પૃથ્વી પર છવાયેલાં રહેવાનાં હોય તો પૃથ્વીને ટકવાનું કયું કારણ હશે તે વિચારવાનું રહે …

000

e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 10 માર્ચ 2023

Loading

આ સમાજ રોગીષ્ટ છે (3) 

સુમન શાહ|Opinion - Opinion|9 March 2023

ભારતીય પ્રજા સૅક્સથી ભડકી ગયેલી કે બ્હાવરી પડી ગયેલી છે. એને કારણે સમાજની રુગ્ણતા પણ અવારનવાર ઊથલા મારે છે, ધબા વળતી નથી. સાજા થવાનું અઘરું કે અશક્યવત્ ભાસે છે.

સહજ સ્પર્શની ઓછપ છતાં મલાજો લાજમર્યાદા સંસ્કાર કે ધરમકરમ સાચવવા માટે કેળવવામાં આવેલાં અન્તરોથી કુટુમ્બો સુરક્ષિત છે, ખાસ તો, જાતીય વાસના બાબતે સ્વચ્છ છે, એવું પરમ્પરાગત શૈલીનું એક આવકાર્ય ચિત્ર જરૂર જોવા મળે છે.

એવી કુટુમ્બજાળની સ્પૃહા કરીએ, એને સન્માનનીય ગણીએ, તેમછતાં, એવા બનાવો છાશવારે બનતા હોય છે જેમાં કુટુમ્બની જ બાળાઓ, કુંવારી કન્યાઓ, પરણેલી કે વિધવા સ્ત્રીઓ ઘરના જ પુરુષોના હવસનો શિકાર બની હોય છે.

અલબત્ત, સહજ સ્પર્શ, પેલું કેળવાયેલું અન્તર કે એ દુર્વ્યવહારો અને દુષ્કૃત્યો વચ્ચે હું કોઈ સીધો સમ્બન્ધ નથી જોતો, તો પણ એ ત્રણ નકરી હકીકતો છે તેની ઉપેક્ષા પણ નથી કરી શકતો.

અલબત્ત, કુટુમ્બો ઉપરાન્ત અન્ય સામાજિક સંવિભાગોમાં પણ આ રુગ્ણ મનોદશા જોવા મળે છે. કુટુમ્બે તે સમાજે, એમ કહી શકાય. સમાજના અશિક્ષિત વર્ગોમાં આ ઘટનાઓ ઘટે છે, પણ મધ્યમ અને ઉચ્ચ મધ્યમ વર્ગોના શિક્ષિતોમાં નથી ઘટતી એવું ક્યાં છે? છતાં, હું કોઈ તાજા સમાચાર નથી આપી રહ્યો કે કશી નવી વાત પણ કરી રહ્યો નથી. પણ, નાઉ ઍન્ડ હીયર, સમાજની એ નાડ જેમ ધબકે છે, તેની વાત કરી રહ્યો છું.

કહે છે, ફેબ્રુઆરી ૧, ૨૦૨૨થી માંડીને જાન્યુઆરી ૩૧, ૨૦૨૩ સુધીમાં, માત્ર ૧૧ મહિનામાં, અમદાવાદ શ્હૅરમાં બાળાઓને ફોસલાવવા-પટાવવાના – મોલેસ્ટેશનના – ૨૨૨ કેસ અને બળાત્કારના ૩૮૧ કેસ નૉંધાયા છે. નાડના આ ધબકાર સૂચવે છે કે રોગ કેટલો ઊંડો છે બલકે ઘર ગાલી ગયો છે.

કહે છે, મુમ્બઈમાં, બાપે દીકરી પર બળાત્કાર કર્યો. રાજસ્થાનમાં, બાપે દીકરી પર બળાત્કાર કર્યો. ઉત્તર પ્રદેશમાં, બાપે તરુણાઈમાં પ્રવેશેલી દીકરી પર બળાત્કાર કર્યો. મધ્ય પ્રદેશમાં, બાપે એક વર્ષ દરમ્યાન દીકરી પર અનેક વાર બળાત્કાર કર્યો. બળાત્કાર કરે, ગર્ભવતી કરે, પછી મારી પણ નાખે. એ દુષ્કર્મનો વિડીઓ પણ કરે ને એ વિડીઓને ફરતો કરે.

++

હું વર્ણવી રહ્યો છું એ સામાજિક રોગમાં બે પરિબળો કારણભૂત છે : 

એક છે, બૅડ ફેઈથ. બીજું છે, પોસ્ટ ટ્રુથ.

Pic courtesy : Tribune India.

હું હવે ખલાસ છું, કંઈ નથી, મારા માટે કોઈ ઉપાય કે વિકલ્પ બચ્યાં નથી. હું નિર્બળ છું ને યોગ્ય પસંદગીઓ નથી કરી શકતો. બરાબર લાગતી વસ્તુ પર આંગળી મૂકતાં ડરું છું. જે છું તે છું. રામ રાખે એમ રહું છું. આ બૅડ ફેઇથ છે – જાતને હિણી ગણવી અને બધી વાતે ના-હિમ્મત રહેવું. મોટા ભાગના લોકો એવી જાતછેતરામણીનો ભોગ બન્યા હોય છે, હિણપત અને આત્મશ્રદ્ધા વિનાની જિન્દગી જીવતા હોય છે.

એટલે, બને છે એવું કે જે હાથ ચડે તે વિચારને કે ધરમને પોતાનો ગણી લે છે. સામ્પ્રત ભારતીય હિન્દુ સમાજનો મૂળાધાર ધર્મ છે. પણ એ ધર્મ એટલે? રામમન્દિરના રામ, કાશી વિશ્વનાથના મહાદેવ, નાથદ્વારાના શ્રીજી બાવા કે તિરુપતિના વેન્કટેશ્વર. આ બધામાંથી જેની ભક્તિ સરળ પડે, સગવડો સચવાય એવી લાગે, કરવા માંડે છે. મન્દિરે જઈ ભગવાનને કહે છે – પ્રભુ, મારું કંઈક કર. મારા પર કૃપા કર.

પ્રભુકૃપા એટલે પ્રસાદ અને પ્રસાદ એટલે પ્રભુકૃપા. પણ એને તો મોહનથાળનો પ્રસાદ જોઈતો હોય છે ! અને એટલે એ માટે એ બૂમો પાડવા માંડે છે. જાતછેતરામણી એને એ કોટિએ લઈ ગઈ, જેને એ તો પાછો ભક્તિ કહે છે !

બીજું પરિબળ પોસ્ટ ટ્રુથ છે. હકીકત રૂપ સત્ય હોય, સિદ્ધ હોય, નીવડેલું હોય, સર્વસ્વીકૃત હોય, પણ દુરાશયોથી પાછળના કોઈ સમયે એને મચડી નાખવામાં આવે અને એનું એક સગવડિયું રૂપ ઘડી લેવામાં આવે. એ મનઘડંતને જ સત્ય તરીકે ઘટાવવામાં આવે. એ પોસ્ટ ટ્રુથ છે. એમાં તર્ક અને તાર્કિકતા નથી હોતાં. એમાં. લોકોની લાગણીઓનો શ્રદ્ધા કે અન્ધશ્રદ્ધાનો ઉપયોગ કરવામાં આવ્યો હોય છે.

પોસ્ટ ટ્રુથ આજકાલ સત્તાના રાજકારણીઓનું હાથવગું સાધન છે. ઇતિહાસને વિકૃત કરનારા સાહિત્યકારો એને કુશળ કારીગરની જેમ વાપરી જાણે છે. ગુજરાતી સાહિત્યના સુધારક યુગમાં નર્મદ અને તેનાં સત્યોને પોસ્ટ ટ્રુથથી હણવાના પ્રયાસ થયા હતા. આજકાલ સુરેશ જોષી અને એમનાં સત્યોને હણવાના પ્રયાસો ચાલુ છે.

બૅડ ફેઈથનો ભોગ બનેલા લોકો સામાન્ય હોય છે પણ પોસ્ટ ટ્રુથના ઘડવૈયા ચતુરસુજાણ હોય છે. સામાજિક રોગ અબુધોને લીધે હોય એ સમજાય એવું છે, ચતુરસુજાણોને લીધે હોય એ ન સમજાય એવું નથી, પણ વધારે કરુણ છે. 

(ક્રમશ:) 
(March 8, ’23 : A’vad)
સૌજન્ય : સુમનભાઈ શાહની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

વિધાર્થીઓનું ભવિષ્ય સળગાવતી આમિર ખાનની પહેલી ‘હોલી’

રાજ ગોસ્વામી|Opinion - Opinion|9 March 2023

એક ક્વિઝ : આમિર ખાનની પહેલી ફિલ્મ કઈ? જવાબ આસાન છે; કયામત સે કયામત તક. ખોટું. આમિર ખાનની પહેલી ફિલ્મ ‘હોલી’ હતી. 1988માં કાકા નાસિર હુસેન નિર્મિત અને તેમના દીકરા મન્સૂર ખાન નિર્દેશિત ‘કયામત સે કયામત તક’ ફિલ્મથી આમિર ખાનને પહેલીવાર લોકપ્રિયતા મળી, પણ હીરો તરીકેની તેની પહેલી ફિલ્મ ‘હોલી’ ચાર વર્ષ પહેલાં, 1984માં, આવી હતી હતી. ‘મિર્ચ મસાલા,’ ‘મિ. યોગી’ (ટી.વી. સિરિયલ), ‘હીરો હીરાલાલ’ અને ‘માયા મેમસાબ’ જેવી ફિલ્મોના સર્જક કેતન મહેતાની આ ‘હોલી’ બીજી ફિલ્મ.

આમિર ખાન અને કેતન મહેતાએ પૂણેની ફિલ્મ ઇન્સ્ટિટ્યૂટમાં આ ફિલ્મ બનાવી હતી, પરંતુ તેની કોમર્સિયલ રિલીઝ થઇ નહોતી એટલે તે ભુલાઈ ગઈ. હિન્દી ફિલ્મોમાં હોળીને લઈને ઘણાં યાદગાર ગીતો અને દૃશ્યો છે, પરંતુ ‘હોલી’ સંભવતઃ એક માત્ર ફિલ્મ છે જેના કેન્દ્રમાં હોળી છે. એટલા માટે જ તેનું શીર્ષક પણ ‘હોલી’ છે. પૂરી ફિલ્મને ફિલ્મ ઇન્સ્ટિટ્યૂટ અને પૂણેની ફર્ગ્યુસન કોલેજમાં શૂટ કરવામાં આવી હતી. ‘લગાન,’ ‘સ્વદેશ,’ અને ‘જોધા અકબર’ જેવી ફિલ્મોના સર્જક આશુતોષ ગોવારિકરની પણ એક્ટર તરીકે આ પહેલી ફિલ્મ છે.

કેતન મહેતા થિયેટરના કલાકાર છે અને સાહિત્ય સાથે તેમનો ઘણો લગાવ છે. તેમની ફિલ્મોનો આધાર સાહિત્યિક કૃતિઓ રહી છે. જેમ કે તેમની પહેલી ફિલ્મ ‘ભવની ભવાઈ’ (1980) ધીરુબહેન પટેલના નાટક પરથી બનવામાં આવી હતી, જેમાં નસીરુદ્દીન શાહ, ઓમ પૂરી અને સ્મિતા પાટિલે કામ કર્યું હતું. તેમની ટી.વી. સિરિયલ ‘મિ. યોગી’ મધુ રાયની વાર્તા ‘કિમ્બલ રેવંસવૂડ’ આધારિત હતી. ‘માયા મેમસાબ’ ફ્રેંચ લેખક ગુસ્તાવ ફ્લુબર્ટની નવલકથા ‘મેડમ બોવરી’ પર બનાવી હતી.

તેમની ત્રીજી ફિલ્મ ‘મિર્ચ મસાલા’(1985)માં કેતન મહેતાએ લાલ રંગનાં મરચાંને સ્ત્રીઓના મિજાજ તરીકે પેશ કર્યા હતાં. કેતન મહેતાએ પ્રસિદ્ધ વાર્તાકાર ચુનીલાલ મડિયાએ લખેલી ટૂંકી વાર્તા ‘અભુ મકરાણી’ વાંચી હતી. આ વાર્તા મડિયાના વાર્તા સંગ્રહ ‘રૂપ-અરૂપ’(૧૯૫૩)માં સૌપ્રથમ વાર પ્રકાશિત થઇ હતી. મૂળ વાર્તામાં બલિદાનની ગૌરવગાથા ગાઇને અને અંગ્રેજ અમલદાર સામે ઘૂંટણિયા ટેકવતા ગ્રામજનો દર્શાવ્યા હતા. ફિલ્મમાં ભૂખ્યા સરકારી અમલદાર અને સમાજના પુરુષો સામે સ્ત્રીઓનો વિદ્રોહ બતાવ્યો છે. વાર્તામાં મડિયાએ તમાકુનું કારખાનું બતાવ્યું હતું. કેતન મહેતાએ તેના સ્થાને મરચા રૂપી બળવાનો લાલ રંગ બતાવ્યો.

એક ઇન્ટરવ્યૂમાં તેમણે કહ્યું હતું, “લાલ મરચા સાથે આપણી સાંસ્કૃતિક તાકાત જોડાયેલી છે. આપણા ઘણા રીવાજોમાં મરચું છે. મરચું ફળદ્રુપતા, કામુકતાનું પ્રતિક છે. તેને શુભ માનવામાં આવે છે અને તેનો જાદુ-ટોણામાં ય ઉપયોગ થાય છે. મરચું બળવાનું પણ પ્રતીક છે.”

‘મિર્ચ મસાલા’નાં લાલ મરચાંની જેમ, ‘હોલી’ ફિલ્મમાં હોળીની આગ છોકરાઓના વિદ્રોહના એક પ્રતીક તરીકે હતી.  તેમણે મરાઠી નાટ્યકાર મહેશ ઈલકુન્ચવર લિખિત નાટક “હોલી” જોયું હતું. નાટકમાં એક કોલેજના નવરા, દિશાહીન અને નારાજ છોકરાઓ કેવી એક એક છોકરા પર તેમની વ્યથા ઠાલવે છે તેની વાર્તા હતી.

“હોલી” એક પ્રયોગાત્મક ફિલ્મ હતી. કેમ્પસના રાજકારણ પર બહુ ફિલ્મો બની નથી. “હોલી” એમાં અપવાદ છે. કેતન મહેતા ફિલ્મ ઇન્સ્ટિટ્યૂટમાં ભણતા હતા ત્યારે ત્યાં વિધાર્થીઓએ એકવાર હડતાળ કરી હતી. વિધાર્થીઓમાં કેવી રીતે હિંસા આવે છે અને સમાજ કેવી રીતે તેમણે ઉશ્કેરે છે તે તેમણે સગી આંખે જોયું હતું. એ અનુભવ અને ‘હોલી’ નાટકને ભેગા કરીને તેમણે આ ફિલ્મ બનાવી હતી. ઉપર-ઉપરથી આ ફિલ્મ કેમ્પસની હિંસા બતાવતી ફિલ્મ લાગે, પરંતુ કેતન મહેતા છોકરાઓના વિદ્રોહ અને વિરોધના લોકતાંત્રિક અધિકારને પેશ કરવા માંગતા હતા. 

ફિલ્મમાં હોસ્ટેલમાં રહેતા મદન શર્મા (આમિર ખાન) અને રણજીત પ્રકાશ (આશુતોષ ગોવારિકર) તેમના અન્ય મિત્રો સાથે ધીંગા-મસ્તી કરતા રહે છે. એક રાતે મસ્તી પછી સવારે તેમને ખબર પડે છે કે આજે હોળીની રજા કેન્સલ થઇ છે. એ દિવસે કોલેજના સ્થાપકના સન્માનમાં કોલેજમાં કાર્યક્રમ હોય છે, પણ છોકરાઓ ક્લાસમાં નહીં જવાનું નક્કી કરે છે.

હોસ્ટેલ ઇન્ચાર્જ પ્રોફેસર સિંહ (નસીરુદ્દીન શાહ) એક માત્ર વ્યક્તિ છે જેનું છોકરામાં ઉપજે છે અને તે બેબસ બનીને કેમ્પસમાં વધતા આક્રોશને જોયા કરે છે. એમાં પરીક્ષા પાછી ઠેલવાની જાહેરાત થાય છે જેથી છોકરાઓ ઔર ભડકે છે. એમાં પ્રિન્સીપાલ ફાંડે(ઓમ પૂરી)ના ભત્રીજા અને તેના બીજા એક મિત્ર સાથે છોકરાઓની લડાઈ થાય છે. એમાં પ્રિન્સીપાલનો ભત્રીજો જખમી થાય છે અને છોકરાઓને રસ્ટીકેટ કરવામાં આવે છે.

આ દંડ હોળીમાં આગ પુરવાનું કામ કરે છે અને પૂરી કોલેજમાં છોકરાઓ અકળાય છે. ક્લાસમાં, લાઈબ્રેરીમાં, લેબોરેટરીમાં, ગ્રાઉન્ડમાં વિરોધ પ્રદર્શન શરૂ થાય છે. આખી વિધાર્થી આલમ પ્રિન્સીપાલ સામે વિદ્રોહ કરે છે. પ્રિન્સીપાલ પ્રોફેસર સિંહને બોલાવે છે અને નેતાગીરી કરનારા છોકરાઓનાં નામ માંગે છે પણ એ ઇન્કાર કરે છે. એ પછી એક સહાધ્યાયી નામ આપી દે છે અને પ્રિન્સીપાલ તેમના નામે સસ્પેન્સન નોટિસ જારી કરે છે.

છોકરાઓના છેલ્લા દિવસે, પેલા સહાધ્યાયી પર ખાર રાખીને સસ્પેન્ડ થયેલા છોકરાઓ ત્રાસ વર્તાવે છે. બીજા દિવસે, એ છોકરો આત્મહત્યા કરી લે છે. પછી કેમ્પસમાં પોલીસ આવે છે અને જવાબદાર છોકરાઓને વાનમાં બેસાડીને લઈ જાય છે. એ પોલીસ વાન હોળીની ઉજવણી વચ્ચેથી પસાર થતી હોય તેવા દૃશ્ય સાથે ફિલ્મ પૂરી થાય છે.

‘હોલી’ ફિલ્મમાં કેતન મહેતાએ શિક્ષણ વ્યવસ્થા અને કેમ્પસના રાજકારણને લઈને કોલેજના છોકરાઓમાં વ્યાપ્ત વ્યથા અને ચિંતાને પેશ કરવાનો પ્રયાસ કર્યો હતો. એમાં તે છોકરાઓ જે રીતે વિરોધ કરે છે તે અનપેક્ષિત દિશામાં જતો રહે છે અને તેમના ભવિષ્ય પર મોટો પ્રશ્નાર્થ ઊભો કરે છે. 

હોળીનો તહેવાર આમ તો અનિષ્ટના નાશનો તહેવાર છે. કેતન મહેતાએ ‘હોલી’ ફિલ્મમાં તે માન્યતાનું શીર્ષાસન કર્યું હતું; અહીં, હોળીની આગ વિધાર્થીઓના ભવિષ્યને ભરખી જાય છે. ‘હોલી’માં બે ગીતો હતાં જે આમિર ખાને ખુદ ગાયાં હતાં; ના કોઈ કામ અને યે કૈસા સફર હૈ. બંને ગીતો ફિલ્મના નિરાશાવાદી મૂડને પેશ કરતાં હતાં.

હોળી સાથે આમિરનો વિશેષ સંબંધ છે. તેનો જન્મ પણ હોળીના દિવસે થયો હતો. એક જૂના ઇન્ટરવ્યૂમાં તેણે કહ્યું હતું, “હું 14 માર્ચ, 1965ના રોજ હોળીના દિવસે પેદા થયો હતો. મારી અમ્મીએ મને કહ્યું હતું કે હોસ્પિટલમાં નર્સે મારા ગાલ પર ગુલાલ લગાવ્યો હતો. હું દર વર્ષે મારા પરિવારના લોકો સાથે હોળી રમું છું.”

‘હોલી’ ફિલ્મ સાથે આમિરની બીજી પણ એક યાદ જોડાયેલી છે. એ ફિલ્મમાં તેણે માથામાં આગળ-પાછળથી વાળ કપાવી નાખ્યા હતા (તેને બઝ હેરસ્ટાઈલ કહે છે). જે લોકોને ‘હોલી’ ફિલ્મ વિશે ખબર છે અથવા જોઈ છે તે એવું માને છે કે આમિરે આ ફિલ્મની વાર્તાને અનુસરીને વાળ કપાવ્યા હતા, પણ હકીકત જુદી છે.

ટી.વી. હોસ્ટ સિમી ગરેવાલ સાથે એક ઇન્ટરવ્યૂમાં આમિરે ખુલાસો કર્યો હતો કે એ વખતે તે જે છોકરીને પ્રેમ કરતો હતો તે તેને છોડીને જતી રહી હતી અને તેના દુઃખમાં આમિરે વાળ કપાવી નાખ્યા હતા. કેતન મહેતાએ તેને ફિલ્મ માટે બોલાવ્યો ત્યારે તેઓ પણ આશ્ચર્યથી બોલી પડ્યા હતા, “તુમ્હારે બાલ કહાં ગયે?” એવા માથા સાથે જ આમિરે એ ફિલ્મ પૂરી કરી હતી. બઝ હેરસ્ટાઈલવાળા આમિર માટે પણ ફિલ્મ એકવાર જોવા જેવી છે. યુટ્યુબ પર તપાસ કરજો.

પ્રગટ : ‘સુપરહિટ’ નામક લેખકની સાપ્તાહિક કોલમ, “સંદેશ”; 08 માર્ચ 2023
સૌજન્ય : રાજભાઈ ગોસ્વામીની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

...102030...1,0761,0771,0781,079...1,0901,1001,110...

Search by

Opinion

  • કાનાની બાંસુરી
  • નબુમા, ગરબો સ્થાપવા આવોને !
  • ‘ફૂલ નહીં તો ફૂલની પાંખડી’ પણ હવે લાખોની થઈ ગઈ છે…..
  • લશ્કર એ કોઈ પવિત્ર ગાય નથી
  • ગરબા-રાસનો સૌથી મોટો સંગ્રહ

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved