Opinion Magazine
Number of visits: 9458203
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ચલ મન મુંબઈ નગરી—187

દીપક મહેતા|Opinion - Opinion|11 March 2023

અંગ્રેજ લશ્કરના કેપ્ટને લખ્યો મરાઠા રાજવટનો ઇતિહાસ

મારા પુસ્તકનું નામ બદલીને હું વાચકોને છેતરી ન શકું    

છાપેલાં લગભગ ૧૨૦૦ પાનાં થાય એવા પુસ્તકની હસ્તપ્રતનું પોટલું લઈને ૩૭ વરસનો એક યુવક પુસ્તક પ્રકાશક જોન મરે પબ્લિશર્સ લિમિટેડની ઓફિસમાં જાય છે. પરદેશમાં ઘણાં વરસ પુષ્કળ કામ કર્યું છે, અને તે ય પાછું ખરાબ હવાપાણી વચ્ચે. એટલે ઉંમર ૩૭ કરતાં વધુ લાગે છે. પોટલું ટેબલ પર મૂકી ખોલે છે. પ્રકાશક પહેલું પાનું હાથમાં લે છે. પુસ્તકનું નામ વાંચી કહે છે : “આવા નામે છાપીએ તો તો ભોજિયો ભાઈ પણ તેને હાથ ન લગાડે.” “તો?” “એમ કરો. આપણે આ પુસ્તકનું નામ રાખીએ : ‘ડિકલાઇન ઓફ મોગલ પાવર એન્ડ રાઈઝ ઓફ બ્રિટિશ પાવર.’ અને હા.  આ નામ તમને મંજૂર હોય તો આ પુસ્તક અમે અમારે ખર્ચે છાપશું.”

“ના. મારા પુસ્તકનું નામ તો હું નહિ બદલું. કારણ એના કેન્દ્રસ્થાને મરાઠા સત્તા છે, મોગલ સલ્તનત નહિ. અને નામમાં ‘મોગલ’ શબ્દ મૂકું તો તો વાચકોને છેતર્યા કહેવાય.” “સાહેબ, જેવી આપની મરજી. પણ આપે જણાવેલા નામ સાથે તો અમે આ પુસ્તક નહિ જ છાપી શકીએ.” “ભલે. ખુદા હાફિઝ.” અને એ લેખક જાય છે લોન્ગમેન્સ પબ્લિશર્સ પાસે. આ પ્રકાશક કહે છે કે “તમે આપેલા નામ સાથે જ પુસ્તક છાપવું હોય તો તેનો બધો ખર્ચ તમારે આપવો પડશે. અમે તેમાં એક પાઉન્ડનું પણ રોકાણ નહિ કરીએ. નકલો વેચાતી જશે તેમ તેમ તમને પૈસા પાછા ચૂકવતા જશું.” અને એ લેખકે બે હજાર પાઉન્ડ પોતાના ગજવામાંથી કાઢીને એ દળદાર પુસ્તક ત્રણ ભાગમાં છપાવ્યું : ‘હિસ્ટ્રી ઓફ ધ મરાઠાઝ.’ ૨,૦૦૦ પાઉન્ડના રોકાણમાંથી ફક્ત ૩૦૦ પાઉન્ડ પાછા મળ્યા.

કેપ્ટન ગ્રાન્ટ ડફ

આ લેખકનું નામ કેપ્ટન જેમ્સ ગ્રાન્ટ ડફ. ૧૭૮૯ના જુલાઈની આઠમી તારીખે જન્મ. હજી તો દસેક વરસના થયા ત્યાં પિતાનું અવસાન. દીકરાને લઈ માતા એબર્ડિન ગયાં. ત્યાં પહેલાં સ્કૂલમાં અને પછી કોલેજમાં અભ્યાસ. પ્રબળ ઝંખના હતી ઇસ્ટ ઇન્ડિયા કંપનીમાં સિવિલ સર્વન્ટ બનવાની. પણ એવી જગ્યા મળતાં વાર લાગે તેમ હતું. જીવ અધીરો, ઉતાવળિયો. સનદી નોકરીમાં વાર લાગે તેમ છે? તો ચાલ, જોડાઈજા લશ્કરમાં! એટલે કેડેટની સૌથી નીચી પાયરીની નોકરી લઈને ૧૮૦૫માં પકડ્યું મુંબઈ જતું વહાણ. ત્યાં ફરી લશ્કરી તાલીમ. પછી જોડાયા બોમ્બે ગ્રેનેડિયર્સમાં. બહારવટિયાઓ સામેની લડાઈમાં ભાગ લીધો. એમની આખેઆખી ટુકડીની કતલ થઈ જાય એવા સંજોગોમાં દુશ્મનો સામે ઝઝૂમ્યા અને પોતાની ટુકડીને બચાવી. એટલે બઢતી મળી. હિન્દુસ્તાન આવ્યા પછી ફારસી ભાષાનો સારો અભ્યાસ કરેલો એટલે લશ્કરમાં ફારસી દુભાષિયા તરીકે પણ કામ કર્યું.

પછીથી મુંબઈના ગવર્નર બન્યા તે માઉન્ટ સ્ટુઅર્ટ એલ્ફિન્સ્ટન એ વખતે પૂનામાં રેસિડન્ટ. તેમની નજરમાં આ છોકરો વસી ગયો. તેમણે એ છોકરાને પોતાના સહાયક તરીકે રાખી લીધો. વખત જતાં બંને નિકટના સાથી અને મિત્રો બન્યા. ગ્રાન્ટ ડફ ‘દેશીઓ’ની નાડ બરાબર પારખી ગયા હતા. એલ્ફિન્સ્ટનની જેમ તે પણ માનતા કે ‘દેશીઓ’ના સમાજમાં ઘણા બધા સુધારા કરવાની જરૂર છે. પણ તેમાં ઉતાવળ કરવી પોસાય નહિ. આપણા કવિ દલપતરામની જેમ એલ્ફિન્સ્ટન અને ગ્રાન્ટ ડફ પણ ‘ધીમે ધીમે સુધારાનો સાર’ સંભળાવવામાં માનતા હતા. બીજી બાજુ લશ્કરી નોકરીમાં બઢતી મળી, ગ્રાન્ટ ડફ એક ટુકડીના કેપ્ટન બન્યા. પેશવા બાજીરાવ સામેની લડાઈમાં ગ્રાન્ટ ડફે મહત્ત્વનો ભાગ ભજવ્યો. યુદ્ધ પછી એલ્ફિન્સ્ટને ગ્રાન્ટ ડફની નિમણૂક સાતારાના રેસિડન્ટ તરીકે કરી. તેમણે ખાસ પગાર પણ ઠરાવ્યો : મહિને બે હજાર રૂપિયા પગાર અને ૧,૫૦૦ રૂપિયાનું માસિક ભથ્થું!

સાતારાના રાજવી પ્રતાપસિંહ

એ વખતે સાતારા એટલે મરાઠા સત્તાનું એક મહત્ત્વનું થાણું. ખડકીના યુદ્ધના ઘા હજી તાજા હતા. લોકોમાં પણ અંગ્રેજો સામે ભલે છૂપો, પણ વિરોધ. ગ્રાન્ટ ડફની સાથે બીજો એક જ અંગ્રેજ અફસર. બીજા બધા ‘દેશી’ સિપાઈઓ. છતાં ગ્રાન્ટ ડફે એવું કામ કર્યું કે ૧૮૧૮ના એપ્રિલની ૧૧મી તારીખે એક જાહેરનામું બહાર પાડીને ગવર્નર એલ્ફિન્સ્ટને ગ્રાન્ટ ડફને સાતારા અંગે બધી જ સત્તા સોંપી દીધી. સાતારાના રાજા પ્રતાપસિંહને પેશવાએ કેદ કર્યા હતા તેમને છોડાવીને ગ્રાન્ટ ડફે ફરી ગાદી પર બેસાડ્યા. પ્રતાપસિંહ છત્રપતિ શિવાજી મહારાજનાં વંશજ હતા. તેમણે છેલ્લા છત્રપતિ માનવામાં આવે છે. અલબત્ત, રેસિડન્ટ તરીકે બધી સત્તા ગ્રાન્ટ ડફે પોતાના હાથમાં રાખી. ૧૮૧૯ના સપ્ટેમ્બરની ૨૫ મી તારીખે અંગ્રેજોએ પ્રતાપસિંહ સાથે કોલ-કરાર કર્યા. તેમાં ઠરાવ્યું કે ૧૮૨૨ સુધી રાજ પ્રતાપ સિંહનું ગણાશે, પણ તેમને નામે બધો જ કારભાર ગ્રાન્ટ ડફ સંભાળશે. તે પછી બધી સત્તા રાજાને સોંપાશે. પણ એ વખતે જો તેઓ રાજ્ય ચલાવવા માટે લાયક જણાશે તો જ! ગ્રાન્ટ ડફે પ્રતાપસિંહને એવી તો તાલીમ આપી કે ૧૮૨૨માં તેમને રાજ્યની બધી સત્તા સોંપવામાં આવી.

પૂરાં પાંચ વરસ સુધી ગ્રાન્ટ ડફે તનતોડ મહેનત કરી. પરિણામે તબિયત લથડી. એટલે નોકરીમાંથી રજા લઈ ૧૮૨૩ના જાન્યુઆરીમાં સ્વદેશ ગયા. ત્યાં રહ્યે જ ૧૮૨૫માં તેમણે નોકરીમાંથી રાજીનામું આપ્યું. એ જ વર્ષે તેમણે જેન કેથરિન નામની યુવતી સાથે લગ્ન કર્યાં. હિન્દુસ્તાનમાં હતા ત્યારે મરાઠાઓના ઇતિહાસ અંગેની ઘણી માહિતી – હસ્તપ્રતો, દસ્તાવેજો, પોથીઓ વગેરે તેમણે ભેગાં કર્યાં હતાં. સાતારા છોડીને મદ્રાસના ગવર્નર બન્યા તો ત્યાંથી પણ જરૂરી સાધનો મેળવ્યાં. આ બધાને આધારે તેમણે મરાઠાઓના ઇતિહાસનો ખરડો તૈયાર કરીને માઉન્ટ સ્ટુઅર્ટ એલ્ફિન્સ્ટન, કર્નલ બ્રિગ્સ, વેન્સ કેનેડી, વિલિયમ અરસ્કિન, બાલાજી પંત નાતૂ વગેરેને બતાવી તેમનાં સૂચનો માગ્યાં. સ્વદેશ પાછા ગયા પછી તેમણે પુસ્તકનો છેવટનો ખરડો તૈયાર કર્યો.

તેમનું પુસ્તક પ્રગટ થયું ત્યારે ગ્રેટ બ્રિટનમાં કે હિન્દુસ્તાનમાં ભાગ્યે જ કોઈએ તેની નોંધ પણ લીધેલી. પણ પછી ૧૯૨૧ સુધીમાં તેની છ આવૃત્તિ પ્રગટ થઈ. ૧૮૨૯માં આ પુસ્તકનો મરાઠી અનુવાદ પ્રગટ થયો. કેપ્ટન ડેવિડ કેપેન અને બાબા સાનેએ આ અનુવાદ કર્યો હતો જે ‘મરાઠ્યાંચી બખર’ નામે પ્રગટ થયો. તેની પણ છ આવૃત્તિ થઈ. પણ ઘણા લાંબા વખત સુધી મરાઠીમાં ગ્રાન્ટ ડફના પુસ્તકની ઉપેક્ષા થઈ. પુસ્તક પ્રગટ થયા પછી ૪૨ વરસે તેનું પહેલું અવલોકન છપાયું. પૂનાની ડેક્કન કોલેજના એક વિદ્યાર્થી નીલકંઠ જનાર્દન કીર્તનેએ આ અવલોકન પ્રગટ કર્યું. તેમણે કહ્યું કે ગ્રાન્ટ ડફને તેમના હોદ્દાને કારણે ઘણી કાચી સામગ્રી મળી. પણ તેઓ યોગ્ય રીતે એનો ઉપયોગ કરી શક્યા નહિ. એટલે તેમનું પુસ્તક તદ્દન નીરસ બની ગયું છે. ઇતિહાસાચાર્ય રાજવાડેએ પણ ગ્રાન્ટ ડફના પુસ્તકમાંની ઘણી ત્રુટિઓ અને ભૂલો તરફ ધ્યાન દોર્યું છે. એટલું જ નહિ, તેમણે તો એટલે સુધી કહ્યું છે કે ઇતિહાસનું આવું પુસ્તક લખવાની લેખકમાં લાયકાત જ નહોતી.

પણ ગ્રાન્ટ ડફના પુસ્તક વિષે જે ટીકાઓ થઈ છે તે પુસ્તક લખાયા પછી ૫૦-૬૦ વરસે થઈ છે. એ વખતે વિદ્વાનો પાસે જે સાધનો હતાં તે ગ્રાન્ટ ડફ પાસે નહોતાં એ આપણે યાદ રાખવું જોઈએ. બીજું, તેમણે આ પુસ્તક પોતાના જમાનાના અંગ્રેજ વાચકોને ધ્યાનમાં રાખીને લખ્યું હતું. અને આ વાચકો મરાઠા ઇતિહાસથી લગભગ અજાણ હતા. એટલે તેમને રસ પડે અને સમજાય એ રીતે પુસ્તક લખવાનું જરૂરી હતું. અને ગ્રાન્ટ ડફ એક અંગ્રેજની દૃષ્ટિએ લખે તે તો સ્વાભાવિક ગણાવું જોઈએ.

પણ મરાઠી વિદ્વાનો અને વિવેચકોની અવગણના કે ટીકાનું બીજું પણ એક કારણ હોવાનો સંભવ છે. ખડકીની લડાઈ એટલે પેશ્વા રાજવટનો મૃત્યુઘંટ. એ લડાઈ પછી જ પેશ્વા સત્તાના કેન્દ્ર જેવા પૂનાના શનવાર વાડા પર અંગ્રેજ સૈન્યે પોતાનો ઝંડો ફરકાવ્યો. અને ગ્રાન્ટ ડફ બ્રિટિશ લશ્કરના કેપ્ટન તરીકે આ લડાઈ સાથે નિકટતાથી સંકળાયેલા. એટલે તેઓ જ્યારે મરાઠાઓનો ઇતિહાસ લખે ત્યારે કેટલાક મરાઠી વિવેચકો કૈંક પૂર્વગ્રહથી તેના વિષે વાત કરે એમ બની શકે.

ખડકીની લડાઈ

પૂના પાસે આવેલ ખડકીની લડાઈ ૧૮૧૭ના નવેમ્બરની પાંચમી તારીખે થઈ હતી. મરાઠા સરદાર બાપુ ગોખલેના સૈન્યમાં ૨૮ હજાર સૈનિકો હતા. અંગ્રેજ લશ્કરમાં ફક્ત ત્રણ હજાર. મરાઠા સૈન્ય પાસે ૨૦ તોપ હતી, અંગ્રેજ સૈન્ય પાસે ફક્ત ૮ તોપ હતી. અને છતાં આ લડાઈમાં અંગ્રેજ સૈન્યની જીત થઈ. મરાઠા સૈન્યના ૫૦૦ સૈનિકો મરાયા કે ઘવાયા હતા. જ્યારે અંગ્રેજ લશ્કરે ૬૮ સૈનિક ગુમાવ્યા હતા. ૧૮૧૭ના નવેમ્બરની ૧૭મી તારીખે પેશ્વાએ શરણાગતિ સ્વીકારતાં કંપની સરકારે પૂનાના શનવારવાડાનો કબજો લઈ તેના પર પોતાનો ધ્વજ ફરકાવ્યો હતો. 

ગ્રાન્ટ ડફની જેમ ઘણા અંગ્રેજો અચ્છા લડવૈયા હોવાની સાથોસાથ સારા અભ્યાસી પણ હતા. ઇસ્ટ ઇન્ડિયા કંપનીની રાજવટ દરમ્યાન જે અફસરો અહીં આવ્યા તેમાંના ઘણા એવા હતા. આવા બીજા અભ્યાસી પરદેશી વિષે થોડી વાતો હવે પછી. 

e.mail : deepakbmehta@gmail.com

xxx xxx xxx

(પ્રગટ : “ગુજરાતી મિડ–ડે”; 11 માર્ચ 2023)

Loading

મોહન રાકેશની વિભાજનની વાર્તાઓ

અભિમન્યુ આચાર્ય|Opinion - Literature|11 March 2023

ભારત વિભાજનના સાહિત્યની વાત કરીએ તો તરત મંટો, ઈન્તઝાર હુસૈન, રાજેન્દરસિંહ બેદી કે કમલેશ્વરના નામ યાદ આવે. મોહન રાકેશનું નામ વિભાજનની વાત કરતી વખતે મનમાં તરત આવતું નથી. હિન્દીમાં આધુનિક વાર્તાનો ૧૯૬૦ પછી જે પ્રવાહ ચાલ્યો, જેને “નયી કહાની” નો પ્રવાહ કહેવાય છે, એ પ્રવાહ સાથે પારંપારિક રીતે મોહન રાકેશનું નામ જોડાયેલું છે. નાટ્યલેખક તરીકે પણ તેઓ જાણીતા છે. દરેક ભાષામાં (ગુજરાતીમાં પણ) આધુનિકતા વિદ્રોહ રૂપે આવી છે. નયી કહાનીના પ્રવાહના લેખકોએ પ્રેમચંદના સામાજિક વાસ્તવવાદ સામે, તેમ જ અજ્ઞેય અને જૈનેન્દ્રકુમારના વ્યક્તિવાદ અને મનોવૈજ્ઞાનિક વાસ્તવવાદ સામે બંડ પોકારેલો, અને ‘આંતરિક વાસ્તવ’ને ઝીલવા રચના-રીતિના નવા પ્રયોગો તરફ વળેલા.

મોહન રાકેશ

‘નયી કહાની’ પ્રવાહના લેખકોમાં મોહન રાકેશનું સ્થાન મને હંમેશાં થોડું વધારે સંકુલ લાગ્યું છે, કારણ કે એ પ્રવાહ સાથે એમનું નામ ભલે જોડાયેલું હોય પણ આખા ગ્રુપમાં એ થોડા ‘મિસફીટ’ હતા. જ્યાં નિર્મલ વર્મા યુરોપિયન આધુનિકતાના પ્રવાહો હિન્દીમાં ઝીલી રહ્યા હતા, જ્યારે ફણીશ્વરનાથ રેણુ પ્રાદેશિકતાની સંકુલતા ઉઘાડી રહ્યા હતા, ત્યારે મોહન રાકેશ પ્રેમચંદની સામાજિક વાસ્તવની પરંપરા અને પશ્ચિમના આધુનિક સાહિત્યમાં જેનો ખૂબ મહિમા થયો છે એવા ‘એલિયેનેશન’ના થીમનો સમન્વય કરવામાં રત હતા. રાકેશ માટે વૈયક્તિક આંતરિકતા તેમ જ બાહ્ય વાસ્તવ, બંને સરખું મહત્ત્વ ધરાવે છે. અંદર અને બહારની વાસ્તવિકતાને રાકેશ પોતાની વિભાજનની વાર્તાઓમાં બખૂબી મૂર્ત કરી શક્યા છે. તેમનું નામ આપણે વિભાજન વિશે લખનારા સાહિત્યકારોમાં નથી લેતા કારણ કે તેમણે વિભાજનના વિષયવસ્તુને લઈને માત્ર ત્રણ જ વાર્તાઓ આપી છે – “મલબે કા માલિક”, “કલેઈમ” અને “પરમાત્મા કા કુત્તા”. આજે અહીં પહેલી બે વાર્તાઓની વાત કરવી છે, ખાસ તો આંતર-બાહ્ય બંને સૃષ્ટિને રાકેશ કેવી રીતે વર્ણવે છે એ સંદર્ભમાં. 

“મલબે કા માલિક”નો વિષય, વિભાજનની વાર્તાઓ પૂરતો, જાણીતો લાગે. વર્ષોથી કુટુંબીઓ તરીકે રહેતા પાડોશી જ્યારે એકબીજાના દુશ્મન થઈ જાય, અને વર્ષો પછી એ ક્ષણને ફરી જીવવાનું થાય ત્યારે નજર સામે બસ સળગેલું ઘર હોય, એમાં ઢેર થઈ ગયેલી સ્મૃતિઓ હોય. માલિકી બસ આ ઢેરની જ રહે, બીજા કશાની નહિ. ગની મિયાં વર્ષો પછી લાહોરથી અમૃતસર આવ્યા છે, તેમના પાડોશી રખા પહેલવાનને મળવા. થોડા સમય માટે ગની મિયાંને બહારગામ જવાનું થયેલું, એ જ વખતે વિભાજનના હુલ્લડો ફાટી નીકળેલા. એ હિંસામાં રખા પહેલવાને ગની મિયાંના આખા પરિવારને મારી નાખેલો અને ગની મિયાંનું ઘર કબજે કરી લીધેલું. ગની મિયાં આ બધાથી અજાણ કારણ કે હુલ્લડો વખતે તેઓ બારોબાર પાકિસ્તાન જતા રહેલા.

વર્ષો પછી તેઓ આવ્યા છે અને તેમના વહાલા અમૃતસરને માણે છે, નોંધે છે શું શું બદલાયું. ઘણું બધું બદલાઈ ગયું છે. જ્યાં ખાલી મેદાન હતા ત્યાં નવી ઈમારતો બંધાઈ ગઈ છે, જાણે શહેર નવા બાંધકામ થકી જૂની પીડાઓ ભૂલવા મથતું હોય. ઘણું બદલાયું તો છે, પણ અમુક વસ્તુઓ એવી ય છે જે નથી બદલાઈ. ગની મિયાં નોંધે છે કે અમૃતસરની ભાષા હજી એની એ જ છે, એમાં એવી જ મીઠાશ છે. ઘણા જૂના લોકોને મળે છે જેઓ ગની મિયાંને પ્રેમથી આવકારે છે. જાણે વિભાજન વખતે થયેલી હિંસાનું કોઈ નામોનિશાન જ નથી. ગની મિયાં છેવટે રખા પહેલવાન પાસે પહોંચે છે, પ્રેમથી વાતો કર્યે જાય છે. અને રખો પહેલવાન આખા સંવાદ દરમિયાન ગ્લાનિ અનુભવે છે, હા એ હા કર્યે જાય છે. મોહન રાકેશ આ સંવાદ દરમિયાન રખા પહેલવાનના શરીર સંચલનોનું, બોડી લેન્ગવેજનું, જે વર્ણન કરે છે એ લેખકોએ ધ્યાનથી વાંચવા જેવું છે. વાર્તાને ખુલ્લી કર્યા વગર ઘણુંબધું કેવી રીતે કહી દેવું એ વાતનો આદર્શ નમૂનો અહીં મળે છે.

ગની મિયાં જુએ છે કે તેઓ જ્યાં રહેતા હતા તે ઘર તો સળગી ગયું છે. રખો પહેલવાન ગની મિયાંનું ઘર હડપવા માંગતો હતો, પણ છેવટે તેના હાથમાં ય સળગેલું ઘર જ આવે છે. ઢેર થયેલું એક ઘર. આ ઢેરનો માલિક કોણ?

વિભાજનના સંદર્ભમાં પ્રોપર્ટીને લગતી વાત મોહન રાકેશની “કલેઈમ” વાર્તામાં પણ આવે છે, જેમાં ફ્રાન્ઝ કાફકાની દુ:સ્વપ્ન જેવી આધુનિક સૃષ્ટિ તેમ જ પ્રેમચંદના સામાજિક વાસ્તવનો સમન્વય થતો દેખાય છે.

“કલેઈમ” વાર્તા સરકારી ઓફિસની બહાર ઘોડાગાડી ચલાવનાર સાધુસિંહ નામના માણસની છે. વિભાજન પછીનો સમય છે, સાધુસિંહ વિભાજન બાદ જે પ્રદેશ પાકિસ્તાન ગણવામાં આવ્યો ત્યાંથી ભારત આવ્યો છે. વાર્તા આમ તો સાવ નાની છે, છતાં ધ્યાનથી વાંચતા જણાય કે બે ચોક્કસ ભાગમાં વહેચાયેલી છે. વાર્તાનો પૂર્વાર્ધ બાહ્ય વાસ્તવને ઉજાગર કરે છે. સાધુસિંહ ઘોડાગાડી ચલાવે છે, અને આખો દિવસ સરકારી ઓફિસમાં પોતાની વિભાજનને લીધે ખોવાયેલી પ્રોપર્ટી ‘કલેઈમ’ કરવા આવતા લોકોની વાતો સાંભળે છે. આ પહેલા ભાગમાં મોહન રાકેશને સરકારી ઓફિસોમાં ચાલતી ‘બ્યુરોક્રસી’(અમલદારશાહી)ની ટીકા કરવાનો અવસર મળે છે. લોકો બેઘર થઈ ગયા છે, સરકારે સહાય કરવાની વાત તો કરી છે પણ લોકોના ઘણા ‘કલેઈમ’ કરવા છતાં તેમને પ્રોપર્ટી મળી નથી. વળી, સરકારે મૃતકોના કુટુંબીઓ માટે રકમ જાહેર કરી છે અને ઘણા કુટુંબીઓ એ કલેઈમ કરવા જાય છે, પણ બીજી તરફ ઘણા લોકો એવા ય છે જે મરવાના વાંકે જીવે છે. જેમના હાથ-પગ વિભાજનની હિંસામાં કપાઈ ગયા છે, સરખું જીવન તેઓ જીવી શકે એમ નથી. પણ હિંસાનો ભોગ બનેલા અને શરીરના અંગો ગુમાવી ચૂકેલા લોકો માટે સરકારે કોઈ સગવડ કરી નથી. તેમના કુટુંબીઓ શું કલેઈમ કરી શકે? આવા સવાલો પૂછતી વાર્તા તેના વધુ કાવ્યાત્મક એવા ઉત્તરાર્ધમાં પહોંચે છે. પૂર્વાર્ધમાં સાધુસિંહ લોકોની વાતો સાંભળે છે અને કલેઈમની આખી વાત સમજે છે, ઉત્તરાર્ધમાં તે વિચારે છે કે જો તેને કલેઈમ કરવું હોય તો તે શું કલેઈમ કરી શકે?

સાધુસિંહને યાદ આવે છે તેની પ્રેમિકા હીરા, જે વિભાજન વખતે તેની સાથે ભારત નહોતી આવી શકી. સાધુસિંહે એક આંબો વાવેલો, અને સ્વપ્ન સેવેલું કે તે હીરા સાથે પરણશે, અને આંબાની છાયામાં નિરાંતે જીવન વીતાવશે. ન આંબો રહ્યો, ન હીરા રહી, રહી બસ શેષ સ્મૃતિઓ. એ કલેઈમ થઈ શકે? એ સ્પર્શ, એ કંપન, એ સ્વપ્ન, એ ભવિષ્ય? આ બધું કેવી રીતે કલેઈમ કરવું? આવા કરુણ અને કાવ્યાત્મક વળાંક પર વાર્તા પૂરી થાય છે. કાફકાએ જે અમલદારશાહીની ટીકા કરતી ભયાનક સૃષ્ટિ ‘ધ ટ્રાયલ’ નવલકથામાં રચેલી, એ સૃષ્ટિની અહીં ઝલક મળે છે. તો સાથે જ ઉત્તરાર્ધમાં સાધુસિંહની આંતરિક સૃષ્ટિના વર્ણન થકી વૈયક્તિક વેદનાનું ચિત્રણ પણ મળે છે.

સૌજન્ય : અભિમન્યુભાઈ આચાર્યની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

ખાનગી શાળાઓ સરકારી શાળાઓથી ચઢિયાતી છે ?

ચંદુ મહેરિયા|Opinion - Opinion|10 March 2023

ચંદુ મહેરિયા

બિનસરકારી સંસ્થા ‘પ્રથમ’ ૨૦૦૫થી ગ્રામીણ ભારતની પ્રાથમિક શાળાઓના બાળકોની શૈક્ષણિક યોગ્યતા માપતો સર્વે કરે છે. ‘પ્રથમ’નો એન્યુઅલ સ્ટેટસ ઓફ એજ્યુકેશન રિપોર્ટ (અસર) ૨૦૨૨ તાજેતરમાં પ્રગટ થયો છે. દેશના ૬૧૬ જિલ્લા અને ૧૯ હજાર ગામોના ૭ લાખ ગ્રામીણ બાળકોને આવરી લેતા આ સર્વેનું એક તારણ છે કે ૨૦૧૯થી ૨૦૨૨ના ચાર વરસોમાં ખાનગી શાળામાં ભણતાં બાળકો ઓછાં થયાં છે. ૨૦૧૮માં ગ્રામીણ ભારતના ૩૫ ટકા બાળકો ખાનગી શાળાઓમાં અભ્યાસ કરતા હતા. પરંતુ હવે તે ઘટીને ૨૭ ટકા થતાં ૮ ટકાનો ઘટાડો થયો છે. આ ઘટાડાનું તાત્કાલિક કારણ તો કોરોના મહામારીની બાળકોના વાલીઓ પરની આર્થિક અસર ગણાવાય છે, પરંતુ તે ઉપરાંતના પણ ઘણાં કારણો છે.

હરિયાણાની ખાનગી પ્રાથમિક શાળાઓમાં ૨૦૨૦-૨૧માં ૨૯.૮૩ લાખ બાળકો અભ્યાસ કરતાં હતાં. પરંતુ ૨૦૨૧-૨૨માં ૧૭.૩૧ લાખ જ છે એટલે ૧૨.૫૧ લાખ બાળકો હવે ખાનગી શાળાઓમાં ભણતા નથી. ગુજરાતમાં ૨૦૨૦-૨૧માં ૨.૮૫ લાખ અને ૨૦૨૧-૨૨માં ૩.૫ લાખ બાળકોએ ખાનગી શાળા છોડી હતી. આખરે ખાનગી શાળા છોડી જતાં બાળકો જાય છે ક્યાં ? તેનો સ્વાભાવિક જવાબ તો સરકારી શાળા જ છે. આંકડાઓ પણ આ વાતની ગવાહી પૂરે છે. ‘અસર’નો રિપોર્ટ જણાવે છે કે દેશમાં ૨૦૧૮માં ૬૫.૬ ટકા બાળકો સરકારી શાળાઓમાં હતા. ૨૦૨૨માં તે વધીને ૭૨.૯ ટકા થયા છે. છેલ્લાં પાંચ વરસોમાં મહાનગર અમદાવાદની મહાનગરપાલિકા સંચાલિત શાળાઓમાં ખાનગી શાળાઓના ૨.૧૪ લાખ બાળકો જોડાયાં છે.

જો ખાનગી શાળાઓ છોડીને બાળકો સરકારી શાળાઓમાં પ્રવેશ મેળવી રહ્યા છે તો તેના માટે જવાબદાર પરિબળો ક્યા છે ? મહામારીમાં બેકારીને કારણે આર્થિક હાલાકી વેઠવાની આવી તેને કારણે નિમ્ન મધ્યમવર્ગના લોકોએ પોતાના બાળકોને ખાનગીમાંથી ઉઠાવીને સરકારી શાળાઓમાં દાખલ કરી દીધા છે. આર્થિક ઉપરાંત ખાનગી શાળાઓએ મહામારીમાં વાલીઓનો ગુમાવેલો ભરોસો પણ કારણભૂત છે. ઓનલાઈન શિક્ષણના બહાને ખાનગી શાળાઓને બાળકોના ભણતરને બદલે તેમની ફીની વધુ ચિંતા હતી. આ બાબત વાલીઓ સમજી ગયા. બીજી તરફ સરકારી શાળાઓના શિક્ષકોએ કોરોનાકાળમાં તેમના વિધ્યાર્થીઓના અભ્યાસની સવિશેષ કાળજી લીધી. ગરીબ માતાપિતાની પહોંચ ઓનલાઈન શિક્ષણ સુધી નથી તે પારખીને તેઓ વિદ્યાર્થીઓના ગામે કે ઘરે ગયા અને તેમને ભણાવ્યા. ખાનગી શિક્ષણનો મોહ રાખતા લોકોની નજરે આ બાબત ચડતાં તેઓ સરકારી શાળાઓ તરફ વળ્યા છે. એટલે સરકારી શાળાઓને તેની ઝંખવાયેલી પ્રતિષ્ઠા પાછી મળી છે.

સરકારી શાળાઓમાં વિદ્યાર્થીઓની સંખ્યા વધતાં તે ચઢિયાતી સાબિત થઈ છે, તેનું શિક્ષણ ઉત્તમ સાબિત થયું છે કે તેની શૈક્ષણિક ગુણવતા વધારે છે તેમ કહી શકાય તેમ નથી. કેમ કે જેમ બધી સરકારી શાળાઓ નકામી નથી તેમ બધી ખાનગી શાળાઓ પણ સારી નથી. સરકારી અને ખાનગી શાળાઓની તુલના કરતાં જણાય છે કે સરકારી શાળાઓનું સંચાલન સરકાર કે તેનું તંત્ર કરે છે જ્યારે ખાનગી શાળાઓનું સંચાલન વ્યક્તિ કે કોઈ ટ્રસ્ટ કરે છે. સરકારી શાળાઓમાં શિક્ષકોની ભરતી સરકારી ધારાધોરણો મુજબ થાય છે એટલે સરકારી શાળાના શિક્ષકો નિયત શૈક્ષણિક લાયકાતો ધરાવતા અને નિયત પગારધોરણ મેળવતા હોય છે. જ્યારે ખાનગી શાળાના સંચાલકોને આવા બંધનો નથી. સરકારી શાળામાં મફત કે નજીવી ફી લઈને ભણાવાય છે જ્યારે ખાનગી શાળાઓ સેવાભાવથી નહીં ધંધા તરીકે ચાલતી હોઈ મનમાની ફી લે છે. ખાનગી શાળામાં અંગ્રેજી શિક્ષણ અપાય છે જેનો ગરીબ વર્ગના વાલીઓને વાજબી કારણોસર બહુ મોહ હોય છે જ્યારે સરકારી શાળામાં સર્વાંગી શિક્ષણ આપવામાં આવે છે. 

ખાનગી અને સરકારી શાળાઓ ઘણી બાબતોમાં અસમાન છે. એટલે તેમની મૂલવણી તેના આધારે કરવી જોઈએ. ખાનગી શાળાઓ પણ જાતભાતની હોય છે. તે કોઈ સમરૂપ એકમ નથી. ધનાઢ્ય વર્ગના બાળકો માટેની મોંઘી મહાનગરીય ખાનગી શાળાઓ, નાના અને મધ્યમ નગરોની ઉચ્ચ મધ્યમવર્ગના વાલીઓને પોસાય તેવી ફી લેતી ખાનગી શાળાઓ, ગ્રામીણ ક્ષેત્રોની ઓછી ફીની ખાનગી શાળાઓ જેમ અસ્તિત્વમાં છે તેમ મહાનગરોની સરકારી સ્માર્ટ સ્કૂલ્સ અને અંતરિયાળ ગામડાઓની કશી જ સાધન-સુવિધા વગરની અતિ ગરીબ વર્ગના બાળકો ભણતા હોય તેવી સરકારી શાળાઓ પણ છે. ગવર્નમેન્ટ કે પ્રાઈવેટ શાળાઓમાં ભણતા બાળકોની સામાજિક, આર્થિક, સાંસ્કૃતિક પૃષ્ઠભૂ ને ધ્યાનમાં રાખીને  પણ તુલના કરવી પડે.

૨૦૧૯-૨૦માં દેશની કુલ શાળાઓ પૈકી ૬૮.૪૮ ટકા સરકારી હતી. પરંતુ તેમાં મંજૂર થયેલા શિક્ષકોમાંથી ૫૦.૧ ટકા જ જગ્યાઓ ભરાયેલી હતી. આજે ગુજરાતની ૧,૬૫૭ શાળાઓ એક જ શિક્ષક પર નભે છે. દેશમાં ૧.૨૦ લાખ સરકારી શાળાઓ એકલ શિક્ષકની છે. જો આટલા મોટા પ્રમાણમાં શિક્ષકોની જગ્યાઓ ખાલી હોય તો બાળકોને યોગ્ય શિક્ષણ મળી શકે નહીં. કમ્પ્યૂટર શિક્ષણ હવે જરૂરી બન્યું છે ત્યારે એ હકીકત આઘાતજનક છે કે ૨૦૧૯-૨૦માં દેશની ૧૫.૦૭ લાખ સરકારી શાળાઓમાંથી ૪.૫૧ લાખ શાળાઓમાં જ અને તે પણ માત્ર એક જ શિક્ષક કમ્પ્યૂટરનું જ્ઞાન ધરાવતા હતા. આ હકીકતોથી સરકારી શાળાનું શિક્ષણ ઉતરતું લાગે છે.

નવી આર્થિક નીતિને પગલે આવેલા ખાનગીકરણથી શિક્ષણ પણ બાકાત નથી. હવે શિક્ષણનું ખાનગીકરણ એ હદે વકર્યું છે કે તે વેપલો બની ગયું છે. ખાનગી શાળાઓ ઉપરાંત ખાનગી ટ્યુશનનો બોજ પણ વાલીઓ અને વિદ્યાર્થીઓએ વેઠવો પડે છે. ૨૦૨૨માં ધોરણ ૫થી ૮ના ખાનગી ટ્યુશન લેતા બાળકોની રાષ્ટ્રીય ટકાવારી  ૩૦.૫ ટકા હતી. ખાનગી શાળાઓથી છૂટકારો મેળવીને ખાનગી ટ્યુશનનો રાહ લેવા મજબૂર થવું પડે તેવી આ કરુણ વાસ્તવિકતા છે. એકાદ દાયકા જૂની ઓનલાઈન ટ્યુટોરિયલ કંપની બાયજુ(BYJU)ના ચાળીસેક લાખ ગ્રાહકો છે. દેશનું ૨૦૨૧-૨૨નું શાળા શિક્ષણનું બજેટ રૂ. ૫૪,૮૭૩ કરોડનું હતું, પરંતુ આ એક જ કંપનીનું બજાર મૂલ્ય રૂ. ૧,૨૨,૦૦૦ કરોડનું છે. આ હાલતમાં દેશના વંચિત વર્ગના બાળકોના શિક્ષણની ચિંતા કરવાની છે.

‘અસર’ના સર્વે રિપોર્ટ પ્રમાણે ધોરણ ૫ના ૫૧ ટકા કે દર દસમાંથી છ વિદ્યાર્થીઓ તેમનાથી ત્રણ ધોરણ નીચા, બીજા ધોરણના સામાન્ય પુસ્તકનો એકાદ સરળ ફકરો પણ વાંચી શકતા નથી. આવી સાવ તળિયાની વાચનયોગ્યતા ધરાવતા બાળકો દેશના સૌથી શિક્ષિત રાજ્ય કેરળમાં પણ છે અને સરકારી જેટલા જ ખાનગી શાળાઓમાં પણ છે. ગરીબ અને મધ્યમ આવકના માબાપ પેટે પાટા બાંધીને પોતાના બાળકોને સારા અને સરકારી કરતાં ચઢિયાતા શિક્ષણ માટે મોંઘી ફી ભરીને ખાનગી શાળામાં ભણાવે છે પણ તેમને નિરાશા જ સાંપડે છે. 

e.mail : maheriyachandu@gmail.com

Loading

...102030...1,0751,0761,0771,078...1,0901,1001,110...

Search by

Opinion

  • કાનાની બાંસુરી
  • નબુમા, ગરબો સ્થાપવા આવોને !
  • ‘ફૂલ નહીં તો ફૂલની પાંખડી’ પણ હવે લાખોની થઈ ગઈ છે…..
  • લશ્કર એ કોઈ પવિત્ર ગાય નથી
  • ગરબા-રાસનો સૌથી મોટો સંગ્રહ

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved