Opinion Magazine
Number of visits: 9458160
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

કાયદાથી ગુજરાતી ભાષાને ટકાવી શકાય ખરી? 

કૌશિક અમીન|Opinion - Opinion|15 March 2023

ગુજરાત ડાયરી : 

ગુજરાત સરકારે ગુજરાત કમ્પલસરી ટીચિંગ ઍન્ડ લર્નિંગ ઑફ ગુજરાતી લૅંગ્વેજ બિલ, 2023 પસાર કર્યું જે અંતર્ગત આગામી શૈક્ષણિક વર્ષથી રાજ્યની તમામ શાળાઓમાં ફરજિયાત ગુજરાતી ભાષા એક વિષય તરીકે ભણાવાશે 

ગુજરાત સરકારે ગુજરાત કમ્પલસરી ટીચિંગ ઍન્ડ લર્નિંગ ઑફ ગુજરાતી લૅંગ્વેજ બિલ, 2023 પસાર કર્યું જે અંતર્ગત આગામી શૈક્ષણિક વર્ષથી રાજ્યની તમામ શાળાઓમાં ફરજિયાત ગુજરાતી ભાષા એક વિષય તરીકે ભણાવાશે * રાજ્યમાં આવેલી તમામ બોર્ડ કે ઇન્સ્ટિટ્યૂટ સાથે સંકળાયેલી શાળાઓ માટે ધોરણ એકથી આઠમાં ભણતાં બાળકો માટે ગુજરાતી ભાષા ફરજિયાતપણે ભણાવવાની જોગવાઈ કરાઈ છે * નવી જોગવાઈને લઈને કેટલાક લોકો ચિંતા વ્યક્ત કરી રહ્યા છે  * કેટલાક આ પગલાને સરાહનીય ગણાવી રહ્યા છે. 

 * આ બિલની જોગવાઈ પ્રમાણે એક સરકારી અધિકારીની નિમણૂક કરવામાં આવશે, જે દરેક શાળામાં પ્રાથમિક કક્ષાએ ભણતા વિદ્યાર્થીઓ ગુજરાતી વિષય ભણી રહ્યા છે કે નહીં તે જોશે. * જોગવાઈઓ પ્રમાણે જો કોઈ સ્કૂલ તેનું ઉલ્લંઘન કરશે તો તેને પ્રથમ વખત 50 હજાર બીજી વખત એક લાખ અને ત્રીજી વખત બે લાખ રૂપિયાનો દંડ કરાશે. * જો એક વર્ષ કરતાં વધુ સમય સુધી કોઈ સ્કૂલ જોગવાઈઓનું ઉલ્લંઘન કરતી હોવાનું સામે આવશે તો રાજ્ય સરકાર જે તે ઇન્સ્ટિટ્યૂટ કે બોર્ડને શાળાની માન્યતા રદ્દ કરવા સૂચન આપશે.* જે બાળકો હાલમાં ધોરણ છ કે સાતમાં આવ્યાં છે, તેઓ ક્યારે ય ગુજરાતી શીખ્યાં નથી અને હવે તેમણે ફરજિયાત ગુજરાતી ભાષા ભણવી પડશે, જે તેમના માટે એક મોટો પડકાર બની રહેશે. 

ગુજરાતમાં તમામ સ્કૂલોમાં ગુજરાતીઓની માતૃભાષા ગુજરાતી ફરજિયાત ભણાવવાનો કાયદો ગુજરાત વિધાનસભામાં પસાર થઈ ગયો. આ ખરડા પર રાજ્યપાલની સહી થાય એટલે કાયદો બની જશે ને જૂનથી શરૂ થતા ૨૦૨૩-૨૪ના નવા શૈક્ષણિક સત્રથી તેનો અમલ થશે. ગુજરાત બોર્ડ સાથે સંકળાયેલી તમામ શાળાઓ ઉપરાંત અંગ્રેજી માધ્યમની સી.બી.એસ.ઈ. સાથે તથા ઇન્ટરનેશનલ બોર્જ સાથે સંકળાયેલી શાળાઓને પણ આ કાયદા હેઠળ આવરી લેવામાં આવી છે.

રાજ્ય સરકારે પસાર કરેલા ખરડાની જોગવાઈઓ પ્રમાણે, ગુજરાતમાં ચાલતી તમામ સ્કૂલે ધોરણ ૧થી ધોરણ-૮ સુધી ગુજરાતી ભાષા ફરજિયાત ભણાવવી પડશે ને જે સ્કૂલ ચૂક કરશે તેને આકરો દંડ થશે. સ્કૂલની માન્યતા પણ રદ્દ થઈ શકે છે. ફરજિયાત ગુજરાતી ભણાવવાના નિયમનો પ્રથમ વખત ભંગ કરવા બદલ રૂપિયા ૫૦,૦૦૦નો દંડ થશે જ્યારે બીજી વખત ભંગ બાદ એક લાખ રૂપિયાનો દંડ થશે. ત્રીજી વાર નિયમ ભંગ કર્યો તો બે લાખ રૂપિયાનો દંડ થશે. જો ચોથી વખત નિયમનો ભંગ થશે તો શૈક્ષણિક સંસ્થાની માન્યતા રદ્દ થશે. દરેક બોર્ડની સ્કૂલને આ કાયદો લાગુ કરાશે અને વારંવાર દંડ છતાં સ્કૂલ ના માને તો દંડ ઉપરાંત સજાની પણ જોગવાઇ કરાઈ છે. આ કાયદાના અમલ માટે અલગ તંત્ર ઊભું કરાશે કે જે રાજ્ય સરકાર દ્વારા માન્યતા પ્રાપ્ત પાઠ્યપુસ્તક ભણાવાય છે કે નહીં તેના પર નજર રાખશે. ગ્રાન્ટેડ સ્કૂલો ગુજરાતી ના ભણાવે તો તેમની ગ્રાન્ટ બંધ કરી દેવાશે.

ગુજરાતમાં ગુજરાતી મુખ્ય ભાષા છે અને ગુજરાતમાં રહેનારાં મોટા ભાગનાં લોકોની માતૃભાષા પણ ગુજરાતી છે. આમ છતાં ગુજરાતમાં ગુજરાતી ભાષાની કોઈ કિંમત જ નથી. સરકારી શાળાઓમાં તો ફરજિયાત ગુજરાતી ભણાવવી જ પડે કેમ કે મોટા ભાગની સરકારી સ્કૂલોમાં ગુજરાતી માધ્યમમાં જ શિક્ષણ અપાય છે પણ બીજી સ્કૂલોમાં ગુજરાતી ભણાવાતું નથી. ગુજરાતની સત્તાવાર ભાષા હોવા છતાં મોટા ભાગની ખાનગી શાળાઓમાં ગુજરાતી ભાષાને એક વિષય તરીકે શીખવાતી નથી.

આ સ્થિતિ શરમજનક કહેવાય ને ગુજરાત સરકાર આ શરમજનક સ્થિતિને દૂર કરવા માટે કાયદો બનાવે એ સારું જ છે. ગુજરાતીઓને માતૃભાષાનું શિક્ષણ આપવાના કોઈ પણ પ્રયાસ સરાહનીય જ કહેવાય પણ સવાલ પ્રયાસનો નથી, આ પ્રયાસની ગંભીરતાનો છે. સવાલ એ છે કે, કાયદો લાવ્યા પછી પણ ગુજરાત સરકાર ગુજરાતની શાળાઓને ગુજરાતી ભાષા ફરજિયાતપણે શીખવવાની ફરજ પાડી શકશે ખરી?

આ સવાલનો જવાબ કાયદો અમલમાં આવે પછી મળે પણ અત્યાર સુધીનો અનુભવ જોતાં શંકા છે. ગુજરાત સરકારે કાયદો તો અત્યારે બનાવ્યો પણ ગુજરાતની તમામ સ્કૂલોમાં ગુજરાતીઓની માતૃભાષા ગુજરાતી ફરજિયાત ભણાવાય એ માટેના પ્રયાસ તો વરસોથી ચાલે છે. છેક ૨૦૧૮માં ગુજરાત સરકારના શિક્ષણ વિભાગે પરિપત્ર બહાર પાડીને આદેશ આપેલો કે, રાજ્યની ગુજરાતી માધ્યમ સિવાયની તમામ શાળાઓમાં વર્ષ ૨૦૧૮માં ધોરણ ૧ અને ૨, વર્ષ ૨૦૧૯માં ધોરણ-૩, વર્ષ ૨૦૨૦માં ધોરણ-૪ અને એ રીતે ક્રમશ: ધોરણ ૮ સુધી ગુજરાતી ભાષાનું શિક્ષણ ફરજિયાત કરવું પડશે.

તેથી રાજ્યની તમામ સ્કૂલોમાં ગુજરાતી ભાષાનું શિક્ષણ પહેલા ધોરણથી ફરજિયાત કરવાનું ફરમાન કરી દીધેલું. રાજ્ય સરકારે ૧૩ એપ્રિલ, ૨૦૧૮ના રોજ ઠરાવ કરીને આ પરિપત્ર બહાર પાડેલો. ગુજરાત બોર્ડની ગુજરાતી માધ્યમની શાળાઓમાં તો પહેલા ધોરણથી ગુજરાત ભણાવાય જ છે તેથી ત્યાં સવાલ નહોતો પણ સી.બી.એસ.ઈ., આઈ.સી.એસ.ઈ. અને ગુજરાત બોર્ડની અંગ્રેજી માધ્યમની શાળાઓમાં પણ પહેલા ધોરણથી ફરજિયાત અંગ્રેજી ભણાવવું એવું આ પરિપત્રમાં ચોખ્ખા શબ્દોમાં કહેવાયેલું. આ પરિપત્રનો અમલ નવા સત્રથી એટલે કે જૂન, ૨૦૧૮થી કરી દેવો એવો આદેશ પણ અપાયેલો. આ પરિપત્રના આદેશ માટે વારંવાર રીમાઈન્ડ પણ અપાયા પણ તેમાં અમલ જ ના થયો.

આ પરિપત્રને સાડા ચાર વર્ષ થઈ ગયાં ને હવે આ કાયદો લાવવો પડ્યો છે. આ કાયદો લાવીને સરકારે પોતાની નિષ્ફળતા કબૂલી છે. હજુ ગુજરાતની તમામ પ્રાથિમક શાળાઓમાં પહેલા ધોરણથી ગુજરાતી ભાષા ભણાવાતી નથી એ વાત આ કાયદો લાવીને સરકારે પોતે સ્વીકારી છે. આશા રાખીએ કે, કાયદા દ્વારા સરકાર માતૃભાષાનું ગૌરવ સ્થાપિત કરવાના ઉદ્દેશને પાર પડવામાં સફળ થાય. કાયદાથી આ કામ થવા અંગે શંકા જ છે,  જો કે કોઈ પણ ભાષા કાયદાથી ના ટકે. તેને પ્રજા ટકાવી શકે ને કમનસીબી એ છે કે, ગુજરાતી ભાષાને જીવંત રાખવા અને લોકોમાં માતૃભાષાનું ગૌરવ પેદા કરવામાં ગુજરાતીઓને પણ રસ નથી. મહારાષ્ટ્રમાં મરાઠી ભાષા બોલવામાં લોકો ગર્વ અનુભવે છે. સરકારમાં બેઠેલા લોકો પણ મરાઠી જ બોલે છે. પશ્ચિમ બંગાળ, તમિલનાડુ, આંધ્ર પ્રદેશ, તેલંગાણા જેવાં મોટાં રાજ્યોમાં એ જ સ્થિતિ છે. દક્ષિણનાં રાજ્યોમાં તો તેમની ભાષાની અવગણના થાય તો લોકો રસ્તા પર આવી જાય છે ને આંદોલન પર ઉતરી આવે છે. આ રાજ્યોમાં સરકારમાં બેઠેલા લોકોથી માંડીને સામાન્ય લોકો સુધીના બધા પોતાની માતૃભાષા વિશે સભાન છે, ગૌરવ અનુભવે છે. ગુજરાતીઓમાં એ ગૌરવ નથી.

ગુજરાતીઓની માનસિકતા વિચિત્ર છે. આઘાતજનક વાસ્તવિકતા એ છે કે, ગુજરાતીઓ જ ગુજરાતી બોલવામાં શરમ અનુભવે છે. બહારની વ્યક્તિ સાથે ના આવડે તો પણ અંગ્રેજી કે હિંદીમાં બોલવામાં ગુજરાતીઓ બહાદુરી સમજે છે. માનસિકતા બદલાય તો જ ગુજરાતીનું ગૌરવ વધે, બાકી શાળામાં ભણાવવાથી કશું ના થાય. ગુજરાતીઓ જ ગુજરાતી ભાષાને ટકાવવા પ્રયત્નો કરે તો કાયદાની પણ જરૂર ના પડે. ગુજરાતીને મહત્ત્વ આપવાનો અર્થ બીજી ભાષાઓને અવગણવાનો નથી.

બીજી ભાષા શીખો, બોલો, વાંચો પણ માતૃભાષાને ના અવગણો એ વાત ગુજરાતીઓ સમજતા થાય તો કશું ના કરવું પડે.        

[એકસ્ટ્રા અફેર – ભરત ભારદ્વાજ]
સૌજન્ય : નોર્થ અમેરિકામાં વસતા વિચારશીલ અને કર્મશીલ માનવીઓનું પાક્ષિક “માનવ”; 01 માર્ચ 2023; પૃ. 30-32

Loading

ડાગદર બાબૂ : ધર્મેન્દ્ર-જયાની અધૂરી પ્રેમ કહાની

રાજ ગોસ્વામી|Opinion - Opinion|15 March 2023

રાજ ગોસ્વામી

યાદગાર ફિલ્મોની આગળ-પાછળની કહાનીને યાદ કરીએ છીએ, પણ આજે એક એવી ફિલ્મની વાત, જે કોઈએ જોઈ નથી. મતલબ કે એવી અધૂરી ફિલ્મની વાત, જે ઓલમોસ્ટ 80 ટકા પૂરી થઇ ગઈ હતી, પણ એની પટ્ટી એવી તૂટી કે પાછી ચકરડા પર ચઢી ના શકી. ફિલ્મ જો પૂરી થઈને દર્શકો સમક્ષ આવી હોત તો સાચે જ યાદગાર અને સુપરહિટ સાબિત થઇ હોત.

એવું કેમ વિશ્વાસથી કહી શકાય? કારણ કે એ ફિલ્મનો આધાર એક એવી કાલજયી હિન્દી નવલકથા હતી, જેના ઉલ્લેખ વગર હિન્દી સાહિત્યની વાત અધૂરી રહી જાય. તેનું નામ હતું ‘મૈલા આંચલ,’ તેના રચિયતા હતા ફણીશ્વર નાથ રેણુ અને તેના પરથી બનનારી ફિલ્મનું નામ હતું ‘ડાગદર બાબુ’ (ડોકટર બાબૂ). કલાકારો હતાં ધર્મેન્દ્ર, જયા બચ્ચન, ઉર્મિલા ભટ્ટ, ઉત્પલ દત્ત અને અમજદ ખાન. નિર્દેશક હતા નબેન્દુ ઘોષ, નિર્માતા હતા એસ.એચ. મુન્શી અને સંગીતકાર હતા આર.ડી. બર્મન. એનાં 12 ગીતો રેકોર્ડ થઇ ગયાં હતાં.

અનિલ કપૂરના પિતા સુરિન્દર કપૂરે, 1981માં, રાકેશ પાંડે, રાધા સલૂજા, ગુલશન અરોરા અને અભી ભટ્ટાચાર્યને લઈને ‘મૈલા આંચલ’ નામથી એક ફિલ્મ બનાવી હતી, પરંતુ રેણુ સાથે તેનો સંબંધ માત્ર ટાઈટલ પૂરતો જ હતો, અથવા એવું કહો કે તેમણે ટાઈટલ ચોરી લીધું હતું. ‘મૈલા આંચલ’ નાયિકા પ્રધાન ફિલ્મ હતી. તેમાં એક અનાથ પણ પ્રેગ્નન્ટ છોકરીની આપવીતીની વાર્તા હતી.

‘ડાગદર બાબુ’ અથવા મૂળ નવલકથા ‘મૈલા આંચલ’માં એક એવા ડોકટરની વાર્તા હતી જે બિહારના એક સાવ પછાત ગામને તેનું કાર્યક્ષેત્ર બનાવે છે. એમાં એ બતાવામાં આવ્યું હતું કે તેને કેવી રીતે ત્યાં ગરીબી, કુરિવાજો, અજ્ઞાનતા, બીમારીનો સામનો કરવો પડે છે.

‘મૈલા આંચલ’ને હિન્દી સાહિત્યની પહેલી આંચલિક નવલકથા કહેવામાં આવે છે. આંચલ એટલે સાડીનો પલ્લુ અથવા છેડો, એમાં ‘ઇક’ પ્રત્યાય લગાવીને આંચલિક બંને, જેનો અર્થ થાય છે આંચલ સંબંધી. હિન્દીમાં આંચલનો અર્થ જનપદ, અથવા ક્ષેત્રીય અથવા પ્રાંતીય થાય છે. જે છેવાડાનો વિસ્તાર છે તે આંચલિક.

બિહારના મેરીગંજ ગામની એમાં વાર્તા હતી, જે હજુ ‘મેલુ’ છે અને જ્યાં સુધી ગરીબી અને અજ્ઞાનતા સમાપ્ત નહીં થયા ત્યાં સુધી મેલુ જ રહેવાનું છે. તેનાં ત્રણ પ્રમુખ પાત્રો હતાં; કમલી- જે એક અજ્ઞાત બીમારીથી પીડાય છે, ડો. પ્રશાંત – જે ડોક્ટર બનીને ગામમાં સેવા આપવા આવે છે અને વિશ્વનાથ મલિક – જે કમલીના પિતા અને જમીનદાર છે.

2020માં, અમિતાભ બચ્ચને સ્વામી વિવેકાનંદના વેશમાં પત્ની જયાનો એક ફોટો ઇન્સ્ટાગ્રામ પર શેઅર કર્યો હતો. એ સ્ટિલ ફોટો આ અધૂરી ‘ડાગદર બાબૂ’નો હતો, જો કે બચ્ચને ભૂલમાં તેને બંગાળી ફિલ્મ ગણાવી હતી. ફિલ્મમાં કમલી બનતી જયા ડોક્ટર પ્રશાંતના પ્રેમમાં પડી જાય છે એટલે તે બીમારીનું નાટક કરે છે અને ડોક્ટરને બોલાવે છે. ડોક્ટર આદર્શવાદી છે અને સ્વામી વિવેકાનંદમાં તે ખૂબ માને છે. ડોકટરને પ્રભાવિત કરવા માટે કમલી વિવેકાનંદનો વેશ ધારણ કરે છે. ડોકટર જ્યારે તેને જોઇને ચકિત થઇ જાય છે ત્યારે તે માથા પરથી ફેંટો ઉતારીને અસલી રૂપ જાહેર કરે છે.

‘મૈલા આંચલ’ માટે પદ્મશ્રી ખિતાબ મેળવનારા ફણીશ્વર રેણુ (1921-1977) નેપાળની સીમા પર આવેલા બિહારના ફારબિસગંજના હતા. હિન્દી વિવેચકો ‘મૈલા આંચલ’ને પ્રેમચંદની ‘ગોદાન’ની કક્ષાએ મૂકે છે. 1954માં તેમણે લખેલી ‘મારે ગયે ગુલફામ’ વાર્તા પરથી બાસુ ભટ્ટાચાર્યએ 1966માં રાજ કપૂર અને વહીદા રહેમાન સાથે મશહૂર ફિલ્મ ‘તીસરી કસમ’ બનાવી હતી. એનો સ્ક્રીનપ્લે નબેન્દુ ઘોષે લખ્યો હતો. ‘તીસરી કસમ’ની સફળતાથી પ્રેરાઈને નબેન્દુએ બતૌર નિર્દેશક ‘મૈલા આંચલ’ પરથી ‘ડાગદર બાબૂ’ બનાવાનું નક્કી કર્યું હતું. 

નબેન્દુ ઘોષ એક પ્રમુખ બંગાળી લેખક હતા અને તેમણે ‘તીસરી કસમ’ ઉપરાંત ‘સુજાતા,’ ‘બંદિની,’ ‘દેવદાસ,’ ‘મજલી દીદી’ અને ‘અભિમાન’ ફિલ્મોના સ્ક્રીનપ્લે લખ્યા હતા. 60ના દાયકામાં તેમણે અશોક કુમાર અને ઇન્દ્રાણી મુખર્જીને લઈને ‘પ્રેમ – એક કવિતા’ નામની’ ફિલ્મ બનાવવા પ્રયાસ કર્યો હતો. ગુરુ દત્તની ‘કાગજ કે ફૂલ’ની વાર્તાની ક્રેડીટને લઈને તેમને દત્ત સાથે ઝઘડો થયો પછી તે તેમની પત્ની  ગીતા દત્તને લઈને એક ફિલ્મ કરવા માંગતા હતા. 

નબેન્દુ ઘોષની વાર્તા પરથી બિમલ રોયે 1954માં ‘બાપ બેટી’ (નલિની જયવંત, બાળ કલાકાર આશા પારેખ અને નાઝિર હુસેન) ફિલ્મ બનાવી હતી. આ ફિલ્મના નિર્માતા એસ.એચ. મુન્શી બિહારના ગયા શહેરના હતા. તેમની બહુ ઈચ્છા હતી કે રેણુની ‘મૈલા આંચલ’ પરથી હિન્દીમાં ફિલ્મ બનાવવી જોઈએ અને તેનું નિર્દેશન નબેન્દુએ કરવું જોઈએ. 

70ના દાયકાના મધ્યમાં ફિલ્મનું શુટિંગ શરૂ થયું હતું અને લગભગ 80 ટકા જેટલી ફિલ્મ બની ગઈ પછી નિર્માતા મુન્શી અને ફિલ્મ વિક્રેતા-ફાયનાન્સર મનિયા દાગા (એ પણ બિહારના હતા) વચ્ચે ઝઘડો થયો અને કામ અટકી ગયું. રેણુના પુત્ર દક્ષિણેશ્વર પ્રસાદ રાયના કહેવા પ્રમાણે ફિલ્મ સામાયિક ‘માયાપુરી’માં ‘ડાગદર બાબૂ’ની જાહેરાત પણ થઇ ગઈ હતી. તેની 13 રીલ બની ચૂકી હતી.

નબેન્દુના દીકરા શુભંકર ઘોષ આ ફિલ્મમાં સહાયક પણ હતા. તેમના કહેવા પ્રમાણે, “આ ઝઘડા દરમિયાન જ મુન્શીનું અવસાન થઇ ગયું હતું. ફિલ્મની નેગેટિવ્સ બોમ્બે લેબમાં રાખવામાં આવી હતી. 80ના દાયકામાં મુંબઈમાં પૂર આવ્યું તેમાં એ ખરાબ થઇ ગઈ હતી. પછી તેનું શું થયું તે કોઈને ખબર નથી.”

હિન્દી લેખક-પત્રકાર ડો. અરવિંદ દાસ આ ફિલ્મ બાબતે પૂરક માહિતી આપે છે. તેઓ કહે છે કે ફિલ્મના કલાકારો મશહૂર હતા. રેણુના ગામ ફારબિસગંજમાં જ્યારે તેનું શુટિંગ ચાલતું હતું ત્યારે ધર્મેન્દ્ર અને જયાને જોવા માટે લોકોની ભીડ ભેગી થઇ હતી. આર.ડી. બર્મને તેમાં અસાધારણ સંગીત આપ્યું હતું અને તે મુન્શી પરિવાર પાસે સચવાયેલું પડ્યું હોવું જોઈએ.

શુભંકર કહે કે કે તેમના પિતા નબેન્દુ ઘોષ અને રેણુ અચ્છા દોસ્ત હતા. તેઓ કાયમ તેમની પાસે ‘મૈલા આંચલ’ની પોકેટ બૂક રાખતા હતા. એ ઘણાં વર્ષોથી તેના સ્ક્રીનપ્લે પર કામ કરતા હતા. રેણુ મૈથિલી ભાષાની ફિલ્મો સાથે થોડો વખત સંકળયેલા હતા અને એમાંથી જ તેમને હિન્દી ફિલ્મો તરફ રુચિ જાગી હતી, પરંતુ બોલીવૂડમાં સાહિત્યિક કૃતિઓ સાથે જે છેડછાડ થતી હતી તેનાથી તે નારાજ હતા.

જેમ કે, ‘તીસરી કસમ’નો અંત બદલવા માટે તેમની પર ખૂબ દબાણ કરવામાં આવ્યું હતું પરંતુ તેઓ રાજી થયા ન હતા. એવી જ રીતે તેમને ‘ડાગદર બાબૂ’ને લઈને પણ આશંકા હતી. હિન્દીના જાણીતા લેખક રોબિન શો પુષ્પ તેમના સંસ્મરણમાં લખે છે કે રેણુએ તેમને કહ્યું હતું કે તે કદાચ ‘ડાગદર બાબૂ’ ફિલ્મને નહીં જુવે. કેમ એવું? પૂછતાં તેમણે કહ્યું હતું, “હું પહેલાં ફિલ્મની સમીક્ષા વાંચીશ … જોવા વાળાઓનો મત જાણીશ … બધું બરાબર લાગશે, ત્યારે જોવા જઈશ. બાકી, જે મૈલા આંચલે મને જે યશ આપ્યો છે, માન આપ્યું છે, સાહિત્યમાં સ્થાપિત કર્યો છે … એ કૃતિના વિકૃત રૂપને જોવાનું મારામાં સાહસ નથી.”

કાશ આ ફિલ્મ પૂરી થઇ હોત અને કાશ રેણુએ તે જોઈ હોત! કાશ આપણે પંચમ’દાનું સંગીત સાંભળી શક્યા હોત!

(પ્રગટ ‘સુપરહિટ’ નામક લેખકની સાપ્તાહિક કોલમ, “સંદેશ”, 15 માર્ચ 2023)
સૌજન્ય : રાજભાઈ ગોસ્વામીની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

બી.બી.સી. પર ઇન્કમટેક્સની કાર્યવાહીનો મુદ્દો ઉઠાવતા બ્રિટનના વિદેશમંત્રી જેમ્સ ક્લેવરી 

કૌશિક અમીન|Opinion - Opinion|15 March 2023

ભારત ડાયરી: 

જી-20ના વિદેશ મંત્રીઓની બેઠકમાં ભાગ લેવા ભારત આવેલા બ્રિટનના વિદેશ મંત્રીએ ગત મહિને બી.બી.સી.નાં ભારતીય કાર્યાલયો પર કરાયેલી આવકવેરા વિભાગની કાર્યવાહીનો મુદ્દો ઉઠાવ્યો.

બ્રિટનના વિદેશ મંત્રી જેમ્સ ક્લેવરીએ ભારતના વિદેશ મંત્રી એસ. જયશંકર સાથે મુલાકાત કરી.

જેમ્સ ક્લેવરીએ એક ઇન્ટરવ્યૂ દરમિયાન સંબંધિત જાણકારી આપી.

ગત મહિને બી.બી.સી.નાં દિલ્હી અને મુંબઈસ્થિત કાર્યાલય પર આવકવેરા વિભાગે લગભગ ત્રણ દિવસ સુધી સર્વે કર્યો હતો.

જયશંકરે બ્રિટનના વિદેશ મંત્રીને કહ્યું કે જે કંપનીઓ ભારતમાં કામ કરી રહી છે, એણે ભારતના કાયદાનું પાલન કરવું પડશે.

તાજેતરમાં જ બી.બી.સી.એ ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી પર એક ડૉક્યુમેન્ટરી પ્રસારિત કરી હતી. જેનું પ્રસારણ કોઈ પર રીતે ભારતમાં નહોતું કરાયું અને એ માત્ર બ્રિટનમાં રહેતા દર્શકો માટે જ રજૂ કરાઈ હતી.

ભારત સરકારે આ ડૉક્યુમેન્ટ્રીને ‘શત્રુત્રાપૂર્ણ દુષ્પ્રચાર’ ગણાવતાં ભારતમાં એને અટકાવવાનો પ્રયાસ કર્યો હતો. કેમ કે કેટલા ય લોકો આને ગેરકાયદે અપલૉડ કરીને સોશિયલ મીડિયા પર શૅર કરી રહ્યા હતા.

સર્વે દરમિયાન શું થયું હતું?

બી.બી.સી.ના દિલ્હી અને મુંબઈસ્થિત કાર્યાલયો પર આવકવેરા વિભાગે 14 ફેબ્રુઆરીએ સર્વે શરૂ કર્યો હતો.

આવકવેરા વિભાગે પોતાના નિવેદનમાં કહ્યું હતું કે આ ‘સર્વે’ એટલે કરવામાં આવ્યો છે કે જેથી સતત ચાલનારાં મીડિયા / ચેનલની ગતિવિધિઓને સુગમ બનાવી શકાય.

આ દરમિયાન કેટલા ય કલાકો સુધી બી.બી.સી.ના પત્રકારોને કામ કરવા ન દેવાયા. કેટલા ય પત્રકારો સાથે આવકવેરા વિભાગના કર્મચારીઓ અને પોલીસકર્મીઓએ ગેરવર્તન પણ કર્યું.

પત્રકારોનાં કમ્પ્યુટરોની ચકાસણી કરવામાં આવી અને તેમના ફોન મુકાવી દેવાયા તથા તેમની પાસેથી તેમની કામ કરવાની રીતની જાણકારી લેવામાં આવી. આ સાથે જ દિલ્હી કાર્લાયલમાં કામ કરી રહેલા પત્રકારોને આ સર્વે અંગે કંઈ પણ લખતાં અટકાવાયા.

સિનિયર એડિટરો દ્વારા સતત કહેવાયા બાદ જ્યારે કામ કરવા દેવાયા, ત્યારે પણ હિંદી અને અંગ્રેજીના પત્રકારોને ઘણા સમય સુધી કામ કરતા અટકાવાયા. આ બન્ને ભાષાના પત્રકારો જ્યારે પ્રસારણના સમયની નજીક પહોંચી ગયા હતા ત્યારે જ એમને કામ કરવાની મંજૂરી અપાઈ.

આવકવેરા વિભાગની આ કાર્યવાહીની રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે ઘણી ટીકા થઈ હતી.

ભારતમાં વિપક્ષી દળોના નેતાઓએ આ કાર્યવાહીને ‘પ્રેસની સ્વતંત્રતા પર હુમલો’ ગણાવ્યો હતો.

સતત ત્રણ દિવસ સુધી ચાલેલા આયકર વિભાગના સર્વે દરમિયાન બી.બી.સી. દેશ-દુનિયા સાથે જોડાયેલ અહેવાલો પોતાની ઑડિયન્સ સુધી પહોંચાડતું રહ્યું હતું.

બી.બી.સી.એ એમ પણ કહ્યું હતું કે “અમે ભરોસાપાત્ર, નિષ્પક્ષ, આંતરરાષ્ટ્રીય અને સ્વતંત્ર મીડિયા છે.

અમે અમારા એ સહકર્મીઓ અને પત્રકારો સાથે ખડેપગે છીએ. જે સતત આપ સુધી કોઈ પણ ભય કે પક્ષપાત વગર સમાચાર પહોંચાડતા રહેશે.”

બી.બી.સી. ડાયરેક્ટર–જનરલે મોકલ્યો ઈમેલ.

બી.બી.સી.ના ડાયરેક્ટર-જનરલ ટિમ ડેવીએ ભારતમાં સ્ટાફને એક ઈમેલ દ્વારા જણાવ્યું હતું કે બી.બી.સી. ડર કે પક્ષપાત રહિત રિપોર્ટિંગ કરતા અટકશે નહીં.

આવકવેરા અધિકારીઓ દ્વારા દિલ્હી અને મુંબઈમાં બી.બી.સી.ની ઑફિસમાં સર્ચ બાદ ડી.જી.એ સ્ટાફને આ સંદેશ આપ્યો હતો.

ટિમ ડેવીએ સ્ટાફનો તેમણે દાખવેલી હિંમત બદલ આભાર માન્યો અને કહ્યું કે નિષ્પક્ષપણે રિપોર્ટિંગ કરતાં વધુ મહત્ત્વનું કંઈ નથી.

ટિમ ડેવીએ જણાવ્યું હતું કે બી.બી.સી. સ્ટાફને તેમની કામગીરી અસરકારક અને સુરક્ષિત રીતે કરવામાં મદદ કરશે.

બી.બી.સી.ના ડાયરેક્ટર–જનરલ ટિમ ડેવી 

તેમણે ઈમેલમાં કહ્યું, “ક્ષમતા સાથે ડર કે પક્ષપાત રહિત રિપોર્ટિંગ કરવાથી વિશેષ આપણા માટે વધુ મહત્ત્વનું કંઈ નથી.”

“વિશ્વભરના આપણા દર્શકો પ્રત્યેનું આપણું કર્તવ્ય સ્વતંત્ર અને નિષ્પક્ષ પત્રકારત્વ દ્વારા સત્યને ઉજાગર કરવાનું છે અને શ્રેષ્ઠ સર્જનાત્મક સામગ્રીનું નિર્માણ અને વિતરણ કરવાનું છે.

આપણને આપણું કામ કરતા અટકાવી શકાશે નહીં.

“હું સ્પષ્ટ કહેવા માગું છું કે બી.બી.સી.નો કોઈ એજન્ડા નથી – આપણે હેતુને લઈને ચાલીએ છીએ. અને આપણો પ્રથમ જાહેર હેતુ લોકોને તેમની આસપાસની દુનિયાને સમજવા અને તેમની સાથે જોડાવવામાં મદદ કરવા માટે નિષ્પક્ષ સમાચાર અને માહિતી પ્રદાન કરવાનો છે.”

બ્રિટિશ રાજકારણીઓની ચિંતા

બ્રિટિશ લેબર પાર્ટીના નેતા ફેબિયન હૅમિલ્ટને ભારત સરકારની આ કાર્યવાહી અંગે ચિંતા વ્યક્ત કરતાં કહ્યું હતું, “એવા લોકતાંત્રિક દેશો જ્યાં હકીકતમાં પ્રેસ પોતાનું કામ કરવા સ્વતંત્ર હોય, ત્યાં કારણ વગર ટીકાત્મક અવાજોને દબાવી શકાય નહીં અને અભિવ્યક્તિની સ્વતંત્રતાની દરેક કિંમતે સુરક્ષા થવી જોઈએ.”

તેમણે કહ્યું, “જેથી ગયા અઠવાડિયે બી.બી.સી.ની ભારતસ્થિત ઓફિસોમાં દરોડા પડવા એ ચિંતાજનક બાબત છે, ભલેને તેનું સત્તાવાર કારણ કંઈપણ આપવામાં આવતું હોય. બી.બી.સી. વિશ્વભરમાં પોતાના ઉચ્ચ ગુણવત્તાસભર પત્રકારત્વ માટે જાણીતું છે અને તેને કોઈ પણ ભય વગર તેને યથાવત રાખવાની સ્વતંત્રતા હોવી જોઈએ.”

બ્રિટનની ડૅમોક્રેટિક યુનિયનિસ્ટ પાર્ટીના સાંસદ જિમ શૅનને કહ્યું, “આપણે એ બાબતે બિલકુલ સ્પષ્ટ હોવું જોઈએ કે આ એક ધમકાવવાની કાર્યવાહી હતી. જે દેશના નેતાની ટીકાત્મક ડૉક્યુમૅન્ટરી પ્રસારિત થયા બાદ કરવામાં આવી હતી.”

“આ ડૉક્યુમૅન્ટરી પ્રસારિત થયા બાદ ભારતમાં તેનું સ્ક્રીનિંગ રોકવાના પૂરજોશમાં પ્રયાસ કરવામાં આવ્યા. સાથે જ મીડિયા અને પત્રકારોની અભિવ્યક્તિની સ્વતંત્રતા પર દમન ગુજારવામાં આવી રહ્યું છે. જ્યારે યુનિવર્સિટીઓમાં ભણતા વિદ્યાર્થીઓએ સામૂહિક રીતે આ ડૉક્યુમૅન્ટરી જોવાનો પ્રયાસ કર્યો તો ડઝનબંધ વિદ્યાર્થીઓની ધરપકડ કરવામાં આવી. ઘણા વિદ્યાર્થીઓએ તો ઇન્ટરનેટ અને વીજળી વગર રહેવું પડ્યું હતું.”

“ભારત સરકારની આ કાર્યવાહીની પત્રકારો, માનવાધિકાર વકીલો અને ધાર્મિક અલ્પસંખ્યકો પર ગંભીર અસર પડી. આ દરોડા સાત દિવસ પહેલાં પાડવામાં આવ્યા હતા. તે પછીથી એફ.સી.ડી.ઓ. (ફૉરેન, કૉમનવેલ્થ અને ડૅવલપમેન્ટ ઑફિસ) તરફથી કંઈ કહેવાયું નથી અને સરકાર તરફથી પણ કોઈ નિવેદન જાહેર કરાયું નથી. શું મંત્રી મને અને આ સદનને જણાવી શકે છે કે સરકાર આ મામલે ભારતીય હાઇકમિશનને પ્રશ્નો કરવા બોલાવશે અથવા આ મામલે પોતાના સમકક્ષ સામે આ મુદ્દો ઉઠાવશે?”

લેબર પાર્ટીના ભારતીય મૂળના સાંસદ તનમનજીત સિંહ ઢેસીએ પણ આ મુદ્દે બ્રિટિશ સરકારને સવાલ પૂછ્યો હતો.

તેમણે કહ્યું, “બ્રિટનમાં આપણે પ્રેસની સ્વતંત્રતાને લઈને ઘણો ગર્વ અનુભવીએ છીએ, આપણે બી.બી.સી. અને અન્ય સન્માનિત મીડિયા સમૂહો તરફથી બ્રિટિશ સરકાર, તેમના વડા પ્રધાન અને વિપક્ષી દળોની જવાબદારી સુનિશ્ચિત કરવાથી ટેવાયેલા છે.”

“આ કારણે આપણામાંથી ઘણાં લોકો ચિંતિત હતા કારણ કે ભારત એક એવો દેશ છે જેની સાથે આપણે લોકતાંત્રિક અને પ્રેસ સ્વતંત્રતાનાં મૂલ્યો વહેંચીએ છીએ અને ત્યાંની સરકારે વડા પ્રધાનનાં પગલાંની ટીકા કરનારી ડૉક્યુમેન્ટરી રિલીઝ થયા બાદ બી.બી.સી.ની ઓફિસો પર દરોડા પાડવાનો નિર્ણય લીધો. એવામાં મંત્રીએ પોતાના સમકક્ષ સાથે શું વાત થઈ એ જણાવવું જોઈએ. જેથી એ સુનિશ્ચિત કરી શકાય કે પત્રકાર કોઈ પણ ભય વગર કે કોઈને પણ ફાયદો પહોંચાડ્યા વગર પોતાનું કામ કરી શકે.”

ડૉક્યુમૅન્ટરી

બી.બી.સી.એ તાજેતરમાં જ ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી પર એક ડૉક્યુમૅન્ટરી પ્રસારિત કરી હતી. જેનાં કેટલાંક સપ્તાહો બાદ દિલ્હી અને મુંબઈસ્થિત કાર્યાલયોની તપાસ કરાઈ. જો કે, આ ડૉક્યુમૅન્ટરી ભારતમાં પ્રસારિત કરવા માટે નહોતી.

આ ડૉક્યુમૅન્ટરી ગુજરાતનાં રમખાણો પર હતી. એ વખતે ભારતના વર્તમાન વડા પ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્ય મંત્રી હતા.

આ ડૉક્યુમૅન્ટરીમાં કેટલા ય લોકોએ ગુજરાતનાં રમખાણો દરમિયાન નરેન્દ્ર મોદીની ભૂમિકા પર પ્રશ્નો કર્યા હતા.

કેન્દ્ર સરકારે ડૉક્યુમૅન્ટરીને પ્રૉપેગૅન્ડા અને કૉલોનિયલ માનસિકતા ઉપરાંત ભારતવિરોધી ગણાવતાં ભારતમાં એના ઑનલાઇન શૅરિંગને બ્લૉક કરવાનો પ્રયાસ કર્યો હતો.

બી.બી.સી.એ કહ્યું હતું કે ભારત સરકારને આ ડૉક્યુમૅન્ટરી પર પોતાનો પક્ષ રાખવાની તક અપાઈ હતી. જો કે, સરકાર તરફથી કોઈ જવાબ નહોતો મળ્યો.

બી.બી.સી.નું કહેવું છે કે “આ ડૉક્યુમૅન્ટરી પર સંપૂર્ણ ગંભીરતા સાથે રિસર્સ કરવામાં આવ્યું, કેટલા ય અવાજો અને સાક્ષીઓને સામેલ કરવામાં આવ્યા અને વિશેષજ્ઞોનો મત લેવાયો તથા અમે ભા.જ.પ.ના લોકો સહિત કેટલા ય પ્રકારના વિચારોને પણ સામેલ કર્યા.”

દિલ્હીમાં પોલીસે આ ડૉક્યુમૅન્ટરીને જોવા માટે એકઠા થયેલા કેટલાક વિદ્યાર્થીઓની અટકાયત કરી હતી.

જવાહરલાલ નહેરુ વિશ્વવિદ્યાલય સહિત દેશની કેટલીય યુનિવર્સિટીઓમાં આ ડૉક્યુમૅન્ટરીને પ્રદર્શિત કરવામાં આવી હતી.

જો કે, કેટલીય જગ્યાએ પોલીસ અને વિશ્વવિદ્યાલયના તંત્રે એને રોકવાના પ્રયાસો કર્યા હતા.

સૌજન્ય : નોર્થ અમેરિકામાં વસતા વિચારશીલ અને કર્મશીલ માનવીઓનું પાક્ષિક “માનવ”; 01 માર્ચ 2023; પૃ. 12-15

Loading

...102030...1,0711,0721,0731,074...1,0801,0901,100...

Search by

Opinion

  • કાનાની બાંસુરી
  • નબુમા, ગરબો સ્થાપવા આવોને !
  • ‘ફૂલ નહીં તો ફૂલની પાંખડી’ પણ હવે લાખોની થઈ ગઈ છે…..
  • લશ્કર એ કોઈ પવિત્ર ગાય નથી
  • ગરબા-રાસનો સૌથી મોટો સંગ્રહ

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved