Opinion Magazine
Number of visits: 9667280
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

2014ના સપનાં કંઈ હદે ભોંઠાં પડ્યાં, મળો યા પૂછો પ્રભાકરને 

પ્રકાશ ન. શાહ|Opinion - Opinion|27 July 2023

પ્રચાર વિકાસને બદલે કોમી ધ્રુવીકરણનો

ઘણા ખરા પ્રકાશકોની કોશિશ એમનું પુસ્તક મે 2024 પહેલા પ્રગટ ન થાય એવી હતી : આને ‘કટોકટી’ નહીં તો શું કહીશું ? 

તે દિવસે પ્રભાકરને મળવા સાંભળવાનું થયું અને સહસા સાક્ષાત્કાર શું અનુભવાયું. એ કોઈ ઝમકદાર ભાષા પ્રયોજતા ચબરાક જણ નથી. નાણાં પ્રધાન નિર્મલા સીતારામનના એ પતિ છે, અને નમો નીતિના ટીકાકાર છે, એટલી સરળ ને સપાટ સમજૂત મારા ‘સાક્ષાત્કાર’ એ પ્રયોગની પૂંઠે નથી. જે.એન.યુ. અને લંડન સ્કૂલ ઓફ ઇકોનોમિક્સના આ મેધાવી છાત્ર અને તેજસ્વી નિર્મલા બેઉ નમો ભા.જ.પ.થી આકર્ષાયા અને પક્ષ સાથે સંકળાયાં. 2014ની ચૂંટણીમાં નમો પાસે બે હુકમનાં પાનાં, પ્રભાકરને મતે હતા : વિકાસ અને સુશાસન. ગુજરાતની કામગીરી ને કારકિર્દી દરમિયાન, એક રક્તિમ પિછવાઈ છતાં, નમોએ સતત આલાપેલ રાગ ને બહેલાવેલ ખયાલ વિકાસનો હતો. વિકાસ અને સુશાસનને મુદ્દે એમણે ભા.જ.પ.ના અયોધ્યે રસ્યા પરંપરાગત સ્થાયી મતને વિસ્તારી જાણ્યો અને દિલ્હી પહોંચ્યા.

પ્રભાકર કહેતા હતા કે પહેલી મુદ્દતમાં તો નભી ગયું. વડા પ્રધાનના વિકાસલક્ષી ખયાલો અક્ષરશઃ આકર્ષક અનુભવાતા હતા. સ્વચ્છતા, સ્ટાર્ટઅપ, બેટી બચાઓ – બેટી પઢાઓ … નવા નવા ખયાલોની ગુંજ હવામાં હતી. પણ પોતે કોર્પોરેટ કન્સલ્ટન્ટ ને વિશ્લેષક રહ્યા. એમણે જે તે મંત્રાલયના વાર્ષિક હેવાલો ધ્યાનથી જોવા માંડ્યા. શરૂનાં વરસ બે વરસ પછી આ હેવાલોમાંથી પેલા આકર્ષક ખયાલોની તપસીલ ગાયલ થઈ ગઈ. (ભૂરકી છાંટવાની ભૂમિકા પતી ગઈ હતી ને!)

પ્રભાકર કહે છે તમે મને ધોરણસરનો ડેટા તો આપો. નાખી નજરે ક્યાં ય જણાતો નથી. એકવાર બધા સગડ પછી, દેશમાં ગરીબીની રેખા નીચેનાં જીવતરનો ભરોસાપાત્ર અંદાજ વાયા વાયા હાથ લાગ્યો ત્યારે સમજાયું કે, કેવળ 2021માં જ આ સંખ્યામાં ખાસા સાડા સાત કરોડ લોકોનો વધારો થયો છે. 2016 પછી બેરોજગારીનો કોઈ સત્તાવાર આંકડો સુલભ નથી. ભોગજોગે નેશનલ સેમ્પલ સર્વે ઑફિસમાંથી ‘બિઝનેસ સ્ટાન્ડર્ડ’ વાટે વિગતો લીક થઈ તો માલૂમ પડ્યું કે, 2017-18માં આપણો બેરોજગારીનો દર છેલ્લાં પિસ્તાલીસ વરસમાં સૌથી ઊંચો હતો – 6.1 ટકા. એ જ રીતે માર્ચ 2023માં લીક થયેલી માહિતી પ્રમાણે બેરોજગારીનો દર 7.76 ટકા એ પહોંચ્યો હતો. માર્ચ 2023માં વૃદ્ધિ દર ખાસા તેર સાડા તેર ટકાને આંબી ગયાના વિશ્વગુરુ દાવા સામે પ્રભાકરની હો ટૂક વાત છે કે, આગલાં બે વરસ કોરોનાને કારણે વિષમપણે પસાર થયાં તેની તુલનામાં આ વધારો દર્શાવાય છે. બાકી, વાસ્તવમાં કોરોના પેન્ડેમિક પૂર્વે હતી તે આર્થિક અવસ્થાએ આપણે હજુ પાછા ફરી શક્યા નથી. નોટબંધી પછી નાના ને મધ્યમ ઉદ્યોગોનો ખાસો હિસ્સો હજુ વાસ્તવમાં ઊભો થઈ શક્યો જ નથી. માનવ વિકાસ સૂચકાંકના આંકડા વિશ્વસ્તરે વિશ્વસનીય રીતે સુલભ છે. તે પ્રમાણે 2022માં 191 દેશોમાં આપણે 132મા ક્રમે હતા, − આગલે વરસે 101મે ક્રમે હતા, પણ … સરકાર અને અગ્રવર્ગ વિકાસના એક નિદર્શન રૂપે આપણે ત્યાં અબજોપતિ 55થી વધીને 146 થઈ ગયા છે એનો હવાલો આપે છે !

2014ના મોદી તરફી આશાઅપેક્ષાવાદ સામે 2019ની એ ભોંઠામણ પ્રભાકર બેબાક વર્ણવે છે કે, આખો પ્રચાર હવે વિકાસને બદલે કોમી ધ્રુવીકરણની તરજ ને તરાહ પરનો માલૂમ પડે છે. પ્રકૃતિ યાન્તિ ભૂતાનિ. આ અનવસ્થા, ક્યારેક એમણે અને નિર્મલાએ મોદી ભા.જ.પ. પરત્વે જે સપનાં જોયાં હતાં તેની સામે પ્રભાકરથી સહેવાતી નથી.

બીજી ઘણી વાતો કરવા સાંભળવાનું બન્યું. પણ એક ઉલ્લેખ અને બસ! કટોકટી સાથે આ દિવસોની સરખામણી સબબ એમણે દાખલો આપ્યો કે. મારું પુસ્તક ‘The Crooked Timber of New India’ (Essays on A Republic in Crisis) કેટલા બધા પ્રકાશકોએ હમણાં કોરોનાને કારણે નહીં તેમ કહી ટાળ્યું, કોઈકે જરી ખુલ્લું મન દાખવ્યું. એણે કહ્યું કે, કોરોના પછી વરસેક થાય ત્યારે વિચારી શકાય … સરવાળે બધા 2024 મે કુદાવવા માગતા હતા. સદ્દભાગ્યે, Speacking Tigerએ હિંમત કરી અને 2023માં આ પુસ્તક આવી શક્યું.

પ્રભાકર તેલુગુ ભાષાના અચ્છા સાહિત્યસેવી છે, સંગીતજ્ઞ ને વળી ચેસના ખેલંદા છે. ટુ ટ્યૂબ પર ‘મિડવીક મેટર્સ’ અને તેલુગુ વર્લ્ડ વાઈડમાં સાહિત્ય, સંસ્કૃતિ ને સમાજની ચર્ચા સારુયે જાણીતા, એટલે કે એકંદરે સંજય બારુના શબ્દોમાં ‘રેનેસાં મેન’ છે.

e.mail : prakash.nireekshak@gmail.com
પ્રગટ : ‘પરિપ્રેક્ષ્ય’, “દિવ્ય ભાસ્કર”; 27 જુલાઈ 2023
Language English and Gujarati

Conversation with Dr Prabhakar Parakala is in English, rest is in Gujarati

Book Release Function of The Crooked Timber of New India : Essays on a Republic in Crisis on July 20, 2023 at Gujarati Sahitya Parishad, Ahmedabad

https://www.youtube.com/watch?v=BYQdK0cpBmA

Loading

અભ્યાસક્રમ અને પાઠ્યપુસ્તકો રાજનીતિયુક્ત કે રાજનીતિમુક્ત ?

ચંદુ મહેરિયા|Opinion - Opinion|27 July 2023

ચંદુ મહેરિયા

શાળા-કોલેજોનું નવું શૈક્ષણિક સત્ર શરૂ થઈ ગયું છે. વિદ્યાર્થીઓ અને શિક્ષકોમાં નવા ભણતરનો ઉમંગ – ઉત્સાહ છે તો વાલીઓને નવા વધારાના ખર્ચની ચિંતા છે. આ દિવસોમાં રાજનીતિના ક્ષેત્રે શાળા-કોલેજોના અભ્યાસક્રમ અને પાઠ્યપુસ્તકોમાં થયેલા સુધારા-વધારા કે કાપ-કૂપનો કકળાટ છે. એન.સી.ઈ.આર.ટી.(નેશનલ કાઊન્સિલ ઓફ એજ્યુકેશન રિસર્ચ એન્ડ ટ્રેનિંગ)નો દાવો છે કે તેણે અભ્યાસક્રમને વિદ્યાર્થીઓને અનુકૂળ બનાવવા અને તેમના પરનો શિક્ષણનો બોજ ઘટાડવા પાઠ્યપુસ્તકોમાં ઉમેરા-બાદબાકી કર્યા છે. ભા.જ.પા.શાસિત રાજ્ય સરકારો તે પ્રમાણે પોતાના રાજ્યોમાં ફેરફાર કરી રહી છે.

વિપક્ષો પાઠયપુસ્તકોમાં બદલાવને રાજનીતિપ્રેરિત ગણાવી તેનો વિરોધ કરી રહ્યા છે. કેરળની વિપક્ષી સામ્યવાદી સરકારે ફેરફારોનો અમલ કરવા ઈન્કાર કર્યો છે. ઘણી વિપક્ષી રાજ્યસરકારો તેને અનુસરશે. કર્ણાટકમાં નવી ચૂંટાયેલી કાઁગ્રેસ સરકારે તેની પુરોગામી બી.જે.પી. સરકારે પાઠ્યપુસ્તકોમાં કરેલા ફેરફાર રદ્દ કરીને કાઁગ્રેસની રાજનીતિને અનુકૂળ ફેરફાર કર્યા છે. એ રીતે રાજકારણમુક્ત હોવું જોઈતું શિક્ષણ રાજકારણયુક્ત બની ગયું છે.

ભણતરનો ભાર ઘટાડવા અને વિદ્યાર્થીઓને અનુરૂપ પાઠ્યક્રમ ઘડવા જેને પાઠ્યપુસ્તકોમાંથી હઠાવી દેવાઈ છે તેવી સામગ્રીમાં ઇતિહાસમાંથી મોગલશાસન જ નહીં વિજ્ઞાનમાંથી ડાર્વિંનનો ઉત્ક્રાંતિવાદ પણ બાદ થઈ ગયો છે. હવે વિદ્યાર્થીઓમાં બિનહિંદુ વિદેશી આક્રાંતાઓ તરીકેની જેમની ઓળખ સ્થાપિત કરવી છે તે મોગલોને તો ભૂલી જશે, માનવીની ઉત્ક્રાંતિ કઈ રીતે થઈ તે પણ તેને નહીં આવડે. સારે જહાં સે અચ્છા હિંદોસ્તાં હમારાના કવિ અલ્લામા ઈકબાલના નામ પર પણ છેકો મરાયો છે કેમ કે બદલાવ કરનારાઓ ભારત વિભાજનની દ્વિરાષ્ટ્ર થિયરીના જનકના પરિચયથી ભારતના વિદ્યાર્થીઓને દૂર રાખવા માંગતા હતા.

ઇતિહાસ અને રાજનીતિશાસ્ત્રના પાઠ્યપુસ્તકોની સમીક્ષા કરીને પુનરાવર્તન ટાળવા કેટલાક ફેરફાર કર્યાનો એન.સી.ઈ.આર.ટી.ના નિયામકનો દાવો છે. પરંતુ પંદરેક વરસોથી ભણાવાતાં કોમી રમખાણો, ગાંધીજીની હત્યા અને સામાજિક-રાજકીય આંદોલનોના પ્રકરણો હઠાવાયા છે કે તેમાંથી કેટલાક વાક્યો કે વાક્યાંશો બદલ્યા છે તે સમીક્ષા કે એડિટિંગ નથી સેન્સર કરાયેલું લાગે છે કે રાજકીય સત્તાને માફક આવે તે રીતે મૂકાયું છે અને બાદ થયું છે. 

ધોરણ-૧૧ના રાજનીતિ વિજ્ઞાનના પુસ્તકમાંથી દેશના પ્રથમ શિક્ષણ મંત્રી મૌલાના અબુલકલામ આઝાદનું નામ કાઢી નાંખવામાં આવ્યું છે અને તે પણ બંધારણસભા વિષયક પ્રકરણમાંથી. અનુચ્છેદ ૩૭૦ હઠાવ્યા પછી જમ્મુ-કશ્મીરના ભારત સાથેના જોડાણ અંગેનું વાક્ય બદલી નાંખવામાં આવ્યું છે. કટોકટીના પ્રકરણમાંથી ન્યાયતંત્ર અને મીડિયાની ભૂંડી ભૂમિકા અલોપ કરી દેવામાં આવી છે. ધોરણ ૧૦ અને ૧૨માં ભણાવાતા લોક આંદોલનો પૈકી ચિપકો, નર્મદા બચાવ અને દલિત પેન્થર આંદોલનને પણ બાકાત કરી દેવાયાં છે.

નવથી બાર ધોરણના એન.સી.ઈ.આર.ટી.ના રાજનીતિશાસ્ત્રના પાઠ્યપુસ્તકોના પરામર્શક યોગેન્દ્ર યાદવ અને સુહાસ પલશીકરે આ સુધારાના વિરોધમાં પાઠ્યપુસ્તકોમાંથી તેમનું નામ હઠાવી દેવા પત્ર લખ્યો છે. યોગેન્દ્ર યાદવનું કહેવું છે કે આ પાઠયપુસ્તકો તૈયાર કરવા તેમણે બે વરસ સુધી વિચાર્યું હતું. આ પાઠ્યપુસ્તકોમાં પહેલીવાર ભારતીય જનસંઘ અને નકસલી આંદોલનને સ્થાન આપ્યું હતું. પાઠ્ય પુસ્તકોના ઘડતરમાં તત્કાલીન કાઁગ્રેસ સરકાર માટે મુશ્કેલ એવી વિગતો (દા.ત. ૧૯૮૪ના શીખ વિરોધી રમખાણો) પણ સમાવી હતી. રાજકીય નિષ્પક્ષતાનું પાલન કરીને ઘડાયેલા આ પાઠ્યપુસ્તકોમાં તેમની સંમતિ વિના જે રીતે ફેરફારો કર્યા તેનું તેમણે દુ:ખ અને વિરોધ વ્યકત કર્યા હતા.

આવા ફેરફારો આજકાલના કે આ કે તે સરકારના જ નથી. લગભગ બધા જ પક્ષોની સરકારો તેમને પ્રતિકૂળ હોય તેવી સામગ્રી પાઠ્યપુસ્તકોમાંથી રદ્દ કરાવે છે કે સુધારા કરાવે છે. બે વરસ પહેલાં બિહારની જયપ્રકાશ નારાયણના નામની છપરા યુનિવર્સિટીના અભ્યાસક્રમમાંથી સમાજવાદી નેતાઓ જયપ્રકાશ અને ડો. રામ મનોહર લોહિયાના સ્થાને સુભાષચંદ્ર બોઝ અને દિનદયાળ ઉપાધ્યાયને દાખલ કરવામાં આવ્યા હતા. મુખ્ય મંત્રીએ તે નિર્ણય બદલાવ્યો હતો. દેશની સર્વોત્તમ જવાહરલાલ નહેરુ યુનિવર્સિટી, દિલ્હીની ઈજનેરી વિદ્યાશાખામાં અધ્યાપકો અને વિદ્યાર્થીઓના ભારે વિરોધ છતાં આતંકવાદ વિરોધી અભ્યાસક્રમને મંજૂરી મળી હતી.

દિલ્હી યુનિવર્સિટીના દર્શનશાસ્ત્ર વિભાગમાં આ વરસે વિદ્યાર્થીઓ અને અધ્યાપકોમાં પ્રિય અને ૨૦૧૫થી ભણાવાતો ડો. આંબેડકરનું વિચારદર્શન વિષય અભ્યાસક્રમમાંથી પડતો મૂકવાનો પ્રસ્તાવ આવ્યો હતો. ખુદ યુનિવર્સિટીના દર્શનશાસ્ત્ર વિભાગના વડાના વિરોધ પછી વિષય તો ચાલુ રખાયો પણ સુધારા સાથે. અને તે સુધારો પણ કેવો ? ડો. આંબેડકરના જે પુસ્તકનું નામ ધ રાઈઝ એન્ડ ફોલ ઓફ હિંદુ વિમેન છે તેમાં હિંદુ ને બદલે ઇન્ડિયન શબ્દ રાખવો ! શું કોઈ લેખકના પુસ્તકના ટાઈટલમાં આવો ફેરફાર કરી શકાય ? કે લેખકના મૌલિક વિચારો સાથે છૂટ લેવાય ? પણ વિશ્વગુરુ ભારતમાં બધું જ શક્ય છે, નહીં? જાણીતાં લેખિકા મહાશ્વેતાદેવી અને દલિત લેખિકાઓ બામા અને સુકીર્તિરાણીની કૃતિઓ અગાઉના વરસોમાં દિલ્હી યુનિવર્સિટીએ અભ્યાસક્રમમાંથી રદ્દ કરી જ હતી ને ? વળી મહાશ્વેતાદેવીની કૃતિનું તો નામ જ દ્રોપદી હતું.

વિશ્વ વિધાલયો વિદ્યા કે જ્ઞાનનાં ધામો છે. યુનિવર્સિટી એટલે તો યુનિવર્સ ઓફ આઈડિયા. તેમાં સંકીર્ણતા ન હોઈ શકે. વિદ્યાર્થીને માટે વિચારના તમામ દ્વાર ખુલ્લા હોવા જોઈએ. ડાબેરી, જમણેરી, ઉદારવાદી અને સંકીર્ણ એવી બધી જ વિચારધારા જો તે ભણશે જ નહીં તો પછી પોતાનો સ્વતંત્ર મત કઈ રીતે બાંધશે ? ઈકબાલને બદલે દારા શિકોહને સિલેબસમાં દાખલ કરવાથી ભારત વિભાજનનું સત્ય તારવી શકાશે નહીં. કે ઈકબાલની દ્વિરાષ્ટ્રની થિયરી જાણવાથી વિદ્યાર્થી વંચિત રહે છે, તેનું શું ?

શિક્ષણ સાથે વિચારધારાને અનુરૂપ છેડછાડ ભારત પૂરતી મર્યાદિત બાબત નથી. સામ્યવાદી દેશોમાં તો કદાચ રાજકીય વિચારધારાને અનુરૂપ શિક્ષણ અપાય તે સમજી શકાય છે. પરંતુ ઉદારમતવાદી ગણાતા લોક્શાહી દેશોમાં પણ શિક્ષણને રાજનીતિનો એરુ આભડ્યા વિના રહેતો નથી. પાકિસ્તાનમાં ભણાવાતા વિભાજનના ઇતિહાસમાં ભારતનું આલેખન દુ:શ્મન તરીકેનું હોય છે તેમ કહેવાય છે. અમેરિકામાં રંગભેદનો સવાલ એવો જટિલ છે કે આખા અમેરિકામાં સિવિલ રાઈટ મુવમેન્ટ એક સરખી રીતે ભણાવાતી નથી. કાળાઓની નાગરિક અધિકાર ચળવળ રાજ્યોની સામાજિક-રાજકીય સ્થિતિને ધ્યાનમાં રાખીને ભિન્નભિન્ન રીતે ભણાવાય છે. બ્રિટિશ શાસનના અત્યાચારો બ્રિટનના બાળકોને કઈ હદે અને કઈ રીતે ભણાવવા તે બ્રિટિશ સરકારો માટે હજુ ય વણઉકલ્યો કોયડો છે.

દેશ વિદેશના ઇતિહાસકારો અને વૈજ્ઞાનિકોએ અભ્યાસક્રમમાં થયેલા આ અયોગ્ય બદલાવની ટીકા કરીને પૂર્વવત રાખવા માંગ કરી છે. પાઠ્યપુસ્તકોની રચના, લેખન, સંશોધન અને વિલોપન એક જટિલ બૌદ્ધિક પ્રક્રિયા છે. તેને યોગ્ય પ્રક્રિયાને અનુસર્યા વિના ગુમનામ રાજકારણી હાથમાં ન સોંપાય એટલું કટુ સત્ય સમજવા અને સ્વીકારવાની જરૂર છે.

e.mail : maheriyachandu@gmail.com

Loading

ઉપેક્ષા એક પ્રતિક્રિયા છે અને પ્રતિસાદ પણ

રમેશ ઓઝા|Opinion - Opinion|27 July 2023

રમેશ ઓઝા

મંગળવારે ગૃહ પ્રધાન અમિત શાહે વિરોધ પક્ષોને સલાહ આપી હતી કે મણિપુરની સ્થિતિ એટલી બધી ગંભીર છે કે તેણે મણિપુર વિષે સંસદમાં રચનાત્મક ચર્ચા કરવી જોઈએ.

બોલો. આપણને તો આ વાતની ખબર જ નહોતી કે મણિપુરમાં સ્થિતિ ગંભીર છે. આપણને તો એમ લાગતું હતું કે વડા પ્રધાને ૭૯ દિવસ સુધી બોલવાની જરૂર ન પડી અને એ પછી મણિપુર વિષે માત્ર ૩૦ સેકન્ડ બોલ્યા તો સ્થિતિ સામાન્ય હોવી જોઈએ. એની વચ્ચે કર્ણાટકમાં ચૂંટણી પ્રચાર કર્યો, સેંકડો ટન ફૂલ ઉડાડ્યાં, ગળું બેસી જાય એટલાં ભાષણ કર્યા, નવાં સંસદભવનનું ઉદ્ઘાટન કર્યું, વિદેશયાત્રાઓ કરી, ભારતની પૂર્વ દિશા તરફ મોઢું પણ ન કર્યું, મણિપુરના કોઈ પ્રતિનિધિમંડળને મળવાની જરૂર ન લાગી આ બધું જોતાં એમ લાગતું હતું કે મણિપુરની સ્થિતિ ગંભીર નહીં હોય. આપણા વડા પ્રધાન એટલા બધા અસંવેદનશીલ થોડા છે કે મણિપુરમાં સ્થિતિ ગંભીર હોય અને બોલે પણ નહીં!

આ જ રાહે આપણે એમ પણ માનીને ચાલવું જોઈએ કે ચીનની સરહદે પણ સ્થિતિ ગંભીર નથી અને ભારત ઉપર કોઈ જોખમ નથી. ચીન છાતી પર ચડીને બેઠું છે, ચીન કબજો કરેલ ભૂમિ ખાલી કરતું નથી, લદાખમાં ૬૪માંથી ૨૭ પેટ્રોલિંગ થાણાં ભારતે ગુમાવી દીધાં છે જ્યાં ભારતીય લશ્કર જઈ શકતું નથી, ચીને અરુણાચલ પ્રદેશનું અને તેનાં શહેરો અને પ્રદેશોનાં નામ બદલી નાખ્યાં છે, અરુણાચલ પ્રદેશના નવા નકશા બનાવ્યા છે, ભૂતાને ભારત સાથેની સમજૂતી તોડીને ભારતને બાજુએ મૂકીને સીધી ચીન સાથે સરહદી વાટાઘાટો શરૂ કરી છે, ભૂતાન બારોબાર ચીન સાથે સમજૂતી કરી રહ્યું છે, નેપાળે ભારતનાં પ્રદેશ પર દાવો કર્યો છે અને નકશા બદલી નાખ્યાં છે વગેરે વાતો થઈ રહી છે એ ખોટી હોવી જોઈએ. આપણા વડા પ્રધાન એટલા બધા બેજવાબદાર થોડા છે કે સરહદે આટલું બધું બની રહ્યું હોય અને એક શબ્દ બોલે પણ નહીં!

ના ના, એવું ન બને. સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ અને વિદેશ પ્રધાન એસ. જયશંકર વળી ક્યારેક ક્યારેક ચીન સાથેની સ્થિતિની ગંભીરતા વિષે અને ચીનની આડોડાઈ વિષે બોલે છે એ તેમનું ઉતાવળાપણું હોવું જોઈએ અથવા અજ્ઞાન. અમિતભાઈ પણ મણિપુરની સ્થિતિ વિષે વિશેષ જાણતા હોય એવું લાગતું નથી અથવા સ્વભાવ ઉતાવળો હોવો જોઈએ. બાકી આપણા વડા પ્રધાન અસંવેદનશીલ અને બેજવાબદાર ન હોઈ શકે.

આંખ ફેરવી લેવાથી અને મૂંગા રહેવાથી પરિસ્થિતિની ગંભીરતા આપોઆપ ઘટી જાય છે એવી રાજકીય સમજનો ભારતને પહેલીવાર અનુભવ થઈ રહ્યો છે. એમાં કોઈ શંકા નથી કે ઉપેક્ષા પણ એક પ્રતિક્રિયા છે અને પ્રતિસાદ પણ છે. માતા પણ પ્રારંભમાં બાળકની માગણીની, ફરિયાદની, જીદની, રુદનની ઉપેક્ષા કરે છે. એ તેની પ્રતિક્રિયા અને પ્રતિસાદ બન્ને હોય છે. પણ પ્રારંભમાં. જ્યારે તેને ખાતરી થવા લાગે કે બાળક પોતાની વાત છોડતું નથી કે ભૂલતું નથી ત્યારે માતા તેના તરફ ધ્યાન આપે છે. એમાં જવાબદાર માતાની સમજદારી અને વાત્સલ્ય બન્ને જોવા મળે  છે. કેટલી ઉપેક્ષા કરવી અને ક્યારે અને કેવો પ્રતિસાદ આપવો એનું ભાન હોવું જોઈએ. પણ એ ત્યારે જ બને જ્યારે સાચી નિસ્બત હોય.

પણ કોઈ માતા એમ કહે કે ગમે તે થાય નહીં બોલું તે નહીં બોલું, નહીં સામે જોઉં તે નહીં જ જોઉં, નહીં તેડું તે નહીં જ તેડું, નહીં બોકિયો લઉં તે નહીં જ લઉં તો એવી માતા વિષે તમે શું કહેશો? એમાં કયું તત્ત્વજ્ઞાન કામ કરે છે અથવા કઈ સમજદારી છે એ મારી સમજની બહાર છે! અને ત્યારે જ્યારે આખું ગામ એ રુદન કરતાં બાળક તરફ જોતું હોય, તેના માટે સહાનુભૂતિ ધરાવતું હોય, તેને સાંભળો, તેને કાન આપો એવી સલાહ આપતું હોય, પરાયા લોકો બાળકને છાનું રાખવાનો પ્રયાસ કરતા હોય, તેના દુઃખમાં ભાગીદાર થવાનો પ્રયાસ કરતા હોય ત્યારે પણ ગમે તે થાય નહીં બોલું … વાળો અભિગમ ધરાવવો એ જેવા તેવાનું કામ નથી. આપણા વડા પ્રધાન કોઈક ઊંડી આધ્યાત્મિક તાકાત ધરાવતા હોવા જોઈએ. આધ્યાત્મિકતાના આ સ્વરૂપનો જગતને પહેલીવાર પરિચય થઈ રહ્યો છે. એ અર્થમાં આપણા વડા પ્રધાન વિશ્વગુરુ છે.

ઉપેક્ષા એ શક્તિ છે, પણ મર્યાદિત પ્રમાણમાં. જો ઉપેક્ષા હદબહાર કરવામાં આવે તો એ વિસ્ફોટક બને છે. પરાજયની પીડા કરતાં ઉપેક્ષાની પીડા વધારે ચુભતી હોય છે. પરાજય માટે તો આપણે પણ જવાબદાર હોઈએ છીએ, પણ હળહળતી ઉપેક્ષા માટે ઉપેક્ષા કરનારા જવાબદાર હોય છે. અમારી સાથે વાત તો કરો! અમને અમારી ભૂલ તો બતાવો! અમારી પાસેથી શું ઈચ્છો છો એ તો કહો! પ્લીઝ પ્લીઝ વાત તો કરો! યાદ રહે, મણિપુર એક સરહદી રાજ્ય છે અને ચીન ઇશાન ભારતનાં ખાસ્સા મોટા હિસ્સા પર દાવો કરીને તેની ઉત્તરે છાતી પર બેઠું છે. અને બીજું નવ વરસથી મૂંગા રહેવાની અને આંખ ફેરવી લેવાની નીતિ અપનાવવામાં આવી રહી છે. કોઈ ફાયદો થયો? અંગત અને સરકારની પ્રતિષ્ઠામાં વધારો થયો કે ઘટાડો?

અને છેલ્લે, આંખ મીંચી દેવાથી અને મૂંગા થઈ જવાથી વાસ્તવનો અંત આવે છે ખરો? આ ખોટનો સોદો છે.

પ્રગટ : ‘વાત પાછળની વાત’, નામક લેખકની કટાર, “ગુજરાતમિત્ર”, 27 જુલાઈ 2023

Loading

...102030...1,0521,0531,0541,055...1,0601,0701,080...

Search by

Opinion

  • સત્ય, તથ્ય અને નિસબતનો દસ્તાવેજ એટલે ડાર્વિનની આત્મકથા
  • રાજનીતિમાં વૈચારિક સફાઈના આગ્રહી: પંડિત દીનદયાલ
  • દમ પતી જાય એને દંપતી કહેવાય 
  • સ્ક્રીનની પેલે પાર : જ્યારે ડિજિટલ એસ્કેપ મોતનો ગાળિયો બને ત્યારે
  • ચલ મન મુંબઈ નગરી—327 

Diaspora

  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !

Gandhiana

  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર

Poetry

  • સખીરી તારો એ હૂંફાળો સંગાથ …
  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.
  • ગઝલ
  • નહીં આવન, નહીં જાવન : એક  મનન 

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved