Opinion Magazine
Number of visits: 9667358
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ભાવવધારાને બહુ ભાવ આપવા જેવો નથી …

રવીન્દ્ર પારેખ|Opinion - Opinion|31 July 2023

રવીન્દ્ર પારેખ

મારા બાપાના વખતમાં રૂપિયાનું અઢી શેર ભૂસું મળતું હતું, પણ એમને પણ એ મોંઘું લાગતું હતું ને મેં સવા  રૂપિયે શેરનું ભૂસું ખાધું હતું એમ કહું છું, તો મારાં સંતાનો મને હસે છે, જેમ હું મારા બાપાને હસતો હતો. બને કે આવનારા સમયમાં મારાં સંતાનોને તેમના સંતાનો હસે. તે બે રીતે કે ત્યારે બધું એટલું મોંઘું થઈ ગયું હોય કે રડી ન શકાય એટલે હસે અથવા આજે જેમ ગરીબોને મફત અનાજ સરકાર આપે છે તેમ તે વખતની સરકાર પણ બધું જ મફતમાં આપે ને તે લેતાં જાત પર હસવાનું થાય. કહેવાનું તાત્પર્ય એ છે કે મોંઘવારી સાપેક્ષ છે. આજે જે મોંઘું લાગે છે તે આવનારી પેઢીને સસ્તું લાગે, એટલે આવનારી મોંઘવારીને ધ્યાનમાં રાખીને, આજની મોંઘવારીને હસી કાઢવામાં જ ડહાપણ છે. આજનો ત્રણ હજાર રૂપિયાનો તેલનો ડબ્બો, આવતાં થોડાં વર્ષોમાં ત્રીસ હજારનો થાય તો એ વિચારે આશ્વસ્ત થવું કે એ ભાવથી આજે તો બચેલા છીએ ને ત્રણ હજારમાં કમ સે કમ ડબ્બામાં તેલ આવે તો છે ! બને કે ત્યારે ત્રીસ હજારમાં ખાલી ડબ્બો જ આવે, એટલે તેલ, તેલ લેવા જાય તે પહેલાં વરસાદમાં ભજિયાં ખાઈ લેવાં ને કાલની ચિંતા ન કરવી એ સાધુત્વની નિશાની છે.

મોંઘવારી વધતી જોતાં ગરીબોની બહુ ચિંતા ન કરવી. સરકારે જ કહ્યું છે કે ભાવ ને ગરીબો ઘટી રહ્યા છે ને જે રહ્યાં છે તેનાં ખાતામાં સરકાર સમયે સમયે કૈં ને કૈં નાખતી રહેશે ને ન નાખે તો મંદિરે ભકતો તો નાંખશે જ, એટલે ગરીબોને તો વાંધો નહીં આવે. ચિંતા એટલી જ કરવાની કે એ ગરીબોમાં મધ્યમવર્ગ ન ઉમેરાય, કારણ એને જોગવવાની જવાબદારી કૈં સરકારની નથી. મધ્યમ વર્ગ ન નીચે ઊતરે કે ન ઉપર જાય એટલું જ જોવાનું. એ માંગતો થાય એ ન ચાલે ને કોઈ એની પાસે માંગે એ ય ન ચાલે. સરકારને સૌથી વધુ ચિંતા મધ્યમવર્ગની છે. એ છે તો ટેક્સ ભરાય છે. એ જ ન હોય તો સરકાર રહેશે કોને ભરોસે? આપણે ગમે એટલી સરકારની ટીકા કરીએ, પણ એ ઘણાં જોખમોથી આપણને બચાવે છે. 27મીએ જ રાજકોટમાં (વાતોનાં) વડા પ્રધાને હીરાસર એરપોર્ટનું ઉદ્ઘાટન કરતાં કહ્યું કે અમારી સરકારે મોંઘવારી ન ઘટાડી હોત તો આજે દૂધ 300 રૂપિયે લિટર ને દાળ 500 રૂપિયે કિલો હોત ! દરેક ભારતીય આજે જરૂર હોય કે ન હોય, અંદાજે 20 જી.બી. ડેટા વાપરે છે. 2014માં એક ડેટાની કિંમત 300 રૂપિયા હતી. આજે જૂની સરકાર હોત તો મહિને 6 હજારનો ખર્ચો ઊભો હોત ! એ હિસાબે આજની સરકાર મોબાઇલમાં આપણા 5 હજાર બચાવે છે, એ જેવી તેવી વાત નથી. 2014માં 4 શહેરમાં મેટ્રો સ્ટેશન નેટવર્ક હતાં. આજે 20 શહેરોમાં છે. જરૂર હોય કે ન હોય, એવું તો ઘણું ઘણું દેશમાં થઈ રહ્યું છે, એ જોતાં વડા પ્રધાનનો આપણે હૃદયથી આભાર માનવો જોઈએ, કારણ એમણે દૂધ 300નું ને દાળ 500ની થાય તે પહેલાં 2014માં જૂનીને તગેડી ને નવીને આણી. નવી ન આવી હોત તો આપણી દશા જ બેઠી હોત કે બીજું કૈં?

2014માં જે ભાવો હતા તે ને નવી સરકારમાં એ કાબૂમાં આવ્યા એ જોઈએ તો ખ્યાલ આવશે કે સરકારની વાત કેટલી બધી સાચી છે ! જેમ કે, મે, 2014માં પેટ્રોલ 71.41 રૂપિયા હતું, તે લિટરે ઓગસ્ટ, 2022માં 96.72 રૂપિયા થયું. એથી પણ ભાવ વધ્યો હોત, પણ સરકારે ભાવ વધવા ન દીધો. 2022નો ભાવ એટલા માટે કે એ ગાળામાં કોરોના વિદાય લઈ રહ્યો હતો. તે વખતે શરૂઆતમાં ઇંધણનો ભાવ આંતરરાષ્ટ્રીય સ્તરે એટલો ઘટી ગયો હતો કે વાત ન પૂછો. એવે વખતે વધુ ભાવ ન ગગડે એટલે સરકારે દેશમાં જ ભાવ ગગડવા ન દીધા ને બીજા ખર્ચને પહોંચવા ભાવો વધાર્યા, તે એટલે પણ કે ગરીબો સંકોચ વગર સરકારની મદદ લેતા થાય. આવી પરોપજીવી, સોરી, પરોપકારી સરકાર બીજે શોધી જડે એમ નથી. ડીઝલ મે, 2014માં 56.71 હતું, તે ઓગસ્ટ, 2022માં 89.62 થયું. મતલબ કે લિટરે પેટ્રોલ 25.31 અને ડીઝલ 32.91 રૂપિયા વધ્યું. એલ.પી.જી.ની વાત કરીએ તો સિલિન્ડરનો ભાવ મે, 2014માં 928.5 હતો, જે ઓગસ્ટ, 2022માં 1,053ને આંકડે આવ્યો. મતલબ કે સિલિન્ડરે 124.5નો વધારો. સી.એન.જી. મે, 2014માં 38.15ની કિંમતે હતો, તે ઓગસ્ટ, 2022માં વધીને 75.61 પ્રતિ કિલોગ્રામ થયો. એમાં પ્રતિ કિલોગ્રામે 37.46નો વધારો થયો. લોટ મે, 2014માં 21 રૂપિયા પ્રતિ કિલો હતો, તે 8 રૂપિયા વધીને 29 પર પહોંચ્યો. એ જ રીતે 8 વર્ષમાં ચોખા 29ના 32 થયા.

ભાવો વધે ત્યારે તેને બહુ ભાવ ન આપવો એમાં જ માણસાઈ છે, કારણ ભાવો વધે તેમ તેમ માણસ સસ્તો થતો જતો હોય છે, હવે માણસ જ સસ્તો હોય તો મોંઘવારી ક્યાં રહી?

રહી વાત દૂધની તો મે, 2014માં તે લિટરે 36 રૂપિયા હતું, તે આજે 18 રૂપિયા વધીને 54 રૂપિયે છે. દાળ મે, 2014માં 75 રૂપિયે કિલો હતી, તે જૂન, 2023માં 200ને ભાવે પહોંચી છે. કિલોએ 125નો વધારો.

એવું નથી કે બધું જ વધ્યું છે. ડુંગળી, બટાકાના ભાવ ઘટ્યા પણ છે. માર્ચ. 2022માં ડુંગળી 28 રૂપિયે હતી, તે વર્ષને અંતે 24ને ભાવે વેચાઈ. એ જ રીતે બટાકા 20 રૂપિયે હતા તે રૂપિયો ઘટયા. 83.5નો ઘટાડો તો એલ.પી.જી.ના 19 કિલોના સિલિન્ડરમાં પણ આવ્યો ને વડોદરા ગેસ કંપનીએ પાઇપ મારફતે પહોંચાડાતા ગેસમાં યુનિટ દીઠ 1.57નો અને સી.એન.જી.માં 6.10નો ઘટાડો 9 એપ્રિલે કર્યો. એ જુદી વાત છે કે ઓકટોબર, 2022થી જાન્યુઆરી, 2023 સુધી 20.79નો પ્રતિ ક્યુબિક મીટર વધારો કરવામાં આવ્યો હતો, તેની સામે 6 મહિને 1.57નો ઘટાડો દરિયામાંથી ડોલ કાઢવા જેવો હતો. આવી ગમ્મત તો થતી રહેતી હોય છે. ટામેટાં એકદમ જ 200 રૂપિયે કિલો થયાં છે. 20 રૂપિયે કિલોનાં ટામેટાં 200નાં થયાં, પણ વડા પ્રધાને દૂધ 300 ને દાળ 500નો જે આંકડો પાડ્યો તેનાં કરતાં તો એ ઓછાં જ છેને ! એ તો જૂની સરકાર નથી એટલે, બાકી, એ હોત તો ટામેટાંનો ભાવ 2,000 પણ થયો હોત ! થેન્ક ગોડ, કે જૂની સરકાર નથી તેથી ટામેટાંનું 200-250માં પત્યું, એ ભાવ 2,000-2,500નો પડ્યો હોત તો પૂરી વલે થઈ હોત એમાં શંકા નહીં ! ને એબોવ ઓલ, ટામેટાં 200 હોય તો શું થયું? ટોમેટો કેચઅપ 120નો પાંચ કિલો મળે છે તે ઓછું છે? એમ તો ફૂદીનો, આદુ, કોથમીરના ભાવ પણ ઘટ્યા છે. ટામેટાંની આવક વધશે એટલે એ પણ 25-50ના કિલો થઈ જશે. નવી સરકારમાં એટલું છે કે તે ભાવો નિયંત્રણમાં રાખે છે. 20ના 200 થાય, પણ પછી 50 પણ થાય છે ને ! એ ભલે 20 કરતાં 30 વધારે હોય, પણ 200થી 150 ઓછા છે તે નહીં જોવાનું?

જો કે, ટામેટાંનો ભાવ ઊંચકાયો તો લોકોમાં જરા ચણભણ થઈ. એ જોઈને આરોગ્ય મંત્રી ને સરકારના પ્રવક્તાશ્રીએ લોકોને ટપાર્યા પણ ખરા કે ટામેટાં જ કૈં એક માત્ર ખાવાની ચીજ નથી, એ સાચું છે. ટામેટાં પર જ કૈં દીવો કરેલો છે કે એનાં વગર અજવાળું થાય જ નહીં? બીજી ઘણી વસ્તુઓ છે. ટામેટાં નથી તો ઘી ખાવ, તેલ પીઓ, કેડબરી ખાવ. દાળમાં ટામેટાં જ નાખવાં એવું થોડું છે? કેડબરી પણ નખાય ને ! લોકો તો એ પણ ખાય, પણ ચિંતા એ છે કે ટામેટાંને વિકલ્પે જે ખવાય તે તો પછી મોંઘું નહીં થાય ને ! થાય છે એવું કે શાકભાજી મોંઘી લાગે તો લોકો કઠોળ તરફ વળતાં હોય છે, પણ પછી કઠોળનો ઉપાડ વધતાં એ ય મોંઘું થવા લાગે છે. 26મીના જ સમાચાર છે કે કઠોળના ભાવમાં પણ 30 ટકાનો ઉછાળો આવ્યો છે. શાકભાજી ઓકટોબર સુધી સસ્તી થાય એમ લાગતું નથી, એની કિંમતોમાં જૂનથી જુલાઈ સુધીમાં જ 34 ટકાનો વધારો થયો છે. તેમાં ય ટામેટાં જ 160 ટકા મોંઘાં થયાં છે.

સાદી વાત એટલી છે કે જી.એસ.ટી. લાગુ પડ્યો છે, ત્યારથી બધી જ વસ્તુઓ મોંઘી થઈ છે. શ્વાસ ચાલે છે તેનાં પર જી.એસ.ટી. નથી, બાકી જનમ-મરણ પણ જી.એસ.ટી.થી બાકાત ન હોય એમ બને. કાલના જ સમાચાર છે કે હવેથી હોસ્ટેલનાં ભાડાં પર પણ વિદ્યાર્થીઓને 12 ટકા જી.એસ.ટી. ભરવાનો થશે. આ ટેક્સ અગાઉ લાગતો ન હતો, પણ હવેથી હોસ્ટેલને રહેઠાણ તરીકે ટ્રીટ કરવામાં નહીં આવે. ગયાં વર્ષ સુધી રહેઠાણ ગણીને ટેક્સ વસૂલાતો ન હતો, પણ હવે વસૂલાશે. જે રસ્તે ટેક્સ વસૂલી શકાય એ રસ્તે સરકાર તો વસૂલે, કારણ દેશ તો રામભરોસે ચાલે, પણ સરકાર ન ચાલે. એને ચલાવવી પડે ને એને ચલાવવા હવા, પાણી ને ખોરાકમાંથી ટેક્સ કેવી રીતે વસૂલી શકાય એની તરકીબ નિષ્ણાતો શોધી આપતાં હોય છે.

મોંઘવારી છાપાંને લાગે ને સરકારને ન લાગે એમ બને. એનો અર્થ જ એ કે મોંઘવારી સાપેક્ષ છે. જો કે, લોકોને એ નથી જ લાગતી. આમેય લોકોને ક્યાં કૈં લાગે જ છે? હા, દૂરથી ‘દોસ્તી’ ફિલ્મનું એક ગીત ક્યારેક સંભળાય છે :

રાહી મનવા દુ:ખ કી ચિંતા ક્યૂં સતાતી હૈ, દુ:ખ તો આપના સાથી હૈ …

000

e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 31 જુલાઈ 2023

Loading

એક પતિપરાયણ ચીની હિંદુ નારી

પ્રીતમ લખલાણી|Opinion - Opinion|30 July 2023

ચીનની આઝાદીના જંગમાં પોતાના પ્રાણનું બલિદાન આપનાર ભારતીય યુવાન ડૉકટરને શ્રદ્ઘાંજલિ આપતાં સામ્યવાદી ચિનના ક્રાંતિકારી પ્રમુખ માઓત્સે તુંગે શબ્દો ઉચ્ચાર્યા હતા :

“ચીનની સમગ્ર પ્રજાએ એક પ્રેમાળ મિત્રને ખોયો છે અને ચીનના લશ્કરે એક શકિતશાળી મદદકર્તા હાથ ગુમાવ્યો છે. આ યુવાન ડૉકટરનો આત્મા આપણા દેશના સીમાડાથી પર હતો.”

આ સેવાભાવી યુવાન ડૉકટરનો જન્મ ભારતના મહારાષ્ટ્ર રાજ્યમાં આવેલા સોલાપુર નામના નાનકડા શહેરમાં ૧૯૧૦ની ૧૦મી ઑકટોબરે થયો હોવા છતાં ય વર્તમાન ભારતની પ્રજા તેમના નામથી આજે ભાગ્યે જ પરિચિત હશે. ૧૯૩૬માં દ્વારકાનાથ શાન્તારામ કોટનિસ ગ્રાન્ટ મેડિકલ કૉલેજમાંથી તેજસ્વિતા સાથે એમ.બી.બી.એસ.થઈને કારકિર્દીના શ્રીગણેશ કરી રહ્યા હતા. તે ગાળામાં ઈ.સ. ૧૯૩૮ના સપ્ટેમ્બર માસમાં ચીને ફાસિસ્ટ જાપાન વિરુદ્ઘ યુદ્ઘ જાહેર કર્યુ. મુકિતસંગ્રામમાં સેંકડોની સંખ્યામાં ચીની સૈનિકો લડતાંલડતાં વીરગતિ પામ્યા. હજારો લાખોની સંખ્યામાં ચીની સૈનિકો ઘાયલ થયા. ચીનને ડૉકટરોની સહાયતાની તાત્કાલિક જરૂરિયાત ઊભી થઈ, ત્યારે ચીનનો પરમ મિત્ર દેશ ભારત તેની મદદે આવ્યો.

૧૯૩૯ના ફેબ્રુઆરી માસમાં ચીનને આઝાદી સંગ્રામમાં મદદ કરવા ભારતથી રવાના થયેલા પાંચ ભારતીય ડૉકટરોની ટુકડીમાં ડૉકટર દ્વારકાનાથ કોટનિસની પણ નિમણૂક થઈ. મહિનાઓ સુધી ખાવાપીવા કે આરામની દરકાર કર્યા વિના ડૉકટર કોટનિસ જાપાન સામે મરણિયા થઈને સરહદ પર લડતાંલડતાં ઘવાયેલા ચીની સૈનિકોની સતત સેવા કરતા રહ્યા. ડૉકટર કોટ્નિસના રાતદિવસના અથાક પરિશ્રમને પરિણામે હજારો ચિની સૈનિકોને જીવતદાન મળતાં આખરે યુદ્ઘમાં ચીનનો વિજય થયો.

ઈ.સ. ૧૯૪૧માં ચીને સેવાની કદરરૂપે ડૉકટર કોટનિસની આંતરરાષ્ટ્રીય બેથ્યુન પીસ હૉસ્પિટલના પ્રથમ પ્રમુખ તરીકે નિમણૂક કરી. ડોકટર કોટનિસ આ પદ પર બહુ લાંબો સમય સેવા આપી શકયા નહિ. યુદ્ઘમાં શકિત બહારનો પરિશ્રમ કરતાં શરીરમાં નાનીમોટી ઘણી બીમારીઓ ઘર કરી ગઈ. ચીની પ્રજાની સેવા કરતાં ઈ.સ. ૧૯૪૨ની નવમી ડિસેમ્બરની એક સવારે આંચકી જેવી સામાન્ય બીમારીને કારણે ૩૨ વર્ષની ભરયુવાનીમાં તેમનું પ્રાણપંખેરુ ઊડી ગયું.

ડૉકટર કોટનિસની સેવાની કદર સમય સાથે ચીનના ઇતિહાસમાંથી વિલીન ન  થઈ જાય તે માટે ચીનની સામ્યવાદી સરકારે તેમના નામને આંતરરાષ્ટ્રીય બેથ્યુન પીસ હોસ્પિટલ સાથે સાંકળી લીધું. હૉસ્પિટલના પટાંગણમાં ડૉકટર કોટનિસની એક વિરાટ કદની પ્રતિમા મૂકવામાં આવી. ડૉકટર કોટનિસના લખેલા પત્રો, તેમના મનગમતાં પુસ્તકો, તેમની પેન, અંગત ડાયરી, તેમ જ તેમની જીવનજરૂરિયાત વપરાશી ચીજોને કાચની ફ્રેમમાં મઢીને હૉસ્પિટલના એક સંગ્રહસ્થાનમાં ગોઠવી દીઘી છે.

ઈ.સ. ૧૯૮૭માં આંતરરાષ્ટ્રીય બેથ્યુન હૉસ્પિટલને ૫૦ વર્ષ પૂરાં થયાં ત્યારે સરકારે તેની ઉજવણી ધામધૂમથી કરવાનું નકકી કર્યું. આ ઉત્સવની ઉજવણી માટે ચીને આખા વિશ્વમાંથી દરેક વિભાગના નિષ્ણાત ડૉકતરોને ભાગ લેવા આમંત્રિત કર્યા. બેથ્યુન હૉસ્પિટલનાં માનનીય ડોકટર કુમારી હાને અમેરિકામાં પેટના રોગોના નામાંકિત ડોકટર મિત્ર અશોક શાહને આ શુભ અવસરે તેમ જ નૂતન ચીનની યાત્રાએ પધારવા આમંત્રિત કર્યાં.

સવારની થોડીક પ્રાર્થના તેમ જ સન્માન બાદ હૉસ્પિટલના પટાંગણમાં બનાવેલા ભવ્ય મંચ પરથી વિશ્વના તમામ ડૉકટરો વચ્ચે મંચ પર પધારવા એક મહિલાનું નામ જાહેર થયું. નેવું વર્ષની જાજરમાન મહિલા જેવી મંચ પર પધારી, ત્યાં તો ચીનનાં તમામ શહેરોમાંથી તેમ જ વિશ્વભરમાંથી પધારેલ આમંત્રિત ડૉકટરો તે માનનીય મહિલાને વંદન કરવા ઊભા થઈ ગયા. મંચ પર પધારેલી તે માનનીય મહેલા બીજી કોઈ નહિ પણ ડોકટર કોટનિસનાં વિધવા પત્ની ગોક્લીન્ગ્લાન હતાં.

તે સાંજે હૉસ્પિટલના એક ઝગમગાટ વિશાળ ખંડમાં ઉજવણીરૂપે ભવ્ય ભોજનસમારંભ ગોઠવવામાં આવ્યો હતો. સમારંભમાં ડોકટર અશોક શાહને શ્રીમતી કોટનિસ મળ્યાં. તેમણે બહુ જ વિવેક તેમ જ આદરભાવ સાથે નમ્રતાથી શ્રીમતી કોટનિસને પૂછયુંઃ “તમે ડોકટર કોટનિસને ક્યારે મળ્યાં હતાં અને કેવી રીતે પતિ-પત્નીના પવિત્ર બંધનમાં જોડાઈ ગયા?”

શ્રીમતી કોટનિસે કહ્યું, હું અને ડોકટર કોટનિસ યુદ્ઘમાં એક મોરચે એક જ છાવણીમાં સાથે કામ કરતાં હતાં. તેઓ ડૉકટર હતા અને હું નર્સ હતી. અમારા બંનેનું કાર્ય તેમ જ ધ્યેય એક જ હતું, સેવા. આ એક જ સ્વપ્નને ખાતર અમે જિંદગીને વાસ્તવિકતામાં પલટાવી નાખી. અમારો પ્રેમ બહુ જ ટૂંકા ગાળામાં પ્રગટીને પતિ-પત્નીરૂપે પાંગર્યોં.

‘અમારા સુખી લગ્નજીવનથી અમારા ઘરે એક પુત્રનું પારણું બંધાયું. અમારું પ્રેમાળ હસતું કુટુંબ જોઈને કુદરતને અદેખાઈ આવી. અમારા પ્રેમની છેલ્લી નિશાની અમારો પુત્ર પણ ડોકટર કોટનિસના મૃત્યુના થોડાક મહિના બાદ મને એકલી રુદન કરતી મૂકીને ઈશ્વરને પ્યારો થઈ ગયો”.

ડૉકટર શાહે પૂછયું, “તમે ભર યુવાનીમાં વિધવા થયાં. જો તમે ધાર્યું હોત તો ચીની સંસ્કૃતિ પ્રમાણે અવશ્ય બીજાં લગ્ન કરી શકયાં હોત, ખરુને?”

શ્રીમતી કોટનિસે કહ્યું, “તમારી વાત સાવ સાચી છે! ધારત તો હું અવશ્ય બીજાં લગ્ન કરી શકત. મને એક તો શું ઘણા ચીની યુવાનો પરણવા માટે તૈયાર થાત! પણ મને ફરી આવો ઈશ્વર જેવો પતિ તો ન જ મળત. મેં મારા મનમંદિરમાં આ એક ઈશ્વરની પ્રતિમાને સ્થાન આપી તેની પૂજામાં મારું જીવન સમર્પિત કરી દીધું હતું. જેની પૂજા અને ભકિતથી હું એક નહીં સાતસાત ભવ તરી ગઈ છું. ડોકટર કોટનિસને પરણ્યા બાદ મને જીવનમાં કોઈ અસંતોષ કે કોઈ ઈચ્છા રહી ન હતી. ઈશ્વરે મને જેટલો સમય ડૉકટર કોટનિસ જોડે જીવવા દીઘી તે મારા માટે અતિભવ્ય હતો.

“હું ડૉકટર કોટનિસને પરણી એટલે તમારા ધર્મશાસ્ત્ર પ્રમાણે હું હિંદુ થઈ ગઈ. તો પછી હિંદુ પત્ની કઈ રીતે બીજાં લગ્ન વિશે વિચાર પણ કરી શકે? હું તો જન્મોજન્મ શ્રીમતી કોટનિસ તરીકે જીવવાનું ઈશ્વર પાસે વરદાન માગી ચૂકી છું. હું શ્રીમતી કોટનિસ તરીકે ઓળખાવવામાં ગૌરવ અનુભવુ છું. ડૉકટર કોટનિસ તેમના કર્મથી અમર થઈ ગયા .આવા અમર પુરુષની પત્ની શું કોઈ કાળે વિધવા હોઈ શકે ખરી?”                                                                           

e.mail : preetam.lakhlani@gmail.com

Loading

નિરંજન ભગતના અનુવાદોનો સર્વસંગ્રહ

સંજય સ્વાતિ ભાવે|Opinion - Literature|30 July 2023

પુસ્તક પરિચય

સંજય ભાવે

વિખ્યાત ગુજરાતી સાહિત્યકાર નિરંજન ભગતે કાવ્યસર્જન, વિવેચન અને અંગ્રેજી સાહિત્યના અધ્યાપન ઉપરાંત નોંધપાત્ર પ્રમાણમાં અનુવાદકાર્ય પણ કર્યું છે. તેમણે બંગાળી તેમ જ સંસ્કૃત, અને અંગ્રેજી સહિતની યુરોપીય ભાષાઓમાંથી એંશી જેટલી કૃતિઓના ગુજરાતીમાં અનુવાદો કર્યા છે.

આ અનુવાદોમાંથી ઘણાખરા અત્યાર સુધી નિરંજન ભગતના પોતાના વિવેચન સંગ્રહોમાં, કેટલાંક સંપાદિત સંચયો તેમ જ સામયિકોમાં અને નવ અનુવાદો હસ્તપ્રતો સ્વરૂપે છૂટાછવાયા હતા.

હવે તે બધા ‘નિરંજન ભગતના અનુવાદો’ નામના સંતર્પક સંચયમાં પહેલી વખત એક સાથે, પદ્ધતિસર ગોઠવણી અને સંશોધનપૂર્ણ સંપાદકીય નોંધો સાથે પ્રગટ થઈ રહ્યા છે.

અનુવાદ સંચયની મહત્ત્વની ઉપલબ્ધિ એ છે કે તેમાં સંસ્કૃત નાટક ‘સ્વપ્નવાસવદત્તમ્‌’નો The Vision of Vasavadatta નામે પેન્ગ્વિન પ્રકાશને 1972માં પ્રસિદ્ધ કરેલો અંગ્રેજી અનુવાદ પણ મળે છે. તે આટલાં વર્ષોમાં જવલ્લે જ કોઈ વાચક-અભ્યાસીએ જોયો હોય.

એ જ પ્રમાણે કેટલીક રચનાઓની – ભગત સાહેબના શાળા સમયથી વખણાયેલા ‘સુંદર’ અક્ષરોમાં લખાયેલી – હસ્તપ્રતો પણ અહીં પહેલી વાર જોવા મળે છે.તેમાં અંગ્રેજી કવિ લી હન્ટ, ફ્રેન્ચ કવિઓ બૉદલેર તેમ જ મલાર્મેની એક-એક, વ્હિકટર હ્યુગોની બે, અને રવીન્દ્રનાથની ચાર રચનાઓની હસ્તપ્રતોનો સમાવેશ થાય છે.

ગ્રંથના સંપાદકો રાજેન્દ્ર પટેલ, રૂપલ મહેતા અને શૈલેષ પારેખ ભગત સાહેબના વ્યક્તિત્વ તેમ જ જ્ઞાનસાધનાનાં ચાહક અને તેમના સર્જનનાં અભ્યાસી છે. 

હસ્તપ્રતોના સુવાચ્ય પુનર્મુદ્રણ, કાગળની ગુણવત્તા, અવકાશ (સ્પેસ) અને એકંદર સુરુચિપૂર્ણ નિર્માણની દૃષ્ટિએ પણ 328 પાનાંનું મોટા કદનું આ પુસ્તક ગુણવત્તાપૂર્ણ છે.

અપૂર્વ આશરના સુંદર સૌમ્ય મુખપૃષ્ઠમાં ભગત સાહેબનાં લાક્ષણિક હાસ્ય અને ચશ્માં સથેની વેધક પણ સ્નેહભરી નજરને ઉપસાવતી આછેરી બોલકી છબિ અને સાત રંગના લસરકા છે.

ગ્રંથનું પ્રકાશન નિરંજન ભગત મેમોરિયલ ટ્રસ્ટ નામે ભાષા-સાહિત્યની વિવિધ પ્રવૃત્તિઓ હાથ  ધરનાર સંસ્થાએ કર્યું છે. તેનું લોકાર્પણ 18 મે 2023ના રોજ ભગત સાહેબની 93મી વર્ષગાંઠે વિવેચક રમણ સોનીને નિરંજન ભગત સ્મૃતિ પરિતોષિક પ્રદાન સમારંભની સાથે કરવામાં આવ્યું.

‘પ્રાસ્તાવિક’માં સંપાદકો નોંધે છે : ‘સિત્તેર વર્ષના સમયગાળામાં નિરંજન ભગત વિવિધ સાહિત્યોનો અનુવાદ કરતા રહ્યા. આ અનુવાદોની સૂચિ જોતાં તેમના સાહિત્યરસની વિશાળ ક્ષિતિજોનો ખ્યાલ આવે છે.

‘એક છેડે પ્રશિષ્ટ અને પ્રાચીન સંસ્કૃત પદ્યનાટ્ય; બીજે પ્રાચીન હિબ્રૂ / લૅટિન / અંગ્રેજી બાઈબલ અને ત્રીજે, આધુનિક અંગ્રેજી / સ્પૅનિશ / ફ્રેન્ચ / એલિયટ / મિસ્ત્રાલ / બૉદલેર; અને આ બધાની વચ્ચે બંગાળી રવીન્દ્રનાથ ‌‌‌– સહુની સાથે તાદાત્મ્ય અનુભવતા નિરંજન ભગતને આ બધામાં રસ હતો અને તેમને ગુજરાતની તેમ જ વિશ્વની સાહિત્યપ્રેમી જનતા સાથે તે રસ વહેંચવો હતો.’

સેન્ટ જહૉન ઑફ ધ ક્રૉસનાં કાવ્યોનો સીધો સ્પૅનિશ ભાષામાંથી ગુજરાતી અનુવાદ ખ્રિસ્તી ધર્મગુરુ ફાધર ઇશુદાસ ક્વેલીની મદદથી કર્યો છે. આ બે સાહિત્યપ્રેમીઓ વચ્ચેની બે વર્ષની અનુવાદ પ્રક્રિયાનું ભગત સાહેબે  ટૂંકું પણ રસાળ સ્વકથન સંપાદકોએ સમાવ્યું છે.

ફ્રેન્ચ ભાષામાં સ્વશિક્ષિત ભગત સાહેબ વ્હિક્ટર હ્યૂગો, બૉદલેર અને માલાર્મેની કવિતાઓને તેમ જ મિલાન કુન્દેરાના નવલકથા પરના દીર્ઘ લેખને મૂળ ફ્રેન્ચમાંથી ગુજરાતીમાં લાવ્યા છે.

રવીન્દ્રનાથના અનુવાદો પણ બંગાળીમાંથી સીધા ઊતરી આવ્યા છે. અમૃતા પ્રીતમની ચાર કવિતાઓની સ્રોત ભાષા હિન્દી કે અંગ્રેજી એવું પ્રશ્નચિહ્ન પુસ્તકના અનુક્રમમાં છે.

સંપાદકો બીજું રસપ્રદ નિરીક્ષણ પણ આપે છે : ‘નિરંજન ભગતના અનુવાદોની પ્રેરણા સ્વેચ્છામાં નહી, પણ અન્યની ઇચ્છામાં (કે મૈત્રીસભર વિનંતીમાં) રહેલી છે કે કોઈ પ્રસંગ નિમિત્તે ઊભી  થતી આવશ્યકતામાં રહેલી છે.’ જો કે આ વિધાનમાં જે દસેક કૃતિઓ અપવાદ છે તેના નામ  પણ સંપાદકોએ નોંધ્યાં છે.

જહૉન ઑફ ક્રૉસનો અનુવાદ સંતના અવસાનની ચોથી શતાબ્દી નિમિત્તે ડિસેમ્બર 1991માં ફાધર ક્વેલીએ કરેલા સહજ સૂચન માત્રથી થયો.

રવીન્દ્રનાથની સહુથી જાણીતી કવિતા ‘Where the mind is without fear…’નું બંગાળીમાંથી કરેલું ગેય અનુસર્જન અમદાવાદની રચના સ્કૂલના સંસ્થાપક પન્નાબહેન શ્રેણિકભાઈ લાલભાઈના અનુરોધથી થયું છે.

ટાગોરના નાટ્યકાવ્ય ‘ચિત્રાંગદા’ મૃણાલિની સારાભાઈની વિનંતીથી ગુજરાતીમાં આવ્યું. નિરંજને બાઇબલની ‘બુક ઑફ યોબ’નો અનુવાદ ‘સંપૂર્ણ બાઇબલ’ને ગુજરાતીમાં લાવનાર નગીનદાસ પારેખ અને ક્વેલીની ‘વિનંતીને માન આપીને’ કર્યો.

ઘણાં અનુવાદોનું નિમિત્ત વિવેચન લેખો છે. ભગત સાહેબના મૌલિક વિવેચન ગ્રંથોની ‘સ્વાધ્યાયલોક’ નામની શ્રેણીના નવમાંથી ત્રણ ખંડો પશ્ચિમના સાહિત્યો પરના છે. તેમાં કેટલાક લેખકો / કૃતિઓ પરના વિવેચન લેખના હિસ્સા તરીકે તેમની કાવ્યકૃતિઓનો અનુવાદ છે.

‘સ્વાધ્યાયલોક’ના અંગ્રેજી સાહિત્ય પરના ખંડમાં ટી.એસ. એલિયટની દીર્ઘ એકોક્તિ ‘લવ્હ સૉન્ગ ઑફ જે. આલ્ફ્રેડ પ્રૂફ્રૉક’ તેમ જ ડબ્લ્યુ.બી. યેટસનું ઊર્મી કાવ્ય, અને ‘અમેરિકન સાહિત્ય’ ખંડમાંથી ડબ્લ્યુ.એચ. ઑડનની એક રચના અલબત્ત મૂળ ભાષામાંથી જ ગુજરાતીમાં આવ્યાં છે.

ગ્રીક, લૅટિન, જર્મન, સ્પૅનિશ અને ઇટાલિયન કવિઓ અનુક્રમે સાફો, વર્જિલ, ગઅટે, મિસ્ત્રાલ અને કાસ્પિમોદોની રચનાઓના અંગ્રેજી ભાષાંતર પરથી કરેલા અનુવાદ ‘યુરોપીય સાહિત્ય’ ખંડમાંથી મળે છે.

રૉબર્ટ ફ્રૉસ્ટની પાંચ રચનાઓ ‘કવિતા’ સામયિકમાં અને કુન્દેરાનો નિબંધ ‘સંસ્કૃતિ’માં પ્રસિદ્ધ થયેલાં છે. ટાગોરના ચાર ગદ્ય લખાણોનો અનુવાદ ‘અમદાવાદમાં રવીન્દ્રનાથ : Tagore in Ahmedabad’ નામના દ્વિભાષી પ્રકાશન માટે છે. કવિવરના દરેક લખાણ માટેનું સંપાદકોએ અહીં નોંધેલું નિમિત્ત ધ્યાનપાત્ર છે.

નિરંજન ભગતે ‘સ્વપ્નવાસવદત્તમ્‌’નો અનુવાદ મૃણાલિની સારાભાઈના અનુરોધથી કર્યો અને તે અમેરિકામાં ભજવાયો. આ અંગે સંપાદકોએ સંશોધનપૂર્ણ માહિતીલેખ આપ્યો છે. તેને અંતે લખ્યું છે :

‘1960ના દાયકામાં એક ગુજરાતી લેખકે કરેલા સંસ્કૃત નાટકના અંગ્રેજી અનુવાદ ઉપરથી ન્યૂયૉર્કમાં અમેરિકન કલાકારો નાટક ભજવે એ એક અગત્યની સાંસ્કૃતિક ઘટના અવશ્ય કહેવાય. તેમાં અનુવાદ અને અનુવાદકના યોગદાનની નોંધ સરખી પણ ન લેવાય એ અક્ષમ્ય ઉપેક્ષા ન કહેવાય ?

‘આ અનુવાદ અને તેની સાથે સંકળાયેલી અન્ય હકીકતો ગુજરાતી સાહિત્યિક વર્તુળોના ધ્યાનમાં આવ્યાં હોય એમ જણાતું નથી.’

‘નિરંજન ભગતનું છપાયેલું પ્રથમ કાવ્ય પોતાના જ ગુજરાતી કાવ્યનો અંગ્રેજી અનુવાદ છે’ એ હકીકત સંપાદકો દસ્તાવેજી આધાર સાથે સાબિત કરે છે. 

‘નિરંજન ભગતની કાવ્યસૃષ્ટિનો આરંભ અનુવાદથી થયો હતો’ એવું બીજું ફલિત પણ સંપાદકોએ આપ્યું છે. તે આધારપૂર્ણ છે, છતાં તેમાં કવિ-અનુવાદક માટેના આદરમાંથી આવેલી દુરાકૃષ્ટતા જણાય છે.

આ સંપાદન મૂલ્યવાન તટસ્થ દસ્તાવેજીકરણ સ્વરૂપનું એ અર્થમાં છે કે તેમાં અત્યારે  જવલ્લે જ કોઈ કૌટુંબિક વારસદાર ધરાવનારા આપણા એક મૂર્ધન્ય સાહિત્યકારના સાક્ષરજીવનનું એક મહત્ત્વનું પાસું સચવાઈ ગયું છે.

સંપાદકોએ અનુવાદની ગુણવત્તા વિશેની ભાગ્યે જ કોઈ ટિપ્પ્ણી કરી છે. નિષ્ઠાપૂર્ણ સંપાદનની કેટલીક ગૌણ મર્યાદાઓ તેમ જ અનુવાદની એકંદર ગુણવત્તાની તટસ્થ સમીક્ષા અભ્યાસીઓ પાસે અપેક્ષિત છે.

ભગતસાહેબના અનુવાદ તેમ જ સંપાદનકાર્ય વિશે અંગ્રેજીમાં પણ વાંચવા મળે છે. તે શૈલેષ પારેખે લખેલા ખૂબ મહત્ત્વના મૉનોગ્રાફ Niranjan Bhagatનું  સાતમું પ્રકરણ છે.

આ મોનોગ્રાફ આપણા સમયના ગુજરાતના જ્ઞાની કવિ-વિવેચકના જીવન-કવન અને સર્જનકાળનો દુનિયાભરના વાચકોને સર્વગ્રાહી વિશદ પરિચય મળે તે પરિપ્રેક્ષ્યથી લખાયો છે.

ભગત સાહેબ પરનું આ પહેલવહેલું અંગ્રેજી પુસ્તક આ જ વર્ષે સાહિત્ય અકાદમી(દિલ્હી)એ પ્રસિદ્ધ કર્યું છે. તેની કેટલીક પ્રતો શૈલેષભાઈએ રસ ધરાવનાર વાચકો માટે ભેટ તરીકે સાહિત્ય પરિષદના સંકુલમાં આવેલા ‘ગ્રંથ વિહાર’ પુસ્તકભંડારમાં મૂકી હતી.

શૈલેષ પારેખે છેક 2006માં ભગત સાહેબના કાવ્યોનો અનુવાદ કર્યો છે, જે Niranajan Bhagat in English : Sixty Six Poems (ગુજરાતી સાહિત્ય પરિષદ, 2004) નામે પ્રસિદ્ધ થયો છે. તેના  પ્રકાશન અવસરે  23 જાન્યુઆરી 2005ના રોજ  ભગતસાહેબે એક વ્યાખ્યાન કર્યું હતું. 

એ અંગ્રેજી વ્યાખ્યાન વિશ્વસાહિત્યના સર્જકોની અનેક રીતે પડકારરૂપ કૃતિઓના અનુવાદો કરનાર નિરંજન ભગતે અનુવાદ વિશે સિદ્ધાંતચર્ચા તરીકે કરેલું સંભવત: એકમાત્ર જાહેર ઔપચારિક રેકૉર્ડેડ ઉચ્ચરણ છે. તેનો દરેક શબ્દ વિચારપૂર્ણ અને વિચારપ્રેરક છે.

તે વ્યાખ્યાનના એક અંશનો અનુવાદ પુસ્તકના ચોથા અવરણ પર છે. અનુવાદક નિરંજન ભગત કહે છે :

‘… ઘણું ગુમાવવા છતાં અનુવાદને કારણે ઘણું મળે છે. અનુવાદ એક પડકાર પણ છે અને એક સમાધાન પણ છે … સાહિત્યનો મૂળભૂત ઉદ્દેશ સંપર્ક સાધવાનો, સત્ય કહેવાનો તેમ જ આનંદ, આતંક, વિજય અને વેદના વ્યક્ત કરવાનો છે.

‘તેથી જ દરેક ભાષાના સાહિત્યનો અનુવાદ બીજી બધી જ ભાષાઓમાં કરવો જ પડશે. જેમ વીસમી સદી  વિવેચનની સદી હતી તેમ એકવીસમી સદી અનુવાદની સદી હશે.’ 

‌‌‌‌‌‌—————–‌‌‌‌‌‌‌‌‌‌‌‌——————————————————— 

પુસ્તકનાં  પ્રાપ્તિસ્થાન: 

– ગૂર્જર સાહિત્ય ભવન, 070-22144266, 22149260, મો. 9825268759 

– ‘ગ્રંથવિહાર’ પુસ્તક ભંડાર, ગુજરાતી સાહિત્ય પરિષદ, ટાઇમ્સ ઑફ ઇન્ડિયા પાછળ, આશ્રમ રોડ, અમદવાદ. સંપર્ક : 079 -2657949, મો. 98987 62263. રૂ.500/- 

30 જુલાઈ 2023
[1000 શબ્દો] 
[‘દિવ્ય ભાસ્કર’માં આજે આવેલા લેખનો ઉમેરણ સાથેની version]   
e.mail : sanjaysbhave@yahoo.com
સૌજન્ય : સંજયભાઈ ભાવેની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

...102030...1,0461,0471,0481,049...1,0601,0701,080...

Search by

Opinion

  • સત્ય, તથ્ય અને નિસબતનો દસ્તાવેજ એટલે ડાર્વિનની આત્મકથા
  • રાજનીતિમાં વૈચારિક સફાઈના આગ્રહી: પંડિત દીનદયાલ
  • દમ પતી જાય એને દંપતી કહેવાય 
  • સ્ક્રીનની પેલે પાર : જ્યારે ડિજિટલ એસ્કેપ મોતનો ગાળિયો બને ત્યારે
  • ચલ મન મુંબઈ નગરી—327 

Diaspora

  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !

Gandhiana

  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર

Poetry

  • સખીરી તારો એ હૂંફાળો સંગાથ …
  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.
  • ગઝલ
  • નહીં આવન, નહીં જાવન : એક  મનન 

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved