Opinion Magazine
Number of visits: 9563707
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

યુનિફોર્મ સિવિલ કોડનું સ્વાગત કરવું જોઇએ

રમેશ ઓઝા|Opinion - Opinion|2 July 2023

રમેશ ઓઝા

સમાન નાગરિક સંહિતા(યુનિફોર્મ સિવિલ કોડ)નો મુદ્દો સરકારે ઉપસ્થિત કર્યો છે. લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે, કર્નાટક વિધાનસભાની ચૂંટણીમાં કારમો પરાજય થયો છે, વિરોધ પક્ષો એકતા માટે પ્રયાસરત છે અને ભારતના સેક્યુલર નાગરિક સમાજે મેદાનમાં ઉતરવાનું શરૂ કર્યું છે ત્યારે એવો કોઈ પ્રશ્ન ઉપસ્થિતિ કરવો જરૂરી છે જે કોમી ધ્રુવીકરણ કરવામાં ઉપયોગી થાય. સરકારની ગણતરી એવી છે કે મુસ્લિમ મૌલવીઓ, તેમની ધાર્મિક સંસ્થાઓ, રૂઢિચુસ્ત પુરુષ મુસલમાનો સમાન નાગરિક સંહિતાનો વિરોધ કરશે અને પરિણામે મુસ્લિમ સમાજમાં સ્ત્રી-પુરુષ વચ્ચે લૈંગિક વિભાજન થશે. એ વાતમાં કોઈ શંકા નથી કે સમાન નાગરિક કાયદા મૂળભૂત રીતે સ્ત્રીઓને ન્યાય કરનારા છે. આ ઉપરાંત કેટલાક સેક્યુલર હિંદુ નાગરિકો અને રાજકીય પક્ષો પણ તેનો વિરોધ કરશે અને તેના દ્વારા રાજકીય ફાયદો થશે. વળી સમાન નાગરિક કાયદો બી.જે.પી.ના એજન્ડા પર ૧૯૮૭થી છે. આર્ટીકલ ૩૭૦, સમાન નાગરિક સંહિતા અને અયોધ્યામાં રામમંદિર એમ ત્રણ મુદ્દા બી.જે.પી.ના એજન્ડામાં ૩૫ વરસથી છે.

સરકાર સમાન નાગરિક સંહિતા માટે આગ્રહ કરે અને લાગુ કરવાનો પ્રયાસ કરે તો તે તેનો અધિકાર છે. ભરતનો પ્રત્યેક નાગરિક એક કાયદા દ્વારા શાસિત હોવો જોઈએ, કાયદા સામે દરેક સરખા અને પ્રત્યેક કાયદો ભેદભાવ વિના એક સરખો લાગુ થવો જોઈએ એમ બંધારણમાં પણ કહેવામાં આવ્યું છે. રહી વાત એક સમાન નાગરિક કાયદાઓની તો એ બાબતે બંધારણ ઘડનારાઓ માર્ગદર્શન આપીને ગયા છે કે ભવિષ્યમાં બને એટલી સત્વરે એને લાગુ કરવામાં આવે અને લાગુ કરી શકાય એવી અનુકૂળતા પેદા કરવામાં આવે.

અહીં સવાલ ઉપસ્થિત થાય છે કે શા માટે બંધારણ ઘડાયું ત્યારે જ દરેક ધર્મના અનુયાયીઓ માટે સમાન નાગરિક કાયદો લાગુ કરવામાં ન આવ્યો? બીજું નાગરિક કાયદા શું છે?

બીજો સવાલ પહેલાં હાથ ધરીએ.

અંગ્રેજો ભારતમાં આવ્યા ત્યારે ભારતમાં ન્યાયદાનની કોઈ એક સરખી જોગવાઈ નહોતી. લેખિત કાયદાઓ નહોતા અને પૂરા સમય કામ કરનારું ન્યાયતંત્ર પણ નહોતું. એક પ્રકારની અવ્યવસ્થા અને વિસંગતતા જોવા મળતી હતી. હવે અંગ્રેજોની પ્રતિષ્ઠા વ્યવસ્થા (ઓર્ડર) માટેની હતી અને તેના દ્વારા તો તેઓ ભારતની પ્રજાનો વિશ્વાસ સંપાદિત કરતા હતા એટલે તેમણે ન્યાયની પ્રક્રિયામાં એકસરખાપણું લાવવાનો પ્રયાસ કર્યો. પૂરો સમય કામ કરનારું ન્યાયતંત્ર વિકસાવ્યું અને કાયદાપોથીઓ તૈયાર કરી અર્થાત કાયદાઓને લેખિત સ્વરૂપ આપવા માંડ્યું. કાયદો લેખિત હોય તો અર્થઘટન કરવાની છૂટ મળે, કાયદાથી તદ્દન વિરુદ્ધ દિશામાં જવાની કોઈને છૂટ ન મળે. અંગ્રેજોએ ભેદભાવ વિના પ્રત્યેક ભારતીયનાં જીવન વ્યવહારને એક સરખા કાયદે બાંધી દીધો. પણ ધાર્મિક અને સામાજિક રીતિરિવાજોનું શું? અંગ્રેજો સામે વિકટ પ્રશ્ન ઉપસ્થિત થયો. લગ્ન, લગ્નવય, એકપત્ની કે બહુપત્ની, સગોત્રવિવાહ, છૂટાછેડા, પુનર્વિવાહ, પુત્રને દત્તક લેવો, કૌટુંબિક વારસો વગેરે બાબતે જે તે કોમના લોકોમાં અલગ અલગ રિવાજ હતા અને તેને કાં ધર્મની માન્યતા હતી અથવા સમાજની માન્યતા હતી. હવે આ રિવાજોને ભલે જે તે ધર્મની કે સમાજની માન્યતા હતી, પણ એ કોઈકને અન્યાય કરનારા હતા. ખાસ કરીને સ્ત્રીઓને અન્યાય કરનારા હતા.

અંગ્રેજોએ એમાં પણ એકસરખાપણું લાવવાનો પ્રયાસ કર્યો હતો, પણ એમાં તેમના હાથ દાઝ્યા, ૧૯૫૭માં વિદ્રોહ થયો એટલે તેમાં હસ્તક્ષેપ કરવાનું અંગ્રેજોએ પડતું મુક્યું. અંગ્રેજોને સમજાઈ ગયું કે આ સંવેદનશીલ મામલો છે.

અહી બે સ્પષ્ટતા કરવી જરૂરી છે. એક તો એ કે અલગ વૈયકતિક કે કૌટુંબિક કાયદાઓનો લાભ એકલા મુસલમાનોને નથી મળતો, પારસી સહિત ભારતની દરેક ધાર્મિક પ્રજાને મળે છે અને તેમાં આદિવાસીઓનો પણ સમાવેશ થાય. આદિવાસીઓ માટેના અલગ કાયદાઓ સામાજિક કાયદા (કસ્ટમરીઝ લો) તરીકે ઓળખાય છે.  બીજી સ્પષ્ટતા એ કે ભારતનો પ્રત્યેક નાગરિક ઉપર કહ્યા એ લગ્ન વગેરે કૌટુંબિક બાબતોને છોડીને બાકી દરેક બાબતે એક સરખા કાયદા દ્વારા શાસિત છે. બીજા શબ્દોમાં કહીએ તો લગભગ ૯૫ ટકા બાબતે યુનિફોર્મ લોઝ અંગ્રેજોના સમયથી લાગુ છે. માત્ર એક નાનકડી પૂંછડી બચી ગઈ છે.

એ સાવ નાનકડી પૂંછડી છે એટલે એનો અર્થ એવો નથી કે તે ધાર્મિક-સમાજિક રિવાજ આધારિત કાયદાઓ ટકી રહેવા જોઈએ. કારણ કે કોઈ રિવાજને પરિણામે જો કોઈને અન્યાય થતો હોય તો તેને ચલાવી ન લેવાય અને કૌટુંબિક કાયદાઓમાં મુખ્યત્વે સ્ત્રીઓને અન્યાય થાય છે. માટે તો નારીમુક્તિનું આંદોલન ચાલાવનારી મહિલાઓ કહે છે કે આ જે તે કોમની ધાર્મિક સ્વતંત્રતાનો પ્રશ્ન નથી, સ્ત્રીને મળવી જોઈતી સ્વતંત્રતાનો પ્રશ્ન છે, લૈંગિક ન્યાયનો પ્રશ્ન છે.

આગળ કહ્યું એમ અંગ્રેજોના હાથ દાઝ્યા એટલે અંગ્રેજોએ એમાં હસ્તક્ષેપ કરવાનું છોડી દીધું. હવે આઝાદી પછી બંધારણ ઘડનારાઓ સામે પ્રશ્ન આવ્યો કે કૌટુંબિક કાયદાઓનું શું કરવું? એ સ્ત્રીઓ માટે અન્યાયકારી છે એ પહેલી નિસ્બત હતી અને દેશનો પ્રત્યેક નાગરિક એક સરખા કાયદા દ્વારા શાસિત હોવો જોઈએ એ બીજી નિસ્બત હતી. પણ તેઓ પણ સમાન નાગરિક સંહિતા ઘડી શક્યા નહીં.

શા માટે? મુસલમાનોએ વિરોધ કર્યો હતો? નહીં. ભારતમાં રહેવાનું પસંદ કરનારા મુસલમાનો તો બિચારા વિભાજનને કારણે ઓશિયાળા હતા. બંધારણસભામાં એક મુસ્લિમ સભ્યે માગણી કરી હતી કે ભારતીય મુસલમાનો ઉપર સેક્યુલર લોઝ નહીં, શરિયતના કાયદા લાગુ થવા જોઈએ ત્યારે સરદાર વલ્લભભાઇ પટેલે તેમને કહ્યું હતું કે શરિયતનું શાસન જોઈતું હોય તો હજુ પણ પાકિસ્તાન જવાના દરવાજા ખુલ્લા છે. સરદારે આમ કહ્યું ત્યારે નેહરુએ તેમને વાર્યા નહોતા. મુસલમાનો યુનિફોર્મ સિવિલ કોડનો વિરોધ કરવાની સ્થિતિમાં જ નહોતા.

તો પછી વિરોધ કોણે કર્યો હતો? એ જ લોકોએ જેઓ અત્યારે યુનિફોર્મ સિવિલ કોડના મોટા હિમાયતી છે. કાયદા પ્રધાન ડૉ આંબેડકરે હિંદુ કોડ બિલ સંસદમાં રજૂ કર્યું ત્યારે રૂઢિચુસ્ત સનાતની કાઁગ્રેસી હિંદુઓએ તેનો વિરોધ કર્યો હતો. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ અને હિંદુ મહાસભા બહાર વિરોધ કરતા હતા અને રૂઢિચુસ્ત કાઁગ્રેસીઓ બંધારણસભા કમ સંસદમાં વિરોધ કરતા હતા. આનાં દ્વારા પરિવારો તૂટશે, ભાઈ-બહેન વચ્ચેનાં સંબંધો બગડશે, આ તો હિંદુ પુરુષને અન્યાય કરનાર છે, કારણ કે સ્ત્રીને બાપ, સસરા અને પતિ એમ ત્રણેયની મિલકતમાં ભાગ મળશે અને પુરુષને તો માત્ર એક જ સ્થળેથી. ટૂંકમાં આ બધી જોગવાઈ  હિંદુ પરિવારોમાં આગ ચાંપનારી છે. હજુ એક વાત. હિંદુઓમાં પરંપરાગત રિવાજ મુજબ સ્ત્રીને છૂટાછેડા લેવાનો અધિકાર નહોતો. હિંદુ કોડ બીલમાં હિંદુ સ્ત્રીને છૂટાછેડાનો અધિકાર આપવામાં આવ્યો તેનો પણ તેમણે વિરોધ કર્યો હતો. છેવટે ડૉ. આબેડકરે અકળાઈને રાજીનામું આપી દીધું. એ તો ભલું થજો જવાહરલાલ નેહરુનું કે તેમણે સમજાવી ફોસલાવીને અનુકૂળતા બનાવતા જઇને ટુકડે ટુકડે હિંદુ કોડ બીલ મંજૂર કરાવ્યું. ભારતની હિંદુ મહિલા નેહરુની ઋણી છે.

આનાં પ્રમાણ જોઈતાં હોય તો કળશી એક મળશે. સંપૂર્ણ આંબેડકર ખંડમાં મળશે, સંસદમાં થયેલી ચર્ચામાં મળશે અને આર.એસ.એસ.ના હિન્દી અને અંગ્રેજી મુખપત્રોમાં મળશે. ખુદ તપાસી જુઓ. તો પછી હવે શા માટે તેઓ યુનિફોર્મ સિવિલ કોડના હિમાયતી થઈ ગયા છે? મુસલમાનોને ઝૂડવા માટે અને દેશમાં કોમી ધ્રુવીકરણ પેદા કરવા માટે.

પણ સરકાર જો સમાન નાગરિક સંહિતા લાવવા માગતી હોય તો તેનું સ્વાગત કરવું જોઈએ અને કોઈ રાજકીય પક્ષે કે નાગરિક સમાજે તેનો વિરોધ કરવાની ભૂલ ન કરવી જોઈએ. છેવટે સ્ત્રીઓને ન્યાય મળવાનો છે.

પ્રગટ : ‘કારણ તારણ’, નામક લેખકની કટાર, ‘રસ રંગ પૂર્તિ’, “દિવ્ય ભાસ્કર”, 02 જુલાઈ 2023

Loading

ચલ મન મુંબઈ નગરી—203

દીપક મહેતા|Opinion - Opinion|1 July 2023

કૂવા કાંઠે પરોઢિયે પારસી પંચાયત      

સ્થળ : ભીખા બહેરામના કૂવા પાસે 

સમય : કોઈ પણ દિવસની સવારે ચાર વાગ્યે

પાત્રો : પારસીઓનાં પૂતળાં 

ભીખા બહેરામનો કૂવો – અગાઉ હતો તેવો  

ભીખા શેઠ : અરે રઘલા! આઈ સવારના પોરમાં બીડી ચૂસવા કાંઈ બેસી ગયો?

રઘલો : કાંઈ સેટ? ટૂ બી તાડીનું માટલું ઠોકીને જ આઇવો છ કની? 

ભીખા શેઠ : ચાલ, ચાલ, જલદી સફાઈ કરી નાખ. થોરી વારમાં સેથિયા લોક આવવા લાગશે.

રઘલો : પણ સેઠ! આઈ પૂતલાઓની પારસી પંચાત તેં અહીં કેમ રાખી છે, કોઈ સોજ્જી ફાઈવ સ્ટાર હોટલમાં રાખવાની હુતી.

ભીખા શેઠ : તને માલમ છે? આઈ કૂવો તે આખ્ખા મુંબઈ સહેરનું આજે બી જોવા મળતું જૂનામાં જૂનું બાંધકામ છે.

રઘલો : એની તને કેવી રીતે ખબર?

ભીખા શેઠ : કારણ આ કૂવો મેં બંધાવેલો.

રઘલો : શેઠ, તુ બી સુ ખાલી ટોપ ફોડે છ! હું જાના કે આ કૂવો તો તન સે વરસ જૂનો છે! લાગે છ કે આજે તુએ તાડી થોડી વધારે ઢીંચી નાખી છ. 

ભીખા શેઠ : નિ રઘલા. મારી વાત બરાબર સાંભળ. મારા બપાવા શેઠ ખરસેદજી પોંચાજી અસલ ભરૂચના. પોતાનું ભાયેગ અજમાવવા ઈ.સ. ૧૬૬૫ના અરસામાં વતન છોડી મુંબઈ આવવા નિકલા. એ વખતે મરેઠાએ ગુજરાત પર હલ્લો કીધો હૂતો. તેમના સૈનિકોને ખરસેદજી સેઠ સામી બાજુના જાસૂસ હશે તેવો વહેમ ગયો. એટલે તેમણે પકડીને વલહાડ પાસેના પાંડેરા ગઢમાં પૂરી દીધા. જો કે પછી ભૂલ સમજાઈ એટલે એવનને બાઇજ્જત બરી કરી દીધા. અને એવન મુંબઈ આવી પૂગા. ત્યારથી અમારા કુટુંબની અવટંક ‘પાંડેના’ પડી.

રઘલો : સેઠ! વાટતે, અત્તા તુઝી સટકલી આહે! હું બી વલહાડ પાસેના ગામનો છઉં. અને અમારા મલકમાં આ નામનો કોઈ કિલ્લો નથી. હા! એકુ ટેકરી પર ‘પાનેરા ગઢ’ નામનો નાલ્હો કિલ્લો છે ખરો.

ભીખા શેઠ : જો રઘલા, હું કંઈ વધુ જાણું નહિ. પારસીઓની તવારીખના મોટા જાણકાર શેઠ રતનજી ફરામજી વાછાએ સને ૧૮૭૪માં ‘મુંબઈનો બહાર’ નામે એકુ મોટ્ટી કિતાબ લખી હુતી. એવને જે લખ્યું છે તે મેં કીધું. બાકી સાચું-ખોટું તો પરવરદિગાર જાને. 

રઘલો : ભલે સેઠ! પણ મુંબઈમાં આવીને એ શેઠે કામ સુ કીધા?

ભીખા શેઠ : તેઓ મુંબઈ આવી પૂગા તારે મુંબઈમાં પોર્તુગીઝોનું રાજ ખતમ થયું હતું અને કંપની સરકારનું રાજ શુરૂ થયું હુતું. અને સરકારે નવો કોટ કહેતાં ફોર્ટ બાંધવાનું સુરુ કીધું હુતું. તે માટેના માલ-સામાન, બેગારી, વગેરે પૂરાઃ પાડવાનો કનત્રાક્ત શેઠને મળી ગયો અને એવન બે પાંદડે થયા. 

રઘલો : એ બધું તો હમજ્યો સેઠ! પણ આ કૂવો તેં ક્યારે બંધાવ્યો? કેમ બંધાવ્યો?

ભીખા શેઠ : જો રઘલા! કિલ્લાની અંદર આવેલી ઇન્ગ્રેજ બજારમાં મારી મોટ્ટી દુકાન હુતી. પરદેશી દારુ અને બીજી જણસો વેચવાનો મારો ધંધો. અંગ્રેજ ઘરાકોમાં હું ‘એક પ્રામાણિક દુકાનદાર’ તરીકે ઓળખાતો. આજે જ્યાં ચર્ચ ગેટ સ્ટેશન બંધાયેલું છે ત્યાં સુધી પહેલાં દરિયો હુતો. આ જે રાજાબાઈ ટાવર છે તેની પાછળ પણ હતો દરિયો. કિલ્લાના ત્રણ દરવાજામાંના એક ચર્ચ ગેટની બહાર દરિયા સુધી એક મોટું મેદાન હતું. તેમાં મોટ્ટી પવનચક્કી હુતી. એટલે લોક એને ‘પવનચક્કીનું મેદાન કહી બોલાવતા. પછી એ મેદાનના એક ખૂણા પર ‘નવી પોસ્ટ ઓફિસ’ની ઈમારત બંધાઈ. તેની સામેના ખૂણા પર મીઠા પાણીનો એક કૂવો હુતો. પણ સાવ બિસમાર હાલતમાં. એનું પાણી મધ જેવું મિઠ્ઠું! દરિયા કિનારા પર આવો કૂવો હોય એ એક મોટું અચરજ. મેં એ કૂવો સાફ કરાવ્યો, થાલું બંધાવ્યું. તેનું મિઠ્ઠું પાણી પીને દરિયા રસ્તે અને જમીન રસ્તે કોટ તરફ જતા-આવતા લોકો એનું પાણી પીને મને દુઆ દેતા. 

(થોડે દૂરથી મોટરની ઘરઘરાટી સંભળાય છે.)

રઘલો : શેઠ, તારા પાહુણા આવતા લાગે ચ.

ભીખાજી : તુને તો માલુમ ન હોય, પણ આપના આ શહેરમાં ૧૮૯૮ના વરસમાં પહેલવહેલી ચાર મોટર આવી હુતી. અને એ ચારે ચાર પારસીઓએ ખરીદેલી. એ ચારમાંના એક હતા તાતા એમ્પાયરનો પાયો નાખનાર સર જમશેદજી તાતા.

(કૂવાથી થોડે દૂર એક મોટર ઊભી રહે છે. સફેદ યુનિફોર્મ પહેરેલો ડ્રાઈવર પહેલાં ઊતરીને ડાબી બાજુનો પાછલો દરવાજો ખોલે છે. મોટરમાંથી ઊતરે છે સર જમશેદજી તાતા. ભીખાજી લગભગ દોટ મૂકે છે)

ભીખાજી : પધારો પધારો સર સાહેબ, પધારો. 

(એક પછી એક મહેમાનો આવતા જાય છે. ભીખાજી દરેકનું નમનતાઈથી સ્વાગત કરે છે. ચાંદીની તાસકમાં ગોઠવેલાં પાન-ગુલાબ લઈને બીજો એક નોકર ઊભો છે. ભીખાજી વારાફરતી દરેક મહેમાનને એ ધરે છે. બધા મહેમાનો સુખાસન પર ગોઠવાઈ ગયા પછી)

હોરમસજી કાવસજી દિનશાનું પૂતળું – ભીખા બહેરામના કૂવા પાસે 

ભીખાજી : વહાલા મહેમાનો!  આય કૂવાથી તદ્દન નજીક હોરમસજી કાવસજી દીનશાજી પૂતલા રૂપે બિરાજમાન છે એટલે પહેલાં એવણની ઓળખ આપું. ૧૮૫૭ના એપ્રિલની ચોથી તારીખે મુંબઈમાં જન્મ્યા. એલ્ફિન્સ્ટન કોલેજમાં ભણ્યા પછી લંડન ગયા. દિવસે જેમ્સ બાર્બર એન્ડ સન્સમાં કામ શીખતા, સાંજે કિન્ગ્ઝ કોલેજમાં ભણવા જતા. પછી ઠોરો વખત પેરિસમાં કામ કર્યું. ૨૨ વરસની ઉંમરે બાપની કંપનીમાં સિનિયર પાર્ટનર તરીકે જોડાયા. ધંધો ઘન્નો વધાર્યો. આમ્સ્તરડામ, લંડન, પેરિસ, માર્સેલ્સ, હેમબર્ગ, કોલંબો, જિનોઆ, અને ન્યૂ યોર્કમાં પોતાની કંપનીની શાખાઓ ખોલી. પિતા કાવસજીએ એડનના વિકાસ માટે ઘણું કામ કીધેલું. તેમના બેટાએ એ કામ ચાલુ રાખ્યું. એડનમાં એવણે પારસી બિરાદરો માટે અગિયારી બંધાવી, તો સાથોસાથ મુસ્લિમ બિરાદરો માટે મસ્જીદ પણ બંધાવી. એટલું જ નહિ, એ જમાનામાં એડનમાં એન્ગલો-ગુજરાતી સ્કૂલ શરૂ કરી અને તેના નિભાવ માટે એ જમાનામાં પચાસ હજાર રૂપિયાનું દાન આપ્યું. મુંબઈમાં તો એમના દાનનો પ્રવાહ સતત વહેતો રહ્યો. દાદરમાં પારસી કોલોની પાસેના એક રસ્તા સાથે તેમનું નામ જોડાયું. મિસ શેરૂ દિનશા સિધવાએ તૈયાર કરેલું એવનનું આદમકદ બાવલું ૧૯૪૯ના નવેમ્બરની ૩૦મી તારીખે આ કૂવા પાસે મુંબઈના ગવર્નરે ખુલ્લું મૂક્યું. તારદેવમાં એડનવાલા બાગની બહાર પણ એવનનું પૂતળું છે. ઘણું કમાયા, ઘણું આપ્યું. ૧૯૩૯ના ઓગસ્ટની પહેલી તારીખે બેહસ્તનશીન થયા.

હોરમસજી : એ બધું થયું તે તો પરવરદીગારની રહેમ નજરને કારણે. પણ સર જમશેદજી જીજીભાઈએ જે કાંઈ કીધું એની સામ્હે તો હું નાનકડો દીવો પણ નથી.

ભીખાજી : હોરમસજી શેઠ! સરસાહેબ તો પોતાને વિષે કાંઈ કહેશે નહિ. તમે જ એવનની વાત કરો ને!

આ ઘોડા ગાડી નથી, જમશેદજી તાતાની પહેલી મોટર છે  

હોરમસજી : આય મુંબઈ ગામમાં એવો બદનસીબ કોન હોશે જેણે જે.જે. હોસ્પિટલ કે જે.જે. સ્કૂલ ઓફ આર્ટસનું નામ બી નૈ સામ્ભલીયું હોય! આ અને આવી બીજી સંસ્થાઓ ઊભી થઈ તે શેઠ જમશેદજી જીજીભાઇની ઉદાર સખાવતોને કારણે. એવણનો જનમ મુંબઈમાં, ૧૭૮૩ના જુલાઈની ૧૫મી તારીખે. ૧૮૫૯માં, એપ્રિલની ૧૪મી તારીખે મુંબઈમાં જ ખોડાયજીને પ્યારા થઈ ગયા. એવણના બાવા મેરવાનજી સુરતમાં કાપડનો વેપાર કરતા. ૧૭૭૦માં વતન છોડી મુંબઈ આવ્યા. પણ એક જૂના નાટકનું ગીત મુને યાદ આવે છે :

ન જાણ્યું જાનકીનાથે, સવારે શું થશે કાલે?

જમશેદજી શેઠ હજી તો માંડ ૧૬ વરસના હુતા ને ખોડાયજીએ એવનનાં માઈ અને બાવા, બંનેને પોતાની પાસે બોલાવી લીધા. એટલે ગાંસડા-પોટલાં લઈને સિધાવ્યા માસા ફરામજી નસરવાનજી બત્તીવાલાને ઘેરે. આય બધી જફામાં ઝાઝું ભણી તો નહિ શક્યા, પણ સ્વભાવ સાહસિક. આપરા ઝવેરચંદ મેઘાણીએ ગાયું છે તેમ :

ઘટમાં ઘોડા થનગને, ને આતમ વિન્ઝે પાંખ,

અણદિઠેલી ભોમ પર યૌવાન માંડે આંખ. 

ભીખાજી : એટલે એવન પહેલાં ગયા કલકત્તા અને ત્યાંથી ચીન. એ વખતે નહોતી આગગાડી કે નહોતી આગબોટ. એ જમાનામાં હિન્દુસ્તાન અને ચીન વચ્ચે અફીણ અને કાપૂસનો ધીકતો ધંધો. એમાં પડ્યા. પછી તો બીજી ત્રણ વાર ચીનની મુસાફરી કરી. ૧૮૦૩માં માસાની દીકરી આવાબાઇ સાથે અદારાયા. તમુને સહુને તો માલુમ છે જ કે આપના પારસીઓમાં આવાં લગનનો બાધ નથી. કમાયા બી એવું કે પોતાનો માલ ચીન મોકલવા છ બારકસ વેચાતાં લીધાં. 

હોરમસજી : પહેલાં કર્મવીર બન્યા, પછી દાનવીર. હિંદુ, મુસ્લિમ, પારસી ખ્રિસ્તીના ભેદભાવ વગર દાન કરતા ગયા. કૂવા, તળાવ, રસ્તા, પૂલ બંધાવ્યાં. દોઢ લાખ રૂપિયાને ખર્ચે મુંબઈના બેલાસિસ રોડ પર સર જે.જે. ધરમશાળા બંધાવી. અને હા, તે ફક્ત પારસીઓ માટે નથી. ન્યાતજાત કે ધરમના ભેદ વિના હર કોઈ જરૂરતમંદને એ રોટી, કપડાં, આશરો જ નહિ, દવાઓ પણ આપે છે. એ જ્યારે શરૂ થઈ ત્યારે આખા એશિયા ખંડમાં આ જાતની એ પહેલવહેલી સંસ્થા હતી. પોતાની ‘જમશેદજી જીજીભાઈની કંપની’ કાઢી ત્યારે તેમાં બીજા બે ભાગિયા હતા મોતીચંદ અમીચંદ અને મહમદલી રોગે. મૂગા પ્રાણીઓ માટે પણ એવણના મનમાં હમદર્દી હતી. તેમની સારસંભાળ માટે જગન્નાથ શંકરશેટ, મોતીચંદ અમીચંદ, કાવસજી પટેલની સાથે મળીને એવણે ૧૮૩૪ના ઓક્ટોબરની ૧૮મી તારીખે બોમ્બે પાંજરાપોળ શરૂ કરી. બ્રિટિશ સરકારે તેમની સેવાઓની કદર કરીને ૧૮૪૨માં ‘નાઈટ’ બનાવ્યા અને ૧૮૫૭માં ‘બેરોનેટ’. હિન્દુસ્તાનમાં આવું સન્માન મેળવનારા એવન પહેલવહેલા હતા.

ભીખાજી : જમશેદજી શેઠ બેહસ્તનશીન થયા તે દિવસે સવારે તેમના બંગલાની બહાર લોકો મોટ્ટી સંખ્યામાં ભેગા થયા હતા. એકેએક પારસીએ પોતાનો ધંધો-રોજગાર બંધ રાખી અણોજો પાળ્યો હતો. પારસી નોકરોને સરકારે પૂરા પગારે રજા આપી હતી. ઘની બેંકો બપોર પછી બંધ રહી હતી અને મુંબઈના બારામાં રહેલાં બારકસોએ પોતાનો ઝંડો અડધી કાઠીએ ઉતાર્યો હતો.

ઓવલ મેદાનની ધારે સર જમશેદજી જીજીભાઈનું પૂતળું 

હોરમસજી : જમશેદજી શેઠની દિલાવરીનો જવાબ મુંબઈ શહેરે બી એવી જ દિલાવારીથી આપ્યો. આજે પણ આય શેરમાં એવનનાં એક નહિ, બે નહિ, ત્રણ પૂતલાં છે : પહેલું તે આપણે બેઠા છીએ તેનાથી થોડે છેટે, ઓવલના મેદાનની ધાર પર આવેલું કાંસાનું પૂતળું. બીજું તે એશિયાટિક સોસાયટીના મકાનમાં આવેલું આરસનું, અને જે.જે. હોસ્પિટલમાં છે તે ત્રીજું પૂતળું. અને જે.જે. સ્કૂલ ઓફ આર્ટસમાં છે તેમનું મોટ્ટું પોર્ટ્રેટ.

ભીખાજી: માનવંતા મહેમાનો! પારસી પૂતળાં પંચાયતની બીજી બેઠક આવતા શનિવારે.

e.mail: deepakbmehta@gmail.com

xxx xxx xxx

(પ્રગટ : “ગુજરાતી મિડ–ડે”; 01 જુલાઈ 2023)

Loading

વાલમ સાંભરે

ચૈતન્ય જોષી 'દીપક'|Opinion - Opinion|1 July 2023

વરસે વાદલડી ઝરમર, સખી મને વાલમ સાંભરે.

યાદે જીવ થાય અધ્ધર, સખી મને વાલમ સાંભરે.

કરી મેઘગર્જનાને કડાકાભડાકા સંભળાતા કેવા !

જાણે એના ક્રોધની અસર, સખી મને વાલમ સાંભરે.

મીઠી માદક ધરાની માટીની સુગંધ મનમોહક કેટલી!

રખે વાલમના અંગે અત્તર, સખી મને વાલમ સાંભરે.

ચમકે દામિની ઉજાસ કેટકેટલો ફેલાવતી નભમાં,

રખે અંધકારમાં થયો હાજર, સખી મને વાલમ સાંભરે.

વહેતાં વારિ ખળખળ ધરાની શોભાને વધારનારાં,

મળી મુખ મુસ્કાની ખબર, સખી મને વાલમ સાંભરે.

વિરમતાં વર્ષા રવિ ઉદયે વ્યોમે ઈન્દ્રધનુ સંમુખ હો,

સપ્તરંગી હોય હેતનું નગર, સખી મને વાલમ સાંભરે.

મેડકરવ નિશાસંગે કર્કશ કરી કાનાફૂસી રખે કરતાં,

શકે હશે એ પ્રેમપંથનો કર, સખી મને વાલમ સાંભરે.

પોરબંદર
e.mail : chaitanyajc555@gmail.com

Loading

...102030...1,0461,0471,0481,049...1,0601,0701,080...

Search by

Opinion

  • કિસ : એક સ્પર્શ જેમાં મિલનની મીઠાશ અને વિદાયની વ્યથા છુપાયેલી છે
  • આને કહેવાય ગોદી મીડિયા!
  • ‘ધુરંધર’માં ધૂંધળું શું?: જ્યારે સિનેમા માત્ર ઇતિહાસ નહીં પણ ભૂગોળ બદલે ત્યારે …
  • લક્ષ્મીથી લેક્મે સુધી : ભારતીય સૌન્દર્ય જગતમાં સિમોન ટાટાની અનોખી કહાની
  • મનરેગા : ગોડસે ગેંગને હેરાન કરતો પોતડીધારી ડોસો

Diaspora

  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ

Gandhiana

  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા
  • ઋષિપરંપરાના બે આધુનિક ચહેરા 

Poetry

  • કક્કો ઘૂંટ્યો …
  • રાખો..
  • ગઝલ
  • ગઝલ 
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved