Opinion Magazine
Number of visits: 9458193
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

સિદ્ધિવંતા મહિલા માધ્યમકર્મીનું મેઘધનુષી જીવન

સંજય સ્વાતિ ભાવે|Opinion - Opinion|10 April 2023

પુસ્તક પરિચય

‘વસુબહેન એટલે વસુબહેન’, સંપાદક: ડૉ. રૂપા મહેતા, પ્રકાશક : ઝેન ઓપસ, અમદાવાદ, માર્ચ 2023,કિ. રૂ. 300/- 

જાજરમાન વ્યક્તિત્વ, રેડિયો પ્રસારણ ક્ષેત્રના કર્તૃત્વ અને સ્વાનંદી જીવનને કારણે વસુબહેન (1924 -2020) એક જમાનામાં સેલિબ્રિટી હતાં. છેક સાઠના દાયકાથી પોતાના નામની આગળ પાછળ કશું જ નહીં લગાવવાનો તેમનો ક્રાન્તિકારી નિર્ણય તેમના સ્વતંત્ર વ્યક્તિત્વનું સ્ટેટમેન્ટ હતું.

વ્યક્તિગત કે વ્યાવસાયિક રીતે તેમના સંપર્કમાં આવનાર અનેક લોકો વસુબહેનના દેહના સૌંદર્ય, મનના ઐશ્વર્ય અને જાહેર  જીવનના કર્તવ્યથી પ્રભાવિત થઈને તેમને હંમેશાં યાદ કરતા.

તેમાંથી કેટલીક વ્યક્તિઓએ લખેલાં વસુબહેન વિશેનાં સંભારણાંનું ‘વસુબહેન એટલે વસુબહેન’ નામનું પુસ્તક તેમના જન્માશતાબ્દી વર્ષના આરંભદિન 23 માર્ચે સૂઝપૂર્વક યોજાયેલા સમારંભમાં પ્રકટ થયું.

આ સ્મરણ-સંચયનું સંપાદન વસુબહેન સાથે ‘દોસ્તી’ અને ‘ભગિનિત્વ’ અનુભવનારાં દૂરદર્શનના ઉચ્ચ પૂર્વ અધિકારી અને કાર્યક્રમ નિર્માતા ડૉ. રૂપા મહેતાએ કર્યું છે. વસુબહેનના ‘ચાહક અને ભાવક’ એવા નિવડેલા રેડિયોકર્મીઓ તુષાર શુક્લ અને જયેશ પંડ્યાએ તેમને મદદ કરી છે. 

પુસ્તકના 43 લેખકોમાં વસુબહેનના કાર્યકાળમાં કામ કરી ચૂકેલા પ્રસારણકર્મીઓ ઉપરાંત રેડિયો પ્રોગ્રામ્સ નિમિત્તે તેમનો અનુભવોને યાદ કરનારા બેએક પેઢીના સંગીતકારો, નૃત્યકારો, લેખકો, કવિઓ અને શિક્ષણવિદો છે. વસુબહેનના સેવક અને સ્વજનોએ પણ તેમને યાદ કર્યા છે.

પુસ્તકના 164 પાનાંમાંથી છેલ્લાં ફર્મામાં ચરિત્રનાયિકાના સંગ્રહના ચાળીસ આલબમોમાંથી પસંદ કરેલી છત્રીસ તસવીરો છે પુસ્તકની મિરાત છે. 

ફોટોગ્રાફમાં જોવા મળતાં વસુબહેનનનાં લાવણ્યને ચાહકોએ શબ્દોમાં મૂકી આપ્યું છે  : ‘ગ્રીસની સૌંદર્યદેવી વિનસનું સ્મરણ કરાવે તેવી ઊંચી દેહયષ્ટિ’, ‘ગૌર મોહક ચહેરો અને હરણી જેવી આંખો’, ‘સાઠ વર્ષની ઉંમરે પણ ગળાની ત્વચામાં ચમક જળવાયેલી’, ઠસ્સો અને ઠમકો, ‘દમામે-સામાજ્ઞી મિજાજે-સમ્રાટ’, ‘સરસ રીતે પહેરેલી ગુજરાતી સાડી, આત્મવિશ્વાસથી છલોછલ’. ‘જે પહેરે એને શોભાવે. પાસે ચાલતાં હોય એ ઝાંખા પડે’, ‘જોતાં જ ગમી જાય તેવાં’.

‘રસિલું, રંગિલું અને ખડખડાટ હાસ્યવાળું જીવન’. મિત્રો અને મહેફિલ, ઉજવણા અને ઉજાણીઓ, લાડ અને જલસા તેમની જિંદગીનો હિસ્સો. સેવક પાર્વતી બહેનના લેખમાંથી બહેનને ભાવતી વાનગીઓની લાંબી યાદી બનાવી શકાય.

મોટે ભાગે બધાંને ‘દોસ્ત’ કે ‘પ્રભુ’ કહીને સંબોધે, પીઠમાં ધબ્બો મારે. તેમને ખૂબ ગમતાં કેસુડાં અને તેમનું સોહામણું રૂપ પુસ્તકના સરસ મુખપૃષ્ઠને શોભાવે છે.

અલબત્ત, વધુ પ્રસ્તુત છે તે રેડિયો પ્રસારણ ક્ષેત્રે વસુબહેનનું પ્રદાન. તેમણે 1949થી તેંત્રીસ વર્ષ આકાશવાણીના જુદાજુદા વિભાગોમાં સર્જનાત્મક રીતે કામ કર્યું, અમદાવાદ-વડોદરા અને રાજકોટ કેન્દ્રના વડાં રહ્યાં. તેઓ ‘આકાશવાણીના પહેલાં મહિલા કેન્દ્ર નિયામક’ હતાં. સંપાદક નોંધે છે કે લોકપ્રિય અને પ્રાણવાન પ્રસારમાધ્યમમાં ‘સંવેદનશીલ અને સમજદાર પ્રસારકર્મી’ તરીકે તેમણે ‘સર્જનાત્મક અને નિર્ણાયાત્મક ભૂમિકા’ પાર પાડી. ‘સમાજ, કલા, સંસ્કૃતિને આકાશવાણી સાથે જોડતી કડી’ બન્યાં.

તેમણે ‘આકશવાણીને પ્રજાની વચ્ચે મૂકી આપ્યું’ તેની વાત ભદ્રાયુ વચ્છરાજાનીએ માંડી છે. તુષાર શુક્લ નિરૂપે છે કે તેમણે ‘અમદાવાદ આકાશવાણીને …. નવી ઓળખ આપી’. રઘુવીર ચૌધરીના મતે તેમણે તમામ કાર્યક્રમોમાં ‘વ્યાપક શિક્ષણની દૃષ્ટિ’ રાખી હતી. કેળવણીકાર ગુલાબભાઈ જાની પણ  બીજાં કેટલાંક લેખકોની જેમ વસુબહેને કરેલાં બાળકો, મહિલાજાગૃતિ અને સમાજકલ્યાણના કાર્યક્રમોનો ઉલ્લેખ કરે છે.

વળી તેમની જેમ રજનીકુમાર પંડ્યા પણ ‘સૌરાષ્ટ્ર અને સાગરકાંઠાની ગ્રામીણ સંસ્કૃતિને આકાશવાણી દ્વારા પ્રસારિત કરીને સંગોપી લીધી’ એમ જણાવે છે. યજ્ઞેશ દવે નોંધે છે : ‘સૌરાષ્ટ્રના ધ્વનિમુદ્રિત સાંસ્કૃતિક વારસાને કાળસંદૂક રૂપે જમીનમાં દાટી તેને સુરક્ષિત રાખવાનો વિચાર પણ વસુબહેનનો.’ 

ગુજરાતમાં નવનિર્માણ આંદોલનના દિવસોમાં ‘યુવવાણી’માં  ‘યુવાસહજ  આક્રોશ’ ધરાવતો કાર્યક્રમ પ્રસારિત કરીને વસુબહેને મુખ્યમંત્રી ચીમનભાઈનો ખોફ વહોર્યો હોવાનો કિસ્સો મનીષી જાની વર્ણવે છે.

આકાશવાણીમાં ચાલતી અમલદારશાહીમાં સર્જનાત્મકતા નડતા અવરોધો સાથે તેમણે પોતાના દમામ અને ચાતુરીથી કેવી રીતે કામ પાડ્યું તેના પ્રસંગો અહીં છે. એક નવરાત્રીએ અને હોળીએ તેમણે રડિયો માટે ખુલ્લાં મેદાનમાં, રીપિટ ખુલ્લાં મેદાનમાં, કરાવેલાં ‘હે મા ત્વમેવ સર્વમ’ અને ‘રંગ દે ચુનરિયા’ નામના ભવ્ય કાર્યક્રમોને પુસ્તકમાં અધઝાઝેરા લેખકોએ યાદ કર્યા છે.

આકાશવાણીના નિરસ વાસ્તુઓમાંને તેમણે સૌંદર્ય આપ્યું એ પણ તેમનું પ્રદાન. તેમને વૉઇસ ઑફ અમેરિકા અને બી.બી.સી. એ મુલાકાત માટે આમંત્રેલાં.

અનેક જાહેર સંસ્થાઓ સાથે સંકળાયેલા વસુબહેને ગુજરાત સ્ત્રી કેળવણી મંડળમાં કરેલાં કામ વિશે સંસ્થાના અત્યારના મંત્રી ચાન્દ્રિકાબહેન રાવળના ‘મૅનજમેન્ટ ગુરુ’ અને લેખમાંથી મળે છે. રતુબહેન રોહડિયાના લેખમાંથી મહિલા જાગૃતિ અંગેના તેમના કાર્યનો નિર્દેશ મળે છે.

કેટલીક નોખી સાંભરણો છે. ઇલાબહેન ભટ્ટ જણાવે છે મજૂર મહાજને તેમને કરેલાં અન્યાયની વિરુદ્ધ રેડિયો પર  જાહેરમાં બોલીને ઇલાબહેનને ટેકો આપનાર માત્ર વસુબહેન હતાં.

બીજા એક  સ્નેહી નોંધે છે કે તેમણે રેલવેના વિધાઉટ રિઝર્વેશન ડબ્બામાં બહેનપણીઓ સાથે ઝભ્ભો-લેંઘો પહેરીને ભારતભ્રમણ કરેલું.

મા ત્વમેવ સર્વમ કાર્યક્રમ માટે તેઓ એક મંદિરમાંથી ક્યારે ય બહાર ન નીકળી હોય તેવી પાલખી લઈ આવ્યાં હતાં.

રક્ષાબંધનને દિવસે ચલાવેલાં મરસિયાં પરના ‘અશ્રુગીતો’ કાર્યક્રમની કેટલાક શ્રોતાઓ પર એવી  વિપરિત માનસિક અસર પડી કે તેનું પ્રસારણ અધવચ્ચે અટકાવી દેવું પડ્યું હતું.

તેમના ઘરે ચોરી કરતાં પકડાયેલાં ચોરને તેમણે ચા પિવડાવી હતી અને તેને છોડી દેવાની પોલીસને ભલામણ કરી હતી.

સાઠ વર્ષની ઉંમરે તેમણે કરેલો ‘રતનબાઈ ઠમકો કરો’ નામનો અઢી કલાકનો એકપાત્રી નાટ્યપ્રયોગ ભજવ્યો હતો !

જીવનનાં આખરી વર્ષોની વિવશ દશામાં તેમની સાથે રહેનાર પાર્વતીબહેન લખે છે : ‘હવે મને પસ્તાવો થાય છે મેં લગ્ન નથી કર્યાં. જો લગ્ન કર્યાં હોત તો મારો પરિવાર હોત તો મને પણ આનંદ થાત, ને મારું પોતાનું કોઈ છે એવું લાગત’.

ગુજરાતના મહિલા સામર્થ્યનો પ્રવાહ ઓગણીસમી સદીના હરકુંવર શેઠાણી તેમ જ લક્ષ્મીબહેન ડોસાણીથી લઈને ગાંધીયુગમાં થઈને ઇલાબહેન પાઠક તેમ જ ભટ્ટ અને અત્યાર સુધી ચાલતો રહ્યો છે. તેમાં વસુબહેનને ક્યાં મૂકવા તે સમાજશાસ્ત્રના અભ્યાસીઓ માટે રસપ્રદ ચર્ચા બની શકે.

સહેજે એક સરખામાણી મનમાં આવે : ઉષાબહેન મહેતા (1920-2000) વસુબહેનના સમકાલીન. તેમણે પણ રેડિયો માધ્યમનો જ ઉપયોગ કર્યો. તેમણે અને સાથીઓએ ચલાવેલા ભૂગર્ભ રેડિયોના આઝાદીની લડતમાં પ્રદાન વિશે ઉષાબહેન ઠક્કરે Congress Radio: Usha Mehta and the Underground Radio Station of 1942 નામનું પુસ્તક લખ્યું છે.

વસુબહેને આઝાદીની લડત માટેની તેમની પૅશનને વ્યક્ત કરતો ‘વેદના વેઠી ન જાય’ નામનો 1942 માં  લખેલો લેખ પુસ્તકમાં વાંચવા મળે છે.         

તાજેતરમાં, રેડિયો માધ્યમને લગતાં ‘સાદિકનામા : સાદિક નૂર પઠાન’ અને કલ્પના પાલખીવાલાનું ‘આકાશવાણી સમાચાર આપે છે ’ પુસ્તકો પ્રસિદ્ધ થયાં હોવાનું જણવા મળે છે, જે  ગુજરાતી  પ્રકાશન પ્રવૃત્તિ અને વાચકો માટે રસપ્રદ બાબત છે.

વસુબહેને વિજાતીય સભાનતામાંથી તેમણે આત્મકેળવણીથી મુકિત મેળવેલી એમ રઘુવીર ચૌધરી નોંધે છે. સ્વાતિ જોશી સમજાવે  છે કે ‘એક સ્વતંત્ર સ્રી હોવું એટલે શું તે તો તેમણે તેમના જીવનથી જીવી બતાવ્યું.’

જો કે આ વિશિષ્ટ માધ્યમકર્મીના અવસાનની ભાગ્યે જ કોઈ નોંધ માધ્યમોમાં આવી હતી !

-X-X-X-X-X-

pastedGraphic.png

 પ્રાપ્તિસ્થાન : ‘ગ્રંથવિહાર’, ગુજરાતી સાહિત્ય પરિષદ, ‘ટાઇમ્સ ઑફ ઇન્ડિયા’ની પાછળ, આશ્રમ રોડ, અમદાવાદ : 079-26587949                                  

09 એપ્રિલ 2023
[900 શબ્દો : ‘દિવ્ય ભાસ્કર’માં આજે આવેલા પુસ્તક પરિચયમાં થોડાંક ઉમેરણ સાથેનો લેખ
e.mail : sanjaysbhave@yahoo.com
સૌજન્ય : સંજયભાઈ ભાવેની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

ઓનલાઈન જુગાર રમત છે ને ઓફલાઈન રમત જુગાર છે …

રવીન્દ્ર પારેખ|Opinion - Opinion|10 April 2023

રવીન્દ્ર પારેખ

આપણા ફિલ્મી કલાકારો, ક્રિકેટવીરો એટલા લોકપ્રિય છે કે એ કંઇ પણ બોલે, ખાય-પીએ તો તેને મોટે ભાગના ચાહકો માનતા-સ્વીકારતા હોય છે, એમાં જો કોઈ કલાકાર નબળી વસ્તુની જાહેરાત કરતો હોય તો તેને પણ તેઓ બ્લાઇન્ડલી ફોલો કરતા હોય છે. એક જાહેરાતમાં ફિલ્મી કલાકાર સિગારેટ ન પીવાની સલાહ આપે તો તે દર્શકો બહુ ધ્યાને નથી લેતા, પણ ત્રણ ત્રણ એક્ટરો પાન મસાલાની જાહેરાત કરે કે લેટેસ્ટ હીરો મોઢામાં મસાલો ઓરતા દેખાય તો ઘણા લલ્લુઓ જગતમાં બીજું કશું ખાવાનું બચ્યું જ ન હોય એમ હોજરીમાં પાન મસાલો ઓરતા રહે છે. આમ તમાકુ કે તેની બનાવટો જીવલેણ ને ઘાતક બીમારીઓ ફેલાવે છે તેની જાહેરાતો સરકાર છાશવારે કરતી રહે છે, પણ તમાકુ પર પ્રતિબંધ એટલે મૂકી શકતી નથી, કારણ બીમારીઓની જાહેરાતોનો ખર્ચો નીકળી ગયા પછી પણ સરકારને તમાકુ ઉત્પાદનોમાંથી ડ્યૂટી ને ટેક્સમાંથી ભરપેટ કમાણી થાય છે. તેવું ન હોય તો તમાકુ ને તેનાં ઉત્પાદનો પર પ્રતિબંધ મૂકતાં સરકારને કોણ રોકે છે?

એ અત્યંત દુ:ખદ છે કે સરકાર પ્રજાના સ્વાસ્થ્ય માટે જેટલો ખર્ચ કરે છે એથી વધુ આવક સ્વાસ્થ્યને હાનિ કરતી બાબતોમાંથી મેળવે છે. સરકારમાં જ વેપારની આટલી કુનેહ હોય તો પ્રજા છેતરપિંડી અને લુચ્ચાઈથી કમાણી કરે એમાં નવાઈ નથી. આપણા મોટેભાગના કલાકારો, રમતવીરો એક બાજુએ આદર્શો સ્થાપતા હોય, દાનધરમ કરતાં હોય, સેવાકીય સંસ્થાનોમાં દાન આપતાં હોય ને બીજી તરફ લોકોની જિંદગી જોડે ઘાતકી રમત રમતાં હોય કે તેમને આડે માર્ગે ચડાવતા હોય તો થાય કે આ કલાકારોનું સાચું રૂપ કયું છે? સેવા કે મેવા? કે બન્ને? વારુ, આ કલાકારો ને રમતવીરો એટલા ગરીબ નથી જ કે પૈસાને માટે તેમણે આટલા લાચાર થવું પડે? જે તે ક્ષેત્રમાંથી અબજો રૂપિયા એમણે મેળવ્યા જ હોય છે, એમની પોતાની હોટેલો, દુકાનોની ચેઈન ચાલતી હોય છે, નાની મોટી કંપનીઓ નામે બોલતી હોય છે, પછી પણ માત્ર વધુ પૈસા માટે લોકોની જિંદગી જોડે રમવાનો તેમનો જીવ કેમનોક ચાલતો હશે એ નથી સમજાતું. આમ તો એમનો પણ ઉપયોગ જ થતો હોય છે ને પૈસાની લાલચે એ લોકો એમનો ઉપયોગ થવા પણ દે છે.

એક જમાનામાં પાનાંની રમત બહુ પ્રચલિત હતી. એ પછી એ બંધ ઓરડામાં ને ક્લબોમાં રમાતી થઇ. એનાં પર પૈસા મુકાતા થયા. રમી, તીનપતી ને બીજી અનેક રમતો, પાનાં વગર પણ રમાતી થઇ. એમાં મોટી રકમનો જુગાર, સટ્ટો પણ ખેલાતો થયો. બધું હોડમાં મુકાતું થયું. દાવમાં સંપત્તિ ઉપરાંત સ્ત્રી પણ મુકાતી થઇ ને એ સિલસિલો આજ પર્યંત ચાલે છે. જન્માષ્ટમીએ જુગારનું અનેરું મહત્ત્વ છે. એ વાત પોલીસો પણ જાણે છે ને જુગારના અડ્ડાઓ પર દરોડા પાડીને પોલીસ લાખોનો માલ જપ્ત કરે છે. જુગાર ગેરકાનૂની છે એટલે કોઈ જુગાર રમતાં પકડાય છે તો તેનાં પર કાનૂની રાહે કામ ચલાવવામાં આવે છે. એ સારું જ છે કે જુગારની બદી નાબૂદ કરવા સરકાર ગુનેગારો સામે કાનૂની રાહે કામ ચલાવે. ઘરમાં રમાતા જુગારમાં પોલીસ કે જીતનાર કમાય છે, પણ સરકારને એમાં ખાસ મળતર નથી. એનો રસ્તો સરકારે કદાચ ઓનલાઈન રમતોમાંથી કાઢ્યો. ઓનલાઈને, શિક્ષણમાં અખતરા કર્યા ને રમતોમાં ખતરા ઊભા કર્યા. પબ્જી, બ્લુ વ્હેલ જેવી રમતોમાં પૈસાની લેવડદેવડ ન હતી, છતાં એનું એવું જીવલેણ ખેંચાણ ઊભું થયું કે સેંકડો લોકો પર આ રમતે જીવનું જોખમ ઊભું કર્યું. એનો એવો પ્રભાવ પડ્યો કે ઘણાંના જીવ પડીકે બંધાયા. કોરોનાએ ઓનલાઈનની એવી સગવડો ઊભી કરી કે ઘરમાં બેઠાંબેઠાં જ ટ્રાન્જેક્શન્સ થવાં લાગ્યાં. એમાં સાયબર ક્રાઈમ્સ વધ્યા ને સેકન્ડોમાં ઘણાં ખાતાં છેતરીને ખાલી કરી દેવાયાં, તો રમતોનો એવો ચસ્કો લોકોને લાગ્યો કે રાતોરાત કરોડપતિ થવાની લ્હાયમાં હતું તે પણ ગુમાવવાનો વારો આવ્યો.

રમી, જંગલી રમી, ડ્રીમ ઈલેવન જેવી ઘણી રમતો રોગચાળાની જેમ ફેલાઈ. બેચાર જીતનારના વીડિયો એવી રીતે અપલોડ થયા કે સાધારણ માણસ પણ થોડી રકમ દાવ પર લગાવીને રાતોરાત લખપતિ થવા લલચાયો. રમનારને લલચાવવા લાખો રૂપિયાની, આખા આખા પાનાંની જાહેરાતો આપવામાં આવી. સેટિંગ એવી રીતે થયું કે રમનારનું શરૂઆતમાં જીતવાનું પણ થયું. એ જીત હતી જ નહીં, પણ જીતાડવાની યોજના જ હતી, જેથી વધુ મેળવવાની લાલચ વધે ને માણસ કાવતરાંમાં ફસાય. આ જુગાર જ હતો ને જુગારમાં હેતુ જીતાડવાનો દેખાડાય તો પણ, છેવટે તો હરાવવાનું નિશ્ચિત જ હોય છે. આ બધું ઓનલાઈન અને જુગાર નહીં, એવી રીતે ચાલ્યું. આ ધંધો ચાલે એ માટે એનો પ્રચાર એકટરો, ક્રિકેટરો દ્વારા એવી રીતે થયો કે સાધારણ માણસ સામે ચાલીને ચામડી છોલાવવા હોંશે હોંશે તૈયાર થાય. એમાં યુવાનોને એવી લત લગાવવામાં આવી કે માથે મોટી રકમ ચડે ને છેવટે જીવ આપવા સિવાય કોઈ આરો ન રહે. આ આગમાં વધુ ને વધુ લોકો સંડોવાય એ માટે પ્રચારમાં ફિલ્મી કલાકારો વપરાયા ને એમણે પૈસાની લાલચે હજારો હજારો લોકોનો ભોગ લેવાનું દુષ્કર્મ કર્યું.

એ ઓછું હતું તે ડ્રીમ 11ને નામે ઓનલાઈન ક્રિકેટમાં યુવાનોને સંડોવવાનું બીજું કાવતરું થયું. રમનારાઓ પાસે ટીમ પસંદ કરાવીને સામે બીજી અજાણ ટીમ સાથે ક્રિકેટ રમાડવાનું શરૂ થયું. એમાં કોણ જીત્યું તે તો ખબર પડે એમ ન હતું, પણ રમનારે સરવાળે હારવાનું ને પૈસા ગુમાવવાનું નક્કી હતું. ડિજિટલ થવામાં ખોટ પણ મોટી જ હતી. આવી એપ્લિકેશનો ડાહી એટલી હોય છે કે તે બહુ નજરે ન પડે એ રીતે લેખિતમાં ચેતવે છે – જેમ કે આવી રમતો જોખમોને આધીન છે, પણ એપ ખોલતાં જ બધું ભુલાઇ જાય છે. ઘણાને એ ખબર હોય છે કે આમાં હાથ ભાગ્યે જ કંઇ લાગે છે, છતાં જોખમ ખેડવાનું ચુકાતું નથી, કારણ, ન ચુકાય એવું ભારે ખેંચાણ ઊભું કરાતું હોય છે.

ભારતમાં ક્રિકેટ લગભગ બારમાસી રમત થઇ ગઈ છે. અત્યારે તો આઇ.પી.એલ.ની મોસમ બેઠી છે. એની સમાંતરે ટીમ બનાવીને રમત રમવાની એપ્લિકેશનોની પણ ઋતુ ચાલે છે. ક્રિકેટ પર તો આમ પણ સટ્ટો રમાડવાની નવાઈ નથી. મેચ ફિક્સિંગના કિસ્સાઓ પણ અજાણ્યા નથી. આ બધું આઈ.પી.એલ.માં જુદી જ ઉત્તેજના ફેલાવે છે. એ બધાંનું પરિણામ તો યુવાનોને માનસિક રીતે મુશ્કેલીમાં મૂકવામાં જ આવે છે. એમાં હાઈટ તો ત્યારે આવે છે જ્યારે વડીલો પણ એનો શિકાર થતા હોય. સંતાન હોય તો તેનો ઈલાજ પણ થાય, પણ વડીલો જ ભોગ બને તો તેનો ઉકેલ ક્યાં શોધવો? આવી એપ્સ ક્રિકેટ માટે જ છે, એવું નથી. અનેક રમતોનો જુગાર ખેલાય છે. કેસિનો પર પહોંચ્યા વગર પણ ઓનલાઈન ખેલ પડે છે. જો કે, સરકારને એની બહુ ખબર હોતી નથી. સરકાર એટલી ભોળી છે કે ઘોડા ભગાડી મૂક્યા પછી એ તબેલો બંધ કરવાનો વિચાર કરે છે.

ત્રણેક દિવસ પર જ, છ એપ્રિલે સરકારે નિયમો જાહેર કર્યા છે. નિયમો કરમુક્ત મનોરંજન આપનારા છે. જ્યાં કેન્સરનો ઈલાજ કરવાનો હોય ત્યાં સરકાર સાદા કફ સીરપનો હજી તો વિચાર કરે છે. સરકારે જાહેર કર્યું છે કે સટ્ટાબાજી ઉપરાંત દાવ લગાવતી કોઈ પણ રમત પર હવેથી પ્રતિબંધ છે. ઓનલાઈન ગેઈમમાં કોઈ દાવ લગાવવામાં આવશે તો તેને સરકાર મંજૂરી આપશે નહીં. એ સારી વાત છે, પણ દાવ ન લગાવતી કોઈ ગેઈમ સરકાર ખોળવા નીકળશે તો તેને નિરાશા સાંપડે એવી પૂરી શક્યતાઓ છે. આવી રમત રમાડનારા કોને કેમ છેતરવા તે જાણતા હોય છે એટલે એ સરકારના પંજામાં ન ફસાઈ જવાય એની કાળજી રાખે જ છે. સરકારે સટ્ટાબાજીને લગતી જાહેરાતોને પણ ગેરકાયદેસર ઠેરવી છે, પણ જાહેરાત કરનારાઓ વધુ ચતુર છે ને તેઓ જાણે છે કે સરકારના નિયમોમાંથી કેમ છટકવું. વધારે સારું ને સાચું તો એ છે કે કોઈ પણ ઓનલાઈન ગેઈમ પર પ્રતિબંધ મૂકવો જ ! તે એટલે કે તે એક મોટા સમૂહને સાચી કે ખોટી રીતે આવરે ને છાવરે છે. તેનાથી થતું નુકસાન વધુ ઘાતક અને વ્યાપક છે. આમ પણ આ દેશમાં હજારો લોકો પાસે બગાડવા માટે એટલો સમય ફાજલ છે જ કે તે રમતોમાં, કથા-વાર્તામાં, સમારંભોમાં, સભાઓમાં, રેલીઓમાં કલાકોના કલાકો એમ જ વેડફી શકે છે ને તેમાંનું મોટાભાગનું કામ કેવળ ને કેવળ બિનઉત્પાદકીય હોય છે. અહીં એવું કહેવાનો આશય નથી કે લોકોએ આનંદપ્રમોદ માટે સમય ન ફાળવવો કે નવરાશ ન ભોગવવી. પણ એવી કોઈ પ્રવૃત્તિઓમાં ન પડવું જેનો સ્પષ્ટ ઈરાદો છેતરવાનો ને લૂંટવાનો હોય. આપણા આનંદને, પીડામાં ફેરવનારી કોઈ પણ પ્રવૃત્તિમાં સામે ચાલીને ન ફસાવું એટલું જ સૂચવવાનું છે. આપણી નવરાશમાં ઘાતક હસ્તક્ષેપને સામે ચાલીને તો સ્થાન ન જ અપાયને !

000

e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 10 ઍપ્રિલ 2023

Loading

ડોનાલ્ડ ટ્રમ્પ : સમય સમય બલવાન, નહીં પુરુષ બલવાન

રાજ ગોસ્વામી|Opinion - Opinion|9 April 2023

રાજ ગોસ્વામી

અમેરિકામાં વર્ષોથી એક મુદ્દા પર વાદ-વિવાદ થાય છે; પ્રેસિડેન્ટને અપરાધ કરવાની છૂટ હોય? મતલબ કે તેમની સામે અપરાધનો કેસ ચાલી શકે? ‘મોટા અપરાધ અને દુરાચાર’ બદલ પ્રેસિડેન્ટને પદ પરથી હટાવવા માટે બંધારણમાં ઇમ્પિચમેન્ટ(મહાભિયોગ)ની જોગવાઈ છે, પરંતુ તેમની સામે કોર્ટમાં અપરાધિક કેસ ચાલી શકે કે નહીં તે અંગે બંધારણ મૌન છે.

સિદ્ધાંતિક રીતે તેની મનાઈ નથી, પરંતુ અત્યાર સુધી અમેરિકાના કોઈ પ્રેસિડેન્ટ સામે આવી રીતે કામ ચાલ્યું નથી. એ અર્થમાં, પૂર્વ પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ સામે ન્યૂયોર્કની જ્યુરીએ આરોપો ઘડવાનું નક્કી કર્યું અને તેના પગલે તેમણે મેનહટનની જjiલ્લા કોર્ટમાં સમર્પણ કરીને ધરપકડ વહોરી એ અમેરિકાના ઇતિહાસની પહેલી ઘટના છે.

તેમની સામે આરોપ છે કે 2016માં પ્રેસિડેન્ટના ચૂંટણી પ્રચાર દરમિયાન, સ્ટોર્મી ડેનિયલ્સ નામની એક પોર્ન સ્ટાર મહિલાએ દાવો કર્યો હતો કે ટ્રમ્પ સાથે તેને સંબંધ હતો અને તેનું મોઢું બંધ રાખવા માટે ટ્રમ્પે તેને પૈસા આપ્યા હતા. વિડંબના કેવી છે કે 2016માં પ્રેસિડેન્ટની ચૂંટણીના પ્રચારમાં ડોનાલ્ડ ટ્રમ્પનો એક વાયદો અમેરિકન જાહેર જીવનમાંથી ભ્રષ્ટાચારની નાબૂદીનો હતો અને આજે તેમણે પોતે જ ભ્રષ્ટાચારના આરોપ બદલ સમર્પણ કરીને એ વાયદો પૂરો કર્યો છે!

રાજનીતિ અને કાયદા-કાનૂનની વાત બાજુએ રાખીએ તો, દુનિયાના સુપરપાવર અમેરિકાના એક પૂર્વ પ્રેસિડેન્ટ એક પોર્ન સ્ટાર સાથે શારીરિક સંબંધો રાખવા બદલ અને તેનું મોઢું બંધ કરવા બદલ એક સાધારણ અપરાધીની જેમ અદાલતમાં પેશ થાય એ આ દેશ માટે શરમજનક તો કહેવાય. અમેરિકન સમાજના નૈતિક પતનનું પણ આ એક તાજું ઉદાહરણ છે. આ શરમ અને પતનને સૌએ સમજવા જેવું છે.

આ એક કેસની સમાંતર, ટ્રમ્પ સામે અન્ય આરોપની તપાસ પણ લગભગ પૂરી થવામાં છે. જેમ કે, 2020માં વર્તમાન પ્રેસિડેન્ટ જો બાઈડનના જ્યોર્જિયામાં ચુનાવી વિજયમાં ટ્રમ્પે ધાંધલી કરવા પ્રયાસ કર્યો હતો, 2021માં બાઈડનના વિજય પછી તેમણે બગાવત કરી હતી અને સમર્થકોને ઉશ્કેર્યા હતા તેમ જ ગુપ્ત દસ્તાવેજો ચોરી લીધા હતા. એટલે ટ્રમ્પની કાનૂની પરેશાનીઓ વધવાની છે.

ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકન સમાજમાં સૌથી મોટું ધ્રુવીકરણ કરવા વાળા બદનામ નેતા છે. 2016માં, કોઇ પણ પ્રકારના સરકારી કે મિલીટરી અનુભવ વગર પ્રેસિડેન્ટ બનનારા એ પહેલા માણસ હતા. તેમની એક જ લાયકાત હતી; એ એક અબજોપતિ રિયલ એસ્ટેટ ડેવલોપર હતા. અનુભવ અને વિવેકબુદ્ધિના અભાવ વચ્ચે પસાર થયેલાં ચાર વર્ષના તેમના કાર્યકાળમાં અમેરિકન સમાજ મોટી ફાટફૂટ પડી હતી અને લોકો અત્યાંતિક વિચારો, માન્યતાઓ અને અભિપ્રાયોમાં વહેંચાઇ ગયા હતા. ભાઈ-ભાઈ વચ્ચે, મિત્ર-મિત્ર વચ્ચે, કોમ-કોમ વચ્ચે આટલું વૈમનસ્ય અમેરિકાએ ક્યારે ય જોયું નહોતું.

અમેરિકાના બીજા લીડરોએ રાષ્ટ્રને જોડી રાખવાનું કામ કર્યું હતું, પરંતુ ટ્રમ્પે છેક ચૂંટણી પ્રચારથી જ ફાટફૂટવાળી રાજનીતિ ચલાવી હતી. તેમણે તેમના રાજકીય ટીકાકારો, વિરોધ પક્ષના નેતાઓ, પત્રકારો, વહીવટી અધિકારીઓ અને  દેશ-વિદેશના નેતાઓને દુ:શ્મન તરીકે ચીતર્યા હતા. એ એટલા બેફામ હતા કે પ્રેસિડેન્ટ તરીકે તેમણે અલગ-અલગ મુદ્દાઓ પર 26,000 ટ્વીટ્સ પોસ્ટ કરી હતી અને તે એટલી ભડકાઉ હતી કે ટ્વીટરે તેમના પર પ્રતિબંધ લગાવી દીધો હતો.

પ્રેસિડેન્સીના અંતિમ દિવસોમાં તેમની સામે બે વાર ઇમ્પિચમેન્ટ (મહાભિયોગ) કરવામાં આવ્યું હતું. આ પણ એક પ્રેસિડેન્ટ માટે ‘રેકોર્ડ’ જ છે. 2019માં, ટ્રમ્પે તેમના હરિફ (અને હાલના પ્રેસિડેન્ટ) જો બાઈડન સામે તપાસ કરવા માટે યુક્રેનિયન સરકાર પર દબાણ કરવાના આરોપસર ઇમ્પિચમેન્ટ થયું હતું અને બીજી વાર 2021માં, પ્રેસિડેન્ટની ચૂંટણીના પરિણામ પછી તેમના સમર્થકોને કેપિટલ હિલ પર આક્રમણ કરવા માટે ઉશ્કેરવાના આરોપસર ઇમ્પિચમેન્ટ થયું હતું. ટ્રમ્પનો અહંકાર કહો કે બાળક જેવી જીદ્દ, અમેરિકામાં એ પહેલાં સેવાનિવૃત્ત પ્રેસિડેન્ટ હતા, જે તેમના ઉત્તરાધિકારી(જો બાઈડન)ના શપથમાં હાજર રહ્યા નહોતા.

અમેરિકાના પુલિત્ઝર પારિતોષિક વિજેતા પત્રકાર ડેવિડ કેય જોહ્નસને એક ઇન્ટરવ્યુમાં ડોનાલ્ડ ટ્રમ્પની આખી કૂંડળી સમજાવતાં કહ્યું હતું, “ડોનાલ્ડ ટ્રમ્પ વિષે લોકોએ અમુક વાતો સમજવા જેવી છે. એ ક્રિમીનલ પરિવારમાંથી આવે છે. એમના દાદા સીટલમાં વેશ્યાઘર ચલાવતા હતા. એના પિતા ફ્રેડ ટ્રમ્પનો એક ધંધાદારી દોસ્ત વિલી તોમાસેલો, ગેમ્બીનો નામની ગેંગસ્ટર ફેમિલીનો પાર્ટનર હતો. સરકારને હાલના ભાવના ૩૬ મીલિયન ડોલરમાં નવાડવાના કેસમાં ટ્રમ્પના પિતાની યુ.એસ. સેનેટે તપાસ કરી હતી. ડોનાલ્ડે તેમની આ શોમેનશીપ એના બાપા પાસેથી અને આ વૈભવ સંગઠિત ક્રિમિનલ્સ પાસેથી મેળવ્યો છે. ધર્મમાં માનતા અમેરિકનોએ એ પણ જાણવું જરૂરી છે કે, ડોનાલ્ડની અંગત ફિલોસોફી વેરની વસૂલાતની છે. ઈશુની ‘બીજો ગાલ ધરવા’ની શીખ આપનારને એમણે મૂર્ખ કહ્યા છે. ટ્રમ્પ બાઈબલમાં જે છે તેનાથી તદ્દન ઊલટું કહે છે. એ ક્રિશ્ચિયનોને ઉતારી પડે છે. હું ૩૦ વર્ષથી એમને ઓળખું છું. એ સહેજ પણ બદલાયા નથી. એ સાંગોપાંગ રેસિસ્ટ છે. એમણે બિન-ગોરાઓને નોકરીઓમાંથી બાકાત રાખ્યા છે. ટ્રમ્પ એમના દાવાથી વિપરીત, ઝનૂની રીતે ક્રિશ્ચિયન વિરોધી છે અને એમને સાચે જ કશી બાબતની ગતાગમ નથી.”

ટ્રમ્પ અસભ્ય પણ છે. તેમણે તેમની દીકરીથી લઇને અનેક સ્ત્રીઓ વિશે અભદ્ર વિધાનો કર્યાં હતાં. ટ્રમ્પનું વ્યક્તિત્વ નાર્સિસિસ્ટિક છે, જેમાં બીજા લોકો પ્રત્યે હમદર્દી ઓછી અને પોતાની પ્રશસ્તિની જરૂરિયાત વધારે છે. એનામાં પોતે ‘દેવનો દીધેલ’ હોવાની ભાવના છે, અને બીજા માટે ભારોભાર ઇર્ષા છે. ટ્રમ્પ હઠીલા અને અમર્યાદ સત્તાના ભૂખ્યા છે. એ કોઇપણ પ્રકારના અંકુશ કે ટીકા સહન કરી શકતા નથી. એ સંકુચિત છે, જંગલમાં રહેતા આદમીની જેમ કબીલાઇ વૃત્તિવાળા છે, અને બુદ્ધિ અથવા તર્કની જગ્યાએ લાગણીનો ઉપયોગ કરે છે. એનામાં (આપણે ત્યાંના જૂનવાણી ભાયડાઓની જેમ) સ્ત્રી પ્રત્યે આદર નથી, અને એ સ્ત્રીને શરીરી આનંદના સાધનથી વિશેષ ગણતા નથી.

એલિઝાબેથ જીન કેરોલે નામની અમેરિકન પત્રકારે 2019માં, ટ્રમ્પ જ્યારે ન્યુયોર્કમાં ખમતીધર રિયલ એસ્ટેટ ડેવલોપર હતા ત્યારે, તેમણે તેની સાથે રેપ કર્યો હતો તેવો આરોપ મૂક્યો છે. ટ્રમ્પ  સામેના આ પ્રકારના અનેક આરોપમાં, એલિઝાબેથનો આ આરોપ સૌથી ગંભીર હતો. એલિઝાબેથે તેના એક પુસ્તકમાં, 6 પુરુષોએ તેની સાથે કેવી રીતે જબરદસ્તી કરી હતી તેની વાતો લખી હતી.

એટલા માટે જ, ટ્રમ્પ સામે કેસ ચાલે અને તેમને અંદર કરી દેવામાં આવે તે આનંદના સમાચાર બનવા જોઈએ. આ ખટલો એવા સમયે આવ્યો છે જ્યારે ટ્રમ્પે 2024ની પ્રેસિડેન્ટની ચૂંટણીમાં ફરીથી ઝૂકવાનું નક્કી કર્યું છે. તેના માટે તેમણે પ્રચાર પણ શરૂ કરી દીધો છે. આ કેસને પણ તે રાજકીય રંગ આપવાના છે. તેમણે કહી પણ દીધું છે કે જે કોર્ટમાં તેમને હાજર થવાનું છે તેનો જજ તેમને નફરત કરે છે. તેમની રિપલ્બિકન પાર્ટીએ કેસ લડવા માટે ફંડ પણ જમા જરી દીધું છે.

ટ્રમ્પ શું કહે છે તે અગત્યનું નથી, તેમના વકીલો શું દલીલો કરે છે તે અગત્યનું નથી, તેમની પાર્ટીના સમર્થકો શું કહે છે તે અગત્યનું નથી, કેસમાં શું થાય છે તે પણ અગત્યનું નથી. એ બધું તેની જગ્યાએ છે, પરંતુ સામાન્ય લોકો માટે મહત્ત્વનું એ છે કે ટ્રમ્પે અપરાધી બનીને જજ સામે ઊભા રહેવું પડશે અને તેમની સામેના ક્રિમિનલ આરોપોના જવાબ આપવા પડશે. એ બધું મીડિયામાં લોકો સામે આવશે.

ડોનાલ્ડ ટ્રમ્પ માટે ભલે આ ખરાબ દિવસ હોય, અમેરિકાની લડખડાતી લોકશાહી માટે આ ખુશીના સમાચાર છે. તેમની સામે આરોપો ઘડવાનું નક્કી થયું ત્યારે, તેમની પુત્રી ઇવાન્કા ટ્રમ્પે સૂચક રીતે કહ્યું હતું (જે તેમના સમર્પણ વખતે કોર્ટમાં ઉપસ્થિત રહી નહોતી), “હું મારા પિતાને ચાહું છું, હું મારા દેશને ચાહું છું. આજે, મને બંને માટે પીડા છે.”

લાસ્ટ લાઈન:

“બદનામી કરતાં નામના સારી, પરંતુ વ્યવહારિક દૃષ્ટિએ, કોઈ ઓળખે જ નહીં તેના કરતાં બદનામી સારી. વિવાદો જ વેચાય છે.”

— ડોનાલ્ડ ટ્રમ્પ

(પ્રગટ : ‘ક્રોસ લાઈન’, “ ગુજરાતી મિડ-ડે”; 09 ઍપ્રિલ 2023)
સૌજન્ય : રાજભાઈ ગોસ્વામીની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

...102030...1,0461,0471,0481,049...1,0601,0701,080...

Search by

Opinion

  • કાનાની બાંસુરી
  • નબુમા, ગરબો સ્થાપવા આવોને !
  • ‘ફૂલ નહીં તો ફૂલની પાંખડી’ પણ હવે લાખોની થઈ ગઈ છે…..
  • લશ્કર એ કોઈ પવિત્ર ગાય નથી
  • ગરબા-રાસનો સૌથી મોટો સંગ્રહ

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved