Opinion Magazine
Number of visits: 9667358
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

અસત્યને સત્યના વાઘા પહેરાવી રજૂ કરવાનું રાજનૈતિક શસ્ત્ર, પોસ્ટ-ટ્રુથ શું છે?

હિમાદ્રી આચાર્ય દવે|Opinion - Opinion|31 July 2023

પોસ્ટ-ટ્રુથ ભાગ : 1

ઇતિહાસનાં પાનાં ઉથલાવતાં એક વાત સ્પષ્ટ થાય છે કે દરેક પ્રગતિશીલ આવિષ્કાર સાથે એક નવા યુદ્ધની શરૂઆત થઈ છે. ધાતુનાં આવિષ્કારે આપણને ભાલા અને તલવારો આપ્યાં, ઔદ્યોગિકરણે અને વિજ્ઞાનના વિકાસે આધુનિક યુધાસ્ત્ર આપ્યાં. માહિતી ક્ષેત્રની ક્રાંતિને પરિપાક રૂપે આજની રાજનીતિમાં માહિતીઓ સાથે ચેડાં કરીને, ઘટનાઓનાં યોગ્યાયોગ્ય અર્થઘટન વડે કૃત્રિમ જનમત કેળવવાનું વલણ વ્યાપક પ્રમાણમાં જોવા મળે છે. ‘બ્રિટિશ ડેટા સાયન્ટીસ્ટ ક્લાઇવ હમ્બીના શબ્દોમાં, ડેટા આજના યુગનું નવું ફ્યુલ છે.’ ડેટા એનાલિસિસ અને એ.આઈ. આજની દુનિયાની સરકારો માટે મોટા હથિયાર છે. ‘હાલની સરકાર પાસે જેટલો પબ્લિક ડેટા છે એટલો ભૂતકાળની સરકારો પાસે ન હતો. તમે ક્યાં રહો છો, ક્યાં નોકરી/ધંધો કરો છો, કેટલી આવક ધરાવો છો, આર્થિક રોકાણો, વગેરે વગેરે દરેક માહિતી સરકારની નોંધમાં છે અથવા એમ પણ કહી શકાય કે તમે સતત સરકારી કેમેરાની નજર હેઠળ છો.’ ડેટા નામનું આ નવું શસ્ત્ર જેટલું ઉપયોગી છે એટલું જ ઘાતક પણ છે. આ હથિયારની મદદથી એટલે કે ‘ડેટા અથવા તો ઇન્ફોર્મેશનને વિકૃત કરી પ્રસ્તુત કરીને ભલભલા સુપરપાવરને નેસ્તનાબૂદ કરી શકાય અને સ્થાપિત પણ કરી શકાય એવા માહિતીયુદ્ધના યુગમાં આપણે જીવીએ છીએ.’ ખૂબ જ વિશાળ વ્યાપ ધરાવતી આજની માહિતીની દુનિયાને દેખીતી રીતે જ તલવાર, તોપ કે બંદૂક વડે નિયંત્રિત કરી શકાતી નથી. આ એક અદૃશ્ય લડાઈ છે.

સતયુગ, કલિયુગ, વિજ્ઞાનયુગ, માહિતી અને પ્રસારણનો યુગ, કાળના પ્રવાહોને સમજવા જે-તે કાળખંડને ચોક્કસ નામ આપવામાં આવ્યા. પરંતુ વિશ્વના રાજકીય પ્રવાહોના આધારે  2015-16 પછીના સમયને, ઇન્ફોર્મેશનના ઉપયોગ સંદર્ભે, પશ્ચિમના વિશ્લેષકો ‘પોસ્ટ ટ્રુથ પોકીટિક્સ એરા’ ગણાવે છે.

ઓક્સફોર્ડ ડીકશનેરી સંસ્થાનના પ્રમુખ કેસ્પર ગ્રાથવોહલ નોંધે છે કે ‘પોસ્ટ ટ્રુથ’ શબ્દ પ્રથમ વખત સર્બિયન-અમેરિકન નાટ્યકાર સ્ટીવ ટેસિચના ઇરાક-અમેરિકા ખાડીયુદ્ધ સંદર્ભે  1992માં લખાયેલ લેખમાં જોવા મળે છે. “સત્ય હવે એટલું પ્રાસંગિક નથી રહ્યું” તે દર્શાવવા માટે આ લેખમાં “પોસ્ટ ટ્રુથ” શબ્દનો પ્રથમ વખત ઉપયોગ કરવામાં આવ્યો છે. તેઓ લખે છે કે આપણે સ્વતંત્ર નાગરિકોએ સ્વેચ્છાએ નક્કી કરી લીધું છે કે આપણે પોસ્ટ-ટ્રુથની દુનિયામાં જ જીવવું છે. જો કે પોસ્ટ-ટ્રુથ ભલે નવો છે પણ તેના અર્થને લગભગ લગભગ નજીકના શબ્દો અને સ્ટ્રેટેજી દુનિયા માટે નવા નથી. પ્રથમ વિશ્વયુદ્ધ સાથે પ્રોપેગેંડા શબ્દ પ્રચલિત થયો. તેના પછી આવ્યો કેમ્પેઈન અને ત્યાર બાદ ડિસઈન્ફોર્મેશન એટલે કે તથ્યોની હેરાફેરી કરવી. 

‘પોસ્ટ–ટ્રુથ શું છે?’

‘પોસ્ટ–ટ્રુથ એટલે, જે સત્યથી પરે છે, જે સત્ય નથી પણ સત્ય જેવુ લાગે છે તે. સત્ય એ સત્ય છે, અસત્ય એ અસત્ય છે પણ પોસ્ટ-ટ્રુથ એક એવી પરિસ્થિતિ કે જ્યાં અસત્ય જાણે સત્ય છે એવો ભાસ ઊભો થાય, જ્યાં સાચા ખોટા વચ્ચે કોઈ અંતર ન રહે તેવી પરિસ્થિતિ.’ પોસ્ટ-ટ્રુથ પશ્ચિમથી આવેલો શબ્દ છે એટલે તેનો એકદમ અનુકૂળ શબ્દ ભારતીય ભાષામાં નથી પણ વિદ્વાનો તેને મળતા શબ્દ, અનુસત્ય અથવા ઉત્તર-સત્ય આપે છે. પોસ્ટ-ટ્રુથને સમજવા માટે તેની વ્યાખ્યા જોઈએ તો, એક એવી પરિસ્થિતિ કે જ્યાં ‘જનમત નિર્માણ કરવામાં, સત્ય શું અને અસત્ય શું એ નક્કી કરવામાં વસ્તુગત તથ્યોનો કે નૈતિકતાનો પ્રભાવ ભાવનાત્મક અપીલ અને લોકોની શ્રદ્ધા સામે વામણો પુરવાર થાય છે.’ આમ, પોસ્ટ–ટ્રુથ, આ વિશેષણ એવી પરિસ્થિતિ સૂચવે છે કે જ્યાં લોકોનો અભિપ્રાય તથ્યગત સત્યને આધારે નહિ પણ ભાવના આધારિત હોય છે.

અલબત્ત, દ્વાપરમાં યુધિષ્ઠિર દ્વારા બોલાયેલા અર્ધસત્ય ‘अश्वत्थामा हतः इति नरो वा कुंजरो वा’ના મંત્રથી શરૂ થયેલું, સત્યને રક્તરંજીત કરવાનું વિનાશનૃત્ય આજે પણ વિશ્વમંચ પર  પ્રસ્તુત થતું રહ્યું છે. સત્યે દરેક યુગમાં આઘાત સહન કર્યા છે, સત્યને ષડયંત્રથી આહત કરવાના પ્રયત્ન થયા છે. ઘણા આક્રમણકારોએ ‘સત્ય’ની આડમાં છુપાઈને હુમલા કર્યા છે. સદીઓ સુધી, અડધાથી વધુ વિશ્વને છહ્મસત્યની આડમાં પ્રતાડીત કરવામાં આવ્યું છે. તો પછી આજે સત્યના સંદર્ભમાં આ નવો શબ્દ શું કામ? ‘તો એમ કહી શકાય કે ‘પોસ્ટટ્રુથ’ શબ્દ આજના બદલાતાં સામાજિક મૂલ્યબોધને દર્શાવે છે.’ સત્ય અને અસત્ય વચ્ચેના ક્ષેત્રમાં જેને મૂકી શકાય એવું આ વિશેષણ મારા મતે, ચોક્કસ પરિસ્થિતિથી વધુ, સ્ટેટ ઓફ માઈન્ડ છે. પોસ્ટ-ટ્રુથ આજે વિશાળ પ્રમાણમાં પ્રસ્તુત કેમ બન્યું એનો જવાબ સમાજની બદલાતી તરાહમાં છે. ઉદારવાદ સાથે અભિવ્યક્તિ અને વિચાર સ્વાતંત્ર્ય પર વધુ ભાર મૂકવામાં આવ્યો. જેના તંદુરસ્ત આચરણ સાથે સાથે નૈતિકતાના પતન સમાં દુરાચારો પણ વધ્યા. નૈતિકતાના સ્તરે આજનો માનવ વધુને વધુ છૂટ લેતો થયો છે. આજના સમાજે દારુનું સેવન, લગ્નેતર સંબંધો વગેરે અનેક બાબતોએ પહેલાની સરખામણીએ ઘણું મુક્ત વલણ કેળવ્યું છે. ‘જે બાબતો આજથી બે ચાર દાયકા પહેલાં અનિષ્ટ લેખાતી એ બાબતો હવે સહજ સ્વીકાર્ય બની છે. કંઈક એવું જ સત્યના આગ્રહ સાથે થયું છે. અસત્ય પ્રત્યે પહેલા જેટલો છોછ નથી રહ્યો એ બાબતની ખાત્રી કરાવતાં પ્રસંગો આપણી આસપાસ બનતા રહે છે.’ આમ, સમાજના બદલાતા મૂલ્યબોધ સાથે સત્યની બદલાતી પરિભાષા કે જેણે પોસ્ટ-ટ્રુથ જેવી પરિસ્થિતિને જન્મ આપ્યો છે.

‘પોસ્ટ–ટ્રુથ અને રાજનીતિ’

‘આ શબ્દ રાજનીતિ, મીડિયા તેમ જ ખાસ કરીને સોશિયલ મીડિયાના સંદર્ભે ખોટી માહિતી અને બનાવટી સમાચારના પ્રસારને સૂચવે છે જે લોકોની ધારણાઓ અને નિર્ણયોને પ્રભાવિત કરવામાં મહત્ત્વપૂર્ણ સાબિત થાય છે.’ પોસ્ટ-ટ્રુથના પ્રભાવમાં લોકો ભ્રામક માહિતી અને ષડયંત્ર – સ્કેન્ડલની થિયરી અંગે વધુ સંવેદનશીલ હોય છે, ‘આધારવિહીન તથ્યોના પ્રચાર સાથે ઘડાયેલાં નરેટીવ્સના જૂઠને કોઈ પડકારતું નથી’ અને ભાગ્યે જ કોઈ પડકારે તો, જે-તે પક્ષનું આઇ.ટી. સેલ તેમ જ ભાવનાત્મક નરેટીવ્સ જેમને ઘૂંટી ઘૂંટીને પીવડાવી દેવામાં આવ્યા છે એ લોકો પડકાર કરનારનો એકસામટો વિરોધ નોંધાવે છે.  ‘’પોસ્ટ ટ્રુથ’ની તીવ્રતા એ છે કે જ્યારે કોઈ પ્રચાર કે માહિતી સાચી હોવા– ન હોવાથી લોકોને કોઈ ફરક જ ન પડે પણ એ કહેનાર કોણ છે એ જ મહત્ત્વનું બની જાય.’ જેનો ઉપયોગ દરેક પ્રચારમાં, પ્રસારમાં, જનસંપર્કમાં, રાજકારણમાં, લોકોના અભિપ્રાયને બદલવામાં, આખી પેઢીને કંઈક ખોટું શીખવવાની કોશિશરૂપે, પોતાનો પક્ષ જ ઉત્તમ અને બીજા ખોટા એવું સાબિત કરવા વિવિધ રાજકીય પક્ષો દ્વારા થાય છે.

ઉપર કહ્યું તેમ, આજના સમયમાં ઈલેક્ટ્રોનિક, પ્રિન્ટ, ઈન્ટરનેટ જેવા નવા માધ્યમોનો ઉપયોગ કરીને લોકોનાં વિશ્વાસ અને લાગણીઓ સાથે ચેડાં કરવામાં આવી રહ્યાં છે. લોકોમાં સત્યનું ભ્રામક સંસ્કરણ પીરસવામાં આવી રહ્યું છે. રાજકીય હિતો સાધવામાં આવા ખોટી રીતે પીરસાતાં ડેટા / માહિતી મહત્ત્વની ભૂમિકા ભજવી રહ્યાં છે. આવી સ્થિતિમાં, પોસ્ટ ટ્રુથ ઇન્ફોર્મેશન વોરનો એક ભાગ બની ગયું છે એમ કહેવું ખોટું નથી. ‘એવું નથી કે તથ્ય સાથે છેડછાડ કરીને તેની સમાંતરે બીજું સત્ય (!) પ્રસ્તુત કરવાનું ચલણ અથવા અફવા આધારિત સત્યને સમર્થન કે સ્વીકૃતિ પહેલાં નહોતી મળતી પણ આજના યુગમાં તેનું જેટલું ચલણ છે એટલું પહેલાંના સમયમાં ન હતું. સીમિત અથવા ભ્રમિત જાણકારી દ્વારા જૂઠને અથવા અર્ધસત્યને સત્ય તરીકે સ્થાપિત કરવાની રીતિ એ વિશ્વભરના નેતાઓની તરાહ બનતી જાય છે.’ જેને બીજા શબ્દોમાં એમ કહી શકાય કે માસ હિપ્નોટીઝમની અવસ્થામાં જીવતા સમાજના વિવેક પર શ્રદ્ધાએ કબજો જમાવ્યો છે.

પોસ્ટ ટ્રુથ– ખાસ કરીને 2016માં ડોનાલ્ડ ટ્રમ્પની જીતના સંદર્ભે આ શબ્દ ખૂબ જ પ્રચલિત થયો. જેના કારણે ઑકસફર્ડ ડીક્શનરીએ ‘પોસ્ટ ટ્રુથ’ શબ્દને 2016નો ‘વર્ડ ઑફ ઘ યર’ જાહેર કર્યો હતો. અલબત્ત, યુરોપ, બ્રિટન અને અમેરિકા પહેલા ભારતીય રાજકારણમાં પોસ્ટ-ટ્રુથની શરૂઆત થઈ ગઈ હતી એમ કહીએ તો ખોટું નથી. અરવિંદ કેજરીવાલનો રાજકીય ઉદય જોઈએ તો ભારતમાં ભ્રષ્ટાચાર સામે જનલોકપાલની માંગણી માટે અણ્ણા હજારેના નેતૃત્વમાં તીખી, તેજ ભાષાનો ઉપયોગ કરીને જલદ ભાવનાત્મક ભાષણો, ‘તૂ ચોર હૈ, વો ચોર હૈ, સારે ચોર હૈ’, ‘હું તને જેલમાં નાખીશ’ અને ‘ભારત માતા કી જય’ના નારાથી વિશાળ સંખ્યામાં જનતા એકઠી કરવામાં સફળ રહ્યા. મીડિયાએ પણ આ આગમાં ઘી હોમ્યુ હતું અને કેજરીવાલને પોસ્ટ ટ્રુથ યુગની રાજનીતિમાં અણધારી સફળતા મળી એ સૌ જાણે છે. નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં 2014ની લોકસભાની ચૂંટણીમાં પણ આવા જ પડઘા સાંભળવા મળ્યા હતા.નિષ્ણાતોનું માનવું છે કે અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પની જીત પાછળ ‘પોસ્ટ ટ્રુથ’ સૌથી મોટું કારણ હતું. ટ્રમ્પે ઘણાં જૂઠાણાં બોલ્યા, તથ્યોને નકારી કાઢ્યાં પણ સમાંતરે આમ જનતાનો વિશ્વાસ જીતવામાં તેઓ સફળ હતા એ ત્યાં સુધી કે આદુ ખાઈને ટ્રમ્પ પાછળ પડેલા અમેરિકન મેઈનસ્ટ્રીમ મીડિયાએ આખા વર્ષ દરમ્યાન ટ્રમ્પની વિરુદ્ધ બયાનબાજી કરી પણ ટ્રમ્પે સોશ્યલ મીડિયાનો ભરપૂર ઉપયોગ કર્યો. લોકોને રસ પડે તેવી સનસનીખેજ, ભાવનાત્મક વાતો પીરસીને લોકોને પોતાના તરફ આકર્ષવામાં તે સફળ રહ્યા. ડોનાલ્ડ ટ્રમ્પે તેમની ચૂંટણી સભાઓમાં અને ચૂંટણી દરમિયાન બરાક ઓબામા પર કેટલાક આક્ષેપો કર્યા, જેમ કે તેઓ અમેરિકામાં જન્મ્યા નથી, તેઓ આઈ.એસ.આઈ.એસ.ના સંસ્થાપક છે, ક્લિન્ટન પરિવાર હત્યારાઓનો પરિવાર છે, હિલેરીની જગ્યા જેલમાં હોવી જોઈએ, વળી વચનો કે હું જીતીશ તો અમેરિકા-મેક્સિકો વચ્ચે જંગી દીવાલ ચણાવી દઈશ (જ્યારે સત્ય એ છે કે અમેરિકા-મેક્સિકો વચ્ચે સંવેદનશીલ વિસ્તારોમાં દીવાલ છે જ પણ ટ્રમ્પે કહ્યું અને લોકોએ તેના પર ભરોસો કર્યો!) વગેરે વગેરે. જેના કારણે પૂરી દુનિયાના આશ્ચર્ય વચ્ચે તેઓ જીતી ગયા અને અમેરિકન રાષ્ટ્રપતિ બન્યા! અલબત્ત, તેમનો એકપણ દાવો હજુ સુધી યથાર્થ સાબિત થયો નથી!

આવું જ કંઈક જૂન 2016માં બન્યું હતું જ્યારે બ્રિટને નિર્ણય લીધો હતો કે તે હવે યુરોપિયન યુનિયનનો ભાગ નહીં રહે. વોલ્ટ લુઈસે દાવો કર્યો હતો કે બ્રિટન પર યુરોપિયન યુનિયન (EU)નો ભાગ હોવાનો બોજ દર અઠવાડિયે આશરે £350 મિલિયન છે. વોલ્ટે કહ્યું કે આટલી રકમ બ્રિટનની નેશનલ હેલ્થ સ્કીમમાં રોકી શકાય છે. 2020 સુધીમાં તુર્કી EUનું સભ્ય બની જશે તેવું કહીને પણ લોકોને ગેરમાર્ગે દોરવામાં આવ્યા હતા. જો તુર્કી સભ્ય બને તો બ્રિટનમાં ઇમિગ્રેશન વધવાનું જોખમ હતું. આ તમામ સંદિગ્ધ માહિતી પછી જ બ્રિટનના લોકોએ EUની સભ્યપદ સમાપ્ત કરવાનો નિર્ણય લીધો હતો. 

ઉપરોક્ત બન્ને કિસ્સામાં તથ્યો અને સામાન્ય વિવેક વિરુદ્ધના અસંગત મુદ્દાઓ રજૂ કરીને સફળતાં મેળવવામાં આવી છે.

એટલે એમ કહી શકાય કે જે-તે લીડરશીપ જેના પર કામ કરવા માંગતી હોય તે વિચારધારા / આઇડિયોલોજીનું સાઇકોલોજીલ ગેઇમની જેમ જનમાનસમાં ઇન્સેપ્શન કરે છે. અને પછી લોકોના મોઢે જ, એ જ બોલાવે છે કે જે નેતાઓ કરવા માંગતા હોય! એટલે લોકોને એમ લાગે છે કે આપણે જે ઇચ્છ્યું હતું એ જ જે-તે પક્ષ કે રાજનેતા કરી રહ્યા છે, આપણે રાજનીતિને દિશા આપી છે!

હવે, સવાલ એ થાય કે, સત્ય પાસે તમામ આંકડા છે, માહિતી અને સંદર્ભ છે છતાં સત્ય લોકશ્રદ્ધા સામે, વિશ્વાસ સામે કેમ હારી જાય છે ? આજે પોસ્ટ- ટ્રુથ જ્યારે રાજનીતિના આદર્શ પ્રવાહને લલકારી રહ્યું છે ત્યારે આ સવાલ ઉઠવો વ્યાજબી અને જરૂરી પણ છે, જેનાં કારણો વિશે આપણે હવેના લેખ, ભાગ : 2માં ચર્ચા કરીશું.

(ક્રમશ:)
[પ્રગટ : ગુજરાતની નવી પેઢીનું સૌ પ્રથમ ડિજિટલ અખબાર “ખાસ-ખબર”; 29 જુલાઈ 2023; પૃ. 11-13]
સૌજન્ય :  હિમાદ્રીબહેન આચાર્ય દવેની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

ચાલો, હરારી પાસે – 9

સુમન શાહ|Opinion - Opinion|31 July 2023

સુમન શાહ

મને એમ લાગે છે કે આ ‘એ.આઈ.’- ક્રાન્તિથી સમૃદ્ધ રાષ્ટ્રો બહુમુખી પ્રગતિ સાધી શકશે પણ સાથોસાથ સંસારમાં એથી વિશિષ્ટ પ્રકારની અસમાનતા સરજાશે, એટલું જ નહીં, પ્રશ્ન થશે કે એને પ્રગતિ કહેવી કે કેમ. એવો પ્રશ્ન કૃષિ-ક્રાન્તિ, વૈજ્ઞાનિક-ક્રાન્તિ કે ઔદ્યોગિક-ક્રાન્તિના સમયોમાં ન્હૉતો થયો કેમ કે એ ક્રાન્તિઓ સરજાઇ હતી મનુષ્ય-બુદ્ધિના સતને પ્રતાપે.

આ અસમાનતાનાં જાણીતાં ઉદાહરણો આવાં છે :

કેટલીક નવ્ય શોધોના લાભ સૌને નથી પ્હૉંચતા એથી અસમાનાતા સરજાઈ છે.

જેમ કે, રોગોની સારવાર કે નાબૂદી માટે વિકસી રહેલી ‘એ.આઈ.’-ટૅક્નોલૉજિના લાભ કેટલાને મળે છે? વિકાશશીલ દેશોમાં બધા પાસે ઇન્ટરનેટ-પ્રવેશ માટેની પૂરતી જોગવાઈ જ નથી હોતી, એટલે, સારવાર વગેરે લાભો તો દૂરના દૂર જ રહે છે. જેમ કે, ’એ.આઈ.’-સરજિત કેળવણીવિષયક નવાં ઓજારોના લાભ પણ સૌને નથી મળતા. ગરીબ દેશોની પ્રજાઓ પાસે કમ્પ્યૂટર પણ નથી હોતાં, એટલે, એ લાભોની વાત પણ દૂરની દૂર રહે છે. ‘ક્લાઇમેટ ચેન્જ’ જેવા સળગતા સવાલ સામે લડી લેવા માટેની ‘એ.આઈ.’ દ્વારા સરજાયેલી ટૅક્નોલૉજિઝ પણ સૌને સુલભ નથી હોતી. કેમ કે વિકાસશીલ દેશોની સરકારો પાસે પૂરતા આધારસ્રોત નથી હોતા કે તેઓ ‘એ.આઈ.’-પાવર્ડ ઉકેલો લગી પ્હૉંચી શકે.

’એ.આઈ.’-ની મદદથી મૅન્યુફૅક્ચરિન્ગમાં, કસ્ટમર સર્વિસિસમાં કે ટ્રાન્સપોર્ટેશનમાં, અનેક ઉદ્યોગોમાં, જૉબ્સને ઑટોમેટ કરી દેવાયા છે, તેથી લોકોને નોકરીઓ ગુમાવવી પડી છે. નબળું અર્થકારણ ધરાવતા દેશોમાં આ જૉબ-ડિસપ્લેસમૅન્ટ વધતું જશે. દાખલા તરીકે, એવું અનુમાન છે કે ભારતમાં ૨૦૩૦ સુધીમાં ઑટોમેશનને કારણે ૬૦ મિલિયન જૉબ્સ નષ્ટ થઈ જશે.

સામાજિક અસમાનતા પણ સરજાઈ છે, કેમ કે ‘એ.આઈ.’-જનિત લાભોની લગામ ધનિકો અને શાસકોના હાથમાં હોય છે. જૉબ્સ તેઓ સરજે છે અને જૉબ્સને ઑટોમેટ પણ તેઓ જ કરે છે. એથી ગરીબ દેશો એ લાભોથી વંચિત રહી જાય છે; એમની પાસે ‘એ.આઈ.’-માં રોકવા જેટલી મૂડી પણ નથી હોતી; સરવાળે, જૉબ ગુમાવનારા પણ તેઓમાંથી જ હોય છે.

ધનિક દેશો દુનિયાભરમાંથી અઢળક માહિતી એકત્ર કરી રહ્યા છે. ‘એ.આઈ.’-સિસ્ટમ્સની તાલીમ માટે એ માહિતીનો વિનિયોગ થતો હોય છે. વળી, એ વડે જાહેરાતઉદ્યોગ સાથે સંકળાયેલા લોકોને પણ ‘લક્ષ્ય’ કરાય છે. નિષ્ણાતોનું મન્તવ્ય છે કે એથી ડેટા પર અંકુશ ધરાવતો એક નવતર સંસ્થાનવાદ – ડેટા કોલોનિયાલિઝમ – રચાઈ રહ્યો છે.

અસમાનતા – Inequality

નિષ્ણાતોને આ અસમાનતાનો અંદાજ આવી જ ગયો છે; સમજાઇ ગયું છે કે બાકીનું વિશ્વ પાછળ પડી જવાનું છે, વિકાસશીલ દેશો હાંફી જવાના છે. મુખ્ય કારણ તો એ છે કે એમની પાસે આ પ્રગતિ માગે એ અનિવાર્ય શક્તિસ્રોત અને ધનસ્રોત હશે નહીં. ‘એ.આઈ.’-પાવર્ડ બિઝનેસિસ માગે એ ઇન્ફ્રાસ્ટ્રકચર હશે નહીં. ‘એ.આઈ.’-ટૅક્નોલૉજિ કૅપિટલ-ઇન્ટેન્સિવ છે; ઉપરાન્ત એને ઉચ્ચ કક્ષાની ઍજ્યુકેશન સિસ્ટમની હમેશાં જરૂરત હોય છે. દેખીતું છે કે ‘એ.આઈ.’ એ બધા અભાવો વચ્ચે એ દેશોને કશાં ફળ ન જ આપી શકે.

હરારીએ પણ આ સંભાવ્ય ખતરનાક અસમાનતા કલ્પી છે. વિશ્વ પર પડનારા પ્રભાવની ચર્ચા એમના પુસ્તકમાં એમણે વિસ્તારથી કરી છે. એમણે ગમ્ભીરતાથી જણાવ્યું છે કે એથી આર્થિક અસમાનતા સરજાશે અને ‘એ.આઈ.’ અસમાનતાના એ નવ્ય રૂપનું નેતૃત્વ કરશે ! ગ્લોબલ ઇકોનૉમિ સવિશેષે પ્રભાવિત થશે, અને પરિણામે, તવંગર અને ગરીબ દેશો વચ્ચેની અસમાનતા વિસ્તરશે. એમણે લખ્યું છે :

“The AI revolution will widen the gap between rich and poor countries. The rich countries will become even richer, while the poor countries will become even poorer.” (page 143, 21 Lessons for the 21st Century.)

તેઓ કહે છે કે ભૂતકાળમાં અસમાનતા સરજાઈ હતી, પણ પ્રાકૃતિક આધારસ્રોતો અને મૂડીરોકાણ વચ્ચેના તફાવતોને કારણે. અલબત્ત, એવાં પરમ્પરાગત કારણો હશે કે નહીં હશે તો પણ ‘એ.આઈ.’ સમ્પત્તિનાં નવાં રૂપો તો સરજી જ શકશે. પરિણામે, ‘એ.આઈ.’ પર પ્રભુત્વ ધરાવતા દેશો જ લાભશે અને બીજા દેશો પાછળ રહી જશે.

તાત્પર્ય, નિષ્પક્ષ ધૉરણે લાભોની વ્હૅંચણી નહીં થઈ હોય, તો સમાજ અસંતુષ્ટ રહેશે, અને રાજકીય અસ્થિરતા સરજાશે.

હરારી એવી વ્હૅંચણીની એક રીત એ દર્શાવે છે કે વિકાસશીલ દેશોમાં કેળવણી અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે મૂડીનું રોકાણ કરવામાં આવે, જેથી એ દેશોને ‘એ.આઈ.’-ને અપનાવવા માટેની ગમ પડે.

તેઓ બીજી રીત એ દર્શાવે છે કે વ્હૅંચણી વિસ્તરતી જાય એ માટે આન્તરરાષ્ટ્રીય ભૂમિકાએ સમજૂતી માટેની રચના કરવામાં આવે, અને, ખાસ તો આ પ્રશ્ન વિશે સભાનતા ખીલે એવા પ્રયાસો શરૂ થાય.

હરારી ઉમેરે છે : એ કહેવું ઘણું વહેલું કહેવાશે કે ‘એ.આઈ.-ક્રાન્તિ’ જતે દિવસે કેવોક પ્રભાવ પાથરશે, પણ એટલું સ્પષ્ટ છે કે આ ટૅક્નોલૉજિ દુનિયાને ધરમૂળથી બદલી નાખવાની ખાસ્સી તાકાત ધરાવે છે.

તેથી, લાભોની નિષ્પક્ષ વ્હૅંચણીના મુદ્દાને ધ્યાનમાં લેવો તે આજની જરૂરિયાત છે.

= = =

(07/31/23 : USA)
સૌજન્ય : સુમનભાઈ શાહની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

સૂરીલા ગાયક ને ભલા માણસ રફી સાહેબ

દુર્ગેશ ઓઝા|Opinion - Opinion|31 July 2023

મહાન સૂરીલા ગાયક અને ભલા માણસ રફીસાહેબની આજ પુણ્યતિથિ. એ નિમિત્તે એમને શબ્દરૂપી અંજલિ સાદર :

સૂરીલા ગાયક રફી સાહેબને આજ ૩૧મી જુલાઈએ, એમની પુણ્યતિથિએ વંદન .. મુરબ્બી રફી માત્ર મહાન ગાયક જ નહીં, એક ભલા માણસ પણ હતા. 

ઘણાં ફિલ્મી ગીતોમાં એણે સામેવાળાની આર્થિક પરિસ્થિતિને ધ્યાનમાં લઈ થોડી રકમમાં કે પૈસા લીધા વિના ગીતો ગાઈ દીધાં હતાં. ઉદાહરણ તરીકે ફિલ્મ ‘ઠોકર’નું ગીત : ‘અપની આંખો મે બસા .. કર, કોઈ ઇકરા .. ર કરું ..’ ચિત્રગુપ્તના સંગીતમાં એમણે ગાયેલાં ઘણાં સારાં ગીતોમાંથી એક ગીત અહીં નોંધું જે રાગ માલકૌંસ આધારિત છે : ‘અંખિયન સંગ અંખિયા લાગી આજ ..’ રફીસાહેબે હિન્દી ઉપરાંત, ગુજરાતી, સિંધી, પંજાબી, તેલુગુ, કોંકણી, મરાઠી એમ અનેક ભાષામાં ગીતો ગાયાં છે. એમના અવાજમાં જે મુલાયમતા હતી એનો સૌથી સારો ઉપયોગ કદાચ સંગીતકાર ખય્યામ સાહેબે કર્યો છે. “કહીં એક માસૂમ .. નાજુક સી લડકી.”

ગીત તથા એમના સ્વરબદ્ધ ગેરફિલ્મી ભકિતગીતો જેમ કે ‘શામ સે નેહા લગાયે, સુનીયો અરજ હમારી, તેરે ભરોસે એ નંદલાલા ..’ વગેરે. અહીં રફી સાહેબના સ્વરમાં માધુર્ય અને મુલાયમપણું બે ય ખૂબ સરસ પ્રગટ થાય છે. લક્ષ્મીકાન્ત પ્યારેલાલ, શંકર – જયકિશન, કલ્યાણજી – આણંદજી, નૌશાદ, મદનમોહન જેવા દમદાર સંગીતકારોએ પણ એની પાસે જોરદાર, મધુર ગીત ગવડાવ્યાં છે. સચિનદેવ બર્મન, આર.ડી. બર્મન, સલિલ ચૌધરી, રવિ .. સંગીતકારોની યાદી ઘણી લાંબી છે જેમણે રફી સાહેબ પાસે ગીતો ગવડાવ્યાં હોય જે અમર બની ગયાં હોય.

મદનમોહન દ્વારા સ્વરબદ્ધ બે ગીતો યાદ આવે છે જે રફીસાહેબે બહુ સુંદર રીતે ગાયાં છે : ૧ – એક હંસી શામ કો દિલ મેરા ખો ગયા, ને ૨ – કભી ના કભી, કહીં ના કહીં, કોઈના કોઈ તો આયેગા .. ગીત, ગઝલ, ભજન, ઠુમરી, કવ્વાલી, હીર .. ગીતના દરેક પ્રકારમાં રફી સાહેબે પોતાનો કંઠ આપ્યો છે. એમણે દેશભક્તિનાં ગાયેલાં ગીતો પણ દમદાર .. કિશોરકુમાર અને રફી સાહેબની દોસ્તી પાણીદાર. બે ય પાણીદાર, મહાન ને સૂરીલા ગાયકો. એવાં અનેક ગીતો છે જેમાં ફિલ્મી પડદા પર કિશોરકુમાર અભિનય કરતા હોય ને સ્વર આપ્યો હોય રફી સાહેબે ..!

રફીસાહેબે અંગ્રેજીમાં વિશ્વએકતા ઉપર એક સરસ ગીત ગાયું છે “ઓલ ધો વી .. રીમેમ્બર ફ્રેન્ડ્સ ધ વર્લ્ડ ઈઝ વન ..’ આ ગીત હિન્દી ફિલ્મી ગીત “બહારો ફૂલ બરસાઓ”ની ધૂન પર આધારિત છે. આ બે ય ગીત રફી સાહેબે જ ખૂબ સરસ રીતે ગાયાં છે. ક્યારેક થાક કે  તણાવ હોય ત્યારે કે એવું કાંઈ ન હોય ને મૂડમાં હોઉં ત્યારે રફી સાહેબે ને અન્ય ગાયકોએ ગાયેલાં મધુર ગીતો હું ગાઈ લઉં છું ને થાક તણાવ ગાયબ ..! આનંદનાં ફૂલ વધુ ખીલી જાય છે. ગુજરાતીમાં રફીસાહેબે જે ગીતો ગાયાં છે એમાંનાં ત્રણ ગીતોની યાદી અહીં મૂકું છું :

૧: ગેર ફિલ્મી ગીત : દિવસો જુદાઈના જાય છે,

૨: ફિલ્મી ગીત – નૈન ચકચૂર છે, મન આતુર છે ( રફી – લતા યુગલ ગીત)

૩: ફિલ્મી ગીત – આ તો રમત રમાડે રામ ..

આવાં તો ઘણાં ગીતો ઘણી ભાષામાં બહુ જ મધુર સ્વરમાં રફી સાહેબે ગાયાં છે. આવા સરળ ભલાભોળા માણસ ને ઉચ્ચ કોટિના કલાકાર કદી મરતા નથી. એ સૂરીલા, પાવન આત્માને વંદન. અભિનંદન. એ જ્યાં હશે ત્યાં પોતાના દિવ્ય સ્વરથી વાતાવરણને આનંદથી ભરી દેતા હશે.

“દિલ કા સૂના સાઝ તરાના ઢૂંઢેગા, અરે મુજકો મેરે બા..દ ઝમાના ઢૂંઢેગા …” 

“જબ જબ બહાર આ..ઈ, ઔર ફૂલ મુસ્કુરા..યે, મુજે  તુમ  યા.. દ આ..યે…” રફી સાહેબે આવા અનેક સદાબહાર ગીતો ગાયાં છે. સ્વરથી ઈશ્વર. – 

પોરબંદર, તા. ૩૧.૦૭.૨૦૨૩
e.mail : durgeshboza1@gmail.com

Loading

...102030...1,0451,0461,0471,048...1,0601,0701,080...

Search by

Opinion

  • સત્ય, તથ્ય અને નિસબતનો દસ્તાવેજ એટલે ડાર્વિનની આત્મકથા
  • રાજનીતિમાં વૈચારિક સફાઈના આગ્રહી: પંડિત દીનદયાલ
  • દમ પતી જાય એને દંપતી કહેવાય 
  • સ્ક્રીનની પેલે પાર : જ્યારે ડિજિટલ એસ્કેપ મોતનો ગાળિયો બને ત્યારે
  • ચલ મન મુંબઈ નગરી—327 

Diaspora

  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !

Gandhiana

  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર

Poetry

  • સખીરી તારો એ હૂંફાળો સંગાથ …
  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.
  • ગઝલ
  • નહીં આવન, નહીં જાવન : એક  મનન 

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved