Opinion Magazine
Number of visits: 9743255
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

‘વિક્રમ’ લેન્ડરનો વિશ્વવિક્રમ !

રવીન્દ્ર પારેખ|Opinion - Opinion|25 August 2023

રવીન્દ્ર પારેખ

23/08/’23 – શ્રાવણ સુદ સાતમ ને બુધવાર. સમય સાંજે છને ચાર મિનિટનો. વિક્રમ લેન્ડરે વિશ્વવિક્રમ કર્યો. ના, આ કેવળ વિશ્વવિજય જ ન હતો, ચંદ્રવિજ્ય પણ હતો. આખું વિશ્વ એક શ્વાસે, વિક્રમ લેન્ડર, ચંદ્રભૂમિને સ્પર્શે તે ક્ષણને, કરોડો આંખે સ્તબ્ધતાથી જોઈ રહ્યું હતું. ભારતના ધબકાર વધારે એટલા માટે હતા કારણ, બે દિવસ પર જ, ભારતને પાછળ પાડી દેવા રશિયાએ લ્યુનાર-25 દક્ષિણ ધ્રુવ પર ઉતારવાની કોશિશ કરી હતી અને તે તૂટી પડ્યું હતું, એટલે સ્વાભાવિક જ ચંદ્રયાન-3નાં સોફ્ટ લેન્ડિંગની છેલ્લી ક્ષણો ગળે આવી ગઈ હતી, પણ વિક્રમ લેન્ડર સ્પર્શ્યું ને ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર રોવર ઉતારનાર ભારત વિશ્વનો પહેલો દેશ બન્યો. ઇસરોના વૈજ્ઞાનિકોની વર્ષોની સાધના રંગ લાવી હતી અને ચંદ્રની દક્ષિણ ધ્રુવની કુંવારી ભૂમિપર ભારત આરૂઢ થયું હતું. આવું અગાઉ થયું ન હતું. અમેરિકા, ચીન, રશિયા જેવા દેશોથી એ શક્ય ન બન્યું ને ભારત તેમને પાછળ છોડીને આગળ નીકળ્યું હતું. ભારતે વિરલ સિદ્ધિ હાંસલ કરી હતી. આ સિદ્ધિથી ભારત જ નહીં, આખું વિશ્વ પ્રસન્ન હતું. ચંદ્રની દક્ષિણ ભૂમિ પણ વિક્રમ લેન્ડરને આવકારવા ઉત્સુક હોય તેમ આખું ય અભિયાન નિર્વિઘ્ને પાર પડ્યું, અગાઉ ચંદ્રયાન-2 ભારત મોકલી ચૂક્યું હતું, પણ તે ઓછું નસીબદાર પુરવાર થયું હતું અને ચંદ્રની સપાટી વણસ્પર્શી જ રહી જવા પામી હતી. આ વખતે ઇસરો(ઇંડિયન સ્પેસ રીસર્ચ ઓર્ગેનાઇઝેશન)ની વૈજ્ઞાનિક ટીમે જે ક્ષતિ અગાઉનાં ચંદ્રયાનોમાં રહી જવા પામી હતી, તે સુધારી લીધી હતી. આમ તો ચંદ્રયાન-1, 380 કરોડને ખર્ચે ઉતારાયું ત્યારે તેનો હેતુ ચંદ્રની સપાટીને સ્પર્શવાનો ન હતો, પણ ચંદ્રની સપાટીનું નિરીક્ષણ કરીને કે તેની તસ્વીરો ઝડપીને તેનો અભ્યાસ કરવાનો હતો, એ પછી ચંદ્રયાન-2, 22 જુલાઇ, 2019ને રોજ લોન્ચ થયું, પણ તે 6 ડિસેમ્બર, 2019 ને રોજ નિષ્ફળ ગયું. તે સાવ નિષ્ફળ જ ગયું એવું ન હતું. તેનું ઓર્બિટર હજી સક્રિય છે અને તેની ઘણી મદદ ચંદ્રયાન-3ને મળી છે. આમ તો તેનો હેતુ ચંદ્ર પર ઉતરાણનો જ હતો, પણ 960 કરોડને ખર્ચે, 2019માં મોકલાયેલ ચંદ્રયાન-2 આંશિક રીતે જ સફળ રહ્યું. એમાં રહેલી ક્ષતિઓ નિવારાઈ. જેમ કે, લેન્ડરમાં એક એન્જિન ઓછું કરીને ચાર કરાયાં. લેન્ડરનાં પગ વધુ મજબૂત કરાયા, જેથી તે જમીનમાં ધસી ન પડે. સોફ્ટવેર અપડેટ કરાયાં ને ઈંધણની ટાંકી વધારાઈ જેથી કટોકટી ઇંધણ ખૂટવાને લીધે ન સર્જાય. લેન્ડિંગનું ક્ષેત્રફળ પણ વધારવામાં આવ્યું. છતાં, કૈં પણ થઈ શકે એવી ક્ષણોમાંથી યાન પાર પડ્યું એનો હરખ જ પ્રગટ કરવાનો રહે.

એ પછી ચંદ્રયાન-3, 14 જુલાઈએ લોન્ચ થયું ને 1 ઓગસ્ટે ટ્રાન્સલ્યુનર ભ્રમણ કક્ષામાં પહોંચ્યું. તે પછી 5 ઓગસ્ટે સફળતાપૂર્વક ચંદ્રની ભ્રમણ કક્ષામાં પ્રવેશ્યું અને 16 ઓગસ્ટ સુધી ચાર ઓર્બિટ-રિડક્શન મેન્યુવર્સની કામગીરી ચાલી. 17 ઓગસ્ટે પ્રોપલ્શન મોડ્યૂલમાંથી લેન્ડર મોડ્યુલ છૂટું પડ્યું. એ પછી મહત્ત્વની કામગીરી ઇસરોએ કરવાની હતી, તે યાનની ઝડપ ઘટાડવાની-‘ડિબૂસ્ટિંગ’ની ! 20 ઓગસ્ટ સુધી વધુ ઝડપ ઘટાડવામાં આવી ને 23 ઓગસ્ટે 41 દિવસની યાત્રા પછી સાંજે છને ચાર મિનિટે ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર ‘સૂર્યોદય’ થયો. યાન બોલ્યું, ‘હું લક્ષ્ય પર પહોંચી ગયું છું.’ આ સિદ્ધિ મેળવનાર ભારત પહેલો દેશ છે ને તે અમેરિકા, ચીન, રશિયા પછી ચંદ્રકલબમાં દાખલ થનાર ચોથો દેશ બન્યો છે.

વડા પ્રધાન નરેન્દ્ર મોદી તો બ્રિક્સ સમિટમાં જોહાનિસબર્ગ હતા, ત્યાંથી વર્ચ્યુઅલી જોડાયા ને ઇસરોના વડા સોમનાથને અભિનંદન આપતાં તેમનાં નામમાં પણ ચંદ્ર છે એ વાતનો ઉલ્લેખ કરતા બહુ મર્મસ્પર્શી રીતે બોલ્યા કે ઇતિહાસ નજર સમક્ષ બનતો જોઇએ ત્યારે જીવન ધન્ય બની જાય છે. ભારતને દેશી-વિદેશી નેતાઓનાં એટલાં અભિનંદનો મળ્યાં કે વિજયની એ ક્ષણ ચિરંતન બની ગઈ. આટલાં અભિનંદનો ઇસરોને પણ પહેલી વાર જ મળ્યાં હશે. એકતરફ વડા પ્રધાન જેવાની સંવેદના છે, તો બીજી તરફ રાજસ્થાનના એક મંત્રી માટે એવી વેદના પણ છે કે એમણે ચંદ્રયાનમાં ગયેલા યાત્રીઓને સલામ કરી. એમણે કયા કયા યાત્રીઓ ગયા તેનો ખુલાસો કર્યો નથી એટલું સારું છે. બાકી, એવું ય બની શકે.

અહીં NASA અને યુરોપિયન સ્પેસ એજન્સી ESAના સહયોગની પણ નોંધ લેવી પડે. એનું સતત મોનિટરિંગ ઇસરોને ફળ્યું. NASAના DSN કોમ્પ્લેક્સની મદદ એ રીતે મળી કે તે ભારતની બીજી બાજુએ છે, એટલે ચંદ્ર ન દેખાય ત્યારની સ્થિતિ કેલિફોર્નિયાના DSNએ સંભાળી અને જરૂરી માહિતી ઇસરોને પૂરી પાડી. NASAના વડા બિલ નેલ્સને એમ કહીને ઇસરોને અભિનંદનો આપ્યાં કે આ અભિયાનમાં તમારા સહયોગી બનવાનો અમને ગર્વ છે. ઇસરોના ચેરમેન એસ. સોમનાથની ખાનદાની એ છે કે સફળતાનો યશ એ દેશને, તેનાં વડાઓને અને તેના પૂર્વ અને વર્તમાન વૈજ્ઞાનિકો ઉપરાંત હજારેક એન્જિનિયરોને આપે છે.

આપણે સૂરતીઓએ પણ એ વાતે ગૌરવ લેવા જેવું છે કે ચંદ્રયાન-3માં સુરતનો પણ ફાળો છે. તે એ રીતે કે ઇસરોના વૈજ્ઞાનિક મિતુલ ત્રિવેદી સુરતના છે ને ચંદ્રયાન-3ની ડિઝાઇન તેમણે બનાવી છે. વિક્રમ લેન્ડરની ડિઝાઇન એવી રીતે તૈયાર કરાઇ છે કે તે ચંદ્રની સપાટી પર ઊતરે તો ધૂળ ઊડે નહીં. ચંદ્રયાન-2 નિષ્ફળ જવાનું કારણ ત્યાંની ધૂળ પણ હતું. મિતુલ 2011થી ઇસરો અને 2013થી નાસા સાથે જોડાયેલા છે. સુરતની એક્સપેરિમેન્ટલના આ વિદ્યાર્થીએ પૂર્વ આચાર્ય અર્જુન પટેલ સાથે ફોન પર વાત કરી ચંદ્રયાન-3ની સિદ્ધિ બદલ આનંદની આપ-લે પણ કરી.

હવે ચંદ્રયાન-3નાં સફળ સોફ્ટ લેન્ડિંગ પછી રોવર પ્રજ્ઞાનની કામગીરી 14 દિવસ ચાલવાની છે ને આ દિવસો દરમિયાન તેનું મુખ્ય લક્ષ્ય પાણીની અને ઓક્સિજનની શોધનું હશે. ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર સૂર્યનાં કિરણો પહોંચતાં નથી. એટલે કામગીરી થોડી વિકટ પણ હશે. – 200 ડિગ્રીએ પાણી ઠરેલું હોઈ શકે, પણ અહીં હવા નથી. આ એક કારણે નીલ આર્મસ્ટ્રોંગે ચંદ્રની ધરતી પર પગ મૂક્યો એ મિશનને ફેઇક ગણાવાયું હતું. વિરોધીઓની દલીલ એ હતી કે ચંદ્ર પર હવા નથી તો અમેરિકાનો રાષ્ટ્રધ્વજ ફરફર્યો કઇ રીતે? પછી તો અમેરિકાના પ્રતિસ્પર્ધી રશિયાએ જ એને એન્ડોર્સ કર્યું ને શંકાશીલો આશ્વસ્ત થયા. આ જોતાં ત્યાં ઓક્સિજન મળવાની સંભાવનાઓ ઓછી છે, પણ પાણી મળે તો ઓક્સિજનની પણ ખાતરી મળે એમ છે, એટલે જો ભારત એ શોધી લાવે કે ચંદ્ર પર પાણી છે કે રોવર પ્રજ્ઞાન ખનીજ, ધાતુઓની શોધમાં સફળ થાય તો ભારતને મહાસત્તા બનતાં કોઈ રોકી ન શકે. લેઝર ઇનડ્યુસ્ડ બ્રેકડાઉન સ્પેકટ્રોસ્કોપ દ્વારા ચંદ્રની માટી કે પહાડોની સંરચનાનું પરીક્ષણ પણ થશે. ખૂબીની વાત એ છે કે લેન્ડર મોડ્યુલ સફળ થયું એમાં ચેન્નાઈથી 400 કિલોમીટર દૂર આવેલ નામક્કલ ગામની માટી ભાગ ભજવી ગઈ છે. એનું આશ્ચર્ય જ છે કે એ માટી ચંદ્રની ‘એનોર્થોસાઇટ’ માટી જેવી જ છે. 50 ટન માટીનો ઇસરોએ લેન્ડર મોડ્યુલની ક્ષમતા ચકાસવા ઉપયોગ કર્યો ને એનું પરિણામ એ આવ્યું કે વિક્રમ લેન્ડરનું ચંદ્રની સપાટીને સ્પર્શવાનું શક્ય બન્યું. ધારો કે રોવર પ્રજ્ઞાન પાણી કે ખનીજ શોધવામાં સફળ થાય છે તો તે વળી એક વખત અન્ય દેશો માટે અભિનંદનોની વર્ષાનું અને માનવ વસાહતની શક્યતાઓ તપાસવાનું નિમિત્ત બનશે.

2025માં NASA પણ આર્ટેમિસ-3 મોકલવાનું વિચારે છે. તેનો હેતુ અવકાશયાત્રીઓને મોકલીને એ જોવાનો છે કે ચંદ્ર પર માનવ જીવન શક્ય છે કે કેમ? નાસાના જ સંશોધક પ્રબલ સક્સેનાનો દાવો છે કે ચંદ્ર પર સૂક્ષ્મ જીવો જીવી શકે, પણ મનુષ્યનું અસ્તિત્વ શક્ય નથી. ચંદ્ર પર કે અન્ય અવકાશી ગ્રહો પર માનવ જીવન શક્ય છે કે કેમ તેની તપાસ વિશ્વ કરી રહ્યું છે. વડા પ્રધાને તો સૂર્ય અને શુક્ર પર પણ અવકાશયાન મોકલવાની આગાહી કરી છે. એને આવકાર જ હોય અને ઈચ્છીએ કે બ્રહ્માંડનાં રહસ્યોની ઘણી પરત ભારત ખોલી આપે, પણ મનુષ્યનાં વસવાટની શક્યતાઓ તપાસનારા આપણે, આપણને જ પૂછીએ કે આટલી અદ્ભુત ને સુંદર પૃથ્વીને રહેવા જેવી રાખી છે? બીજે પાણી છે કે નહીં તે તપાસીએ છીએ, પણ અહીંનું પાણી, પાણીમાં જાય છે એની ચિંતા નથી. ચંદ્ર પર હવા નથી, હિલિયમ, આર્ગોન, જેવા વાયુઓનાં પાતળાં સ્તર છે, પણ તેને વાતાવરણ કહી શકાય નહીં. ટૂંકમાં, અહીં વાતાવરણ નથી. પૃથ્વી પર છે, પણ તે કેમ બગડે તેની કોશિશો થાય છે. કુદરતે જે વાતાવરણ અહીં ભરપટ્ટે આપ્યું છે તેનાં વિકલ્પે સંશોધનો કરીને બીજે વાતાવરણ શોધવાનાં આપણે ફાંફાં મારીએ છીએ. બ્રહ્માંડનાં રહસ્યો શોધવા, જાણવાનો તો વાંધો જ નથી, વાંધો અહીનાં સંસાધનોને અવગણીને બીજે વસવાટની શક્યતાઓ તપાસાય તેનો છે. અહીં જીવન ન રહે તેની કોશિશો છે ને બીજે નથી ત્યાં જીવનની શોધ ચાલે છે, પણ એક વાત સમજી લેવાની રહે કે પૃથ્વીનો વિકલ્પ બ્રહ્માંડમાં ક્યાં ય નથી …

000

e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 25 ઑગસ્ટ 2023

Loading

મારી પાસે એનો ઉત્તર નથી, તમારી પાસે છે?

રમેશ સવાણી|Opinion - Opinion, Samantar Gujarat - Samantar|24 August 2023

સામાજિક અગ્રણી, લેખક, ‘નવસર્જન’ના સ્થાપક સભ્ય માર્ટિન મૅકવાને સ્થળ મુલાકાત બાદ આંખ ખોલનારો અહેવાલ રજૂ કર્યો છે :

માર્ટિન મૅકવાન

દલિત અત્યાચાર પર યોજાનાર સેમિનારમાં જવા અંગે ગઈ કાલે અવઢવમાં હતો ત્યારે જ મિત્ર શિવ શંકરની એક ઇ-મેઇલ આવી. ખેરાલુ તાલુકા અને મહેસાણા જિલ્લાના લુણવા ગામની ઘટનાનો તેમાં ઉલ્લેખ હતો. મેં સાથી કાર્યકર ભરતભાઈને ફોન કર્યો અને અમદાવાદથી 125 કિલોમીટર દૂર આવેલ ગામે ભરતભાઈ અને શાંતાબહેન સાથે જવા નીકળી પડ્યો.

80 દલિત અને 400 જેટલા અંદાજિત મુસ્લિમ કુટુંબોવાળા આ ગામમાં સરપંચ નસરુદ્દીન હતા. તે અમને સનેવાર ખાનના ઘરે લઇ ગયા. સનેવાર ખાન નાના ખેડૂત છે અને પાંચ વીઘા જમીન ધરાવે છે. જમીનમાં સિંચાઇની વ્યવસ્થા નથી એટલે ભાગે ખેતીમાંથી વર્ષે સાત-આઠ હજાર રૂપિયા આવકમાં મળે છે. કુટુંબમાં તેમના 85 વર્ષનાં અને સાત ચોપડી ભણેલાં માતુશ્રી મેહેરુનિસા ઉપરાંત 4 બાળકો છે. ઊનેશા બાનુ 12મા ધોરણમાં ભણે છે. અરનાઝ બાનુએ 11મા ધોરણમાં પ્રવેશ મેળવ્યો છે. અરીના સાતમા ધોરણમાં અને સૌથી નાનો ઝિયાન બાલમંદિરમાં છે.

હાલ દેશના ઘણાં છાપાં અને સામાજિક પ્રસાર માધ્યમોમાં ચર્ચાના કેન્દ્રમાં સનેવાર ખાન અને સોહાનાબાનુની 15 વર્ષની દીકરી અરનાઝ બાનુ છે. લુણવા ગામની કે.ટી. પટેલ સ્મૃતિ વિદ્યાલય શાળામાં અરનાઝ બાનુએ ભણી 10મા ધોરણની બૉર્ડની પરીક્ષામાં શાળાના તમામ વિદ્યાર્થીઓમાં સૌથી વધુ 78.66 ટકા અને 91.60 પર્સેન્ટાઇલ ગુણ મેળવી માર્ચ 2023માં પ્રથમ અંક હાંસલ કર્યો છે. આ શાળાની પ્રથા અનુસાર, દર વર્ષની 15 ઑગષ્ટના રોજ આઝાદી પર્વની ઊજવણી કાર્યક્રમ દરમિયાન તેજસ્વી તારલાઓનું જાહેર સન્માન થાય છે અને ત્યાર બાદ શાળામાં જાહેરમાં લગાવેલ પાટિયામાં આવા પ્રથમ આવનાર વિધાર્થીનું નામ પણ લખાય છે. આવો જ આઝાદી પર્વનો કાર્યક્રમ તારીખ 15 ઑગષ્ટ, 2023ના રોજ શાળામાં યોજાયો. સમયસર તૈયાર થઇ અરનાઝ બાનુ પણ શાળામાં પહોંચી ગઈ. આજે તેના જીવનનો ધન્ય દિવસ હતો, કારણ જીવનમાં પ્રથમ વાર તેનું જાહેરમાં સન્માન થવાનું હતું. રાષ્ટ્રગીત ગવાયું અને ધ્વજવંદન પણ થયું. હવે એ ક્ષણ આવી જ્યારે આ વર્ષે શાળાનું નામ રોશન કરનાર વિધાર્થીનું નામ જાહેર કરી તેમને મંચ પર બોલાવી તેમનું સન્માન કરવાનું હતું. 15 વર્ષની અરનાઝની ભોળી આંખો આ જ ઘડીના ઈંતજારમાં હતી. 

અરનાઝ

પણ અરનાઝના અગાઉની રાતોમાં જોયેલાં તમામ સપનાં તૂટીને ચકનાચૂર થઇ ગયાં. એસ.એસ.સીના બૉર્ડની પરીક્ષામાં શાળામાં બીજા, ત્રીજા અને ચોથા ક્રમે આવેલ બાળકોનાં નામ જાહેર કરી મંચ પર બોલાવીને તેમનાં સન્માન કરાયાં પણ અરનાઝનું નામ જાણે હવામાં ઓગળી ગયું. અરનાઝની હિન્દુ અને મુસ્લિમ બહેનપણીઓની આંખો આશ્ચર્યથી તેને જોઈ રહી. કાર્યક્રમ સમાપ્ત થતાં વેંત અરનાઝ ઘરે આવી. ઘરના બારણે જ માબાપનો ભેટો થયો. દીકરીના રડમસ ચહેરાથી તેમને આઘાત લાગ્યો. અરનાઝના પ્રથમ શબ્દો હતા : ‘હું ન ભણી હોત તો સારું’. શાળામાં તેનું સન્માન તો ન થયું પણ ભરી સભામાં તેને ઉતારી પાડવામાં આવી. હજુ થોડા દિવસ પહેલાં જ સનેવાર ખાન અરનાઝની માર્કશીટ લેવા શાળામાં ગયા હતા ત્યારે આચાર્યે તેમને કહ્યું હતું કે અરનાઝનો શાળાના વિધાર્થીઓમાં પ્રથમ ક્રમ આવ્યો છે. સનેવાર ખાન શાળાની ‘સ્કૂલ મેનેજમેન્ટ કમિટી’ના સભ્ય પણ રહી ચુક્યા છે. પોતાની દીકરીના અપમાનનો મુદ્દો તેમણે શાળાના અધિકારી સમક્ષ ઉઠાવ્યો. શાળાના ઘણા ઉડાઉ જવાબોમાંથી બે ત્રણ જવાબો આવા હતા. (1) અરનાઝ આ કાર્યક્રમમાં ગેરહાજર હતી માટે તેનું સન્માન રહી ગયું. (2) ખરો કાર્યક્રમ તો 26 જાન્યુઆરીના રોજ યોજાનાર છે ત્યારે સન્માન કરીશું. (3) તમે કહો તો કાલે જ સન્માન કરીએ.

આ બધાં જ જૂઠાણાં હતાં. અરનાઝ કહે છે કે આવો સન્માન કાર્યક્રમ માત્ર 15 ઓગષ્ટના રોજ જ યોજાય છે અને 26 જાન્યુઆરીએ આવો કાર્યક્રમ ક્યારે ય યોજાયો નથી. સનેવાર ખાનના કહેવા અનુસાર શાળામાં CC TV કેમેરા લાગેલા છે અને અરનાઝની કાર્યક્રમમાં હાજરી જોઈ શકાય છે. આ બધા પરથી એક વાત નક્કી જણાય છે. અરનાઝનું જાહેર સન્માન ન કરવાની ઘટના પૂર્વયોજિત છે. આમ કરવાનું કારણ?

અમે અરનાઝને બોલાવી એટલે તે ઘરની બહાર આવી અને શાંતાબહેન સાથે અમારા આગ્રહથી ખાટલા પર બેઠી. એની માસૂમ આંખો આંસુથી છલકાયેલ હતી. શાળા હવે તેનું સન્માન કરે તેમાં તેને કોઈ જ રસ નથી અને તે શાળાનાં પગથિયાં ચઢવા માંગતી નથી. આ વાતચીત દરમિયાન ઘણા સ્ત્રી-પુરુષ-બાળકો ત્યાં આવી ચઢ્યાં. મુસ્લિમ-દલિત પરિવાર એક જ ફળિયામાં રહે છે. અમારી સાથે તે તમામે ચા-પાણી કર્યાં. દલિતો પણ માને છે કે અરનાઝ સાથે ભેદભાવ કરવામાં આવ્યો છે. ત્યાં આવેલ દશરથભાઈ કહે છે કે એમની દીકરી નિશા સાથે પણ આ જ શાળાએ એવું જ વર્તન કર્યું હતું. અમે નિશાને બોલાવડાવી.

નિશા હાલ બી.કોમ.નો અભ્યાસ કરી રહી છે. 2019ના માર્ચમાં SSCની બોર્ડની પરીક્ષામાં આ જ શાળામાં નિશા પ્રથમ ક્રમે આવી હતી. નિશાનું જાહેર સન્માન કરવામાં આવ્યું ન હતું પણ શાળાના પાટિયા પર તેનું નામ અંકિત થયેલ છે. નિશાના પિતા જમીનવિહોણા ખેતમજૂર છે અને મજૂરી તથા પશુપાલનથી રોજીરોટી કમાય છે.

અન્ય એક દલિત યુવાન ત્યાં હાજર છે અને આક્રોશમાં છે. હાલ તે M. Ed.નો અભ્યાસ કરે છે. પોતાની ઇન્ટર્નશિપ માટે તે આ શાળામાં ગયો ત્યારે તેને અપમાનિત કરવામાં આવ્યો હતો.

સનેવાર ખાનનું ખેતર આ શાળાને અડીને આવેલું છે. થોડાં વર્ષ પહેલાં સરકારના ચાર મંત્રીની શાળામાં પધરામણી થવાની હતી ત્યારે શાળાની વિનંતીથી તેમના ખેતરમાં જાહેર કાર્યક્રમ થઇ શકે તે માટે તેમણે પાકની વાવણી કરવાનું માંડી વાળ્યું હતું. સામાન્ય ફરિયાદ પ્રમાણે મુસ્લિમ પરિવારો પોતાની દીકરીઓને ઝાઝું ભણાવતા નથી પણ અહીં તો 12 ચોપડી ભણેલ સનેવાર ખાન અને 7 ચોપડી ભણેલ સોહાનાબાનુંએ આ વર્ષે પોતાનું ખેતર એક લાખ રૂપિયામાં ગીરવે મૂક્યું છે, જેથી તે પોતાની બંને દીકરીઓને ભણાવી શકે. આ ગામમાં અત્યારે વહીવટદાર નિમાયા છે પરંતુ અગાઉ પાંચ વર્ષ સુધી સરપંચ નસરુભાઈ હતા. આ શાળાએ ક્યારે ય ગામના સરપંચને કોઈ જાહેર કાર્યક્રમમાં કે આઝાદીની ઊજવણી કાર્યક્રમમાં પણ નિમંત્રણ આપ્યું નથી.

શાળામાં ભણતા હતા ત્યારે આઝાદી બાદ ભારતના ભાગલા પડી તેમાંથી ભારત-પાકિસ્તાનના સર્જન વિષે માહિતી મળેલ હતી. દુનિયાના નકશામાં ગુજરાત-રાજસ્થાન-પંજાબ અને કાશ્મીરની સરહદે એક જ પાકિસ્તાન આવેલું હતું પણ કમનસીબી છે કે ભા.જ.પ. અને તેના વિવિધ સાથી પક્ષોએ ભારતના દરેક ગામ અને શહેરમાં નવા પાકિસ્તાનની રચના કરી, પાકિસ્તાનનો વિસ્તાર વધાર્યો છે. આ સંકુચિત દૃષ્ટિવાળા રાજકારણમાં ધર્મને આધારે ધ્રુવીકરણનો ફાયદો જરૂર તેમને સત્તા ટકાવવામાં મદદ કરી રહ્યો છે પણ એની સાથે સાચા રાષ્ટ્રવાદીઓની ચિંતા અનુસાર ભારત નબળું પડી ગયું છે. દેશની પ્રજા વિભાજીત હોય ત્યાં અવિભાજ્ય રાષ્ટ્રના સપનાં ઝાંઝવાનાં જળ સમાન છે.

નાનાં-ભૂલકાં જેવા નિર્દોષ બાળકોના દિલ-દિમાગમાં ધૃણાનાં વાવેતરનો ફાલ આવે ત્યારે એને લણવા કોણ જશે ? સમુદ્રમંથન સમયે વિષ આરોગી જનાર નીલકંઠ હતા પણ હવે જ્યાં નીલકંઠનું કામ કરતી તમામ જાહેર સામાજિક-સાંસ્કૃતિક કે ધાર્મિક સંસ્થાઓને ગળે ટૂંપો દેવાઈ રહ્યો છે  ત્યારે ભારતનું ભવિષ્ય કેવું હશે તે ચિંતા સામાન્યજનને કોરી ખાય તે સ્વાભાવિક છે.

અરનાઝનું અપમાન તે તો હકીકતે તેનું અપમાન કરવાવાળાઓનું અપમાન છે. બે કલાક ગામમાં રહી હું પાછો વાળ્યો ત્યારે આંસુથી છલકાતી અરનાઝની વાત મને કોરી રહી છે. મેં તેને પૂછ્યું હતું : ‘અરનાઝ તને શું જોઈએ?’ એણે મને કહ્યું, ‘ન્યાય’. મારી પાસે એનો ઉત્તર નથી, તમારી પાસે છે? 

[સૌજન્ય : માર્ટિન મેકવાન]
સૌજન્ય : રમેશભાઈ સવાણીની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

પ્રેમના સહિયારાપણાની ‘કોશિશ’

રાજ ગોસ્વામી|Opinion - Opinion|24 August 2023

રાજ ગોસ્વામી

ગુલઝાર નિર્દેશિત સંજીવ કુમાર – જયા બચ્ચનની એવોર્ડ વિજેતા ફિલ્મ ‘કોશિશ’(1972)માં, શરૂઆતમાં મુખ્ય ભૂમિકામાં મૌસમી ચેટરજી હતાં એ વાત જાણીતી છે, પરંતુ એ ભૂમિકા કેવી રીતે જયાજી પાસે ગઈ તેને લઈને કોઈએ ખાસ ફોડ પાડ્યો નથી. વાત એવી છે કે મૌસમી મોંઘી-મોંઘી સાડીઓ, મહેનતાણાંના વધુ પૈસા અને મોડે સુધી શુટિંગ કરવાને લઈને ગુલઝારને પરેશાન કરતાં હતાં એટલે કંટાળીને તેમને પાણીચું આપવામાં આવ્યું હતું અને પછી જયા બચ્ચનને લેવામાં આવ્યાં હતાં.

તાજેતરમાં મૌસમીજીએ તેના માટે તે સમયના છળ-કપટનો દોષ કાઢ્યો છે. ‘લહેરે ટીવી’ ચેનલ માટે વરિષ્ઠ પત્રકાર ભારતી પ્રધાન સાથે વાત કરતાં તેમણે કહ્યું છે કે, “કોશિશ માટે મેં ત્રણ દિવસ શુટિંગ કર્યું હતું. હું જોતી હતી કે જયા બચ્ચનની સેક્રેટરી સવારથી સાંજ સુધી ગુલઝારની ઓફિસમાં બેસી રહેતી હતી. હું ગુલઝાર’દાને બહુ પહેલાંથી ઓળખતી હતી. એ મારાં સાસુ (સંગીતકાર અને ગાયક કલાકાર હેમંત કુમારનાં પત્ની બેલા મુખરજી)ને ઉર્દૂ શીખવાડવા માટે આવતા હતા. અચાનક જ તેમણે મને કહ્યું કે કાલથી તારે મોડી રાત સુધી શૂટિંગ કરવું પડશે. હું એ વખતે જ મા બની હતી. મેં કહ્યું કે, નહીં થાય, ઘરે શિશુ છે, હું એક જ શિફ્ટમાં કામ કરી શકું તેમ છું. તેમણે બધાની હાજરીમાં કહ્યું, તારી જગ્યા લેવા માટે ઘણી એક્ટ્રેસ લાઈનમાં છે. હું અકળાઈ અને બોલી, “તો લઇ લો.”

મૌસમી કહે છે કે આ સાંભળીને ગુલઝારે તેમના સસરા હેમંત કુમારને ફોન કર્યો કે “દાદા આ જતી રહે છે. સસરાએ કહ્યું કે ભલે જતી.” બીજા દિવસે, ગુલઝારનો સહાયક મૌસમીના ઘરે આવ્યો અને ફિલ્મમાં જે સાડી પહેરવાની હતી તેની માંગણી કરી. સાંજે તો એ જ સાડીમાં જયા બચ્ચને શુટિંગ શરૂ કરી દીધું. મૌસમીએ એ ઇન્ટરવ્યૂમાં એ એકરાર કર્યો છે કે આમ પણ, વ્યક્તિગત જીવનને પ્રાથમિકતા આપવાનાં કારણે તેના વ્યવસાયિક જીવનને ઘણું નુકશાન થયું હતું.

એમ તો સંજીવ કુમારને પણ ફિલ્મના નિર્માતા રોમુ અને રાજ એન. સિપ્પી સાથે વાંકું પડ્યું હતું. સંજીવ કુમારે ફિલ્મના નફામાં 25 ટકાની ભાગીદારીમાં એ ભૂમિકા કરી હતી, પરંતુ ફિલ્મ રિલીઝ થયા પછી નિર્માતાઓ ગલ્લાં-તલ્લાં કરવા લાગ્યા કે ફિલ્મ ફ્લોપ ગઈ છે અને નફો નથી થયો.

સંજીવ કુમારે પૈસા માટે આ ફિલ્મ નહોતી કરી, પણ નિર્માતાઓના વ્યવહારથી તેમને દુઃખ થયું હતું. ગુલઝાર અને સંજીવ કુમાર વચ્ચે એવી સમજૂતી થયેલી હતી કે બંને જણા વર્ષમાં ઓછા બજેટની હટકે ફિલ્મ કરશે. તે વખતે ફિલ્મ જગતના લોકો ગુસપુસ કરતા હતા કે આ ફિલ્મ સંજીવ કુમાર અને ગુલઝારને જોવા માટે બનાવવામાં આવી રહી છે, બાકી બહેરા-મૂંગા યુગલની ફિલ્મ જોવા કોઈ નહીં આવે.

એવું નહોતું. ‘કોશિશ’ ગુલઝાર, સંજીવ કુમાર અને જયા બચ્ચનની કારકિર્દીની એક સીમાચિહ્ન રૂપ ફિલ્મ છે. તેને 1973નો બેસ્ટ ફિલ્મ અને બેસ્ટ એક્ટરનો નેશનલ એવોર્ડ અને બેસ્ટ એક્ટરનો બેન્ગાલ ફિલ્મ જર્નાલિસ્ટ એશોસિએશન એવોર્ડ (બી.એફ.જી.એ.) મળ્યો હતો. તે ઉપરાંત, તેને 1974ના બેસ્ટ ફિલ્મ, બેસ્ટ ડિરેકટર, બેસ્ટ એક્ટર અને બેસ્ટ એક્ટ્રેસ ફિલ્મફેર એવોર્ડ માટે નોમિનેટ કરવામાં આવી હતી. અલબત્ત, તે વર્ષે ‘કોશિશ’ની સ્પર્ધા બોબી, ઝંઝીર, દાગ, અનુરાગ (જેમાં મૌસમીજી હતાં) સાથે હતી.

ગુલઝાર અને સંજીવ કુમારનું એ સાચે જ સાહસ કહેવાય કે 80ના દાયકાના મારધાડ અને ઘોંઘાટિયા ફિલ્મોના દોરમાં તેમણે એક એવી ફિલ્મ બનાવી હતી જેમાં નાયક અને નાયિકા ન તો બોલી શકે કે ન તો સાંભળી શકે છે. માનવીય લાગણીઓની જટિલતાને બતાવવા / સમજવાની વાત આવે ત્યારે, હિન્દી સિનેમામાં ગુલઝારથી બહેતર કોઈ લેખક કે નિર્દેશક નથી. ચાહે ‘મેરે અપને’ હોય, ‘ખુશ્બૂ’ હોય, ‘આંધી’ હોય, ‘મોસમ’ હોય કે ‘ઈજાજત’ હોય, ગુલઝારે આપસી સંબંધોની સંવેદનશીલતાને બહુ પ્રેમથી પ્રદર્શિત કરી છે. એ તર્જ પર, ‘કોશિશ’માં દર્શકોને ભાવનાઓની એક અલગ જ દુનિયામાં લઇ જવાનો પ્રયાસ હતો.

મૂળમાં આ ફિલ્મ 1961માં આવેલી જાપાનીઝ ફિલ્મ ‘હેપ્પીનેસ ઓફ અસ અલોન’ પરથી પ્રેરિત હતી. 1952માં, ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ ઓફ ઇન્ડિયામાં ગુલઝારે આ ફિલ્મ જોઈ હતી. તેમાં, દ્વિતીય મહાયુદ્ધમાં બરબાદ થયેલા જાપાનમાં એક મૂંગું યુગલ બાળક પેદા કરે છે અને ક્રૂર સમાજ કેવી રીતે તેમને નકામા અને નાલાયક ગણીને ઉપેક્ષા કરે છે તેની હૃદયસ્પર્શી વાર્તા હતી. ગુલઝારે તેમાં થોડા ફેરફાર સાથે તેને ભારતીય સંદર્ભમાં પેશ કરવાનું નક્કી કર્યું હતું.

એક ઇન્ટરવ્યૂમાં તે કહે છે, “એ ફિલ્મમાં દિવ્યાંગ લોકો માટે વિશેષ અને અલગ દુનિયા સર્જવાનો ખ્યાલ કેન્દ્રમાં હતો. એ વાત મને બહુ નવી લાગી હતી. એ ફિલ્મ જોઈ ત્યારથી મને થયા કરતું હતું કે દિવ્યાંગ લોકો સમાજનો જ એક અવિભાજ્ય હિસ્સો છે એ વાત મારે કહેવી છે.” આ ફરક મહત્ત્વનો છે. જાપાનીઝ ફિલ્મ દિવ્યાંગ લોકો માટે અલગ દુનિયા હોવી જોઈએ તેની વકાલત કરતી હતી, ગુલઝારની ‘કોશિશ’ એવા લોકો સમાજનો જ હિસ્સો હોવા જોઈએ તેના પર ભાર આપતી હતી.

ફિલ્મમાં હરિચરણ (સંજીવ) અને આરતી (જયા) નામનાં ગરીબ અને દિવ્યાંગ યુગલને જિંદગીમાં કેવી પરેશાનીઓમાંથી પસાર થવું પડે છે તેની પીડાને ગુલઝારે અદ્ભુત સંયમથી પેશ કરી હતી. સંયમથી એટલા માટે કે બહેરાં-મૂંગાની વાર્તા હોય એટલે દર્શકોની સહાનુભૂતિ ઉઘરાવાની લાહ્યમાં ફિલ્મમેકર તેમને બિચારાં અને દયાને પાત્ર બતાવવાની લાલચને રોકી ન શકે.

તેના બદલે, ‘કોશિશ’માં ગુલઝારે એક એવા યુગલની વાર્તા માંડી હતી જે શારીરિક કમજોરી હોવા છતાં સામાન્ય માણસથી કોઈપણ રીતે ઉતરતાં નથી. એ બાબતમાં ગુલઝાર એક જાદુગર છે. એ લાગણીઓનો તમાશો નથી કરતાં, એ તેની કવિતા રચે છે. ‘કોશિશ’ જોયા પછી આપણને હરિચરણ-આરતી પર દયા આવવાના બદલે, તેમના જીવનની સુંદરતા, અડચણો સામે ટકી રહેવાના તેમના સાહસ અને ઉત્તમ ભવિષ્ય માટેનો તેમનો આશાવાદ જોઈને આપણને આપણા ખુદના ‘તંદુરસ્ત’ જીવનને કેવી રીતે જીવવું તેની પ્રેરણા મળે છે.

પ્રેમના સહિયારાપણાનું એ પ્રદર્શન ‘કોશિશ’ ફિલ્મને એક અવિસ્મરણીય અનુભવ બનાવે છે. બે મૂંગા અને બહેરાં સ્ત્રી-પુરુષ પ્રેમમાં પડે અને આજીવન સાથે રહેવાનું નક્કી કરે એથી વધુ રોમેન્ટિક વાર્તા બીજી શું હોઈ શકે! મજાની વાત એ છે કે માત્ર ગુલઝારને જ એવો વિચાર આવેલો કે બોલિવૂડના પડદા પર એક એવી પણ ફિલ્મ બનાવવી જોઈએ જ્યાં પ્રેમને શારીરિક ક્ષમતા કે કમજોરી સાથે સંબંધ ન હોય. એટલે જ ફિલ્મનો અંત એક પંક્તિ સાથે થાય છે : એન્ડ કોશિશ કન્ટિન્યૂઝ …

સંજીવ કુમાર એક ઉત્કૃષ્ઠ અદાકાર હતા તેની અનેક ફિલ્મો ગવાહી પૂરે છે પરંતુ 1972ની ‘કોશિશ’ અને 1975ની ‘શોલે’ તેમને એક અલગ જ શિખર પર લઇ જાય છે. બંને ફિલ્મોમાં તેમણે શારીરિક કમજોરીને આધાર બનાવીને અદાકારીનો એવો રંગ બતાવવાનો હતો કે દર્શકો દયા ખાવાને બદલે જોશ અનુભવે.

‘કોશિશ’ ફિલ્મે એટલા બધા લોકોની લાગણીઓને સ્પર્શ કર્યો હતો કે મુંબઈમાં તો એ જ નામની એક દિવ્યાંગ સ્કૂલ પણ સ્થાપવામાં આવી હતી અને સંજીવ કુમાર (જયા બચ્ચનની સાથે) આજીવન એ સ્કૂલ સાથે જોડાયેલા રહ્યા હતા.

(‘સુપરહિટ’ નામક લેખકની સાપ્તાહિક કોલમ, “સંદેશ”; 23 ઑગસ્ટ 2023)
સૌજન્ય : રાજભાઈ ગોસ્વામીની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

...102030...1,0451,0461,0471,048...1,0601,0701,080...

Search by

Opinion

  • સ્ટ્રેટ ઑફ હોર્મુઝઃ “બહોત કઠિન હૈ ડગર પનઘટ કી …” ભારતની ઊર્જા સુરક્ષા પર સાંકડા માર્ગનો સકંજો
  • ચલ મન મુંબઈ નગરી—334
  • મારે મોગલ ને ફુલાય પિંજારા 
  • અસત્યના પ્રયોગો  
  • દલિત આંદોલનની દિશા કેવળ અનામત-એટ્રોસિટીમાં ઇતિ નથી

Diaspora

  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા
  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ

Gandhiana

  • માનવતાવાદી ત્રિપુટીને સ્મરણાંજલિ 
  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …

Poetry

  • કવિ
  • ગઝલ
  • ગઝલ
  • કોઈ અપાવે જો એ બાળપણ પાછું …
  • પન્નાને, વેલન્ટાઈન ડે, ફેબ્રુઆરી 14, 2026 ~ સોનેટ ~ નટવર ગાંધી

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved