Opinion Magazine
Number of visits: 9563310
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

સ્મરણ શહાદતના સંગમતીર્થનું અમન, એખલાસ, ઇન્સાફનું 

પ્રકાશ ન. શાહ|Opinion - Opinion|3 July 2023

વસંત–રજબને

વીરા તેં તો રંગ રાખ્યો :

                પ્રથમ વખત તેં મુક્તિનો સ્વાદ ચાખ્યો;

‘બી ના! બી ના!’ પુકારી 

                 નિજ બંધુજનને ભવ્ય પેગામ ભાખ્યો.

‘તેં સાધ્યું કાંઈયે ના!’

                 કહી કદી અધીરો  આપશે ક્રૂર મેણું;

કે‘જે પ્રત્યુત્તરે  કે 

                ‘અભય બની પ્રજા:’ લૈશ હું સર્વ લેણું.

                                                        — ઝવેરચંદ મેઘાણી 

બસ હવે આડા બે દિવસ માંડ છે: પહેલી જુલાઈએ ગુજરાતના જાહેર જીવનની અનન્ય ને અનેરી કર્મબાંધવી, વસંત-રજબની બલિદાની સ્મૃતિ દિલને દરવાજે દસ્તક દેતી હશે. 1946ની કોમી હુતાશનમાં એમણે પવિત્ર શ્રીફળની પેઠે હોમાવું પસંદ કર્યું હતું. એમના પંચોતેરમા સ્મૃતિપર્વે જમાલપુર ખાંડની શેરીના સ્મારક પર યાત્રાભાવે હાજરી ભરનારાઓમાં જગન્નાથ મંદિરના મહંત દિલીપદાસજી પણ હતા; કેમ કે 1946ની પહેલી જુલાઈએ રથયાત્રાનું પર્વ પણ હતું.

ઓળખવા જેવાં છે આ બે પાત્રો. વસંતરાવ હેગિષ્ટે. મૂળ મહારાષ્ટ્રનો પરિવાર, પેઢીઓથી અમદાવાદ-ગુજરાતમાં સ્થાયી થયેલો. એમની જાગુષ્ટેની પુસ્તકદુકાન જૂની ને જાણીતી. વસંતરાવ સેવાદળના કાર્યકર. એ તો 1946માં ગયા પણ હેગિષ્ટે પરિવારની હાજરી આપણા જાહેર જીવનમાં અન્યથા પણ ચાલુ રહી, એમનાં બહેન હેમલતા જ્યોતિસંઘમાં આગળ પડતાં હતાં. રજબઅલી વયમાં નાના. લીંબડીમાં રહેતો પરિવાર ને કરાચીમાં ભણતર. વળી સૌરાષ્ટ્રમાં આવવાનું થયું અને અવનવા સંપર્કો થયા. ‘સમય’ખ્યાત ભાનુભાઈ શુક્લે સંભાર્યું છે કે ભાવનગર કોલેજની એમની હોસ્ટેલ રૂમમાં એક વાર ટકોરા મારીને કોઈ છાત્રે પ્રવેશ કર્યો. એ રજબભાઈ હતા, બારણા પર રૂસી ક્રાંન્તિની (સામ્યવાદની) યાદી રૂપ હથોડી ને દાતરડું ચિતરાયેલાં જોઈને! નવા વિચારોનો પરિચય કેળવવો એ રજબઅલીનું સહજ વલણ હતું. જો કે એ ઠર્યા હતા ગાંધીવિચારમાં. ભાવનગરમાં નાનાભાઈ ભટ્ટના ઘરે જે જુવાનિયા પૂર્ણ સ્વાતંત્ર્યની પ્રતિજ્ઞા લેવા એકત્ર થયા તેમાંના એ એક હતા. વસંતરાવ રાષ્ટ્રીય ચળવળ ને કંઈક સાવરકરી ખેંચાણ છતાં ગાંધીવિચારમાં ઠર્યા હતા. સેવાદળની કામગીરી, વ્યાયામ પ્રવૃત્તિ, જયન્તિ દલાલ જેવા બૌદ્ધિક સ્વાતંત્ર્યસૈનિકો સાથે ગતિ-રેખા પ્રકારની પ્રવૃત્તિમાં પણ સક્રિય સહભાગિતા. પછાત વિસ્તારમાં નીરુ દેસાઈ સાથે મળીને રાત્રિવર્ગો ચલાવતા.

બંને મિત્રો, દેશમાં બગડતા માહોલ વચ્ચે ફૈઝપુર કાઁગ્રેસે મુસ્લિમ વ્યાપક સંપર્કનો જે કાર્યક્રમ લીધો એના ઉત્કટ સમર્થક હતા. વસંતરાવના જેલસાથી મગનભાઈ પ્ર. દેસાઈએ નોંધ્યું છે કે જેલના પઠાણ સાથી સાથે વસંતરાવનો ખાસો ઘરોબો હતો. હેમલતાબહેને લખ્યું છે કે અમે ભાઈને મળવા જેલ પર ગયા તો હતાં કુટુંબના સભ્ય તરીકે, પણ એક મુસ્લિમ ભાઈ પણ જોડાઈ ગયા ને જેલરે રોક્યા તો કહ્યું કે હું એમનો મુલાજિમ (નોકર) છું, ને દાખલ થઈ ગયા!

વસંતરાવ બૌદ્ધિક ક્ષમતાપૂર્વક પણ કર્મઠ કાર્યરુઝાનનો જીવ. રજબઅલી કામમાં પડે, ઉપાડે; પણ બૌદ્ધિક પ્રતિભા અનન્ય. સૌરાષ્ટ્રના એમના મિત્રોને હતું કે જવાહરલાલ નેહરુએ જેમ લોહિયા, જયપ્રકાશ જેવાને કાઁગ્રેસની વડી કચેરીમાં નોતર્યા ને તેઓ ઝળકી ઊઠ્યા તેમ રજબભાઈએ પણ રાષ્ટ્રીય સ્તરે જવું જોઈએ. ગમે તેમ પણ, બબલભાઈ અને બીજાઓએ સૂચવ્યું ને રજબઅલી અમદાવાદ આવીને રહ્યા – ને એમના ને વસંતરાવનાં દિનરાત એક બની રહ્યાં.

પણ મને લાગે છે કે રજબભાઈએ જે પુસ્તકો જેલવાસમાં અનુવાદ સારુ પસંદ કર્યાં હતાં એની થોડીક વાત એમના પ્રતિભાદર્શન સારુ જરૂર કરવી જોઈએ. આ ત્રણ પુસ્તકો તે ‘એલોન’, ‘કોમ્યુનલ ટ્રાયેન્ગલ’ અને ‘પાવર ઓફ નોન-વાયોલન્સ.’ ‘એલોન’ (‘એકાંતનું સામ્રાજ્ય’) એ દક્ષિણ ધ્રુવના એકલવીર પ્રવાસીની અદ્દભુત સાહસકથા છે. અનુવાદની પ્રસ્તાવનામાં એમણે ગુજરાતના જુવાનો આવાં સાહસ-સંસ્કાર દ્વારા બળવાન, વીર્યવાન ને શૂરવીર બને એવી ઝંખના પ્રગટ કરી છે. દેખીતી રીતે જ ઘટમાં ઘોડા થનગને અને આતમ વીંઝે પાંખ ત્યારે જડી રહે એવું આ પુસ્તક હતું. તો, અશોક મહેતા અને અચ્યુત પટવર્ધન કૃત ‘કોમ્યુનલ ટ્રાયેન્ગલ’ (‘હિંદનો કોમી ત્રિકોણ’) એ સ્વરાજ સારુ થનગનતી ને પાંખ વીંઝતી તરુણાઈ સામેનું વાસ્તવચિત્ર હતું. ‘પાવર ઓફ નોન-વાયોલેન્સ’નો અનુવાદ એમણે સ્વયંસેવી હૈયાઊલટથી હાથ ધર્યો. એમાંથી એમની વૈચારિક પ્રતિબદ્ધતાનો એક સંકેત અવશ્ય મળે છે. માત્ર, ‘નવજીવન’ તરફથી તે સ્વતંત્રપણે બહાર પડવામાં હતો એવું જાણતાં અડધેથી પડતો મૂકેલો.

1946ની પહેલી જુલાઈનું તંતોતંત ચિત્ર અહીં નહીં આપતાં એટલું જ કહીશું કે હિંદુઓ વચ્ચેથી મુસ્લિમને અને મુસ્લિમો વચ્ચેથી હિંદુને બચાવતાં, શાંતિ માટે સમજાવતાં ને હુમલો કરવો હોય તો પહેલો અમારા પર કરો એમ આડશ ધરતા બેઉએ એક તબક્કે જીવ ખોયો, કહો કે જીવી જાણ્યું. બેઉનાં લોહી જ્યાં એકમેકમાં ભળી ગયાં તે સંગમતીર્થે આજે સ્મારક ઊભું છે. ગોમતીપુરના ચારવાટ કબ્રસ્તાનમાં રજબઅલીની મજાર હવે સોજ્જી સાફસફાઈ ને રાખરખાવટ સાથે જીવતી થઈ છે અને શહાદત દિને સૌ યાત્રાભાવે જેમ સ્મારક પર તેમ ત્યાં પણ જતા થયા છે.

સેવાદળનું પ્રતિવર્ષ સ્મારકે જવું અલબત્ત જારી હતું. પણ વરસોનાં વા’ણાં વાયાં તેમ એમાં સ્વાભાવિક જ મંદતા આવી. એવામાં 1992-93થી કાર્યરત સેક્યુલર લોકશાહી આંદોલને એ પ્રણાલિકા જીવંત ને બલવતી કરી. યાત્રાભાવ સાથે વ્યાપક નાગરિક અર્થમાં રાજકીય સંકલ્પ જોડ્યો અને આ શહાદતને વ્યાખ્યાયિત કરી, અમન-એખલાસ-ઈન્સાફ રૂપે. શાંતિ ખરી પણ ન્યાયમંડિત. અહીંથી જ 2002માં રાષ્ટ્રીય માનવ અધિકાર પંચના હેવાલને પગલે ન્યાયિક પ્રક્રિયા વાસ્તે સહીઝુંબેશ પણ શરૂ થઈ.

સ્વરાજના એક વરસ અને એક મહિના આગમચ ઘટેલ આ ઘટના કોઈ ક્ષણાવેશી વીરમૃત્યુની નથી. જેમને આર્થિક-સામાજિક રસકસે ભરી સમાનતા ને સ્વતંત્રતાની આઝાદ જુગલબંદી ખપતી હતી એમણે નવી ને ન્યાયી દુનિયા માટે નિમંત્રેલ કુરબાનીની આ કથા છે. જયન્તિ દલાલ અને ઈન્દ્રવદન ઠાકોરે એકત્ર કરેલી આરંભિક સામગ્રીમાં ઝવેરચંદ મેઘાણીએ સ્વીકારેલી સંપાદકીય જવાબદારી સાથે મૂલ્યવાન ઉમેરાપૂર્વક એક સમૃદ્ધ સ્મૃતિગ્રંથ સુલભ થયો છે તે આપણી સમજ ને સંવેદનાને સંકોરતો રહે છે.

e.mail : prakash.nireekshak@gmail.com
પ્રગટ : ‘તવારીખની તેજછાયા’ નામક લેખકની સાપ્તાહિક કોલમ, ‘કળશ’ પૂર્તિ, “દિવ્ય ભાસ્કર”; 28 જૂન 2023

Loading

ન અહીં ન તહીં 

ઉમેશ સોલંકી|Poetry|3 July 2023
પગ ઉપાડું તો ઊપડે નહીં
મનખે ચોંટ્યું જળ, જળ જળ પરથી ઊખડે નહીં
શ્વાસ લઉં તો ઊઠે તરંગ
બહાર નાના ને નાનચીકા પરપોટા સળંગ
ન અહીં આરો, ન તહીં આરો
મધદરિયે ક્યાંક ખરો કિનારો
e.mail : umlomjs@gmail.com

Loading

સમાનતા કુદરતને તો ઠીક, માણસને પણ બહુ માફક આવતી નથી … 

રવીન્દ્ર પારેખ|Opinion - Opinion|3 July 2023

રવીન્દ્ર પારેખ

કુદરતને જ્યારે પણ જાણવા-માણવાનું થાય છે, ત્યારે તેનું વૈવિધ્ય પહેલાં ધ્યાન ખેંચે છે. સૂર્ય એક જ છે, પણ સવારનો ને સાંજનો જુદો છે. એ જ રીતે ચંદ્ર એક જ છે, પણ પૂનમનો ને આઠમનો જુદો છે. તારાઓ અગણિત છે, સરખું જ ટમટમે છે, પણ સપ્તર્ષિનું ઝૂમખું અલગ જ તરી આવે છે. શુક્રની હીરા જેવી ચમક, બીજા તારાઓમાં નથી. સમુદ્ર બધા જ ખારા, પણ તેનાં રંગો, તેની ગહેરાઈ-પહોળાઇનો ગુણાકાર, તેને એકબીજાથી નોખા પાડે છે. કહેવાય તો બધી નદી જ, પણ તેનું જળ, તેની ચમક, તેનો વિસ્તાર તેનું પૌરાણિક મહત્ત્વ, તેને અન્ય નદીઓથી અલગ તારવે છે. આ પહાડોને જ જુઓને ! એક હિમાલય છે, તો એક ગિરનાર, એક સહ્યાદ્રિ છે, તો એક આબુ. એક પર બરફ છે, તો એક ધગધગે છે. ક્યાંક વૃક્ષો છે, તો ક્યાંક શિખરો બોડકાં છે. એક ઊંચો, તો બીજો નીચો. એ નીચો પણ, અનેક શિખરોથી શોભે છે. સમાનતાને નામે આ શિખરોને કાપીકૂપીને સરખાં કરવાં જેવાં ખરાં?

– ને વૃક્ષો? કેટલું વૈવિધ્ય ! કેટલાંક તો આકાશ ટોચવાનાં હોય તેમ સીધાં ઊંચે ધસે, તો કેટલાંક જમીન પર જ એટલી શાખાઓ પ્રસારે કે એક જ વૃક્ષથી જંગલ રચાતું લાગે. આમ ત્યારે કહેવાય બધાં વૃક્ષો, પણ કોઈનાં પાન લાંબાં, તો કોઈનાં સાવ ટૂંકાં. જાણે ફૂટવાં જ ન માંગતાં હોય ! કોઈ કોઈ તો લીલી હથેળીઓ જેવાં ! પાન લીલાં, પણ લીલાશની પણ કેવી નોખનોખી રંગછટાઓ ! કેટલાંક પાન, ઘેરાં લીલાં તો કેટલાંક પોપટી લીલાં. એમાં જો તડકો ઉમેરાય તો એ લીલાશનો તેજવૈભવ અભિભૂત કર્યા વિના ન રહે. વૃક્ષો ય કેટલાંક તો એવાં ઘટાદાર ને ઘેરદાર કે સૂર્યનું કિરણ પણ, તેને ભેદીને ઊંડે ન ઊતરી શકે. કોઈ કોઈ પર્વતો પરની વનરાજિ જોઈએ તો લાગે કે વૃક્ષો પર્વતારોહકોની જેમ, નીચાં ઝાડનો ટેકો લઈને ટોચે પહોંચ્યાં હશે ! વૃક્ષો સાથે કુહાડાઓ ભલે સ્પર્ધામાં હોય, પણ આંખને લીલાશનો વિરહ નથી થતો એટલો ઉપરવાળાનો ઉપકાર ! સાચું તો એ છે કે આપણને હરિયાળી અને વરિયાળી વગર ચાલતું નથી, એટલે વરિયાળી મુખવાસમાં ને બોન્સાઈ આવાસમાં રાખીએ છીએ. કાપીકૂપીને વૃક્ષોને આપણે, આપણી સાઇઝનાં કર્યાં છે. તે એટલે કે કોઈ વરદ કે મરદ હસ્તને વૃક્ષારોપણનો પ્રસંગ પડે. બગીચાઓ આપણે મેટ્રોમાને વધેર્યાં ને મહિમા ટેરેસ ગાર્ડનનો કર્યો. શહેરનાં વૃક્ષો ડામરથી ડરીને, ક્યાંક આડું અવળું ન ઊગી જવાય એની કાળજી રાખીને, વગર ટાઢે થરથરતાં ઊભાં રહે છે- જાણે સંત્રીઓ કોઈ મંત્રીને પસાર કરવા લાઇનમાં ઊભાં છે ! આમ તો ફૂલો જુદાં. એક ડાળ પર પાસપાસે ઊગે તો ગુલાબ જ, પણ બંનેની ગુલાબી પાંદડીઓ વત્તીઓછી.

આ તો પ્રકૃતિની વાત થઈ. એ એક સમાન નથી. એમ જ માણસને પણ સમાનતા બહુ ફાવતી નથી. તમને ખબર છે, બાળક જન્મે ત્યારે રડે છે કેમ? એને માબાપ પસંદ કરવાનો અધિકાર નથી એટલે એ રડે છે. ગમે એટલી કોશિશ કરે, પણ માણસ જન્મ આપનારી માતાને બદલી નથી શકતો કે જન્મનું બીજ નકારી નથી શકતો. બીજું, જન્મતાં જ તેને ધર્મ વળગી પડે છે. તેણે હિન્દુ થવું કે મુસ્લિમ કે શીખ કે ઈસાઈ, તે તેના હાથમાં નથી. એ પાછળથી ધર્મપરિવર્તન કરી શકે, પણ જન્મ સાથે મળેલા ધર્મની ગંધ તો એને વળગેલી જ રહે છે.

કહેવાય તો બધાં જ બાળકો, પણ કોઈ ગોરું છે, તો કોઈ કાળું, કોઈ હિન્દુ છે, તો કોઈ મુસ્લિમ. કોઈ શીખ છે, તો કોઈ પારસી. બધાંનાં વિધિવિધાન, રીતરિવાજો જુદાં. જુદાઇ કોઈને કોઈ રીતે વળગેલી જ રહે છે, એટલે સ્કૂલો એને એક કરવા મથે છે. એ ભલે ગણવેશથી એક દેખાડવા મથે, પણ ક્યાંક પાણીનાં માટલાં જુદાં છે. પાણી એક છે, પણ માટલામાં પડતાં જ તે હિન્દુ કે મુસ્લિમ થઈ ઊઠે છે, સવર્ણ કે દલિત થઈ ઊઠે છે. નાનેથી એને એકતા, સમાનતાના પાઠ શીખવાય છે, પણ બાળક ઘરે પહોંચે છે તો ભિન્નતા ને ભેદનો જ મહિમા થતો જુએ છે. એક જ ઘરમાં એ જુદી નીતિ, જુદા નિયમો જુએ છે. મોટો થતાં જાણે છે કે એક જ દેશના એક રાજ્યમાં દારૂબંધી છે, તો બીજા રાજ્યોમાં દારૂની દુકાનો છે.

આમ તો ધર્મ, ઈશ્વર એક છે એવું શીખવે છે, પણ એક જ ધર્મમાં એકતા નથી. મુસ્લિમમાં જ શિયા-સુન્ની છે. ખ્રિસ્તીમાં રોમન કેથલિક છે, તો પ્રૉટેસ્ટન્ટ ક્યાં નથી? જૈનમાં એક શ્વેતાંબર છે, તો બીજો દિગંબર છે. બૌદ્ધમાં પણ હીનયાન, મહાયાનના ફાંટા છે જ. આમ કહેવાય છે બધાં જ હિન્દુ, પણ કોઈ સ્વામીનારાયણી છે, તો કોઈ કબીરપંથી છે. કોઈ શૈવ છે, તો કોઈ વૈષ્ણવ. ઈશ્વર એક છે, પણ દેવીદેવતાઓ કરોડો છે. એનો સંદેશ તો શુદ્ધ જ છે, વિવિધતામાં એકતાનો, પણ એ એકતા ખરેખર છે ખરી? આમ તો એ છે હિન્દુ જ, પણ દલિત ને સવર્ણો એક નથી. આદિવાસીના પોતાના કાયદા છે. એને હિન્દુ મેરેજ એક્ટની ખબર નથી. કેટલી જ્ઞાતિ, કેટલી જાતિ, કેટલા સમાજ હિન્દુઓમાં જ છે. હવે થોડું સુધર્યું છે, પણ અમુક જાતિ કે જ્ઞાતિની બહાર થયેલાં લગ્નો આજે પણ જીવ પર આવે છે. કહેવાનું તાત્પર્ય એ છે કે ભિન્નતા જ અનેક રીતે લોહીમાં ઓગળેલી છે. જરા વિચારીએ કે મંદિરોમાં બધાં હિન્દુઓને પ્રવેશ છે? કેટલાંક મંદિરોમાં તો સવર્ણ સ્ત્રીઓને પણ પ્રવેશ નથી, તેનો કોઈને સંકોચ નથી.

– તો, આ સ્થિતિ છે. આટલાં વૈવિધ્યવાળી પ્રજાને યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરવા સરકાર જઇ રહી છે. ચાળીસ કરોડ અન્ય પ્રજાને સરકાર ધારો કે લેખામાં ન લે, તો પણ ખાલી 100 કરોડ હિન્દુઓને કોમન સિવિલ કોડ લાગુ કરવામાં ય જોખમી સાહસ છે. સિવિલ કોડનો હેતુ દેશના નાગરિકોના જુદા જુદા કાયદાઓને એક કરવાનો છે. નાગરિકોના ધર્મ, આસ્થા અને માન્યતાઓને આધારે લગ્ન, છૂટાછેડા, ઉત્તરાધિકાર, દત્તક જેવી બાબતોના અલગ અલગ કાયદા છે. એ કાયદાઓને અલગ ન રાખતા તેને કોમન સિવિલ કોડ હેઠળ લાવવાની વાત છે. કોમન સિવિલ કોડ લાગુ થતાં હિન્દુઓ કે મુસ્લિમોને ને કાયદાથી મળતા કેટલાક લાભો ગુમાવવાના થશે. મુસ્લિમોને બહુપત્નીત્વથી કાનૂની રીતે રક્ષણ મળે છે એ જ રીતે આદિવાસીઓને પણ પરંપરાને નામે એ લાભ મળે છે. એ બધાંને કોમન સિવિલ કોડ લાગુ થાય તો તેમને એ માફક ન આવે એમ બને. એટલે જ કદાચ ઝારખંડના 30થી વધુ સંગઠનોએ યુનિફોર્મ સિવિલ કોડનો વિચાર જ પાછો ખેંચવાની વાત કરી છે, તો મુસ્લિમો તો યુનિફોર્મ સિવિલ કોડ કોઈ પણ સંજોગોમાં સ્વીકારવાના મૂડમાં નથી. જૈનો હજી આ કાયદા બાબતે સ્પષ્ટ નથી. ઘણાંને આ કહેવાતો યુનિફોર્મ સિવિલ કોડ, હિન્દુ સિવિલ કોડ જ લાગે છે, એટલે એ પણ આ કાયદાનો વિરોધ કરશે જ ! હિન્દુઓમાં પણ દલિતો કે આદિવાસીઓ કહેવાતી સવર્ણ પ્રજા સાથે મેળ નથી જ પાડી શકતા, એટલે એ પણ કોમન સિવિલ કોડને મામલે હકાર ભણે એ વિષે શંકા છે. મુસ્લિમો સિવાયની અને હિન્દુ નહીં એવી બીજી પ્રજા પણ કોમન સિવિલ કોડના પક્ષમાં ભાગ્યે જ હકાર ભણે એવું બને. આપ પાર્ટીનું શરતી સમર્થન બાદ કરતાં, વિપક્ષો તો આઉટ એન્ડ આઉટ કોમન સિવિલ કોડની સામે જ પડ્યા છે. એમને એમ પણ લાગે છે કે કોમન સિવિલ કોડ ચૂંટણીનો સ્ટન્ટ છે. એ ખરું કે દર વખતે ભા.જ.પ. સરકાર ચૂંટણી જીતવા કોઈ એક પાનું ઊતરે છે. એક વખત રામ મંદિરનું પાનું નાખ્યું, તો બીજી વખત 370 નાબૂદીની વાત કરી, પણ તે સ્ટન્ટ નથી. તેણે એ કરી પણ બતાવ્યું છે. એ જ વિશ્વાસ તેને કોમન સિવિલ કોડ બાબતે પણ હોય એમ બને. એ જો ચૂંટણી જીતવાનું પત્તું હોય તો પણ ને એ જીત અપાવે એવું હોય તો પણ, તે સરળ એટલે નથી, કારણ પ્રજા કેટલી સાથે રહેશે એ પ્રશ્ન જ છે. રામ મંદિરમાં સફળતા મળી, કારણ તે હિન્દુઓને સ્પર્શતી વાત હતી, 370 નાબૂદીમાં સફળતા મળી, કારણ તે મુદ્દો ઘણું ખરું કાશ્મીરી મુસ્લિમો પૂરતો સીમિત હતો, જ્યારે કોમન સિવિલ કોડ એક સાથે સમગ્ર ભારતીય પ્રજાને સ્પર્શતો મુદ્દો છે એટલે એમાં સરકાર કેટલી સફળ થાય એ વિચારવાનું રહે. સરકાર ચોમાસું સત્રમાં કોમન સિવિલ કોડ મંજૂર કરાવવાની બધી પેરવીઓ કરે તો પણ, તેને મંજૂરી મળવાનું મુશ્કેલ છે. મળે તો એ ચમત્કાર જ હશે, તે એટલે કે અનેક જાતિ, જ્ઞાતિ, ધર્મોમાં વહેંચાયેલી ભારતીય પ્રજા ગુલામી વખતે તો એક ન હતી, પણ સ્વાતંત્રતાનાં 75 વર્ષો પછી પણ નથી. આવી સ્થિતિમાં કોમન સિવિલ કોડ, ઘણાના કોડ પર પાણી ફેરવે એમ બને. કોમન સિવિલ કોડ પસાર થવા ન થવા પર 2024ની ચૂંટણીનાં પરિણામો પણ નિર્ભર હશે. ટૂંકમાં, કોમન સિવિલ કોડ, ‘કોમન’ નહીં હોય એમ લાગે છે …

000

e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 03 જુલાઈ 2023

Loading

...102030...1,0441,0451,0461,047...1,0501,0601,070...

Search by

Opinion

  • કિસ : એક સ્પર્શ જેમાં મિલનની મીઠાશ અને વિદાયની વ્યથા છુપાયેલી છે
  • આને કહેવાય ગોદી મીડિયા!
  • ‘ધુરંધર’માં ધૂંધળું શું?: જ્યારે સિનેમા માત્ર ઇતિહાસ નહીં પણ ભૂગોળ બદલે ત્યારે …
  • લક્ષ્મીથી લેક્મે સુધી : ભારતીય સૌન્દર્ય જગતમાં સિમોન ટાટાની અનોખી કહાની
  • મનરેગા : ગોડસે ગેંગને હેરાન કરતો પોતડીધારી ડોસો

Diaspora

  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ

Gandhiana

  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા
  • ઋષિપરંપરાના બે આધુનિક ચહેરા 

Poetry

  • કક્કો ઘૂંટ્યો …
  • રાખો..
  • ગઝલ
  • ગઝલ 
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved