Opinion Magazine
Number of visits: 9564598
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

બંધ પડીકે યુનિફૉર્મ સિવિલ કોડની ચર્ચા છેડવાનો શો અર્થ

રમેશ ઓઝા|Opinion - Opinion|13 July 2023

રમેશ ઓઝા

સમાજના પ્રશ્નો મોટાભાગે સંકુલ હોય છે અને ભારત જેવા દેશમાં એ વધારે સંકુલ હોય છે. માટે જેવું નજરે પડે છે અથવા નજરે પાડવામાં આવે છે એ બધું એના એ જ સ્વરૂપમાં સાચું હોય એ જરૂરી નથી. નાગરિક તરીકે કોઈ પણ બાબતને સમજવાની આપણી પણ ફરજ છે.

૨૦૧૪ની સામાન્ય ચૂંટણી નજીક છે ત્યારે કોમી ધ્રુવીકરણ કરવા શાસક પક્ષે એક સમાન નાગરિક ધારાનો પ્રશ્ન છેડ્યો છે અને તેમની અપેક્ષા મુજબ સમજ્યા-કર્યા વિના અનેક લોકો ધાર્મિક અંચળો ઓઢીને એમાં કૂદી પડ્યા છે. હજુ હમણાં જ ૨૦૧૮ની સાલમાં ૨૧માં કાયદાપંચે યુનિફોર્મ સિવિલ કોડ વિષે કહ્યું હતું કે જે તે સમાજવિશેષના કૌટુંબિક કાયદાઓનો અભ્યાસ કરવામાં આવે અને તેમાં સ્ત્રીઓને કે બીજા કોઈને અન્યાય થતો હોય એવી જોગવાઈ દૂર કરવામાં આવે તો એ પછી યુનિફોર્મ સિવિલ કોડની જરૂર જ શું છે? હેતુ જેને અન્યાય થતો હોય તેને ન્યાય અપાવવાનો છે કે પછી એકસરખાપણાનો? ઊલટું લગ્ન, વિવાહ અને બીજા સામાજિક રીતિરિવાજોમાં જોવા મળતું વૈવિધ્ય ભારતની શોભામાં વધારો કરે છે. વૈવિધ્ય નિર્દોષ હોય એટલું પૂરતું છે. યાદ રહે, ૨૧માં કાયદાપંચની રચના ૨૦૧૫માં નરેન્દ્ર મોદીની સરકારે કરી હતી.

બાવીસમા કાયદાપંચે લોકોના અભિપ્રાય મંગાવ્યા છે અને અત્યાર સુધીમાં ૪૫ લાખ અભિપ્રાય મળી ચુક્યા છે. સમજદાર લોકોની, ખાસ કરીને મુસ્લિમ તેમ જ અન્ય કોમની મહિલાઓની દલીલ એવી છે કે પહેલાં યુનિફોર્મ સિવિલ કોડનો મુસદ્દો બનાવો અને લોકોની ચકાસણી તેમ જ અભિપ્રાય માટે ઉપલબ્ધ કરી આપો. ઉદ્દેશ સ્ત્રીઓને ન્યાય અપવવાનો છે તો એમાં કોને કેટલો ન્યાય મળવાનો છે એની ચકાસણી સ્ત્રીઓને જ કરવા દો. એ કેટલો યુનિફોર્મ છે કે પછી કેટલો બહુમતી કોમ તરફી પક્ષપાતી છે એની પણ ચકાસણી કરવામાં આવે. બંધ પડીકે યુનિફોર્મ સિવિલ કોડની ચર્ચા છેડવાનો શો અર્થ!

સમજદાર મહિલાઓની આ માગણી અનુચિત છે? પણ અહીં હિન્દુત્વવાદીઓ અને તેમના સમર્થકો ચૂપ રહેશે. તેઓ એક બીજા મુદ્દે પણ ચૂપ છે અને કોઈ પ્રકારની ચર્ચા કરતા નથી. એ મુદ્દો છે તરુણ યુવક યુવતી વચ્ચે શારીરિક સંબંધ બાંધવાની સંમતિ વય જેને અંગ્રેજીમાં એજ ઓફ કન્સેન્ટ કહેવામાં આવે છે. ભારતમાં ૧૮ વરસની નીચેના યુવક-યુવતી સંમતિ સાથે પણ શારીરિક સંબંધ બાંધે તો એ ૨૦૧૨ના પ્રોટેકશન ઓફ ચિલ્ડ્રન ફ્રોમ સેક્સુઅલ ઓફેન્સીઝ એક્ટ ૨૦૧૨ હેઠળ સજાપાત્ર ગુનો બને છે. અને ગુનો શેનો? બળાત્કારનો. નિર્ભયા આંદોલન પછી લોકોને રાજી કરવા આવો કાયદો ઘડવામાં આવ્યો હતો જેની સામે માત્ર એક દાયકામાં પ્રશ્નો પેદા થયા છે. બાવીસમાં કાયદાપંચે ગયા જાન્યુઆરી મહિનામાં કેન્દ્રના બાળવિકાસ મંત્રાલયને આ બાબતે અભિપ્રાય આપવાનું કહ્યું હતું. કાયદાપંચે કહ્યું છે કે કર્ણાટક અને મધ્ય પ્રદેશની વડી અદાલતોની રેફરન્સ અરજી (કાયદાકીય અભિપ્રાય) અમારી પાસે પડી છે અને અમારે તેનો નિકાલ કરવાનો છે. હજુ સુધી તો કોઈ જવાબ આપવામાં આવ્યો નથી.

પ્રસ્તાવ એવો છે કે યુવક યુવતી વચ્ચે શારીરિક સંબંધ માટેની સંમતિ વય ૧૮થી ઘટાડીને ૧૬ની કરવી જોઈએ. ૧૬ વરસની વયે શારીરિક સંબંધ બાંધવા યુવક અને યુવતી શારીરિક અને માનિસક એમ બન્ને રીતે સક્ષમ હોય છે. આરોગ્યની કોઈ હાનિ થવાની નથી. બીજું ભારતમાં પણ હવે પશ્ચિમના દેશોની જેમ છોકરા છોકરી લગ્નપૂર્વે સેક્સ કરે છે અને તેનાં પ્રમાણમાં વધારો થઈ રહ્યો છે. ઈન્ટરનેટના આવ્યા પછી જગતનો કોઈ કાયદો કે સામાજિક બંધનો લગ્નપૂર્વે કરાવામાં આવતા સેક્સને રોકી શકે તેમ નથી. OTT જેવાં પ્લેટફોર્મ પર ફિલ્મો અને સિરિયલો જોનારા તરુણો જાણે છે કે તેઓ શું જુએ છે. ટૂંકમાં અવ્યવહારુ આગ્રહો ધરાવવાનો કોઈ અર્થ નથી. એને બળાત્કાર જેવો ગંભીર આરોપ કરીને સજા કરવી એ હાસ્યાસ્પદ સ્વરૂપનો અન્યાય છે. એટલે તો દેશના મુખ્ય ન્યામૂર્તિ ધનંજય ચ્ન્દ્રચૂડે પણ કેન્દ્ર સરકારને કહ્યું છે કે દાયકા જૂના કાયદા વિષે પુનર્વિચાર કરવામાં આવે.

બીજું સેક્સ માટેની સંમતિ વય અને લગ્નવય એ બે જુદી વસ્તુ છે. સંમતિ વય અને લગ્ન વય એક જ હોવી જોઈએ એવો આગ્રહ નિરર્થક છે. સેક્સ માટે પુખ્ત યુવા યુવતી સંસાર ચલાવવા માટે પુખ્ત હોય એ જરૂરી નથી. મોટાભાગે નથી હોતાં. તો ઉત્તમ એ છે કે આવા આગ્રહો છોડીને વ્યવહારુ માર્ગ અપનાવવામાં આવે અને યુવા યુવતીની આઝાદીનો સ્વીકાર કરવામાં આવે.

પણ આ વિષે કોઈ કશું બોલતું નથી અને યુનિફોર્મ સિવિલ કોડ વિષે ગોકીરો કરે છે.  ચૂંટણીનો ખેલ છે. ન્યાય, કાયદાકીય વ્યવહારુતા અને તેની પ્રાસંગિકતા સાથે કોઈ લેવાદેવા નથી.

અહીં બીજા છેડાનો ઇતિહાસ નોંધવો રસપ્રદ રહેશે. આજથી ૧૪૦ વરસ પૂર્વે ૧૮૮૧ની સાલમાં બહેરામજી મલબારીએ સંમતિ વયનો ખરડો લાવ્યા હતા જેમાં માગણી કરી હતી કે સંમતિ વય ૧૨ વરસની કરવી જોઈએ. કમ સે કમ કન્યા રજસ્વલા હોવી જોઈએ. ૧૮ની જગ્યાએ ૧૬ની બાબતે ચૂપ રહેનારાઓના વૈચારિક પૂર્વજોએ ૧૨ વરસની સંમતિ વયનો વિરોધ કર્યો હતો.

માટે પ્રારંભમાં કહ્યું એમ સામાજિક પ્રશ્નો જટિલ હોય છે અને ભારતમાં તો જટિલતમ હોય છે.

પ્રગટ : ‘વાત પાછળની વાત’, નામક લેખકની કટાર, “ગુજરાતમિત્ર”, 13 જુલાઈ 2023

Loading

થોડું હૃદ્ગત, પોસ્ટ-ટ્રુથ બલિહારી વચ્ચે

પ્રકાશ ન. શાહ|Opinion - Literature|12 July 2023

પ્રમુખીય

પ્રકાશ ન. શાહ

કારોબારી અને મધ્યસ્થ સમિતિ પરના કેટલાક સન્માન્ય સાથીઓને સાહિત્ય પરિષદના બંધારણની 21મી કલમને ધોરણે રુખસદ આપવાનો નિર્ણય લેવાનો બન્યો તે પછી સોશિયલ મીડિયામાં કે વ્યક્તિગત રાહે માંહોમાંહે ચર્ચા ચાલી હશે. દરમ્યાન, સન્મિત્ર નીતિન વડગામાની મુખપોથી પર ‘ફૂલછાબ’નો તંત્રીલેખ આ સંદર્ભમાં જોવા મળ્યો. નીતિનભાઈએ તે (‘સાહિત્યિક સંવાદ ક્યારે?’) ઉતારતાં આ તંત્રીલેખમાં ‘ફૂલછાબ’ની સાહિત્યિક નિસબતનું પ્રતિબિંબ જોયું છે એની સાથે આપણે જરૂર સંમત થઈશું. વાંચતાં જે છાપ પડી તે એ હતી કે તંત્રી જ્વલંત છાયા સ્વાયત્તતાને મુદ્દે કદરબૂજ જરૂર ધરાવે છે. માત્ર, એમની સમક્ષના એકંદર ચિત્રમાં કેટલીક અભિજાત અમૂઝણ જણાય છે. અહીં એમનું સંબંધિત લખાણ ઉતારી તેના પ્રતિવાદની રીતે નહીં પણ પ્રતિસાદની રીતે થોડીએક વાતો કરવાનો ખયાલ છે. પણ તે પહેલાં તંત્રીલેખના સંબંધિત અંશોઃ

‘… કોઈ મોટી સંસ્થા, વિચારધારા હોય ત્યાં ભિન્ન મત હોવાના. સાહિત્યની સંસ્થામાં તે ન હોય એવું નથી. પરંતુ બૌદ્ધિક, સામાજિક નિસબત અને ઉત્તરદાયિત્વવાળા ગણાય છે તેવા લોકો આમ ખુલ્લા અને સીધા સામસામે આવે ત્યારે તેમના ચાહક-ભાવકને સ્હેજ વિસ્મય થાય, થોડો ધક્કો પણ લાગે. ગુજરાતી સાહિત્ય પરિષદ અને અકાદમી વચ્ચેનો વર્ષોથી ચાલતો વિવાદ પણ હમણાં પુનઃ જીવંત થયો છે.

‘પરિષદ અને તેના સંવાહકો – એ વિચારધારાના સાહિત્યકારોની લડત તો અલબત્ત સાહિત્ય અકાદમીની સ્વાયત્તતા માટેની છે, જે કેટલી ચાલે તે નક્કી નથી. અત્યારે જે વિવાદ શરૂ થયો છે તે નોખો છે. પરિષદના સંચાલક મંડળમાં જે લોકો ચુંટાઈને ગયા છે તેમાંના જે સભ્યો અકાદમીના કાર્યક્રમમાં ગયા તેમને પરિષદના સંચાલક મંડળમાંથી વિદાય આપી દેવાઈ છે. ખુલાસો કરો તેવા પત્ર મળતાં સર્જકો, વિશેષતઃ યુવાનો નારાજ થયા છે. તેઓની દલીલ એવી છે કે આખરે અમે ત્યાં ગયા તો પણ સાહિત્ય પદારથની નિસબત સાથે ગયા છીએ. ઉગ્ર થયેલા કેટલાક યુવા સર્જકોએ પ્રત્યુત્તર પણ પાઠવ્યા કે અમે કંઈ પરિષદના નોકરિયાત નથી.

‘સાહિત્યક્ષેત્રે સક્રિય હોય તે લોકો સૌમ્ય હોય, ઉભય પક્ષે સૌજન્ય દાખવતા હોય તેવી વ્યાપક છાપ સમાજમાં હજીપણ જીવે છે. તે સંદર્ભે આ પત્રવ્યવહાર કોઈને આશ્ચર્ય પમાડી શકે. પરંતુ એવું થયું છે. પરિષદનું વલણ સ્પષ્ટ છે. કહે છે કે, અમે કોઈ સર્જકને રોક્યા નથી. પરંતુ અમારા સંચાલક-મંડળ કારોબારીમાં ચૂંટાઈને આવ્યા હોય તેમણે પરિષદના ઠરાવનો અમલ કરવો પડે. આમ જોઈએ તો આ આખો આયામ વહીવટી છે અને સાહિત્યની પ્રવૃત્તિને તેનાથી કશો લાભ નથી.’

પહેલી વાત તો એ કે આ કોઈ ગુજરાતી સાહિત્ય પરિષદ અને ગુજરાત સાહિત્ય અકાદમી એમ બે સંસ્થાઓ વચ્ચેનો વિવાદ નથી. (કેટલીક વાર તો વળી એને બે સનદી અધિકારીઓ વચ્ચેના વિવાદ તરીકે ય ‘ટ્રિવિયલાઇઝ’ કરવામાં આવે છે. જો એવું હોય તો અકાદમીમાં ભાગ્યેશ જહાના બે કાર્યકાળ વચ્ચે વિષ્ણુ પંડ્યાના કાર્યકાળમાં આ વાત સમેટાઈ જવી જોઈતી હતી.) ધીરુ પરીખ, ચંદ્રકાન્ત ટોપીવાળા, સિતાંશુ યશશ્ચંદ્ર અને પ્રકાશ ન. શાહ એ ચારે પ્રમુખના કાર્યકાળમાં સ્વાયત્તતાનો મુદ્દો સતત અગ્રક્રમે રહ્યો છે. મારું નામ અહીં, કેમ કે હું વર્તમાન પ્રમુખ છું એથી યથાક્રમ લીધું છે, પરંતુ અકાદમીની રુખ ને રંગઢંગ જોઈ મેં તો 2014થી એની સાથે અસહયોગનો અભિગમ લીધો હતો. એ જ અરસામાં ચંદ્રકાન્ત ટોપીવાળા અને પ્રવીણ પંડ્યાએ પણ એવો જ અભિગમ લીધો હતો. પરિષદ એના હાલના ઠરાવ સાથે વિધિવત્ ચિત્રમાં આવી તે તો એપ્રિલ 2015ની પરબારી પ્રમુખનિયુક્તિને પગલે, યથાસમય.

તત્ત્વતઃ આ વિવાદમુદ્દો પરિષદ અને અકાદમી એમ બે સંસ્થાઓ વચ્ચે મર્યાદિત નથી. આ મુદ્દો ગુજરાતના વ્યાપક અક્ષરસેવી સમાજ અને અકાદમી વચ્ચેનો છે. ચારેક દાયકા પાછળ જઈને વાત કરું તો ઉમાશંકર જોશી દેશની સાહિત્ય અકાદેમીના અધ્યક્ષપદેથી નિવૃત્ત થવામાં હતા ત્યારે ‘એક્સપ્રેસ’ની રવિવારી માટે બી.જી. વર્ઘીઝના સૂચનથી પ્રભાષ જોશીએ તેમની મુલાકાત લેવી તેવું ગોઠવાયું હતું. સાથે ફેસિલિટેટર તરીકે સખ્યવશ હું પણ હતો. અમે મળ્યા એ અરસામાં રાજ્ય સરકાર તરફથી અકાદમી-રચનાની વાતો ચાલતી હતી. મેં સૂચિત રાજ્ય અકાદમી જોગ અકાદેમી પ્રમુખ ઉમાશંકરની સલાહ જાણવાની ઇચ્છા કરી તો લાગલા જ એમના ઉદ્ગારો આવી પડ્યા કે ‘Keep off Governmentl!’ (શું કહીશું ગુજરાતીમાં? ‘સરકાર વરતે સાવધાન!’)

અલબત્ત, તેમ છતાં, ધરાર સરકારી અકાદમી રચાઈ અને આગળ ચાલતાં એણે ઉમાશંકર જોશીના સન્માનની વિનયધૃષ્ટ મહેચ્છા પણ પ્રગટ કરી. જાન્યુઆરી 1986માં કવિએ આ સંદર્ભમાં ગુજરાત સાહિત્ય અકાદમીના અધ્યક્ષને લખ્યું :

‘આપનો 3-1-1986નો પત્ર મળ્યો છે. સારસ્વત સન્માનના વાર્ષિક ઉપક્રમમાં મને પસંદ કરવા માટે ગુજરાત સાહિત્ય અકાદમીના સૌ સભ્યોનો હૃદયથી આભારી છું.

‘સન્માન સ્વીકારવા અંગે તકલીફ છે.

‘આ અગાઉ પ્રસંગોપાત મારે અકાદમીને લખવાનું થયું છે અને એની એક જાહેર સભામાં વીગતે રજૂઆત કરવાની પણ તક મેં લીધી છે કે ગુજરાત સાહિત્ય અકાદમીએ સરકારી ખાતાના ભાગ જેવી ન રહેતાં ત્વરાપૂર્વક પ્રજાકીય સંસ્થા બનવું જોઈએ. શિક્ષણસચિવને કે સરકારી માહિતીનિયામકને અકાદમીના પ્રમુખ તરીકે બેસાડનાર ગુજરાત સરકારને ખબર હશે કે દિલ્હીમાં 1954થી શ્રી જવાહરલાલ નેહરુ, ડૉ. રાધાકૃષ્ણન આદિએ એક બિલકુલ સ્વાયત્ત સ્વરૂપની, નિયમોને અધીન પસંદ કરાયેલા પ્રતિનિધિઓની બનેલી, ચૂંટાયેલા પ્રમુખ ઉપપ્રમુખ ધરાવતી ભારતની કેન્દ્રીય સાહિત્ય અકાદેમીનું સંવર્ધન કરેલું છે.

‘રાષ્ટ્રીય સાહિત્ય અકાદેમીના આરંભથી માંડીને અઢાર વરસ સુધી સભ્ય તરીકે અને હમણાં થોડાં વરસ પર પાંચ વરસ સુધી એના ચૂંટાયેલા પ્રમુખ તરીકે સેવા આપનાર મારા જેવા સાહિત્યકારો માટે સરકારે નીમેલા સભ્યો-હોદ્દેદારોવાળી ગુજરાત સાહિત્ય અકાદમી જેવી બિનલોકશાહી સંસ્થા દ્વારા થતું સન્માન પ્રજાકીય સ્વરૂપનું રહેતું ન હોઈ તેનો સ્વીકાર કરવાનું શક્ય નથી, – જે માટે દિલગીર છું.

‘આશા રાખું છું કે ગુજરાત સાહિત્ય અકાદમી રાષ્ટ્રીય અકાદેમીના ધોરણે ત્વરાથી પુનર્ગઠિત થશે. અકાદમી, યુનિવર્સિટી જેવી દેશની સંસ્કારસંસ્થાઓની લોકશાહી પરંપરાઓ ઉપર ઉત્તરોત્તર કેટલાક સમયથી થઈ રહેલા રાજકીય આક્રમણનો સવેળા અંત આવશે.’

સાલવારી સિલસિલામાં નહીં જતાં ઉતાવળે એટલું જ સંભારીશું કે સરકારી અકાદમીમાંથી ઉપરાછાપરી રાજીનામાં પડ્યાં. નામવાર તપસીલમાં નહીં જતાં એક મુદ્દો બસ થશે કે આમ રાજીનામાં ધરી દેનાર પૈકી કેટલા બધા મિત્રો એવા હતા જેમનું પરિષદ જોડે સક્રિય સંધાન નહોતું. મતલબ, સરવાળે પ્રકરણ આખું બે સંસ્થાઓ વચ્ચેનું નહીં પણ એક પા સહૃદય અક્ષરકર્મીઓ અને બીજી પા અકાદમી એવું હતું. સરકારી અકાદમી સામે ઉમાશંકર જોશીએ મોરચો ખોલ્યો ત્યારે કૉંગ્રેસ પક્ષની સરકાર હતી. આજે ભા.જ.પ.ની સરકાર છે ત્યારે ય આ બધી ઘડભાંજ ચાલી રહી છે. મતલબ, આ મામલો જેમ બે સંસ્થાઓ વચ્ચેનો નથી તેમ બે પક્ષો વચ્ચેનો પણ નથી. સાંસ્થાનિક વારસાગત માનસિકતા અને પ્રજાસૂય અભિગમ વચ્ચેનો મામલો આ તો છે.

ઉમાશંકર જોશીના નિધન પછી જોગાનુજોગ દર્શક ચિત્રમાં આવ્યા. બંને સ્વાતંત્ર્યસૈનિકો હતા અને એમની સર્જકપ્રતિભા તેમ જ શૈક્ષણિક કામગીરી અનન્ય સાધારણ હતી. દર્શકે આદર્શલક્ષી કુનેહ ને કૌશલથી કામ લીધું અને સ્વાયત્ત સંરચના પાર પાડવાને ધોરણે જવાબદારી સાહી. એમણે જે બંધારણીય માળખું રચી આપ્યું એમાં ઉમાશંકરની ધાસ્તીનું કંઈક વારણ પણ હતું.

વાત એમ છે કે માર્ચ 1977 પછી ‘બીજા સ્વરાજ’ના સહજોત્સાહમાં હાથ ધરાયેલાં કામો પૈકી એક આકાશવાણી અને દૂરદર્શનની સ્વાયત્તતા સુનિશ્ચિત કરવા માટે વર્ઘીઝના વડપણ હેઠળની પ્રસારભારતી સમિતિ પર ઉમાશંકર પણ હતા. કટોકટીના પૂર્વકાળથી બી.બી.સી. પેઠે સ્વતંત્ર કોર્પોરેશનનો ખયાલ સેવાતો હતો, અને એને સારુ અપેક્ષા ને પ્રતીક્ષાનું વ્યાપક માનસ બનતું આવતું હતું. પણ જેવો એ દિશા ઉજાગર કરતો અને પથ પ્રશસ્ત કરતો પ્રસારભારતી હેવાલ આવ્યો કે સરકારે, કેમ કે તે સરકાર છે, પોત પ્રકાશ્યું : સૂચના અને પ્રસાર મંત્રી અડવાણીએ કહ્યું કે મારી વાત તો સરકાર હસ્તકના એક ખાતા તરીકે, રિપીટ, સરકાર હસ્તકના એક ખાતા તરીકે, સ્વાયત્તતાની છે. આવા લુખ્ખા નકો નકો સ્વાયત્તતાશાઈ અભિગમે દાઝેલા ઉમાશંકરે કેન્દ્રીય અકાદેમીનો હવાલો આપી ચૂંટાયેલા પ્રમુખ-ઉપપ્રમુખનો વિશેષોલ્લેખ કર્યો હતો. (એમણે વ્યક્તિગત વાતચીતમાં મને એક વાત સોજ્જી કહી હતી. મોરારજી પ્રધાનમંડળના શિક્ષણ પ્રધાન પ્રતાપચંદ્ર ચુંદરે ઉમાશંકરને વિવેકસર પૂછ્યું કે હું આપની શી સેવા કરી શકું ત્યારે ઉમાશંકરે એમને કહ્યું હતું કે તમારા ખાતાના કોઈ સેક્શન ઑફિસર અકાદેમીને પોતાના તાબાનો ઇલાકો માની પેશ ન આવે તો બસ.)

દર્શકે જે બંધારણ ઘડી આપ્યું એમાં ચૂંટાયેલ પ્રમુખ-ઉપપ્રમુખ અગર તો વિવિધ સંસ્થાઓના પ્રતિનિધિઓ ઉપરાંત એક વિશેષ જોગવાઈ લેખકીય મતદાર મંડળની હતી. નોંધાયેલા લેખકોએ ચૂંટી કાઢેલા પ્રતિનિધિઓ પણ અકાદમી પર હોવાના હતા. વળી સરકારમાં સામાન્ય વિવેક તો હોય જ એવી સમજ સાથે અને છતાં એમણે અકાદમીને સોસાઇટી ઍક્ટ હેઠળ રજિસ્ટર કરાવવાની કાળજી લીધી હતી. પહેલા ચૂંટાયેલા પ્રમુખ દર્શક અને બીજા ચૂંટાયેલા પ્રમુખ ભોળાભાઈ એમ સરસ ક્રમ પણ નવા બંધારણ હસ્તક ચાલ્યો. (અહીં એક આડવાત જેવી છતાં સીધી વાત સહેજ ચાતરીને પણ આપણા અક્ષરજીવનની સહૃદય મહાનુભાવતાનો ખયાલ આપવા નોંધવા ઇચ્છું છું. દર્શક સાથે ચૂંટાયેલ ઉપપ્રમુખ તરીકે યશવન્ત શુક્લ હતા. દર્શકની મુદ્દત પૂરી થાય તો યથાક્રમે તેઓ પ્રમુખપદની ઉમેદવારી ઇચ્છે એ એમની પ્રતિભા જોતાં અસ્વાભાવિક ન હતું. ભોળાભાઈ પટેલને પણ આ પદ માટે સહજ અભિલાષ હતો. વળી વયની રીતે યશવન્તભાઈ કરતાં એમની કને કાર્યમોકળાશ વધુ હોય એવી સમજ પણ સ્વાભાવિક હતી. એમના સૂચનથી અમે યશવન્તભાઈને મળ્યા; ભોળાભાઈએ પોતાની વાત વિનયસર કહી; અને યશવન્તભાઈએ પોતે ઉમેદવારી નહીં કરે એવું સ્વીકાર્યું. જાહેર જીવનમાં કોઈ કામ માટે કોઈને મળવાનું થયું હોય અને એના સમુદાર પ્રતિભાવથી આંખમાં ઝળઝળિયાં આવી ગયાં હોય એવી કેમ જાણે એ તીર્થક્ષણ મારે માટે હતી.)

ભોળાભાઈ પટેલની મુદ્દત પૂરી થઈ તે પછી લેખકીય મતદાર મંડળમાંથી ચૂંટણી સહિતની બધી પ્રક્રિયા થઈ ગઈ પણ રાજ્ય સરકારે પોતાના પ્રતિનિધિઓ નીમી બેઠક બોલાવવાની કોઈ જ કારવાઈ ન કરી તે ન કરી. લેખકો તરફથી વિનંતીપત્ર, સ્મૃતિપત્ર બધા ઉપચારો થયા હશે. થોડો થોડો ઊહાપોહ પણ થયો હશે. પણ 2003થી સરકારનિયુક્ત મહામાત્ર હસ્તક ‘સ્વાયત્ત અકાદમી’ એ રાબેતો બની ગયો. બાકી પ્રક્રિયા પૂરી થશે અને ચૂંટાયેલ માળખું કાર્યરત બનશે એ આશા કેવળ આશા બની રહી. બાર બાર વરસની ધીરજ કહો કે સમુદાર અપેક્ષા(અગર લાલસા ને લિપ્સા)ના કાળ પછી એપ્રિલ 2015થી પરબારી પ્રમુખનિયુક્તિ અને ચૂંટણી વગરના કાર્યમંડળનો ધરાર દોર શરૂ થયો.

આ બાર વરસ દરમ્યાન કે.કા. શાસ્ત્રી (જેમનો દબદબો રાજગુરુ જેવો હતો, એમના) સહિતની રજૂઆતો થતી રહી. હું સમજું છું તે પ્રમાણે અકાદમીના છેલ્લા ચૂંટાયેલ પ્રમુખ-ઉપપ્રમુખ ભોળાભાઈ પટેલ અને કુમારપાળ દેસાઈ તરફથી પણ સહજ ક્રમે સત્તાસંપર્ક થયો હશે. વ્યક્તિગત લેખો, ટીકા-ટિપ્પણ પણ છેક ઓછાં નહોતાં. મોટી વાત એ બની કે આપણા લોકાયની સાહિત્યસેવી નારાયણ દેસાઈની અધ્યક્ષતામાં પરિષદે ખુલ્લા અધિવેશનમાં (માત્ર કારોબારી કે મધ્યસ્થમાં નહીં. પણ ખુલ્લા અધિવેશનમાં) સ્વાયત્તતા માટેનો ઠરાવ કર્યો. તે પછી પણ ઓછાંવત્તાં સૂચનો, પ્રસંગોપાત માંગ અન્ય સ્રોતોમાંથી થતાં રહ્યાં. પણ નીંભર સરકારે એપ્રિલ 2015માં પરબારી નિયુક્તિથી ‘પ્રતિભાવ’ આપ્યો અને એ ક્રમમાં આજે ત્રીજા નિયુક્ત પ્રમુખનો દોર ચાલી રહ્યો છે.

પરબારા નિયુક્તિકારણ વિશે, નારાયણ દેસાઈની અધ્યક્ષતામાં 2007માં થયેલા ઠરાવને પગલે, એપ્રિલ 2015 પછી પરિષદને પક્ષે મહત્ત્વનો નિર્ણય લેવાની તાકીદ સાફ હતી. ભરકટોકટીએ અભિવ્યક્તિ સ્વાતંત્ર્ય માટેનો ઠરાવ કરવામાં જેણે સ્વધર્મ જોયો હતો તે પ્રજાસૂય પરિષદ અકર્મણ્ય ન જ રહી શકે. અકાદમી સાથે અસહયોગના ઠરાવની પૃષ્ઠભૂ આ છે. એ વ્યાખ્યાયિત કરવાની જવાબદારી પરિષદના સત્તામંડળે નિરંજન ભગત અને ધીરુ પરીખને સોંપી હતી. એમણે લાઇનદોરી આંકી આપી કે હોદ્દેદારો અકાદમીની કોઈ કાર્યપ્રવૃત્તિ સાથે સંકળાશે નહીં. મધ્યસ્થ સમિતિ પર બેસનાર સહિત સૌ હોદ્દેદારો ગણાય તે પણ એમાં નિહિત હતું. આ નિર્ણય ‘સ્વૈચ્છિક’ હતો અને છે તે એ અર્થમાં કે પરિષદના હજારો સામાન્ય સભ્યને સારુ તે બંધનકર્તા નથી. છતાં, તમે જુઓ કે, હોદ્દેદાર નહીં એવા અનેક સન્માન્ય અક્ષરકર્મીઓએ પોતાને છેડેથી અકાદમીથી પરહેજ કરવામાં ધર્મ જોયો છે. આખી યાદીમાં નહીં જતાં નમૂના દાખલ બે જ નામો આપું. રમેશ ર. દવેને અકાદમીએ દર્શક સમગ્રનું સંપાદનકાર્ય સોંપ્યું હતું. દર્શકે જેને સ્વાયત્ત કરવાનું દાયિત્વ નભાવ્યું તે અકાદમીની સ્વાયત્તતા હરી લેવાઈ હોય અને એને હસ્તક દર્શક સમગ્રનું કામ ચાલે એ કેમ બને. રમેશભાઈએ તે સંકલ્પપૂર્વક છોડ્યું. તરત સાંભરતું બીજું નામ સતીશ વ્યાસનું છે. એ પરિષદના કોઈ હોદ્દે નથી પણ એમણે બબ્બે વાર ગૌરવ પુરસ્કાર-સારસ્વત સન્માન તરેહની અકાદમી દરખાસ્તનો અસ્વીકાર કરવાપણું જોયું છે.

આ ગાળાની ઘણી ઔપચારિક-અનૌપચારિક વાતો છે તે મારે છોડવી રહી. તેમ છતાં, ચોપડે ન પણ ચડે એવી બે વાતો તો સમજની દૃષ્ટિએ કહું જ કહું. રાજ્ય મંત્રીમંડળના એક સભ્ય ડૉ. ધીરુ પરીખને પ્રશ્ન શો છે તે સમજવા સારુ ‘કુમાર’ કાર્યાલય પર મળવા ગયા હતા. ધીરુભાઈએ બધી વાત સમજાવી ત્યારે એમનો ધન્યોદ્ગાર હતો કે ‘અમે પણ ક્યાં સ્વાયત્ત છીએ!’

હોંશીલાં પૂર્વમહામંત્રી કીર્તિદા શાહ અને સહહોંશીલા કેટલાક રુખસદબંધુઓ તત્કાલીન અકાદમી પ્રમુખ વિષ્ણુ પંડ્યાને વાતચીત માટે આમંત્રવા આર્ત આગ્રહી હતાં. તે પૈકી કોઈકે પરિષદના પ્રમુખ-ઉપપ્રમુખ આદિ સાથીઓની હાજરીમાં એવી છાપ ધરાર આપી હતી કે વિષ્ણુભાઈ સ્વાયત્તતા મુદ્દે સહમતિપૂર્વક બધું પાર પાડવા ઇચ્છે છે. દેખીતી રીતે જ, વિષ્ણુ પંડ્યાએ અકાદમી-પ્રમુખ બન્યા પછી લેખકોની બેઠક બોલાવી ત્યારે નિમંત્રણપત્રમાં ‘સ્વાયત્તતા’ જેવા ‘વિતંડાવાદ’ને ચર્ચામાં અવકાશ નથી એવું અસંદિગ્ધ શબ્દોમાં લખ્યું હતું, તેના કરતાં આ એક જુદી જ વાત હતી. હોંશીલાલો, કેમ કે તેઓ હાજર હતા, એમને યાદ હોય જ કે વિષ્ણુ પંડ્યાએ પરિષદની મુલાકાતમાં ‘પરબ’માં શું છાપવું ન છાપવું તરેહનાં હિતવચનોમાં ઇતિશ્રી જોઈ હતી.

વાચક જોઈ શકશે કે આખો પ્રશ્ન લેખકમાત્રના ઉત્તરદાયિત્વપૂર્વકની સહભાગિતાનો બની રહે છે. ન જોવું હોય તો જ ન જોઈ શકાય એવી એક વિગત સંભારવાની રજા લઉં છું. પારુલ ખખ્ખરની પ્રિન્ટ મીડિયામાં આબાદ અદૃશ્ય રહેવા છતાં વિશ્વવિશ્રુત બનેલી રચના સંદર્ભે ‘શબ્દસૃષ્ટિ’માં તંત્રીય-પ્રમુખીય વ્યાસપીઠ પરથી એલાન કરાયું હતું કે અમે ‘સાંસ્કૃતિક રાષ્ટ્રવાદ’ને વરેલા છીએ. સાહિત્યના નિકષ લેખે એક રાજકીય-શાસકીય વિચારધારાનો એ પ્રગટ પુરસ્કાર હતો. ‘શબ્દસૃષ્ટિ’માં હોંશે હોંશે પ્રગટતા અને પ્રગટ થવા ઇચ્છતા કે મથતા અક્ષરકર્મીઓને આ બાબતની ગંભીરતા સમજાતી જણાતી નથી તે પોસ્ટ-ટ્રુથ બલિહારી છે.

અલબત્ત, સોથી વધુ લેખકોએ આની સામે વિરોધ પ્રગટ કરતો જાહેર પત્ર લખ્યો હતો. પણ ન તો તત્કાલીન અકાદમી પ્રમુખનો કોઈ પ્રતિભાવ સાંપડ્યો છે, ન તો એમના અનુગામીએ હજુ સુધી કોઈ દુરસ્તીનો સંકેત આપ્યો છે.

‘ફૂલછાબ’ના સન્માન્ય તંત્રીએ આખી વાતને સામાજિક નિસબત અને ઉત્તરદાયિત્વના સંદર્ભમાં જોવા ઇચ્છ્યું છે, એ તો ઠીક જ છે. ગુજરાતની અક્ષર બિરાદરીના એક અગ્ર ઓજાર રૂપે પરિષદે એટલે સ્તો આ પ્રશ્નમાં પડવાપણું જોયું છે. આ ચર્ચા ‘સૌમ્ય’ હોય એવી અપેક્ષા અલબત્ત અસ્થાને નથી. માત્ર ‘હું જેને ચાહું છું તેને ઉગ્ર કરું છું અને મન્યુ આપું છું’ એ અર્થનાં ગીતાવચનો અહીં યાદ આવ્યાં વિના રહેતાં નથી. ગમે તેમ પણ ઉમાશંકરના શબ્દોમાં :

ને બ્રાહ્મણો – સૌમ્ય વિચારકો, તે
સત્તા તણા રે ન પુરોહિતો બને.
…
સ્વતંત્રતા, દે વરદાન આટલું.

રુખસદ ઘટનાનો સમગ્ર પૂર્વરંગ અને તેની પાછળનાં મંથનમનોરથ આ દિવસોમાં એટલા સારુ ચહીને મૂક્યાં છે કે ઉમાશંકર જયંતી (21 જુલાઈ) નિમિત્તે ગુજરાતભરમાં પરિષદ નાનાવિધ સંસ્થાઓ સાથે સંકળાઈને કાવ્યપઠન આદિ આયોજન કરી રહી છે ત્યારે એમની અભિજ્ઞતાનો સંસ્પર્શ આપણ સૌની ચેતનાને ઝંકૃત કરતો રહે.

જુલાઈ 1, 2023
e.mail : prakash.nireekshak@gmail.com
પ્રગટ : “પરબ”; જુલાઈ 2023

Loading

મમતાની મૂર્તિઃ ચંદા મહેતા

પ્રીતમ લખલાણી|Diaspora - Features|12 July 2023

પ્રીતમ લખલાણી

તસવીર લગભગ ત્રણેક દાયકાથી પણ જૂનીપુરાણી હોવા છતાં, તસવીરમાંની વ્યકિતને ઓળખતાં મારી આંખને જરા પણ વાર ન લાગી. જે વ્યકિત આજથી અઢીત્રણ દાયકા પૂર્વે જેટલી સુંદર લાગતી હતી, તે આજે ૫૦મા જન્મદિનનાં દ્વાર ખખડાવવા થનગની રહી હોવા છતાં વર્તમાનમાં પણ તસવીર સમી જ આબેહૂબ લાગે છે!

જો આ કાર્ડ આજે ટપાલમાં ન આવ્યું હોત તો કદાચ હું કયારે ય સ્વપ્નમાં પણ કલ્પના ન કરી શકું કે આ જાજરમાન વ્યકિતત્વ ધરાવતાં શ્રીમતી ચંદા મહેતા પચાસ વર્ષનાં હશે! ખરેખર! આ કાર્ડે મને આશ્ચર્યમાં મૂકી દીઘો!

આ અલબેલી, રૂપવતીનાર ચંદા મહેતાથી ભાગ્યે જ રોચેસ્ટરનો કોઈક ભારતીય પરિવાર અપરિચિત હશે! ગુજરાતી રંગભૂમિના તખતાની નાયિકા સમી દીપતી, આ હસતીમલકતી વ્યકિત. કોઈ મહેફિલમાં કે કોઈ સુખદ પ્રસંગે આપણને કયાંક મળી જાય તો! કદાચ આપણું ઘ્યાન હોય કે ન હોય તે આપણને સામે ચાલીને ‘કેમ છો ?’ એમ પૂછતી, આપણી સમીપ આવીને કહેશે! કે હું તમને ફોન કરવાની જ હતી. સારું થયું કે તમે મને અહીંયાં જ મળી ગયા! જો તમારી પાસે બેચાર મિનિટનો સમય હોય તો, મારે તમને એક વાત કરવી છેઃ

‘હમણાં ઈશ્વરઈચ્છાથી ફલાણા આશ્રમ કે ફલાણી પ્રાથમિક શાળા કે ફલાણા ઘરડાઘરના જીર્ણોદ્વાર માટે એક ફંડફાળો હું ભેગો કરી રહી છું. જો તમે આ સંસ્થાને મદદરૂપ થવા ઈચ્છતા હો તો તમે પ્રેમથી ફૂલ નહીં તો ફૂલની પાંખડી લખાવી શકો છો!”

ઘણી વાર મને મનમાં થાય કે અમેરિકામાં લોકોને રોજિંદા ઘમાલિયા જીવનમાંથી પોતાના અંગત રસ માટે પણ ભાગ્યે જ પળની ફુરસદ મળતી હોય છે, પરંતુ આ સ્ત્રી ઘરકામ, યોગસાઘના અને બાગકામમાં રચીપચી હોવા છતાં, દિવસનો મોટો ભાગનો સમય લોકસેવા માટે કયાંથી કાઢતી હશે?

ચંદા મહેતા

આ વિચારે એક મહેફિલમાં ચંદા મહેતાને મેં મક્ક્મ મને પૂછી જ નાંખ્યું? ‘ચંદા, આ ઉંમરે તો લોકોને ખાવા, પીવા અને ગાવા સિવાય ખાસ બીજી કોઈ બાબતમાં રસ ન હોય, ત્યારે તમે તો સમાજના તરછોડાયેલ લોકોને કાંખમાં લેવા તમારી જાતને ઘસી નાખવાં તલપાપડ થઈ રહ્યાં છો! તેનું કોઈ કારણ?” ચહેરાના હસતા સ્મિતમાં, શ્રાવણથી ભીંજાયેલો પાલવ અને છાતીમાં સાચવેલ ચૈત્રના બળબળતા તડકાની દુઃખદ દાસ્તાન કહેવા હળવેકથી સળગતી મીણબત્તીના અજવાળે ચંદાએ હોઠ ખોલ્યાં :

‘લગભગ આજથી આઠ વર્ષ પહેલાં, મારી એકની એક ઢીંગલી સમી ત્રણ વર્ષની દીકરી પૂજાએ કૅન્સર સમી ભયંકર બીમારી સામે ઝઝૂમતી, અમારી સાથે સંતાકૂકડીની રમત રમતી, એક ધોમધખતી બપોરે અમને વિયોગમાં રડતાં મૂકી ઈશ્વરના ઘેર ચાલી નીકળી.

“તેના વિયોગમાં અને તેની યાદોમાં કેટલા ય દિવસો હું વિષાદમાં ડૂબી જતી. મારી આસપાસ અજંપો છવાયેલ જોઈ શરૂઆતમાં પ્રફુલ્લ પ્રત્યેક ક્ષણે મને વીંટળાઈ રહેતો. સમય જતાં નછૂટકે જીવતરનું ગાડું હાકવા, પ્રફુલ્લને રોજિંદા જીવનમાં ગોઠવાયા સિવાય કોઈ છૂટકો નહોતો.”

‘એક સવારે પ્રફુલ્લના ઑફિસે ગયા બાદ મારા બેકયાર્ડમાં ઊગતા સૂરજના શીતળ તડકામાં પિકનિક ટેબલ પર બેઠીબેઠી ચા પીતી, બ્રેડના નાનાનાના ટુકડા કરી આસપાસમાં પંખીને નાખતી હતી. કુદરતનું કરવું તે સવારે બે ચાર મિનિટમાં તો મારું બેકયાર્ડ અસંખ્ય પંખીઓથી છલકાઈ ગયું. પંખીઓના કલબલાટે મારા ખાલી મનને થોડી વાર માટે હર્ષઘેલું કરી નાંખ્યું.”

‘એવામાં અમારા બેકયાર્ડના ઘેધૂર મેપલ વૃક્ષની ડાળેથી બે ચાર દિવસ પહેલાં જન્મેલ એક પંખીનું બચ્ચું ટોળાં સંગે રમવા ઊતરી આવ્યું. તમે નહીં માનો કુદરતની પણ કેવી કરામત છે! આ બચ્ચાની મા બે દિવસ પહેલાં જ અમારા પડોશીની બીલાડીનો શિકાર થઇ ગઈ હતી. મને અથવા પ્રફુલ્લને સવારસાંજે જ્યારે વખત મળે ત્યારે આ નિરાધાર બચ્ચાના માળામાં દાણાપાણી મૂકીએ. આ તો આપણી પંખી પ્રત્યેની એક દયા-લાગણીની વાત થઈ. જે પ્રેમ, દયા લાગણી ઈશ્વરે આપણા હ્રદયમાં બક્ષી છે તે જ પ્રેમ-લાગણી પશુપંખીને પણ ભગવાને આપી જ હશે તેનો ખ્યાલ મને તે સવારે આવ્યો!”

“હું જે બ્રેડના નાના ટુકડા કરીને પંખીઓ તરફ નાખતી, તે ટોળાંમાં ચણવા ને રમવા વૃક્ષેથી નીચે ઊતરી આવેલા બચ્ચા સુઘી પહોંચતા ન હતા. બચ્ચું બિચારું તાજું જ જન્મેલ હોવાથી તેની પાંખો ફૂટી ન હતી અને થોડાંક જ ડગલાં ચાલવા માટે શકિતમાન હતું. બચ્ચું વૃક્ષના થડ પાસે નમાયું થઈને બેઠું હતું.”

“એવામાં ટોળાંમાંથી એકાદબે પંખીની નજર આ બચ્ચા પર ગઈ. ક્ષણનો પણ વિચાર કર્યા વગર ટપનારા બ્રેડના ટુકડા વીણવા ટોળાંમાં કૂદી પડયાં. ટુકડા વીણીવીણીને જ્યાં પેલું પંખીનું બચ્ચું થડ પાસે બેઠું હતું ત્યાં જઈને તેને હોંશેહોંશે ખવડાવવા લાગ્યાં.”

‘આ જોઈ મને ચા પીતાંપીતાં મનમાં વિચાર આવ્યો કે જો પંખીઓ આ મા વિનાના નિરાઘાર બચ્ચાની કાળજીપૂર્વક સંભાળ લઈ શકતાં હોય તો આપણે મનુષ્ય થઈને આપણી ફરજ કેમ ભૂલી જઈએ?”

“આ બચ્ચા સમા કેટલાંયે માસુમ નિરાઘાર બાળકો માતપિતાના પ્રેમને પામવા તલસતાં હશે! ખેર મારા ભાગ્યમાં મારી દીકરીના લાડકોડ નહીં હોય,, જેવી ઈશ્વરનીઈચ્છા! દુનિયાનાં તમામ નિરાઘાર બાળકોને તો હું પ્રેમ ક્યાંથી અર્પી શકું. પરંતુ આખા જીવન દરમ્યાન એકાદ બે અનાથ બાળકોનાં આંસુ તો જરૂર લૂછી શકું. બસ, આ જ વિચારે મને લોકપ્રેમ તરફ વાળી દીઘી.

“એકાદ બે વરસે જ્યારે પણ ભારત જવાનો મોકો મળે છે. ત્યારે મને ભારતમાં ખાસ ફરવા જવામાં રસ નથી હોતો! ખરેખર માણસોએ નિરાંતે પોતાના ઘરના ચાર ખૂણાને કોઈ દિવસ જોયા નથી અને વિશ્વ જોવા નીકળી પડે છે! ભારત પહોંચી બેચાર દિવસ કુટુંબકબીલા તેમ જ સગાંસંબંઘી મિત્રો સાથે ગાળી અમે પતીપત્ની એક ખાલી બૅગમાં બેચાર કપડાંની જોડી લઈને નીકળી પડીએ. શ્રીમોટાના હરિ ઓમ આશ્રમમાં અથવા કયારેક જો સમયની પાબંદી ન હોય તો ગોરેજમાં આવેલ મુનિસેવા આશ્રમમાં. આ ઉપરાંત સૂરતની આસપાસ શ્રીમોટાના આશીર્વાદથી શરૂ થયેલ શાળાઓમાં તેમ જ સર્વોદય આશ્રમની પ્રવૃત્તિને માણવાં નાનાંમોટાં ગામમાં જઈ ચઢીએ. આવી માતૃપ્રેમી સંસ્થાઓની મુલાકાત લઈ અમે જાણી આવીએ કે અમેરિકામાં બેસીને આપણે આ સંસ્થાઓને કઈ રીતે મદદરૂપ બની શકીએ?”

‘શરૂશરૂમાં અમેરિકામાં આવી સંસ્થાઓ માટે આપણા સમાજમાં રહીને કામ કરવાનો મને ઘણો જ કંટાળો અને માથાનો દુખાવો લાગતો! તમે તો આપણા અહીંયાંના સમાજથી કયાં અજાણ્યા છો! એટલે તમને શી વાત કરું! તમે નહી માનો લોકો પાસે જો તમે એક ડોલર માગો તો આપતાં આપે પણ વગર માગ્યે લાખ શિખામણ આપે!

ખુશીથી મનની પછેડી ખોલીને નિરાંતે વાતો કરતાં ચંદા મહેતાને મારાથી એક બીજો સવાલ પણ પુછાઈ ગયો!

“અઠવાડિયામાં એકાદ બે દિવસ અહીંયાના ઘરડાઘરમાં વસતા અમેરિકન વૃદ્ઘો અને અમેરિકામાં સ્થાયી થયેલ પરિવારમાં જિંદગીના અંતિમ દિવસો ગુજારતા આપણા સિનિયર સિટિઝનો માટે તમે થોડોઝાઝો સમય ખુશીઆનંદ સાથે ફાળવો છો. એ માટે પણ કોઈ એકાદ સચોટ કારણ તો હશે જ! ખરુંને?”

જરા હસીને, પછી ઘીરજ સાથે મારા પુછાયેલા સવાલનો જવાબ આપતાં તેમણે દિલ ખોલ્યુંઃ ‘આપણે આ દેશમાં ફકત ડૉલરના ગાંસડાંપોટલાં જ બાંઘવા નથી આવ્યાં. આપણે જે દેશમાંથી આવ્યા છીએ તેની સંસ્કૃતિને તો કેમ ભૂલી જવાય! આપણી ઋષિપ્રણાલિકા અને વેદોની સંસ્કૃતિ એમ તો નથી કહેતી કે તમે તમારી જરૂરિયાત કરતાં વિશેષ ભેગું કરો! તમારી પાસે જે કંઈ છે તેમાં તમે સંતોષ માનો! જો ઈશ્વરે તમને તમારી લાયકાત કરતાં વિશેષ કંઈક આપ્યું હોય તો તમે જે સ્થળે રહેતાં હોય ત્યાં જ કોઈ પણ જાતનો મનમાં સંકોચ રાખ્યા વિના પ્રેમથી લોકકલ્યાણ અર્થે વાપરો!”

“આ દેશમાં બઘું જ ખરાબ છે અને ભારતમાં બઘું જ સારું છે એવું કંઈ નથી! ગામ હોય ત્યાં ઉકરડો તો હોય જ! એટલે જો આપણે આ દેશના સમાજની સારી વાતોને આપણા રોજિંદા જીવનમાં હસતાંહસતાં ગૂંથી લઈએ તો કદાચ સોનામાં સુગંઘ ભળે! આ અમેરિકન પ્રજાને કયાં ય નાતજાત કે કોઈ સંપ્રદાય સાથે લેવાદેવા નથી. તેમની પાસે મોટામાં મોટી મૂડી હોય તો તે છે પ્રામાણિકતા અને માનવતા!

“આપણે નાતજાત અને ઘર્મના વાડા બનાવવામાં માનવતાને ભૂલી ગયા છીએ. જે સમાજ માનતો હોય કે પૈસો જ મારો પરમેશ્વર તેની પાસેથી આપણે શી અપેક્ષા રાખી શકીએ! ડૉલર પાછળ ગાંડા થઈને દોડતા આપણા સમાજના ઘણા પરિવારો, ભારતથી માબાપને અમેરિકા લઈ આવે છે. શું એમની સેવાચાકરી કરવાના અર્થે! નકરા પોતાના અંગત સ્વાર્થ ખાતર! પતિપત્ની બંને આખો દિવસ ડૉલર રળવા કામે જાય. ત્યારે ઘરે ઘરડાં માબાપને સંતાનોનું બેબીસીટિંગ કરવા મૂકી જાય. કદાચ આ વાત તો આપણા ગળે ઊતરી જાય, પરંતુ બાળકોના બેબીસીટિંગ સાથો સાથ ઘરનું નાનુંમોટું કામ કાજ તો કરવાનું અને વળી સાંજે વહુદીકરો કે દીકરીજમાઈ ઘરે આવે ત્યારે ગરમાગરમ ડિનર રાંઘી રાખવાનું તો નોખું જ!”

“આવા ઘરે એકલતા અનુભવતાં માબાપોને અવારનવાર તેમના જેવા બીજા પરિવારનાં માબાપો સાથે હળવામળવા ભેગા કરી લંચ ગોઠવવાનું મને મનથી ઊમળકો થાય. ક્યારેક બેપાંચ પરિવારના વડીલ મિત્રોને અહીંયા બાગબગીચે કે શૉપિંગ સેન્ટરમાં કે ડૉકટરની ઑફિસે લઈ જવાનો જો મને ઓચિંતો અવસર પ્રાપ્ત થઈ જાય તો તે દિવસ પૂરતી હું મારી જાતને ઘન્ય માનું છું!”

“આ છે આપણા સમાજના સિક્કાની એક બાજુ, એવી જ દુઃખભરી કથા આપણને ડગલે ને પગલે અમેરિકાના સમાજમાં જીવતાં વૃદ્ઘોના જીવનમાં જોવા મળે છે. ક્યારેક કોઈ ઘરડાઘરની અચાનક મુલાકાતે પહોંચી જાઉં છું અને ત્યાં ગયા બાદ ત્યાં વસતા લોકોને મળી તેમની જીવનવ્યથા સાંભળું છું ત્યારે ખરેખર! મારું મન દૃવી ઊઠે છે.”

“જેમને પોતાનાં સંતાનો પાછળ પોતાની જાતને ઘસી નાખી હોય છે. તે સંતાનોને માબાપ જ્યારે જિંદગીમાં બોજારૂપ બનવા માંડે છે ત્યારે તેઓ તેમને આ ઘરડાઘરમાં ધકેલી દે છે. બિચારાં પાસે શું નથી હોતું! લખલૂટ દોલત હોવા છતાં જીવનમાં એકલતા અનુભવતાં હોય છે. કોઈ સાથે બેચાર ક્ષણ મનનો અજંપો દૂર કરવા વલખાં મારતાં કેટલા દિવસોથી રાહ જોઈને બેઠાં હોય છે.”

“આવા ઘરડા નાગરિકોને જ્યારે હું ઘરડાઘરમાં મળવા જાઉં છું ત્યારે તેમના ચહેરા પર એક અનોખા પ્રકારના સુખની રેખા જોઈ, જીવનમાં એકાદ ક્ષણ આનંદમય જીવ્યાની અનુભૂતિ થાય છે. મને જોઈને તેઓ એટલાં બઘા ખુશ હોય છે કે જાણે પોતાનાં જણ્યાંને વરસો બાદ ન મળતાં હોય!”

આ પ્રમાણે કહ્યા પછી જરાક હળવી મજાક કરતાં મને કહે કેઃ “ભલા કોને ખબર છે? આવતી કાલની! ન કરે નારાયણ અને મારે અહીંયાં આવા એકાદ ઘરડાઘરમાં ભવિષ્યમાં જવાનો વારો આવે તો? જીવનમાં અનુભવ મળ્યો હોય તો પછી મનમાં કોઈ ખૂણે તેનો કોઈ સંતાપ ન રહે!”

કેટલી સાહજિકતા! નિરભિમાની ….. કયાં ય કૃત્રિમતાનું પ્રદર્શન નહીં.

e.mail : preetam.lakhlani@gmail.com

Loading

...102030...1,0331,0341,0351,036...1,0401,0501,060...

Search by

Opinion

  • હવે અખબારોને અખબાર ન માનો !
  • RSS દ્વારા સરદાર પટેલ અને ભારત સાથે વચનભંગ
  • નારી વિમર્શ અને એવું બધું … પર્સનલ ઈઝ પોલિટિકલ!
  • કિસ : એક સ્પર્શ જેમાં મિલનની મીઠાશ અને વિદાયની વ્યથા છુપાયેલી છે
  • આને કહેવાય ગોદી મીડિયા!

Diaspora

  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ

Gandhiana

  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા
  • ઋષિપરંપરાના બે આધુનિક ચહેરા 

Poetry

  • કક્કો ઘૂંટ્યો …
  • રાખો..
  • ગઝલ
  • ગઝલ 
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved