Opinion Magazine
Number of visits: 9667194
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

હરિયાણાની હિંસાથી જાટ મતોનું ધ્રુવીકરણ થશે?

રાજ ગોસ્વામી|Opinion - Opinion|7 August 2023

રાજ ગોસ્વામી

ગયા સોમવારે [31 જુલાઈ 2023], ભારતની જનતા બે ભયાનક ઘટનાઓથી સ્તબ્ધ થઇ ગઈ. જયપુરથી મુંબઈ આવી રહેલી એક ટ્રેનમાં ફરજ પર તૈનાત, રેલવે સુરક્ષા બળના એક જવાન ચેતન સિંહે, તેની સર્વિસ રાઈફલમાંથી ચાર લોકોને મોતને ઘાટ ઉતારી દીધા. તેના ગુસ્સાનું નિશાન બનેલામાં તેનો એક સિનિયર પોલીસ કર્મચારી ટીકા રામ મીણા અને ત્રણ મુસાફરો હતા. ત્રણે મુસાફરો મુસ્લિમ હતા અને ચેતને તેમને શોધી-શોધીને માર્યા હતા એટલે સોશિયલ મીડિયા પર લોકોએ તરત જ આ અપરાધને ‘હેટ ક્રાઈમ’માં ગણવાનું શરૂ કર્યું. બાકી હોય તેમ, હત્યાકાંડનો એક કથિત વીડિયો પણ વાઈરલ થયો, જેમાં ચેતન હિંદુ-મુસલમાન, ચૂંટણી, ન્યૂઝ ચેનલો, પાકિસ્તાન અને મોદી, યોગી અને ઠાકરેના નામોનો ઉલ્લેખ કરતો સંભળાતો હતો. પોલીસના કહેવા પ્રમાણે ચેતનની દિમાગી હાલત સારી નથી અને તેણે અંગત અકળામણમાં આવીને રાઈફલ ચલાવી હતી.

દેશમાં આ પ્રકારની ઘટના પહેલી હતી અને લોકોને હજુ તે સમાચાર ગળે ઉતરે તે પહેલાં જ, હરિયાણાના નૂહ જિલ્લા મથકે (જે અગાઉ મેવાત જિલ્લો હતો), ભયાનક તોફાનોના સમાચાર આવવાના શરૂ થયા. બજરંગ દળ અને વિશ્વ હિંદુ પરિષદનું એક ધાર્મિક સરઘસ નૂહના મુસ્લિમ બહુમતીવાળા વિસ્તારમાંથી પસાર થઇ રહ્યું હતું, ત્યારે અચાનક જ હિંસા ફાટી નીકળી અને જોતજોતામાં પથ્થરો અને ગોળીઓ વછૂટી, આગચંપી શરૂ થઇ.

બપોર પછી શરૂ થયેલી આ હિંસા મોડી રાત સુધી ચાલતી રહી અને બીજા દિવસ સુધીમાં ઓછામાં ઓછા પાંચ લોકો તેમાં માર્યા ગયા હતા, અનેક ઘાયલ થયા હતા, સેંકડો દુકાનોમાં તોડફોડ કરીને લૂંટફાટ કરવામાં આવી હતી અને અનેક વાહનો સળગાવી દેવામાં આવ્યાં હતાં. મોડે મોડે પોલીસે સ્થિતિ પર અંકુશ લીધો, તે પછી માહિતી આપવા લાગી કે મોનૂ માનેસર નામના એક વોન્ટેડ ગૌ-રક્ષકે એક દિવસ અગાઉ, અગાઉ 30મી તારીખે, એક વીડિયો જારી કરીને વધુને વધુ લોકોને બ્રિજમંડળ શોભાયાત્રામાં જોડાવા અને પોતે પણ ત્યાં હાજર રહેશે તેવી જાહેરાત કરી હતી.

કહેવાય છે કે નૂહના આગેવાનોને મોનૂની જાહેરાત સાથે જ અંદેશો હતો કે યાત્રામાં ગરબડ થશે અને તેમણે લાગતા વળગતા લોકોને કહ્યું પણ હતું કે તે ન આવે તો સારું. મેવાતના ઘસેરા ગામના સરપંચ અશરફ ખાને બી.બી.સી.ને કહ્યું હતું કે, “મોનૂ મુસલમાનોની હત્યામાં આરોપી છે પરંતુ વીડિયોમાં તે વિના ડરે કહી રહ્યો હતો કે તે નૂહમાંથી યાત્રા કાઢશે. લોકોમાં આ વીડિયોથી નારાજગી હતી.”

એ ઉપરાંત, 31મીની સવારે બિટ્ટુ બજરંગી નામના બીજા એક સ્થાનિક નેતાનો વીડિયો વાઈરલ થયો હતો, જેમાં તે અમે આવીએ છીએ અને ફૂલમાળા તૈયાર રાખજો એવું કહેતો સંભળાતો હતો. હરિયાણા પોલીસ આ બંને વીડિયોની તપાસ કરી રહી છે.

હરિયાણા સરકારે તાબડતોબ આની નોંધ લીધી હતી અને જાહેર કર્યું હતું કે આ તોફાનો સુનિયોજિત હતાં. મુખ્ય પ્રધાન મનોહર લાલ ખટ્ટરે તો એમ પણ કહ્યું કે મોનૂ માનેસર સામે રાજસ્થાનમાં ગુનો નોધાયેલો છે અને રાજસ્થાન પોલીસ ચાહે તો તેની સામે કાર્યવાહી કરવામાં હરિયાણા પોલીસ સહાય કરશે. મોનૂ રાજસ્થાનના બે મુસ્લિમ યુવાનોની હત્યામાં ‘ફરાર’ છે, પણ વિડંબના એ છે કે તે ખુલ્લે આમ સોશિયલ મીડિયા પર સક્રિય છે અને ન્યૂઝ ચેનલોને ઇન્ટરવ્યૂ પણ આપી રહ્યો છે. પી.ટી.આઈ. સમાચાર સંસ્થાને મોનૂએ કહ્યું હતું કે વિશ્વ હિંદુ પરિષદના નેતાઓના કહેવાથી તે શોભાયાત્રામાં સામેલ થયો નહોતો.

હરિયાણાના ગૃહ મંત્રી અનિલ વિજે કહ્યું હતું કે, “જે સ્તરે આ હિંસા થઇ હતી, તે અચનાક ભડકી નહોતી. નૂહમાં બંને સમુદાયો લાંબા સમયથી સંપીને રહે છે. કોઈકે એમાં ઝેર ઘોળ્યું છે, કોઈક તેનો માસ્ટરમાઈન્ડ છે. જે રીતે દરવાજાઓ અને અગાસીઓ પર પથ્થર અને હથિયારો હતાં, તે એકદમ સામે ન આવે.”

જો કે, રાજ્યમાં નાયબ મુખ્ય મંત્રી દુષ્યંતસિંહ ચૌટાલાએ જ કહ્યું, તે મુખ્ય મંત્રીના બયાન કરતાં થોડું વિરોધાભાસી હતું. તેમણે કહ્યું કે આયોજકોએ શોભાયાત્રામાં કેટલા લોકો હિસ્સો લેવાના છે તેની ‘યોગ્ય’ જાણકારી વહીવટીતંત્રને આપી હોત તો હિંસાને રોકી શકાઈ હોત. ખટ્ટર હિંસાને ષડ્યંત્ર ગણાવ્યું હતું, જયારે તેમના ડેપ્યુટીએ આયોજક તરફ આંગળી ચીંધી હતી.

ખટ્ટર ભા.જ.પ.ના કદાવર નેતા છે, જ્યારે ચૌટાલા જનનાયક જનતા પાર્ટીના જાટ નેતા છે. હરિયાણામાં આવતા વર્ષે વિધાનસભાની ચૂંટણી છે, પરંતુ તાજેતરમાં કૃષિ કાનૂનો સામે ખેડૂતોનાં અંદોલન અને તેની મહિલા પહેલવાનોનાં ધરણા આંદોલનથી ભા.જ.પ.ની સ્થિતિ અત્યારે કમજોર લાગે છે. 

2019માં, વિધાનસભાની ચૂંટણીમાં બહુમતી ન મળતાં ભા.જ.પે. જનનાયક જનતા પાર્ટી સાથે નાતરું કરવું પડ્યું હતું. ચૌટાલા અને તેમના પિતા અજય સિંહ ચૌટાલાએ 2018માં, તેમના પરદાદા અને ભૂતપૂર્વ નાયબ વડા પ્રધાન ચૌધરી દેવીલાલના ઇન્ડિયન નેશનલ લોક દલથી છેડો ફાડીને જે.જે.પી.ની રચના કરી હતી.

તાજેતરમાં જો કે ભા.જ.પ. અને જે.જે.પી. વચ્ચે અંતર આવ્યું છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ભા.જ.પ. જે.જે.પી.ને ગઠબંધન તોડવા ઉશ્કેરી રહ્યું છે, એવું થાય તો જે.જે.પી. આગામી ચૂંટણીમાં સ્વતંત્ર રીતે લડે અને કાઁગ્રેસના મતો તોડે, જેથી ભા.જ.પ.નો બહુમતીનો રસ્તો સાફ થઇ જાય. રિપોર્ટ્સ કહે છે કે ભા.જ.પ. કોમી ધ્રુવીકરણનો લાભ લઈને દક્ષિણ હરિયાણાની 21 બેઠકો જીતવાનો મનસૂબો ધરાવે છે, જ્યારે જે.જે.પી.ની નજર મેવાતની ત્રણ બેઠકો પર છે.

2019માં, કુલ 90 બેઠકોમાંથી 40 બેઠકો સાથે સૌથી મોટી પાર્ટી બની હતી, જ્યારે કાઁગ્રેસને 31 અને જે.જે.પી.ને 10 બેઠકો મળી હતી. ભા.જ.પે. જે.જે.પી. અને 7 અપક્ષોનો સાથે લઈને સરકાર બનાવી હતી. ભા.જ.પે. જે.જે.પી.ને નાયબ મુખ્ય મંત્રીપદની ઓફર કરી હતી.

કહેવાય છે કે જે.જે.પી.ના આ જોડાણથી જાટ મતદારો નારાજ થયા હતા, કારણ કે જે.જે.પી. તો ભા.જ.પ. વિરોધી નારા પર જ ચૂંટણી લડી હતી. 2020માં ખેડૂત આંદોલન વેળા જ જાટ લોકોએ દબાણ કર્યું હતું કે જે.જે.પી. ખેડૂત વિરોધી સરકારમાંથી બહાર નીકળી જાય.

હરિયાણામાં જાટ મતદારોનું વર્ચસ્વ છે અને 1966માં રાજ્યની રચના થઇ ત્યારથી તેમનો રાજનીતિમાં ડંકો વાગે છે. જાટ સમુદાયે 57 વર્ષમાં 33 મુખ્ય પ્રધાનો આપ્યા છે. ભજન લાલ બિશ્નોઈ અને વર્તમાનમાં ખટ્ટર બે જ બિન-જાટ મુખ્ય પ્રધાન છે. 2016માં, જાટ આરક્ષણ માટેના આંદોલનમાં 20 યુવાનોનાં પોલીસ ગોળીબારમાં મોત થતાં જાટ લોકો ભા.જ.પ. વિરોધી થઇ ગયા છે.

નૂહમાં જે ઘટના બની છે તેને રાજ્યની જાટ રાજનીતિ સાથે જોડીને જોવી જરૂરી છે. બે દિવસની ભયાનક હિંસા પછી ખટ્ટરે માસ્ટરમાઈન્ડને છોડવામાં નહીં આવે તેવું કહ્યું. ગૃહ પ્રધાને શોભાયાત્રામાં તલવારો અને બંધૂકો લઈને કોણ ગયું હતું એવો સવાલ કર્યો. ચૌટાલાએ શોભાયાત્રાના આયોજકો પર શંકા કરી. ગુરુગ્રામ લોકસભાના સભ્ય અને કેન્દ્રીય મંત્રી રાવ ઇન્દ્રજીત સિંહે બંને કોમોની દોષી બતાવીને કહ્યું કે યાત્રામાં હથિયારોનું પ્રદર્શન ઉશ્કેરણીજનક હતું.

આ પ્રતિક્રિયાઓ સાબિત કરે છે દરેક રાજકારણીનું ભાવી રાજ્યમાં કોમી ધ્રુવીકરણ સાથે જોડાયેલું છે. ઉપર કહ્યું તેમ, હરિયાણામાં જાટ મતો નિર્ણાયક રહે છે. આર્થિક રીતે અને સામાજિક રીતે જાટ લોકો તાકતવર છે. વર્તમાનમાં જાટ લોકોનો જે મૂડ છે, તે જોતાં મુખ્ય પ્રધાન ખટ્ટરની જમીન ડામાડોળ છે. હરિયાણામાં કોમવાદી રાજકારણનો ખાસ ઇતિહાસ નથી. રાજ્યમાં માત્ર 7 ટકા જ મુસ્લિમ લોકો છે. રાજ્ય હિન્દી બહુમતીવાળું છે અને તેની રાજનીતિ જાતિ આધારિત છે.

સોશિયલ મીડિયા પર અમુક સ્વતંત્ર વિચારોવાળા, હરિયાણાના જાણકાર લોકોનાં લખાણો વાંચતા એવું લાગે છે કે નૂહની હિંસામાં રાજ્યની જાતિ આધારિત રાજનીતિની કમ્મર તોડીને તેને કોમવાદી વળાંક આપવાનો પ્રયાસ થયો છે.

જાણકારો તો એવું કહે છે કે બેરોજગારી, સ્વાસ્થ્ય અને શિક્ષણનાં ક્ષેત્રે રાજ્યના નબળા દેખાવથી ભા.જ.પ.ના બિન-જાટ મતદારો પણ નારાજ છે. ભારતીય સેનાની અગ્નિવીર યોજનાથી પણ હરિયાણાના પરિવારો ખુશ નથી. તેવા સંજોગોમાં, ચૂંટણી પહેલાં હિંદુ મતોનું એકીકરણ થાય તો જ સ્પષ્ટ બહુમત શક્ય છે.

નોંધપાત્ર વાત એ છે કે નૂહની હિંસાની રાજપૂત અને જાટ સંગઠનોએ સખ્ત નિંદા કરી છે. ધનખડ ખાપ પંચાયતના પ્રધાન અને હરિયાણા ખાપ પંચાયતના કોઓર્ડીનેટર ડો. ઓમ પ્રકાશ ધનખડે હિંસાને લઈને સાર્વજનિક અપીલમાં કહ્યું હતું, “મેવાતી આપણા ભાઈ છે અને આપણા લોકો સામેની કોઇપણ હિંસામાં સામેલ થવાનું નથી.”

જાટ લોકો જો આ કોમી ધ્રુવીકરણનો હિસ્સો ન બને, તો નૂહના માધ્યમથી હરિયાણામાં સોશિયલ એન્જીનિયરિંગ કરવાનો જે પ્રયાસ થયો છે તે કેટલો સફળ નીવડશે તે પ્રશ્ન દરેક રાજકીય વિશ્લેષકના મનમાં છે.

લાસ્ટ લાઈન :

ધર્મ અને આસ્થા વ્યક્તિગત બાબત છે. સરકારનો સવાલ છે ત્યાં સુધી, એક જ પવિત્ર ગ્રંથ છે, અને તે છે બંધારણ.

— નરેન્દ્ર મોદી

(પ્રગટ : ‘ક્રોસ લાઈન’ નામક લેખકની સાપ્તાહિક કોલમ, “ગુજરાતી મિડ ડે”; 06 ઑગસ્ટ 2023)
સૌજન્ય : રાજભાઈ ગોસ્વામીની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

‘મેરે વતનકે લોગ’ના નારા, ઊઠ્યા આજે ફરી,

દેવિકા ધ્રુવ|Opinion - Opinion|7 August 2023

સ્વાતંત્ર્ય દિવસ  માટે …

દેવિકા ધ્રુવ

‘આઝાદી’ શબ્દની સાથે જ ભારત સ્વતંત્ર થયા પહેલાંનાં ઇતિહાસનાં વાંચેલા પાનાંઓ નજર સામે ફરફરે છે તો વડીલોનાં મુખેથી સાંભળેલ કારમાં દૄશ્યો પણ ખડાં થાય છે. આઝાદી પછીના ચઢાવ-ઉતરાવના તો આપણે પણ સાક્ષી છીએ. એ વિશે ઘણું બધું કહી શકાય. પણ ગૌરવની વાત તો એ છે કે વિશ્વભરમાં, વિવિધ ક્ષેત્રે, વિવિધ રીતે પ્રગતિ કરીને ભારતીયોએ દેશનું નામ રોશન કર્યું છે; અને એ જ સાચો ઉત્સવ છે.

‘પ્લસ’ અને ‘માઈનસ’ તો બધે જ છે, બધામાં જ છે. આમ છતાં આ એક હકીકત છે કે, વિદેશમાં રહેતાં અમારાં જેવાં મૂળ ભારતીય ભાઈ-બહેનો, સમયને અભાવે ભલે પીઝા, પીટા કે કે નાનથી ટેવાયાં હોઈએ, ભલે ‘જેવો દેશ તેવો વેશ’ એ ન્યાયે પહેરવેશમાં ફેરફાર કર્યો હોય, પણ પ્રત્યેક ભારતીય વ્યક્તિ વતનની પ્યાસી છે. પરદેશમાં પણ આજની ઊગતી પેઢીની સાથે રહીને ભારતનાં દરેક તહેવાર મસ્તીથી ઉજવે છે. હિંદુસ્તાનની વાનગીઓ મન ભરીને માણે છે.

હા, નવો સમય છે, નવી પાંખ છે, નવા ઉમંગો છે, નવો મલકાટ છે. એટલે રીતો પણ નવી છે, પણ કર્મભૂમિના આદર સાથે પણ દિલ તો માતૃભૂમિને જ નમે છે. આજે જ્યારે ભારતના ૭૭માં વર્ષની ઉજવણી થઈ રહી છે ત્યારે આ ‘આઝાદી’ની પહેલાં અને પછી પણ કુરબાની આપેલ વીરોને તો કેમ ભૂલાય? એ તમામ શહીદોની યાદમાં થોડી પંક્તિઓ પ્રસ્તુત છેઃ

‘મેરે વતનકે લોગ’ના નારા, ઊઠ્યા આજે ફરી,
કુરબાની ને શહીદીના, સૂરો ગુંજ્યા આજે ફરી. 

રુધિરથી લથબથ  થતી લાશો નજર  સામે  ખડી
કંકુ લૂછાતાં, હાથનાં કંકણ તૂટ્યાં આજે ફરી. 

પોતા થકી ગોળી ઝીલી, બીડેલ લોચનની છબી
એ યાદના પડદા હલી, ભીંતે ધ્રૂજ્યા આજે ફરી.

વર્ષો જૂની એ વીરતાને પૂછતી રંગીન ધ્વજા,
ક્યાં કોણ છે આઝાદ? સો પ્રશ્નો ફૂટ્યા આજે ફરી.

 રાતો ગઈ, વાતો રહી, જાગો નમો સૌ સાથમાં,
ઝંડા થકી સંદેશ લઈ, સાચું નમ્યાં આજે ફરી.

તો આ સાથે આઝાદીના આ પર્વના ગર્વ સાથે  સૌ દેશપ્રેમીઓને જયહિંદ.

હ્યુસ્ટન
Email: ddhruva1948@yahoo.com

Loading

નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સુરતનું લાંછન છે…

રવીન્દ્ર પારેખ|Opinion - Opinion|7 August 2023

રવીન્દ્ર પારેખ

આમ તો આખા ગુજરાતનું શિક્ષણ ધણીધોરી વગરનું થઈ ગયું છે, ત્યાં માત્ર નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ, સુરતનું રડવાનો અર્થ નથી, પણ જે ઘટના તાજેતરમાં સામે આવી છે તે શિક્ષણ સમિતિને સુરતનું લાંછન પુરવાર કરે એવી છે. એવું નથી કે શિક્ષણ સમિતિ કૈં કરતી નથી. સુરત મહાનગરપાલિકા સંચાલિત શાળાઓમાં ગુજરાતી ઉપરાંત હિન્દી, મરાઠી, ઉર્દૂ, ઉડિયા, તેલુગુ, અંગ્રેજી મળી કુલ સાત ભાષામાં શિક્ષણ  અપાય છે. સુરત મહાનગરપાલિકા દેશની પહેલી એવી પાલિકા છે જે સાત ભાષામાં પ્રાથમિક શિક્ષણ, વિના મૂલ્યે આપે છે ને દાયકાઓથી પૂર્ણકદનાં નાટકોની સ્પર્ધા કરે છે. ત્રણસોથી વધુ શાળાઓમાં દોઢેક લાખથી વધુ બાળકો શિક્ષણ મેળવે છે, પણ છેલ્લા થોડા સમયથી શિક્ષણ સમિતિનો કારભાર શરમજનક રીતે કથળ્યો છે. આમ તો શાળાઓનો બોજ સમિતિ પર હોય, પણ હવે એવું લાગે છે કે શાળાઓ પર સમિતિ બોજારૂપ છે. ગયા માર્ચમાં જ સમિતિએ પ્રવેશોત્સવમાં રાજકીય હોદ્દેદારોને તો ઠીક, સામાન્ય કાર્યકરોને પણ આમંત્રણ આપવાનું ફરજિયાત કરેલું, પછી હોબાળો થયો તો કાર્યકરોવાળી વાત કાઢી નાખવી પડેલી. એ પછી પણ શિક્ષણને ભોગે વત્તે ઓછે અંશે રાજકીય દખલો થતી જ રહે છે. તે એટલે પણ કે સરકારમાં શૈક્ષણિક યોગ્યતાને ભોગે રાજકીય લાયકાતો હાવી થતી આવી છે, તેથી તમામ સંસ્થાનોમાં શાસકો જ વત્તે ઓછે અંશે રાજકીય પ્રભાવ પાથરતા રહે છે ને એટલે અંશે શિક્ષણ પાછળ ધકેલાતું જાય છે.

આમ તો શિક્ષણ સમિતિના અધ્યક્ષ છે, તેનાં ઉપાધ્યક્ષ છે, સમિતિના સભ્યો છે, છતાં કોઈ જ ન હોય એવી નઘરોળ નિષ્ક્રિયતા વર્તાય ત્યારે થાય કે સમિતિ ન હોય તો કદાચ કારભાર આટલો ખાડે ન જાય. પ્રાથમિક શિક્ષણનું ધનોતપનોત ખુદ શિક્ષણ વિભાગે કાઢી નાખ્યું છે. આખા રાજ્યમાં ભાટચારણો જ વિદ્યમાન છે ને એમને ધાર્તરાષ્ટ્રી દૃષ્ટિ એવી મળી છે કે બીજું કૈં જોવાની જરૂર જ રહી નથી. સાર્વત્રિક અરાજકતા આજનાં શિક્ષણનો મહામંત્ર છે.

નવી શિક્ષણ નીતિને લાગુ થયાંને ત્રણ વર્ષ થયાં, તેનું ઉજવણું પણ થયું. હવે તો ઊઠમણું ય ઉજવણું થઈ પડ્યું છે. બધું જ ઉજવાય છે. શિક્ષણ તો નીતિ છે, તે ઉજવવાનું કારણ બને તો આશ્ચર્ય થાય. ઉજવણાંનો ય વાંધો નથી, પણ નવી નીતિ લાગુ કરતી વખતે વાતાવરણ અનુરૂપ છે કે કેમ તે તો જોવું પડશેને ! એ જોવાની ફુરસદ ભાગ્યે જ કોઈને છે. અંધાપો જ દૃષ્ટિનો ન્યાય કરે એવી સ્થિતિ છે. શિક્ષણ નીતિ લાગુ થઈ ગઈ છે, પણ એને ભણાવનાર શિક્ષકોનો દુકાળ છે. શાળાઓ નાદુરસ્તીથી પીડાય છે. ઘણી જગ્યાએ વર્ગો ખંડેરમાં કે ખુલ્લામાં ચાલે છે. સાચું તો એ છે કે સાધન-સામગ્રી-શિક્ષકોના અભાવમાં શિક્ષણ ચાલે છે. આટલી અનિયમિતતાઓ વચ્ચે ક્યાંકને ક્યાંક પરીક્ષાઓ ચાલ્યા કરે છે. શિક્ષણ અપાય કે ન અપાય, પરીક્ષાઓ અપાયા કરે છે. આવામાં નવી શિક્ષણ નીતિ લાગુ થાય તો તેમાં કેવોક ભલીવાર હોય તે સમજી શકાય એવું છે.

એક સમય હતો જ્યારે વિદ્યાર્થીઓને નફાતોટાના દાખલા શીખવાતા. હવે નફાના દાખલા શૈક્ષણિક સંસ્થાઓ ગણતી થઈ છે. શિક્ષણમાં ધંધો ઘૂસી ગયો છે ને બધાં જ છેતરવાનું કૌશલ્ય જરા ય સંકોચ વગર વાપરે છે. આ રમત સ્કૂલોમાં જ ચાલે છે એવું નથી. બને ત્યાં સુધી અધ્યાપકો, શિક્ષકો કે અન્ય સ્ટાફ ન આપીને અને ફી પૂરી વસૂલીને, નફાનું ધોરણ જાળવી લેવાનું વલણ કૉલેજોમાં ય ઘર કરી ગયું છે. પૂરતા સ્ટાફના અભાવે ગુજરાત યુનિવર્સિટી સાથે સંલગ્ન વિવેકાનંદ બી.એડ્ કોલેજ અને ખેડાની બી.એડ્. કોલેજ પાંચેક વર્ષથી બંધ પડી છે ને બીજી બંધ પડે એવી સ્થતિ છે. એને લીધે વિદ્યાર્થીઓને સેલ્ફ ફાઈનાન્સમાં પ્રવેશ લેવાની ફરજ પડે છે. સ્ટાફની અછત ત્યાં નથી. સ્ટાફ ગ્રાન્ટેડ કોલેજોમાં જ નથી, કારણ તે આપવામાં સરકાર પોતે જ અખાડા કરે છે. એ દાનત સરકારની જ છે કે ગ્રાન્ટેડ કોલેજો બંધ થાય, જેથી ગ્રાન્ટ કે સ્ટાફ આપવાની માથાકૂટ જ ન રહે. ગ્રાન્ટેડ કોલેજો બંધ પડતી હોય તો ભલે, પણ સ્ટાફ ન આપીને સરકાર તો ગ્રાન્ટેડથી મુક્તિ મેળવવાને પંથે જ છે.

એ જ કારણ છે કે સ્કૂલોમાં ત્રીસેક હજાર શિક્ષકોની ઘટ હોવા છતાં, સરકાર એ જગ્યાઓ ભરતી નથી. ટૂંકમાં, સરકારની દાનત, સરકારી કે ગ્રાન્ટેડ સ્કૂલોને તાળાં મરાવી, ખાનગીને ઉત્તેજન આપવાની છે, એટલે જ એ વિદ્યાસહાયકો કે જ્ઞાન સહાયકોની કામચલાઉ ભરતીથી શિક્ષકોની ખોટ ભરપાઈ કરવા મથે છે. શિક્ષકોની અછત છે એવું નથી. ખરેખર તો શિક્ષકોની જગ્યાઓ ભરવાની સરકારની જ દાનત નથી, ભલે પછી રાજ્ય શિક્ષણ મંત્રી ગયા જુલાઈની 8મી તારીખે 25,000 નવા શિક્ષકોની ભરતીની જાહેરાત કરી ચૂક્યા હોય ! એમણે કેટલાં વર્ષે ભરતી થશે એનો ફોડ પાડ્યો નથી, એટલે સ્કૂલોએ તો રાહ જ જોવાની રહે. વારુ, જ્યાં કામચલાઉ ધોરણે ભરતી થાય છે ત્યાં ય દાખલા તો નફાના જ ગણાય છે. એમાંથી નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ, સુરત પણ બાકાત નથી.

આમ સુરત મહાનગરપાલિકા લોકોનાં કામ કરવાં ન હોય તો ફંડનું રડતી હોય છે, પણ વેડફવા માટે તેની પાસે પૈસા નથી એવું નથી. ગયા ગુરુવારે મળેલી સમિતિની સામાન્ય સભામાં 85 શિક્ષકોને સરકારનાં ધારાધોરણ મુજબ 10,500નાં પગાર ધોરણમાં મંજૂરી અપાઈ ને બીજા 720 શિક્ષકોની આઉટ સોર્સિંગથી ભરતી કરવામાં આવી ને એને સમિતિ 17,545નો પગાર ચૂકવવાની છે. એક જ પ્રકારના શિક્ષક, પણ એકને 10,500 પગાર ને બીજાને 17,545. તે એટલે કે 17,545 પગારવાળા શિક્ષકોને કોન્ટ્રાકટરો લાવ્યા છે. શિક્ષકોને સપ્લાય કરતી બે એજન્સીઓ સાતેક હજાર કમિશન, શિક્ષક દીઠ ગજવે ઘાલે છે. જોકે, શિક્ષકને તો એ 10,500 જ આપે છે. શિક્ષક દીઠ સાત હજારનું આ કમિશન કઇ ખુશીમાં શિક્ષણ સમિતિ ચૂકવવાની છે તે એ જાણે, પણ આવી દલાલી કોઈ પણ સંજોગોમાં ચૂકવાવી ન જોઈએ તે સ્વયં સ્પષ્ટ છે. સવાલ તો એ છે કે આઉટ સોર્સિંગથી નિમણૂક કરવાની જરૂર કેમ પડી ને તે પણ સાતસાત હજાર દક્ષિણા આપીને, તે અકળ છે. આવી રીતે લવાયેલા શિક્ષકોમાં હીરામોતી નથી જડેલા કે શિક્ષકને નામે સાત હજારની લહાણી શિક્ષક દીઠ કરવી પડે. આ બધું પાછું સમિતિની જાણમાં થાય છે ને શાસક પક્ષના સભ્યો વળી દલાલી વસૂલતા કોન્ટ્રાક્ટરોની પ્રશંસા કરે ત્યારે કરમુક્ત મનોરંજન થતું હોય એમ લાગે.

વિપક્ષી સભ્યના વાંધાને ન ગણકારતાં સમિતિ અધ્યક્ષ અને સભ્યો એવો બચાવ કરે છે કે શિક્ષકોની ઘટ પૂરવા અને શિક્ષણ તથા વિદ્યાર્થીઓનાં હિતમાં 7,000ની વધુ ચૂકવણીનો નિર્ણય લેવાયો છે. વિપક્ષ એક તરફ શિક્ષકોની ઘટ પુરાતી નથી એવી ફરિયાદ કરે છે ને શિક્ષકોની નિમણૂક થાય છે તો વાંધો ઉઠાવે છે એનું સમિતિને આશ્ચર્ય છે. એ સાચું કે શિક્ષણ સમિતિમાં શિક્ષકોની ઘટ 1,300ની છે. આમ તો એ ઘટ કોણ નથી પૂરતું તે સમિતિ ને બીજા પણ બરાબર જાણે છે. સાત હજાર કમિશન ચૂકવાતાં 720 શિક્ષકો એજન્સીઓ શોધી આપે છે ને એમ થોડીઘણી ઘટ પુરાય છે. મતલબ કે ઘટ કમિશન પર નિર્ભર છે. કમિશન ચૂકવો તો ઘટ ઘટે છે. કમાલ તો એ છે કે એ કમિશનમાંથી વધારાનું એક ફદિયું ય શિક્ષકને ચૂકવાતું નથી, તો સવાલ એ થાય કે આવી એજન્સીઓ વગર કામ થાય એમ જ નથી?

એ ખરું કે વચેટિયાઓ ઘૂસ્યા છે, ત્યાં દાટ જ વળ્યો છે. જો આવા વચેટિયાઓને ઠેકાણે પાડવાનો સમિતિએ ઠેકો ન લીધો હોય તો વહેલી તકે તેણે એજન્સી મુક્ત થઈ જવાની જરૂર છે. એવું થશે તો વહીવટ વધુ પારદર્શી બનશે. આખી સમિતિ હાજરાહજૂર હોય તો કોઈ પણ દલાલની જરૂર પડવી ન જોઈએ. 85 શિક્ષકો જો 10,500ના ભાવમાં મળી રહેતા હોય તો બીજા શિક્ષકો શોધવામાં શું નડે છે તે નથી સમજાતું. જો તાલીમી શિક્ષકો ગધેડે ગવાતા હોય તો શિક્ષકોની ઘટ કે તેની નિમણૂકમાં થતો વિલંબ કુદરતી નથી જ તે સમજી લેવાનું રહે. બચાવ તો એવો પણ થયો કે સમિતિ ખુદ નિમણૂક કરવા જાય તો વિલંબ થાય. કમાલ છે ને કે સમિતિ નિમણૂક કરવા જાય તો વિલંબ થાય ને એજન્સી શોધે તો કામ ઝડપથી થાય. તો સમિતિને એ પૂછવાનું થાય કે જે જાદુ એજન્સી કરે છે તે સમિતિને કરતાં શું તકલીફ છે? કે 7,000નું કમિશન નથી મળતું તેથી વિલંબ થાય છે? આ બધું એટલું ભેદી છે કે એનો પાર પામવાનું સામાન્ય માણસનું ગજું નથી.

સૌથી વાહિયાત વાત એ છે કે આ બધું શિક્ષણનાં ને વિદ્યાર્થીઓનાં હિતમાં થાય છે. ઓગસ્ટ શરૂ થઈ ગયો ત્યારે આ નિમણૂકોની વાત આવી. જો વિદ્યાર્થીઓનો વિચાર ખરેખર જ થયો હોત તો આ વેપલો સત્રની શરૂઆતમાં થયો હોત. આટલું થયા પછી પણ આમ શોધાયેલા શિક્ષકો તો હજી સ્કૂલે પહોંચ્યા જ નથી. કોણ જાણે કેમ પણ પુસ્તકો, ગણવેશ, બૂટમોજાં, શિક્ષકો … વગેરે, સ્કૂલ શરૂ થયાના મહિનાઓ પછી જ વહેંચવાનું સમિતિને ભાન પડે છે. દર વર્ષે આ જરૂર પૂરી કરવાની જ હોય છે, તો તે સત્રની શરૂઆતમાં પૂરી કરતાં શું દુ:ખે છે તે નથી સમજાતું.

નવી શિક્ષણ નીતિ ગમે એટલી ઉત્તમ હોય તો પણ, શિક્ષણ સમિતિની નીતિ એને ઉત્તમ ન રહેવા દે એમ બને. વધારે શું કહેવું?

000

e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 07 ઑગસ્ટ 2023

Loading

...102030...1,0331,0341,0351,036...1,0401,0501,060...

Search by

Opinion

  • સત્ય, તથ્ય અને નિસબતનો દસ્તાવેજ એટલે ડાર્વિનની આત્મકથા
  • રાજનીતિમાં વૈચારિક સફાઈના આગ્રહી: પંડિત દીનદયાલ
  • દમ પતી જાય એને દંપતી કહેવાય 
  • સ્ક્રીનની પેલે પાર : જ્યારે ડિજિટલ એસ્કેપ મોતનો ગાળિયો બને ત્યારે
  • ચલ મન મુંબઈ નગરી—327 

Diaspora

  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !

Gandhiana

  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર

Poetry

  • સખીરી તારો એ હૂંફાળો સંગાથ …
  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.
  • ગઝલ
  • નહીં આવન, નહીં જાવન : એક  મનન 

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved