ગયા સોમવારે [31 જુલાઈ 2023], ભારતની જનતા બે ભયાનક ઘટનાઓથી સ્તબ્ધ થઇ ગઈ. જયપુરથી મુંબઈ આવી રહેલી એક ટ્રેનમાં ફરજ પર તૈનાત, રેલવે સુરક્ષા બળના એક જવાન ચેતન સિંહે, તેની સર્વિસ રાઈફલમાંથી ચાર લોકોને મોતને ઘાટ ઉતારી દીધા. તેના ગુસ્સાનું નિશાન બનેલામાં તેનો એક સિનિયર પોલીસ કર્મચારી ટીકા રામ મીણા અને ત્રણ મુસાફરો હતા. ત્રણે મુસાફરો મુસ્લિમ હતા અને ચેતને તેમને શોધી-શોધીને માર્યા હતા એટલે સોશિયલ મીડિયા પર લોકોએ તરત જ આ અપરાધને ‘હેટ ક્રાઈમ’માં ગણવાનું શરૂ કર્યું. બાકી હોય તેમ, હત્યાકાંડનો એક કથિત વીડિયો પણ વાઈરલ થયો, જેમાં ચેતન હિંદુ-મુસલમાન, ચૂંટણી, ન્યૂઝ ચેનલો, પાકિસ્તાન અને મોદી, યોગી અને ઠાકરેના નામોનો ઉલ્લેખ કરતો સંભળાતો હતો. પોલીસના કહેવા પ્રમાણે ચેતનની દિમાગી હાલત સારી નથી અને તેણે અંગત અકળામણમાં આવીને રાઈફલ ચલાવી હતી.
દેશમાં આ પ્રકારની ઘટના પહેલી હતી અને લોકોને હજુ તે સમાચાર ગળે ઉતરે તે પહેલાં જ, હરિયાણાના નૂહ જિલ્લા મથકે (જે અગાઉ મેવાત જિલ્લો હતો), ભયાનક તોફાનોના સમાચાર આવવાના શરૂ થયા. બજરંગ દળ અને વિશ્વ હિંદુ પરિષદનું એક ધાર્મિક સરઘસ નૂહના મુસ્લિમ બહુમતીવાળા વિસ્તારમાંથી પસાર થઇ રહ્યું હતું, ત્યારે અચાનક જ હિંસા ફાટી નીકળી અને જોતજોતામાં પથ્થરો અને ગોળીઓ વછૂટી, આગચંપી શરૂ થઇ.
બપોર પછી શરૂ થયેલી આ હિંસા મોડી રાત સુધી ચાલતી રહી અને બીજા દિવસ સુધીમાં ઓછામાં ઓછા પાંચ લોકો તેમાં માર્યા ગયા હતા, અનેક ઘાયલ થયા હતા, સેંકડો દુકાનોમાં તોડફોડ કરીને લૂંટફાટ કરવામાં આવી હતી અને અનેક વાહનો સળગાવી દેવામાં આવ્યાં હતાં. મોડે મોડે પોલીસે સ્થિતિ પર અંકુશ લીધો, તે પછી માહિતી આપવા લાગી કે મોનૂ માનેસર નામના એક વોન્ટેડ ગૌ-રક્ષકે એક દિવસ અગાઉ, અગાઉ 30મી તારીખે, એક વીડિયો જારી કરીને વધુને વધુ લોકોને બ્રિજમંડળ શોભાયાત્રામાં જોડાવા અને પોતે પણ ત્યાં હાજર રહેશે તેવી જાહેરાત કરી હતી.
કહેવાય છે કે નૂહના આગેવાનોને મોનૂની જાહેરાત સાથે જ અંદેશો હતો કે યાત્રામાં ગરબડ થશે અને તેમણે લાગતા વળગતા લોકોને કહ્યું પણ હતું કે તે ન આવે તો સારું. મેવાતના ઘસેરા ગામના સરપંચ અશરફ ખાને બી.બી.સી.ને કહ્યું હતું કે, “મોનૂ મુસલમાનોની હત્યામાં આરોપી છે પરંતુ વીડિયોમાં તે વિના ડરે કહી રહ્યો હતો કે તે નૂહમાંથી યાત્રા કાઢશે. લોકોમાં આ વીડિયોથી નારાજગી હતી.”
એ ઉપરાંત, 31મીની સવારે બિટ્ટુ બજરંગી નામના બીજા એક સ્થાનિક નેતાનો વીડિયો વાઈરલ થયો હતો, જેમાં તે અમે આવીએ છીએ અને ફૂલમાળા તૈયાર રાખજો એવું કહેતો સંભળાતો હતો. હરિયાણા પોલીસ આ બંને વીડિયોની તપાસ કરી રહી છે.
હરિયાણા સરકારે તાબડતોબ આની નોંધ લીધી હતી અને જાહેર કર્યું હતું કે આ તોફાનો સુનિયોજિત હતાં. મુખ્ય પ્રધાન મનોહર લાલ ખટ્ટરે તો એમ પણ કહ્યું કે મોનૂ માનેસર સામે રાજસ્થાનમાં ગુનો નોધાયેલો છે અને રાજસ્થાન પોલીસ ચાહે તો તેની સામે કાર્યવાહી કરવામાં હરિયાણા પોલીસ સહાય કરશે. મોનૂ રાજસ્થાનના બે મુસ્લિમ યુવાનોની હત્યામાં ‘ફરાર’ છે, પણ વિડંબના એ છે કે તે ખુલ્લે આમ સોશિયલ મીડિયા પર સક્રિય છે અને ન્યૂઝ ચેનલોને ઇન્ટરવ્યૂ પણ આપી રહ્યો છે. પી.ટી.આઈ. સમાચાર સંસ્થાને મોનૂએ કહ્યું હતું કે વિશ્વ હિંદુ પરિષદના નેતાઓના કહેવાથી તે શોભાયાત્રામાં સામેલ થયો નહોતો.
હરિયાણાના ગૃહ મંત્રી અનિલ વિજે કહ્યું હતું કે, “જે સ્તરે આ હિંસા થઇ હતી, તે અચનાક ભડકી નહોતી. નૂહમાં બંને સમુદાયો લાંબા સમયથી સંપીને રહે છે. કોઈકે એમાં ઝેર ઘોળ્યું છે, કોઈક તેનો માસ્ટરમાઈન્ડ છે. જે રીતે દરવાજાઓ અને અગાસીઓ પર પથ્થર અને હથિયારો હતાં, તે એકદમ સામે ન આવે.”
જો કે, રાજ્યમાં નાયબ મુખ્ય મંત્રી દુષ્યંતસિંહ ચૌટાલાએ જ કહ્યું, તે મુખ્ય મંત્રીના બયાન કરતાં થોડું વિરોધાભાસી હતું. તેમણે કહ્યું કે આયોજકોએ શોભાયાત્રામાં કેટલા લોકો હિસ્સો લેવાના છે તેની ‘યોગ્ય’ જાણકારી વહીવટીતંત્રને આપી હોત તો હિંસાને રોકી શકાઈ હોત. ખટ્ટર હિંસાને ષડ્યંત્ર ગણાવ્યું હતું, જયારે તેમના ડેપ્યુટીએ આયોજક તરફ આંગળી ચીંધી હતી.
ખટ્ટર ભા.જ.પ.ના કદાવર નેતા છે, જ્યારે ચૌટાલા જનનાયક જનતા પાર્ટીના જાટ નેતા છે. હરિયાણામાં આવતા વર્ષે વિધાનસભાની ચૂંટણી છે, પરંતુ તાજેતરમાં કૃષિ કાનૂનો સામે ખેડૂતોનાં અંદોલન અને તેની મહિલા પહેલવાનોનાં ધરણા આંદોલનથી ભા.જ.પ.ની સ્થિતિ અત્યારે કમજોર લાગે છે.
2019માં, વિધાનસભાની ચૂંટણીમાં બહુમતી ન મળતાં ભા.જ.પે. જનનાયક જનતા પાર્ટી સાથે નાતરું કરવું પડ્યું હતું. ચૌટાલા અને તેમના પિતા અજય સિંહ ચૌટાલાએ 2018માં, તેમના પરદાદા અને ભૂતપૂર્વ નાયબ વડા પ્રધાન ચૌધરી દેવીલાલના ઇન્ડિયન નેશનલ લોક દલથી છેડો ફાડીને જે.જે.પી.ની રચના કરી હતી.
તાજેતરમાં જો કે ભા.જ.પ. અને જે.જે.પી. વચ્ચે અંતર આવ્યું છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ભા.જ.પ. જે.જે.પી.ને ગઠબંધન તોડવા ઉશ્કેરી રહ્યું છે, એવું થાય તો જે.જે.પી. આગામી ચૂંટણીમાં સ્વતંત્ર રીતે લડે અને કાઁગ્રેસના મતો તોડે, જેથી ભા.જ.પ.નો બહુમતીનો રસ્તો સાફ થઇ જાય. રિપોર્ટ્સ કહે છે કે ભા.જ.પ. કોમી ધ્રુવીકરણનો લાભ લઈને દક્ષિણ હરિયાણાની 21 બેઠકો જીતવાનો મનસૂબો ધરાવે છે, જ્યારે જે.જે.પી.ની નજર મેવાતની ત્રણ બેઠકો પર છે.
2019માં, કુલ 90 બેઠકોમાંથી 40 બેઠકો સાથે સૌથી મોટી પાર્ટી બની હતી, જ્યારે કાઁગ્રેસને 31 અને જે.જે.પી.ને 10 બેઠકો મળી હતી. ભા.જ.પે. જે.જે.પી. અને 7 અપક્ષોનો સાથે લઈને સરકાર બનાવી હતી. ભા.જ.પે. જે.જે.પી.ને નાયબ મુખ્ય મંત્રીપદની ઓફર કરી હતી.
કહેવાય છે કે જે.જે.પી.ના આ જોડાણથી જાટ મતદારો નારાજ થયા હતા, કારણ કે જે.જે.પી. તો ભા.જ.પ. વિરોધી નારા પર જ ચૂંટણી લડી હતી. 2020માં ખેડૂત આંદોલન વેળા જ જાટ લોકોએ દબાણ કર્યું હતું કે જે.જે.પી. ખેડૂત વિરોધી સરકારમાંથી બહાર નીકળી જાય.
હરિયાણામાં જાટ મતદારોનું વર્ચસ્વ છે અને 1966માં રાજ્યની રચના થઇ ત્યારથી તેમનો રાજનીતિમાં ડંકો વાગે છે. જાટ સમુદાયે 57 વર્ષમાં 33 મુખ્ય પ્રધાનો આપ્યા છે. ભજન લાલ બિશ્નોઈ અને વર્તમાનમાં ખટ્ટર બે જ બિન-જાટ મુખ્ય પ્રધાન છે. 2016માં, જાટ આરક્ષણ માટેના આંદોલનમાં 20 યુવાનોનાં પોલીસ ગોળીબારમાં મોત થતાં જાટ લોકો ભા.જ.પ. વિરોધી થઇ ગયા છે.
નૂહમાં જે ઘટના બની છે તેને રાજ્યની જાટ રાજનીતિ સાથે જોડીને જોવી જરૂરી છે. બે દિવસની ભયાનક હિંસા પછી ખટ્ટરે માસ્ટરમાઈન્ડને છોડવામાં નહીં આવે તેવું કહ્યું. ગૃહ પ્રધાને શોભાયાત્રામાં તલવારો અને બંધૂકો લઈને કોણ ગયું હતું એવો સવાલ કર્યો. ચૌટાલાએ શોભાયાત્રાના આયોજકો પર શંકા કરી. ગુરુગ્રામ લોકસભાના સભ્ય અને કેન્દ્રીય મંત્રી રાવ ઇન્દ્રજીત સિંહે બંને કોમોની દોષી બતાવીને કહ્યું કે યાત્રામાં હથિયારોનું પ્રદર્શન ઉશ્કેરણીજનક હતું.
આ પ્રતિક્રિયાઓ સાબિત કરે છે દરેક રાજકારણીનું ભાવી રાજ્યમાં કોમી ધ્રુવીકરણ સાથે જોડાયેલું છે. ઉપર કહ્યું તેમ, હરિયાણામાં જાટ મતો નિર્ણાયક રહે છે. આર્થિક રીતે અને સામાજિક રીતે જાટ લોકો તાકતવર છે. વર્તમાનમાં જાટ લોકોનો જે મૂડ છે, તે જોતાં મુખ્ય પ્રધાન ખટ્ટરની જમીન ડામાડોળ છે. હરિયાણામાં કોમવાદી રાજકારણનો ખાસ ઇતિહાસ નથી. રાજ્યમાં માત્ર 7 ટકા જ મુસ્લિમ લોકો છે. રાજ્ય હિન્દી બહુમતીવાળું છે અને તેની રાજનીતિ જાતિ આધારિત છે.
સોશિયલ મીડિયા પર અમુક સ્વતંત્ર વિચારોવાળા, હરિયાણાના જાણકાર લોકોનાં લખાણો વાંચતા એવું લાગે છે કે નૂહની હિંસામાં રાજ્યની જાતિ આધારિત રાજનીતિની કમ્મર તોડીને તેને કોમવાદી વળાંક આપવાનો પ્રયાસ થયો છે.
જાણકારો તો એવું કહે છે કે બેરોજગારી, સ્વાસ્થ્ય અને શિક્ષણનાં ક્ષેત્રે રાજ્યના નબળા દેખાવથી ભા.જ.પ.ના બિન-જાટ મતદારો પણ નારાજ છે. ભારતીય સેનાની અગ્નિવીર યોજનાથી પણ હરિયાણાના પરિવારો ખુશ નથી. તેવા સંજોગોમાં, ચૂંટણી પહેલાં હિંદુ મતોનું એકીકરણ થાય તો જ સ્પષ્ટ બહુમત શક્ય છે.
નોંધપાત્ર વાત એ છે કે નૂહની હિંસાની રાજપૂત અને જાટ સંગઠનોએ સખ્ત નિંદા કરી છે. ધનખડ ખાપ પંચાયતના પ્રધાન અને હરિયાણા ખાપ પંચાયતના કોઓર્ડીનેટર ડો. ઓમ પ્રકાશ ધનખડે હિંસાને લઈને સાર્વજનિક અપીલમાં કહ્યું હતું, “મેવાતી આપણા ભાઈ છે અને આપણા લોકો સામેની કોઇપણ હિંસામાં સામેલ થવાનું નથી.”
જાટ લોકો જો આ કોમી ધ્રુવીકરણનો હિસ્સો ન બને, તો નૂહના માધ્યમથી હરિયાણામાં સોશિયલ એન્જીનિયરિંગ કરવાનો જે પ્રયાસ થયો છે તે કેટલો સફળ નીવડશે તે પ્રશ્ન દરેક રાજકીય વિશ્લેષકના મનમાં છે.
લાસ્ટ લાઈન :
ધર્મ અને આસ્થા વ્યક્તિગત બાબત છે. સરકારનો સવાલ છે ત્યાં સુધી, એક જ પવિત્ર ગ્રંથ છે, અને તે છે બંધારણ.
— નરેન્દ્ર મોદી
(પ્રગટ : ‘ક્રોસ લાઈન’ નામક લેખકની સાપ્તાહિક કોલમ, “ગુજરાતી મિડ ડે”; 06 ઑગસ્ટ 2023)
સૌજન્ય : રાજભાઈ ગોસ્વામીની ફેઇસબૂક દીવાલેથી સાદર