Opinion Magazine
Number of visits: 9458154
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

લોકસભા ચૂંટણી 2024 : મંડલ-કમંડલ પાર્ટ-2

રાજ ગોસ્વામી|Opinion - Opinion|23 April 2023

રાજ ગોસ્વામી

સુરતની કોર્ટે ઓ.બી.સી. (અધર બેકવર્ડ ક્લાસ) જાતિના અપમાન બદલ, કાઁગ્રેસના નેતા રાહુલ ગાંધીને દોષિત ઠેરવતો ચુકાદો આપ્યો અને તેનાં પગલે લોકસભાના સ્પીકરે કાઁગ્રેસના નેતા રાહુલ ગાંધીનું લોકસભા સભ્યપદ રદ્દ કર્યું, તે પછી રાહુલે કર્ણાટકના કોલાર ખાતેથી રાજ્ય વિધાનસભાની ચૂંટણીનો પ્રચાર શરૂ કરવાની જાહેરાત કરી હતી. આ એ જ જગ્યા હતી, જ્યાં 2019ની લોકસભા ચૂંટણીના પ્રચાર વખતે કેન્દ્ર સરકાર પર વાર કરતાં તેમણે કહ્યું હતું હતું કે, “તમામ ચોરનાં નામ મોદી કેમ છે?”

રાજકીય વર્તુળોમાં એવું અનુમાન હતું કે રાહુલ એ જ જગ્યાએ ફરીથી ‘નીરવ મોદી-લલિત મોદી’ વાળો આરોપ દોહરાવશે. રાહુલે જો કે ભાગેડુ બિઝનેસમેનો પર નિશાન સાધવાને બદલે ઓ.બી.સી. જાતિનો મુદ્દો ઉઠાવ્યો. રાજકીય રીતે એ મુદ્દો વધુ સંવેદનશીલ અને મહત્ત્વનો છે. રાહુલે ગૌતમ અદાણી વાળો મુદ્દો ઉઠાવ્યા પછી, ‘જેટલી વસ્તી, એટલો હક’ એવો નારો આપીને ચાર માંગણી કરી હતી;

પછાત જ્ઞાતિઓ માટેના આરક્ષણ પર 50 ટકાની મર્યાદા છે તે કેન્દ્ર સરકાર દૂર કરે, દેશમાં કઈ જ્ઞાતિની કેટલી વસ્તી છે તેના આંકડા સાર્વજનિક કરે, ઓ.બી.સી. વર્ગના લોકોને સરકારી નોકરીઓમાં વધુ પ્રતિનિધિત્વ આપે અને દલિતો તેમ જ આદિવાસીઓને તેમની વસ્તી અનુસાર નોકરીઓમાં આરક્ષણ મળે.

રાહુલે કહ્યું કે તેમના પક્ષની સરકાર હતી ત્યારે તેણે 2011માં દેશમાં જાતિગત જનગણના કરાવી હતી. ભા.જ.પ.ની સરકાર તેના આંકડા જાહેર કરતી નથી. વિપક્ષોનો આરોપ છે કે કેન્દ્ર સરકાર 10 વર્ષના નિયમ પ્રમાણે નવી વસ્તી ગણતરી પણ કરાવતી નથી (તેના માટે કોરોનાનું કારણ આગળ ધરવામાં આવ્યું હતું) કારણ કે તે ઓ.બી.સી. જાતિઓના આંકડા ગણવામાં ફસાવા નથી માંગતી. બીજું, મુસલમાનોની વસ્તીની સચ્ચાઈ સામે આવવા દેવા નથી માંગતી. ત્રીજું, દેશમાં કેટલા લોકોને સુવિધાઓ પહોંચે છે તેની વાસ્તવિકતા પણ ગમે તેવી નથી.

એ જે  હોય તે, સરકારે 2021ની વસ્તી ગણતરી કેમ નથી કરાવી તેનું ગળે ઉતરે તેવું કારણ નથી આપ્યું. એવું મનાય છે કે તે 2024ની લોકસભા ચૂંટણી પૂરી થાય તેની રાહ જુવે છે. એટલે જ વિપક્ષો આ મુદ્દા પર એક થઇ રહ્યા છે.

આ માત્ર કાઁગ્રેસ કે રાહુલનો જ મુદ્દો નથી. 2024ની લોકસભા ચૂંટણી આવતાં સુધી અન્ય વિરોધ પક્ષો પણ ‘સામાજિક ન્યાય’ના નામે એક થઇ જાય એવું લાગી રહ્યું છે. કારણ એ છે કે વડા પ્રધાન સહિત ભા.જ.પ. પહેલેથી જ જાતિ આધારિત ગણનાની વિરુદ્ધ છે. રાહુલ ગાંધી પછી, જનતા દળ યુનાઇટેડ(જે.ડી.યુ.)ના નીતિશ કુમાર અને તેમની પાર્ટીએ આખા દેશમાં જાતિ આધારિત સર્વે કરાવવાની માંગણી કરી છે. બિહારમાં તો તેમની સરકારે આવો સર્વે શરૂ પણ કરી દીધો છે.

તાજેતરમાં, ડી.એમ.કે. નેતા અને તામિલનાડુના મુખ્ય મંત્રી એમ.કે. સ્ટાલિને ચેન્નાઈમાં ઓલ ઇન્ડિયા ફેડરેશન ફોર સોશિયલ જસ્ટિસનો રાષ્ટ્રીય પરિસંવાદ યોજ્યો હતો, જેમાં કાઁગ્રેસના અશોક ગેહલોત, આર.જે.ડી.ના તેજસ્વી યાદવ, એમ. વીરપ્પા મોઈલી, છગન ભુજબળ, ફારુક અબ્દુલા, સીતારામ યેચુરી, અખિલેશ યાદવ અને ડેરેક ઓ બ્રાયન જેવા ભા.જ.પ. વિરોધી પક્ષોના નેતા એક મંચ પર આવ્યા હતા.

2014માં, ભા.જ.પ. ‘સબકા સાથ, સબકા વિકાસ’ના સામાજિક વિકાસના નારા પર જ કાઁગ્રેસને સત્તામાંથી બહાર ફેંકવામાં સફળ રહી હતી. રાહુલ ગાંધીએ કર્ણાટકમાંથી ‘જેટલી વસ્તી, એટલો હક’નો નારો આપીને જાતિગત જનગણનાની માંગણી કરી છે. દેખીતું છે કે ભા.જ.પ. એમાં ફસાવા માગતી નથી. રાહુલના બયાન પછી બીજા જ દિવસે, કાઁગ્રેસના અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પત્ર લખીને જાતિ આધારિત જનગણના કરવાની અપીલ કરી છે. કાઁગ્રેસને લાગે છે કે આ એક એવો મુદ્દો છે જેના પર ભા.જ.પ.ને ઘેરી શકાય છે.

એમાં બીજું રાજકારણ એ પણ છે કે રાહુલ ગાંધીએ ઓ.બી.સી. વર્ગનું અપમાન કર્યું છે એવા આરોપસર સજા થઇ છે. ભા.જ.પ. કાઁગ્રેસને ઓ.બી.સી. વિરોધી બતાવી રહી છે. જેમ કે રાહુલે એ સભામાં કહ્યું હતું કે વડા પ્રધાન જો ઓ.બી.સી.ને તાકાતવર બનાવવા માંગતાં હોય તો પહેલાં એ સમજવું પડશે કે દેશમાં ઓ.બી.સી.ની સંખ્યા કેટલી છે. અમે 2011માં તેની ગણતરી કરાવી હતી, પરંતુ મોદી સરકાર એ ડેટાને છુપાવીને બેઠી છે.

કાઁગ્રેસને એવો પણ વિશ્વાસ છે કે અન્ય વિરોધ પક્ષો પણ આ મુદ્દા પર તેનું સમર્થન આપશે. તેને ખબર છે કે અ દેશમાં દલિત વિરોધી રહેવું કોઈને પોષાય તેમ નથી અને આ એક મુદ્દો એવો છે જ્યાં તમામ પક્ષો ભા.જ.પ.ને દલિત વિરોધી સાબિત કરવા મહેનત કરશે.

આ મુદ્દો નવો પણ નથી. અગાઉ, 1989માં વી.પી. સિંહની સરકારે દલિતોના મસીહા બનવા માટે મંડલ કમિશનની રચના કરી હતી અને પછાત જાતિઓ માટે આરક્ષણ લાગુ કર્યું હતું. એનાથી ભારતીય રાજનીતિમાં જબરદસ્ત ફેરફાર આવ્યો હતો, ઘણાં અંદોલનો થયાં, અનેક નવી પાર્ટીઓ અસ્તિત્વમાં આવી. સિંહે એક ઝાટકે એવા વર્ગોને રાજકીય મુખ્યધારામાં લાવીને ઊભા કરી દીધા હતા, જે હાંસિયાની પણ બહાર હતા.

જાતિ આધારિત જનગણના ભારતમાં બહુ જૂની પરંપરા છે. 1955માં, જવાહરલાલ નહેરુએ કાકા કાલેલકર કમિશનની રચના કરીને સૂચનો માંગ્યાં હતા. જો કે કાઁગ્રેસ સરકારે 1961ની જનગણના વખતે એ સૂચનો લાગુ કર્યા નહોતાં. પાછળથી ઇન્દિરા ગાંધીની સરકારે ‘ગરીબી હટાવો’ના નારા હેઠળ એનો અમલ કર્યો હતો અને તે પછી વી.પી. સિંહની સરકારે ઓ.બી.સી. માટે આરક્ષણ શરૂ કર્યું હતું.

સિંહની આ દલિતો તરફી રાજનીતિની સફળતા જોઈને જ ભા.જ.પે. રામમંદિરનો નારો આપીને હિન્દુત્વનું રાજકીય કાર્ડ તૈયાર કર્યું હતું. ભા.જ.પ. બધાને હિંદુની એક જ છત્રી હેઠળ લાવવા માંગે છે, એટલે તે હિંદુની અંદર દલિતો અને પછાતોની અલગ ઓળખાણથી અસહજ છે. બદનસીબે, ભા.જ.પ. સવર્ણોની પાર્ટી છે એવી છાપ પણ ત્યારથી જ મજબૂત થઇ છે. ભા.જ.પ. તેની રાજનીતિને હિંદુ-મુસ્લિમના કૌંસમાં જ સીમિત રાખવા માંગે છે, પરંતુ હિંદુઓની અંદર પણ મંડલ-કમંડલની એક અલગ જ રાજનીતિ આકાર લેતી રહી છે.

દેશમાં પછાત જાતિના લોકોની વસ્તી 52 ટકા જેટલી હોવાનું મનાય છે, પણ તેમને 27 ટકા જ આરક્ષણ મળે છે. અમુક રાજ્યોમાં તો એથી ય ઓછું મળે છે. આ વર્ગમાં એવી માન્યતા ઘર કરી ગઈ છે કે તેમની વસ્તીમાં વધારો થયો છે પણ એ હિસાબે આરક્ષણ મળતું નથી. ભા.જ.પ. પણ આ વર્ગના સમર્થનથી જ સત્તામાં આવી હતી, પણ હવે એ તેમને ભૂલી ગઈ છે અને બૃહદ્દ હિન્દુત્વના મુદ્દામાં વ્યસ્ત થઇ ગઈ છે.

રાજકીય પક્ષો માટે આ એક મોટી વોટ બેંક છે. જાતિગત ગણનાની માંગણી પાછળ ગણતરી એવી છે કે ભા.જ.પ. ક્યારે ય (એટલિસ્ટ, લોકસભાની ચૂંટણી સુધી) એમાં સંમત નહિ થાય કારણ કે તે તેના પરંપરાગત મતદારોને નારાજ કરવા માંગતી નથી.

કાઁગ્રેસ આ મુદ્દા પર આર.જે.ડી., ડી.એમ.કે., જે.ડી.યુ., સમાજવાદી પાર્ટી, આર.એલ.ડી., જે.એમ.એમ. જેવા વિરોધપક્ષોને એક કરવા માંગે છે. આ તમામ પક્ષો જાતિગત જનગણનાના પક્ષમાં છે. આર.જે.ડી. અને ડી.એમ.કે.ની જેમ, સમાજવાદી પાર્ટીના અખિલેશ યાદવે ઉત્તર પ્રદેશમાં જાતિ આધારિત જનગણના માટે આક્રમક અભિગમ અપનાવ્યો છે. જે.એમ.એમ.ના હેમંત સોરેન પણ તેની માંગણી કરી રહ્યા છે.

રાહુલ વિપક્ષોનું સમર્થન લેવા માટે તેનાથી પણ એક કદમ આગળ ગયા છે. તેમણે વડા પ્રધાનને અપીલ કરી છે કે તેમની સરકાર આરક્ષણ પર 50 ટકાની મર્યાદા ખતમ કરી દે. એવું મનાય છે કે લોકસભાની ચૂંટણી પહેલાં વિપક્ષોની યુતિ રચાય તો તેમના કોમન મિનિમમ પ્રોગ્રામમાં આ માંગણીને સમાવવામાં આવશે. ત્યાં સુધી કે, ભા.જ.પે. ઊભા કરેલા એન.ડી.એ.માં સામેલ ઘણા પક્ષો પણ જાતિ આધારિત જનગણનાની માંગણી કરી રહ્યા છે.

નરેન્દ્ર મોદી પોતાને ઓ.બી.સી. વર્ગના સભ્ય તરીકે લગાતાર પેશ કરે છે. રાહુલ ઓ.બી.સી. વિરોધી છે તેવા કેસ અને પ્રચાર પાછળ પણ ગણતરી એવી જ છે કે પછાત મતો ભા.જ.પ. તરફી રહે. રાહુલે ઓ.બી.સી.ના આંકડા જાહેર કરવાની અને ‘જેટલી વસ્તી, એટલો હક’નો આરક્ષણનો નારો આપીને વળતો દાવ ખેલ્યો છે. તેમણે સીધો જ આરોપ મુક્યો છે કે ભા.જ.પ.ને ઓ.બી.સી.ના મતો જ જોઈએ છીએ, તેમના કલ્યાણમાં કોઈ રસ નથી.

આનાથી ઓ.બી.સી. વર્ગમાં પોતાની લોકપ્રિયતા જાળવી રાખવાનો ભા.જ.પ. સામે પડકાર ઊભો થાય તેવું લાગે છે. જેટલી વસ્તી એટલું આરક્ષણ એ એક નવું સામાજિક સમીકરણ છે. એ જો કારગત નીવડ્યું તો વી.પી. સિંહના સમયની જેમ ફરી એકવાર દેશમાં મંડલનું રાજકારણ જોર પકડશે. દેખીતું જ છે કે તેની સામે કમંડલનું રાજકારણ પણ એટલું જ આક્રમક હશે. 

લાસ્ટ લાઈન: 

“જે ધર્મ સ્વતંત્રતા, સમાનતા અને ભાઈચારાની વાત કરે એ મને ગમે.”

– બાબાસાહેબ આંબેડકર

(પ્રગટ : ‘ક્રોસ લાઈન’ નામક લેખકની સાપ્તાહિક કોલમ, “ગુજરાતી મિડ-ડે”; 23 ઍપ્રિલ 2023)
સૌજન્ય : રાજભાઈ ગોસ્વામીની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

ભજનિક કરસનદાસ યાદવ

ભરત વિઝુંડા|Opinion - Opinion|23 April 2023

તારીખ ૨૨-૭-૧૯૫૬ના મારો જન્મ, સાવરકુંડલામાં. અમારા ઘરમાં રેડિયો આવ્યો ૧૯૬૨માં. આસપાસમાં ત્યારે રેડિયો નહીં, એટલે કૌતુક જેવું થાય. બધા એકઠા થાય અને મોટાભાગે ભજનો સાંભળે‌.

આકાશવાણી, રાજકોટ સ્ટેશનના ભજનોમાં ત્યારે કરસનદાસ યાદવના ભજનો આવતા. રોજ સવારે અર્ચના કાર્યક્રમ હોય, અઠવાડિયામાં રાત્રે સંતવાણી હોય, રોજ એક જ કલાકારના ત્રણ ત્રણ ભજનો પ્રસ્તુત થતા હોય. એમાં કરસનદાસ યાદવના ભજન સાંભળી મારા પિતાજી તથા દાદા પ્રભાવિત થયા. એ ભજનિકનો સંપર્ક કરવા તેમની વિગતો જાણવા માટે આકાશવાણીને મારા પિતાજીએ લખ્યું હશે. તો તેમણે તેમનું રાજકોટનું સરનામું આપ્યું. એ મુજબ પત્ર વ્યવહાર ચાલ્યો ને છેક ૧૯૬૫માં તેમનો ભજનનો કાર્યક્રમ અમારા ઘરે ગોઠવાયો.

કરસનદાસ યાદવ

અમારા ઘરે દર રામનવમીએ બાળકોને જમાડવાનું આયોજન થતું. ૧૯૬૫ના વર્ષમાં રાત્રે ભજન પણ રાખવાનું આયોજન થયું. એ સમયમાં સમાજના લોકોના ઘરમાં પૂજા-પાઠ-પાટ જેવા વિધિ જે ગુરુ હોય તે કરતા‌. લગ્ન જેવો વિધિ ગોર કરતો. એમાં ભજનનો કાર્યક્રમ રાખ્યો હોય તો જે ગુરુ હોય તે ભજન ગાતા. ભલે સાંભળનારને મજા આવે કે નહીં. અવાજ પણ ભલે કર્કશ હોય પણ આ હક એમનો. ભજનમાં યજમાન તરફથી પૈસા આપવામાં આવતા તેમ જ સાંભળવા આવેલા લોકો પણ પૈસા આપતા. આ બધું જ ગુરુનું. એટલે તેમની આવકમાં આમ આકાશવાણીના કલાકાર આવીને વિક્ષેપ ઊભો કરે તે તેમને ગમતું નહીં‌. એટલે તેઓ સમાજના અમુક અણસમજ વર્ગને ભડકાવતા પણ ખરા. એટલે કે અત્યારે જે રાજકારણ કરે છે અને સામાજિક વિસંવાદ ફેલાવે છે. તેવું કામ એ સમયે ગુરુઓ કરતા. તે સમયે આવા ભજનિકોને આકાશવાણી ઉપરાંત કોઈ ટ્રસ્ટ કે સંસ્થા હોય તેના સીમિત કાર્યક્રમો કરવાના રહેતા. 

૧૯૬૫માં  કરસનદાસ યાદવનો કાર્યક્રમ એકદમ સફળ રહ્યો. તે સમયે મારી ઉંમર નવ વર્ષની. મને પણ આ ભજનોમાં બહુ રસ પડ્યો. કાર્યક્રમની અસર ત્યારબાદ મહિનાઓ સુધી મારા મન ઉપર રહેતી. આ ભજન એ કવિતા કહેવાય એવી ત્યારે ખબર પડતી નહીં. પણ આ ભજનો એટલા બધા મને સ્પર્શી જતા, કે એવું લાગે છે કે મારામાં કવિતાનો સૌ પ્રથમ સ્પર્શ આ ભજનોએ કરાવ્યો. એમાં ય  કરસનદાસ યાદવના ભજનોએ. ૧૯૬૫ પછી ૧૯૬૬ અને ૧૦૬૭ એમ ઉપરાઉપર ત્રણ રામનવમીમાં તેમને બોલાવવામાં આવેલા. આ કારણસર તેમની સાથે મારા પિતાજી અને દાદાને અંગત સંબંધ બંધાઈ ગયો. તેઓ વાતો કરતા અને હું સાંભળતો. તેઓની વાતોમાંથી એ જાણવા મળ્યું કે તેઓ સાવરકુંડલામાં પ્રથમ વખત હેમુ ગઢવીએ “શેણી-વિજાનંદ” નાટકનો શો રાખેલો ત્યારે આવેલા. તેમાં તેમણે વિજાણંદના જંતરનો અવાજ સિતારમાંથી પડદા પાછળથી વગાડવાનો હતો. ઉપરાંત તેઓની વાતોમાં કલાકાર તરીકે તેમને થતાં અન્યાયની વાતો રહેતી. આકાશવાણી પરથી યોગ્ય ન્યાય મળતો નહીં હોવાનું તેમ જ ટૂંકમાં તેઓ એવોઇડ થતા હોવાનું અનુભવતા. તેમની વાતોમાં ફરિયાદો કેન્દ્રમાં રહેતી. જેમાંથી ઘણી વાતો સાચી પણ હશે.

એ પછી થોડા થોડા વર્ષના અંતરે સાવરકુંડલામાં એમના કાર્યક્રમ અમારા ઘરે કે અન્ય સ્થળે થયા કરતા. એમાં હું અચૂક સાંભળવા જતો. આમ તો ૧૯૬૫ના પ્રથમ વર્ષે જ જે કાર્યક્રમ થયો એ વર્ષે કુંડલાની બાજુમાં આવેલ બાઢડા મુકામે સનાતન આશ્રમમાં દયાનંદ બાપુએ “ગુરુપૂર્ણિમા” ઊજવવાનું શરૂ કરેલું. ગામ ત્યારે નાનું એટલે કરસનદાસના સાવરકુંડલાના પ્રોગ્રામના સમાચાર તેમને મળ્યા હશે. તો તેમણે પ્રથમ ગુરુપૂર્ણિમાના કાર્યક્રમમાં ઇસ્માઈલ વાલેરા, મુગટલાલ જોશી તથા અન્ય ભજનિકોની સાથે કરસનદાસ યાદવને પણ બોલાવેલા. એ કાર્યક્રમ પણ મેં માણેલો.

બાદમાં મને નોકરી મળી. હું કમાતો થયો. એ સમયે ટેપ રેકોર્ડર બજારમાં આવી ગયેલા. એટલે ખરીદ્યું. કરસનદાસની બે કેસેટો પણ પ્રગટ થઈ હતી તે મેળવી. ઉપરાંત સાવરકુંડલામાં ત્યારબાદ થયેલ કાર્યક્રમનું રેકોર્ડિંગ પણ કરવામાં આવતું તે હું સાંભળ્યા કરતો. તેઓ ભજનો ગાતા એમાં બહુ ગવાઈ ગયેલા / ચવાઈ ગયેલા ભજનો ગાવા માટે પસંદ કરતા નહીં. પણ જે ભજન આપણે ક્યાં ય સાંભળ્યું જ ન હોય એનો પોતાની રીતે સ્વરાંકન કરીને સંભળાવતા. દાખલા તરીકે, રવિ સાહેબનું આ પદ: 

  સઘળું કુટુંબ પરવાર્યું રે રવિ કહે 

  તણખલિયે રે ઘર બાળ્યું રે રવિ કહે‌. 

  કાકા રે કુટુંબના મેં તો કરી નાખ્યાં કટકા, 

  પછી રવિને ચડ્યા છે રંગના ચટકા રે રવિ કહે.

તેમની પાસે આવા ભજનોની એક હસ્તલેખિત બુક પણ હતી તેમણે એક વખતે એમ કહેલું કે હેમંત ચૌહાણ જ્યારે નવોદિત હતા ત્યારે ભજન વિશે જાણવા તેમની પાસે આવેલા. ત્યારે મૌખિક વાતો ઉપરાંત તેઓએ આ બુક હેમંત ચૌહાણને આપેલી. જેમાંથી હેમંત ચૌહાણે ગમતા ભજન ઉતારી પરત કરેલી. એટલે ઘણાં ભજન કરસનદાસ યાદવે ગાયેલા હોય તે હેમંત ચૌહાણના સ્વરમાં પણ સાંભળવા મળે છે. તેમના ભજનો youtubeમાં તેમનું નામ સર્ચ કરવાથી મળી રહેશે.

તેઓ રાજકોટની હાઈસ્કૂલમાં પ્યુન તરીકે સેવા આપતા હતા. એમાંથી નિવૃત્ત થયા બાદમાં થોડાક વરસ પછી જૂનાગઢમાં સંન્યાસ લઈને તેમણે આશ્રમ સ્થાપેલો. હું તેમના ઘરે રાજકોટ ગયો છું. પણ નોકરીની વ્યસ્તતાના કારણે જૂનાગઢ આશ્રમે જઈ શક્યો નથી.

પછી તો તેઓ કાર્યક્રમ ન હોય તો પણ સાવરકુંડલા આવતા અને બે ત્રણ દિવસ રોકાઈને મારા પિતાજી સાથે સત્સંગ કરતા. આ સમયમાં હું મોટાભાગે ઓફિસ કામે બહાર‌ હોઉં. એક વખત તેઓ આવ્યા. મારા પિતાજી તેમને લઈને રાત્રે મારે ત્યાં આવ્યા. અને વાત કરી કે કરસનભાઈ ને મોરારિબાપુને મળવું છે. એટલે હું એમાં તેમને મદદરૂપ થાઉં. મને મોરારિબાપુની ખબર હતી. તેઓ અનેક કથામાં એવું બોલેલા કે જેમણે મને મળવું હોય તેઓ સીધા મારી પાસે આવો. કોઈ ઓળખાણ વાળાને સાથે લઈને નહીં. આ વાત મેં તેઓને કરી ઉપરાંત એમ પણ કહ્યું કે “પૂ. મોરારીબાપુને હું બરાબર ઓળખું છું. અત્યારે તેઓ તલગાજરડા હશે. સવારના ૧૦થી ૧૨ અને સાંજે ૫થી ૭ તેઓ મુલાકાતીઓને મળતા હોય છે. એટલે તમો કાલે સવારે જાવ અને બાપુને તમારો આકાશવાણીનો પરિચય આપીને એમ કહેવાનું કે બાપુ, મારે તમને ભજન સંભળાવવા છે. એટલે બાપુ ફ્રી હશે તો ના નહીં પાડી શકે. અને ક્યાંક જવાનો સમય આપેલો હશે તો તમારો મોબાઈલ નંબર નોંધાવવા અને તેઓ વારંવાર રાજકોટ તથા જૂનાગઢ આવતા હોય જ્યારે આવશે ત્યારે તમને ભજન માટે બોલાવીશું, એમ કહેશે‌.” આ વાત કરસનદાસ યાદવને ગળે બરાબર ઊતરી ગઈ. તેમણે એમ કર્યું. આ વાત મારે ક્યારે ય કોઈ સાથે થઈ નથી. પરંતુ અહીં સંસ્મરણો લખવાનો હેતુ છે. આ  વાત વગર વાત અધૂરી રહે એવું લાગે છે, એટલે લખી છે.

એ વાતને વરસ-દોઢ વર્ષ થયું હશે ત્યારે ફરી તેઓ સાવરકુંડલા આવ્યા. ત્યારે પણ હું ઘરે નહીં. તેઓ મારા પિતાજીને અત્યંત ખુશખુશાલ હાલતમાં મળ્યા. અને કહ્યું કે “ગઈ કાલે હું તલગાજરડા હતો. બાપુએ નવો સંતવાણી એવોર્ડ શરૂ કર્યો છે. આ એવોર્ડ આપવા માટે સૌ પ્રથમ મને પસંદ કરવામાં આવ્યો અને બાપુના હસ્તે આ એવોર્ડ મને મળ્યો એટલે હું બહુ આનંદિત છું‌.” એ કાર્યક્રમની સી.ડી. પણ તેઓ “સંગીતની દુનિયા”માંથી સાથે લાવેલા. એ મારા પિતાજીને આપી અને જતા રહ્યા.

સાંજે હું નોકરી પરથી પરત આવ્યો એટલે આ વાત અને સી.ડી. મને મળ્યા. તે જ રાત્રે એ સી.ડી. જોઈ. બાપુએ સંતવાણી એવોર્ડના એ કાર્યક્રમમાં તમામ હયાત ભજનિકોને તેમ જ હયાત ન હોય તેમના વારસદારોને આ કાર્યક્રમમાં બોલાવેલા. તમામનું શાલ ઓઢાડીને સન્માન કરવામાં આવેલું. ત્યારબાદ કરસનદાસ યાદવને એવોર્ડ અર્પણવિધિનો કાર્યક્રમ ચાલ્યો. આ કાર્યક્રમ પછી સંતવાણી કાર્યક્રમ. કરસનદાસ યાદવ પાસેથી ભજનની શરૂઆત કરાવી તમામ હાજર ભજનિકો જેવા કે પ્રાણલાલ વ્યાસ, હેમંત ચૌહાણ વગેરેએ એક એક ભજન ગાવાનું હતું. એમ કાર્યક્રમ મોડી રાત સુધી ચાલ્યો. તારીખ ૧૪-૯-૨૦૦૮ના રોજ યોજાયેલ સંતવાણી એવોર્ડના કાર્યક્રમ પછી તેમના મનમાં રહી ગયેલો રંજ આપોઆપ ઓગળી ગયો હોય એવું લાગ્યું.

બાદમાં એકાદ વર્ષ પછી સાંજે તેમને છાતીમાં દુખાવો થાય છે. રાજકોટની એક હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર અપાય છે. સાંજે થોડી તબિયત સુધરી હશે તો રાત્રે ઊંઘ ન આવે ત્યાં સુધી તેઓ ભજન ગણગણ્યા કર્યા હતા. હોસ્પિટલમાં બીજા દિવસે તારીખ ૨૪-૧૧-૨૦૦૯ના વહેલી પરોઢે તેઓએ આપણી વચ્ચેથી વિદાય લીધી.

સૌજન્ય : ભરતભાઈ વિંઝુડાની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

આંગણે આવ્યો એપલોત્સવઃ શા માટે ભારતમાં એપલ સ્ટોર શરૂ થવા નાનીસૂની વાત નથી?

ચિરંતના ભટ્ટ|Opinion - Opinion|23 April 2023

એપલ સ્ટોર વિશ્વના સૌથી વધુ નફો કમાતા સ્ટોર્સ છે કારણ કે તે પ્રતિ ચોરસ મીટર 6,050 યુ.એસ. ડૉલર્સનો નફો રળે છે

ચિરંતના ભટ્ટ

ટૅક્નોલૉજીની વાત આવે ત્યારે રિટેઇલ બિઝનેસને મામલે એપલને કારણે જે ફેરફાર આવ્યા છે તે બીજી કોઇ બ્રાન્ડ નથી લાવી શકી. 2001ની સાલમાં એપલનો સૌથી પહેલા સ્ટોર કેલિફોર્નિયા અને વર્જિનિયામાં ખુલ્યા હતા. આ પહેલી એવી બ્રાન્ડ હતી જેણે પોતાના ઉત્પાદનોના વેચાણ માટે બીજા રિટેઇલર્સ પરનું પરાવલંબન હટાવી દીધું. કેલિફોર્નિયાના કુપરટીનોના એ ટૅક જાયન્ટના ફ્લેગશિપ સ્ટોર લગભગ 20 દેશમાં છે. ભારતમાં ગયા અઠવાડિયે એપલનાં બે સ્ટોર ખૂલ્યા – એક મુંબઈમાં અને એક દિલ્હીમાં. એપલના સી.ઇ.ઓ.નું ભારતાગમન સતત ટ્રેન્ડ થયું. મુંબઈના સ્ટોરને આમ જનતા માટે ખુલ્લો મુકાયો તે પહેલાં ત્યાં સિને-સિતારાઓનું મહેરામણ ઉમટ્યું અને એપલના સી.ઇ.ઓ. ટિમ કૂક ભારતમાં આખું અઠવાડિયું ટ્રેન્ડ થયા. માધુરી દિક્ષીત સાથે વડાપાંઉ ખાવા માટે પણ અને નરેન્દ્ર મોદીને દિલ્હીમાં એપલ સ્ટોર ખુલ્યો તે દિવસે મળ્યા એ માટે પણ. કેટલાક લોકોએ એવી પણ ટિપ્પણી કરી કે આટલા હરખપદૂડા થવાની શી જરૂર છે કારણ કે અંતે આ સેલ ફોન્સ અને લૅપટૉપ્સ વેચતા સ્ટોરનું જ તો ઉદ્ઘાટન છે વળી? પણ આવું વિચારનારાઓ અહીં થાપ ખાય છે.

એપલના ઑફિશ્યલ સ્ટોરનું ભારતમાં આગમન બહુ મહત્ત્વની વાત છે. ભારતીયો જે રીતે એપલની પ્રોડક્ટ્સ ખરીદે છે તે આખા અનુભવમાં હવે ધરમૂળથી ફેર આવી જશે – આવી ગયો છે. આપણે ગ્રાહકોની દૃષ્ટિએથી તેની મહત્તાની વાત કરીએ તે પહેલાં એ સમજીએ કે આટલાં વર્ષોથી ભારતમાં એપલનો એક પણ અધિકૃત સ્ટોર નહોતી ખુલી શક્યો કારણ કે સિંગલ બ્રાન્ડ રિટેઇલ બિઝનેસ અંગે આપણા દેશમાં અનેક નિયમો છે. અત્યાર સુધી એપલના સ્ટોર આપણે ત્યાં સ્થાનિક બિઝનેસ પાર્ટનર દ્વારા જ ઑપરેશનલ રહ્યા છે. હવે બે સ્ટોર જેના ઑપરેશન્સ એપલ કંપની જાતે જ સંભાળવાની છે તે સાથે એપલ ભારતમાં પોતે પૂરી રીતે ભાગીદારી કરનાર કંપની બની છે, જેમાં ઉત્પાદનથી માંડીને રિટેલ સુધીની બધી કામગીરી તેઓ જ સંભાળશે. એપલે ગયા સોમવારે જાહેર કરેલા એક સ્ટેટમેન્ટ અનુસાર તે ભારતમાં 1 મિલિયન જૉબ્ઝ ખડી કરી રહી છે કારણ કે હવે તેમનું ડેવલપર તરીકેનું નેટવર્ક વિસ્તર્યું છે. ભારતીય ગ્રાહકો ભારતમાં બનેલા આઇ-ફોન ખરીદી શકશે. એપલની હાજરી ભારતમાં આમ તો 25 વર્ષથી છે પણ આ નવા ડેલપમેન્ટ સાથે એપલની સફર એક નવા મુકામે પહોંચશે.

ટૅક જાયન્ટનું આ પગલું સમયસર છે કારણ કે ભારત વિશ્વનું સૌથી મોટા ઇન્ટરનેટ માર્કેટના લિસ્ટમાં બીજા ક્રમાંકે છે.

હવે જે સવાલનો આપણે પહેલા ઉલ્લેખ કર્યો કે – આ સ્ટોરનું અહીં હોવું એમાં શું મોટી વાત છે – એપલના સ્ટોર્સ માત્ર ફોન કે લૅપટૉપ ખરીદવાની દુકાન નથી. એપલના સ્ટોરમાં જવું એટલે એક અનુભવ મેળવવો, અહીં તેના ઉત્પાદનો, તેના ગેજેટ્સ બૅકસીટ લે છે અને ગેજેટ્સ ન ખરીદવા હોય છતાં પણ તમે અહીં કલાકો ગાળી શકો છો. કંઇ ખરીદતા પહેલાં તેને વિશે જેટલા સવાલો કરવા હોય એ કરી શકો છો, તેનો અનુભવ લઇ શકો છો, તેનો દેખાવ, કામગીરી, યુઝર ઇન્ટરફેસ અને યુઝર એક્સપિરયન્સ તમને હવે ત્યાંને ત્યાં જ મળશે. ઘરે ફોન ડિલીવર થાય અને તમે તેનું ખોખું ખોલો પછી જ તમને ખબર પડે કે આ ગેજેટ કેવું છે એમ હવે નથી થવાનું. એપલના સ્ટોરમાં કામ કરનારા દરેક કર્મચારીની બહુ લાંબી અને ઘનિષ્ઠ તાલીમ થાય છે. તેઓ તેમની પ્રોડક્ટને પૂરેપૂરી રીતે જાણતા હોય એટલે ગ્રાહકની કોઇપણ નાની-મોટી ગુંચવણનો ઉકેલ તેઓ તરત  આપી શકે, સૂચનો આપે અને ટેક્નિકલ સપોર્ટ પણ પૂરો પાડે. એપલ સ્ટોર વિશ્વના સૌથી વધુ નફો કમાતા સ્ટોર્સ છે કારણ કે તે પર ચોરસ મીટર 6,050 યુ.એસ. ડૉલર્સનો નફો રળે છે. મિનિમલિઝમ – આ શબ્દથી તમે વાકેફ હશો – ટૂંકમાં ઓછું એટલું શ્રેષ્ઠ વાળા નિયમ પર ડિઝાઇન થયેલા એપલ સ્ટોર્સનું ફૉકસ બીજી કોઇ બાબત પર નહીં પણ પ્રોડક્ટના ડિસપ્લે પર જ હોય છે. સ્ટીવ જૉબ્ઝની ડિઝાઇન ફિલોસોફીમાં સરળતા મોખરે હતી અને તે માનતા કે ગ્રાહક જ્યારે એપલની પ્રોડક્ટ ખરીદે ત્યારે તેનું ધ્યાન પ્રોડક્ટ સિવાય બીજી કોઇ બાબત પર ન હોય અને માટે એપલના સ્ટોરમાં કોઇ વધારાની તામ-ઝામ નથી હોતી. એપલના સ્ટોરમાં જાતભાતની વર્કશોપ્સ થતી હોય છે, કાર્યક્રમોનું આયોજન કરાય છે. બાળકો માટે કોડિંગના ક્લાસિઝથી માંડીને ફોટોગ્રાફી ક્લાસિઝ અને બિઝનેસ સેશન્સ પણ આ સ્ટોર્સમાં યોજાય છે. આ તમામ પ્રવૃત્તિનો ધ્યેય છે એપલ યૂઝર્સની એક કોમ્યુનિટી – એક જૂથ – ઘડવાનો. એપલની પ્રોડક્ટ્સમાં આપણે ધારીએ તેના કરતાં કંઇગણા વધારે ફિચર્સ હોય છે, તમે વર્ષોથી એપલની પ્રોડક્ટ વાપરતા હો પણ તેની કોઇ એક બાબત તમને ન ખબર હોય એમ પણ બને અને માટે જ એપલના સ્ટોર પર તમને એ તમામ ચીજો ખબર પડશે જે તમને મદદરૂપ થઇ શકે. તમે એ મોંઘી દાટ પ્રોડક્ટમાં જે પૈસા રોક્યા છે એનું વળતર એક યૂઝર તરીકે તમને સારામાં સારી રીતે મળે એ માટેની સંભાળ એપલ સ્ટોરમાં લેવાશે. વળી એપલ પ્રોડક્ટ્સનો પૂરેપૂરો ઉપયોગ સમજાવવાના સેશન્સ પણ અહીં યોજાય છે.

ન્યૂ યોર્કના ફિફ્થ એવન્યુ પર આવેલો એપલનો સ્ટોર એક માત્ર સ્ટોર છે જે ક્યારે ય બંધ નથી હોતો. એપલના સ્ટોરમાં કામ કરનારાઓને પણ એપલ સ્પેશ્યાલિસ્ટ્સ અને જિનિયસિઝ જેવા ટૅગ્ઝ આપે છે. સ્પેશ્યાલિસ્ટ્સનું કામ છે ગ્રાહકોનું ધ્યાન રાખવું, કસ્ટમર સર્વિસ આપવી અને સેલ્સ પર ફૉકસ કરવું તો જિનિયસિઝ ટેક્નિકલ સપોર્ટ અને ટ્રબલશૂટિંગ માટે તૈયાર હોય છે. વળી એપલના સ્ટોરમાં તમારે બિલિંગ માટે લાઇનમાં નહીં ઊભા રહેવુ પડે, તમે જ્યાં હશો ત્યાં – એ જ કાઉન્ટર પર તમારું બિલિંગ થઇ જશે.

સ્ટીવ જોબ્ઝે પહેલો સ્ટોર બનાવવાનો પ્લાન એક તબક્કે અભેરાઇએ ચઢાવી દીધો હતો કારણ કે તે તેના લે-આઉટ પ્લાનથી ખુશ નહોતા. વળી એપલ સ્ટોરમાં નોકરી મેળવવી સહેલી નથી. 2009માં મેનહટ્ટનના સ્ટોરમાં નોકરી લેવા દસ હજારથી વધુ લોકોએ અરજી કરી હતી જેમાંથી 200 જણાનો નોકરી મળી. આ તો હાર્વર્ડ યુનિવર્સિટીમાં એડમિશન મેળવવા કરતાં પણ અઘરું છે એવું ‘બોસ્ટન ગ્લોબ’ના રિપોર્ટમાં કહેવાયું હતું. એપલનો સૌથી પહેલો સ્ટોર ઓનલાઇન રિટેલ સ્ટોર હતો જે 1997માં સ્ટીવ જોબ્ઝ ફરીથી કંપનીમાં જોડાયા ત્યારે બન્યો હતો જેણે એક જ દિવસમાં મિલિયન ડૉલર્સની કમાણી કહી હતી. એપલ સ્ટોરના જિનિયર બાર્સ પહેલાં તો સ્ટીવ જોબ્ઝને જ નહોતા ગમતાં પણ આજે એ એપલ સ્ટોર્સની યુ.એસ.પી. છે. ક્યારે ય કન્સલ્ટન્ટને કામે ન રાખનારા સ્ટીવ જોબે રિટેલ સ્ટોર માટે કન્સલ્ટન્ટ્સ રાખ્યા હતા.

આ છે સ્ટીવ જોબ્ઝની એપલ કંપની, તેના સ્ટોર્સ અને તેની ખાસિયતની વાતો. મેકિન્ટોશ બન્યું ત્યારે પણ સ્ટીવ જોબ્ઝને એમ કહેવાયું હતું કે આ નિષ્ફળ જશે અને આઇફોન તો બોગસ પ્રોડક્ટ સાબિત થશે. મેકિન્ટોશે કમ્પ્યુટર ક્રાંતિ ચાલુ કરી તો આઇફોન આજે પણ સૌથી લોકપ્રિય સેલફોન બ્રાન્ડ ગણાય છે. 

બાય ધી વેઃ

સ્ટીવ જોબ્ઝ જ્યારે પહેલો રિટેલ સ્ટોર યુ.એસ.એ.માં શરૂ કર્યો ત્યારે તેમની ટીકા થઇ હતી કે તેમણે ઉત્પાદન પર જ ધ્યાન આપવાનું હતું, રિટેલમાં પડવાની જરૂર નહોતી અને આ આઇડિયા સાવ નિષ્ફળ જવાનો છે. આ વખતે સ્ટીવ જોબ્ઝે એમ જવાબ આપ્યો હતો કે મેગાહર્ટ્સ અને મેગાબાઇટ્સ વિશે સાંભળનારા ગ્રાહકોને હવે કમ્પ્યુટરનું શું કરવું અને તેનાથી શું થઇ શકે તે શીખવા મળશે – પછી તે ફિલ્મ બનાવવાનુ હોય કે સી.ડી. બર્ન કરવાનું હોય કે પર્સનલ વેબસાઇટ પર પોતાના ફોટગ્રાફ્સ પબ્લિશ કરવાના હોય. આ વાતને આજે બે દાયકા થયા, એપલના આખી દુનિયામાં 500થી વધુ સ્ટોર્સ છે, તેમાંથી પેરિસના લુવ્ર પાસે આવેલો કે ગ્રાન્ડ સેન્ટ્રલ ટર્મિનલ ન્યૂ યૉર્ક પાસે આવેલો સ્ટોર કોઇ સીમાચિહ્ન સમા છે. બીજું બાય ધી વે એ કે રિટેલ ગુરુ મિકી ડ્રેક્સલર જે ક્લોધિંગ બ્રાન્ડ ગૅપના સી.ઇ.ઓ. તરીકે કામ કરી ચૂકેલા અને હવે એપલમાં બોર્ડ મેમ્બર હતા તેમણે એપલના ઓન ગ્રાઉન્ડ સ્ટોરનું વિચાર બીજ આપ્યું હતું અને તેને વાસ્તવિકતામાં રિટેલ ઓપરેશન્સના વાઇસ પ્રેસિડન્ટ રોન જ્હોન્સને ફેરવ્યું હતું.

પ્રગટ : ‘બહુશ્રૃત’ નામક લેખિકાની સાપ્તાહિક કટાર, ’રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 23 ઍપ્રિલ 2023

Loading

...102030...1,0321,0331,0341,035...1,0401,0501,060...

Search by

Opinion

  • કાનાની બાંસુરી
  • નબુમા, ગરબો સ્થાપવા આવોને !
  • ‘ફૂલ નહીં તો ફૂલની પાંખડી’ પણ હવે લાખોની થઈ ગઈ છે…..
  • લશ્કર એ કોઈ પવિત્ર ગાય નથી
  • ગરબા-રાસનો સૌથી મોટો સંગ્રહ

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved