Opinion Magazine
Number of visits: 9458114
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

મારી ઇદ : ‘અરે વો ભાવે અભી તક નહીં આયા ? !’

સંજય સ્વાતિ ભાવે|Opinion - Opinion|24 April 2023

સંજય ભાવે

ગયાં પચીસ-ત્રીસ વર્ષમાં બહુ ઓછી રમઝાન ઇદ એવી ગઈ હશે કે જે મેં મનાવી નહીં હોય. દરેક ઇદ પર હું, મારી પત્ની અને અનુકૂળતા મુજબ મારી દીકરી મારા મિત્રોને ત્યાં ઇદ મુબારક કરવા ગયાં છીએ.

પેટ ભરીને શિર ખુરમો માણીએ છીએ. એ શિર ખુરમાથી આ સમાજમાં, દેશમાં અમારી લાગણીઓ સંકોરાઈ છે, સમજ વિકસી છે, અને સહુથી વધુ તો ભાઈબંધોનો પ્રેમ મળ્યો છે !

રમઝાન ઇદ મારા માટે – ભાઈબંધો સાથે ગલ્લા પર થતી દરેક લાંબી બેઠકની જેમ (કે દિવાળીના આકાશકંદિલની જેમ) મારી પૅશનનો, મારા દિલનો – મામલો રહ્યો છે.

આ મિત્રો એટલે ખાનપુર – મિરજાપુરમાં રહેતા મારા ખાસમખાસ મિત્ર નયીમ કાદરી અને તેનો મોટો ભાઈ મોઇન કાદરી.

ઘણું કરીને 1984-85ના વર્ષથી અમે ખાનપુર દરવાજાની સામેના ફિરદૌસ ફ્લૅટના પાંચમા માળે આવેલા ઘરે જતાં. એ વખતે આ બિરાદરો પરણેલા ન હતાં, અને અલબત્ત હું પણ નહીં.

તેમના મમ્મી-પપ્પા હતાં, બહેન હતી અને ભરેલું ઘર. એમ ને એમ પણ અમે ત્યાં જતા. બહુ દિવસે હું દેખાયો ન હોઉં તો નયીમના મમ્મી એને પૂછે : ‘અરે વો ભાવે બૌત દિન સે નહીં દિખ્ખા !’

અને આવું તે અમારા ગ્રુપના  બધા  મિત્રો માટે પૂછતાં રહેતાં. અમારું ગ્રુપ એટલે દર્શન, દીપક, નયીમ, નિલેશ, મોઈન, ભાવે અને અમને બધાને ઝાટકો દઈને પંદરેક વર્ષ પહેલાં હંમેશ માટે ચાલી નિકળેલો વિજય.

ઇદ પર હું જઉં તે પહેલાં પણ નયીમનાં મમ્મીએ આવું પૂછ્યું જ હોય. ઇદ પર મુબારકબાદી પછી શિર ખુરમા, સમોસા અને પ્લેટ ભરીને વાનગીઓ આવતી. તે પછી ફિરદૌસથી સહેજ દૂરના ગલ્લે નયીમના પૈસે ચા-સિગરેટ.

વર્ષોથી હું રમજાનથી રમજાન સુધી શિર ખુરમાની રાહ જોતો હોઉં છું. ઈદનો ચાંદ દેખાયો એવા સમાચાર આવે એટલે આપણો રોજો ચાલુ. એ રોજો બીજા દિવસે નયીમ-મોઈનને ત્યાં ખોલવાનો.

ઇદની રજા હોય, એટલે એ દિવસના કંઈ આયોજનની વાત આવે ત્યારે હું કહી દઉં : ‘નહીં ફાવે યાર, મારે તો ઇદ છે !’ કોઈક્ને  કુતૂહલ થાય, કોઈકને મૂંઝવણ અને કોઈકને અકળામણ.

વર્ષો વીત્યાં. નયીમ-મોઇનનાં મમ્મી-પપ્પા ચાલ્યાં ગયાં, ને મારાં પણ. જિંદગીના ક્રમમાં નયીમના પરિવારને દૂર જવાનું થયું. મોઇન પણ કેટલાંક વર્ષ પરદેશ હતો.

પણ આ બધાની વચ્ચે કાદરી પરિવારમાં અમારી ઇદ અવિરત ઉજવાતી, અને તે મોઇનના ઘરે. એનાં પત્ની શબાનાભાભી અને દીકરી મેહેરિન બધાં વર્ષો અમદાવાદમાં જ ખાનપુરના ઘરે છે. શબાના વર્ષોથી (અને હવે તો મેહેરિન પણ) બૅન્કમાં નોકરી કરે છે.

દર વર્ષે શબાનાના હાથનો – દેવો માટે ય દોહ્યલો હોય તેવો – શિર ખુરમો, અને તેની સાથે સુંદર સુંવાળી સૅન્ડવિચ અને સમોસા માણીને ધરાતાં નથી. 

કોવિડનાં બે વર્ષોની ઇદ બહુ વસમી લાગી હતી, મળી જ નહોતાં શક્યા ને !

2021ની દિવાળીમાં શબાનાભાભી અને મોઇન દર વર્ષની જેમ સાલમુબારક કરવા મારે ત્યાં આવ્યાં, ત્યારે મોટું ડોલચું ભરીને શિર ખુરમો લઈને આવ્યાં હતાં. એક વર્ષે ધોળકાનો અમારો અઝીઝ  ત્રણ-ચાર લિટર શિરકુરમો લઈને તેના મમ્મી-પપ્પા સાથે કૉલેજ આવ્યો હતો !

નયીમ-રફત પણ દિવાળી પર આવે. બે-ત્રણ વર્ષ તો નયીમનાં મમ્મી-પપ્પા સહિત એમનો આખો  પરિવાર સ્કુટરો લઈને દિવાળી પર અમારે ત્યાં આવ્યો હતો.

મોઇનના ઘરેથી નયીમના મિરઝાપુરના ઘરે જવાનું. ત્યાં વળી રફતભાભીના હાથની જુદી લિજ્જતની સેવઈ, કચોરી અને સમોસા.

રફત-નયીમ બંને વરિષ્ટ પત્રકાર. એટલે ઇદ પર એમને ત્યાં વળી વર્ષોમાં ભાગ્યે જ મળનારા સિનિયર પત્રકારો મળે. એટલા બધા લોકો આવતાં હોય કે પહેલાં આવેલાંએ જગ્યા ખાલી કરવી પડે.

ગયાં દસેક વર્ષથી અમારી ઇદની સફરમાં શહેનાઝ અને સઇદખાન ઉમેરાયા. શહેનાઝ વકીલ અને સઇદ પત્રકાર. તેમને ત્યાં ય કર્મશીલો, યુવા પત્રકારો મળી જાય. એ વળી જુદો જ મેળાવડો.

નયીમની અને મારી દોસ્તી, હકીકતમાં તો કૉલેજ કાળના અમારા ગ્રુપની આટલાં વર્ષો પછી પણ જળવાયેલી, દર મહિને એકાદ-બે વાર મળવાની મૈત્રી તો અલગ લેખનો વિષય છે.

નયીમ સાથેની મૈત્રીનાં વર્ષોમાં સાબરમતી-તાપી-થેમ્સનાં કેટલાં ય પાણી વહી ગયાં. અમારાં સંતાનો ય મોટા થઈ ગયા. આસમાની-સુલતાની, ખાસ તો સુલતાનીઓ આવી.

રથયાત્રાઓ, અનામત, બાબરી, ગોધરા, બૉમ્બ ધડાકા, વર્લ્ડ ટ્રેડ સેન્ટર, લિન્ચિન્ગ, પુલવામા, 370, સી.એ.એ. – એન.આર.સી. … શું  નથી થયું ? 

એમાં નયીમ-મોઈન અને એમના પરિવારો સલામત રહ્યાં એ મારા માટે એક બહુ મોટી, બહુ જ મોટી ખુશકિસ્મતી છે.

અમારા રિશ્તામાં અમને  ક્યારે ય અમારો ધર્મ યાદ આવ્યો જ નથી (મને આમ તો કોઈ પણ સંબંધમાં એ મૅટર કરતો નથી). ધર્મની વાત જ અમે કરતા નથી.

ધર્મના વિચાર વિના અમારું ચાલ્યું છે, બલકે એનો વિચાર નહીં કરવાને કારણે જ સરસ ચાલ્યું છે. એવું બધાંનું ચાલો … બધાં દિવાળી અને ઇદ મનાવતા રહો …                                                               

23 એપ્રિલ 2023
e.mail : sanjaysbhave@yahoo.com
સૌજન્ય : સંજયભાઈ ભાવેની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

લોકશાહીમાં મતભેદો તો હોય, પણ તેથી કૈં વડાપ્રધાનને મોતની ધમકી ન અપાય …

રવીન્દ્ર પારેખ|Opinion - Opinion|24 April 2023

રવીન્દ્ર પારેખ

ભારતની લોકશાહી શરૂથી જ લોહિયાળ રહી છે અને હજી તેને લોહિયાળ કરવાના મેલા ઈરાદા રખાય છે તે શરમજનક છે. ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીને કેરળની આજની મુલાકાત દરમિયાન મોતને ઘાટ ઉતારવાની ધમકી અપાઈ છે, તે નિંદનીય છે. 14મી ઓગસ્ટ, 1947ને  રોજ પાકિસ્તાન થયું અને 15 ઓગસ્ટે ભારત આઝાદ થયું. આ ભાગલામાં એટલી લાશો પડી કે એટલી તો કોઈ યુદ્ધમાં ય પછી પડી નથી. મહાત્મા ગાંધીની અહિંસાનો એ વખતે પૂરેપૂરો ઉપહાસ થયો. એ પછી તો 1948ની 30 જાન્યુઆરીએ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની નિર્મમ હત્યા થઈ. તેમની વિચારધારા જોડે કોઈ સંમત થાય કે ન થાય, પણ પૂરી નિર્મમતાથી વિચારનારને પણ એ માણસ કોઈ રીતે હત્યાને લાયક જણાતો નથી. સાચું તો એ છે કે ગમે તેવો હત્યારો પણ હત્યાને પાત્ર નથી, તો ગાંધીની હત્યા તો થાય જ કેમ?

ભારતના પ્રથમ વડા પ્રધાન જવાહરલાલ નહેરુ 1964ની 27 મે-એ મૃત્યુ પામ્યા. તે પછી લાલબહાદુર શાસ્ત્રી બીજા વડા પ્રધાન બન્યા ને 11 જાન્યુઆરીએ તાશ્કંદમાં તેમનું રહસ્યમય રીતે મૃત્યુ થયું. 1965માં પાકિસ્તાને ભારત સામે યુદ્ધની સ્થિતિ ઊભી કરી, પણ પાકિસ્તાને છેવટે તાશ્કંદ કરાર માટે સહમત થવું પડ્યું. આ કરાર અમલમાં આવ્યાના બીજા જ દિવસે શાસ્ત્રીજીને હૃદય રોગનો હુમલો આવ્યો ને તાશ્કંદમાં જ એમનું મૃત્યુ થયું. એ પછી પણ વડા પ્રધાનો તો આવ્યા, પણ ઇન્દિરા ગાંધી 25 જૂન, 1975ને રોજ કટોકટી લાદવા માટે અને અમૃતસરનાં સુવર્ણમંદિરમાં કરવામાં આવેલ ઓપરેશન બ્લુસ્ટાર માટે યાદ કરાય છે. ઓપરેશન બ્લુસ્ટારને કારણે જ વડા પ્રધાન ઇન્દિરા ગાંધીની તેમના જ અંગરક્ષકો દ્વારા 31 ઓકટોબર, 1984 ને રોજ 33 ગોળીઓ મારીને હત્યા કરાઇ. એ પછી નહેરુ-ગાંધી કુટુંબનાં જ ત્રીજા વડા પ્રધાન બન્યા ઇન્દિરા ગાંધીના મોટા પુત્ર રાજીવ ગાંધી. તેઓ લગભગ 5 વર્ષ વડા પ્રધાન રહ્યા ને તેમની પણ ચૂંટણી પ્રચાર દરમિયાન એલ.ટી.ટી.ઈ.ના આત્મઘાતી બોમ્બર દ્વારા તમિલનાડુના શ્રીપેરામ્બદુરમાં 21 મે, 1991ને રોજ હત્યા કરવામાં આવી. આ દેશ પર નહેરુ–ગાંધી પરિવારે કુલ 37 વર્ષ અને 303 દિવસ વડા પ્રધાનપદું ભોગવ્યું છે. એની સામે ભા.જ.પ.નાં શાસનને તો નવેક વર્ષ જ થયાં છે ને વડા પ્રધાન નરેન્દ્ર મોદીને હત્યાની ધમકી અપાઈ છે તે ચિંત્ય છે.

આજે વડા પ્રધાન નરેન્દ્ર મોદી કેરળની મુલાકાતે જનાર છે. એ મુલાકાત લે તે પહેલાં કેરળ ભા.જ.પ.ના અધ્યક્ષ કે.કે. સુરેન્દ્રન્‌ને ધમકી આપતો પત્ર 17 એપ્રિલે મોકલાયો છે, મલયાલમમાં લખાયેલ પત્રમાં વડા પ્રધાનની હાલત પૂર્વ પ્રધાન મંત્રી રાજીવ ગાંધી જેવી કરવાની ચેતવણી પણ આપવામાં આવી છે. આ ધમકીપત્ર પોલીસને સોંપવામાં આવ્યો છે. એ સાથે જ ADGP ઇન્ટેલિજન્સનો 49 પાનાંનો રિપોર્ટ થોડા દિવસ પહેલાં જ મીડિયામાં ફરતો થયો છે, જેમાં ફરજ પરના અધિકારીઓની માહિતીઓ ને પી.એમ.ના કાર્યક્રમની વિગતો, રાજ્યના આતંકવાદી અને દેશવિરોધી તત્ત્વોની હાજરીનો નિર્દેશ જેવી ગોપનીય બાબતો લીક થઈ છે. આ બધાં પરથી સુરક્ષા તંત્રોની વિશ્વસનીયતા પર પણ મોટું પ્રશ્ન ચિહ્ન લાગે છે.

એર્નાકુલમના પત્ર લેખકનું નામ જોસેફ જોની છે. પોલીસની પૂછપરછમાં જોનીએ રોકડું કર્યું છે કે આ પત્ર તેણે લખ્યો નથી. પોલીસે તેનાં હસ્તાક્ષર પત્રલેખકના હસ્તાક્ષર સાથે સરખાવી જોયા તો તે જુદા પડ્યા. જોનીએ એ પણ સ્પષ્ટ કર્યું છે કે પોતાનું નામ પત્ર લેખક તરીકે ઠઠાડીને કોઈ તેને ફસાવવા માંગે છે. એ કોણ હોઈ શકે એની વિગતો પણ જોનીએ પોલીસને આપી છે ને એનો જોની સાથે ચર્ચને મામલે ઝઘડો પણ ચાલે છે તે પણ કહ્યું છે. પોલીસ એની તપાસમાં લાગી છે ને એ સાથે જ સાવચેતીનાં પગલાંરૂપે રાજ્યમાં હાઇએલર્ટ પણ જાહેર થયું છે.

વડા પ્રધાન આજથી શરૂ થનારા પ્રવાસમાં જુદા જુદા 8 શહેરોનાં સાત કાર્યક્રમોમાં ઉપસ્થિત રહેનાર છે. આવનાર 36 કલાકમાં પી.એમ. લગભગ 5,300 કિ.મી.ની યાત્રા કરવાના છે. આ યાત્રા દિલ્હીથી શરૂ થઈને મધ્ય પ્રદેશ, દક્ષિણ કેરળ, દાદરા અને નગર હવેલી, દમણ અને દીવના કેન્દ્ર શાસિત પ્રદેશોની હશે. મધ્ય પ્રદેશના ખજુરાહોથી પી.એમ. 1,700 કિ.મી.ની હવાઈયાત્રા કરી કોચી જશે જયાં યૂથ કોન્કલેવમાં ભાગ લેશે અને મંગળવારે સવારે તિરુવનંતપુરમ્‌ પહોંચીને વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનને લીલી ઝંડી આપશે. આ ઉપરાંત તેઓ વિવિધ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ પણ કરશે અને પછી સુરતથી દિલ્હી જવા રવાના થશે.

વડા પ્રધાનને આ અગાઉ પણ એકથી વધુ વખત જાનથી મારી નાખવાની ધમકીઓ અપાઈ છે. 30 જુલાઇ, 2018 ને રોજ વડા પ્રધાન મોદીને રાસાયણિક હુમલાની ધમકી અપાઈ હતી ને ધમકી આપનાર કાશીનાથ નામના 22 વર્ષીય યુવકની મુંબઈથી ધરપકડ કરવામાં આવી હતી. 22 નવેમ્બર, 2022 ને રોજ પણ મુંબઈ ટ્રાફિક પોલીસના વૉટ્સએપ પર ઓડિયો મેસેજ આવ્યો હતો, જેમાં જાનથી મારવાની ધમકી અપાઈ હતી. એ ઉપરાંત 27 નવેમ્બર, 2022 ને રોજ પણ ઈ-મેઈલ દ્વારા વડા પ્રધાનને જાનથી મારવાની ધમકી આપનાર યુવકને ગુજરાતની ATSએ બદાયૂંમાંથી ઝડપી લીધો હતો. તેણે વડા પ્રધાન કાર્યાલયને ઈ-મેઈલ મોકલ્યો હતો. 3 માર્ચ, 2023 ને રોજ વારાણસી એરપોર્ટ, વડા પ્રધાન-રાષ્ટ્રપતિ ભવન પર ડ્રોન હુમલાની ધમકી આપતો પત્ર એરપોર્ટના ડિરેક્ટરને મોકલાયો હતો ને પોલીસે અજાણ્યા લોકો વિરુદ્ધ કેસ નોંધી તપાસ હાથ ધરી હતી. પંજાબમાં વડા પ્રધાનની યાત્રા રોકવાનો પ્રયાસ થયો હતો ને ખુદ વડા પ્રધાને યાત્રા અધૂરી છોડીને પોતે બચીને જઇ રહ્યા છે એ મતલબનો ફોન તે વખતના મુખ્ય મંત્રી ચન્નીને કર્યો હતો તે પણ ઘણાંને યાદ હશે.

આ તો એક જ વડા પ્રધાનને અપાયેલી ધમકીઓની વિગતો છે. એને બે રીતે જોઈ શકાય. એક તો ધમકી આપનારની ગંભીરતા સંદર્ભે અને જેને ધમકી અપાઈ હોય એની સુરક્ષા સંદર્ભે. ધમકી આપનારાઓમાં મોટે ભાગનાને એની બહુ ગંભીરતા હોતી નથી. એમને મન આ કદાચ મજાક છે. ઈ-મેઈલ, મોબાઈલ, ટ્વિટર જેવી સુવિધાઓમાં ગમ્મત કરવાનું ઘણાંને ફાવે છે તો એમાં મેસેજ ઉપરાંત ધમકી પણ આપી દેવાય છે. એનું શું પરિણામ આવશે એની ઘણાંને કલ્પના પણ નથી હોતી. જેમ મેસેજમાં એ ડિવાઈસનો દુરુપયોગ થઈ શકે છે, એમ જ ધમકીઓ આપવામાં પણ એનો દુરુપયોગ થઈ શકે છે. વારુ, ધમકી આપનાર ખરેખર ગંભીર હોય તો તે પણ સાધનો તો આ જ વાપરશે. તે એની કાળજી પણ રાખશે કે પોતે કોઈને હાથ ન ચડે અને ધાર્યું પરિણામ મળે. આવી ધમકી આપનાર જેને ધમકી આપે છે, તેનાથી સંતુષ્ટ હોતો નથી. તેને એ વ્યક્તિએ ઘણો અન્યાય કર્યાનું લાગે છે ને તે ઈચ્છે છે કે એને અન્યાય કરનારનો ઘડો લાડવો થઈને રહે. ઘણીવાર હત્યાની રાજકીય યોજનાઓ પણ બનતી હોય છે. કોઈ રીતે, કોઈ પક્ષે નડતર રૂપ પક્ષ કે વ્યક્તિને માર્ગમાંથી હટાવવાનુ નક્કી કર્યું હોય છે ને એને માટે ભાડૂતી મારાઓથી કામ લેવાય છે. ક્યારેક એવા માણસો રોકવામાં આવે છે, જે મરી જઈને સામેવાળાનો કાંટો કાઢી નાખે. રાજીવ ગાંધીની હત્યા એલ.ટી.ટી.ઈ.એ કરી હોવાની વાત તો જાણીતી છે.

પણ, આમાં મરો પોલીસનો થાય છે. એણે તો ધમકી ગંભીર હોય કે મજાક, પૂરી ગંભીરતાથી ધંધે લાગી જ જવું પડે છે. એને માથે તો બધાં માછલાં ધોવાં પણ તૈયાર જ હોય છે. કેરળની આજની યાત્રા દરમિયાન વડા પ્રધાનને માથે જે જોખમ ઊભું કરાયું છે તે ગંભીર છે. જેને નામે ધમકી પત્ર મોકલાયો તે તો ધમકી આપનાર નથી, કારણ એના હસ્તાક્ષર જુદા પડે છે. એણે જેનું નામ દીધું છે, તે જ ધમકી આપનાર છે એ પણ પાકું નથી. એ સંજોગોમાં કોઈ બીજું જ હોય અને એ ન પકડાય ત્યાં સુધી સૌના જીવ પડીકે બંધાવાના. લોકશાહીમાં અત્યારનાં સમીકરણો એટલાં બદલાયાં છે કે સત્તાધારી પક્ષ સત્તા જાળવી રાખવા જે કરવું પડે એ બધું જ કરી છૂટે છે. એમાં સાધનશુદ્ધિ તો લગભગ અપેક્ષિત નથી, એટલે દેખીતું છે કે વિપક્ષોને પેટમાં તેલ રેડાય. એ સત્તા પર આવીને કૈં સંત સમાગમ કરવાના નથી, પણ એને પણ સત્તામાં આવીને ટકવું હોય છે ને પેઢીઓ તારવી હોય છે, એટલે એ કોઈ પણ રીતે સત્તામાં છે તેને ખસેડીને પોતાની સ્થાપના કરવા માંગે છે. કોઈ આદર્શ, કોઈ સિદ્ધાંત, કોઈ સંવેદના હવે સત્તામાં કે સત્તાની બહાર લગભગ અપેક્ષિત જ નથી. માત્ર સત્તાની સાઠમારી આ એક જ મુદ્દો શાસકો કે વિપક્ષો માટે બચે છે. એમાં કોઈ પ્રોજેક્ટ થઈ ગયો કે ગરીબોનું કલ્યાણ થઈ ગયું તો તે બંને પક્ષે કેવળ અકસ્માત છે. શાસકો માટે કે વડા પ્રધાન કે કોઈ પણ મંત્રી માટેનો વાંધો જેન્યુઇન ભાગ્યે જ હોય છે. મોટે ભાગે જે શત્રુવટ જન્મે છે તે સત્તાના અસંતોષનું જ પરિણામ હોય છે. ધારો કે વાંધો જેન્યુઇન છે, તો પણ કોઈને મારી નાખવાનું લાઇસન્સ મળી જતું નથી. વડા પ્રધાન સામે હજાર વાંધા જ કેમ ન હોય, તે સાચા ને સાત્ત્વિક હોય તો પણ, કોઈને પણ તેમનો સર્વનાશ કરવાનો અધિકાર નથી. દુનિયામાં સૌથી વધુ વસતિ ધરાવતા ભારતના વડા પ્રધાનને જાનથી મારી નાખવાની ધમકી અપાય કે તેવું કોઈ કાવતરું ઘડાય એ દુ:ખદ અને બધી રીતે શરમજનક છે. એની ઘોર નિંદા થવી જ ઘટે.

એવું હૃદયપૂર્વક પ્રાર્થીએ કે વડા પ્રધાનની કેરળ યાત્રા સુખરૂપ પાર પડે ને તેઓ ગૌરવભેર દિલ્હી પાછા ફરે …

000

e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 24 ઍપ્રિલ 2023

Loading

‘એક અનોખો રાજવી’

સંજય સ્વાતિ ભાવે|Opinion - Opinion|23 April 2023

પુસ્તક પરિચય 

‘એક અનોખો રાજવી’ : મૂળ લેખક – રાજમોહન ગાંધી : અનુવાદ – અશોક મેઘાણી : નવજીવન પ્રકાશન, ફેબ્રુઆરી 2023, પાનાં : 272, કદ : રૉયલ, પેપરબૅક કિં. રૂ. 375/-

‘કળિયુગના હરિશ્ચન્દ્ર’ના વિસ્તૃત અંગ્રેજી જીવનચરિત્રનો ઉત્તમ ગુજરાતી અનુવાદ

‘એક અનોખો રાજવી’ પુસ્તક ગરાસદાર સ્વાતંત્ર્યસૈનિક દરબાર ગોપાળદાસ દેસાઈ(1887-1851)ના, રાજમોહન ગાંધીએ લખેલા વિસ્તૃત જીવનચરિત્ર The Prince of Gujarat : The Extraordinary Story of the Prince Darbar Gopaldas Desai (2014)નો અમેરિકા-સ્થિત અશોક મેઘાણીએ કરેલ ખૂબ વાચનીય અનુવાદ છે.

અનુવાદકના પિતા ઝવેરચંદ મેઘાણીએ ‘સોરઠ તારાં વહેતાં પાણી’ નવલકથામાં ‘દરબારશ્રીના જીવનમાંથી પ્રેરણા લઈને સર્જેલી વિભૂતિ’ એવા સુરન્દ્રદેવજીનું પાત્ર ઊભું કર્યું છે.

ગુજરાતના સેંકડો રજવાડાંના શાસકોમાંથી ગોપાળદાસ સંભવત: એકમાત્ર રાજા હતા કે જેમણે આઝાદીની લડત માટે પોતાની રિયાસતનો ભોગ આપ્યો. લડતમાં ભાગ લેવા બદલ અંગ્રેજ હકુમતે સૌરાષ્ટ્રના ઢસા અને રાયસાંકળી તેમનું રાજ જુલાઈ 1922માં જપ્ત કર્યું.

એ રાજ તેમણે કુટુંબ કલહ તેમ જ કાવતરાં વચ્ચે કુનેહપૂર્વક મેળવ્યું હતું, અને તેનું પ્રગતિવાદી મૂલ્યોને અમલમાં મૂકીને જતન કર્યું હતું, જે રાજમોહને અનુક્રમે ત્રીજા અને ચોથા પ્રકરણમાં વર્ણવ્યું છે.

ઉપરાંત, તેઓ એવા પણ એક માત્ર રાજા હતા કે જેમણે રાજ્ય પાછું મેળવ્યા બાદ કોઈ પણ શરત કે વળતર વિના તરત જ મે 1947માં ભારતીય સંઘરાજ્યમાં ભેળવી દીધું હોય.

મોટા ભાગના રજવાડા રૈયતલૂંટ, ઐયાષી અને અંગ્રેજોની કદમબોશી કરી રહ્યા હતા, તેવા સમયે એક વાર ‘પોતાની પ્રજા અને બીજાની મદદ માટેના ખર્ચ પાછળ ગોપાળદાસે લગભગ એક લાખ રૂપિયાનું કરજ કર્યું હતું’ અને ‘કુટુંબનાં ઘરેણાં વેચીને એ દેણું ચૂકતે થયું’.

સરદાર વલ્લભભાઈનાં પુત્રી મણિબહેને ગોપાળદાસને ‘કળિયુગના હરિશ્ચન્દ્ર’ કહ્યા છે. ‘પટેલબંધુ’ નામના સામયિકના 1922ના ઉનાળામાં પ્રસિદ્ધ થયેલા અંકમાં મણિબહેને એમના લેખમાં ગોપાળદાસનું આ મુજબનું ગૌરવ કર્યું છે, એમ રાજમોહન ટાંકે છે.

લેખક પ્રસ્તાવનામાં નોધે છે : ‘ભારતનો મોટો ભાગ આ માણસના જીવનમાં બનેલી અસાધારણ ઘટનાઓ અને એમના અદ્દભુત પ્રદાન વિશે અજ્ઞાત કેમ છે ?’ પુસ્તકના પોણા ત્રણસો વિગતસભર પાનાંમાંથી પસાર થતાં આ સવાલ બિલકુલ પ્રસ્તુત લાગે છે.

પુસ્તકના 45 પાનાંના ત્રીજા પ્રકરણ ‘તાલુકદાર એની પ્રજા અને રાજ 1912-1991’માં ગોપાળદાસના શાસનકર્તા તરીકેના સંખ્યાબંધ ઉજળા પાસાંનું વિવરણ થયું છે.

જેમ કે, આઝાદી પૂર્વે ગરાસની જમીન અને મકાનો એ રાજાની માલિકીના ગણાતા એ ઐતિહાસિક હકીકતનો ઉલ્લેખ કરીને લેખક નોંધે છે : ‘ગોપાળદાસે ખેડૂતોને તેમની જમીન અને ઘરની માલિકી સોંપી દીધી’.

ભારતમાં બંધારણીય રીતે છેક 1992માં આવેલું પંચાયત રાજ ‘ઢસામાં 1915’માં આવી ગયેલું. સૌરાષ્ટ્રનો 1950ના દાયકાનો જમીનસુધારો લાવ્યા ગોપાળદાસે ‘વર્ષો પહેલાં પોતાનાં તાલુકાઓમાં દાખલ કરેલો’.

તેમણે ખેડૂતોને શાહુકારના દેવા અને ચૂકવાણાની બાબતે પારદર્શક ન્યાયપૂર્ણ પદ્ધતિ દાખલ કરી. તેમની પરનું રાજ્યનું દેવુ માફ કર્યું, દુકાળમાં તેમને સહાય કરી અને તેમનો પાક ચોરીથી બચે તેવો પ્રબંધ કર્યો.

સુધારક શાસક ગોપાળદાસે કોલ્હાપુરના શાહૂ મહારાજની જેમ હંમેશાં અંત્યજોને સમાન દરજ્જો આપતી નીતિઓ કુનેહપૂર્વક ઘડી. તેમાં સાર્વજનિક કૂવા પરથી દલિતો માટે પાણીથી લઈને સમાવેશી અત્યંજ પરિષદોના સફળ આયોજન સુધી અનેક બાબતોનો સમાવેશ થાય છે.

‘દીકરીને હું દલિત છોકરા સાથે પરણાવીશ’ એવી ઇચ્છા તેમણે પત્ની ત્રણ દીકરાના જન્મ પછી ગર્ભવતી હતાં ત્યારે જાહેર કરી હતી. તેમનાં સ્વતંત્રમતિ, સ્વમાની પત્ની ભક્તિલક્ષ્મી પણ ગાંધીવારસાનાં એક અગ્રણી નારીરત્ન ગણાય છે. કન્યાકેળવણી અને નારીસન્માન, પુસ્તકાલય પ્રવૃત્તિ અને કોમી એખલાસ માટે તેમણે કરેલાં કામ નોંધપાત્ર છે.

પોતાની જનતાની નજીક જઈ શકાય તે માટે તેઓ લોકો વચ્ચે જઈને ચોપાટ રમતા, નાચગાન કરતા, અંત્યજો સાથે રાસડા લેતાં નીચે પણ નમતા. લોકોની નાડ પારખવા તેમણે વેષાંતરમાં કરેલા વિહારના કિસ્સા પણ લેખકે નોંધ્યા છે.

મન-વચન-કર્મથી પોતાનું ‘રાજાપણું’ છોડી ચૂકેલા શાસક લોકો સામે મુગટ નહીં, ગાંધી ટોપી પહેરીને જતા. તેઓ ક્યારે ય કોઈને તુકારે બોલાવતા નહીં. સરદાર પટેલે કહ્યું હતું કે પગપાળા ચાલે છે.

રાજ્ય જપ્ત થયું ત્યારે દરબારને લોકોએ આપેલા ટેકાના અને પાછું મળ્યું ત્યારે તેમણે કરેલા ઉજવણાના રોમહર્ષક વર્ણનો રાજમોહને આપ્યાં છે.

આઝાદી ચળવળમાં શરૂથી લઈને બંધારણ સભાના સભ્યપદ સુધીના લગભગ દરેક તબક્કામાં ગુજરાતમાં ગોપાળદાસના પ્રદાનનું રાજમોહને વિશ્લેષણ કર્યું છે. તેમાં પ્રારંભિક તબક્કે પ્રજા અને પરિવાર માટેની ચિંતાને કારણે તેમણે અનુભવેલી ખેંચતાણનું બયાન રસપ્રદ છે.

રાજ્ય જપ્ત થયું તે પહેલાં અંગ્રેજ સરકારના અધિકારીઓની તેમ જ એજન્ટો જોહુકમીભર્યાં ફરમાનો અને માગણીઓ સામે તેઓ કેવા અણનમ રહ્યા તેના ઉત્તેજનાપૂર્ણ કિસ્સા લેખકે નોંધ્યા છે.

ગોપાળદાસ અને ભક્તિલક્ષ્મીએ કેટલી ય વખત જેલ ભોગવી. સ્વાતંત્ર્ય સંગ્રમાના હજારો પરિવારોની જેમ ગોપાળદાસના ચાર પુત્રો સહિતના પરિવારના વિચ્છેદ અને આંશિક ફેરમેળાપને લેખકે સંયત સંવેદનશીલતાથી નિરૂપ્યો છે.

પુસ્તકની શરૂઆતમાં, છેક પ્રાચીન સમયથી ઓગણીસમી સદીના ગુજરાતની રૂપરેખા મળે છે. ત્યાર બાદ નાયકના જીવનને સમાંતરે સ્વાતંત્ર્ય-સંગ્રામનો આલેખ પણ છે.

મુખ્યમંત્રીપદનો અસ્વીકાર કરીને પણ ત્રીજા-ચોથા દાયકાના ગુજરાતના રાજકરણમાં ગોપાળદાસની ભજવેલી નિર્ણાયક ભૂમિકા વિશે પણ વાંચવા મળે છે.

પ્લેટોના ફિલોસૉફર કિન્ગની વિભાવનાની આછેરી ઝલક આપતા ગોપાળદાસના અનેક માનવસહજ પાસાં પણ જોવા મળે છે : એક પરિવારજનના ઝેરપ્રાશન જેવાં બાળપણના પ્રસંગની અસર, અંગ્રેજોની કેટલીક બાબતો માટે માન, હોકા-સિગરેટ-ચાનાં બંધાણ, હૃદયનો વ્યાધિ, રમૂજવૃત્તિ, વાળની માવજત અને અન્ય.

વિશ્વકક્ષાના સંશોધક રાજમોહને સરદાર પટેલ સહિત છ અગ્રણી ભારતીયોના પૂરાં કદનાં ચરિત્રો લખ્યાં છે.

સન્નિષ્ઠ અનુવાદક અશોક મેઘાણી તેમના પિતાના ચાર પુસ્તકો (‘સંત દેવીદાસ’, ‘વેવિશાળ’ અને ‘રંગ છે બારોટ’) ઉપરાંત કાકા કાલેલકરના ‘હિમાલયનો પ્રવાસ’ને અંગેજીમાં લઈ ગયા છે.

તાજેતરમાં અશોકભાઈ કર્મશીલ મિત્તલ પટેલના ‘સરનામાં વિનાનાં માનવી’ પુસ્તકનો દિવંગત જયંત મેઘાણીએ કરેલા અનુવાદને પૂર્ણતાએ લઈ ગયા છે, જે નવજીવને બહાર પાડ્યો છે.

પ્રસ્તુત પુસ્તક એ તેમનો પહેલો ગુજરાતી અનુવાદ છે. અશોકભાઈએ અનુવાદની ગુણવત્તાની બાબતમાં નક્કી કરેલા, ‘બીજી ભાષામાંથી થયેલો અનુવાદ છે એવો વાંચનારને ખ્યાલ પણ ન આવે’ એ માપદંડ અનુસાર આ ‘સારો અનુવાદ’ છે, ખરેખર તો ઉત્તમ અનુવાદ છે.

રાજમોહને નોંધ્યું છે તેમણે આ પુસ્તક ‘ગોપાળદાસની યાદને અત્યાર સુધી નહીં મળેલો ન્યાય મેળવવાના પ્રયત્ન તરીકે’ લખ્યું છે. લેખકે ન્યાય અપાવ્યો છે. 

[વિશ્વ પુસ્તક દિન, 2023]

-X-X-X-X-

પ્રાપ્તિસ્થાન : 

[1] ‘ગ્રંથવિહાર’, ગુજરાતી સાહિત્ય પરિષદ, ‘ટાઇમ્સ ઑફ ઈન્ડિયા’ની પાછળ, આશ્રમ રોડ, અમદાવાદ. ફોન : 079 – 265857949

[2] નવજીવન, સંપર્ક : 079-27540635, 27542634

[‘દિવ્ય ભાસ્કર’માં આજે [23 ઍપ્રિલ 2023] આવેલા પુસ્તક પરિચયમાં થોડાં ઉમેરણ સથેનો લેખ, 800 શબ્દો] 
 e.mail : sanjaysbhave@yahoo.com

Loading

...102030...1,0311,0321,0331,034...1,0401,0501,060...

Search by

Opinion

  • કાનાની બાંસુરી
  • નબુમા, ગરબો સ્થાપવા આવોને !
  • ‘ફૂલ નહીં તો ફૂલની પાંખડી’ પણ હવે લાખોની થઈ ગઈ છે…..
  • લશ્કર એ કોઈ પવિત્ર ગાય નથી
  • ગરબા-રાસનો સૌથી મોટો સંગ્રહ

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved