Opinion Magazine
Number of visits: 9458055
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ચાલો, સંસ્કૃત કાવ્યશાસ્ત્રની દિશામાં… 

સુમન શાહ|Opinion - Literature|25 April 2023

આજે, રાજશેખર —

એમનો સમય છે, ઇ.સ. ૮૮૦-૯૨૦. એમના ગ્રન્થનું શીર્ષક છે, ‘કાવ્યમીમાંસા’. રાજશેખર યાયાવરી કહેવાયા છે કેમ કે જ્ઞાનસમ્પાદન માટે અહીંથી તહીં ભટકતા રહેતા’તા, જેમ યાયાવરી પક્ષીઓ સ્થાનાન્તર કરતાં રહે છે. એટલે, એમની વાતમાં અનેકોના મત જાણવા મળે છે;  અવનવાં પણ ઉપકારક ઉદાહરણો જોવા મળે છે. તેઓ એ શાસ્ત્રીય પદ્ધતિએ પોતાના મત-મન્તવ્યોનું સમર્થન કરે છે.

‘કાવ્યની રચના અને સ્વરૂપ’-થી એમણે પ્રારમ્ભ કર્યો છે.

આજે, ‘કાવ્યવિદ્યા’ —

કાવ્યરચનાને તેઓ કાવ્યવિદ્યા કહે છે.

એમણે કાવ્યવિદ્યાની રસપ્રદ અને બહુ મજાની જાણે વંશાવળી આપી છે.

કહે છે, ભગવાન્ શ્રીકણ્ઠે એટલે કે શિવે કાવ્યવિદ્યાનો ઉપદેશ સૌ પ્રથમ પરમશ્રેષ્ઠિ, વૈકુણ્ઠ વગેરે ૬૪ શિષ્યોને કર્યો.

એમાં પ્રથમ શિષ્ય હતા, સ્વયંભૂ – બ્રહ્મદેવ. એમણે એ કાવ્યવિદ્યાનો ઉપદેશ પોતાની ઇચ્છાથી ઉત્પન્ન – અયોનિજ – શિષ્યોને એટલે કે ઋષિઓને કર્યો.

એ શિષ્યોમાં સરસ્વતીનો પુત્ર નામે કાવ્યપુરુષ પણ હતો, જેની જગદ્વન્દ્ય દેવતાઓ પણ વન્દના કરતા’તા.

એ કાવ્યપુરુષ ત્રિકાલજ્ઞ હતો, દિવ્ય દૃષ્ટિથી ભવિષ્યની કલ્પના કરી આપી શકતો’તો. બ્રહ્મદેવે એને આજ્ઞા કરી કે તું ભૂ ભુવ: અને સ્વર્ગ – ત્રણેય લોકમાં વસતી પ્રજામાં કાવ્યવિદ્યાનો પ્રચાર કર.

કાવ્યપુરુષે કાવ્યવિદ્યાનું ૧૮ ભાગમાં – અધિકરણોમાં – વિભાજન કર્યું. એનો ઉપદેશ સૌ પ્રથમ એણે સહસ્ત્રાક્ષ ઇન્દ્ર વગેરે દિવ્ય – સ્વર્ગીય – સ્નાતકોને કર્યો.

એ દરેક સ્નાતકે ૧૮ ભાગમાં વિભાજિત કાવ્યવિદ્યાના એક એક અધિકરણ વિશે વિશેષતા પ્રાપ્ત કરી અને પોતપોતાના વિષય અંગે જુદા જુદા ગ્રન્થની રચના કરી.

એ દરેક ગ્રન્થનું શીર્ષક કાવ્યવિદ્યાના આપણને વિદિત અંગનો નિર્દેશ કરે છે; એ પ્રકારે જોઈ શકાય છે કે એમાં લગભગ બધાં જ અંગોનો સમાવેશ થયો છે.

જેમ કે –

સહસ્ત્રાક્ષ ઇન્દ્રે કવિરહસ્ય-વિષયક ગ્રન્થ રચ્યો. ઉક્તિગર્ભ નામના સ્નાતકે ઉક્તિ-વિષયક ગ્રન્થ રચ્યો. સુવર્ણનાભે રીતિ-વિષયક. પ્રચેતાએ અનુપ્રાસ-સમ્બન્ધી. યમે યમક-સમ્બન્ધી. ચિત્રાંગદે ચિત્ર-કાવ્યવિષયક. શેષે શબ્દશ્લેષ વિશે. પુલત્સ્યે સ્વાભાવોક્તિ વિશે. ઔપકાયને ઉપમા-અંલકાર સમ્બન્ધી. પારાશરે અતિશયોક્તિ સમ્બન્ધી. ઉત્તથ્યે અર્થ-શ્લેષ વિશે. કુબેરે શબ્દ અને અર્થ બન્ને પ્રકારના અલંકારો વિશે. કામદેવે વિનોદ-સમ્બન્ધી. ભરતે નાટ્ય-વિષય વિશે. નન્દિકેશ્વરે રસ વિષય વિશે. ધિષણે દોષ વિશે. ઉપમન્યુએ ગુણ વિશે. અને, કુચમારે ઔપનિષદિક વિષયો વિશે.

પરન્તુ, આ ૧૮ ભાગોમાં – અધિકરણોમાં – વિભક્ત કાવ્યવિદ્યા ખરેખર તો વેરવિખેર થઈ ગઈ ! રાજશેખર જણાવે છે કે એટલા માટે કાવ્યવિદ્યાના બધા જ અતિ આવશ્યક વિષયોને સંક્ષેપમાં રજૂ કરી અમે ૧૮ અધિકરણોમાં ‘કાવ્યમીમાંસા’ ગ્રન્થની રચના કરી. અને, રાજશેખર ‘કવિરહસ્ય’ નામના અધિકરણથી પ્રારમ્ભ કરે છે.

પણ હું ‘કાવ્યમીમાંસા’-ના આપણને સીધા ઉપયોગી કેટલાક જ અંશને આગળ કરીશ. 

હવે પછી, કવિ-પ્રતિભા અને આલોચક વિશે.

નૉંધ : આ લેખન પણ્ડિત કેદારનાથ શર્મા સારસ્વતના હિન્દી અનુવાદને અનુસરે છે.

સંદર્ભ : રાજશેખર-રચિત કાવ્યમીમાંસા : બિહાર-રાષ્ટ્રભાષા-પરિષદ, પટના દ્વારા પ્રકાશિત, ૧૯૫૪. ડૉ. નગેન્દ્ર-સમ્પાદિત ‘ભારતીય કાવ્યશાસ્ત્ર કી પરમ્પરા’, નેશનલ પબ્લિશિન્ગ હાઉસ, દિલ્લી, ૧૯૬૪. 

= = =

(04/25/23 : Ahmedabad)
સૌજન્ય : સુમનભાઈ શાહની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

ફરી આવ્યો

ઉમેશ સોલંકી|Poetry|25 April 2023

ફરી આવ્યો જગત આખું:

ગામ, સીમ, ખેતરો, જંગલો કેટકેટલું પગમાં ભર્યું

રણ ઘરબી દીધાં હાડકાંનાં પોલાણમાં,

સમુદ્ર નીચોવી દીધા આંખની ભીનાશમાં,

શહેર ધણધણાવ્યાં છાતીના ઊંડાણમાં,

વેદના વહેતી કરી રગોમાં,

પશુતા કુદતી કરી ઇંદ્રિયોમાં,

પ્રકૃતિ-વિકૃતિ

સમાવી, પચાવી

રચવા બેઠો કાવ્ય

પણ

મગજ પથ્થર

કાન ગુફા

હૃદય તો ફૂગ છે!

e.mail : umeshsol@gmail.com

Loading

યુદ્ધની બિભિષિકા અને સ્ત્રીઓ – ‘ધ અનવુમનલી ફેસ ઑફ વૉર’ 

સોનલ પરીખ|Opinion - Opinion|25 April 2023

‘તેણે મને પ્રપૉઝ કર્યું ત્યારે અમે યુદ્ધની વચ્ચે હતા. જમીન પર ગંદકી, હવામાં લોહીની વાસ. મેં કહ્યું, ‘કોની સાથે લગ્ન કરીશ? મારામાંની સ્ત્રી તો મરી ગઈ છે.’ એનો એક ગાલ આખો ઊતરડાઈ ગયો હતો. એ ગાલ પરથી ગરમ આંસુ સરી પડ્યાં. મારાથી જોવાયું નહીં. મેં એને હા પાડી. મારી હાને હું જ ઓળખી શકતી નહોતી. અમારી આસપાસ રાખ ઊડતી હતી, ઈંટો ભાંગી ભાંગીને પડતી હતી …’

‘આ પોડિયમ પાસે હું એકલી નથી ઊભી, હજારો અવાજો મને ઘેરીને ઊભેલા છે. આ અવાજો મારા ગામની સ્ત્રીઓના છે. એમાંની કોઈને ભાઈ, પતિ કે પિતા નહોતા. બીજા વિશ્વયુદ્ધ પછી અમારા ગામમાં એક પણ પુરુષ બચ્યો નહોતો. બેલારુસમાં દર ચોથો પુરુષ યુદ્ધમાં ખતમ થઈ ગયો હતો. અમે બાળકો સ્ત્રીઓ વચ્ચે ઊછરતાં. મને યાદ છે કે આ સ્ત્રીઓ પ્રેમની વાતો કરતી, મૃત્યુની નહીં.’

આ શબ્દો છે સાહિત્યનું નોબેલ ઈનામ જીતનાર રશિયન લેખિકા સ્વેતલાના એલેક્સિયેવિચના. સ્વેતલાના પત્રકાર છે. પોતાને ‘હિસ્ટોરિયન ઑફ ધ સોલ’ કહે છે. 1985માં પ્રગટ થયેલું એનું પુસ્તક ‘ધ અનવુમનલી ફેસ ઑફ વૉર’ વિશ્વયુદ્ધમાં લડવા ગયેલી મહિલાઓની સ્મૃતિઓનું ‘કોલાજ’ છે. ત્યારે સોવિયેત આર્મીમાં દસ લાખ જેટલી સ્ત્રીઓ હતી. યુદ્ધ દરમ્યાન અને એ પછી આ સ્ત્રીઓનું શું થયું? સ્વેતલાનાએ એમને મળી, એમના અનુભવોનું રેકૉર્ડિંગ કરી, એનું લિપ્યાંતર કરી આ પુસ્તક તૈયાર કર્યું છે. 2015માં સ્વેતલાનાને નોબેલ મળ્યું અને 2017માં પુસ્તકનું અંગ્રેજી થયું. આ પુસ્તકની ગણતરી દુનિયાના સૌથી દુ:ખી-ઉદાસ પુસ્તકોમાં થાય છે. એનું પોત રશિયન મહિલા સૈનિકોનાં આંસુ અને લોહી વડે વણાયેલું છે. આવી રહેલા મહિલા દિન નિમિત્તે એની જ વાત કરીએ.

આગળ એણે જે અવાજોની વાત કહી છે તે આ સ્ત્રીઓના અવાજો છે. એક અવાજ કહે છે, ‘તેણે મને પ્રપૉઝ કર્યું ત્યારે અમે યુદ્ધની વચ્ચે હતા. જમીન પર ગંદકી, હવામાં લોહીની વાસ. મેં કહ્યું, ‘કોની સાથે લગ્ન કરીશ? મારામાંની સ્ત્રી તો મરી ગઈ છે.’ એનો એક ગાલ આખો ઊતરડાઈ ગયો હતો. એ ગાલ પર ગરમ આંસુ સરી પડ્યાં. મારાથી જોવાયું નહીં. મેં એને હા પાડી. મારી હાને હું જ ઓળખી શકતી નહોતી. અમારી આસપાસ રાખ ઊડતી હતી, ઈંટો ભાંગી ભાંગીને પડતી હતી …’ 

સ્વેતલાના કહે છે, ‘ફ્લુબર્ટ પોતાને ‘હ્યુમન પેન’ કહેતો. હું પોતાને ‘હ્યુમન ઈયર’ કહું છું. આ પોડિયમ સુધીનો રસ્તો ચાલીસ વર્ષ લાંબો છે. આ ચાલીસ વર્ષ મેં એક એક અવાજ સાંભળવામાં ગાળ્યા છે. અનેક વાર ભય પામી છું, આઘાત પામી છું અને કેટલી ય વાર અવાજોને ભૂલી જવાનો પ્રયત્ન પણ કર્યો છે. હું એ સમયમાં જીવી છું જ્યારે નાનું બાળક પણ મૃત્યુને જાણતું. અમારી આસપાસની હવામાં ઝેર હતું અને અમે એ શ્વસતાં.’ 

‘ધ અનવુમનલી ફેસ ઑફ વૉર’નું એક પાત્ર કહે છે, ‘હું રશિયન છું. હું આપણો રશિયનોનો અનુભવ દુનિયા સાથે શૅર કરવા માગું છું. આપણે વર્ષોથી એ સ્થિતિમાં છીએ કે કાં તો લડતાં હોઈએ, કે પછી લડાઈની યોજના બનાવતા હોઈએ.’ આ પુસ્તક હચમચાવી નાખે એટલું કરુણ છે, યુદ્ધની બિભિષિકામાંથી પસાર થયેલી સ્ત્રીઓના અવાજો એનાં પૃષ્ઠોમાંથી ઊઠે છે. 

સ્વેતલાનાએ એમને પૂછ્યું, ‘તમે યુદ્ધમાં શા માટે જોડાયા?’ એક સ્ત્રી તરત બોલી, ‘કારણ કે ત્યાં દિવસમાં બે વાર ખાંડવાળી ચા અને ટોસ્ટ મળતાં હતાં!’ તેણે નોંધ્યું છે, એક વાર બળાત્કારનો ભોગ બનેલી મહિલા સૈનિકોએ ગુનેગારોને ઓળખવા કરતાં ખાવાનું વધારે પસંદ કર્યું હતું! કેવી સ્થિતિ હશે? શાસકોને આ મહિલાઓના સ્ત્રી-અસ્તિત્વની પરવા નહોતી. કોઈ વાજબી માગણીના જવાબમાં પણ તેઓ બરાડતા, ‘શટ અપ, વી વૉન્ટ સૉલ્જર્સ, નોટ ગર્લ્સ.’ પણ સ્ત્રી પોતાની અસ્મિતાને, સુઘડતા અને સુંદરતા માટેના પ્રેમને ક્યાં મૂકવા જાય? એક સ્ત્રી કહે છે, ‘અમને એટલો માનસિક ત્રાસ થતો કે અમારામાંના કેટલાયના માસિક સ્રાવ બંધ થઈ જતા. અમે ડરી ગયા, અમે હવે સ્ત્રી નથી રહ્યા શું?’ અસ્તિત્વ પરના આ ઘાની કલ્પના પુરુષોને ન આવે.

નોબેલ ભાષણમાં સ્વેતલાનાએ ચેર્નોબિલ ઘટનાનો ભોગ બનેલી સ્ત્રીઓની મુલાકાતનો ઉલ્લેખ કર્યો છે. ચેર્નોબિલનો કાટમાળ ખસેડતાં રેડિયેશનનો ભોગ બનેલા એક મજૂરને હૉસ્પિટલમાં લઈ જવાયો. તેની પત્નીએ સ્વેતલાનાને કહ્યું, ‘મને તેને મળવા ન દીધી. હૉસ્પિટલમાં જવા પણ ન દીધી, કહે કે તમે એને ઓળખી નહીં શકો. તમે જેને જાણો છો એ માણસ એ રહ્યો નથી.’ આ સ્ત્રી રાતે ચીમની દ્વારા હૉસ્પિટલમાં ઊતરે છે. ચોકીદારોને પૈસા ખવડાવી પતિને મળે છે. એને જોઈને સમજી જાય છે કે કદાચ આ છેલ્લી મુલાકાત છે. એ ક્ષણોને જીવી લેવા બંને ગાઢ પ્રેમ કરે છે. તેને ગર્ભ રહે છે અને રેડિયેશનને લીધે બાળકી મૃત જન્મે છે. ‘બંનેની કબર પર ફૂલ મૂકતાં હું આ જીવલેણ પ્રેમ વિશે વિચારું છું …’ 

સ્ત્રીઓ શારીરિક કામો માટે નાજુક ગણાય પણ એક મહિલા ઘાયલ સૈનિકોને હૉસ્પિટલમાં લાવવાની ડ્યુટી કરતી હતી તે એક દિવસમાં 481 ઘાયલ સૈનિકોને હૉસ્પિટલ લઈ આવી હતી. સ્વેતલાના કહે છે, ‘માનવું મુશ્કેલ છે.’ ‘મને પણ એવું જ લાગે છે.’ સ્ત્રી શાંતિથી કહે છે. 

એક સ્ત્રી કહે છે, ‘મારે બહુ બધું કહેવું છે. વર્ષો સુધી હું કશું બોલી નથી. મેં પ્રયત્ન કર્યો હતો, પણ કોઈ મારું સાંભળતું નહોતું. સારું થયું તમે આવ્યા, પૂછ્યું. આઈ ટેલ યુ, ઈટ ઈઝ ટેરિબલ ટુ રિમેમ્બર, બટ ઈટ ઈઝ ફાર મોર ટેરિબલ ટુ ફરગેટ – યાદ કરવું ભયાનક છે, પણ ભૂલી જવું એનાથી પણ ભયાનક છે.’ એણે એક એવી સૈનિકની વાત કરી હતી, જેણે પીછો કરતા જર્મન લશ્કરથી ટુકડીને બચાવવા પોતાના રડતા બાળકને પાણીમાં ડુબાડી દીધું હતું. ‘એનું બાળક રડતું બંધ થયું. ક્યાં ય સુધી અમે આંખો ઊંચી કરી એ સ્ત્રી સામે કે એકબીજા સામે જોઈ શક્યા નહીં.’

યુદ્ધ પૂરું થયું અને આ મહિલાઓ ઘેર પાછી ફરી ત્યારે ઘરના મોરચે પણ એક યુદ્ધ ખેલાયું. યુદ્ધમાંથી પાછા ફરતા પુરુષની રાહ જોવાય છે, એને વધાવી લેવાય છે. પણ મહિલાઓનું શું થાય છે? પતિઓ શહીદ થઈ ગયા છે. ગામો રાખ થઈ ગયાં છે. પાંચ છ મહિનાનાં હતાં તે બાળકો હવે મોટાં થઈ ગયા છે, માને ઓળખતા નથી. કુંવારી હતી તેને કોઈ પરણતું નથી. એક મહિલા કહે છે, ઓગણીસની ઉંમરે મને વીરતા માટે અવૉર્ડ મળ્યો ત્યારે મારા વાળ સફેદ થઈ ગયા હતા અને મારાં ફેફસાંની આરપાર ગોળી ચાલી ગઈ હતી.’ એક સ્ત્રીને માબાપે કહ્યું, ‘તારી બે નાની બહેનો સાથે કોઈ લગ્ન નહીં કરે કેમ કે તું આટલા પુરુષો સાથે રહીને આવી છે. તું ક્યાંક ચાલી જા.’ યુદ્ધમાંથી પાછી ફરેલી સ્ત્રીઓ માટે ‘આર્મી હોર્સ’ કે ‘મિલિટરી બિચિસ’ જેવા શબ્દો વપરાતા. આટલી ભયાનક પુરુષપ્રધાનતા?’

આ પુસ્તક સાથે જ સ્વેતલાનાનું ‘લાસ્ટ વિટનેસ’ પુસ્તક પ્રગટ થયું હતું. એમાં યુદ્ધગ્રસ્ત બાળકોની વાત હતી. 1997માં ‘વૉઈસિઝ ફ્રોમ ચેર્નોબિલ’ આવ્યું અને 2013માં ‘સેકન્ડહેન્ડ ટાઈમ’. નાની હતી ત્યારથી સ્વેતલાના જાણતી કે ‘વિમેન્સ સ્ટોરીઝ આર ડિફરન્ટ’. દર્દને એ માનવમાત્રની નિયતિ કહે છે. લખે છે કે યુદ્ધનો ઇતિહાસ પુરુષો લખે છે અને પુરુષો વિશે લખે છે, પણ મેં બાળપણમાં સ્ત્રીઓની જે વાતો સાંભળી હતી, એની પકડ જુદી જ છે. ‘વાસ્તવ મને ડરાવે છે અને આકર્ષે પણ છે.’ ‘યુદ્ધમાં કોઈ વીરનાયક હોતો નથી. હોય છે માનવીય બાબતો પ્રત્યે અમાનવીય રીતે વર્તનારા માનવો.’ 

સ્વેતલાનાના શરૂઆતના લખાણોમાં સામ્યવાદી રશિયામાં વધતા જતા ઔદ્યોગીકરણનો ચિતાર છે, પણ પછી એ બહુ જ નિર્ભયતાથી યુદ્ધના વિશ્વમાં પ્રવેશી ગઈ છે. ડઝનબંધ પ્રવાસો, સેંકડો મુલાકાતો અને અનેક રેકૉર્ડિંગ. ‘મારું ધ્યેય ચોક્કસ સમયખંડમાં જીવતા અને ચોક્કસ બનાવોનો હિસ્સો બનતા ચોક્કસ માણસોને સાંભળવા એ છે.’ ‘યુદ્ધ શાપ છે, પણ માણસ યુદ્ધથી મોટો છે.’

e.mail : sonalparikh1000@gmail.com
પ્રગટ : ‘રિફ્લેક્શન’ નામે લેખિકાની સાપ્તાહિક કોલમ, “જન્મભૂમિ પ્રવાસી”, 05 માર્ચ 2023

Loading

...102030...1,0291,0301,0311,032...1,0401,0501,060...

Search by

Opinion

  • કાનાની બાંસુરી
  • નબુમા, ગરબો સ્થાપવા આવોને !
  • ‘ફૂલ નહીં તો ફૂલની પાંખડી’ પણ હવે લાખોની થઈ ગઈ છે…..
  • લશ્કર એ કોઈ પવિત્ર ગાય નથી
  • ગરબા-રાસનો સૌથી મોટો સંગ્રહ

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved