Opinion Magazine
Number of visits: 9456254
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

લાકડાના વેપારીની બોઇંગ કંપનીનું સો વર્ષનું એકચક્રી શાસન ડામડોળ થઇ રહ્યું છે

રાજ ગોસ્વામી|Opinion - Opinion|23 June 2025

રાજ ગોસ્વામી

વિમાનમાં પ્રવાસ કરનારા લોકોને ખ્યાલ હશે કે દરેક ફ્લાઈટ ઉડાન ભરે તે પહેલાં, કેબિન ક્રૂ પ્રવાસીઓઓને સુરક્ષા સંબંધી સૂચનાઓ આપે છે, જેથી તેમનો જીવ હેઠે બેસે કે વિમાનની સુરક્ષા વ્યવસ્થા ચુસ્ત છે અને જોખમ નહીંવત છે. 

આજથી અઢી વર્ષ પહેલાં, નેટફ્લિક્સ પર રિલીઝ થયેલી એક ડોકયુમેન્ટરી ‘ડાઉનફોલ : ધ કેસ અગેઇન્સ્ટ બોઇંગ’માં, આ એવિયેશન કંપનીના કર્મચારીઓએ બોઇંગના કારભારને લઈને ચિંતા તેમ જ ચેતવણીના સૂર પ્રગટ કર્યાં હતાં. કંપનીના વહીવટીતંત્રએ તેની ઉપેક્ષા કરી હતી, અને હવે અમદાવાદમાં તેનું એક ડ્રીમલાઈનર-787 તૂટી પડતાં, બોઇંગ ફરીથી શંકાઓ અને સવાલોના ઘેરામાં આવી ગઈ છે.

આ ડોકયુમેન્ટરી 2022માં રિલીઝ થઇ હતી અને તેનું નિર્દેશન જાણીતી ડોકયુમેન્ટરી નિર્દેશક રોરી કેનેડીએ કર્યું હતું. આ ડોકયુમેન્ટરી  એવિએશનની દુનિયાની બેતાજ બાદશાહ બોઇંગના ઇતિહાસની એ ઘટનાઓને રજૂ કરે છે, જેમાં તેનાં બે 737 મેક્સ વિમાનો દુર્ઘટનાગ્રસ્ત થઇ ગયાં હતાં. 

બોઈંગે તેની 737 શ્રેણી હેઠળ, 2011થી 2016 વચ્ચે સાંકડા આકારનાં 737 મેક્સ વિમાન બનાવ્યાં હતાં. તેનું પહેલું વિમાન મલેશિયાની એર લાઈન કંપનીને વેચવામાં આવ્યું હતું. બે વર્ષ પછી, આ શ્રેણીનાં બે વિમાન તૂટી પડ્યાં. જેમાં કુલ 346 પ્રવાસીઓ માર્યા ગયા હતા. તે પછી, આખી દુનિયામાં 737 મેક્સ વિમાનના પૂરા કાફલાને રોકી દેવામાં આવ્યો હતો, જે 2020 પછી ફરી સક્રિય થયો હતો.

પહેલી દુર્ઘટના ઇન્ડોનેશિયામાં બની હતી. ત્યાં ડોમેસ્ટિક રૂટ પર ચાલતી લાયન એર ફ્લાઈટ 610, 29 ઓક્ટોબર 2018ના રોજ, 181 પ્રવાસીઓ અને 8 ક્રૂ સભ્યો સાથે ટેઈક ઓફ કર્યાની 13મી મિનિટે જાવા સમુદ્રમાં તૂટી પડી હતી. 

બીજી દુર્ઘટના બીજા જ વર્ષે ઇથોપિયામાં ઘટી. ત્યાં 10 માર્ચ 2019ના રોજ, ઇથોપિયન એરલાઈન્સની ફ્લાઈટ 302 ટેઈક ઓફ કર્યાંની છઠ્ઠી મિનિટે તૂટી પડી હતી. તેમાં 149 પ્રવાસીઓ અને 8 ક્રૂ સભ્યો માર્યા ગયા હતા.

આ બે દુર્ધટનાઓનાં પગલે, બોઇંગ કંપનીની પ્રતિષ્ઠાને અને કમાણીને ઘણું નુકશાન થયું હતું, અને નફો રળવાની લાહ્યમાં તે વિમાનની સુરક્ષા વ્યવસ્થા સાથે બાંધછોડ કરી રહી છે તેવા આરોપોનો સામનો કરવો પડ્યો હતો. તેનું કારણ એરબસ કંપની સાથે તેની સ્પર્ધા છે. એરબસ પાછલાં અમુક વર્ષોથી બોઇંગનાં સો વર્ષના એકચક્રી શાસનને પડકારી રહી છે.

ડોકયુમેન્ટરીમાં આ બધાં પાસાં સાંકળી લેવામાં આવ્યાં હતાં. તેનો મુખ્ય સૂર એવો હતો કે બોઇંગ તેના મુસાફરોની સલામતી કરતાં નાણાંકીય નફાની વધુ ચિંતા કરતું હતું. ડોકયુમેન્ટરીની નિર્દેશક રોરી કેનેડી કહે છે;

“એવા ઘણા દાયકાઓ હતા જ્યારે બોઇંગે ઉત્કૃષ્ટતા, સલામતી અને કુશળતા પર ધ્યાન કેન્દ્રિત કરીને અસાધારણ કામ કર્યું હતું. આ ત્રણ ગુણોને નફાની ચાવી તરીકે જોવામાં આવતા હતા. કંપનીની સફળતાઓ તેનાં કારણે જ હતી. પણ પછી તેમાં એવા લોકોનો કારભાર આવ્યો જે વોલ સ્ટ્રીટના નફા-નુકશાન પર ધ્યાન આપવા લાગ્યા હતા. બિઝનેસના ખેલમાં સંતુલન હોવું જરૂરી છે, તેથી તમારે એવા પ્રતિનિધિઓને ચૂંટવા પડે કે જેઓ તેમનાં ખિસ્સાં ભરવાને બદલે જાહેર હિતોનું ધ્યાન  રાખે.”

અમદાવાદની ઘટના નિશ્ચિતપણે આ સો વર્ષ જૂની કંપની માટે એક મરણતોલ ફટકા સમાન છે. તમે છેલ્લે જે વિમાનમાં પ્રવાસ કર્યો હશે, તે કાં તો અમેરિકા સ્થિત બોઇંગનું વિમાન હશે અથવા યુરોપની એરબસ કંપનીનું હશે. કોમર્સિયલ વિમાનો બનાવામાં આ જ બે તોતિંગ કંપનીઓનું વર્ચસ્વ છે. બોઇંગની સ્થાપના 1916માં થઇ હતી, જ્યારે એરબસની સ્થાપના 1970માં થઇ હતી. દુનિયાભરના આકાશમાં ઉડતાં નેવું ટકા વિમાનો આ બે કંપનીઓનાં હોય છે. 

એમાંથી બોઇંગ મુશ્કેલીઓનો સામનો કરી રહી છે. જાણે કે તે હવે વૃદ્ધ થઇ ગઈ છે. જેમ એક વ્યક્તિની ઉંમર થાય અને તેની શારીરિક-માનસિક ગુણવત્તામાં ઘટાડો થાય, એવું જ બોઇંગ સાથે બની રહ્યું છે. નફો રળવાની તેની વધતી લાલચમાં તેની સાખ, પ્રતિષ્ઠા, પદ અને પૈસા બધું જ હાથમાંથી નીકળી રહ્યું છે. 

તેના સ્થાપક વિલિયમ બોઈંગે પૈસા માટે નહીં, પરંતુ આમ લોકો વિમાનમાં ઉડી શકે તેવી ક્રાંતિ કરવા માટે સપનું જોયું હતું. તેણે એક એવી એન્જિનીયરિગ કંપની બનાવી હતી જેણે એવિયેશનની દુનિયા બદલી નાખી હતી. હજારો વિમાનો, અનેક મોડેલો અને દુર્ઘટના રહિત ઉડાનમાં સૌથી સુરક્ષિત રેકોર્ડ બોઇંગનો હતો. 20મી સદીમાં તેનો આ રૂઆબ કોઈ છીનવી શક્યું નહોતું. જે કંઈ થયું તે એરબસના આવ્યા પછી અને બોઇંગમાં કારભારીઓ બદલાયા તે પછી થયું.

વિલિયમ બોઈંગ, મિશિગન રાજ્યના ડેટ્રોઈટ શહેરમાં એક મજદૂર પરિવારમાં પેદા થયા હતા. તેમના પિતા જંગલમાં લાકડાંનો વેપાર કરતા હતા. વિલિયમ બોઈંગ પોતે પણ એન્જિનિયરીંગ ભણવા માંગતા હતા પણ અધવચ્ચે તે છોડીને 1903માં લાકડાંના ઘંધામાં જોડાઈ ગયા હતા. તે વખતે, અમેરિકામાં ધમધોકાર બાંધકામ ચાલતું હતું અને એટલે વિલિયમનો ધંધો પૂરજોશમાં ચાલ્યો હતો અને તેમણે અન્ય ધંધાઓમાં પણ પૈસા રોક્યા હતા.

તેઓ ગ્રીનવૂડ ટિમ્બર કંપનીના અધ્યક્ષ હતા ત્યારે એક બોટ ડિઝાઈન માટે સીએટલ ગયા હતા. ત્યાં એક વેપારી મેળો ભરાયો હતો અને ત્યાં તેમણે પહેલીવાર ઉડતું મશીન જોયું હતું. તેમને તે જોઇને બહુ વિસ્મય થયું હતું. 1910માં, લોસ એન્જલસમાં એક ઉડતાં મશીનોનો મેળો થયો હતો અને ત્યાં વિલિયમે દરેક પાયલોટને પ્લેનમાં બેસવા દેવા અરજી કરી હતી. 

કોઈએ તેમને ન ગણકાર્યા. એ પછી વિલિયમે નક્કી કર્યું કે તે જાતે જ તેને ઉડાડતાં શીખશે એટલું ન નહીં, તે પ્લેનનું પણ નિર્માણ કરશે. તેમણે તેમના એક મિત્ર અને અમેરિકન નૌસેનાના કમાન્ડરને કહ્યું હતું, “આપણે આપણી જાતે જ બહેતર પ્લેન બનાવીશું અને ઝડપથી બનાવીશું.” અને એ રીતે તેમણે સીએટલ નજીક નદીમાં તેમની બોટ ફેક્ટરીમાં જ પ્લેનનું નિર્માણ શરૂ કર્યું હતું. એવિએશનની બેતાજ બાદશાહ બોઇંગની એ શરૂઆત હતી. 

1929માં એક ઇન્ટરવ્યૂમાં વિલિયમ બોઈંગે કહ્યું હતું, “આજે લોકો રોજ વધુને વધુ પ્લેનમાં ફરે છે- અને હું તો ત્યાં સુધી કહીશ કે એક દિવસે લોકો ટ્રેનની જેમ વિમાનમાં ફરતા હશે.” આજે બોઇંગ દર વર્ષે 300 વિમાનોનું નિર્માણ કરે છે અને દુનિયાભરમાં તેનાં 10,000થી વધુ વિમાનો આકાશમાં ઊડે છે. પરંતુ અમદાવાદની દુર્ઘટનાએ તેના તપતા સૂરજને ગ્રહણ લગાડ્યું છે. પાંચ વર્ષમાં ત્રણ મોટી દુર્ઘટનાઓમાંથી કંપની પાઠ ભણે છે કે નહીં તે તો ભવિષ્યમાં ખબર પડશે.

(પ્રગટ : ‘બ્રેકિંગ વ્યુઝ’ નામક લેખકની સાપ્તાહિક કોલમ, ‘સંસ્કાર’ પૂર્તિ, “સંદેશ”; 22 જૂન 2025)
સૌજન્ય : રાજભાઈ ગોસ્વામીની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

….. તો શું થાત?

આશા બૂચ|Opinion - Opinion|23 June 2025

આજે સવારે આ સમાચાર સાંભળ્યા. શાંતિમય વાટાઘાટોની સંભાવના ઓસરી જતી લાગી. આપણા જેવા નાગરિકો કશું ન કરી શકે એ લાચારી ખટકે છે. બધા દેશોના નાગરિકોની યાતના જોઈને દિલ દૃવે એટલે પેન ઉપાડી.

− આશા બૂચ

‘અમેરિકન મિલિટરી પ્લેન ઇરાનના યુરેનિયમને અણુશક્તિમાં રૂપાંતર કરતા ત્રણ મથકો પર ત્રાટક્યા અને તેને ખતમ કરી નાખ્યા’

આ સમાચાર આજ સવારે મળ્યા.

શાબ્બાશ પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ અને અમેરિકન વહીવટકર્તાઓ!

રશિયાની યુક્રેઇન પર ચડાઈ, ઇઝરાયેલનું ગાઝા અને વેસ્ટ બેંક પરનું આક્રમણ અને હવે ઈરાન સાથેની લડાઈ શરૂ થઇ ત્યારથી સતત કેટલાક સવાલો ઊભા થયા જ કરે છે.

જો રશિયાને પોતાના પુરાણા સામ્રાજ્યના દેશો પર ફરી કબજો જમાવવાના અભરખા થતા હોય તો એ સ્વતંત્ર દેશો સાથે પોતાની મનોકામનાની અભિવ્યક્તિ શિષ્ટ માનવીને શોભે એવી ભાષામાં વ્યક્ત કરી હોત તો શું થાત? બહુ બહુ તો એ દેશો રશિયાની આક્રમણ કરવાની ઈચ્છાને ઠુકરાવી દેત ને? એમ થવાથી ખુદ રશિયાના અને ક્રાઇમિયા અને યુક્રેઈનના અસંખ્ય સૈનિકોના જાન બચી જવા પામ્યા હોત અને તેમના પરિવારો સુખેથી જીવતા હોત. અને એમ થયું હોત તો શું થાત?

અને જો રશિયા આક્રમણ કરવા દૃઢનિશ્ચય રહ્યું હોત તો ક્રાઇમિયા અને યુક્રેઈને રશિયાના લશ્કર સામે માનવ દીવાલ રચીને એ  સૈનિકોની આંખમાં આંખ પરોવીને પોતાના મૃતદેહો પરથી ચાલીને પોતાના દેશમાં પ્રવેશવા પડકાર ફેંક્યો હોત તો શું થાત?

જો અમેરિકા અને યુરોપના દેશોને યુક્રેઇનની સર્વોપરિતા અત્યંન્ત મહત્ત્વની લાગતી હતી તો યુક્રેઇનને શસ્ત્રો પૂરા પાડવાને બદલે રશિયા સામે પોતાના દેશના શાંતિ સૈનિકોને એ સરહદો પર મોકલ્યા હોત તો શું થાત?

નીચેની તસવીર હમાસ દ્વારા ઇઝરાયેલના કિબુત્ઝ પર થયેલ હુમલાની છે. એ કરતાં પહેલાં હમાસના અધિકારીઓએ પેલેસ્ટાઇનની પ્રજાને તેમનું આ પગલું વ્યાજબી છે કે નહીં એ પૂછ્યું હોત તો શું થાત?

નીચેની તસવીર ગાઝામાં નીકળેલા એક જનાઝાની છે. પેલેસ્ટાઇન પર વળતો પ્રહાર કર્યા પહેલાં ઇઝરાયેલની પ્રજાને હમાસના કૃત્ય સામે આ રીતે વેર વાળવું યોગ્ય છે કે નહીં એ જાણ્યું હોત તો શું થાત?

નીચેની તસવીર ખાન યુનિસમાં ઇઝરાયેલે કરેલા વિનાશની છે. ઈઝરાયેલને પોતાના દેશનું રક્ષણ કરવાનો હક્ક છે એમ કહીને તેને શસ્ત્રો પૂરા પાડનારા અને નૈતિક ટેકો આપનારા તમામ દેશોના વડાઓ અને ઇઝરાયેલના પ્રેસિડન્ટ પેલેસ્ટાઇનના અનાથ થયેલાં બાળકો, સંતાનો ગુમાવી બેઠેલા પરિવારો અને ભૂખે મરતા લોકોને મળ્યા હોત તો શું થાત?

જો ઈરાન પોતાની અણુશક્તિનો ઉપયોગ નજીકના ભવિષ્યમાં અણુશસ્ત્રો બનાવીને ઈઝરાયેલને ખતમ કરવા તત્પર છે એની ખાતરી હોત તો એના પુરાવા સાથે યુ.એન. મારફત એ સંભાવના કદી બર ન આવે તેવા કરાર કર્યા હોત તો શું થાત?

ઇઝરાયેલે ઇરાનના વૈજ્ઞાનિકો અને સંશોધકો તથા લશ્કરી ઉચ્ચાધિકારીઓ પર આક્રમણ કર્યું એ નિંદનીય જરૂર છે. એનો બદલો સુલેહની વાટાઘાટો મારફત લીધો હોત તો શું થાત?

યુદ્ધમાં સપડાયેલા દરેક દેશના વડાના પરિવારજનો સૈન્યમાં ભર્તી થઈને લડવા જાય અને પોતાના જાન ગુમાવે તો શું થાત?

આ બધા સવાલોનો એક જ જવાબ છે. …..તો યુદ્ધ શરૂ થાત જ નહીં અને દરેક સમસ્યાનો શાંતિમય ઉકેલ લાવી જ શકાયો હોત. દુનિયાની તમામ શાંતિપ્રિય પ્રજા જાણે છે કે સંઘર્ષ અનિવાર્ય છે, પરંતુ તેના હલ માટે હિંસાત્મક માર્ગ લેવો અનિવાર્ય નથી. પ્રજાની ફરજ બની રહે છે કે એ પોતપોતાના દેશના રાજ્યકર્તાઓને એનું ભાન કરાવે અને એ માટે અસહકાર, સત્યાગ્રહ અને બીજા શાંતિમય પગલાં લે. તાત્કાલિક.

નહીં તો ત્રીજું વિશ્વયુદ્ધ શરૂ થઈ જશે પછી આપણે આપણી જાતને પૂછીશું, આપણે વહેલા સંગઠિત થઈને કહેવાતા નેતાઓની સાન ઠેકાણે લાવી હોત તો શું થાત?

e.mail ; 71abuch@gmail.com

Loading

અમેરિકી પ્રમુખ ટ્રમ્પને નોબેલ ‘અશાંતિ’ પુરસ્કાર અપાવો જોઈએ …

રવીન્દ્ર પારેખ|Opinion - Opinion|23 June 2025

રવીન્દ્ર પારેખ

અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ બીજી વાર જાન્યુઆરી, 2025માં સત્તા પર આવ્યા, ત્યારથી તેમણે ઉપદ્રવ સિવાય ભાગ્યે જ કૈં કર્યું છે. અકલ વગરની દખલ – તેમની લાક્ષણિકતા રહી છે. આમ તો તે અમેરિકાના પ્રમુખ છે, પણ આખી પૃથ્વી પર સત્તા ભોગવવાનો પરવાનો મળ્યો હોય તેમ વર્તે છે. ‘કાજી કો સારે ગાંવ કી ફિકર’ની જેમ, કોઈ પૂછે કે ન પૂછે, સાહેબ કોઈ પણ દેશમાં ઘૂસીને ઈલાજ કરવા લાગી જાય છે. રોગને તો વકરાવે જ છે, રોગ ન હોય તેને ય રોગી કરવા મહેનત કરે છે. સત્તા પર આવ્યા પછીની તેમની કાર્યવાહી જોવા જેવી છે. સત્તામાં આવતાં જ ટ્રાન્સ જેન્ડરની માન્યતા તેમણે ખતમ કરી. તેમના આવવાથી બકવાસ નહીં, બકવાદ શરૂ થયો. બોલવામાં અને બોલીને ફરી જવામાં તેમનો જોટો જડે એમ નથી. ભારત સાથે હવે મૈત્રી ઓછી ને મતભેદ વધારે છે. ટ્રમ્પની બીજી ‘સિદ્ધિ’ ટેરિફ વોર છેડવાની. પહેલાં તો ભારત, ચીન જેવા દેશો સામે વધુ ટેરિફ વસૂલવાની ધમકી ઉચ્ચારી ને પછી સૂરસૂરિયું થઈ ગયું. ટ્રમ્પને કોઈ હરીફ હોય એવું પણ બહુ ફાવતું નથી. એપલના CEO ટિમ કૂકે, ભોગ લાગ્યા તે ભારતના વખાણ કર્યાં, તે ટ્રમ્પને પસંદ ન પડ્યું ને એવું ફરમાન બહાર પાડ્યું કે હવેથી એપલે મોબાઈલ અમેરિકામાં જ બનાવવા. તેમાં કારી ન ફાવી તો ટ્રમ્પે એપલ અને સેમસંગને બહાર ફોન બનાવવાની છૂટ તો આપી, પણ ટેરિફ 25 ટકા લગાવવાનો આગ્રહ પણ રાખ્યો.

ભારતે આતંકી થાણાઓ પર એર સ્ટ્રાઈક કરી, તો સામે પાકિસ્તાને પણ હુમલો કરતાં યુદ્ધ જેવી સ્થિતિ સર્જાઈ. એમાં પાકિસ્તાનની હાલત વધુ કફોડી થતાં તેણે યુદ્ધ વિરામની વિનંતીઓ કરી. ભારતે એ વિનંતીઓ સ્વીકારી. આ બે દેશો વચ્ચેની વાત હતી, પણ જશ ખાટવા યુદ્ધ વિરામની જાહેરાત અમેરિકી પ્રમુખ ટ્રમ્પે કરી. ભારતે ખુલાસો કર્યો કે આ બે દેશો વચ્ચેનો મામલો છે ને એમાં ટ્રમ્પનો કોઈ હાથ નથી. પી.ઓ.કે.નો મામલો ઉકેલવા પણ ટ્રમ્પે તૈયારી બતાવી, ત્યારે પણ ભારતે રોકડું કર્યું કે તેને બહારની દખલ અપેક્ષિત નથી. એ જ રીતે રશિયા-યુક્રેન મામલે પણ ટ્રમ્પ કાજી થવા ગયા, યુક્રેન પ્રમુખ ઝેલેન્સકીને અમેરિકા બોલાવીને તેમની સાથે પણ તડાફડી કરી, પુતિનને પણ યુદ્ધ વિરામ અંગે એકથી વધુ વખત સમજાવ્યા, પણ યુદ્ધ અટક્યું નહીં. ઈઝરાયેલ-ગાઝા યુદ્ધમાં પણ ટ્રમ્પ દખલ કરી ચૂક્યા છે. ઇઝરાયેલના નેતન્યાહૂ વૈશ્વિક દબાણ છતાં સાફ કહે છે કે ગાઝા પર હુમલો નહીં રોકાય. એટલે જ નેતન્યાહૂ સાથે વચમાં કટાઈ ગયેલું. બાકી, હતું તે ઈઝરાયેલ ઈરાન પર પરમાણુ હુમલો કરવાનું છે એવી ચાડી પણ ટ્રમ્પ ખાઈ ચૂક્યા હતા.

ડોનાલ્ડ ટૃમ્પ

ઈઝરાયેલ અને ઈરાન પણ બાખડ્યા, ત્યારે અમેરિકા ઈઝરાયેલ તરફી થઈ ગયું ને ઈરાનને ધમકી આપવા લાગ્યું કે ઈરાન શાંતિ સ્થાપવામાં મદદ કરે. અમેરિકાએ ઇરાનને ધમકી આપી કે તે શાંતિ નહીં સ્થાપે તો અમેરિકા તેના પર હુમલો કરશે ને અમેરિકા બોલીને બેસી ન રહ્યું, તેણે ઇરાનના ફોર્ડો, નતાંઝ અને ઇસ્ફહાન પરમાણુ સ્થળો પર રવિવારે સવારે સાડા ચાર વાગે હુમલો કર્યો પણ ખરો. અમેરિકન હુમલાના જવાબમાં ઇરાને ઈઝરાયેલ પર 35 મિસાઇલ્સ છોડી ને તેનાં 14 મહત્ત્વનાં સ્થળોને નિશાન બનાવ્યાં. ઇરાનમાં 13 જૂનથી અત્યાર સુધીમાં 657 અને ઇઝરાયેલમાં 24 લોકોનાં મોત થયાં છે ને 2,000થી વધુ ઘાયલ થયા છે.

અમેરિકન હુમલા સંદર્ભે અમેરિકન સંરક્ષણ મંત્રી ટ્રમ્પના વખાણ કરતાં કહે છે કે ઘણા અમેરિકન રાષ્ટ્રપતિઓએ ઇરાનના પરમાણુ ઠેકાણાંને રોકવાનું સ્વપ્ન જોયું હતું, પણ ટ્રમ્પ સિવાય કોઈ તે કરી શક્યું ન હતું. હુમલાના સંદર્ભમાં ઈરાની રાષ્ટ્રપતિએ કહ્યું કે અમેરિકાનો ચહેરો બેનકાબ થયો છે. ઇરાને હુમલાનો જવાબ આપવાનું કહ્યું છે. એટલે હવે ઈરાન-ઈઝરાયેલ યુદ્ધમાં અમેરિકાએ પણ હુમલો કરીને યુદ્ધની તીવ્રતા ને હાલાકી વધારી દીધી છે.

ખબર નથી પડતી કે સાચી કે ખોટી વૈશ્વિક શાંતિ સંદર્ભે અનેક દેશો યુદ્ધમાં સંડોવાયા છે, એમાં જે તે  દેશના નેતાઓ તો યુદ્ધમાં નથી સંડોવાતા, પણ જે તે દેશની પ્રજા તેનો ભોગ બને છે. તેણે કોઈનું કૈં બગાડ્યું હોતું નથી, પણ હુમલાઓમાં ભોગ તેનો લેવાય છે. બાળકો કોઈ પણ દેશના હોય, પણ હુમલામાં તેઓ મરે છે, તે અંગે ભાગ્યે જ ગંભીર રીતે વિચારાય છે. હુમલો અમેરિકાએ ઈરાન પર કર્યો, તો સામે ઇરાને હુમલો અમેરિકા પર કરવો જોઈએ, પણ ઇઝરાયેલ પર કર્યો એ પણ સૂચક છે.

અમેરિકી પ્રમુખ ટ્રમ્પે ઈરાન પર હુમલો કરાવ્યો, તો બીજી તરફ પાકિસ્તાને 2026નાં નૉબેલ શાંતિ  પુરસ્કાર માટે અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનું નામ નોમિનેટ કર્યું છે. પાકિસ્તાનનું માનવું છે કે ટ્રમ્પની રાજદ્વારી મધ્યસ્થીને કારણે ભારત-પાકિસ્તાનનું યુદ્ધ ટાળી શકાયું હતું, જ્યારે પાકિસ્તાનનું જ એ પણ કહેવું છે કે યુદ્ધ વિરામની તેની જ વિનંતીઓને લીધે ભારત યુદ્ધ વિરામ માટે રાજી થયું હતું. પાકના આર્મી ચીફ જનરલ અસીમ મુનીરે મે મહિનામાં ભારત-પાકિસ્તાન વચ્ચેના યુદ્ધને રોકવા બદલ ટ્રમ્પને નોબેલ આપવાની માંગ કરી હતી. એનો લાભ મુનીરને એ મળ્યો કે અમેરિકાએ પાકિસ્તાનના આર્મી ચીફનું સ્વાગત કર્યું ને ટ્રમ્પ-મુનીરની વ્હાઇટ હાઉસમાં બંધ બારણે મુલાકાત પણ થઈ, એટલું જ નહીં, બંનેએ સાથે લંચ પણ કર્યું ને ટ્રમ્પ પણ પછી તો ‘આઈ લવ પાકિસ્તાન’ને લવારે ચડ્યા. સારી વાત એ છે કે ટ્રમ્પ-મુનીર પર કોઈનો ભરોસો નથી, પણ એ બંનેનો એકબીજાને બંધ બારણે મળવા જેટલો ભરોસો તો છે જ !

પાકિસ્તાન જન્મ્યું ત્યારથી સાચું બોલ્યું નથી.

જો કે, ટ્રમ્પે તો અત્યાર સુધીમાં 14 વખત દાવો કર્યો છે કે તેમની મધ્યસ્થીને કારણે જ ભારત-પાકિસ્તાન યુદ્ધ ટળ્યું હતું ને ભારત વારંવાર કહી ચૂક્યું છે કે યુદ્ધ રોકવામાં ટ્રમ્પની કોઈ મધ્યસ્થી નથી. પાકિસ્તાન નૉબેલની ભલામણ ન કરે તો પણ ટ્રમ્પ પોતે સ્ટિકર લગાડીને બજારમાં વેચાવા ઊભા છે. તેમને પાછું એકાદ નૉબેલથી તો ચાલે એમ નથી એટલે જરા પણ શરમ વગર કહી શકે છે કે તેમને નોબેલ શાંતિ પુરસ્કાર 4-5 વખત મળવો જોઈએ. ગમે એટલાં યુદ્ધો રોકે, ગમે એટલું કરે તો પણ તેમને નોબેલ મળે એમ નથી ને તેનો અફસોસ ટ્રમ્પને છે.

એ સાચું કે તેમના મતે ટ્રમ્પે ભારત-પાકિસ્તાન, રશિયા-યુક્રેન, ઈરાન-ઈઝરાયેલ જેવા વિવાદો ઉકેલવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે. તેમનું કહેવું છે કે સેક્રેટરી ઓફ સ્ટેટ માર્કો રૂબિયો સાથે મળીને કૉંગો-રવાંડા યુદ્ધને રોકવા શાંતિ સમજૂતી કરાવી, પરિણામે લોહિયાળ સંઘર્ષ ટળ્યો. આ મામલે પણ ટ્રમ્પ કહે છે કે તેમને નોબેલ નહીં મળે. તેમણે એ પણ ઉમેર્યું કે સર્બિયા-કોસોવો વચ્ચે પણ યુદ્ધ અટકાવ્યું, તો ય નોબેલ નહીં મળે. આમ એકાએક નોબેલ નૉબેલની માળા ટ્રમ્પ એટલે ફેરવે છે કે અમેરિકી પ્રમુખ બરાક ઓબામાને પ્રેસિડેન્ટ બન્યાના નવ જ મહિનામાં (2009) નોબેલ શાંતિ પુરસ્કાર મળ્યો હતો, એટલે ટ્રમ્પને પણ લાગે છે કે નોબેલ માટેની તેમની મુદ્દત પણ પાકી ગઈ છે. ટ્રમ્પને એ ખ્યાલ હોવો જોઈએ કે યુદ્ધ રોકવાના પ્રયત્નો છતાં યુદ્ધો રોકાયાં નથી. રશિયા-યુક્રેન હજી લડે જ છે. ભારત-પાકિસ્તાન યુદ્ધ રોકવામાં તેમની કોઈ ભૂમિકા નથી, તેવું ભારતે સોય ઝાટકીને કહી દીધું છે, પણ ટ્રમ્પે મધ્યસ્થી તરીકેની પોતાની ભૂમિકા છે જ, તેવું 14 વખત કહ્યું છે. ઈરાન સાથે પરમાણુ ડીલ થઈ શકી નથી. ઈઝરાયેલ-ઈરાન વચ્ચેનો સંઘર્ષ વધ્યો છે, એટલું જ નહીં, ટ્રમ્પે પોતે ઉપર રહીને ઈરાન પર હુમલો કરી ત્રણ મથકોને હાનિ પહોંચાડી છે, તો કયે મોઢે ટ્રમ્પ 4-5 વખત નોબેલ શાંતિ પુરસ્કાર મળવો જોઈએ એવો દાવો કરી શકે? એમને નૉબેલનો ‘અશાંતિ’ પુરસ્કાર મળી શકે, પણ એ તો એવો પુરસ્કાર નોબેલ શરૂ કરે ત્યારની વાત છે. લાગે છે, નોબેલ વાંદરાને નીસરણી આપવા જેવું કરે?

000

e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 23 જૂન 2025

Loading

...102030...102103104105...110120130...

Search by

Opinion

  • સાઇમન ગો બૅકથી ઇન્ડિયન્સ ગો બૅક : પશ્ચિમનું નવું વલણ અને ભારતીય ડાયસ્પોરા
  • ગુજરાતી ભાષાની સર્જકતા (૫)
  • બર્નઆઉટ : ભરેલાઓની ખાલી થઇ જવાની બીમારી
  • ચલ મન મુંબઈ નગરી—307
  • દાદાનો ડંગોરો

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved