Opinion Magazine
Number of visits: 9736845
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

આપણને સોક્રેટિસ જોઈએ છે કે સોફિસ્ટ? 

સોનલ પરીખ|Opinion - Opinion|17 November 2025

સોક્રેટિસનો માર્ગ રસ્તો તૈયાર કરી એ ચીંધી દેવાનો નહોતો, તેનો માર્ગ લોકોના મનમાં પરેશાની જાગે, સવાલો ઊભા થાય, લોકો પોતાની મેળે વિચારતા અને મૂલ્યપરિવર્તન કરતા થાય એ હતો. ગ્રીસની ઊછરતી લોકશાહી માટે એ જેટલું અનિવાર્ય હતું, તેટલું જ આજે જે પ્રકારની લોકશાહી ઊછરી ગઈ છે તેને માટે પણ અનિવાર્ય છે

કેટલીક ઉક્તિઓ યાદ કરીએ : પ્લેટો કહે છે, ‘સત્ય બોલનાર જેટલો ધિક્કારપાત્ર બીજો કોઈ બનતો નથી’ ઝેનઓફઓન કહે છે, ‘પોતાના વિષે ન જાણનાર સૌથી મોટો અજ્ઞાની છે’ એન્ટિસ્થેનિસ કહે છે,  ‘દુ:શ્મનો પર ધ્યાન આપો. તમને શોધનારાઓમાં પ્રથમ એ જ છે’ અને એરિસ્ટિપસ કહે છે, ‘સાચી સ્વતંત્રતા મહત્ત્વાકાંક્ષાના ગુલામ થયા વિના એને પસંદ કરવામાં છે’ આ બધા ઈ. સ. પૂર્વે થઈ ગયેલા ગ્રીક ચિંતકો છે. એમનાં વિધાનો આજે પણ આપણને માર્ગ ચીંધી શકે એટલાં સમર્થ છે. આ મહાન ચિંતકોના જબરદસ્ત ગુરુનું નામ સોક્રેટિસ. 

સોક્રેટિસના બીજા પ્રતિભાશાળી શિષ્યોમાં એલ્સિબાયડિસ અને ક્રિશ્યસનું નામ આવે. આ બંને સોક્રેટિસ પાસે તૈયાર થયા, સાથે યુદ્ધો લડ્યા, પણ સોક્રેટિસ નૈતિકતા અને નૈષ્ઠિકતાને સર્વસ્વ ગણતો રહ્યો જ્યારે એલ્સિબાયડિસે રાજકીય અને અંગત પ્રાપ્તિઓ માટે પહેલા જુદો અને પછી વિરોધી માર્ગ અપનાવ્યો. ક્રિશ્યસે તો એથેન્સની લોકશાહીને જ કચડી નાખી. 

સોક્રેટિસનો જીવનકાળ ઈ.સ. પૂર્વે 400 આસપાસ મનાય છે. આ પ્રાચીન ગ્રીક ફિલોસોફરનાં જીવન, વ્યક્તિત્વ અને વિચારોએ પશ્ચિમની વિચારણા પર બહુ મોટો અને કાયમી પ્રભાવ પાડ્યો છે. આજથી અઢી હજાર વર્ષ પહેલા સોક્રેટિસે જે કર્યું તે આજે પણ ઉદાહરણરૂપ છે. લોકશાહીનું ટોળાશાહીમાં, ઘેટાશાહીમાં, લાંચરૂશ્વતથી ખરડાયેલી મતશાહીમાં પરિવર્તન ન થાય તેને માટે નાગરિકોને તૈયાર કરવા માટે, લોકો પોતાના અધિકારોની સુરક્ષા માટે સક્ષમ કરવા માટે સોક્રેટિસ જીવનભર ઝઝૂમ્યા. 

સોક્રેટિસ – શિક્ષણનો માર્ગ રસ્તો તૈયાર કરી એ ચીંધી દેવાનો નહોતો – સોક્રેટિસનો માર્ગ લોકોના મનમાં પરેશાની જાગે, સવાલો ઊભા થાય, લોકો પોતાની મેળે વિચારતા અને મૂલ્યપરિવર્તન કરતા થાય એ હતો. ગ્રીસની ઊછરતી લોકશાહી માટે એ જેટલું અનિવાર્ય હતું, તેટલું જ આજે જે પ્રકારની લોકશાહી ઊછરી ગઈ છે તેને માટે પણ અનિવાર્ય છે અને એથી એ માટેની કેળવણીની જરૂર પણ આજે એટલી જ છે જેટલી ત્યારે હતી.

આજની યુનિવર્સિટીઓએ, શાળાઓએ, શિક્ષકોએ આ જ કામ કરવાનું છે. છેલ્લા બે દાયકામાં શિક્ષણમાં ‘સોક્રેટિક ક્વેશ્ચનિંગ’ પર બહુ વિચાર થયો છે, કાર્ય પણ થયું છે અને પરિણામો પણ નીપજ્યાં છે. છતાં ઘણુંબધું કરવાનું બાકી છે. નવી શિક્ષણનીતિમાં બાળકની વિચારક્ષમતા અને સમસ્યાઉકેલક્ષમતા પર બહુ ભાર મુકાયો છે અને એકથી વધારે વાર ‘ક્રિટિકલ થિંકિંગ’ શબ્દો વપરાયા છે. ‘સોક્રેટિક ક્વેશ્ચનિંગ’ને તાર્કિક વિચારણા-લૉજિકલ થિંકિંગ-રેશનલ થિંકિંગ-ક્રિટિકલ થિંકિંગ સાથે સીધો સંબંધ છે. 

વેદ, ઉપનિષદથી માંડી બૌદ્ધકાલીન શિલાલેખો ને નાલંદા-તક્ષશિલા વિશ્વવિદ્યાલયો સુધીની આપણી પ્રાચીન શિક્ષણપરંપરા પ્રશ્નમૂલક, જિજ્ઞાસા જગાડતી-સંતોષતી અને ચર્ચાવિચારણા, મત-પ્રતિમત, વાદવિવાદ આધારિત હતી. નચિકેતાના પ્રશ્ન પર આખી વિચારશાખા ઊભી થઈ શકે ને નાસ્તિક એવા ચાર્વાક પણ તેમની તર્કનિપુણતાને લીધે ઋષિ ગણાય એટલી મુક્તતા એમાં હતી. ત્યાર પછી પશ્ચિમની અસર નીચે હોય કે અન્ય પરિબળોને કારણે શિક્ષણ વર્ગખંડોમાં કેદ થયું અને શિક્ષક શીખવે ને વિદ્યાર્થી શીખે એમ વન વે બની ગયું. વિદ્યાર્થીએ પ્રશ્નો પૂછવાની સત્તા ગુમાવી અને વર્ગખંડો પર આજ્ઞાંકિતતાનો પુરસ્કાર કરતી વડીલશાહી સંસ્કૃતિનું સામ્રાજ્ય સ્થપાયું. શિક્ષકને બધાને એક જ લાકડીએ હાંકવાની સુવિધા મળી, પણ વિદ્યાર્થીની મૌલિકતા, સહજસ્ફૂરણા અને નૈસર્ગિક શક્તિનો ભોગ લેવાઈ ગયો. આમ કરીને આપણે શું સિદ્ધ કર્યું એ પ્રશ્ન આપણને ધૂંધળા વર્તમાન અને ભયાનક ભવિષ્યની સામે હતબુદ્ધ ભાવે ઊભા કરી દે છે. 

દરેક જમાનામાં બુદ્ધિશાળીઓ અને બુદ્ધિવાદીઓ બન્ને હોય છે. સોક્રેટિસના સમયમાં આવા બુદ્ધિવાદીઓ સૉફિસ્ટો કહેવાતા. તેમનો પ્રભાવ ઓછો નહોતો. આ સૉફિસ્ટોને શબ્દો વડે, છટાઓ વડે ચાતુરીભરી દલીલો કરતા, લોકોને આકર્ષતા, ભુલાવામાં નાખતા, આંજી નાખતા. સમર્થકોનો સમુદાય એકઠો કરતા એમને આવડતું. એમાંના કેટલાક તો વળી એમની આ કલા ઘણા બધા પૈસા લઈ ઉચ્ચ વર્ગના લોકોને શીખવતા પણ ખરા. સોક્રેટિસ આ બધાને ‘બુદ્ધિની વારાંગનાઓ’ કહેતા. લોકશાહીમાં સૉફિસ્ટોની કમી કદી નથી હોતી, સોક્રેટિસની કમી ખૂબ હોય છે. 

બાળક વહુ વહેલી વયે તાર્કિક વિચારણા કરતું થઈ જાય છે. જરૂર હોય છે તેને દિશા આપવાની, કેળવવાની. જો તેની જિજ્ઞાસા જાગે, સવાલો ઊઠે અને એના જવાબની શોધ એ જાતે જ કરી શકે એવું વાતાવરણ બંધાય તો તો તેને જે શીખવા મળે તે તેની સાથે સહેજે સહેજે જીવનભર રહે. પરીક્ષાઓની જટિલતા અને તેનું ભારણ નીકળી જાય. ભણતર ભાર વગરનું, જીવનલક્ષી અને વધારે અર્થપૂર્ણ બને. તેની મૌલિક બુદ્ધિ ખીલે જે તેને જીવનના તમામ પ્રશ્નોમાં સાચો માર્ગ ચીંધે.

‘આમ શા માટે?’, ‘આના સિવાય બીજું શું વિચારી શકાય?’, ‘આ સાબિતી પૂરતી છે?’, ‘આને બીજી કઈ રીતે જોઈ શકાય?’, ‘તો પછી પરિણામ શું આવશે?’, ‘આ પ્રશ્ન શા માટે પૂછવો જરૂરી છે?’ – આવા પ્રશ્નોથી તાર્કિક વિચારણા ખીલે છે. અર્થપૂર્ણ પ્રશ્નો ઉઠાવવા એ પણ એક કલા છે. એ શીખવી જોઈએ. આખી પ્રક્રિયાની મઝા એ છે કે આવા આવા પ્રશ્નોથી વિદ્યાર્થીઓની તાર્કિક વિચારણા ખીલવતા ખીલવતા શિક્ષક પોતે પણ સતત શીખતો રહે છે. સાચા શિક્ષકમાં આવું સોક્રેટિક એલિમેન્ટ હોય છે, હોવું જોઈએ. 

સોક્રેટિસે કહ્યું છે કે શિક્ષણ એટલે જ્યોત પ્રગટાવવી. ખાલી વાસણ ભરી દેવું એને સોક્રેટિસ શિક્ષણ કહેતા નથી. જ્યારે આપણને પ્રતીતિ થાય કે આપણે જિંદગી વિશે, જાત વિશે ને જગત વિશે કેટલું ઓછું જાણીએ છીએ ત્યારે સાચા જ્ઞાનનું પ્રગટીકરણ થાય છે. જ્ઞાનનો ઉદય અજ્ઞાનની ઓળખથી જ થાય છે. મનને ખાલી કરીને પછી તેને તાર્કિક વિચારણાથી ભરવાનું છે. નિરીક્ષણપરીક્ષણ વિનાનું જીવન નકામું છે, નૈતિકતાથી વધારે અગત્યનું બીજું કંઈ નથી અને સાચા માણસનું કોઈ કંઈ બગાડી શકતું નથી કારણ કે તેને કોઈ ડર, કોઈ અસલામતી હોતાં નથી. તે પોતાની પ્રતિભા બતાવવા પ્રયાસો કરતો હોતો નથી. તેને પદપ્રતિષ્ઠાની પરવા હોતી નથી. તે રાજકીય પ્રભાવ પાડવાની મહત્ત્વાકાંક્ષા સેવતો હોતો નથી. ગરીબી, પીડા કે મૃત્યુ પણ તેના ગુણો પર કોઈ અસર કરી શકતાં નથી. આવા સામર્થ્યપૂર્ણ નાગરિકો જ દેશની સાચી શક્તિ છે અને એમને તૈયાર કરવામાં શિક્ષણ અને શિક્ષકનું યોગદાન સૌથી મોટું છે. 

સોક્રેટિક શિક્ષક વિદ્યાર્થીને તૈયાર ભાણું આપતો નથી. જવાબો આપી દેવાને બદલે તે તેને પ્રશ્નો કરતા શીખવે છે. તેના પૂર્વગ્રહો ઓગાળે છે. તેનામાં ખુલ્લું મન, જિજ્ઞાસા, વસ્તુલક્ષિતા, પૃથક્કરણશક્તિ, તર્ક, સતર્કતા ખીલવે છે. શિક્ષક આવો હોવો જોઈએ. ‘માસ્તર’ નહીં પણ ‘માસ્ટર’. શિક્ષણ પદ્ધતિમાં થતા રહેતા ફેરફારોને પહોંચી વળે, વિદ્યાર્થીઓને તાર્કિક વિચારણાના રસ્તે લઈ જાય અને તેમને જવાબદાર નાગરિકો તરીકે તૈયાર કરે તે માટે શિક્ષક સોક્રેટિસ જેવો જિનિયસ હોવો જોઈએ. આવા શિક્ષકોને મોકળાશથી કામ કરવા મળે તેવી શિક્ષણવ્યવસ્થા ઊભી કરવી ને ટકાવવી એ સરકારની ને સમાજની જવાબદારી છે. 

સોક્રેટિસ કહે છે, ‘સક્ષમ માણસ વિચારો ચર્ચે છે. સામાન્ય માણસ ઘટનાઓ ચર્ચે છે અને નબળો માણસ લોકોની ટીકાઓ કરે છે.’ ‘ધન અને જ્ઞાન આ બેમાંથી જ્ઞાનને પસંદ કરો કેમ કે ધન અનિત્ય છે, જ્ઞાન નિત્ય છે.’ ‘પરિવર્તન કરવા માટે તમામ શક્તિ એકાગ્ર થવી જોઈએ. અને માત્ર જૂનું બદલવું એ પરિવર્તન નથી. પરિવર્તન એટલે નવું સર્જવું.’ ‘દુનિયામાં શુભ એક જ છે, જ્ઞાન. અને અશુભ એક જ છે, અજ્ઞાન.’ ‘જેવું શૈક્ષણિક વાતાવરણ હોય, લોકશાહી તેવી બને છે.

આપણને છટાદાર સોફિસ્ટો જોઈએ છે કે પછી વિચારતા શીખવનાર સોક્રેટિસો – આ પ્રશ્નના જવાબ પર આપણું ભવિષ્ય નિર્ભર છે. 

e.mail : sonalparikh1000@gmail.com
પ્રગટ : ‘રિફ્લેક્શન’ નામે લેખિકાની સાપ્તાહિક કોલમ, “જન્મભૂમિ પ્રવાસી”, 12 ઑક્ટોબર  2025

Loading

બિહારમાં ‘હાર’ એન.ડી.એ.ના ગળામાં …

રવીન્દ્ર પારેખ|Opinion - Opinion|17 November 2025

રવીન્દ્ર પારેખ

વોટ્સએપ પર મહિન્દ્રા XUV500ની એક જાહેરાતમાં બ્લુ કારની જાહેરાત નીચે લખ્યું હતું કે અમારી પાસે કાઁગ્રેસ કરતાં (બિહાર રિઝલ્ટ્સ સંદર્ભે) વધારે સીટ્સ છે. ઈશારો એ હતો કે કાઁગ્રેસને બિહારમાં 6 સીટ્સ મળી એ કરતાં કારમાં વધારે જગ્યા છે. કોણ જાણે કેમ પણ વિપક્ષ તરીકે કાઁગ્રેસ ઉત્તરોત્તર તેનો પ્રભાવ ઘટાડતી જ જાય છે. કમ સે કમ તેનો ચૂંટણીનાં પરિણામો પર તો પ્રભાવ લગભગ ઓસરી જ ગયો છે ને તેનું સીધું કારણ કાઁગ્રેસી નેતાઓ અને કાર્યકરો અંદરોઅંદર છે, એટલા સંપર્કમાં પણ જનતા સાથે નથી. કાઁગ્રેસી નેતાઓ ભા.જ.પ.ને ભાંડે તે સિવાય ચૂંટણીમાં સ્પર્ધાનો મિજાજ ધરાવતા નથી. પોતાનામાં વધુ પડતો વિશ્વાસ રાખી ચૂંટણી સમયે જ કાઁગ્રેસી નેતા રાહુલ ગાંધી વિદેશ પ્રવાસે નીકળી જાય છે ને પરિણામમાં હાર સામે આવે છે તો આત્મનિરીક્ષણ કરવાને બદલે એ જ જૂની રેકર્ડ ઈલેકશન કમિશનની કામગીરીની કે વોટ ચોરીની વગાડ્યા કરે છે. બિહારની ચૂંટણી વખતે રાહુલ ગાંધીએ હાઇડ્રોજન બોમ્બ ફોડ્યો, પણ તેનો અવાજ તેમને પણ સંભળાયો હશે કે કેમ તે ખબર નથી, પણ લોકોમાં તેની કોઈ અસર વર્તાઈ નથી તે પરિણામોએ બતાવ્યું છે. બિહારમાં 6 સીટ મળી એ પછી પણ કાઁગ્રેસ તો એ જ જૂનો રાગ આલાપે છે કે બિહાર ચૂંટણીમાં ગેરરીતિ થઈ છે ને બે સપ્તાહમાં પુરાવાઓ આપીશું. અગાઉ પણ પુરાવાઓની વાત હતી. આ વખતે પણ એ જ છે, પણ પ્રજા પર તેની ધારી અસર વર્તાતી નથી. તેનું એક કારણ જનસંપર્કની ઓછપ અને પ્રજાનો કાઁગ્રેસ પરથી ઊઠતો જતો વિશ્વાસ છે. એમ પણ લાગે છે કે થોડી સીટો મેળવવા સિવાય કાઁગ્રેસને શાસન કરવાની જ લાલચ કદાચ નથી. 60 સીટ પર આ વખતે કાઁગ્રેસે ઉમેદવારો ઊભા રાખ્યા, જે 2020 કરતાં પણ 10 ઓછા છે. ધારો કે તે બધી સીટ પર જીતે તો પણ બિહારમાં તે સત્તા મેળવી શકે એવી તકો જ ક્યાં છે?

એના કરતાં તો પ્રશાંત કિશોરની જનસુરાજ પાર્ટીનું સાહસ જોવા જેવું છે. એ પાર્ટીએ 238 સીટો પર ચૂંટણી લડી. તેમાં એક વાત એ પણ ખરી કે પ્રશાંત કિશોર પોતે રણનીતિના જાણકાર છે અને બિહારના છે. આમ છતાં પ્રશાંત કિશોરે પોતે ઉમેદવારી ન કરી. તેઓ કિંગમેકર બનવા માંગતા હોય તો વાત જુદી છે, પણ માત્ર રણનીતિની જાણકારી ચૂંટણી જીતવા માટે પૂરતી નથી. સંગઠનનો વ્યાપ અને તેની મજબૂતી પણ જરૂરી છે. તેમાં ય બિહાર જેવું રાજ્ય હોય તો મતદારો સુધી પહોંચવું જ પડે. એ બાબત પ્રશાંત કિશોરને નડી ને પોતાનાં જ રાજ્યમાં સમ ખાવા પૂરતી એક પણ સીટ તેમને ના મળી. એમની પાર્ટીને એક પણ સીટ ના મળી તે તો ખરું જ, પણ આ સાહસે આર.જે.ડી. અને કાઁગ્રેસના મહાગઠબંધનના મતો કાપ્યા અને એનો લાભ એન.ડી.એ.ને આપોઆપ જ મળ્યો.

એની સામે ભા.જ.પ.ની ગ્રાઉન્ડ લેવલે પ્રજાના મત મેળવવાની કામગીરી જે રીતે થાય છે તે જોવા જેવી અને અનુકરણીય છે. અહીં કોઈને વખાણવા કે વખોડવાનો ઉપક્રમ નથી જ, પણ ભા.જ.પ. ચૂંટણી જીતવા જે સ્ટ્રેટેજી ગોઠવે છે તે તેની જીતનું કારણ બને છે. કોઈ સ્તરે ગરબડો ત્યાં ય હશે, પણ ચૂંટણી જીતવા વડા પ્રધાન, કેન્દ્રીય ગૃહ મંત્રી, મંત્રીઓ, નેતાઓ, સાંસદો, વિધાનસભ્યોથી માંડીને નાનામાં નાના કાર્યકરો જે મિશનરી સ્પિરિટથી કામે લાગે છે તે જીતનું કારણ બને છે. વિકાસના કામોની સાથોસાથ ચૂંટણીના પ્રચારને ભા.જ.પ. જરા પણ હળવાશથી નથી લેતો. એ સાથે જ બિહારમાં નીતિશકુમારની ચૂંટણી લક્ષી જે કામગીરીઓ થઈ છે, તેણે પણ બિહારમાં એન.ડી.એ.ની સ્થિતિ વધુ મજબૂત કરી છે. બિહારમાં ભા.જ.પે. જે રીતે 89 સીટ મેળવી છે, તેણે બિહારમાં જ, બિહારની જે.ડી.યુ.ને 85 સીટ સાથે બીજા નંબરે મૂકી છે. ભા.જ.પ.ના નેતાઓ સભામાં જે હવા ઊભી કરે છે તે ત્યાં જ અટકી જતી નથી, તેને નાના મોટા કાર્યકરો મતમાં ફેરવવામાં સફળ પણ થાય છે.

એન.ડી.એ. જીતે એવું તો લાગતું જ હતું, પણ તે એક્ઝિટ પોલની ધારણાથી પણ વધુ સીટ – 202 મેળવીને આટલી મોટી જીત મેળવશે તેણે સુખદ આશ્ચર્ય સર્જ્યું છે. જો કે, કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે 200થી વધુ સીટ મળવાની આગાહી કરી હતી. લાલુપ્રસાદ યાદવના પુત્ર તેજસ્વી યાદવને પણ મુખ્ય મંત્રી બનવાના ઓરતા હતા, પણ તેમનું તેજ ઓછું પડ્યું છે. આમ તો બહુમત સિદ્ધ કરવા 243માંથી 122 સીટ જોઈએ તેને બદલે એન.ડી.એ.ને 80 સીટો વધુ મળી છે. તેની સામે મહાગઠબંધન 35માં જ સમેટાઈ ગયું છે. 2020માં એન.ડી.એ.ને મળેલી બેઠકો કરતાં પણ આ વખતે 75 બેઠકો વધુ મળી છે, તો મહાગઠબંધનને લગભગ એટલી જ બેઠકોનું નુકસાન પણ થયું છે. છેલ્લી વખતે જે.ડી.યુ.ને 43 બેઠકો મળેલી, તેને આ વખતે 85 બેઠકો મળી છે. આમ છતાં 89 બેઠકો સાથે ભા.જ.પ. સૌથી મોટા પક્ષ તરીકે બહાર આવ્યો છે તે નોંધવું ઘટે. નીતિશની છાપ પલટુરામની હતી, પણ અત્યાર સુધી એન.ડી.એ. સાથે રહેવાનો લાભ તેમને બિહારમાં મળ્યો છે. વડા.પ્રધાનનો પણ બિહારમાં પ્રભાવ વધ્યો છે ને મતદારોએ જાતિવાદનું ઝેર નકારીને વિકાસમાં વિશ્વાસ મૂક્યો છે.

એન.ડી.એ.ની જીતમાં નીતિશકુમારની મહિલા કેન્દ્રી યોજનાઓનો પણ મોટો ફાળો રહ્યો છે. સામાજિક સુરક્ષા પેન્શનમાં વધારો, સ્ટાઇપેન્ડના લાભો અને મુખ્ય મંત્રી મહિલા રોજગાર યોજનાનો પ્રચાર જે.ડી.યુ. અને એન.ડી.એ.ને પણ ફળ્યો છે. એક કરોડથી વધુ મહિલાઓના ખાતામાં 10.000 જમા થયા એનું પરિણામ એ આવ્યું કે પુરુષો કરતાં 5 લાખ વધુ મહિલાઓએ મતદાન કર્યું. દેખીતું છે કે એ મત મહાગઠબંધનમાં તો નહીં જ પડ્યા હોય. જો કે, જનસુરાજ પાર્ટીના સ્પોકસ્પર્સન પવન વર્માએ એવો આરોપ મૂક્યો છે કે એન.ડી.એ. સરકારે વર્લ્ડ બેન્કના અન્ય પ્રોજેક્ટ માટે આવેલા 14,000 કરોડ ઉપાડીને બિહારની છેલ્લી ચૂંટણીમાં 1.25 કરોડ મહિલાઓના ખાતામાં જમા કર્યા છે.

આવી રેવડીઓ અન્ય પક્ષો દ્વારા પણ અપાઈ છે. મહિલાઓના ખાતામાં મહિને મહિને અમુક રકમ આપવાનું પણ રાજકીય પક્ષો દ્વારા થાય છે, એટલે કોઈને જ એમાં કશું અજુગતું લાગતું નથી. એ પણ સ્પષ્ટ છે કે એનો હેતુ દયાદાન ધરમનો નથી જ. એ દ્વારા હેતુ તો રાજકીય લાભ ખાટવાનો જ છે. વારુ, મતદારો પણ માન-સ્વમાનને વચ્ચે લાવ્યા વગર ખાતામાં પડતી રકમને સ્વીકારી લે છે. આવી મદદ લેવાય કે કેમ, એવો સવાલ પણ ભાગ્યે જ કોઈને થાય છે. મફતનું અનાજ ખવાય, તો આવી રકમ પણ ખવાય જ, એવું મતદારો પણ સમજી ગયા છે. કંઇ પણ કર્યા વગર આમ મફતનું લેવાનો કોઈને જ સંકોચ થતો નથી, એટલે આ બધું પણ હવે કોઠે પડી ગયું છે. 10,000માં એક મત કંઇ મોંઘો ન ગણાય. આ સાર્વત્રિક છે એટલે એનો હરખ શોક પણ કોઈને ન હોય તે સમજી શકાય એવું છે.

ઠીક છે, મહિલાઓને મદદ નીતિશકુમારને મોંઘી નથી પડી ને એ દસમી વખત બિહારના મુખ્ય મંત્રી બને તો નવાઈ નહીં ! જો કે, 17 નવેમ્બરે નીતિશકુમાર રાજ્યપાલને રાજીનામું આપીને નવી સરકારનો દાવો રજૂ કરે એમ બને. બને કે 20મીએ નીતિશકુમાર મુખ્ય મંત્રી તરીકે શપથ લે ને તેમની સાથે બીજા અઢારેક મંત્રીઓ પણ શપથ લે. ડેપ્યુટી સી એ મ તરીકે ભા જ પ ના સમ્રાટ ચૌધરી, રામકૃપાલ યાદવ, મંગલ પાંડે જેવાં નામો પણ ચર્ચામાં છે. આ વખતે ચિરાગ પાસવાનની પાર્ટી એલ જે પી (આર.) પણ સરકારમાં એન્ટ્રી કરવાની વકી છે ને તેમના પણ ત્રણેક મંત્રીઓ સરકારમાં હોઈ શકે છે. એટલું ખરું કે ભા.જ.પ. અને જે.ડી.યુ.ના મંત્રીઓ સરખે હિસ્સે સરકારમાં હશે. એ તો સમય આવ્યે પાકું થશે.

આમાં રાહુલ ગાંધીનો ગેરરીતિનો મુદ્દો સ્વીકારીએ તો પણ, 202 સીટો એન.ડી.એ.ને ગેરરીતિથી જ મળી હોય તે શક્ય નથી. જો બધી જ ગેરરીતિઓ હોય તો કાઁગ્રેસની 6 સીટો પૂરતી તો ગેરરીતિઓ નથી થઈ એ સ્વીકારવું પડે, કારણ માત્ર ગેરરીતિઓ જ હોત તો 6 સીટો પણ ન મળી હોત. ખરેખર તો કાઁગ્રેસે એ વિચારવાની જરૂર છે કે 1995થી 2025 સુધીમાં 95 ચૂંટણી હારવાનું કેમ બન્યું? રાહુલ ગાંધીના આરોપોમાં તથ્ય હોય તો પણ, આટલી વખત ચૂંટણી હારવામાં દરેક વખતે વાંક સામે જ હતો એમ માનવા કરતાં પોતાને પક્ષે તો કોઈ ભૂલ થતી નથીને એ વિચારવાની જરૂર છે. આરોપો સામેનાને નબળો પાડે, પણ તેથી પોતાની નબળાઈ તંદુરસ્તીમાં ન ખપે તે સમજી લેવાનું રહે …

000

e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 17 નવેમ્બર 2025

Loading

પ્રજાએ હવે અસહમતિ અને વિરોધ વચ્ચેની ભેદરેખા પારખવી પડશે

હિતેશ એસ. રાઠોડ|Opinion - Opinion|16 November 2025

હિતેશ રાઠોડ

આજકાલ જ્યાં જુઓ ત્યાં સાવ ક્ષુલ્લક મુદ્દે અમુક ચોક્કસ પક્ષ, વ્યક્તિ, વ્યક્તિ-સમૂહ કે સંસ્થાઓને સરકારના અમુક પગલાં સામેની તેમની અસહમતિને લઈને દેશ-વિરોધી, રાષ્ટ્ર-વિરોધી, ભારત-વિરોધી, સરકાર-વિરોધી, સેના-વિરોધી અને જન-વિરોધી ચિતરી પ્રજામાનસમાં એમની છબીને ઈરાદાપૂર્વક મલિન કરવાનું અભિયાન ચાલી રહ્યું હોય એમ લાગે છે. ઘણી વાર તો તદ્દન વાહિયાત મુદ્દે પણ કોઈ લક્ષિત પક્ષ, વ્યક્તિ, વ્યક્તિ-સમૂહ કે સંસ્થાઓ માટે દેશ-વિરોધી, રાષ્ટ્ર-વિરોધી, ભારત-વિરોધી, સરકાર-વિરોધી, સેના-વિરોધી વગેરે જેવા વિશેષણોનો ઈરાદાપૂર્વક મારો ચલાવવામાં આવે છે. આમ કરવા પાછળ આસુરી શક્તિના છદ્મ વેશમાં કહેવાતા દેશભક્તો કે રાષ્ટ્રપ્રેમીઓનો આશય જે તે વ્યક્તિ કે સંસ્થાની નિષ્ઠા, પ્રમાણિકતા અને સ્વચ્છ છબીને લોકોની નજરે દૂષિત કે કલંકિત કરી પોતાની અથવા જેમના માટે તેઓ આ કૃત્ય કરે છે એમની મેલી મુરાદ બર લાવવાનો હોય છે. આસુરી શક્તિના આવા દુષ્પ્રચારી કૃત્યો સામે સરકારનું મૌન અને સહેતુક નિષ્ક્રિયતા એ સરકારની એમાં મૂક સંમતિ દર્શાવે છે. સરકાર કે સરકારમાં સામેલ અન્ય કોઈ પક્ષ કે વ્યક્તિને લગતી કોઈપણ બાબતમાં જરાક જેટલી અસહમતિને પણ સરકારનો વિરોધ માની લઈ જોરશોરથી એવો પ્રચાર કરવામાં આવે છે કે અમુક પક્ષ, વ્યક્તિ, વ્યક્તિ-સમૂહ કે સંસ્થા દેશ વિરોધી છે અને દેશહિત વિરુદ્ધના કાર્યો કરે છે, આવા લોકો પર યેનકેન પ્રકારેણ દેશદ્રોહીનું લેબલ લગાવી પ્રજામાનસમાં એમના વિરુદ્ધ ઝેર ભરવાની વિધ્વંશક પ્રવૃત્તિ પૂરજોશમાં ચાલી રહી છે. 

લોકશાહીમાં લોકો અને લોકોનો અવાજ સર્વોપરી છે, પછી એ અવાજ અસહમતિ કે આક્રોશનો કેમ નથી. ઘણી વાર વિરોધ વ્યક્ત કરવાની રીત કદાચ અયોગ્ય હોય તો પણ એ વિરોધમાં રહેલ સચ્ચાઈના સૂરને દબાવી શકાય નહીં. સરકારોને ચૂંટીને મોકલનારા લોકો હોય છે એટલે સરકાર સાથે અસહમત થવાનો એમને હક છે, એમાં સરકારના વિરોધી હોવાનો પ્રશ્ન જ ઊભો થતો નથી. વસ્તુત: કોઈ ચોક્કસ હેતુ સાથે સમાજમાં વૈમનસ્ય ફેલાવનારા, સમાજસેવાનો અંચળો ઓઢી ફરતા અને રાજકીય પક્ષોનો હાથો બની ફરતા દૂષિત તત્ત્વોને ખુદને જ વિરોધ અને અસહમતિ વચ્ચેના ભેદની ખબર હોતી નથી, એટલે કોઈની વ્યાજબી અસહમતિને પણ વિરોધના વાઘા પહેરાવી લોકોને ગેરમાર્ગે દોરી સમાજમાં વિખવાદની આગ લગાડી એમાં પોતાના સ્વાર્થનો રોટલો શેકી લેતા હોય છે. વાસ્તવમાં તેમની આવી ખંડનાત્મક પ્રવૃત્તિમાં કોઈ દેશહિત હોતું જ નથી, જે હિત હોય છે એ એમનું પોતાનું વ્યક્તિગત હોય છે. આવા ફસાદી તત્ત્વો દ્વારા સમાજમાં ચારેકોર નર્યાં જૂઠાણાં અને ભ્રામક વાતોનો એટલો મારો ચલાવવામાં આવી રહ્યો છે કે સાચા-ખોટાનો ભેદ પારખવાનું લોકો માટે મુશ્કેલ બન્યું છે. આવા સંજોગોમાં લોકોએ હવે આવા લેભાગુ, તકસાધુ અસામાજિક તત્ત્વોને ઓળખવા પડશે. કોઈની પણ વાતો પર આંધળો વિશ્વાસ મૂકતા પહેલા પોતાની સાદી સમજ અને સ્વ-વિવેકનો ઉપયોગ કરી તથ્યો અને હકીકતોને આધારે સત્ય અને અસત્યને અલગ પાડતા શીખવું પડશે, અને તો જ સાચા-ખોટા વચ્ચેનો ભેદ પારખી શકાશે. 

પરિવારની ઘરેલું બાબતોમાં ઘરના વડાએ લીધેલ અમુક નિર્ણયમાં પરિવારનો કોઈ સભ્ય અસહમતિ દર્શાવે તો એનો અર્થ એવો જરા ય નથી થતો કે એ વ્યક્તિ પરિવારના વડાની કે પરિવારની વિરોધી છે. ઘરના વડાએ લીધેલ અમુક નિર્ણયોના કારણે પરિવારમાં એવી ઘણી બાબતો આકાર લેતી હોય છે જેમાં પરિવારના કોઈ સભ્ય સંમત ન પણ હોય. આવા સંજોગોમાં એ સભ્ય ઘરના વડા કે પરિવારનો વિરોધી છે એવું અર્થઘટન વાહિયાત છે. સમાજના પ્રાથમિક એકમ એવા પરિવારમાં પણ પરિવારના સભ્યને પણ એટલી સ્વતંત્રતા તો છે જ કે પરિવારની અમુક બાબતોમાં તે અસહમતિ દર્શાવી શકે, ત્યારે સરકારના કોઈ પગલાં કે નિર્ણય વિશે અસહમતિ દર્શાવવી એટલે સરકારના વિરોધી હોવું એ તર્કહીન, વાહિયાત અને સગવડિયું અર્થઘટન છે. પારિવારિક બાબતોનું સંચાલન કરતી વખતે પરિવારના વડાએ જેમ ઘરના અમુક સભ્યોની અસહમતિને ધ્યાને લેવાની હોય છે એમ દેશનો વહીવટ ચલાવતી સરકારે બધી બાબતોમાં પોતાની મનમાની કરવાને બદલે દેશના અદના નાગરિકનો અવાજ પણ કાને ધરવો જોઈએ, પછી ભલે એ અવાજ અસહમતિ અને વિરોધનો કેમ નથી. વળી, સરકાર એ દેશ કે રાષ્ટ્રનો એક ભાગ છે તે સ્વયં દેશ કે રાષ્ટ્ર નથી. દેશની એકેક વ્યક્તિ, સમુદાય, સમાજ, એકમ, સંસ્થાઓ, સંગઠનો, વ્યવસ્થાઓ, તંત્રો અને સંસાધનો વગેરેથી એક દેશ કે રાષ્ટ્ર બને છે. આમાં પાંચ-પાંચ વર્ષે આવ-જા કરતી એવી સરકારનાં કોઈ પગલાં કે કાર્ય સાથે અસહમતિ દાખવવી એ દેશ કે રાષ્ટ્રનો વિરોધ કોઈ કાળે નથી જ નથી. સરકારના નિર્ણય કે પગલાં સાથે અસહમતિ એ સરકાર સાથે અસહમતિ છે, એમાં દેશનો, રાષ્ટ્રનો કે કોઈ વ્યક્તિનો વિરોધ જરા ય નથી. સરકાર પ્રજાથી, પ્રજા માટે અને પ્રજા વતી ચૂંટાય છે. સરકાર કામચલાઉ છે, પ્રજા કાયમી છે. સત્તાધિશોએ એક વાત સમજી લેવી પડશે કે પ્રજાએ એમને પાંચ વર્ષ માટે શાસન ચલાવવા મોકલ્યા છે, કંઈ હમેશ માટે શાસન લખી નથી આપ્યું. સરકાર જે કાંઈ કરે એ બધું સાચું, કાયદેસર, બંધારણીય અને લોકહિતમાં જ હોય એમ માની લેવાને કોઈ કારણ નથી. પ્રજાની સાચી વાત કે અસહમતિને જો અન્યથા લેવામાં આવશે તો પ્રજાના પ્રતિકારનો સામનો કરવાની તૈયારી સત્તાએ રાખવી પડશે.

લોકશાહી શાસનપ્રણાલિનું સૌથી મજબૂત પાસુ હોય તો એ વિરોધ છે. જો કોઈ વિરોધ જ ન હોય તો શાસન કરવામાં વળી શાણપણ કેવું! સાચો શાસક એ છે જે વિરોધીઓને પણ પોતાની સાથે લઈને ચાલે. વિરોધ અને વિરોધીઓનો ડર એ નબળા શાસકની નિશાની છે. દરિયો ખેડતા નાવિકે દરિયામાં કોઈ મોજું એની સામે ન આવવું જોઈએ એમ માનવું એ એની બાલિશતા છે. વિરોધ હોય તો પણ વિરોધથી ડર્યા વિના વિરોધનું સમાધાન કરવાનું કૌવત પણ સરકારે દાખવવું જોઈએ. પોતાના પક્ષીય હેતુઓથી પોતાને અલગ કરી પ્રજાહિત અને લોક-કલ્યાણની દિશામાં કામ કરતી સરકારો જ સાચા અર્થમાં પ્રજાપ્રિય થઈ શકે છે અને લાંબા ગાળા સુધી પોતાનું અસ્તિત્વ ટકાવી રાખી શકે છે.

ભારત એક બિનસાંપ્રદાયિક દેશ છે જેમાં તમામ વ્યક્તિ, સંપ્રદાય અને ધર્મને સમાન મહત્ત્વ આપવામાં આવ્યું છે. અહીં દરેક વ્યક્તિનો સૂર એકસરખું મહત્ત્વ ધરાવે છે, કોઈના પણ સૂરને અવગણી શકાય નહિ, પછી એ સૂર સંમતિનો હોય કે અસંમતિનો. અમુક મુદ્દા પર હું કોઈની સાથે અસહમત છું તો એનો અર્થ એ જરા ય નથી કે હું એમનો વિરોધી છું. અસહમતિને વિરોધમાં ખપાવવાની પ્રવૃત્તિ પાછળ વાસ્તવમાં સત્યને દબાવવાની મંશા છે. અસહમતિને વિરોધના વાઘા પહેરાવી સત્યને બિહામણું દેખાડવાની વૃત્તિ એ વાસ્ત્વમાં સત્ય સામેનો ડર છે.

સરગાસણ, ગાંધીનગર
e.mail : h79.hitesh@gmail.com

Loading

...102030...102103104105...110120130...

Search by

Opinion

  • મારે મોગલ ને ફુલાય પિંજારા 
  • અસત્યના પ્રયોગો  
  • દલિત આંદોલનની દિશા કેવળ અનામત-એટ્રોસિટીમાં ઇતિ નથી
  • અમેરિકી શ્યામવર્ણી લોકો પર વંશીય ભેદને લીધે સ્વિમિંગની મનાઈ!
  • સ્વરાજથી સમતા સુધી : એક જ સંઘર્ષના અનેક આયામો

Diaspora

  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા
  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ

Gandhiana

  • માનવતાવાદી ત્રિપુટીને સ્મરણાંજલિ 
  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …

Poetry

  • કવિ
  • ગઝલ
  • ગઝલ
  • કોઈ અપાવે જો એ બાળપણ પાછું …
  • પન્નાને, વેલન્ટાઈન ડે, ફેબ્રુઆરી 14, 2026 ~ સોનેટ ~ નટવર ગાંધી

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved