Opinion Magazine
Number of visits: 9458165
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓમાં  સામાજિક ભેદભાવ

ચંદુ મહેરિયા|Opinion - Opinion|29 April 2023

ચંદુ મહેરિયા

છેલ્લાં પચીસ વરસોમાં દેશમાં આશરે બે લાખ વિદ્યાર્થીઓએ આત્મહત્યા કરી છે. પાછલાં પાંચેક વરસોથી તેમાં સતત વધારો થઈ રહ્યો છે. ૨૦૧૭માં ૯,૯૦૫ વિદ્યાર્થીઓની આત્મહત્યા ૨૦૨૧માં વધીને ૧૦,૭૩૨ થઈ હતી. નેશનલ ક્રાઈમ રેકોર્ડ બ્યૂરોના આંકડા પ્રમાણે ૨૦૨૧માં કુલ ૧.૬૪ લાખ આત્મહત્યામાં વિદ્યાર્થીઓની  આત્મહત્યાનું પ્રમાણ આઠ ટકા હતું. રાજસ્થાનનું કોટા મેડિકલ-એન્જિનિયરીંગની પ્રવેશ પરીક્ષાના કોંચિંગ સેન્ટર તરીકે જાણીતું છે. આખા દેશના વિધાર્થીઓ ત્યાં કોચિંગ માટે જાય છે. છેલ્લા દાયકામાં કોટા કોચિંગ સેન્ટરના ૧૨૧ અને છેલ્લા તેર મહિનામાં ૨૨ વિદ્યાર્થીઓ આત્મહત્યા કરી છે. દેશમાં પ્રાયમરીથી હાયર એજ્યુકેશન મેળવતાં છોકરા-છોકરીઓ આત્મહત્યા કરે છે. આપઘાત કરનારા છોકરાઓની ટકાવારી ૫૬.૫૧ અને છોકરીઓની ૪૩.૪૯ ટકા છે. આ આંકડાઓ પરથી છાત્રોની આત્મહત્યામાં થયેલી વૃદ્ધિ અને તેની ગંભીરતાનો અંદાજ આવી શકે છે. વિદ્યાર્થીઓની આત્મહત્યાનાં મુખ્ય કારણોમાં ભણતરનું દબાણ, માબાપ અને અન્યોની મોટી અપેક્ષાઓ, માનસિક તણાવ, ઘર-કુટુંબથી દૂર રહેવાના કારણે સાલતી એકલતા તથા પરીક્ષામાં નાપાસ થવું કે નાપાસ થવાની શક્યતા છે.

વિદ્યાર્થીઓની આત્મહત્યાના સવાલ સાથે ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓમાં અભ્યાસ કરતા સમાજના વંચિત વર્ગના વિદ્યાર્થીઓની આત્મહત્યાઓને પણ તપાસવા જેવી છે. લોકસભા પ્રશ્નના જવાબમાં મળેલી માહિતી મુજબ આઈ.આઈ.ટી., આઈ.આઈ.એમ. અને અન્ય ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓમાં ૨૦૧૪થી ૨૦૨૧ના આઠ વરસોમાં ૧૨૨ વિદ્યાર્થીઓએ આત્મહત્યા કરી હતી. તેમાં વંચિત કે અનામત વર્ગના ૭૧ અને કથિત ઉચ્ચ જ્ઞાતિ કે સામાન્ય વર્ગના ૫૧ વિદ્યાર્થીઓ હતા. સામાન્ય રીતે પ્રિન્ટ અને ઈલેક્ટોનિક મીડિયાના સમાચારોમાં હત્યા અને આત્મહત્યાના સમાચારોની ભરમાર હોય છે. પરંતુ દલિત, આદિવાસી, પછાત અને લઘુમતી વિદ્યાર્થીઓની આત્મહત્યાની ભાગ્યે જ નોંધ લેવાતી હોય છે. ૨૦૧૬ની હૈદરાબાદ યુનિવર્સિટીના પીએચ.ડી.ના દલિત વિદ્યાર્થી રોહિત વેમુલા, ૨૦૧૯માં મુંબઈની નાયર હોસ્પિટલના પી.જી. મેડિકલનાં આદિવાસી છાત્રા પાયલ તડવી અને તાજેતરમાં અમદાવાદના આઈ.આઈ.ટી. મુંબઈના ફસ્ટ યર બી.ટેકના દલિત સ્ટુડન્ટ દર્શન સોલંકીની આત્મહત્યાની ઘટનાઓ તેમાં અપવાદ છે. આ ઘટનાઓએ ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓમાં પ્રવર્તતા સામાજિક ભેદભાવને ઉજાગર કરી વ્યાપક ઊહાપોહ જગવ્યો છે.

ભારતીયોના મન-મસ્તિષ્કમાં જ્ઞાતિનાં મૂળ બહુ ઊંડાં છે. સાવ અજાણી વ્યક્તિની આકસ્મિક ટૂંકી મુલાકાત કે પ્રવાસમાં પણ જ્ઞાતિ જાણવાની તેને ઉત્સુકતા રહે છે. અગાઉ, તમે કેવા? કે તમારું દૂધ કયું ? એવું સીધેસીધું પૂછી લેવાતું, પછીના વખતમાં વ્યક્તિની અટક પૂછાતી થઈ હતી. હવે સમાજની પ્રગતિ સાથે જ્ઞાતિ જાણવાની રીત પણ બદલાઈ છે. નમૂના દાખલ, દલિત પરિવારની પહેલી પેઢીના, અઢાર જ વરસના, ઉચ્ચ શિક્ષણ લગી પહોંચેલા, દર્શન સોલંકીને આઈ.આઈ.ટી. મુંબઈના તેના બિનઅનામત વર્ગના રૂમ મેટે (શું કહીશું સહઆવાસી?) જે.ઈ.ઈ.નો રેન્ક પૂછીને તેની જ્ઞાતિ જાણવા ચાહી. દર્શનના નીચા જે.ઈ.ઈ. રેન્ક પરથી તેને તે કથિત નીચલા વર્ણનો અને અનામત વર્ગનો હોવાની ખાતરી થતાં જ તેનું દર્શન પ્રત્યેનું વલણ બદલાયું. જે દર્શનને આત્મહત્યા સુધી લઈ ગયું.

ડો. બાબાસાહેબ આંબેડકરના ત્રિમંત્ર શિક્ષણ, સંઘર્ષ અને સંગઠનમાં શિક્ષણ પ્રથમ સ્થાને છે. બંધારણે તમામ નાગરિકોને સમાનતાનો મૂળભૂત અધિકાર આપ્યો છે. પરંતુ ભારતની ઉચ્ચ શિક્ષણની સંસ્થાઓમાં અસમાનતા, જ્ઞાતિભેદ અને અસહિષ્ણુતા પ્રવર્તતે છે. આ શિક્ષણ સંસ્થાઓનો માહોલ દલિતા વિદ્યાર્થીઓ માટે અસમરસ એટલો જ અસંવેદનશીલ છે. અનામત કે ગુણવત્તાના ધોરણે પ્રવેશ મેળવતા દલિત-આદિવાસી વિદ્યાર્થીઓ અને અન્યો વચ્ચેની ભિન્ન સામાજિક પૃષ્ઠભૂમિ, રહેણીકરણી, ભાષા, ઉચ્ચારણ, પહેરવેશ અને ગ્રામીણ-શહેરી રીતભાતના તફાવતો તથા તેને બળ આપતું  શિક્ષણ સંસ્થાનું વાતાવરણ,  ભેદભાવની દીવાલને મજબૂત કરે છે.

અમેરિકાની ઈકવાલિટી લેબના સર્વેનું તારણ હતું કે ભારતના દર ત્રણમાંથી એક દલિત વિદ્યાર્થીને ભેદભાવનો ભોગ બનવું પડ્યું છે. ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી, બોમ્બેના એસ.સી. એસ.ટી. સ્ટુડન્ટ સેલના ફેબ્રુઆરી ૨૦૨૨ના સર્વેમાં જાણવા મળ્યું હતું કે  ૬૩.૨ ટકા દલિત-આદિવાસી વિદ્યાર્થીઓ તેમની જ્ઞાતિ અંગે સહજભાવે વાત કરી શકતા નથી. ૩૭ ટકાને તેમના સહાધ્યાયી કે સહઆવાસીએ પ્રવેશ પરીક્ષાના રેન્ક થકી જ્ઞાતિ જાણવાનો પ્રયાસ કર્યો હતો. ૩૩.૮ ટકાનો મત હતો કે તેમણે ખૂલીને જ્ઞાતિ અંગેની જાણકારી નજીકના મિત્રોને જ આપી હતી. ૭.૨ ટકા જાહેરમાં જ્ઞાતિની વાત કરતાં ડરતા હતા. ૨૧.૬ ટકાનું કહેવું હતું કે ભેદભાવની ફરિયાદ કરવાથી વિદ્યાર્થીઓ અને અધ્યાપકોની વિપરીત પ્રતિક્રિયાની ભીતિ હતી. આ સર્વે આઈ.આઈ.ટી., બોમ્બે દલિત આદિવાસી વિધ્યાર્થીઓ માટે અસલામત અને અસંવેદનશીલ હોવાનું ગંભીરતાથી જણાવે છે.

મિત્રતા કે બંધુત્વની ભાવનાના અભાવને કારણે વંચિત સમાજના વિદ્યાર્થીઓની ન માત્ર ઉપેક્ષા પણ હેરાનગતિના અનેક દાખલા બન્યા છે. અંગ્રેજી કડકડાટ ના બોલી શકતા હોવાથી દલિત-આદિવાસી વિદ્યાર્થીઓની ઠેકડી ઉડાડવામાં આવે છે. અધ્યાપકો તેમને વારંવાર નાપાસ કરે છે. તેમના સંશોધન કે શોધનિબંધોને હળવાશથી લે છે. તેને તપાસવામાં અસહ્ય વિલંબ કરે છે. માનસિક તાણમાં રહેતા વિદ્યાર્થી પ્રત્યે કોઈ સહાનુભૂતિ દર્શાવાતી નથી. રાજધાની દિલ્હીની એઈમ્સમાં પણ દલિત વિદ્યાર્થીઓ પ્રત્યે ભેદભાવ રાખવામાં આવતો હોવાનું અને તે માટે મેનેજમેન્ટ જવાબદાર હોવાનું યુ.જી.સી.ના તત્કાલીન અધ્યક્ષ ડો. સુખદેવ થોરાટના વડપણ હેઠળની સમિતિનું તારણ હતું. બી.જે.પી. સાંસદ ડો. કિરીટ સોલંકી જેના અધ્યક્ષ છે તે અનુ. જાતિ, જનજાતિ ક્લ્યાણ અંગેની સંસદીય સમિતિએ ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓમાં ભેદભાવ હોવાનું જણાવ્યું છે. જો કે દર્શન સોલંકીની આત્મહત્યા પછી તરત જ  આઈ.આઈ.ટી., બોમ્બેએ સામાજિક ભેદભાવનો સાફ ઈન્કાર કર્યો હતો.

આખરે આ સમસ્યાનો ઉકેલ શું ? સામાજિક ભેદભાવની જડ જ્ઞાતિ છે. એટલે જ્ઞાતિ નિર્મૂલન જ ઉકેલ છે. પણ તે દિશાના પ્રયાસો બહુ પાંખા છે. આઈ.આઈ.ટી., ખડગપુરને રોજ સાંજે એક કલાક વીજળી બંધ રાખીને વિદ્યાર્થીઓ મોબાઈલ કે ઈન્ટરનેટના ઉપયોગને બદલે પરસ્પર મિત્રતા કેળવતા થાય તેવો ઉપાય સૂઝ્યો છે. કેરળના કોટ્ટાયમની દલિત વિદ્યાર્થિની દીપા મોહનન મહાત્મા ગાંધી યુનિવર્સિટીમાં નેનોમેડિસિનમાં રિસર્ચ સ્ટુડન્ટ હતાં. તેમની સાથે તેમના ગાઈડ, અન્ય સ્ટાફ ભારે સામાજિક ભેદભાવ આચરતા હતા. તેથી તંગ આવી આત્મહત્યા કરવા કે અભ્યાસ છોડી દેવાને બદલે ૨૦૨૧માં તેમણે ગાંધીના માર્ગે લડત આદરી. દીપાના આમરણ અનશનના અગિયારમા દિવસે યુનિવર્સિટીને જવાબદાર અધ્યાપકની હકાલપટી કરવી પડી હતી. આ દિવસોમાં મહાત્મા ગાંધી હિંદી મહાવિદ્યાલય, વર્ધાનો દલિત વિદ્યાર્થી રજનીશ કુમાર અંબેડકર પણ તેના પીએચ.ડી. થીસિસના મૂલ્યાંકનની માંગ સાથે ધરણારત છે.

દલિત વિદ્યાર્થીઓ માટે ભારતના વિદ્યાધામો ભેદભાવ, પક્ષપાત અને યાતનાગૃહો અને તેની સામેના તેમના સંઘર્ષના ધામો બની રહ્યા છે. અમેરિકાની હાર્વર્ડ યુનિવર્સિટીની નોન ડીસ્ક્રિમિનેશન પોલિસીમાં તેર પ્રકારના ભેદભાવ સામેલ છે. દર્શન સોલંકીની આત્મહત્યા અને તેના પ્રતિરોધના દિવસોમાં હાર્વર્ડે ચૌદમા ભેદભાવ રૂપે કાસ્ટ કે જ્ઞાતિને સામેલ કરી છે. પણ હાર્ડ વર્કનું ભારત હાર્વર્ડને શાનું અનુસરે ?

e.mail : maheriyachandu@gmail.com

Loading

કુદરત તો બધા ધર્મો માટે સરખી છે; સેક્યુલર છે !

રમેશ સવાણી|Opinion - Opinion|29 April 2023

4 ડિસેમ્બર 2022ના રોજ ન્યૂજર્સીથી રવાના થયો ત્યારે સમગ્ર વૃક્ષો નગ્ન હતાં. કાળાંકાળાં, જાણે સુકાઈને ઊભાં રહી ગયાં હોય ! પાનખર / પતઝડ / ફોલમાં આ દૃશ્ય જોવા મળે. પોષ કે માઘ મહિનાની આપણી ભારતીય પાનખર અને સપ્ટેમ્બર / ઓક્ટોબરમાં અમેરિકા / યુરોપમાં શરૂ થતી ‘ફોલ’ની ઋતુ ઘણી ભિન્ન છે. પાન ખર્યાં પહેલાં આપણાં વૃક્ષો ઝાંખો પીળો રંગ ધારણ કરે છે, તેમાં બહુ શોભા હોતી નથી, પરંતુ ‘ફોલ’ શરૂ થતાં અમેરિકાની વનરાજીનું ભવ્ય નગ્ન રૂપ અચંબિત કરી મૂકે છે ! આપણે ત્યાં પાનખરની સાથોસાથ, વસંત બેસી જાય. તેથી માઘ મહિનાની પહેલી પંચમીને વસંતપંચમી નામ આપ્યું છે. અમેરિકામાં નવેમ્બર / ડિસેમ્બર /જાન્યુઆરી / ફેબ્રુઆરી / માર્ચ સુધી સઘળાં વૃક્ષો યોગ પોઝિશન ધારણ કરી લે છે. બરફ પડે તો પણ વિચલિત ન થાય ! હા, વાયરામાં વૃક્ષો મીઠાં અવાજો કરે ! પક્ષીઓ દૂર જતાં રહે. વ્યંગ્યમાં ફોલ એટલે પતન. ફોલ ઓફ મેન. મિલ્ટનના ‘પેરેડાઈઝ લૉસ્ટ’નો વિષય.

14 માર્ચ 2023ના રોજ ન્યૂજર્સી પરત આવ્યો, ત્યારે આ કાળાં વૃક્ષો થોડાં ઓછાં કાળાં દેખાતાં હતાં. થોડા દિવસોમાં થોડી ભૂરાશ આવી હતી. અહીં કુદરતનો ખેલ જૂઓ, પાનખર બાદ સૌ પ્રથમ વૃક્ષોમાં ફૂલો આવે છે, પછી પાંદડાં આવે ! જાણે ફૂલો પાંદડાંનાં સ્વાગત માટે જ ખિલતા હોય એવું લાગે ! કેટલાંક ઉતાવળિયાં વૃક્ષો એપ્રિલ આવતા જ જુદાજુદા રંગ ધારણ કરવા લાગે. પારસીપેની, ન્યૂજર્સીમાં મારા નિવાસસ્થાન સામે એક વૃક્ષ છે. એ વૃક્ષનું નામ શું છે, એની ખબર નથી. 11 એપ્રિલ 2023ના રોજ એ વૃક્ષનાં ફૂલોએ મને ફોટો પાડવા વિવશ કરી મૂક્યો ! પવનની લહેરખીઓમાં એ નાચતા હતાં ! હસતાં હતાં ! કુદરતની લીલા તો જૂઓ ! સૃષ્ટિમાં કેટલાં છોડ, કેટલાં વૃક્ષો; એ બધાંનાં ફૂલો અલગ અલગ ! કેટલાંક સુંગંધિત તો કેટલાંક મનમોહક ! ફૂલો પછી પક્ષીઓ પણ દેખાવાં લાગ્યાં છે.

કુદરતે વનરાજી બનાવી / ફૂલછોડ બનાવ્યા; એમાં સુંદરતા ભરવા ફૂલો બનાવ્યાં, વંશવૃદ્ધિ માટે ફળો બનાવ્યાં ! ફૂલની લાક્ષણિકતા એ છે કે તે મનમોહક હોય છે, સાથે કોમળ પણ ! ફૂલો એટલે કુદરતનો આનંદ, તેનો શ્રૃંગાર, તેનું મધુર હાસ્ય ! શ્રદ્ધાળુઓ કહેશે કે આ તો ઈશ્વરની લીલા છે ! વૈજ્ઞાનિકો કહે છે કે આ બધી રચના કરનાર ઈશ્વર નહીં, કુદરત છે. કેમ કે દરેક ધર્મ કુદરત પાસે લાચાર છે ! કુદરત તો બધા ધર્મો માટે સરખી છે; સેક્યુલર છે !

સૌજન્ય : રમેશભાઈ સવાણીની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

વિન્સેન્ટ વાન ગૉગ : ચિત્રકલાનો અજંપ મજનૂ 

સોનલ પરીખ|Opinion - Opinion|28 April 2023

કલા અને પ્રેમ જેટલાં અમૃતમય છે તેટલાં જ વિષમય પણ છે. કલાની સાધનામાં અસ્તિત્વને ઓગાળી નાખનાર અને ખળભળાવી મૂકે તેવી તીવ્રતાથી જીવનાર – મરી જનાર કલાકારોને જો કલાના મજનૂઓ કહી શકાય તો વિન્સેન્ટ વાન ગૉગ કલાનો એવો જ એક મજનૂ – દીવાનો હતો. વિન્સેન્ટ વાન ગૉગની અદ્દભુત કલા – જીવલેણ સંઘર્ષ, એના વિશે લખાયેલા અરવિન્ગ સ્ટોનના પુસ્તક ‘લસ્ટ ફૉર લાઈફ’ અને વિનોદ મેઘાણીએ કરેલા એના અનુવાદ ‘સળગતાં સૂરજમુખી’માંથી જરા પસાર થવું છે?  

કલા અને પ્રેમ જેટલાં અમૃતમય છે તેટલાં જ વિષમય પણ છે. કલાની સાધનામાં અસ્તિત્વને ઓગાળી નાખનાર અને ખળભળાવી મૂકે તેવી તીવ્રતાથી જીવનાર – મરી જનાર કલાકારોને જો કલાના મજનૂઓ કહી શકાય તો વિન્સેન્ટ વાન ગૉગ કલાનો એવો જ એક મજનૂ – દીવાનો હતો. કોઈ પુસ્તક વાંચીને ઊંઘ હરામ થઈ જાય એવું હવે બહુ ઓછું બને છે. એમાં મારી પોતાની ઘટતી જતી મુગ્ધતા જવાબદાર હોઈ શકે, પણ વિનોદ મેઘાણી રચિત વિન્સેન્ટ વાન ગૉગની જીવનકથા ‘સળગતાં સૂરજમુખી’ વાંચીને મારી રાતની ઊંઘ અને દિવસનું ચેન હરામ થઈ ગયાં હતાં – સાથે એક અજબ સુખનો પણ અનુભવ થયો હતો. પછી અરવિન્ગ સ્ટોનનું મૂળ પુસ્તક ‘લસ્ટ ફૉર લાઈફ’ પણ વાંચવા મળ્યું. ‘લસ્ટ’ અને ‘સળગતાં’ આ બન્ને શબ્દો અનેક અર્થ વ્યંજિત કરે છે.

30 માર્ચે વિન્સેન્ટ વાન ગૉગનો જન્મદિન છે એટલે મારા જેવાં બીજાં થોડાંકને પણ એ અજબ અજંપ સુખ આપવાનું મન થયું.

વિન્સેન્ટ વાન ગૉગ એટલે એક આખી સદીની કલા જેના વડે દોરાઈ હતી તે ડચ મૂળનો ઈમ્પ્રેશનિસ્ટ પેઈન્ટર. ગહન પ્રામાણિક સંવેદના, ઘેરા રંગો અને વાસ્તવનું ખરબચડું સૌંદર્ય ધરાવતાં 2,000થી વધુ ચિત્રો તેણે સર્જ્યાં હતાં. સ્ટીલ લાઈફની તેની પ્રસિદ્ધ ચિત્રશ્રેણી ‘સનફ્લાવર્સ’ અને અન્ય ચિત્રો આજે તો જગવિખ્યાત છે, પ્રખ્યાત ગેલેરીઓને શોભાવે છે અને લાખો-કરોડોના ભાવે વેચાય છે પણ તેની જિંદગી અદમ્ય, સળગતી અને સળગાવી મૂકતી સર્જકતા અને ઘોર ઉપેક્ષા વચ્ચે ભીંસાતાં જ વીતી હતી અને તેના જીવનકાળ દરમ્યાન તેનું એક જ ચિત્ર વેચાયું હતું.

આર્થિક ભીંસ વચ્ચે જીવતો વિન્સેન્ટ, લંડનની તેની મકાનમાલિકણની પુત્રી પ્રત્યેના એકપક્ષી પ્રેમની નિષ્ફળતાથી ભાંગી પડે છે અને પાદરી પિતા પાસે પાછો ફરે છે અને પોતાની જિંદગીની શોધમાં નીકળે છે ત્યાંથી શરૂ થતી આ કથા હૃદય હલાવી નાખે તેવી યાતના અને ઉપલબ્ધિના ઘેરા-આછા રંગોથી આરક્ત અને ઘણી ટૂંકી છતાં અનંત અથાક પરિશ્રમથી ભરેલી છે.

વિન્સેન્ટના પિતા પુત્રને પણ પાદરી બનાવવા ઈચ્છે છે. વિન્સેન્ટ ઉપદેશક તરીકે કોલસાની ખાણમાં કામ કરતા લોકો વચ્ચે જાય છે. ગરીબ, કંગાળ, મેલાઘેલા લોકો વચ્ચે સ્વચ્છ કપડાં પહેરી, સગવડવાળા મકાનમાં રહી ઈસુનો ઉપદેશ આપવાનું એને બહુ અજુગતું ને શરમભર્યું લાગે છે એટલે એ ત્યાંના મજૂરો જેવું જીવન જીવવા માંડે છે. ચર્ચ તેને બરતરફ કરે છે. પોતાની સાચી વિશ્રાંતિ રંગ અને રેખાઓમાં છે તેનો ખ્યાલ તેને આવતો જાય છે, પણ એ દિશામાં આકરો સંઘર્ષ છે. એક વાર પોતે ચાહેલી દૂરની પિતરાઈ યુવતી વિધવા થતાં વિન્સેન્ટ પોતાનો પ્રેમ ફરીવાર વ્યક્ત કરે છે અને ફરીવાર હડધૂત થાય છે. દરેક દિશાએથી નિષ્ફળ અને નકામા હોવાનો ઉપાલંભ પથ્થરની જેમ ફેંકાતો તેને ઘાયલ કરતો રહે છે. એના પ્રયત્નો ઝનૂની છે અને એની કલા ઉત્તમ, પણ ચિત્રકાર તરીકે ઓળખ મેળવવાના તેના સંઘર્ષનો છેડો આવતો નથી. આ સંઘર્ષના વિવિધ તબક્કાની વાત કરતાં 19મી સદીના યુરોપના કલાપ્રવાહોની સરસ ઝાંખી પુસ્તકમાં વણી લેવાઈ છે.

દેહ વેચતી ક્રિસ્ટીન સાથે પ્રેમ, તેની સાથે રહેવાનું શરૂ કર્યા છતાં ઘર ચલાવી શકાય તેટલી આવક ઊભી કર્યા પછી જ પરણવાનો વિન્સેન્ટનો નિર્ધાર, ખૂબ કરકસરભર્યા જીવન અને વિન્સેન્ટની કલા પ્રત્યેની ધૂનથી ત્રાસીને ક્રિસ્ટીનનું ચાલ્યા જવું, ભૂખ્યા-અર્ધભૂખ્યા પેટે ચિત્રો કરતા રહેતા વિન્સેન્ટનું ઝનૂન, આત્મામાં ઊતરતાં અને પ્રામાણિકતાથી વ્યક્ત થતાં દૃશ્યો, સતત મળતાં ટીકા અને નકાર, અભિવ્યક્તિની જીવલેણ મથામણ, ઉપેક્ષા, નિષ્ફળતા – આ બધાંના પરિણામે એક તરફ તેની કલા વધુ ને વધુ ધારદાર બનતી જાય છે ને બીજી તરફ શરીરમન કંતાતાં જાય છે. આત્મામાં અગન ભભૂકે છે. વ્યક્તિત્વ વિક્ષિપ્ત, વિશૃંખલ થતું જાય છે. ભ્રમણાઓ પીડે છે. અત્યાર સુધી તેને પોષતો આવેલો ભાઈ થિયો પણ તેનાથી થાકવા માંડે છે. આવી મનોદશામાં પોતે જેને ચાહી બેઠો છે એ વેશ્યા મજાકમાં કહે છે, ‘પૈસા નથી? વાંધો નહીં, તારો એક કાન મને આપી દેજે.’ ત્યારે તે સાચે જ પોતાનો કાન કાપી, તેને ટુવાલમાં વીંટી, લોહીનીકળતી દશામાં એ વેશ્યાને આપવા જાય છે. તેને વાઈના હુમલાઓ આવે છે. પાગલખાનામાં સારવાર માટે જવું પડે છે. આ બધા વચ્ચે ચિત્રો દોરવાનું ચાલુ જ છે. પાગલખાનાના ડૉક્ટર ગાશે તેના મિત્ર અને ચાહક બની જાય છે, પણ અંદરબહારની વિષમતાઓ વિન્સેન્ટને ઘેરતી, ભીંસતી ને ભાંગીને ભૂક્કો કરતી રહે છે. અંતે તે પોતાને ગોળી મારી દે છે ને મૃત્યુ પામે છે – ફક્ત સાડત્રીસ વર્ષની ઉંમરે.

આવા તીવ્રતાઓવાળા સર્જકને અને તેના સર્જનને ઓળખવું, સમજવું ને તેની તમામ દુર્દમ્ય સર્જકતા અને યાતનાઓ સાથે આલેખવું તે તલવારની ધાર પર ચાલવા જેવું કામ છે. લેખક અને અનુવાદક બન્ને તલવારની ધાર પર ચાલ્યા છે. એમ ચાલવા જતાં તેમનું લોહી પણ વહ્યું છે અને લોહીના એ રંગો વડે વિન્સેન્ટ વાન ગૉગનું જીવનચરિત્ર અવિસ્મરણીય રંગોનો પુટ પામ્યું છે.

અરવિન્ગ સ્ટોન વિવિધ વ્યક્તિઓ પર જીવનચરિત્રાત્મક નવલકથાઓ લખવા માટે પ્રખ્યાત છે. ‘લસ્ટ ફૉર લાઈફ’ એમની આ પ્રકારની પહેલી નવલકથા છે. 1903માં જન્મેલા અરવિન્ગ સ્ટોન પૅરિસમાં વિન્સેન્ટ વાન ગૉગનું પ્રદર્શન જોઈને ચકિત થઈ ગયા હતા – કોણ છે આ? આટલું સ્પષ્ટ દર્શન? આટલી વેધક અભિવ્યક્તિ? નોકરીધંધો છોડી શેરલોક હૉમ્સની અદાથી એમણે ખાંખાખોળાં શરૂ કર્યાં. દર વર્ષના પરિશ્રમથી પુસ્તક લખાયું, પણ સત્તર પ્રકાશકોએ નાપસંદ કર્યું. સેક્રેટરી જિને થોડી કાપકૂપ કરી ત્યાર પછી સ્ક્રીપ્ટ સ્વીકારાઈ. દરમ્યાન બંને પરણી ગયાં. પછી તો ‘સેલર ઑન હૉર્સબેક’ (જેક લંડન), ‘લવ ઈઝ ઈટર્નલ’ (મેરી ટોડ લિંકન), ‘ધ એગની એન્ડ ધ ઍક્સ્ટ્સી’ (માઈકલ એંજેલો), ‘પેશન્સ ઑફ ધ માઈન્ડ’ (ફ્રોઈડ) જેવી જીવનકથાઓ સહિત પચીસેક પુસ્તકો તેણે લખ્યાં.

અને અનુવાદ – વિનોદ મેઘાણીનો અનુવાદ 1971માં પ્રગટ થયો. પણ તેનાથી તેમને સંતોષ ન થયો. વિન્સેન્ટનું વ્યક્તિત્વ તેમને ખેંચતું રહ્યું. 1990માં, વિન્સેન્ટની જન્મશતાબ્દીના વર્ષે વિનોદ મેઘાણી અમેરિકા હતા. એમણે વિન્સેન્ટ વિશે ખૂબ વાંચ્યું, પ્રદર્શનો જોયાં ને બે મહિના તેના જીવન-સર્જન પર એકાગ્ર રહ્યા. જાણે પરકાયા પ્રવેશ કર્યો. તે પછીના ત્રણ વર્ષમાં તેમણે ફરી અનુવાદ કર્યો, બે વાર ફેરનકલ ઘૂંટી, ગુજરાતી વાચકોને ઉપયોગી થાય તેવું પારિભાષિક શબ્દોનું ટિપ્પણ બનાવ્યું અને 1994માં ‘સળગતાં સૂરજમુખી’ ફરી પ્રગટ કર્યું. લેખક અને અનુવાદકની આવી સર્જનાત્મક નિષ્ઠાને પરિણામે જ 19મી સદીના એક ચિત્રકારની છાતીમાં લાગેલી એવી જ સુંદર ને આકરી, પ્રકાશિત કરનારી ને દઝાડનારી અગન 21મી સદીના વાચકની છાતીમાં પણ જાગે છે. લેખન અને વાચનનું સાર્થક્ય આ જ નથી?

આજે જ્યારે એકસાથે ત્રણચાર અખબારોમાં લખવાનો અને અભિમાનથી ‘અમે એકવાર લખેલું ફરી વાંચતા નથી’ એમ કહેતા ફરવાનો યુગ ચાલે છે ત્યારે એક પુસ્તક પાછળ લેખકે ને અનુસર્જકે લીધેલી જહેમતને જોઈને ચક્ત થઈ જવાય છે.

પણ જહેમત લીધા વિના કદી કશું પાંગરે નહીં – જીવન પણ નહીં, સર્જન પણ નહીં.

e.mail : sonalparikh1000@gmail.com
પ્રગટ : ‘રિફ્લેક્શન’ નામે લેખિકાની સાપ્તાહિક કોલમ, “જન્મભૂમિ પ્રવાસી”, 26 માર્ચ 2023

Loading

...102030...1,0251,0261,0271,028...1,0401,0501,060...

Search by

Opinion

  • કાનાની બાંસુરી
  • નબુમા, ગરબો સ્થાપવા આવોને !
  • ‘ફૂલ નહીં તો ફૂલની પાંખડી’ પણ હવે લાખોની થઈ ગઈ છે…..
  • લશ્કર એ કોઈ પવિત્ર ગાય નથી
  • ગરબા-રાસનો સૌથી મોટો સંગ્રહ

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved