Opinion Magazine
Number of visits: 9458165
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ચલ મન મુંબઈ નગરી—194

દીપક મહેતા|Opinion - Opinion|30 April 2023

લવ ગ્રોવમા પ્રેમની સુવાસને બદલે ગંદા પાણીની બદબૂ 

રાજાના નામનો બગીચો ને રાજાના નામનો રોડ  

ધનજી ઉવાણે પાય, ભૂપ ભીખંતો દીઠો, 

સુરજી ન દેખે આંખ, બોલતો કડવું મીઠો.

હીરો માણેક, મોતિયો, રતનિયો કથીર દેખે નહિ,

કવિ શામળ કહે સંસારમાં, કારણ નામ રહ્યું કહીં?

યથા નામ તથા ગુણ એવી ઉક્તિ કરતાં ઊંધી વાત અહીં આપણા મધ્યકાલીન કવિ શામળે કરી છે. નામ કરતાં વિપરીત ગુણ, કે ગુણ કરતાં વિપરીત નામ! આપણી ભાષાનાં નવલકથા, નાટક વગેરેમાં ઘણા દાયકાઓ સુધી ગુણ પ્રમાણે પાત્રોનાં નામ આપવાનો ચાલ હતો. જેમ કે, ગોવર્ધનરામ ત્રિપાઠીની નવલકથામાં આવતાં શઠરાય, પ્રમાદધન, વિદ્યાચતુર, ગુણસુંદરી, જેવાં નામો. પણ આવાં નામ અપવાદરૂપ હોય. કદાચ શામળની વાત વ્યવહારમાં વધુ સાચી હોય એમ બને.

પણ આજે આ શામળની, ને નામની વાત કેમ? કારણ મુંબઈનું એક નામ, જે એની સ્થિતિ કરતાં સાવ ઊંધું છે. તમે ત્યાં ભલે કદિ ગયા ન હો, પણ રસ્તા પરથી પસાર થતાં નામનું પાટિયું તો જોયું જ હોય: ‘લવ ગ્રોવ પર્જન્ય જલ ઉદંચન કેન્દ્ર’. હકીકતમાં ગંદા પાણીને દરિયામાં વહેવડાવી દેતાં પહેલાં અહીં તેને ‘શુદ્ધ’ કરવામાં આવે છે, અને પછી ઓટને વખતે દરિયામાં વહાવી દેવામાં આવે છે. પણ આવા કેન્દ્રનું નામ ‘લવ ગ્રોવ’ કેમ? અને આ માત્ર કેન્દ્રનું નામ નથી, આખા વિસ્તારનું નામ છે. અને એ નામની પાછળ છે એક પ્રેમકથા.

૧૯મી સદીમાં લવ ગ્રોવ

એક જમાનામાં વરળીની ટેકરી પર ગાઢ જંગલ હતું. એક ખુશનુમા સાંજ. બીજાઓની નજરોથી બચવા એક યુવક અને યુવતી ટેકરીના પગ પાસે, ખાડીનાં પાણીમાં પગ બોળીને બેઠાં હતાં. બંનેને એકબીજા વગર નહોતું કશું દેખાતું, નહોતું કશું સંભળાતું. શું થયું એ તો રામજી જાણે, પણ છોકરી અચાનક પડી ખાડીનાં પાણીમાં. અને એક જોરદાર મોજાએ એને દૂર ફંગોળી. બીજી જ ઘડીએ છોકરાએ પણ પાણીમાં ઝંપલાવ્યું. પોતાની પ્રેમિકાને બચાવવા ઘણા ફાંફાં માર્યાં. પણ વ્યર્થ. બંને ખાડીનાં પાણીના પ્રવાહમાં તણાઈ ગયાં.

એ જમાનો બ્રેકિંગ ન્યૂસનો નહોતો. એટલે છેક બીજે દિવસે મુંબઈના લોકોને આ વાતની ખબર પડી. કેટલાયે લોકો એ જગ્યા જોવા ઊમટી પડ્યા. અને તેમણે એ જગ્યાનું નામ પાડી દીધું : લવ ગ્રોવ. ૧૮૩૮માં સર રોબર્ટ ગ્રાન્ટ મુંબઈના ગવર્નર બન્યા. તેમણે અહીં ડ્રેનેજ સિસ્ટમનું ઉદ્ઘાટન કર્યું. ૧૮૪૨માં અહીં પમ્પિંગ સ્ટેશન બન્યું. પેલા જુવાન પ્રેમીઓની કરુણ દાસ્તાન ગવર્નર સાહેબને કાને પડી. અને તેમણે જાહેર કર્યું કે આ ટેકરી, આ પમ્પિંગ સ્ટેશન હવેથી ઓળખાશે લવ ગ્રોવ તરીકે. એ વિસ્તારનું સત્તાવાર નામ તો આજે બદલાઈ ગયું છે. પણ પેલા પમ્પિંગ સ્ટેશનનું નામ તો એનું એ જ છે : લવ ગ્રોવ પમ્પિંગ સ્ટેશન.

તો આ નામ અંગે બીજી પણ એક વાત નોંધાઈ છે. કંપની સરકારના અમલદારો અને સૈનિકો તો મુંબઈના ફોર્ટ કહેતાં કિલ્લાની અંદર રહેતા. પણ એ વખતે અહીં ઘણા અંગ્રેજ વેપારીઓ પણ હતા. તેઓ મઝગાંવ વિસ્તારમાં આવેલા બંગલાઓમાં રહેતા, પોતપોતાની પત્ની અને છૈયાં-છોકરાં સાથે. પણ તેમાંના કેટલાકને દ્વૈતીયિક પ્રેમસંબંધો પણ ખરા. આવા વેપારીઓ મઝગાંવથી ખાસ્સી દૂર આવેલી ટેકરીની તળેટીમાં નાનાં કોટેજ બંધાવતા, અને અવારનવાર ત્યાં પ્રેમાલાપ કરતા. તેથી એ જગ્યાનું નામ પડ્યું લવ ગ્રોવ. પણ પછી વખત જતાં અહી બંધાયું ગંદા પાણીને, વરસાદના પાણીને શુદ્ધ કરવાનું કેન્દ્ર. આખા વિસ્તારમાં પ્રેમને બદલે પથરાતી થઈ જાતજાતની દુર્ગંધ. એ કેન્દ્ર સાથે તો ‘લવ’ જોડાયો, પણ ત્યાંના એક રસ્તાને પણ નામ મળ્યું વરળી લવ ગ્રોવ પમ્પિંગ સ્ટેશન રોડ! ખરું જોતાં એનું નામ પાડવું જોઈતું હતું ‘પુષ્કળ દુર્ગંધ રોડ.’

થોડા વખત પહેલાં એક મિત્રે વાતવાતમાં પૂછેલું : મુંબઈના રસ્તા અને ઇમારતો સાથે અંગ્રેજો સ્ત્રીઓનાં નામ જોડતા કે નહિ? એ વખતે તો થોડાં નામ સૂઝેલાં : વિક્ટોરિયા ટર્મિનસ, વિક્ટોરિયા ગાર્ડન, ક્વીન્સ રોડ, પ્રિન્સેસ સ્ટ્રીટ. એવું એક વધુ નામ તે લેડી હાર્ડિન્જ રોડ. એ વખતની બી.બી.સી.આઈ. રેલવેના માટુંગા સ્ટેશનના ફાટકથી લેડી જમશેદજી રોડ થઈને માહિમ બજાર રોડ સુધીનો ૬૦ ફૂટ પહોળો રસ્તો ૧૯૧૪માં બંધાયો. એ વખતના મ્યુનિસિપલ કમિશનર પી.આર. કેડલે આ વાત સત્તાવાર રીતે ૧૯૧૪ના સપ્ટેમ્બરની ૨૩મી તારીખે જણાવી. એ વખતે ૩,૧૦૦ ફૂટ લાંબા આ રસ્તા પર લાઈટના થાંભલા ખોડવાનું કામ ચાલુ હતું. આ કામ પૂરું થાય એટલે રસ્તો લોકો માટે ખુલ્લો મૂકાશે એમ કમિશનરે જણાવ્યું. તેમણે એમ પણ ઉમેર્યું કે આ રસ્તાના બંને છેડાને આગળ લંબાવવાની પણ યોજના છે. તેમને મતે મુંબઈના બધા રસ્તાઓમાં આ રસ્તો સૌથી વધુ સુંદર હતો. અને પછી તેમણે દરખાસ્ત રજૂ કરી કે આ રસ્તાની સાથે લેડી હાર્ડિન્જનું નામ જોડવું જોઈએ. અને એ દરખાસ્ત સર્વાનુમતે પસાર થઈ.

લેડી હાર્ડિન્જ

પણ આ લેડીસાહેબા હતાં કોણ? એ વખતની મુંબઈ સરકારમાં કોઈ સ્ત્રી ઊંચા હોદ્દા પર પહોંચી હોય એવું તો જાણવા મળતું નથી. આ લેડીસાહેબાના પિતા અને પતિ બંને હતા ‘લોર્ડ’. પિતાનું નામ લોર્ડ એલિંગ્ટન. ૧૮૬૮માં જન્મ. ૧૮૯૦માં લગ્ન કર્યાં લોર્ડ હાર્ડિન્જ સાથે. આ લોર્ડસાહેબ ૧૯૧૧થી ૧૯૧૬ સુધી હિન્દુસ્તાનના વાઈસરોયના પદે રહ્યા હતા. લેડી હાર્ડિન્જ મુંબઈની મુલાકાતે આવેલાં, પણ તે પછી થોડા જ વખતમાં, ૧૯૧૪ના જુલાઈમાં, તેમનું અવસાન થયું. એટલે આ રસ્તા સાથે તેમનું નામ જોડવામાં આવ્યું. દિલ્હીમાં તેમના નામની કોલેજ આવેલી છે, લેડી હાર્ડિન્જ મેડિકલ કોલેજ, જે ફક્ત સ્ત્રીઓ માટેની જ કોલેજ છે. જ્યારે હિન્દુસ્તાનનું પાટનગર દિલ્હી ખસેડવામાં આવ્યું ત્યારે જ લેડીસાહેબાએ નક્કી કર્યું હતું કે અહીં સ્ત્રીઓને મેડિકલ શિક્ષણ આપવા માટે ખાસ કોલેજ હોવી જોઈએ. ૧૯૧૪ના માર્ચની ૧૭મીએ લેડી હાર્ડિન્જે જ તેના મકાનનો પાયો નાખેલો. ત્યારે એ કોલેજને નામ આપેલું ક્વીન મેરી કોલેજ એન્ડ હોસ્પિટલ. પણ પછી ૧૯૧૪ના જુલાઈની ૧૧મી તારીખે લેડી હાર્ડિન્જનું અવસાન થયું. ક્વીન મેરીએ પોતે ખાસ સંદેશો મોકલ્યો કે આ હોસ્પિટલ સાથે મારા નામને બદલે લેડી હાર્ડિન્જનું નામ જોડાય તે જ યોગ્ય ગણાય. એટલે ૧૯૧૬ના ફેબ્રુઆરીની સાતમી તારીખે જ્યારે વાઈસરોય લોર્ડ હાર્ડિન્જે તેનું ઉદ્ઘાટન કર્યું ત્યારે નામ બદલીને રાખવામાં આવ્યું લેડી હાર્ડિન્જ કોલેજ.

કવિ કાન્તના ‘વસંતવિજય’ નામના ખંડકાવ્યમાં એક પંક્તિ આવે છે :

નહિ રાજાજીનો હુકમ પણ પાછો કદિ ફરે.

પણ રાજાજીની પરવાનગી માગી હોય, છતાં તેમનો હુકમ આવે જ નહિ, આવે જ નહિ, તો શું કરવાનું? તેમણે હુકમ કર્યો છે એમ માનીને આગળ ચાલવાનું. આવું જ કૈંક બન્યું હતું બોમ્બે ઈમ્પ્રુવમેન્ટ ટ્રસ્ટ સાથે. ૧૯૧૧ના એપ્રિલની ૨૦મી તારીખે તેની મિટિંગમાં ચેરમેને દાદર-માટુંગા સ્કીમની વિગતવાર ચર્ચા કરી. વિન્સેન્ટ રોડ પર એક ગોળાકાર બગીચો બનાવવા અંગે, ત્યાંથી છેક ક્રાફર્ડ માર્કેટ સુધી ૧૫૦ ફૂટ પહોળો રસ્તો બાંધવા વિષે, જણાવ્યું. અને પછી દરખાસ્ત રજૂ કરી કે આ રસ્તા સાથે નામદાર મહારાજા પંચમ જ્યોર્જનું નામ જોડવું. પણ કોઈએ સવાલ કર્યો કે મહારાજાની અનુમતિ વગર આપણે આ રીતે તેમનું નામ કોઈ રસ્તા અને ગાર્ડન સાથે જોડી શકીએ ખરા? એટલે ‘પ્રોપર ચેનલ’ દ્વારા પંચમ જયોર્જની અનુમતિ માટે અરજ ગુજારવામાં આવી. પણ શું આજની કે શું ગઈ કાલની, શું અહીંની કે શું તહીંની, સરકારો બધી સરખી. ડાઈનોસોરની જેમ હલનચલન મહામુશ્કેલીએ કરે. એટલે નેક નામદારની પરવાનગીની રાહ જોઈ જોઈને ટ્રસ્ટ તો થાક્યું. છેવટે વિચાર્યું કે આપણે તો નેક નામદારને માન જ આપવું છે ને! એટલે આગળ વધો. ૧૯૧૬માં સરસ મજાનો ગોળ બગીચો બનાવ્યો તેને નામ આપ્યું કિંગ્સ સર્કલ ગાર્ડન. ત્યાંથી ક્રાફર્ડ માર્કેટ સુધીનો રસ્તો તો નહિ, પણ એલ્ફિન્સ્ટન રોડ પરના જૂના ટ્રામ ટર્મિનસ સુધીના રસ્તાને નામ આપ્યું કિંગ્ઝ વે. એ વખતની જી.આઈ.પી. રેલવેની હાર્બર લાઈન પરના નજીકના સ્ટેશનનું નામ પણ કિંગ્ઝ સર્કલ. આ સ્ટેશન અને માટુંગા સ્ટેશન સાવ નજીક. પણ માટુંગા મેન લાઈન પરનું સ્ટેશન.

વિહંગ દૃષ્ટિએ આજનું કિંગ્ઝ સર્કલ

૧૯૪૭ પછી ધીમે ધીમે અંગ્રેજોનાં નામ હટાવવાની અને નવાં નામ આપવાની શરૂઆત થઈ. ૧૯૬૨ના ફેબ્રુઆરીની ત્રીજી તારીખે કિંગ્ઝ ગાર્ડનનું નવું નામ પડ્યું, બી.એન. માહેશ્વરી ઉદ્યાન. આ નવા નામની તકતી મોરારજી દેસાઈને હાથે મૂકાઈ હતી. એ વખતે તેઓ કેન્દ્રીય સરકારમાં નાણાં મંત્રી હતા. એ વાતને લગભગ ૬૦ વરસ થયાં, પણ આજે ય મુંબઈના ઘણા લોકો તો આ જગ્યાને કિંગ્ઝ સર્કલ તરીકે જ ઓળખે છે. અને હજી સુધી તો સેન્ટ્રલ રેલવેએ સ્ટેશનનું નામ બદલ્યું નથી. પણ ન જાણ્યું જાનકી નાથે, સવારે શું થશે કાલે!

પણ જેનું નામ તેનો નાશ નક્કી છે. એટલે જ નરસિંહ મહેતા કહી ગયા છે : ઘાટ ઘડિયા પછી નામરૂપ જૂજવાં. એટલે રસ્તાનાં નામ બદલાય તેનો ઝાઝો હરખશોક કરવો નહિ. ગઈ કાલે જે નામ હતું તે આજે નથી. આજે છે તે આવતી કાલે હશે કે નહિ તે કોઈ કહી શકે તેમ નથી. તો ફરી જઈએ શામળભટ્ટ પાસે.

જે નામ તેહનો નાશ છે, ધર્મ જ એવો ધારવો,

કવિ શામળ કહે મૂરખ કરે ગંદી દેહનો ગારવો.

જે જાયું તે જાય, ફૂલ ખીલ્યું તે ખરશે,

ભર્યું તેહ ઠલવાય, ચઢ્યું તે તો ઊતરશે. 

લીલું તે સૂકાય, નવું તે જૂનું થાશે,

આવરદા વશ સર્વ, કાળ સૌ કોને ખાશે.

e.mail : deepakbmehta@gmail.com

xxx xxx xxx

(પ્રગટ : “ગુજરાતી મિડ–ડે”; 29 એપ્રિલ 2023)

Loading

સુદાનમાં સત્તામોહનો દાવાનળઃ બે લશ્કરી વડાઓના ઘર્ષણમાં દેશ હોમાયો

ચિરંતના ભટ્ટ|Opinion - Opinion|30 April 2023

બે અલગ વર્ગના નેતાઓએ પહેલાં તો એક થઇને રાજકારણને બહેતર બનાવવા પ્રયાસ કર્યો અને પછી જ્યારે સરકાર બનાવવાની વાત આવી ત્યારે બન્ને સેનાઓ વચ્ચે સત્તા માટે સંઘર્ષ શરૂ થઇ ગયો.

ચિરંતના ભટ્ટ

આજકાલ સુદાન ચર્ચામાં છે, અને સાથે વડા પ્રધાને શરૂ કરેલું ઑપરેશન કાવેરી પણ સમાચારોમાં છે. સુદાનમાં સેના અને અર્ધલશ્કરી જૂથ વચ્ચે ભીષણ સંઘર્ષ ચાલી રહ્યો છે જેમાં 400થી વધુ લોકોનાં મોત થયાં છે. આ સંજોગોમાં ત્યાં ફસાયેલા ભારતીયોને સહી-સલામત પાછા લાવવાનું કામ સરકારે શરૂ કર્યું. સુદાનમાં લગભગ 3,000 હજાર ભારતીયો છે. સુદાનમાં શું ચાલી રહ્યું છે? શું કામ આ સંઘર્ષ થઇ રહ્યો છે?

સુદાનની સેના અને અર્ધ લશ્કરી જૂથો વચ્ચે સત્તા સંઘર્ષ એપ્રિલની મધ્યે ચાલુ થયો. સુદાની સેના જનરલ અબ્દેલ ફત્તેહ અલ બુરહાન – જે દેશના રાષ્ટ્રપતિ છે તેને વફાદાર છે જ્યારે પેરા-મિલિટરી ફોર્સ એટલે કે અર્ધ લશ્કરી જૂથ જે રેપિડ સપોર્ટ ફોર્સ (આર.એસ.એફ.) તરીકે ઓળખાય છે તે હેમેદેતી એટલે કે પહેલાના વૉરલૉર્ડ – સેનાધિકારી – ઉપરાષ્ટ્રપતિ – જનરલ મોહંમદ હમદાન દગાલો અનુસરે છે. એક સમયે આ બન્ને જનરલ એકબીજાની સાથે કામ કરતા હતા અને દેશમાં સત્તા પલટાની દિશાની કામગીરીમાં પણ બન્ને ભેગા હતા. હવે વાત અહમ્‌ પર આવી ગઇ છે અને આ બન્ને વચ્ચેની લડાઈમાં સુદાનની કફોડી સ્થિતિ થઇ છે. આફ્રિકાના દેશ સુદાનના ખાર્તૂમ પાટનગરમાં અત્યારે અંધાધુંધ યુદ્ધની સ્થિતિ છે અને આ બધું ગણતરીના દિવસોમાં જ થયું છે. 

સુદાની રાજકારણની વાત કરીએ તો મોટે ભાગે સાધન-સંપન્ન વર્ગનું તેમાં વધારે મહત્ત્વ હોય છે, તેમને માટે રાજકારણના હિસ્સા હોવું સરળ બને છે. ખાર્તૂમ અને નાઇલ નદીની આસપાસ રહેતા લોકો આવા ઉચ્ચ વર્ગના હોય છે. હેમેદેતી અને તેમની સેના સાધન-સંપન્ન નથી અને તેમને વખોડવા માટે અને ઉતારી પાડવા માટે રાજકારણમાં સક્રીય એવી સુદાની સેનાના લોકો બેફામ ભાષાનો ઉપયોગ કરતા હોય છે. બે અલગ વર્ગના નેતાઓએ પહેલાં તો એક થઇને રાજકારણને બહેતર બનાવવા પ્રયાસ કર્યો અને પછી જ્યારે સરકાર બનાવવાની વાત આવી ત્યારે બન્ને સેનાઓ વચ્ચે સત્તા માટે સંઘર્ષ શરૂ થઇ ગયો. આર.એસ.એફ.માં એક લાખથી વધુ સભ્યો છે અને એ તમામને મુખ્ય સેનામાં ભેળવવા કે કેમ અને પછી જે મોટું નવું દળ રચાશે તેના નેતૃત્વની હુંસાતુંસીમાં આ આગ ફાટી નીકળી છે. આર.એસ.એફ.ના સૈનિકો તૈનાત થયા એમાં આમ સૈન્યને જોખમ લાગ્યું અને વાટાઘાટોને બદલે મામલો બિચક્યો. અત્યારે ત્યાં પાણી અને વીજળીનાં ઠેકાણાં નથી, હિંસા દાવાનળની જેમ પ્રસરી રહી છે, હૉસ્પિટલમાં પહોંચવું અશક્ય છે, લોકોને ખાવાનું મેળવાવના ફાંફા પડી રહ્યા છે.

સુદાનમાં સત્તાને મામલે સતત સંઘર્ષ અને પરિવર્તનો ચાલતા આવ્યા છે અને પ્રજા એ કારણે હેરાન થતી આવી છે. વળી સુદાનમાં બીજા દેશોના લોકો પણ હોય જ છે, અને આપણે જાણીએ છીએ એમ ભારતીયોને ત્યાંથી લાવવાની કામગીરી અત્યારે ચાલી રહી છે. 450થી વધુ લોકો સુદાનમાં મોતને ભેટ્યા છે અને હજારથી વધુ લોકોને ઇજા પહોંચી છે. યુ.એસ.એ.ના એસેમ્બલીના સ્ટાફને ત્યાંથી ઘર ભેગો કરાયો છે તો બીજા અમેરિકન સિટિઝન્સ જે સંખ્યા લગભગ 16,000 જેટલી છે તેમને સલામત વતન લાવવાની કામગીરી ચાલી રહી છે. યુ.કે. અને ઇ.યુ. તરફથી પણ સંકટના ઉકેલ માટેની વાટાઘાટો ચાલી રહી છે.

બીજા રાષ્ટ્રના લોકો પોતાનું વતન છોડીને પરદેશ જાય તેનો હેતુ એકમાત્ર હોય છે – કમાણી કરવાનો. સુદાનમાં દોઢસો વર્ષથી ભારતીયો વસે છે અને ત્યાં જાત-ભાતના વ્યવસાય મારફતે કમાણી કરે છે. ભારતીય આયુર્વેદિક દવાઓની ત્યાં તગડી માંગ છે. ભારતીયો સુદાનમાં એટલે પણ જાય છે કારણ કે ત્યાં 70ના દાયકામાં તેલ મળ્યું હતું અને ઓન એન.જી.સી.ના ઘણાં વ્યવસાયીઓ નેવુંના દાયકામાં સુદાન ગયા હતા. 2011માં દક્ષિણ સુદાન આઝાદ થયું અને તેલનો મોટા ભાગનો હિસ્સો એ પ્રદેશમાં હતો. સોનાની નિકાસ કરીને સુદાને 2022ની સાલમાં અઢી અબજ ડૉલરની કમાણી કરી હતી. પૈસા કમાવાની મહત્ત્વાકાંક્ષા રાજકીય-સામાજિક રીતે અસ્થિર દેશમાં જતા કોઇને પણ રોકતી નથી.

સુદાનમાં ભડકેલી હિંસાની આગ આંતરરાષ્ટ્રીય સ્તરે ખળભળાટ મચાવી રહી છે કારણ કે આફ્રિકાના સૌથી મોટા દેશની યાદીમાં સુદાન ત્રીજા સ્થાને છે અને અહીંની ખાણોને કારણે વ્યૂહાત્મક રીતે સુદાનું મહત્ત્વ ઘણું છે. અહીં – ખાસ કરીને તેના પાટનગરમાં જે પણ થાય તેની અસર આફ્રિકી ઉપખંડના સૌથી વધુ સંવેદનશીલ ગણાતા હિસ્સાઓમાં થાય. સુદાનની સરહદ સાત દેશોને અડીને છે અને તમામ સાથે સલામતીના પડકારો તો છે જ જેની કડી ખાર્તુમના રાજકારણ સાથે જોડાયેલી છે. ખાસ કરીને ઇજિપ્ત, ઇથોપિયા, ચાડ અને દક્ષિણ સુદાન જેવા પાડોશી દેશો સાથે સુદાનના સંબંધો નાજુક છે. વળી સુદાન પર પ્રભાવ માટે રશિયા, યુ.એસ.એ., સાઉદી અરેબિયા, યુનાઇટેડ આરબ એમિરાટ્સ જેવી સત્તાઓ વચ્ચે પણ સંઘર્ષ ચાલતો રહે છે. પશ્ચિમના દેશોને સુદાનને અડીને આવેલા રાતા સમુદ્ર પર રશિયન બેઝ બનવાની શક્યતાનો ડર છે, વળી એવી શક્યતા સામે સુદાની સૈન્ય પ્રમુખોને કોઇ વાંધો પણ નથી એટલે એ વધુ ચિંતાજનક કહેવાય.

આ તો આંતરિક સંઘર્ષ છે જેને લીધે આટલો તણાવ વધ્યો છે. સિત્તેરના દાયકામાં ઇદી અમીને યુગાન્ડામાં કાળો કેર વર્તાવ્યો હતો અને ત્યાં વસેલા ગુજરાતી બિઝનેસ પર્સન્સે રાતોરાત ત્યાંથી ઉચાળા ભરવા પડ્યા હતા. યુગાન્ડાનું 90 ટકા અર્થતંત્ર ભારતીયોના હાથમાં હતું પણ એ જ બાબતે ઇદી અમીને ભારતીય અને અન્ય એશિયાઇઓને 90 જ દિવસમાં દેશ છોડી ચાલ્યા જવાનો આદેશ આપ્યો હતો. લોકોએ પોતાના ઘર-બાર, મિલકતો છોડીને જીવ બચાવવા માટે ઇંગ્લેન્ડ અને આફ્રિકાના બીજા દેશોની વાટ પકડી હતી.

આમ જોવા જઇએ તો પોતાનું વતન છોડી બીજા દેશમાં જઇને વધુ કમાણી કરવાનો મોહ, જરૂરિયાત અને મહત્ત્વાકાંક્ષા રાખનારા લોકોને પોતે જ્યાં જઇ રહ્યા છે ત્યાંની રાજકીય કે સામાજિક સ્થિતિની હકીકતો ભાગ્યે જ ખબર હોય છે. ભારતીયોની વાત કરીએ તો એ તો આખી દુનિયામાં પ્રસરેલા છે અને વર્તમાન સંજોગોમાં તો એવા ઘણાં રાષ્ટ્રો છે જ્યાં કટોકટીની સ્થિતિ ખડી થઇ છે અથવા થવાની શક્યતા છે. રશિયાએ જ્યારે યુક્રેન પર હુમલો કર્યો ત્યારે ત્યાંથી પણ ભારતીય વિદ્યાર્થીઓને પાછા લાવવા માટે સરકારે ઑપરેશન ગંગા લૉન્ચ કરીને ભારે જહેમત કરી હતી. આરબ દેશોમાં પણ આવા સંજોગો ખડા થયા છે. પોતે જ્યાંના નાગરિક હોય એ દેશમાં જો અર્થતંત્ર મજબૂત હોય તો કદાચ વિદેશની ધરતી પર કમાવા જવાનો મોહ કદાચ બાજુએ મૂકી શકાય પરંતુ એવું ઓછું જ થતું હોય છે.

બાય ધી વેઃ

સુદાનમાં આ હિંસક સંઘર્ષ જેટલો ચાલશે એટલી જાનહાનિ થશે અને જે પણ જનરલની આ યુદ્ધમાં જીત થશે તેને માટે વિખેરાયેલી જનતા પર શાસન કરવું એટલું જ અઘરું થઇ પડશે. જે ઝનૂનથી બન્ને જનરલ એકબીજાની લીટી ટૂંકી કરવા માટે મથી રહ્યા છે તે જોતાં આ યુદ્ધનો અંત આવે ત્યાં સુધીમાં બન્નેએ એક-બીજાને અને પોતાને પણ પૂરતું નુકસાન કરી દીધું હશે. અત્યારે એક દેશ તરીકે આપણે એવી શેખી મારીએ છીએ કે વસ્તીને મામલે આપણે ચીનથી પણ આગળ છીએ અને આપણો દેશ એક યુવા રાષ્ટ્ર છે. વાસત્વિકતા એ પણ છે કે યુવારાષ્ટ્રના યુવાનો માટે રોજગારીના પ્રશ્નોની હોળી તો સળગેલી છે જ. આવું હોય ત્યારે વિદેશ જઇને કમાણી કરવા માગનારાઓને રોકવાના કારણો શોધવા આસાન નથી હોતા.

પ્રગટ : ‘બહુશ્રૃત’ નામક લેખિકાની સાપ્તાહિક કટાર, ’રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 30 ઍપ્રિલ 2023

Loading

કાયદાનું રાજ માનાં ધાવણ જેવું હોય છે

રમેશ ઓઝા|Opinion - Opinion|30 April 2023

રમેશ ઓઝા

માન્યું કે અતિક અહમદ સદીનો સૌથી મોટો ગુંડો હતો અને એવો કોઈ ગુનો નહીં હોય જે તેણે નહીં કર્યો હોય, પણ પોલીસની હાજરીમાં, મીડિયાની સામે, તેની હત્યા કરવામાં આવે એનો બચાવ કરી શકાય? ફરિયાદ તો એ જ હતી ને કે તે સામાજિક માનમર્યાદા અને દેશના કાયદાઓનું ઉલ્લંઘન કરતો હતો અને પોતે જે કરે તેને કાયદો સમજતો હતો? જો સામાજિક માનમર્યાદાનું પાલન અને દેશના કાયદાઓનો આદર એ સભ્યતાનો માપદંડ હોય અને જગત આખામાં એ જ માપદંડ હોય છે તો ઉત્તર પ્રદેશની સરકારે જે કર્યું એ સભ્યતા હતી? જે યુવકોએ અતિકની હત્યા કરી એ એવા વર્ગમાંથી આવે છે જે દેશી કટ્ટા પણ ખરીદી શકે તેમ નથી તો તેમની પાસે બે બે લાખની કિંમતની પિસ્તોલ આવી ક્યાંથી?

કોઈ પણ ગુંડો, આય રિપીટ કોઈ પણ ગુંડો, ત્યારે જ સામાજિક અને કાયદાકીય મર્યાદાનું ઉલ્લંઘન કરે જ્યારે તેને ખાતરી હોય કે કોઈ તેનો વાળ પણ વાંકો કરી શકે તેમ નથી. પ્રજાને ડરાવી શકાય છે અને પ્રજાને ડરમૂક્ત કરવાનુ અને રાખવાનું જેનું કામ છે એને ખરીદી શકાય છે. કાયદાનાં રાજની રખેવાળી કરનારું ન્યાયતંત્ર પાગળું છે અને દેશનાં રાજકારણનું ચારિત્ર્ય ભ્રષ્ટ છે. બાબા, બાહુબલી, ધનપતિ અને નેતાઓની ધરી છે. આ જો વાસ્તવિકતા હોય તો એ વાસ્તવ શું ગુંડાઓએ પેદા કર્યું છે? ગુંડાઓ તો તેનો લાભ લઈ રહ્યા છે જેમ બગલબચાં (ક્રોનીઝ) કુબેરપતિઓ શાસકો સાથેની ભાઈબંધીનો લાભ લઈ રહ્યા છે. ખરા ગુનેગાર એ નથી જે વ્યવસ્થાનો લાભ લઇ રહ્યા છે, ખરા ગુનેગાર એ છે જે વ્યવસ્થા બદલતા નથી. વ્યવસ્થા સુદૃઢ હોય તો સાચા લોકો લાભ લે અને વ્યવસ્થા ભ્રષ્ટ હોય તો ખોટા લોકો લાભ લે. ઊલટું એવું બને છે કે સડેલી વ્યવસ્થાની કિંમત સાચા લોકોએ ચૂકવવી પડે છે.

પોલીસ દ્વારા કરવામા આવતા એન્કાઉન્ટરનો કે પસંદગીના લોકોની કરવામા આવતી હત્યાઓનો બચાવ કરનારા લોકો કાં નાગરિક તરીકે ગમાર છે અથવા હિંસક મનોવૃત્તિ ધરાવે છે. હત્યારા એ જ નથી કરતો જે પ્રત્યક્ષ હત્યા કરે છે, પણ હત્યારા એ પણ કરે છે જે પસંદગીનાં ધોરણે હત્યાનું સમર્થન કરે છે. આવા લોકોએ હજુ માણસ અને જવાબદાર રાજ્યના પ્રગલ્ભ નાગરિકો બનવાનું બાકી છે. રાજ્ય જો ગુનેગારને અદાલતમાં ગુનેગાર ઠેરવીને સજા ન કરી શકતું હોય તો રાજ્ય નપુંસક છે. નપુંસક રાજ્યનું સમર્થન કરવાનું ન હોય પછી શાસકો આપણા હોય કે આપણને ન ગમતા હોય.

કાયદાનું રાજ માંનાં ધાવણ જેવું હોય છે. આમ કહેતી વખતે હું જરા ય અતિશયોકિત નથી કરતો. ભારતની પ્રજાને નાત જાત વંશ અને ધર્મનો પક્ષપાત ધરાવતા શાસકો પુરસ્કૃત અરાજકતાનો અનુભવ નથી. આઝાદી પહેલાં કાઠિયાવાડમાં બાપુઓનાં રાજમાં અને અંગ્રેજી રાજ આવ્યું એ પહેલાં મહારાષ્ટ્રમાં પેશાવાઓનાં રાજમાં લોકોને આનો અનુભવ થયો હતો, પણ એ તો સાવ મામૂલી હતો. લોકોએ દીવા પ્રગટાવીને અંગ્રેજી રાજને આવકાર્યું હતું. અત્યારે સુદાન તરફ નજર કરો. પક્ષપાતી શાસકોની રાજ્યપુરસ્કૃત હિંસા અત્યારે અરાજકતામાં ફેરવાઈ ગઈ છે. હાહાકાર મચ્યો છે. આવા બીજા અનેક દેશો હતા અને છે. આજે તમે જેને દુ:શ્મન માનો છો એનું ઢીમ ઢળશે અને કાલે આપણા લાડકવાયાનું પણ ઢીમ ઢળી શકે છે. ગોળી અને પૈસો ધર્મનિરપેક્ષ હોય છે. 

અહીં એક પ્રસંગ યાદ આવે છે. ૨૦૦૭ની વાત છે. ઉત્તર પ્રદેશના અત્યારના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથ ત્યારે લોકસભાના સભ્ય હતા. એ વખતે તેમના મતદારક્ષેત્ર ગોરખપુરમાં કોમી હુલ્લડો થયાં હતાં અને તે સમયના મુખ્ય પ્રધાન મુલાયમ સિંહ યાદવે યોગી આદિત્યનાથને કોમી દ્વેષ ફેલાવવાના અને દંગાફિસાદ કરવાના આરોપ હેઠળ જેલમાં ધકેલી દીધા હતા. તેમના ઉપર ગંભીર આરોપ લગાવવામાં આવ્યા હતા. યોગી આદિત્યનાથે લોકસભામાં અક્ષરસઃ રડતાંરડતાં તેમની સાથે કરવામાં આવતા અત્યાચારોનું બયાન કર્યું હતું. ખાતરી કરવી હોય તો યુ ટ્યુબ ઉપર એ કલીપ જોવા મળશે. 

લોકસભાના સભ્ય, ગોરખનાથના પ્રતિષ્ઠિત મંદિરના મહંત, વિશ્વના સૌથી મોટા રાજકીય સંગઠન સંઘપરિવારના અને ભારતીય જનતા પક્ષના સભ્ય, જે માણસ પોતાની સેના ધરાવે છે એમ દરેક પ્રકારની તાકાત ધરાવનારા યોગી આદિત્યનાથ રડે? અત્યારે તેઓ ઉત્તર પ્રદેશમાં જે કરી રહ્યા છે એ કરતાં પહેલાં તેમણે ૨૦૦૭ની એ ઘટના અને પોતાનાં લોકસભાના ભાષણને યાદ કરવાં જોઈએ. જવાબદાર રાજ્ય જો તમને વહાલું લાગતું હોય, શ્રેયસ્કર લાગતું હોય તો એ બીજા માટે પણ શ્રેયસ્કર છે. અને સૌથી વધુ તો આપણને શ્રેયસ્કર લાગવું જોઈએ, કારણ મારી, તમારી પાસે ૨૦૦૭માં યોગી આદિત્યનાથ પાસે જે તાકાત હતી એના હજારમાં ભાગની પણ નથી.

માટે કાયદાનું રાજ માનાં ધાવણ જેવું હોય છે.

પ્રગટ : ‘નો નૉનસેન્સ’, નામક લેખકની કટાર, ‘રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 30 ઍપ્રિલ 2023

Loading

...102030...1,0241,0251,0261,027...1,0301,0401,050...

Search by

Opinion

  • કાનાની બાંસુરી
  • નબુમા, ગરબો સ્થાપવા આવોને !
  • ‘ફૂલ નહીં તો ફૂલની પાંખડી’ પણ હવે લાખોની થઈ ગઈ છે…..
  • લશ્કર એ કોઈ પવિત્ર ગાય નથી
  • ગરબા-રાસનો સૌથી મોટો સંગ્રહ

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved