Opinion Magazine
Number of visits: 9458093
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

બરફની હાજરી

ચૈતન્ય જોષી 'દીપક'|Opinion - Opinion|4 May 2023

બરફની હાજરી મગજમાં હોવી જરૂરી.

એટલી દરકાર તો આપણે લેવી જરૂરી.

કટુવાણી કામ બગાડનારી હોય સર્વદા,

આ વાત સૌએ બસ સમજવી જરૂરી.

મધુવાણી ઠંડા દિમાગની જ નીપજ છે,

ઉશ્કેરાટને ઉકળાટ વેળા તજવી જરૂરી.

હસતો ચહેરો છે નિશાની બરફ હાજરી,

પરાવાણી પ્રત્યેક મુખે ઉચ્ચરવી જરૂરી.

વૈખરી વદનાર કામ બગાડી અપ્રિય થતા,

વસમા વખતે સબર સ્હેજે ધરવી જરૂરી.

પોરબંદર
E.mail : joshichaitanya568@gmail.com

Loading

પ્રસન્ન ભારત : ભ્રમ અને વાસ્તવ વચ્ચે કેટલું અંતર ?

ચંદુ મહેરિયા|Opinion - Opinion|4 May 2023

ચંદુ મહેરિયા

ભારત કરતાં પાકિસ્તાનના અને એ બેઉ કરતાં રશિયા સાથેના યુદ્ધથી ત્રાહિમામ્‌ યુક્રેનના લોકો વધુ આનંદિત જીવન વ્યતીત કરે છે તથા એશિયા કરતાં યુરોપના દેશો વધુ ખુશહાલ છે, એવું કોઈ કહે તો આપણે માનીએ ? શું આનંદ, ખુશી, પ્રસન્નતાની લાગણી માપી શકાય? આ સવાલો થવાનું કારણ વલ્ડ હેપ્પીનેસ રિપોર્ટ ૨૦૨૩ છે. આ વરસના વિશ્વ પ્રસન્નતા દિવસે (વીસમી માર્ચ) જાહેર થયેલા સંયુક્ત રાષ્ટ્ર્સંઘ સમર્થિત સંસ્થા સસ્ટેનેબલ ડેવલપમેન્ટ સોલ્યુશન નેટવર્કના વિશ્વ પ્રસન્નતા અહેવાલમાં સામેલ ૧૩૭ દેશોમાં ભારતનું સ્થાન ૧૨૬મું છે. દુનિયાની પાંચમી અર્થવ્યવસ્થા ધરાવતા વિશ્વગુરુ ભારતને આનંદિત દેશોના ક્રમમાં મળેલા નિમ્ન સ્થાને વિવાદ જગવ્યો છે.

યુનોએ ૨૦૧૩થી આનંદ, તંદુરસ્તી અને માનસિક સ્વાસ્થ્યનું મહત્ત્વ વધારવા વીસમી માર્ચના દિવસને નેશનલ ડે ઓફ હેપ્પીનેસ તરીકે ઉજવવાનું જાહેર કર્યું છે. તે દિવસે વર્લ્ડ હેપ્પીનેસ રિપોર્ટ પ્રગટ થાય છે. ૨૦૨૦થી ૨૦૨૨ના ત્રણ વરસનું વિષ્લેષણ રજૂ કરતાં ૨૦૨૩માં જાહેર, ૧૬૬ પૃષ્ઠોના અને પાંચ પ્રકરણોમાં વિભાજિત આ રિપોર્ટમાં પાંચ લેખો તથા ૧૩૭ દેશોનું રેન્કિંગ છે. માત્રાત્મક સંકેતકોથી લોકોના જીવનનું ગુણાત્મક મૂલ્યાંકન કરતાં આ અહેવાલમાં સતત છઠ્ઠા વરસે માંડ ૫૫.૫૪ લાખની વસ્તી ધરાવતો દેશ ફિનલેન્ડ પ્રથમ સ્થાને છે. ૨૦૨૦થી અંતિમ સ્થાને રહેતા અફઘાનિસ્તાને તેનું આ સ્થાન ૨૦૨૩માં પણ જાળવી રાખ્યું છે. પહેલા વીસ દેશોમાં એક પણ એશિયન દેશ નથી.

ગૈલપ વર્લ્ડ પોલના ડેટા ઉપરાંત સંબંધિત દેશોના પ્રતિનિધિરૂપ ૫૦૦થી ૩,૦૦૦ લોકોએ નિશ્ચિત માપદંડોને લગતા પ્રશ્નોના જવાબો તરીકે ૦થી ૧૦નો જે રેન્ક દર્શાવ્યા હોય છે તેની સરેરાશ પરથી આ હેપ્પીનેસ આંક નક્કી કરવામાં આવે છે. ઠરાવેલા માપદંડો સ્થાનિક અને વૈશ્વિક હોય છે. જેમ કે, સ્વસ્થ સરેરાશ આયુષ્ય, પ્રતિવ્યક્તિ જી.ડી.પી., સામાજિક સમર્થન, ઉદારતા, વ્યક્તિને જીવનમાં પસંદગીની સ્વતંત્રતાનો અધિકાર, ઉદારતા, કલ્પનાલોક અને દેશમાં વ્યાપ્ત ભ્રષ્ટાચાર.

વર્લ્ડ હેપ્પીનેસ રિપોર્ટમાં ભારતનું સ્થાન સુધરી રહ્યું છે. પરંતુ ઘણા વરસોથી તે તળિયે જ જોવા મળે છે. ૨૦૧૯માં તેનો પ્રસન્નતા આંક ૧૪૦, ૨૦૨૦માં ૧૪૪, ૨૦૨૧માં ૧૩૯, ૨૦૨૨માં ૧૩૬ અને ૨૦૨૩માં ૧૨૬ છે. ૨૦૨૩માં ભારત કરતાં ભારતના પાડોશી દેશોમાં વધુ પ્રસન્નતા જણાઈ છે. ચીનનો ક્રમ ૬૪, મ્યાંમારનો ૭૨, નેપાળનો ૭૮, બાંગ્લાદેશનો ૧૦૨ અને પાકિસ્તાનનો ૧૦૮ છે. યુદ્ધમાં ઘેરાયેલા રશિયા અને યુક્રેનના આનંદક્રમ અનુક્રમે ૭૦ અને ૯૨ છે. તે પણ ભારત કરતાં પ્રસન્નતામાં ચડિયાતા હોય તે બાબત નવાઈ પમાડે તેવી છે.

એકસો સાડત્રીસ દેશોમાં ભારતનું સ્થાન એકસો છવ્વીસમું હોય તે વાત ઘણાને હજમ થતી નથી. જો કે ઘણાને તેમાં કંઈ અજુગતું પણ લાગતું નથી. ઓક્સફામના અમીરો-ગરીબો વચ્ચેના અંતરનો અહેવાલ, ગ્લોબલ હંગર ઈન્ડેક્ષ, માતા-બાળક મૃત્યુદર, માનવ વિકાસ સૂચકાંક, ગ્લોબલ જેન્ડર ગેપ રિપોર્ટ, ગુણવતાયુક્ત શિક્ષણના અભાવથી અપૂરતી આરોગ્ય સગવડો જેવા ઘણા અહેવાલોમાં ભારતનું સ્થાન નીચું છે. એટલે હેપ્પીનેસ રિપોર્ટમાં ભારત તળિયાના દસ દેશોમાં હોય તે સ્વાભાવિક લેખાવું જોઈએ. દેશમાં પ્રવર્તમાન ભ્રષ્ટાચાર, મહિલા સુરક્ષાનો અભાવ, શહેરીકરણા અને તેના સવાલો, બેરોજગારી સાથે આવકમાં ઘટાડો, આરોગ્ય ખર્ચમાં વધારો, ખરાબ માનસિક આરોગ્ય અને પર્યાવરણ-પ્રદૂષણ જેવી બાબતો ભારતના લોકોની ખુશીમાં બાધક છે.

સવાસો કરોડની વસ્તીના દેશના ૫૦૦ થી ૩,૦૦૦ લોકોના જવાબો પરથી પ્રસન્નતા આંક કઈ રીતે નક્કી થઈ શકે તેવો સવાલ પણ હેપ્પીનેસ રિપોર્ટમાં ભારતના નીચા સ્થાનના વિરોધીઓનો છે. બહુ નાની સેમ્પલ સાઈઝનો આ સવાલ લગભગ કોઈ પણ સર્વેક્ષણના નિષ્કર્ષો સામે ઉઠતો હોય છે. તેના જવાબમાં રિપોર્ટમાં લખવામાં આવ્યું છે કે તેના તારણો ૯૫ ટકા સાચા છે કે તે રિઝનેબલી ગુડ એસ્ટીમેટ એટ ઘ નેશનલ લેવલ છે.

કેટલાક આલોચકો માપદંડો સામે સવાલો ઉઠાવે છે. ખુશીને અસર કરી શકે તેવા માપદંડોનો અભાવ હોવાની તેમની ફરિયાદ છે. વળી જટિલ અને બહુઆયામી આનંદ અને ઉદારતાની અવધારણાને કઈ રીતે માપી શકાય ? તેમ પણ તેઓ પૂછે છે. માત્ર આર્થિક સમૃદ્ધિ આનંદનું કારણ હોઈ શકે ખરું ? જો જવાબ હા હોય તો અમેરિકા, બ્રિટન અને સંયુક્ત આરબ અમીરાત જેવા ધનના ઢગલે આટોળતા દેશો પ્રસન્નતામાં ટોપ ટેન કેમ નથી? એટલે લોકોની ખુશી અને સંતોષ માત્ર આર્થિક બાબતો પર જ નિર્ભર નથી.

ભારત પણ લોકોના ચહેરા પર પ્રસન્નતા આણવા અને આંકવા પ્રયત્નો કરી રહ્યું છે. મધ્ય પ્રદેશ સરકારે ૨૦૧૬થી રાજ્યમાં આનંદ મંત્રાલય શરૂ કર્યું છે. તેનું કારણ રાજ્યમાં વધતા આત્મહત્યાના બનાવો અને લોકોમાં વ્યાપ્ત તણાવ અને નિરાશા હતા. લોકોમાં આનંદ સહિતની બાબતો રોપવા કેટલાક મોડ્યુલ તૈયાર કર્યા છે. તે ઉપરાંત આનંદ કલબ અને જોય ઓફ ગિવિંગના આયોજનો થાય છે. વડા પ્રધાને જી-૨૦ના દેશોને મહિલાઓમાં પ્રસન્નતા જાણવા કરેલા આહ્વાનને અનુસરીને હરિયાણામાં એક એન.જી.ઓ.એ રાજ્યના ત્રણ જિલ્લામાં વુમન હેપ્પીનેસ ઈન્ડેક્ષ માટે સર્વે હાથ ધર્યો છે. સંસ્થા વુમન હેપ્પીનેસ ચાર્ટ મહિલાઓના ઘરે લગાવીને તેના પરથી મહિલાઓની ખુશી માપવાની છે. ૨૦૨૩માં દુનિયાના જે દસ દેશો પ્રસન્નતામાં ટોચે છે તેમાંથી આઠ દેશોમાં ચાળીસ ટકા સંસદીય પદો પર મહિલાઓ છે. એ દૃષ્ટિએ પણ મહિલાઓની ખુશીને પ્રાધાન્ય મળવું જોઈએ.

માનસશાસ્ત્રના સંશોધક ફ્રેન્ક માર્ટેલા પ્રસન્નતા આંકને જરા જુદી રીતે મૂલવે છે. તેઓ કહે છે કે હું ફિનલેન્ડ દુનિયાનો સૌથી ખુશખુશાલ દેશ છે એમ નહીં કહું પણ એમ કહીશ કે  ફિનલેન્ડમાં બહુ ઓછા લોકો દુ:ખી છે. કોઈ પણ સરકાર તેના નાગરિકોના ચહેરા પર પરાણે સ્મિત ના આણી શકે પરંતુ યોગ્ય અને સારું કામ કરવા સક્ષમ સંસ્થાઓ, સગવડો અને સેવાઓ આપીને તે તેમના દુ:ખનાં ઘણાં કારણો દૂર કરી શકે છે.

૧૯૫૬માં સૌરાષ્ટ્ર સરકારે સફાઈ કામદારોની સ્થિતિનો અભ્યાસ કરવા દવે કમિશનની રચના કરી હતી. કમિશને તેના અહેવાલમાં સફાઈ કામદારોની વસ્તીની જાત મુલાકાતના આધારે સાંજ પડે લોકો વસ્તીમાં ભેગા થઈ હાહાહીહી અને ઠઠ્ઠામશ્કરી કરતા હોય છે તેની ટીકા કરી હતી. સફાઈ કામદારો તેમના દુ:ખ અને વેદનાને ભૂલવા હસે કે હસી કાઢે તે ટીકાસ્પદ અને મહાનગરો-નગરોની કૃત્રિમ હાસ્યની લાફિંગ કલબો આવકારદાયક એવા વિરોધાભાસ વચ્ચેના પ્રસન્ન ભારતના પ્રસન્નતા આંકને માપવો અઘરો છે.

e.mail : maheriyachandu@gmail.com

Loading

રાજકીય લાભ માટે પવાર કોઈ સાથે પણ વિશ્વાસઘાત કરી શકે

રમેશ ઓઝા|Opinion - Opinion|4 May 2023

રમેશ ઓઝા

શરદ પવાર ચતુર મહત્ત્વાકાંક્ષી નેતા છે. તેમણે તેમની ચતુરાઈ દ્વારા મહત્ત્વાકાંક્ષા પૂરી કરી છે અને બળબળતી મહત્ત્વાકાંક્ષાએ ચતુરાઈને ઝાંખી પાડી છે. ૧૯૯૧માં રાજીવ ગાંધીની હત્યા પછી વડા પ્રધાન બનવા પી.વી. નરસિંહ રાવ સામે તેમણે કરેલી ઉમેદવારી અને મે ૧૯૯૯માં  વિદેશી સોનિયા ગાંધીનાં નેતૃત્વનો અસ્વીકાર કરીને કરેલી બગાવત આનાં ઉદાહરણ છે. ૧૯૯૩માં મુંબઈમાં થયેલા બોમ્બ બ્લાસ્ટની તક ઝડપીને મહારાષ્ટ્રને સબળ શાસકની જરૂર છે એમ કહીને વડા પ્રધાન પી.વી. નરસિંહ રાવે પવારને મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન બનાવીને દિલ્હીથી મુંબઈ ધકેલી દીધા. ૧૯૯૯માં તેમને એમ લાગ્યું હતું કે દેશમાં પ્રવાહી રાજકીય સ્થિતિમાં સોનિયા ગાંધીનું વિદેશી હોવાપણું મોટો મુદ્દો બનશે અને તેઓ પક્ષમાં રાષ્ટ્રીય નેતૃત્વ ધારણ કરશે. તેમની એ ગણતરી ખોટી પડી. ઊલટું શરદ પવાર રાષ્ટ્રીય નેતાની જગ્યાએ માત્ર એક રાજ્યમાં રાજકીય હાજરી ધરાવનારા પક્ષના નેતા બની ગયા. મુલાયમ સિંહ યાદવ કે પ્રકાશસિંહ બાદલ જેવા પ્રાદેશિક નેતા નહીં, પણ માત્ર એક જ પ્રદેશમાં વગ ધરાવનારા રાષ્ટ્રીય નેતા. આ દૃષ્ટિએ શરદ પવારને એક અનોખા નેતા કહેવા જોઈએ.

શરદ પવાર

૨૪ વરસ પહેલાં તેમણે કાઁગ્રેસ છોડી હતી અને રાષ્ટ્રવાદી કાઁગ્રેસ પક્ષની સ્થાપના કરી હતી. હવે તેમણે પક્ષનું અધ્યક્ષપદ છોડવાની જાહેરાત કરી છે. પ્રસંગ તેમની આત્મકથાની સુધારિત આવૃત્તિના વિમોચનનો હતો. સામે પક્ષના દિગ્ગજ નેતાઓ બેઠા હતા અને સોપો પડી ગયો. અશ્રુધારા વહેવા લાગી અને થોભો થોભો અને કોઈ રોકો રોકોના ઉદ્ગારો થવા માંડ્યા. છેવટે પવારે કહ્યું કે તેમને વિચારવા માટે ત્રણ દિવસ અને સંપૂર્ણ એકાંત આપવામાં આવે. કોઈ કાર્યકર્તા કે નેતા મળવા આવ્યો છે તો તેઓ પુનર્વિચાર નહીં કરે. ત્રણ દિવસ પછી પવાર શું નિર્ણય લે છે તેની યથા સમય જાણ થઈ જશે, પણ તેમણે આવો નિર્ણય લીધો શું કામ એ પ્રશ્ન તો રહે જ છે. પવાર કોઈ નિર્ણય વગર વિચાર્યે લેતા નથી. તેનાં દૂર દૂરનાં પરિણામ તેને ભળાય એટલા તેઓ વિચક્ષણ છે. ટાઈમિંગની બાબતમાં પણ તેઓ ભાગ્યે જ થાપ ખાય છે. શા માટે શરદ પવારે અત્યારે પક્ષનું અધ્યક્ષપદ છોડવાની જાહેરાત કરી હશે? બીજું તેમણે માત્ર પક્ષનું અધ્યક્ષપદ છોડવાની જાહેરાત કરી છે. તેમણે પોતે કહ્યું છે કે તેઓ સક્રિય રાજકારણમાંથી અને જાહેરજીવનમાંથી નિવૃત્ત થવાના નથી. આમ એન.સી.પી. અને પવાર વચ્ચેનો અવિભાજ્ય સંબંધ તેઓ હયાત છે ત્યાં સુધી અવિભાજ્ય જ રહેવાનો છે.

ભારતમાં પરિવાર સ્થાપિત રાજકીય પક્ષોમાં વારસાનો સંઘર્ષ હંમેશાં જોવા મળ્યો છે. કાશ્મીરથી કન્યાકુમારી સુધી નજર કરો, દરેક પક્ષમાં સ્થાપક નેતાનાં મૃત્યુ પછી કલહ જોવા મળ્યો છે. એન.ટી. રામારાવ અને બાળ ઠાકરેનાં પરિવારમાં તો તેમની હયાતીમાં જ કલહ શરૂ થઈ ગયો હતો. શરદ પવારનાં પરિવારમાં પણ પુત્રી સુપ્રિયા સૂલે અને ભત્રીજા અજીત પવાર વચ્ચે શીતયુદ્ધ ચાલી રહ્યું છે. અજીત પવારે તો ૨૦૧૯માં બી.જે.પી. સાથે હાથ મેળવ્યા પણ હતા. એમાં શરદ પવારની સંમતિ હતી કે નહીં એ આપણે નથી જાણતા. અત્યારે ફરી ચર્ચા ચાલી રહી છે કે અજીત પવાર કાકા સામે બળવો કરીને બી.જે.પી. સાથે હાથ મેળવવાના છે. અજીત પવારને એમ લાગે છે કે ભારતમાં પોતાનાં રક્તનાં અદકેરાપણાની મજબૂરી જોતાં વારસો સુપ્રિયાને જ મળવાનો હોય અને પોતાનાં નસીબમાં રાજ ઠાકરે બનવાનું લખાયું હોય તો એ નસીબ અત્યારે જ બદલી નાખવું જોઈએ.

ઘરમાં શું ચાલી રહ્યું છે એની જાણ પવારથી વધુ કોને હોય? એમ લાગે છે કે તેઓ ગૃહકલેશનો પોતાની પુત્રીના પક્ષમાં અંત લાવવા અધ્યક્ષપદેથી નિવૃત્ત થયા છે. જે થવાનું હશે એ તેમની હયાતીમાં નજર સામે થશે અને તેઓ તેનો સામનો કરી લેશે. કાર્યકર્તા અને જિલ્લા સ્તરના નેતાઓ શરદ પવાર સાથે હોય એટલે પક્ષમાં વિભાજનનો સવાલ નથી અને જો થાય તો પણ તેને પહોંચી વળી શકાય. શિવસેનાનો દાખલો સામે છે. આખી શિવસેના તેના ડણાક દેતા વાઘ અને ચૂંટણીચિહ્ન સહિત છીનવી લીધી હોવા છતાં, છીનવી લેનારાઓ લોકોની વચ્ચે જતાં ડરે છે, કારણ કે કાર્યકર્તા અને નાના સ્થાનિક નેતાઓ ઉદ્ધવ ઠાકરેની સાથે છે. સ્થાનિક સ્વરાજ સંસ્થાઓની ચૂંટણી ડરના માર્યા યોજવામાં આવતી નથી. આમ પક્ષના અધ્યક્ષપદેથી નિવૃત્ત થવાનું દેખીતું કારણ પોતાની હયાતીમાં અજીત પવારની સંભવિત ખટપટને નાથવાનું છે.

ભારતનાં રાજકારણમાં શરદ પવાર એક માત્ર એવા નેતા છે જેમના દરેક પક્ષમાં મિત્રો છે અને તેઓ મોટા ઉદ્યોગપતિઓના પણ મિત્ર છે. ૨૦૨૪ની સામાન્ય ચૂંટણીમાં જો નવાજૂની થાય અને પોતે પક્ષીય રાજકારણ અને તેની ગણતરીઓથી ઉપરવટ હોય તો કદાચ વડા પ્રધાન બનવાની તક મળે. શરદ પવાર ૧૯૮૦થી ભારતના વડા પ્રધાન બનવાના મનોરથ સેવે છે અને એ કોઈ છૂપી વાત નથી. ૧૯૯૬માં વી.પી. સિંહ વિરોધ પક્ષોમાં જે સ્થાન અને આદર ધરાવતા હતા એવું સ્થાન અને આદર મેળવી શકાય. વી.પી. સિંહ જનતા દળમાંથી નિવૃત્ત થઈ ગયા હતા અને માત્ર તેને કારણે વડા પ્રધાનપદ માટે લડતા ત્રીજા મોરચાના નેતાઓએ વી.પી. સિંહને વડા પ્રધાન બનવાની વિનંતી કરી હતી. શું ખબર પવારને એવો મોકો મળે પણ ખરો!

શરદ પવારની એક મર્યાદા છે વિશ્વાસર્હતાનો અભાવ. તેઓ અંગત સંબંધમાં અત્યંત ભરોસાપાત્ર માણસ છે, પણ રાજકીય લાભ માટે કોઈની પણ સાથે વિશ્વાસઘાત કરી શકે. માત્ર રાજકીય લાભ માટે, અંગત નુકસાન ન પહોંચાડે, બલકે અંગત નુકસાન ન થાય તેનું ધ્યાન રાખે.

શરદ પવાર સત્તામાં હોય કે ન હોય, પણ શરદ પવાર રાજકારણમાં કેન્દ્ર સ્થાને રહેવાની આવડત ધરાવે છે. 

પ્રગટ : ‘વાત પાછળની વાત’, નામક લેખકની કટાર, “ગુજરાતમિત્ર”, 04 મે 2023

Loading

...102030...1,0181,0191,0201,021...1,0301,0401,050...

Search by

Opinion

  • કાનાની બાંસુરી
  • નબુમા, ગરબો સ્થાપવા આવોને !
  • ‘ફૂલ નહીં તો ફૂલની પાંખડી’ પણ હવે લાખોની થઈ ગઈ છે…..
  • લશ્કર એ કોઈ પવિત્ર ગાય નથી
  • ગરબા-રાસનો સૌથી મોટો સંગ્રહ

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved