Opinion Magazine
Number of visits: 9458158
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

નવી શિક્ષણ નીતિમાં શિક્ષણ ઓછું ને ‘શિક્ષા’ વધારે છે …

રવીન્દ્ર પારેખ|Opinion - Opinion|15 May 2023

રવીન્દ્ર પારેખ

ગુજરાતનું શિક્ષણ ખાડે ગયું છે એવું સરકાર સિવાય પ્રજા તો માને જ છે, પણ શિક્ષણ ખાતું એ સ્વીકારવા તૈયાર નથી, તે એટલે કે તેને છાશવારે અખતરાની એવી ટેવ પડી છે કે તે શિક્ષક, વાલી કે વિદ્યાર્થીઓની કોઈ વાત કાને ધરવા રાજી નથી. વિદ્યાર્થીઓ ઢગલો માર્કસ લાવે છે, પણ તેનામાં આંકડા સિવાય બીજું કોઈ મહત્ત્વ વસતું નથી. વાલીઓ ફી, ચોપડાં ને ગણવેશમાં જ એવા ખપી જાય છે કે શિક્ષણનું કોઈ મૂલ્ય તેને હૈયે ભાગ્યે જ વસે છે. શિક્ષકો, પ્રવાસી કે વિદ્યા કે શિક્ષા સહાયકોનાં કોષ્ટકમાં એવા અટવાય છે કે નિયમિત શિક્ષકોને વિકલ્પે કામચલાઉ નિમણૂક ને ઓછા પગારમાં જ તે પોતાનું ગુજરાન ચલાવવા લાચાર છે. બીજું, એક ચિત્ર વિદ્યાર્થીઓ અને શિક્ષકો સંદર્ભે પરીક્ષાનું એવું ઉપસે છે, જેમાં ભણવાનું ઓછું ને પરીક્ષાઓ જ વધુ થતી રહે છે. આખા રાજ્યમાં લગભગ રોજ કોઈ નહીં ને કોઇની પરીક્ષા ચાલ્યા જ કરે છે. પરીક્ષા એટલે જ ભણવું – એવી નવી વ્યાખ્યા હવે શિક્ષણની થઈ ગઈ છે. વિદ્યાર્થીઓની પરીક્ષા પતે છે કે શિક્ષકોની, ક્લાર્કની, તલાટીની પરીક્ષાની ઋતુ ભયંકર તાપ વચ્ચે પણ ચાલ્યા કરે છે. ગુજરાતમાં પરીક્ષા બારમાસી મોસમ છે. એક સમય હતો કે ઉનાળામાં વેકેશનની મજા બધાં જ માણતાં, પણ હવે ઘરમાં કયાં તો બાળકની કે વાલીની પરીક્ષાઓ વેકેશનની પથારી ફેરવ્યા વગર ભાગ્યે જ રહે છે. વેકેશનમાં વિદ્યાર્થી કે શિક્ષક બંને પરીક્ષા આપતાં હોય તો તેની બહુ નવાઈ હવે નથી. તે ઓછું હોય તેમ ટાટ-ટેટની પરીક્ષાઓ સંદર્ભે સરકારે નવા ફતવા બહાર પાડયા છે. શિક્ષક બનવા માટે TATની પરીક્ષાઓ જૂન, 2023માં લેવાનાર છે. પ્રિલિમિનરી ને મુખ્ય એમ બે પરીક્ષાઓ ટેટ-ટાટને નામે લેવાવાની છે. છેલ્લી ઘડીએ કોઈ ફેરફાર ન થાય તો 18 જૂને મુખ્ય પરીક્ષા લેવાની વાત છે. પરીક્ષાને તો હજી વાર છે, પણ તે પહેલાં એવું જાહેર કરી દેવાયું છે કે જૂન, 2023 પહેલાંની ટેટ-ટાટની પરીક્ષા જેમણે પાસ કરી હશે તે શિક્ષકોની ભરતી માટે માન્ય ગણાશે નહીં.

એક વાત સ્પષ્ટ છે કે 2019ની પરીક્ષા પાસ કરનાર એમના કોઈ વાંક-ગુના વગર દંડાઈ રહ્યા છે. એમણે જ્યારે પરીક્ષા પાસ કરી ત્યારે નવી શિક્ષા નીતિની વાત ન હતી. એ આવી 2020માં. એ વખતે પણ એવી કોઈ જાહેરાત ન હતી કે 2019ના ટાટ-ટેટ પાસ, નવી શિક્ષા નીતિ મુજબ શિક્ષકની ભરતી માટે માન્ય ગણાશે નહીં. વારુ, જે 2019ની પરીક્ષા પાસ કરીને ક્યાંક નોકરીએ પણ લાગ્યા હશે તો એમનું શું થશે? એ નવી શિક્ષા નીતિ મુજબ તો પાસ થયા નથી, તો એમની નિમણૂક રદ્દ થશે? આ મામલે ઉમેદવારોએ શિક્ષણ મંત્રીઓને રજૂઆત પણ કરી કે 2019માં ટાટ પાસ થયા હોય તેમનું પરિણામ 5 વર્ષ સુધી માન્ય ગણવું જોઈએ, પણ સરકાર આ મામલે મગનું નામ મરી પાડતી નથી ને નવી શિક્ષણ નીતિ લાગુ કરવાના લોભમાં ઉમેદવારોને અન્યાય કરે એવા પૂરતા સંજોગો છે. સરકાર સ્પષ્ટપણે માને છે કે જૂન, 2023માં લેવાનાર પરીક્ષા નવી શિક્ષા નીતિ સંદર્ભે હશે ને 2019ની પરીક્ષા જૂની પદ્ધતિ મુજબની છે એટલે એ તો રદ્દ થવાને પાત્ર જ છે. સરકારનો મુદ્દો એ પણ છે કે TATની પરીક્ષા નવા ફેરફાર મુજબ દ્વિસ્તરીય હશે, જેમાં પહેલી પરીક્ષા વૈકલ્પિક પ્રશ્નોની હશે ને બીજી વર્ણનાત્મક પ્રશ્નોની હશે. સરકારનો દાવો છે કે શિક્ષકોની ગુણવત્તામાં વધારો કરવા માટે આ પદ્ધતિમાં ફેરફાર કરવામાં આવ્યો છે.

જો કે, વૈકલ્પિક અને વર્ણનાત્મક પ્રશ્નો તો અન્ય પરીક્ષામાં પણ હોય છે, તો જે તે પરીક્ષા નવી શિક્ષા નીતિ મુજબની જ છે ને એમાં કઇ વિશિષ્ટતા હશે એ અંગેનો કોઈ ખુલાસો સરકારે કર્યો હોવાનું જાણમાં નથી અથવા જે પરીક્ષા 2023માં લેવાશે તે નવી શિક્ષા નીતિ મુજબની જ હશે એવું કોઈ સૂચન જૂન, 2023ની લેવાનાર પરીક્ષામાંથી મળતું નથી. મુદ્દો એ છે કે શિક્ષકોની ગુણવત્તામાં વધારો કરવા ફેરફાર કરવામાં આવ્યો છે, પણ વૈકલ્પિક ને વર્ણનાત્મક પરીક્ષાઓથી શિક્ષકોની ગુણવત્તામાં કઇ રીતે વધારો થશે અને એ નવી શિક્ષા નીતિ પ્રમાણે કઇ રીતે હશે એવી કશી સ્પષ્ટતા સરકારે કરી નથી. રહી વાત 2019ની પરીક્ષાની, તો તે ગુણવત્તા વધારવા માટે ન હતી એમ માનવાનું છે?

ગુજરાત રાજ્ય પરીક્ષા બોર્ડે 2023 માટે ટીચર એપ્ટિટ્યુડ ટેસ્ટ-TATનુ નોટિફિકેશન બહાર પાડ્યું છે. જે સરકારની શાળાઓમાં શિક્ષક બનવા ઈચ્છે છે તેમને માટે એ ફરજિયાત છે. અહીં સવાલ એ થાય કે શિક્ષક થવા બી.એડ્ કે એમ.એડ્ કે પીએચ.ડી. જેવી પરીક્ષાઓ અનિવાર્ય ગણી હોય પછી પણ ટેટની પરીક્ષા ફરજિયાતપણે પાસ કરવાનું કેટલી હદે વાજબી છે? જો આ પરીક્ષા બી.એડ્.‌ કે એમ.એડ્‌.ને વિકલ્પે હોય તો તે સમજી શકાય, પણ આ પરીક્ષાઓ ઉપરાંત ટેટ પાસ કરવાનું ફરજિયાત હોય તો તે જુલમ ને લૂંટથી વિશેષ કઈં નથી. નોકરીની કશી પણ ખાતરી આપ્યા વગર ઉમેદવારને શિક્ષક તરીકેની એકાધિક પરીક્ષામાં સતત સંડોવી રાખીને શિક્ષણની કેવીક ગુણવત્તા સરકાર સુધારવા માંગે છે તે અકળ છે. વળી 2019ની પરીક્ષા પાસ કરી હોય છતાં નવી શિક્ષા નીતિને નામે એ પરીક્ષા રદ્દ ગણવામાં આવે ને પાસ થવા છતાં જૂન, 2023ની પરીક્ષા પાસ કરવાની રહે જ તે વાત પાસ થનારને સરાસર અન્યાય કરનારી છે. નવી શિક્ષણ નીતિ તો 2020માં જાહેર થઈ, એ પહેલાં 2019ની TATની પરીક્ષા પાસ કરનાર માધ્યમિક શિક્ષકની નોકરી માટે લાયક ન ગણાય ને 2023ની નવી શિક્ષણનીતિ મુજબની પરીક્ષા પાસ કરવાનું જ ફરજિયાત બનતું હોય તો બી.એડ્‌.ની ડિગ્રી પણ રદ્દ ગણવી જોઈએ, કારણ એ પણ જૂની શિક્ષણ નીતિ મુજબ જ મેળવાયેલ છે. આ જો ન થઈ શકતું હોય તો 2019ના પાસ થનારને પણ માન્ય ગણવા જ જોઈએ. બહુ થાય તો નવી શિક્ષા નીતિ મુજબની ટ્રેનિંગ આપી શકાય, વર્કશોપ્સ થઈ શકે, પણ પાસ થનારને ફરી એ જ પરીક્ષામાં જોતરવાનું કોઈ પણ રીતે ક્ષમ્ય નથી.

સરકારને પક્ષે સૌથી મોટી ખોટ દાનતની છે. ગમે તેવી ઉત્તમ શિક્ષણ નીતિની સરકાર પોતે જ ઘોર ખોદી શકે. એ બાબતે સરકાર પૂરતી સ્વાવલંબી છે. 2020માં જાહેર થયેલી શિક્ષણ નીતિની સરકાર જ ભૂરી ભૂરી પ્રશંસા કરતાં થાકતી નથી. એક વખત માની પણ લઇએ કે શિક્ષણ નીતિ ઉત્તમ છે, પણ સૌથી મોટો પ્રશ્ન તેને લાગુ કરવા અંગેની વફાદારીનો છે. શિક્ષણ નીતિનું મોંઘાં કાપડ જેવું છે. કપડું સોનાના તારનું જ કેમ ન હોય, પણ તેમાંથી જે વસ્ત્ર સીવવાનું છે ને જેને માટે તે સીવવાનું છે, તે સીવનાર અધૂરો કે અણઘડ રખાય તો પેલું કાપડ કીમતી હોવાનો કોઈ અર્થ રહેશે? અથવા કોઈ દરજી અનેક કસોટીઓમાંથી પાર પડ્યો હોય, અવ્વલ દરજ્જાનો કારીગર હોય, પણ તેની પરીક્ષાઓ જ લેવાયા કરે ને તેને સીવવાની તક જ ન અપાય તો પણ પેલાં કાપડનો કોઈ અર્થ રહેતો નથી. નવી શિક્ષણ નીતિનું કીમતી કાપડ જેવું છે. તેને સીવનાર દરજી તે શિક્ષક છે, જેને જુદી જુદી પરીક્ષાઓમાં જ એવી રીતે જોતરી રખાય છે કે બધી પાત્રતા છતાં,  તે નોકરીને લાયક બને જ નહીં. તેની પાત્રતા છતાં તેને યોગ્ય સ્થાન મળે જ નહીં એની સરકાર જ પૂરતી કાળજી રાખે છે. નવી શિક્ષણ નીતિ લાગુ કરવાની હોય ને પૂરતી સંખ્યામાં શિક્ષકોની નિમણૂક થતી જ ન હોય ને પ્રવાસી શિક્ષકો કે વિદ્યા સહાયકોથી જ ચલાવાતું હોય, તો શિક્ષણ નીતિ ગમે એટલી ઉત્તમ હોય તો પણ શિક્ષણ અસરકારક બનવાથી દૂર જ રહે તે એટલીસ્ટ સરકારને ભણાવવાનું હોય નહીં, કારણ એ આ વાત સૌથી સારી રીતે જાણે-સમજે છે.

બીજી મહત્ત્વની વાત એ કે આ ટેટ-ટાટનો આખો મામલો ખાનગી સ્કૂલોને લાગુ પડતો નથી. સાચું તો એ છે કે સરકારી નોકરીઓ પૂરતો જ ટેટ-ટાટનો મહિમા છે, તો સવાલ એ થાય કે ખાનગીમાં ટેટ-ટાટ વગર જો નવી શિક્ષણ નીતિ લાગુ થઈ શકતી હોય ને ત્યાં તે સફળ રહેતી હોય તો સરકારી સ્કૂલોની નોકરી માટે ટેટ-ટાટનું બર્ડન વધારવાનો કોઈ અર્થ ખરો? જો આ પરીક્ષાઓ વગર પણ, ખાનગીમાં નવી શિક્ષણ નીતિ સફળ રહેવાની ખાતરી તેનાં સંચાલકોને હોય તો સરકારને ટેટ-ટાટ વગર નવી શિક્ષણ નીતિ સફળ થવા અંગેની દહેશત કેમ છે? કે ખાનગીમાં નવી શિક્ષણ નીતિ નિષ્ફળ રહે એનો સરકારને વાંધો નથી? કે ખાનગી સ્કૂલોની પરીક્ષાઓ જોડે સરકારને કોઈ લેવા દેવા નથી? કે સરકાર, ગુજરાતનું શિક્ષણ બોર્ડ ખાનગીથી દૂર રાખવાની છે? ટૂંકમાં, જો ખાનગી સ્કૂલોને ટેટ-ટાટની પરીક્ષા વગર નવી શિક્ષણ નીતિ લાગુ થઈ શકવાની હોય તો સરકારની એ જ શિક્ષણ નીતિ ટેટ-ટાટ વગર લાગુ કરવામાં શું નુકસાન છે તેની કોઈ સ્પષ્ટતા સરકારે નથી કરી. કરવી જોઈએ. અસ્તુ …

000

e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 15 મે 2023

Loading

કર્ણાટક: નફરતના બજારમાં મહોબ્બતની જીત

રાજ ગોસ્વામી|Opinion - Opinion|14 May 2023

રાજ ગોસ્વામી

“ભા.જ.પ.ની હાર, કાઁગ્રેસની જીત.” બહુ સમય પછી આવી હેડલાઈન આવી છે. કર્ણાટક વિધાન સભાની ચૂંટણીમાં કાઁગ્રેસનું પલડું ભારે છે અને ભા.જ.પ. નબળી વિકેટ પર છે એવું ઘણા લોકો માનતા હતા, અને એક્ઝિટ પોલમાં પણ એવું જ અનુમાન હતું. જો કે, (ભા.જ.પ. સહિત) એક મોટા વર્ગને એવી ઉમ્મીદ હતી કે પરિણામો ત્રિશંકુ વિધાનસભા તરફ જશે અને જે.ડી.એસ. કિંગ મેકર બનશે. ઘણા લોકોને આશંકા હતી કે ભા.જ.પ.ને ચૂંટણીઓ જીતવાની અને સરકારો બનાવાની એવી આદત પડી ગઈ છે કે કર્ણાટકમાં પરિણામો જાહેર થઇ ગયા પછી પણ છાતી ઠોકીને એવું ન કહેવાય કે કાઁગ્રેસની સરકાર બનશે.

કાઁગ્રેસને ઘણા વખત પછી ‘સોલિડ વિજય’ સાથે એક રાજ્યમાં સત્તામાં આવી છે. એનાથી પક્ષની નેતાગીરી અને કાર્યકારોમાં નૈતિક જુસ્સો વધશે, જે ઘણા સમયથી તળિયે બેઠેલો છે. ભા.જ.પ. અને ખાસ તો વડા પ્રધાન નરેન્દ્ર મોદીના તોતિંગ વિજયરથનાં પૈડાંમાં આડખીલી બનવા માટે કાઁગ્રેસને એક નિર્ણાયક જીતની ઘણા સમયથી તલાશ હતી, જે કર્ણાટકની પ્રજાએ આપી છે.

મશહૂર ગઝલ ગાયક જગજીત સિંહે ગાયું હતું કે બાત નિકલેગી તો દૂર તલક જાયેગી. કર્ણાટક વિધાનસભાની ચૂંટણીનાં પરિણામ ખાલી રાજ્ય પૂરતાં જ મર્યાદિત નથી. તેની અસર દૂર તેલંગાણા, રાજસ્થાન, મધ્ય પ્રદેશ અને છતીસગઢ વિધાનસભા અને 2024ની લોકસભાની ચૂંટણી સુધી જવાની છે. લોકસભાની ચૂંટણી માટે મમતા બેનરજી, નીતિશ કુમાર, શરદ પવાર વિપક્ષોને એક છત્ર નીચે લાવવા સક્રિય થઇ ગયેલાં છે. એમાં કાઁગ્રેસનું વજન કેટલું રાખવું તેને લઈને મતભેદ હતા. કર્ણાટકમાં કાઁગ્રેસના પ્રદર્શન પછી એક તો વિપક્ષી એકતામાં તેનો અવાજ મોટો થશે, અને બે, વિપક્ષોના એક થવાની પ્રકિયાને ગતિ મળશે.

રાહુલ ગાંધીની ‘ભારત જોડો યાત્રા’ પછીની આ પહેલી ચૂંટણી હતી. યાત્રા કેટલી સફળ રહી, તેનો કેટલો પ્રભાવ રહ્યો તેની આ ચૂંટણીમાં પરીક્ષા હતી. કર્ણાટકનાં પરિણામો બતાવે છે કે લોકોએ કાઁગ્રેસના પ્રજાલક્ષી અભિગમમાં વિશ્વાસ મુક્યો છે. રાજકીય કાર્યકર અને સેફોલોજીસ્ટ યોગેન્દ્ર યાદવે એક ચેનલ પર લાઈવ કાર્યક્રમમાં બહુ રસપ્રદ નિરીક્ષણ કર્યું હતું કે કર્ણાટકમાં 21 વિધાનસભા બેઠકોમાંથી ભારત જોડો યાત્રા પસાર થઇ હતી. 2018માં, તેમાંથી ભા.જ.પ.ની 12, કાઁગ્રેસની 5 અને જે.ડી.એસ.ની 4 બેઠકો હતી. શનિવારે વિધાનસભાનાં પરિણામ આવવાનાં શરૂ થયાં ત્યારે 11. 30 કલાકે ત્યાં કાઁગ્રેસ 17 બેઠકો અને જે.ડી.એસ. 4 બેઠકો પર આગળ હતી. ભા.જ.પ.નું ખાતું જ ખુલ્યું નહોતું.

એ વાત નોંધવા જેવી છે કે એ યાત્રાના કારણે જ કર્ણાટક કાઁગ્રેસમાં ચૂંટણી જીતવાનો જુસ્સો ઊભો થયો હતો અને રાજ્યની નેતાગીરીએ તેની પ્રચાર વ્યૂહરચના સંપૂર્ણપણે ભા.જ.પ. સરકારની નિષ્ફળતા અને જનતાના પ્રશ્નો પર કેન્દ્રિત કરી દીધી હતી. રાજસ્થાનના મુખ્ય મંત્રી અશોક ગહેલોતે તો ટ્વીટ કરીને કર્ણાટકની જીતનું શ્રેય રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રાને આપ્યું હતું. રાહુલ ગાંધીએ યાત્રા વખતે કહ્યું કે તેમનો આશય ‘નફરતના બજારમાં મહોબ્બતની દુકાન ખોલવાનો છે.’ કર્ણાટકનાં પરિણામો જાહેર થયાં ત્યારે દિલ્હીમાં બપોરે ત્રણ વાગે પત્રકારો સમક્ષ ઉપસ્થિત રાહુલે કહ્યું હતું, “કર્ણાટકમાં નફરતનું બજાર બંધ થયું છે, મહોબ્બતની દુકાનો ખૂલી છે. કર્ણાટકે બતાવી દીધું છે કે દેશને મહોબ્બત ગમે છે.”

કર્ણાટક ભા.જ.પ. માટે દક્ષિણ ભારતનું પ્રવેશદ્વાર બન્યું હતું. આ એક માત્ર રાજ્ય હતું જ્યાં ભા.જ.પ.ની સરકાર હતી. એના જોરે ભા.જ.પ. દક્ષિણમાં પગપેસારો કરવા માગતું હતું. 2013માં ભા.જ.પ. અહીં સૌથી મોટા પક્ષ તરીકે ઉભરી હતી, પરંતુ બહુમતીનો આંકડો પાર કરવામાં વિફળ રહેતાં કાઁગ્રેસ-જે.ડી.(એસ)ના નેતૃત્વમાં સરકાર બની હતી. 2019માં તેને ગબડાવીને ભા.જ.પ. સત્તામાં આવી હતી.

દક્ષિણમાં તેના હિન્દુત્વ એજન્ડાને ફેલાવા માટે કર્ણાટક એક પ્રયોગશાળા હતું. એક તો 2025માં, ભા.જ.પ.ના માર્ગદર્શક આર.એસ.એસ.ની સ્થાપનાનાં સો વર્ષ પૂરાં થાય છે. તેને વિશ્વાસ થઇ ગયો છે કે તેણે ઉત્તર ભારતને સર કરી લીધું છે. આવતા વર્ષે અયોધ્યામાં રામ મંદિરના ઉદ્ઘાટનની સાથે જ ભારતને હિંદુ રાષ્ટ્ર ઘોષિત કરવાની ભા.જ.પ.-સંઘની ઉતાવળ સમજી શકાય તેવી છે.

એ યોજનામાં દક્ષિણ ભારત તેની પડખે હોવું જરૂરી છે. છેલ્લાં ત્રણ વર્ષમાં, કર્ણાટકમાં ભા.જ.પે. તેની સત્તા જાળવી રાખવા અને હિન્દુત્વની ચેતના જગાવવા માટે સતત મહેનત કરી હતી. તેણે રાજ્યમાં એવી જગ્યાઓ પણ પસંદ કરી છે જ્યાં સાંપ્રદાયિક વિભાજન સ્પષ્ટ રીતે ભા.જ.પ.ની તરફેણમાં છે.

જો કે, ગવર્નન્સની વાત આવી ત્યાં ભા.જ.પ. નબળી વિકેટ પર ઊભેલી નજર આવી. દક્ષિણ ભારતનાં રાજ્યો તેના બહેતર શાસન માટે જાણીતાં છે, પરંતુ કર્ણાટકમાં ભા.જ.પ.નો દેખાવ વખાણવા લાયક નહોતો. ‘40 ટકા કમિશન સરકાર’નું લેબલ તેની પર એવું ચોટ્યું હતું કે ખુદ વડા પ્રધાન નરેન્દ્ર મોદીની સાફ છબી દાવ પર લાગી ગઈ હતી. એટલા માટે જ, ભ્રષ્ટાચારના અને કુશાસનના આરોપો વચ્ચે બી.એસ. યેદુરપ્પાને ભા.જ.પે. ઘરે બેસાડી દીધા હતા અને બાસવરાજ બોમ્માઈને મુખ્ય મંત્રીની ખુરશી સોંપી હતી. જો કે, ભ્રષ્ટાચારનું લેબલ તો એ પણ હટાવી શક્યા નહોતા.

વિડંબના કેવી કે 2014માં મોદી લહેરમાં ભા.જ.પે. કાઁગ્રેસને પછાડી તેનું એક કારણ કેન્દ્રમાં કાઁગ્રેસ સરકાર સામે ભ્રષ્ટાચારના આરોપો હતા. 2023માં, ટેબલ ફરી ગયું. આ વખતે ભ્રષ્ટ શાસનનો આરોપ સહન કરવાનો વારો ભા.જ.પ.નો હતો. કદાચ એ જ કારણ હતું કે વડા પ્રધાન મોદી, ગૃહ મંત્રી અમિત શાહ, યુ.પી. મુખ્ય મંત્રી યોગી આદિત્યનાથ અને અન્ય સ્ટાર પ્રચારકો ચૂંટણી પ્રચારમાં ‘ગૂડ ગવર્નન્સ’ના નામે કોઈ દાવાઓ પેશ કરી ન શક્યા.

તેમનું સમગ્ર ફોકસ કાઁગ્રેસની કથિત મુસ્લિમ-તરફી, હિંદુ વિરોધી નીતિઓ હતી. કર્ણાટકથી અજાણી વ્યક્તિને એવું લાગે તેમ હતું જાણે ત્યાં કાઁગ્રેસની સરકાર હોય અને ભા.જ.પ. વિપક્ષમાં હોય. જો કે, વડા પ્રધાન છેલ્લાં નવ વર્ષથી સત્તામાં છે છતાં દરેક ચૂંટણીઓમાં વિપક્ષી નેતાની આક્રમકતાથી જ કાઁગ્રેસ પર વરસતા રહ્યા છે. કાઁગ્રેસની એ વ્યૂહાત્મક સફળતા જ કહેવાય કે ભા.જ.પ. સરકારના ભ્રષ્ટાચારની વાતને તે ઘેર-ઘરે પહોંચાડવામાં સફળ રહી હતી.

કર્ણાટકમાં ભા.જ.પ.ના બાસવરાજ બોમ્માઈની સરકારે તેની સિદ્ધિ તરીકે ઈન્ફ્રાસ્ટ્રક્ચરના વિકાસને મુખ્ય મુદ્દો બનાવ્યો હતો, પરંતુ રાજ્ય સરકાર પર ’40 ટકા કમિશન’ના ભ્રષ્ટાચારના આરોપને કાઁગ્રેસ આક્રમક રીતે ઉછાળી રહી હતી એટલે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ચૂંટણી પ્રચારના છેલ્લા દિવસોમાં હિન્દુત્વનો નારો આપ્યો હતો. કર્ણાટક ભા.જ.પ.માં આંતરિક કલહ પણ ચરમસીમાએ છે એટલે પાર્ટીએ મોદીના ચહેરાને જ આગળ ધર્યો હતો. દેખીતી રીતે જ, વડા પ્રધાને કર્ણાટકની ચૂંટણીને મોદી વિરુદ્ધ કાઁગ્રેસનો જંગ બનાવી દીધો હતો.

એ કારણથી જ મોદીએ “કાઁગ્રેસે મને 91 ગાળો આપી છે”થી લઈને “કાઁગ્રેસ બજરંગ બલી પર પ્રતિબંધ મુકવા માગે છે” અને કાઁગ્રેસ આવશે તો કર્ણાટકમાં ‘કેરળ સ્ટોરી’ (ફિલ્મ) બનશે જેવા ભાવનાત્મક મુદ્દાઓ ઉછાળ્યા હતા. ગૃહ પ્રધાન અમિત શાહે તો ચૂંટણી સભાઓમાં એવો પણ પ્રચાર કર્યો હતો કે કાઁગ્રેસ જો સત્તામાં આવશે તો કર્ણાટકમાં તોફાનો થશે.

મોદીએ ચૂંટણી પ્રચારના છેલ્લા દિવસે તો કર્ણાટકના મતદારોને સીધી જ અપીલ કરી હતી કે મતદાન બુથમાં ‘જય બજરંગ બલી’ બોલીને મત આપજો. ઘણા લોકો એવું માનતા હતા કે સત્તામાં આવીને પી.એફ.આઈ. અને બજરંગ દળ પર પ્રતિબંધ મૂકશે એવું વચન આપીને કાઁગ્રેસે ભા.જ.પ.ના હાથમાં હથિયાર આપી દીધું છે. કાઁગ્રેસના નેતાઓને જો કે એવો આત્મવિશ્વાસ હતો કે રાજ્યના તટીય પ્રદેશને બાદ કરતાં બીજે ક્યાં ય હિન્દુત્વનું કાર્ડ ચાલવાનું નથી.

એટલા માટે જ, વડા પ્રધાનના ‘જય બજરંગ બલી’ના નારાને પકડી લઈને કાઁગ્રેસના અધ્યક્ષ ખડગેએ નવો નારો આપ્યો હતો; જય બજરંગ બલી, તોડ દે ભ્રષ્ટાચાર કી નલી! એ આત્મવિશ્વાસ સાચો ઠર્યો છે. મતદારોએ જો સાચે જ વડા પ્રધાનની વાત માની હોય, તો બજરંગ બલીએ ભા.જ.પ.ને પાઠ ભણાવ્યો છે!

બોમ્માઈને કદાચ આનો અંદાજ હતો કે હિંદુ-મુસ્લિમ મુદ્દો કારગત નહિ નીવડે. એટલા માટે જ, પંદર દિવસ પહેલાં જ એક નેશનલ ટી.વી.ના એન્કરે તેમને હિજાબ અને લવ જીહાદ અંગે પૂછ્યું ત્યારે બોમ્માઈએ આશ્ચર્યજનક રીતે કહ્યું હતું કે રાજ્યમાં આવો કોઈ મુદ્દો છે નહીં, ખાલી ટી.વી.વાળાઓને જ એ દેખાય છે. ગયા વર્ષે જ, શૈક્ષણિક સંસ્થાઓમાં મુસ્લિમ છોકરીઓના હિજાબ પહેરવાને લઈને મોટો વિવાદ ખડો થયો હતો જ્યારે બોમ્માઈ સરકારે સ્કૂલ યુનિફોર્મ પહેરવાનું ફરજિયાત કરતો હુકમ કર્યો હતો. નોંધવા જેવું છે કે હિજાબ પ્રતિબંધ માટે જવાબદાર શિક્ષા મંત્રી બી.એસ. નાગેશ તેમની બેઠક બચાવી શક્યા નથી.

પરિણામો પરથી એટલું તો સ્પષ્ટ છે કે કર્ણાટકના મતદારોએ આવા મુદ્દાઓ ખારીજ કરી નાખ્યા છે. કાઁગ્રેસને મત મળ્યા છે એનો અર્થ એટલો જ કે એક તો ભા.જ.પ.ના શાસનમાં ભ્રષ્ટાચારથી લોકો ત્રાસી ગયા હતા અને બીજું, કાઁગ્રેસે તેના પ્રચારમાં લોકોના જીવનનિર્વાહની બુનિયાદી સમસ્યાઓ પર ધ્યાન કેન્દ્રિત કર્યું હતું.

2024માં તેનાથી કાઁગ્રેસ અને વિપક્ષોનો રસ્તો આસાન થયો છે એવું કહેવું અસ્થાને છે, પરંતુ જનતાના બુનિયાદી પ્રશ્નો પર જ ચૂંટણી લડી શકાય છે અને જીતી શકાય છે તે વાત કર્ણાટકે પુરવાર કરી છે. 1980ના દાયકામાં, પત્રકાર (અને મોદી સરકારમાં એકવાર મંત્રી) એમ.જે. અકબરે, મુંબઈ શહેર બાકીના દેશથી અલગ જ દુનિયામાં જીવે છે તે વાતની રમૂજ કરતાં કહ્યું હતું, “સમય આવી ગયો છે કે બોમ્બે હવે ઇન્ડિયા સાથે ડિપ્લોમેટિક રિલેશન્સ સ્થાપે.”

દક્ષિણ ભારતનાં પાંચ રાજ્યોમાંથી એક માત્ર કર્ણાટક ભા.જ.પ. પાસે હતું. શનિવારે કર્ણાટકે દક્ષિણ ભારત સાથે તેના ડિપ્લોમેટિક રિલેશન્સની પુન:સ્થાપના કરી છે.

લાસ્ટ લાઈન:

આ લા ગા બલ્લા વનુ આરા સા ના ગા બલ્લા (કન્નડ કહેવત)

અર્થાત્‌, જે નોકર તરીકે કામ કરવા તૈયાર હોય એ રાજા તરીકે કામ કરવા લાયક બને

પ્રગટ : ‘ક્રોસ લાઈન’ નામક લેખકની સાપ્તાહિક કોલમ, “ગુજરાતી મિડ-ડે”; 14 મે 2023
સૌજન્ય : રાજભાઈ ગોસ્વામીની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

વેધક વાર્તાઓમાં કાશ્મીર, કુદરત, યુક્રેન, ગાંધી અને નારીસંવેદન

સંજય સ્વાતિ ભાવે|Opinion - Opinion|14 May 2023

પુસ્તક પરિચય                         

‘આકાશને અડતી બાલ્કની’ : લેખક – હિમાંશી શેલત : પ્રકાશક – ગૂર્જર : નવેમ્બર 2022 : પાનાં 120 : રૂ. 150/- 

‘આકાશને અડતી બાલ્કની’ એ અનેક રીતે વિશિષ્ટ સાહિત્યકાર હિમાંશી શેલતનો અગિયારમો વાર્તાસંગ્રહ છે. તેનું પેટાશીર્ષક ‘થોડી મનપસંદ વાર્તાઓ’ છે.

હિમાંશીબહેનની વાર્તાઓમાં દેશ અને દુનિયામાં બનતી માણસાઈને હણનારી ઘટનાઓથી હચમચી ઉઠેલી સર્જક સંવેદનાની વેધક, સંયત અભિવ્યક્તિ હોય છે. આ લાક્ષણિકતા નવા વાર્તાસંગ્રહમાં પણ જળવાઈ છે.

નવેમ્બર 2022માં પ્રસિદ્ધ થયેલા આ પુસ્તકની ઓગણીસમાંથી પાંચ વાર્તાઓ કોવિડકાળની જિંદગીની છે. છેલ્લી વાર્તા ‘યુક્રેનની આશા’માં સંહારભૂમિના નામનો નિર્દેશ છે.

માનવઅધિકાર હનનની કાશ્મીરની ઘટનાઓનું કથાબીજ ધરાવતી બે વાર્તાઓમાં સ્થળકાળના આછા નિર્દેશ માત્ર છે, જે સભાન વાચક માટે પૂરતા છે, અને તે ન પામી શકનાર પર પણ વાર્તાનો પ્રભાવ અકબંધ રહે છે.

સાંપ્રદાયિક હિંસાચારને લગતી એક અને રાજકીય હત્યાના બે અત્યંત સૂક્ષ્મ સૂચન સાથેની બે વાર્તા છે. ગાંધીયુગના આદર્શવાદનો પરાજય તેમ જ પર્યાવરણના નાશની વાત પણ અહીં છે. હિમાંશીબહેન હોય અને નારીસંવેદનની કથાઓ ન હોય તો જ નવાઈ.

કોવિડમાં જિંદગીના અંતિમ તબક્કા, અંત અને સ્વજનોથી વિચ્છેદ જેવી બાબતોનું નિરૂપણ ‘માનો છેલ્લો દિવસ’, ‘અસ્થિ’ અને ‘તમે ઓળખો છો આ માણસને’ વાર્તાઓમાં છે. મહામારી દરમિયાન સાવ નાના ગામની જિંદગી અને તેના બાળકોના શિક્ષણનું ચિત્રણ છે. ‘આકાશને અડતી બાલકની’ વાર્તામાં કોવિડ-સર્જી એકલતા પ્રભાકરને કુદરતની નજીક લઈ જાય છે.

ઉપરોક્ત વાર્તાઓમાં વસ્તુ જેટલું જ ચોટદાર છે મહામારીનું આબેહૂબ ચિત્રણ. તેમાં હિમાંશીબહેન ભાગ્યે જ કશું ચૂક્યા વિના, બધું જ આવરી લે છે :    

લૉકડાઉનનો માહોલ, માહિતી-માન્યતા, પૂર્વગ્રહો-પ્રતિભાવો, મૂર્ચ્છા અને મજબૂરી, વહેમ અને વિજ્ઞાન, પ્રયોગો અને પ્રતિકાર, એન.જી.ઓ., માધ્યમો, કૌભાંડો, મોબાઈલ, શબ્દોના બદલાયેલા અર્થ, હૉસ્પિટલોનો ‘પ્રેતલોક’, માણસોનો અંત અને અંતિમક્રિયા – આ યાદી  લાંબી થઈ શકે.

તેમાં હળવાશ, કટાક્ષ, બ્લૅક હ્યૂમરનો આછો પાસ પણ ખરો. કોવિડ સંબધિત આખું ય શબ્દભંડોળ બહુ બંધબેસતી રીતે વણાયું છે.

કોરોનાનું સજીવારોપણ ધ્રૂજી જવાય તે રીતે થયું છે : ‘…એક વણદેખ્યો દુ:શ્મન ફરી રહ્યો હતો હવામાં. ગાફેલ રહ્યા તો સીધો ચોંટી પડે. એને કાઢવાની તરકીબો કારગત નીવડે તો પાડ, નહીં તો હાર પહેરીને સીધાં ભીંતે લટકવાનું’;

‘હવામાં તરતો દુ:શ્મન તો નાકમાં લાગ જોઈને પેસી જવાનો. માસ્કબાસ્કને વળોટીને’;  ‘મહામારી તો આવી એવી બેસી ગઈ પલાંઠી વાળીને, અને નિરાંત જીવે’; ‘કોની સાંભળે છે પ્રાર્થના તે તારી સાંભળવાનો ? ત્યાં તો ચિઠ્ઠીઓ ઉપાડે છે નવરો બેઠો, જે હાથમાં આવી એ તણાયા ઉપર ! પેલો પ્રાર્થના તો સાંભળે. ‘પેલો’ એટલે કોણ એ સવાલ તારસ્વરે થયો જેને એણે બળપૂર્વક દબાવી દીધો.’

કાશ્મીરના કઠુઆમાં આઠ વર્ષની ચરવાહા બાળકી પર બળાત્કાર અને હત્યાનો જઘન્ય બનાવ 2018ના જાન્યુઆરીના બીજા અઠવાડિયામાં બન્યો. ‘મુઠ્ઠીભર હવા’ વાર્તા બાળકીના પિતાની ન્યાયાધીશ સામેની જુબાની રૂપે કહેવાઈ છે.

વાણીમાં વ્યંજના સાથેની આ વિદારક એકોક્તિ આપણી આખી ય નાગરિક સુરક્ષા વ્યવસ્થા અને ન્યયતંત્રનું નિર્મમ વિચ્છેદન કરે છે. નાજુક ક્ષણો વેદનાને વધુ ઘેરી બનાવે છે. 

ઇતિહાસ અને રાજકારણની વચ્ચે પિસાતા કાશ્મીરની એક વિષાદમય ઝલક ‘જન્નત’માં મળે છે. તેના કેન્દ્રમાં, કાશ્મીરમાંથી લાપતા થયેલાં હજારો સંતાનોમાંથી એકના પિતાની ભ્રમિત દશા છે. ત્રણ પેઢી તારાજ છે. ડોસો અર્ધપાગલ, યુવાન દીકરો લાપતા અને નવરા ડોસાની સામે ગલીમાં ‘શૂટ ધેમ, શૂટ ધેમ’ રમતાં બાળકો.

બૉમ્બમારાથી કબ્રસ્તાન બની ગયેલાં યુક્રેનના એક શહેરમાં સાશા કાટમાળની વચ્ચે તેના માલિકને શોધી રહી છે. ચઢાઈ કરનાર સૈનિકની નજરે ચડતા ત્રાડ પડે છે ‘શૂટ ધ બીચ…’. પણ તેને ‘સાશાની આંખો, એમાં ભરોસાની ઝાંય, દોસ્તીનું નિમંત્રણ’ જુએ છે. સાશાને બુલેટને બદલે બિસ્કીટ આપે છે !

આ વાર્તામાં લશ્કરે કરેલા શહેરના વિનાશની વાત છે, તો ‘સંભ્રમ’માં પર્યટન-ભૂખ્યા લોકોએ સર્જેલા કુદરતના નિકંદનનું આઘાતજનક નિરુપણ છે. ‘સત્યનો આકાર’ વાર્તાનું વસ્તુ લોકો માટે લડનાર યુવક શ્રીનિવાસનની પત્નીનું સતત ભયગ્રસ્ત જીવન અને આખરે આવેલું અકાળ વૈધવ્ય છે.

‘અમૃતપુત્ર’માં ગાંધીવિચારથી પ્રેરિત વૃદ્ધ પ્રભુદાસ પહેલવહેલી વાર જાહેર વિરોધ પ્રદર્શનમાં ભાગ લે છે. તેમને ઇજા થાય છે એટલું જ નહીં પણ યુવા કાર્યકરો દ્વારા તેમનું અસ્તિત્વ ય ઉવેખાઈ જાય છે.

રગેરગ ગાંધીના વૈષ્ણવજન વૃદ્ધ રતિભાઈ ‘ગાંધીજીના દોઢસો વર્ષ નિમિત્તે’ યોજાયેલી ‘નવ્યાવરણ’ નામની ઉજવણીમાં નિરપેક્ષ આનંદથી ગયા. ભીડની વચ્ચે ધકેલાતા મંચ પર ફૂલોથી ઢંકાયેલા ફોટા સુધી પહોંચ્યા. તસવીરની નીચે ઘેરા લાલ અક્ષરો : વીર નથ્થુરામ ગોડસે’.

સ્માર્ટ સિટીની મેગા-ઇવેન્ટ તરીકે મહોરા અને મુગટ પહેરેલા, વેશ કાઢેલા લોકોનો કાર્નિવલ રોશનાઈ અને ઢોલ-ત્રાંસા-પીપૂડાના તાલે ‘કાર્નિવલ’ આગળ વધે છે. તે જોવા આવેલા ગામડાંના ગરીબ-ગુરબાને કાર્નિવલ ગયા પછી રસ્તે લાશોના ખડકલા મળે છે.

‘કાર્નિવલ’ વાર્તામાં યાત્રા કે જુલૂસ કે એવા કોઈ સ્વરૂપે ઉત્સવ તરીકે કરવામાં આવતાં ધાર્મિક હિંસાચારનું આવું અસ્વસ્થકારી ચિત્રણ ભાગ્યે જ વાંચવા મળે.

સ્વગતોકિત તરીકે આવતી વાર્તા ‘જોગણી’ અને નાયિકાના નામની ‘ચૈતાલી’ સંવેદનનહીન પૌરુષત્વની સામે સ્ત્રીની પરિપક્વતાનું નિરુપણ કરે છે. ગૃહિણીઓના જીવનની કેટલીક ઘેરી છટાઓ પણ વાર્તાકાર અહીં સમાવે છે.

‘માનો છેલ્લો દિવસ’ અને ‘શિવસંકલ્પ’માં એવી માતા કેન્દ્રમાં છે કે ઘરેડથી અલગ રીતે વિચારતી-જીવતી હોય, અને છતાં ય તેની મમતામાં ઓટ ન આવતી હોય.

હિંમાશીબહેનની વાર્તા લેખનની અનેક કવાલિટીઝ છે. નાના, ઘરઘથ્થુ, દેશી પોતના, અચૂક અસર સાધનારા શબ્દોવાળી ભાષા કેવળ તેમની પોતીકી છે, અજોડ છે. તે સૂચન અને સંકેત, લસરકા અને લાઘવના સ્વામિની છે. બોલચાલની અને સાહિત્યની ભાષાની કેટલી ય લઢણો તેમને અવગત છે. 

પશુ-પંખી, વૃક્ષ-વનસ્પતિના રમણીય કલ્પનો વિના જાણે તેમને ચાલતું જ નથી. સર્જક તરીકે માનવજાતની પીડા અને માણસાઈની પડતીની સામે કલાપૂર્ણ રીતે અચૂક અભિવ્યક્ત થનારા જૂજ ગુજરાતી સાહિત્યકારોમાં હિમાંશીબહેન છે.

‘શબદ’ વાર્તાનો લેખક શુભંકર ‘ટકોરાબંધ શબ્દ, વિશુદ્ધ, સેક્રેડ એન્ડ પ્યુઅર’ શબ્દની શોધમાં છે. એને હિમાંશીબહેન પાસેથી એવા શબ્દો મળી શકે.

‘મુઠ્ઠીભર હવા’ વાર્તામાં ન્યાયાધીશ સામે બયાન આપનાર કહે છે :

‘જે-જે ખૂન-ખરાબા, દંગાફસાદ આ જમીન પર થયા એમ લોકો કહે છે તે ખરેખર થયા જ નહીં હોય. જો થયા હોય તો એના કરનારા કોઈક તો હોય જ ને ? જો કરનારા નથી, અને જે પકડાયા તે નિર્દોષ છે, તો કોઈ બેમોત મર્યું જ નથી, એમ અપને આપ સાબિત થાય છે.’

આવું આપણે અમદાવાદમાં સાંભળ્યું તેને એટલા દિવસો નથી વીત્યા કે ભૂલી જવાય.

પ્રાપ્તિસ્થાન : 

‘ગ્રંથવિહાર’, ગુજરાતી સાહિત્ય પરિષદ, ટાઇમ્સ ઑફ ઇન્ડિયાની પાછળ, આશ્રમ રોડ, અમદાવાદ. ફોન : 079 – 265857949

ગૂર્જર સાહિત્ય ભવન, રતનપોળ નાકા સામે, ગાંધી રોડ, અમદાવાદ. મો. 09227055777

ગૂર્જર સાહિત્ય પ્રકાશન, 102,લૅન્ડમાર્ક બિલ્ડીંગ, સીમા હૉલની સામે, પ્રહ્લાદનગર, અમદાવાદ. મો. 9825268759         

[14 મે 2023]
[આજના ‘દિવ્ય ભાસ્કર’માં આવેલો મારો લેખ થોડાંક ઉમેરણ સાથે]
e.mail : sanjaysbhave@yahoo.com
સૌજન્ય : સંજયભાઈ ભાવેની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

...102030...1,0061,0071,0081,009...1,0201,0301,040...

Search by

Opinion

  • કાનાની બાંસુરી
  • નબુમા, ગરબો સ્થાપવા આવોને !
  • ‘ફૂલ નહીં તો ફૂલની પાંખડી’ પણ હવે લાખોની થઈ ગઈ છે…..
  • લશ્કર એ કોઈ પવિત્ર ગાય નથી
  • ગરબા-રાસનો સૌથી મોટો સંગ્રહ

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved