“પરંપરાગત મૂડીવાદ મરી રહ્યો છે અથવા કમ-સે-કમ તે સામ્યવાદની કંઈક નજીક કહી શકાય તેવું સ્વરૂપ ધારણ કરી રહ્યો છે”, ઓસ્ટ્રેલિયાની એક રોકાણકંપની મેકારી વેલ્થ દ્વારા તેના રોકાણકારોને તાજેતરમાં કોરોના મહામારીના માહોલમાં આમ કહેવામાં આવ્યું છે. શું ખરેખર મૂડીવાદનું સ્વરૂપ કોરોના વાઇરસને લીધે બદલાશે? 1991માં સોવિયેત સંઘનું પતન થયું અને તેના 15 દેશોમાં ટુકડા થઈ ગયા ત્યારે લંડનના માતબર અખબાર ‘ફાઇનાન્સિયલ ટાઈમ્સ’ દ્વારા તેના તંત્રીલેખનું શીર્ષક હતું: “સામ્યવાદ, એક ઈશ્વર, જે મરી ગયો!” અને મૂડીવાદે દુનિયાના નવા ઈશ્વર તરીકે તેની સાથે જ જન્મ લઈ લીધો! આજે કોરોના મહામારીને લીધે મૂડીવાદની રીતિનીતિ સામે કેટલાક સવાલ ઊભા થઈ રહ્યા છે અને તે ટકશે કે તેનો મૃત્યુઘંટ વાગશે તેવા સવાલોના જવાબ શોધવામાં આવી રહ્યા છે.
દુનિયાભરમાં બધે બધું લૉક ડાઉન છે અને વસ્તુઓ તથા સેવાઓનું ઉત્પાદન લગભગ સ્થગિત થઈ ગયું છે. તેવા સમયે એક જ બજાર લગભગ સતત બરાબર કામ કરતું રહ્યું છે અને તે છે શેરબજાર. હા, એ વાત સાચી કે દુનિયાભરમાં શેરબજાર ઑનલાઇન ચાલે છે, પણ તે ચાલે છે. ભારતમાં પણ સૅન્સેક્સ ઊંચો ગયો કે નીચો ગયો તેના સમાચાર સતત મળતા રહે છે. શેરોની લેવેચ ચાલુ છે. જ્યાં કોઈ જ વસ્તુ કે સેવાનું ઉત્પાદન થતું નથી તે શેરબજાર કોઈ પણ જાતના અવરોધ વિના ચાલુ છે! કોરોના વાઇરસ શેરબજારનાં કમ્પ્યુટર અને સર્વરમાં ઘૂસી શકે તેમ નથી, તે એની તાકાત બહારની વાત છે!
શેરબજાર એક જુગારખાનું છે. ત્યાં કશાનું ઉત્પાદન થતું નથી. ઘણાં વર્ષો અગાઉ ભારતનું ખૂબ જાણીતું અખબાર ‘ધી ઇકોનોમિક ટાઈમ્સ’ જે પાના પર શેરબજારના સમાચાર આપતું હતું તે પાના પર શીર્ષક મારતું હતું: “કેસિનો ઇફેક્ટ”. પછી તેને શરમ આવતી હશે એટલે કદાચ એ એણે બંધ કરી દીધું! જ્યાં માત્ર જુગાર જ ખેલાય છે એ બજાર ધમધમે છે અને જે કંપનીઓના શેર ત્યાં ખરીદાય છે અને વેચાય છે, તેમાંની ઘણી કે લગભગ બધી કંપનીઓનાં કારખાનાંમાં અત્યારે તો ઉત્પાદન પણ બંધ છે. ઉત્પાદન, આવક, રોજગારી, જી.ડી.પી.નો વૃદ્ધિ દર વગેરે અર્થતંત્રમાં મહત્ત્વનાં છે, પણ જ્યાં કશું જ ઉત્પાદન નથી થતું તે બજાર જીવન અને મરણ વચ્ચે ઝોલાં ખાતી માનવજાત માટે જાણે કે સૌથી મહત્ત્વનું બની ગયું છે!
મૂડીવાદમાં મનુષ્યની જિંદગી કરતાં તેની કિંમત વધારે અગત્યની છે. આમ તો, માનવજિંદગી અમૂલ્ય છે, તેની કોઈ કિંમત નક્કી ના કરાય. પણ મૂડીવાદી અર્થવ્યવસ્થામાં બજારમાં તેની કિંમત નક્કી કરાય છે. જિંદગી અમૂલ્ય છે એમ કહો એટલે તે એક દાર્શનિક ખ્યાલ થયો કહેવાય. જિંદગીની કિંમત નક્કી કરો તો એ એક આર્થિક ખ્યાલ થયો ગણાય. અર્થતંત્રમાં માનવજિંદગીની આ કિંમત જીવનવીમા દ્વારા નક્કી થાય છે. એટલે કોરોના મહામારીના કિસ્સામાં અત્યારે એમ કહેવામાં આવે છે કે જો મનુષ્યની જિંદગી બચે છે તો વીમાકંપનીઓનું ખર્ચ બચે છે. જો કોરોનાની સારવાર અંગેનું ખર્ચ કરવામાં આવે અને તેને અટકાવવાના પ્રયાસો કરવામાં આવે તો માનવમૃત્યુનું પ્રમાણ ઘટી જશે અને તો વીમાકંપનીઓને જે રકમ વીમાના દાવા પેટે ચૂકવવાની થાય તેનું ખર્ચ નહીં થાય તેમ કહેવામાં આવે છે. તો પછી જે જિંદગી બચી એની કિંમત કેટલી?
મંગળ ઉપર અને સમગ્ર બ્રહ્માંડમાં જિંદગી શોધતા મનુષ્યની જિંદગીનું પૃથ્વી પર કેટલું મૂલ્ય એ મોટો સવાલ છે. દરેક મનુષ્યની જિંદગી મહત્ત્વની છે અને તે અમૂલ્ય છે. એટલે જ અત્યારે જે જિંદગી બચી જાય છે તેની કિંમત કેટલી છે તે નક્કી કરવામાં આવી રહ્યું છે. જેમ કે, અમેરિકામાં એક વ્યક્તિનો જીવનવીમો એક કરોડ ડોલરનો છે એમ અછડતો અંદાજ મૂકવામાં આવે છે. એટલે જો રોગચાળાના નિષ્ણાતો જે અંદાજ મૂકે છે તેટલા લોકો કોરોના વાઇરસને લીધે ના મરી જાય, તો તેટલા કરોડ ડોલર બચ્યા એમ કહેવાય. ગ્રેગ ઇપ નામના એક નિષ્ણાત એમ કહે છે કે જો અમેરિકામાં ૨૦ લાખ લોકોનાં મોત ના થયાં તો ૨૦,૦૦૦ અબજ ડોલર બચી ગયા! આ રકમ લગભગ અમેરિકાની એક વર્ષની જી.ડી.પી. જેટલી થઈ.
એક રસપ્રદ બાબત એ છે કે શિકાગો યુનિવર્સિટીના બે સંશોધકોએ ગયા મહિને એક લેખ લખ્યો, તેમાં કહ્યું કે વૃદ્ધ લોકોની જિંદગીનું મૂલ્ય ઓછું છે અને યુવાન લોકોની જિંદગીનું મૂલ્ય વધારે છે! એમણે એનું કારણ આપ્યું નથી, પણ સીધીસાદી વાત એ છે કે વૃદ્ધો કશું ઉત્પાદન કરતા નથી, ઉપરથી વિવિધ સેવાઓ પ્રાપ્ત કરે છે અને સમાજ પર બોજો છે, જ્યારે યુવાનો તો ઉત્પાદન કરે છે! તેના આધારે તેમણે એમ કહ્યું કે જો ‘સામાજિક અંતર’ને લીધે અમેરિકામાં ૧૭ લાખ લોકો ઓછા મરશે કે જેમની જિંદગીની કિંમત આઠ હજાર અબજ ડોલર હશે! એમાં એમણે યુવાન જિંદગીનું મૂલ્ય વધારે ગણ્યું.
ભારતના સંદર્ભમાં જરા જુદી રીતે આ વાતને જોવી પડે. અમેરિકામાં જીવનવીમો લગભગ બધા લોકો પાસે હોય. ભારતમાં એવું નથી. વર્ષ ૨૦૧૭ના આંકડા મુજબ ૩૨.૮ કરોડ લોકો પાસે જીવનવીમો છે. જો કે, એક અભ્યાસ પ્રમાણે, તેની રકમ પરિવારના સભ્યનું મૃત્યુ થાય તો પરિવારની જરૂરિયાતના આઠ ટકા જેટલી જ છે. વળી, ભારતમાં ૪૪ ટકા લોકો પાસે આરોગ્યવીમો છે. હવે પ્રશ્ન એ છે કે ભારતમાં સરકારી અને ખાનગી જીવનવીમા કંપનીઓની કેટલી રકમ કોરોનાથી મૃત્યુ ના થવાથી બચે છે? કોરોના કોને મારે છે તે મુદ્દો મહત્ત્વનો છે. જેમણે જીવનવીમો લીધેલો છે એને તે મારે છે કે જેણે નથી લીધો તેને? એ તો કોરોનાની મરજી! પણ જેણે જીવનવીમો લીધો છે તે ના મરે તેને માટે સરકારે કે સમાજે જે રકમ સારવાર પેટે કે પ્રતિરોધાત્મક પગલાં તરીકે ખર્ચી, તે તો ખાનગી ખિસ્સામાંથી નથી ખર્ચાઈ એ એક હકીકત છે. સમગ્ર સમાજે એ બોજો ઉઠાવ્યો અને તેનો લાભ વીમા કંપનીઓને મળ્યો! મૂડીવાદ જાહેર ખર્ચને ખાનગી નફામાં ફેરવી નાખે તે આનું નામ. આ જાહેર કે સામાજિક ખર્ચ વીમા કંપનીઓ પાસેથી વસૂલ કરવાનો વિચાર પણ કોઈને નહીં આવે.
જરા જુદી રીતે પણ વિચારીએ: ભારતમાં જેમની પાસે જીવનવીમો કે આરોગ્યવીમો નથી તેઓ કોરોનાગ્રસ્ત બન્યા અને છતાં જીવી ગયા તો તેમની જિંદગીની કિંમત કેટલી? આશરે ૪.૫ કરોડ સ્થળાંતરિત મજૂરોના સંદર્ભમાં જરા આ વિચારો. તેઓ ભવિષ્યમાં અર્થતંત્રમાં જે વસ્તુઓ અને સેવાઓનું ઉત્પાદન કરશે તેના મૂલ્યનો કોઈ અંદાજ અત્યારે તો મૂકી શકાય તેમ છે જ નહીં. વળી, કોરોનાગ્રસ્ત લોકો માટે જે ખર્ચ થયું તે કોણે કર્યું? પરિવારોએ કેટલું કર્યું અને સરકારે કેટલું કર્યું?
એ જ રીતે, લોકો કોરોનાગ્રસ્ત બને જ નહીં તેને માટે સરકારે જે ખર્ચ કર્યું તેને પણ ગણવું પડે. આ ખર્ચ કોઈ પણ રીતે અર્થતંત્રમાં જ થાય છે અને તે વસ્તુઓ અને સેવાઓના ઉત્પાદનમાં જ ગણાય છે. એનાથી જી.ડી.પી.માં વધારો ચોક્કસ થાય, પણ તે કેટલો ઇચ્છનીય ગણાય? હા, કોરોનાને લીધે સેનિટાઈઝર, હાઇડ્રોક્સિ-ક્લોરોક્વિન અને અન્ય દવાઓ તેમ જ સારવાર માટેનાં કે અન્ય પ્રકારનાં અનેક સાધનો અને તેને લગતી સેવાઓનું તથા હંગામી ધોરણે હોસ્પિટલોનું ઉત્પાદન વધ્યું અને તેથી જી.ડી.પી. પણ એટલું વધે. પણ આ બધું ઉત્પાદન વધ્યું તે સારું થયું એમ તો કેવી રીતે કહેવાય? મહાત્મા ગાંધી એમ કહે છે કે, “આગ લાગ્યા પછી ભારોટિયાં બળીને થયેલા કોલસા સોંઘા હોઈ શકે છે, ધરતીકંપ થયા પછી પડી ગયેલાં ઘરની ઇંટો સોંઘી હોઈ શકે છે, પણ તેથી આગ અને ધરતીકંપ એ પ્રજાના લાભને સારુ થયાં એમ કહેવાની કોઈની હિંમત નહિ ચાલે.” મૂડીવાદ માણસને દરેક બાબતનું મૂલ્ય પૈસામાં આંકવા પ્રેરે છે. એટલે કોરોના વાઇરસની મહામારીને પણ આ જ રીતે મૂલવવાની કોશિશ કરવામાં આવી રહી છે.
જો કે, જી.ડી.પી.નો વૃદ્ધિદર ઘટી જશે એની ચિંતા અત્યારે સૌને સતાવે છે. IMF, વિશ્વ બેંક અને RBI જેવી અનેક સંસ્થાઓ દુનિયાના અને ભારતના જી.ડી.પી.ના વૃદ્ધિ દરમાં કેટલો ઘટાડો થશે તેની ચિંતા કરી રહી છે. પણ કોઈ એની ચિંતા નથી કરી રહ્યું કે જો અનેક ચીજોનું અને સેવાઓનું ઉત્પાદન બંધ છે તો હવા, પાણી અને જમીનનું પ્રદૂષણ ઘણું ઓછું થયું છે, તો એ પ્રદૂષણ હવે ઓછું જ કેવી રીતે રાખી શકાય. અત્યારે પણ ઉત્પાદનની જ ચિંતા થાય છે, વપરાશની અને ઉત્પાદનની તરાહ બદલવાની ચિંતા નથી લોકો કરતા કે નથી સરકારો કરી રહી. અને હા, કોરોના વાઇરસને પ્રતાપે હવે પછી ભારતમાં જી.ડી.પી.નો વૃદ્ધિ દર ઊંચો લઈ જવા માટે લેવાયેલાં કોઈ પણ સરકારી પગલાંનો વિરોધ દેશદ્રોહી ઘટના બની જવાની છે, પછી ભલેને એ સરકારી પગલાં પેલા જીવનવીમો કે આરોગ્યનો વીમો ના ધરાવતા કરોડો લોકોનાં હિતમાં ના હોય! તેમણે અને તેમના વતી બોલનારાએ દેશ માટે તો ભોગ આપવો જ પડશે.
મૂડીવાદ એટલે બજાર. અને બજાર એટલે માંગ અને પુરવઠો. માંગ અને પુરવઠો એટલે ભાવ અને ભાવ એટલે નફો. એમાં ક્યાં ય નૈતિકતા અને માનવમૂલ્યો વચ્ચે આવતાં જ નથી. કોરોના વાઇરસ બજારને બદલે આપણને માનવ સુખાકારી અને ન્યાય, સમાનતા તથા સ્વતંત્રતાપૂર્ણ સમાજ તરફ લઈ જશે કે કેમ તે ખરેખર તો મોટો ચિંતાનો વિષય બનવો જોઈએ. સરકારો જે રીતે દુનિયાભરમાં આરોગ્યનું બહાનું આપીને અને જિંદગી બચાવવાનું બહાનું આપીને વધુ ને વધુ પોલીસરાજ્ય તરફ ગતિ કરી રહી છે તે જોતાં મોટી કંપનીઓના નફાખોર સામ્યવાદ તરફ દુનિયા જઈ રહી છે એની જ વધારે પ્રતીતિ થાય છે. ચીનની કંપનીઓએ ભારતની એચ.ડી.એફ.સી. બેંક અને અન્ય અમેરિકન કંપનીઓના શેર ખરીદી લીધા તે બાબતને આ નજરે પણ જોઈ શકાય!
સૌજન્ય : “નિરીક્ષક” − ડિજિટલ આવૃત્તિ; 22 ઍપ્રિલ 2020