Opinion Magazine
Opinion Magazine
Number of visits: 9375706
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

કૉન્ગ્રેસ નેતાઓનો યોગ્ય ઉપયોગ નથી કરી શકી

રમેશ ઓઝા|Opinion - Opinion|16 July 2020

પહેલા મધ્યપ્રદેશમાં અને અત્યારે રાજસ્થાનમાં જે બની રહ્યું છે એને માટે સોનિયા ગાંધી, રાહુલ ગાંધી કે પ્રિયંકા વાડરા જવાબદાર નથી; પણ કૉંગ્રેસના નેતાઓ જવાબદાર છે. હા ના કરતા છ વરસ થયાં પણ કૉંગ્રેસની અંદરથી કૉંગ્રેસને કેમ સજીવન કરવી એના વિશે કોઈ અવાજ નથી ઊઠતો. કોઈ ઊહાપોહ નથી, કોઈ પ્રશ્ન નથી, કોઈ આત્મચિંતન નથી કે કોઈ સૂચન નથી. જેમ ચાલે છે એમ ચાલવા દો અને બી.જે.પી. એના ભારથી ડૂબે ત્યાં સુધી રાહ જુઓ એવી કોઈક મનોવૃત્તિ કામ કરતી હોય એવું જોવા મળે છે.

ઈંગ્લેંડમાં મજૂર પક્ષનો ઉપરા ઉપર ચોથી વાર પરાજય શેના કારણે થયો તેની તપાસ કરવા એક અભ્યાસ સમિતિની રચના કરવામાં આવી હતી, જેનો ૧૫૪ પાનાંનો અહેવાલ હજુ મહિના પહેલાં રજૂ કરવામાં આવ્યો છે. ‘લેબર ટુગેધર’ નામથી ઓળખાતી સમિતિમાં મજૂર પક્ષના સંસદસભ્યો, પરાજિત થયેલા ઉમેદવારો, મજૂર સંગઠનના પ્રતિનિધિઓ, કર્મશીલો અને મજૂર પક્ષનાં કાર્યાલયોમાં કાર્યાલય-સચિવનું કામ કરનારાઓને લેવામાં આવ્યા હતા. સમિતિએ મજૂર પક્ષના પરાજયનાં દસ કારણો બતાવ્યાં છે, જેમાં એક કારણ પક્ષના નેતા જેરેમી કોર્બિનની ઘટેલી લોકપ્રિયતાનું પણ આપ્યું છે. ૨૦૧૭ની આમની સભાની ચૂંટણીમાં રૂઢિચુસ્ત પક્ષને ૪૨.૩ ટકા મત મળ્યા હતા અને મજૂર પક્ષને ૪૦ ટકા મત મળ્યા હતા. ૨૦૧૯માં યોજાયેલી ચૂંટણીમાં રૂઢિચુસ્ત પક્ષને મળેલા મતોમાં માત્ર ૧.૩ ટકાનો વધારો થયો હતો, પરંતુ મજૂર પક્ષના મતોમાં ૭.૮ ટકાનો વધારો થયો હતો. માત્ર બે વરસમાં આટલો મોટો ઘટાડો કેમ થયો જ્યારે કે રૂઢિચુસ્ત પક્ષની સરકારનું કામ નબળું હતું? આનું કારણ હતું બ્રેક્ઝીટની બાબતમાં સ્પષ્ટ નીતિનો અભાવ અને તેને માટે પક્ષના નેતા જેરેમી કોર્બિનને જવાબદાર ઠેરવવામાં આવ્યા હતા.

જવાબદાર લોકતંત્રમાં જવાબદાર રાજકીય પક્ષ પોતાનું ઘર ઠીકઠાક ન કરે એવું તો ભારતમાં કૉંગ્રેસમાં બની રહ્યું છે. કૉંગ્રેસનો લોકસભાની ચૂંટણીમાં ઉપરા ઉપર બે વાર કારમો પરાજય થયો છે. પક્ષ સામે અસ્તિત્વનું સંકટ પેદા થયું છે અને શાસન કરવામાં નાદાર સાબિત થયેલા વર્તમાન શાસકો વિરોધ પક્ષોને ખતમ કરીને એક પ્રકારનો રાજકીય શૂન્યાવકાશ પેદા કરીને પોતાને અનિવાર્ય બનાવી રહ્યા છે. વિકલ્પો જ ખતમ કરી નાખો પછી આપણને કોણ હરાવાનું છે? નિયમિત ચૂંટણી યોજતા રહો અને વિકલ્પના રાજકીય શૂન્યાવકાશનો લાભ લઈને જીતતા રહો. સત્તાવારપણે દુનિયા કહેશે કે ભારત એક લોકતાંત્રિક દેશ છે. શું કૉંગ્રેસના નેતાઓને આ રમત સમજાતી નથી? શું કૉંગ્રેસના નેતાઓને સમજાતું નથી કે દેશનું લોકતંત્ર ખતરામાં છે? શું તેમને એટલી સમજ નથી કે મારવા માગનારાઓ મારી નાખે એ પહેલાં સચેત થઈને શક્તિ એકઠી કરવી જોઈએ?

આશ્ચર્ય એ વાતનું છે કે દેશના કોઈ પણ રાજકીય પક્ષોની તુલનામાં કૉંગ્રેસ પાસે બુદ્ધિધન ઘણું વધારે હોવા છતાં ય કૉંગ્રેસ દિશાહીન છે. બુદ્ધિધન માટે પંકાતા સામ્યવાદી પક્ષો પાસે પણ આટલું બુદ્ધિધન નથી. ડૉ. મનમોહન સિંહ, પી. ચિદમ્બરમ્‌, કપિલ સિબ્બલ, સલમાન ખુર્શીદ, મણિ શંકર ઐય્યર, જયરામ રમેશ, શશી થરૂર વગેરેની તુલનામાં બી.જે.પી.ના નેતાઓ વામણા લાગે. આમ છતાં ય કોઈ દિશામાંથી કોઈ ચિકિત્સાનો સૂર સંભળાતો નથી. શા માટે કોઈ માગણી નથી કરતું કે કોંગ્રેસે ‘લેબર ટુગેધર’ની જેમ ‘કૉંગ્રેસ ટુગેધર’ રચીને પક્ષની દિશા અને દશા વિષે જડમૂળથી મુક્ત અભ્યાસ કરવો જોઈએ.

એમાં ગાંધી પરિવારના નેતૃત્વની ચર્ચા થવી જોઈએ, એ નેતૃત્વની અનિવાર્યતા વિષે ચર્ચા થવી જોઈએ અને કૉંગ્રેસ પક્ષને પરિવારમુક્ત કઈ રીતે કરવો એની પણ ચર્ચા થવી જોઈએ. નેહરુ-ગાંધી પરિવારની કાખઘોડી સારા દિવસોમાં સત્તામાં ટકી રહેવા માટે ઉપયોગી થતી હતી, પણ અત્યારે પક્ષ ચિત્ત થઈ ગયો છે ત્યારે એ કાખઘોડી વિષે પુનર્વિચાર કરવો જોઈએ. આમ આગળ કહ્યું એમ પક્ષની અત્યારની અવસ્થા વિષે હવે ગાંધી પરિવાર જવાબદાર નથી, પણ કૉંગ્રેસના નેતાઓ જવાબદાર છે, જે તેજસ્વી તો છે પણ નમાલા છે. હવે આનાથી વધારે શું ગુમાવાનું છે? હા, કૉંગ્રેસનું યુગકાર્ય પૂરું થયું અને હવે કૉંગ્રેસ જીવતી થાય એવી કોઈ શક્યતા નથી એવા મત પર તેઓ પહોંચ્યા હોય તો વાત જુદી છે.

વાત એમ છે કે તેઓ બીમારીનું સ્વરૂપ જાણે છે અને તેનાં કારણો પણ જાણે છે. એકડે એકથી ખેડાણ કરવું પડે એમ છે અને તે કરે કોણ? ફાયદો શું? એક વિચારવી ગમે એવી કલ્પના તમારી આગળ રજૂ કરું છું. કૉંગ્રેસના વરિષ્ઠ નેતાઓએ એકમતીથી (જે અશક્ય છે, પણ એમ થાય તો) શશી થરૂરને કૉંગ્રેસનું નેતૃત્વ સોંપવું જોઈએ. એ યુવાન છે, ઉત્સાહી છે, વિદ્વાન છે, જગતના પ્રવાહોથી પરિચિત છે, કલ્પનાઓ કરી શકે છે, સપનાં જોતાં આવડે છે, યુવાનોને સપનાં જોતાં કરી શકે છે અને દક્ષિણ ભારતીય હોવા છતાં હિન્દી બોલી શકે છે. એ માણસ ભારતીય મધ્યમવર્ગ સાથે આવતીકાલના સુવર્ણ ભારતની કલ્પનાના તાર જોડી શકે એમ છે. શશી થરૂરમાં મને ન્યુ લેબરના ટોની બ્લેર નજરે પડે છે.

પ્રગટ : ‘વાત પાછળની વાત’, નામક લેખકની કટાર, “ગુજરાતમિત્ર”, 16  જુલાઈ 2020

Loading

16 July 2020 રમેશ ઓઝા
← આકાશી વીજળીથી બચવાનો ઉપાય
મને એણે અકલ્પ્ય સંબલ આપ્યું હતું →

Search by

Opinion

  • બિઈંગ નોર્મલ ઈઝ બોરિંગ : મેરેલિન મનરો
  • અર્થ-અનર્થ – આંકડાની માયાજાળમાં ઢાંકપિછોડા
  • ચૂંટણી પંચની તટસ્થતાનો કસોટી કાળ ચાલી રહ્યો છે.
  • હે ભક્તો! બુદ્ધિનાશે વિનાશ છે!
  • પ્રમુખ કેનેડી : અમેરિકા તો ‘પરદેશી નાગરિકોનો દેશ’ છે

Diaspora

  • આપણને આપણા અસ્તિત્વ વિશે ઊંડા પ્રશ્નો પૂછતી ફિલ્મ ‘ધ બ્લેક એસેન્સ’
  • ભાષાના ભેખધારી
  • બ્રિટનમાં ગુજરાતી ભાષા-સાહિત્યની દશા અને દિશા
  • દીપક બારડોલીકર : ડાયસ્પોરી ગુજરાતી સર્જક
  • મુસાજી ઈસપજી હાફેસજી ‘દીપક બારડોલીકર’ લખ્યું એવું જીવ્યા

Gandhiana

  • કર્મ સમોવડ
  • સ્વતંત્રતાનાં પગરણ સમયે
  • આપણે વેંતિયાઓ મહાત્માને માપવા નીકળ્યા છીએ!
  • ગાંધીજી જીવતા હોત તો
  • બે પાવન પ્રસંગો

Poetry

  • વચ્ચે એક તળાવ હતું
  • ઓલવાયેલો સિતારો
  • કારમો દુકાળ
  • વિમાન લઇને બેઠા …
  • તારવણ

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day
  • Destroying Secularism
  • Between Hope and Despair: 75 Years of Indian Republic

Profile

  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર
  • મૃદુલા સારાભાઈ
  • મકરંદ મહેતા (૧૯૩૧-૨૦૨૪): ગુજરાતના ઇતિહાસલેખનના રણદ્વીપ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved