Opinion Magazine
Number of visits: 9448973
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ચલ મન મુંબઈ નગરી—65

દીપક મહેતા|Opinion - Opinion|10 October 2020

ચર્ની રોડ સ્ટેશન અને સરસ્વતીચંદ્ર નવલકથા વચ્ચેનો સંબંધ

મુંબઈમાં કેનેડી સી ફેસ ક્યાં આવેલો?

જ્યારે ક્વીન્સ રોડની બાજુમાં દરિયો ઘૂઘવતો હતો

બોમ્બે બરોડા એન્ડ સેન્ટ્રલ ઇન્ડિયા રેલવે પરનું ૧૮૬૭માં બંધાયેલું ચર્ની રોડ સ્ટેશન. તેના પછી વીસ વર્ષે, ૧૮૮૭માં પ્રગટ થયેલી ગુજરાતી સાહિત્યની ખૂબ જાણીતી અને માનીતી નવલકથા સરસ્વતીચંદ્ર (ભાગ ૧). આ બે વચ્ચે કશો સંબંધ ખરો? હા. આ નવલકથાના પાયામાં જે ઘટના રહેલી છે તે ઘટના સાથે ચર્ની રોડ સ્ટેશન જોડાયેલું છે. આ ઘટના તે કથાનાયક સરસ્વતીચંદ્ર ઉર્ફે નવીનચંદ્રનો ગૃહત્યાગ. પિતા લક્ષ્મીનંદનનું ઘર છોડીને સરસ્વતીચંદ્ર નીકળી પડ્યો ન હોત તો પછીની કોઈ ઘટના બની શકી જ ન હોત. અપર માનાં મેણાંટોણાંથી કંટાળેલો સરસ્વતીચંદ્ર ઘર છોડવાનું નક્કી કરે છે અને પોતાના આ નિર્ણયની જાણ નિકટના મિત્ર ચંદ્રકાન્તને પત્ર દ્વારા કરે છે. એ પત્રમાં બીજી કેટલીક વાતો ઉપરાંત લખ્યું છે કે ‘મારી શોધ કરીશ નહિ.’ પિતા લક્ષ્મીનંદન પર લખેલો કાગળ પણ સરસ્વતીચંદ્રે એ જ કવરમાં મૂક્યો છે. એક જમાનામાં ખૂબ જાણીતી થયેલી પંક્તિઓ આ પત્રમાં જ લખાઈ છે :

સુખી હું તેથી કોને શું, દુઃખી હું તેથી કોને શું?
જગતમાં કંઈ પડ્યા જીવ, દુઃખી કંઈ ને સુખી કંઇક.

વાલકેશ્વર પર આવેલા લક્ષ્મીનંદનના બંગલે ચંદ્રકાંત ગયો તો ખબર મળ્યા કે સરસ્વતીચંદ્ર તો વહેલી સવારે ઘરની ઘોડા ગાડીમાં બેસીને ચોપાટી ફરવા ગયો છે. એટલે ચંદ્રકાંતે ભાડાની ગાડી ચોપાટી તરફ દોડાવી. ત્યાં સરસ્વતીચંદ્રની ઘોડા ગાડી દરિયા કિનારે ઊભેલી તેને મળે છે. ગાડીવાન કહે છે કે ભાઈ તો અહીંથી પગે ચાલીને આગળ ફરવા ગયા છે. ઘણો વખત થયો પણ પાછા ફર્યા નથી. આ ‘આગળ’ એટલે ચર્ની રોડ સ્ટેશન તરફ. અહીં લેખક કહે છે : ‘મુંબઈના નાગરિકોનું ચોપાટી એ પ્રિય સ્થાન છે. અર્ધે સુધી સમુદ્રતટ અને તેની જોડે બાંધેલો રસ્તો છે. આગળ ચાલતાં રેલવેની સડકનું ક્રોસિંગ આવે છે તે ઓળંગતાં ચર્ની રોડ સ્ટેશન છે.'  ગોવર્ધનરામ જેને રેલવેની સડકનું ક્રોસિંગ કહે છે તે આજે પી.એમ. બાથની સામે જે લાંબો ફૂટ ઓવર બ્રિજ છે તેની નજીક આવેલું હતું.

જૂનું ચર્ની રોડ સ્ટેશન

બાળપણમાં ગીરગામના ઘરેથી ચોપાટી જવા માટે આ ક્રોસિંગ પસાર કરવું પડતું હતું, તે આ લખનારને યાદ છે. ચોપાટીનું સત્તાવાર નામ એ જમાનામાં કેનેડી સી ફેસ હતું. ગયે અઠવાડિયે આપણે જેમની વાત કરી હતી તે જોન પિટ કેનેડીનું નામ રેલવે લાઈન પરથી પસાર થતા પૂલ ઉપરાંત આ દરિયા કિનારા સાથે પણ જોડવામાં આવ્યું હતું. દરિયા કિનારે, આજના પી.એમ. બાથ પાસે આવેલા એક થાંભલા ઉપર આ નામ કોતરેલું છે. એટલે કે વાલ્કેશ્વરનું ઘર છોડ્યા પછી સૌથી પહેલાં સરસ્વતીચંદ્ર ચર્ની રોડ સ્ટેશન તરફ ગયો હતો. એ વખતે મરીન ડ્રાઈવનો રસ્તો, આજનો નેતાજી સુભાષ રોડ હજી બંધાયો નહોતો. એનું બાંધકામ ૧૯૧૫માં શરૂ થયું અને ૧૯૩૦ના અરસામાં પૂરું થયું. એટલે રેલવે લાઈનની પશ્ચિમે રસ્તો નહોતો. થોડે દૂર દરિયા કિનારો હતો. મલબાર હિલ-વાલકેશ્વરથી નીચે ઊતરતો રસ્તો ચર્ની રોડ સ્ટેશન પહેલાં પૂર્વ દિશામાં વળીને ફાટક દ્વારા ક્વીન્સ રોડ સાથે ભળી જતો. આ ક્વીન્સ રોડના જૂના ફોટામાં તેના નામની સાથે ‘પ્રોમોનાડ’ શબ્દ જોડેલો જોવા મળે છે. પ્રોમોનાડ એટલે દરિયા કિનારે બાંધેલો રસ્તો. ચર્ચગેટ સુધીની રેલવે લાઈનની એક બાજુએ એક જમાનામાં ક્વીન્સ રોડ અને બીજી બાજુએ દરિયા કિનારો.

દરિયા કિનારે આવેલો ક્વીન્સ રોડ

સરસ્વતીચંદ્ર ચર્ની રોડ સ્ટેશન તરફ ગયો છે એમ જાણતાં વેંત ચંદ્રકાંતના પેટમાં ફાળ પડે છે અને તે ભાડાની ગાડી કરી તરત એ સ્ટેશને પહોંચે છે. કેમ? કારણ એ વખતે બહાર ગામ જતી ટ્રેનો પણ ચર્ની રોડ સ્ટેશને થોભતી. ૧૮૭૩માં કોલાબા ટર્મિનસનું સ્ટેશન બંધાયા પછી લોકલ તેમ જ બહાર ગામની ટ્રેનો ત્યાંથી આવતી-જતી, અને ચર્ની રોડ રોકાતી. એટલે તે માની લે છે કે સરસ્વતીચંદ્ર અહીંથી ટ્રેન પકડી બહાર ગામ ચાલ્યો ગયો હોવો જોઈએ. એ સ્ટેશને જઈને પૂછપરછ કરે છે. લક્ષ્મીનંદન એ જમાનાના મુંબઈની જાણીતી વ્યક્તિ હોવાથી સ્ટેશન માસ્તર, ટિકિટ માસ્તર, વગેરે સૌ તેની આસપાસ ઘેરાઈને ઊભા રહે છે. મેલ અને પેસેન્જર ટ્રેનોની ટિકિટોનું વેચાણ તપાસે છે, પણ કશી ભાળ મળતી નથી. એ જમાનામાં ટ્રેનની ટિકિટ ખરીદનારાઓનાં નામ સ્ટેશન પર નોંધાતાં હોવાં જોઈએ. નહિતર ટિકિટોનું વેચાણ તપાસવાનો શો અર્થ?

આજે ચોપાટી, ત્યારે કેનેડી સી ફેસ

પણ ચર્ની રોડ સ્ટેશનેથી બહારગામ જતી ટ્રેનમાં જવાને બદલે સરસ્વતીચંદ્ર વહાણની મુસાફરી પસંદ કરે છે. ગુજરાતનાં દીવ, ઘોઘા, સુરત જેવાં બંદરો સાથે મુંબઈનો વહાણ વ્યવહાર ઘણો જૂનો હતો, અને ટ્રેન શરૂ થયા પછી પણ કેટલોક વખત તે ચાલુ રહ્યો હતો. ૧૮૫૯માં કવીશ્વર દલપતરામ પહેલી વાર મુંબઈ આવ્યા, ત્યારે તેઓ અમદાવાદથી સુરત ગયા હતા અને ત્યાંથી ‘આગબોટ’માં મુંબઈ પહોચ્યા હતા. પણ સરસ્વતીચંદ્ર તો આગબોટ નહિ, ‘વહાણ’માં મુસાફરી કરે છે! એ જ્યાં પહોંચે છે તે સુવર્ણપુર લેખકની કલ્પનાનું ગુજરાતનું એક દેશી રજવાડું છે. તે ભદ્રા નદી સાગરને મળે છે ત્યાં આવેલું છે, એમ લેખક કહે છે. આ ભદ્રા નદી પણ કાલ્પનિક નામ છે. પણ છેક ૧૮૭૩ પછી પણ સરસ્વતીચંદ્ર આગબોટને બદલે વહાણમાં મુસાફરી કરે એ જોઈ નવાઈ લાગે છે. મુંબઈના કયા બંદરેથી તે વહાણમાં બેઠો, અજાણ્યા રજવાડા સુવર્ણપુરમાં જવાનું તેણે કેમ નક્કી કર્યું તે અંગે લેખક મૌન છે. નવલકથાના ચોથા ભાગને અંતે કુસુમને લઈને સરસ્વતીચંદ્ર મુંબઈ આવ્યો એટલું જ લેખક જણાવે છે. તેઓ કઈ રીતે પ્રવાસ કરીને આવ્યાં તે કહેતા નથી. પણ પછી કુમુદ અને તેની સાથેનું મંડળ ટ્રેનથી મુંબઈ આવ્યું હશે એમ લાગે છે કારણ લેખક કહે છે કે તેમને લેવા માટે કુસુમને લઈને હરિદાસ સ્ટેશને ગયો હતો. જો કે એ સ્ટેશનનું નામ પાડતા નથી.

 

ચોપાટીના થાંભલા પર કોતરેલું નામ : કેનેડી સી ફેસ

કથાનાયક સરસ્વતીચંદ્ર ગોવર્ધનરામના પડછાયા જેવો છે એમ તો ન કહી શકાય, પણ એ બંને વચ્ચે ઘણી સમાનતા તો જોવા મળે જ છે. એ બંને ૧૯મી સદીના ઉત્તરાર્ધના મુંબઈના ફરજંદ છે. ગોવર્ધનરામનો જન્મ ભલે નડિયાદમાં, પણ તેમના જીવનનાં મહત્ત્વનાં વર્ષો તો મુંબઈમાં જ વીત્યાં હતાં. એટલે, બંને મુંબઈવાસી છે. બંને મુંબઈ છોડીને દેશી રાજ્યમાં જાય છે, પણ અંતે મુંબઈ પાછા ફરે છે. નવલકથાને અંતે સરસ્વતીચંદ્ર મુંબઈ પાછો ફરે છે. ગૃહત્યાગ એ કથાનું આરંભબિંદુ છે, તો ઘરવાપસી એ અંતિમ બિંદુ છે. એ બે વચ્ચે તે ઠીક ઠીક ભ્રમણ કરે છે. ૧૯મી સદીના અંગ્રેજી સાહિત્યમાં ભ્રમણકથાઓ (પિકરસ્ક નોવેલ – Picaresque novel) સારી એવી લેખક-પ્રિય અને લોકપ્રિય હતી. ગોવર્ધનરામની નવલકથા પણ આ પ્રકારની નવલકથાના ઘણા અંશો ધરાવે છે. કૌટુંબિક કલેશથી ત્રાસીને ગોવર્ધનરામ પણ ૧૮૭૪માં ઘર છોડીને ભાગી ગયા હતા. ચોપાટીથી ભાયખલા સ્ટેશન સુધી ગયેલા. પણ ટ્રેન ચૂકી જતાં પોતાના પગલા અંગે વિચાર કર્યો અને ઘરે પાછા ફર્યા. તેમના નિષ્ફળ ગૃહત્યાગની સામે સરસ્વતીચંદ્ર તેમાં સફળ થાય છે.

બંને વચ્ચે બીજી પણ કેટલીક સમાનતા છે જેના મૂળમાં મુંબઈ રહેલું છે. બંને યુનિવર્સિટી ઓફ બોમ્બેના વિદ્યાર્થી. ગોવર્ધનરામ બી.એ., એલએલ.બી., જ્યારે તેમનો કથાનાયક એમ.એ., એલએલ.બી. ગોવર્ધનરામને એમ.એ.નો અભ્યાસ અધૂરો મૂકવો પડ્યો હતો, જ્યારે તેમનો કથાનાયક ‘સત્તર-અઢારની ઉંમરે’ એમ.એ. થઈ ચૂક્યો છે. મેટ્રિકની પરીક્ષામાં બેસનાર વિદ્યાર્થીની ઉંમર ઓછામાં ઓછી ૧૬ વરસની હોવી જોઈએ એવો નિયમ આ યુનિવર્સિટીની શરૂઆતથી ઘણાં વરસો સુધી હતો અને ગોવર્ધનરામે પોતે આ નિયમનો લાભ લઈ છઠ્ઠા ધોરણ પછી સીધી મેટ્રિકની પરીક્ષા આપી હતી. એ વખતે મેટ્રિક પછી બી.એ.નાં ત્રણ અને એમ.એ.નાં બે, એમ કુલ પાંચ વરસ થતાં. એટલે એકવીસ વરસની ઉંમર પહેલાં કોઈ એમ.એ. થઈ શકે નહિ. ગોવર્ધનરામ પોતે બી.એ.માં બીજી ટ્રાયલે અને એલએલ.બી.માં ચોથી ટ્રાયલે પાસ થયા હતા તેનો રંજ તેમને રહ્યો જ હોય. પોતાના કથાનાયકને ખૂબ વહેલો અભ્યાસ પૂરો કરતો બતાવીને તેમણે એ રંજનું સાટું વાળ્યું હોઈ શકે.

ઓગણીસમી સદીના ઉત્તરાર્ધના મુંબઈમાં, આધુનિક વિચાર, શિક્ષણ, રહેણીકરણીના જે અંશો પ્રગટ થયા હતા, તેનો અણસારો ગોવર્ધનરામની નવલકથામાં ઘણી જગ્યાએ જોવા મળે છે. સરસ્વતીચંદ્રનો પિતા લક્ષ્મીનંદન બહુ ભણ્યો નહોતો પણ મુંબઈનો એક ધનાઢ્ય વેપારી હતો. આપબળે શીખીને થોડું અંગ્રેજી બોલી શકતો. બાળક સરસ્વતીચંદ્રને ખોળામાં બેસાડીને (પહેલી) પત્ની ચંદ્રલક્ષ્મી સાથે ફોટો પડાવીને ઘરની દીવાલ પર ટાંગી શકે એટલો ‘સુધરેલો’ હતો. છતાં એ જમાનાના ચાલ પ્રમાણે પહેલી પત્નીનું અવસાન થયું તે જ દિવસે ગુમાન નામની બીજી સ્ત્રી સાથે તેના વિવાહ થયા હતા. પૈસા વેરીને વિદ્વાનો, સરકારી અધિકારીઓ, વગેરેને તે પોતાની પડખે રાખતો. એ વખતના મુંબઈમાં કોટન મિલોની બોલબાલા હતી. લક્ષ્મીનંદન આવી એક-બે મિલોનો કારભાર સંભાળતો હતો. અંગ્રેજ અમલદારોને ઘરે બોલાવી આગતાસ્વાગતા કરતો. ગવર્નર તરફથી અપાતી પાર્ટીઓમાં હાજર રહેવાનાં આમંત્રણ તે મેળવી શકતો. અંગ્રેજી અને ગુજરાતી અખબારોના તંત્રીઓ સાથે તેને મીઠા સંબંધો હતા. ૧૮૬૫થી મુંબઈમાં ‘જસ્ટિસ ઓફ પીસ’ની પ્રથા શરૂ થઈ હતી. ‘સેક્રેટરિએટના એક અમલદારની વગથી’ તેને આ માન પણ મળ્યું હતું. લક્ષ્મીનંદન પાસે પોતાની ઘોડાગાડી છે, પણ મોટર નથી. કારણ મુંબઈમાં પહેલવહેલી ચાર મોટર ૧૮૯૮માં સર જમશેદજી તાતા અને બીજા ત્રણ પારસીઓએ ખરીદી હતી. કલકત્તા, મુંબઈ, મદ્રાસ, અને અમદાવાદમાં પહેલવહેલા ટેલિફોન એક્સચેન્જ ૧૮૮૧માં ઇંગલન્ડની ઓરિયેન્ટલ ટેલિફોન કંપનીએ શરૂ કર્યાં હતાં અને ૧૮૮૨ના જાન્યુઆરીની ૨૮મી તારીખથી દેશમાં ટેલિફોન સેવા શરૂ થઈ હતી. છતાં કોણ જાણે કેમ ધનાઢ્ય લક્ષ્મીનંદનના ઘરમાં ટેલિફોન નથી.

સરસ્વતીચંદ્ર નવલકથામાં પ્રણયકથા છે ખરી, પણ ગોવર્ધનરામનો મુખ્ય હેતુ અહીં વ્યક્તિની કથા કહેવાનો નહિ, તેટલો પોતાના જમાનાની, ૧૯મી સદીનાં છેલ્લાં પચાસેક વર્ષની સંસ્કૃતિકથા કહેવાનો છે. આ માટે તેમણે મુખ્યત્વે બે સ્થળોને સામસામે મૂક્યાં છે : એક મુંબઈ, અને બીજું, સુવર્ણપુરનું કલ્પિત દેશી રાજ્ય. સુવર્ણપુરના દરબારમાં હાજર રહીને, ત્યાં ચાલતી ખટપટોનો સાક્ષી બનીને સરસ્વતીચંદ્ર અમાત્ય બુદ્ધિધન સાથે ઘરે પાછો ફરે છે ત્યારે તેના મનમાંથી જાણે ચીસ ઊઠે છે : 'અંધકાર! અંધકાર! સુવર્ણપુરની દીન પ્રજા! ચાર ચાર કલાકની વાર્તામાં તારે સારુ પા કલાકનો પણ અવસર ન મળ્યો.’

ગુજરાતી નવલકથાનું સીમાચિહ્ન સરસ્વતીચંદ્ર. તો ગુજરાતી કવિતાનું સીમાચિહ્ન નરસિંહરાવ ભોળાનાથ દિવેટિયાનો પહેલો કાવ્યસંગ્રહ ‘કુસુમમાળા.’ સરસ્વતીચંદ્રનો પહેલો ભાગ અને કુસુમમાળા બંને, એક જ વરસે, ૧૮૮૭માં પ્રગટ થયાં. એક પુસ્તકે ગુજરાતી નવલકથાની દશા બદલી નાખી, તો બીજાએ ગુજરાતી કવિતાની દિશા બદલી નાખી. અને બંને પુસ્તકો છપાયાં અને પ્રગટ થયાં મુંબઈથી. બંનેના સર્જકો યુનિવર્સિટી ઓફ બોમ્બેના વિદ્યાર્થીઓ. બંનેએ જીવનનાં ઘણાં વર્ષો મુંબઈમાં ગાળ્યાં. મુંબઈએ તેમના જીવન અને લેખન પર જે કાયમી પ્રભાવ પાડ્યો તેની વાત હવે પછી.

પ્રગટ : “ગુજરાતી મિડ-ડે”, 10 ઑક્ટોબર 2020

e.mail : deepakbmehta@gmail.com

XXX XXX XXX

Loading

10 October 2020 admin
← ગૂજરાત વિદ્યાપીઠની શતાબ્દી પ્રસંગે સુદર્શન આયંગર સાથે વાર્તાલાપ
બસનું બોર્ડ બદલી દેવાથી કંઈ બસ બદલાવાની નથી ! →

Search by

Opinion

  • નેપાળમાં અરાજકતાઃ હિમાલયમાં ચીન-અમેરિકાની ખેંચતાણ અને ભારતને ચિંતા
  • શા માટે નેપાળીઓને શાસકો, વિરોધ પક્ષો, જજો, પત્રકારો એમ કોઈ પર પણ ભરોસો નથી ?
  • ધર્મને આધારે ધિક્કારનું ગુજરાત મોડલ
  • ચલ મન મુંબઈ નગરી—306
  • રૂપ, કુરૂપ

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved