‘ટાવર’ તેં તો ટેક જ લીધો, ભોગ થયા બે ભારી.
ઓ ઈશ્વર! શી અવધિ આજે! અકરો કેર જ કીધો;
મુંબઈમાં શી માહતમ વરસી? લહાવો શો આ લીધો?
પટકી નિજનો પ્રાણ પછાડી, બાળા મૂઈ બિચારી;
‘ટાવર’ તેં તો ટેક જ લીધો, ભોગ થયા બે ભારી.
‘દિલજાન’ નામના પારસી કવિની આ પંક્તિઓથી શરૂ થતા આ પદ્યમાં રાજાબાઈ ટાવરની, એ સમયનાં છાપાંના શબ્દો વાપરીને કહીએ તો ‘ગોઝારી ઘટના’ અંગે દિલસોજી પ્રગટ કરવામાં આવી છે. અને આમ કરવામાં આ ‘દિલજાન’ એકલા નહોતા, આવી બીજી કૃતિઓ પણ છપાઈ હતી : ‘રાજાબાઈ ટાવરની કહાની, લે. અરદેસર આદરજી ખાનસાહેબ, રાજાબાઈ ટાવર વિરહ, લે. ‘સત્યવક્તા એક હિંદુ’, ટાવર ગરબા, લે. શેઠ ખરશેદજી બહમનજી ફરામરોઝ, રાજાબાઈ ટાવરવાળી માહેતમનાં ગાયનો, લે. દા.એ. તારાપોરવાલા, સરોદે પાક દામની અને સિતમે મીનાર, લે. ફિરોઝશાહ રૂસ્તમજી બાટલીવાલા, વગેરે. અલબત્ત, આ રીતે ફક્ત આ બનાવ પર જ પદ્ય કૃતિઓ લખાઈ હતી એવું નથી. એ વખતે કોઈ પણ મોટો કે ગમખ્વાર બનાવ બને ત્યારે આ રીતે પદ્યકૃતિઓ લખાતી. મુંબઈની આગ, મુંબઈની મરકી, મુંબઈના શેર બજારની ચડતી-પડતી, વગેરે બનાવો વખતે તેને લગતાં પદ્ય લખાઈને પ્રગટ થયેલાં. તેમાંનાં ઘણાંખરાં આજે ભૂલાઈ ગયાં છે, પણ આજ સુધી ટકી રહેલી આવી એક કૃતિ તે ‘હાજી કાસમ તારી વીજળી.’
‘કૈસરે હિન્દ’ સાપ્તાહિકના એક અંકનું કવર
ખેર, આપણી ગાડી જરા જૂદે પાટે ચડી ગઈ. એટલે બચુબાઈ અને પીરોજબાઈની વાત તરફ પાછા વળીએ. બનાવના ૫૬ કલાક પછી મારવાડીની દુકાનેથી ‘ચોરીનો માલ’ જપ્ત કરવા ગયેલી પોલીસ ખાલી હાથે પાછી ફરી. તો બીજી બાજુ અંગ્રેજ ડોક્ટર સિડની સ્મિથ અને બીજા ચાર ‘દેશી’ ડોક્ટરોએ મરનાર બાઈઓની ઓટોપ્સી કરી. બંને છોકરીઓના શરીર પર જુદે જુદે ઠેકાણે થયેલી નાની મોટી ઈજાઓ જોઈને ચાર દેશી ડોક્ટર એવા નિર્ણય પર આવ્યા કે બંને છોકરીઓ પર બળાત્કાર થયો નહોતો પણ તેમ કરવાનો પ્રયત્ન થયો હતો. અને પોતાનું શિયળ બચાવવા બન્નેએ ટાવર પરથી પડતું મૂક્યું હોય એવો પૂરો સંભવ છે. પહેલાં તો અંગ્રેજ ડોકટર તેમના આ અભિપ્રાય સાથે સહમત થયો. પણ પછી તેણે ફેરવી તોળ્યું. અદાલતમાં તેણે કહ્યું કે બળાત્કાર તો થયો જ નથી પણ તેમ કરવાનો પ્રયત્ન થયો હતો એમ માનવાને પૂરતાં કારણો મળતાં નથી. બંને છોકરીઓના શરીર પર જે નાની મોટી ઈજાઓ જોવા મળે છે તે તેમનાં કપડાંમાંનાં ધાતુનાં બટન શરીર સાથે ઘસાવાથી થઈ હોય. અથવા ટાવર પરથી પડતી વખતે બંનેના દેહ દીવાલમાંથી બહાર નીકળતા ‘પુસ્તા’ (buttress) સાથે અથડાયા હોય તેથી આ ઈજાઓ થઈ હોય. આમ છતાં માણેકજી અસલાજી પર ખૂન અથવા ખૂન નહિ તેવા સદોષ મનુષ્યવધનો કેસ દાખલ કરવામાં આવ્યો. કોરોનરની કોર્ટમાં ખટલો ૧૯ દિવસ સુધી ચાલ્યો. અને ત્રીજી જૂનના દિવસે પુરાવાને અભાવે અસલાજીને નિર્દોષ જાહેર કરી છોડી મૂકવામાં આવ્યો!
અરદેશર બરજોરજી ગોદરેજ
નવાઈની વાત એ હતી કે આ કેસ ચાલ્યો ત્યારે કેટલાક ચશ્મદીદ ગવાહોને તો જુબાની માટે બોલાવ્યા જ નહિ! મેસર્સ કોનરોય એન્ડ બ્રાઉન સોલિસીટર્સની કંપનીમાં અસિસટન્ટ મેનેજિંગ ક્લાર્ક તરીકે કામ કરતા મિસ્ટર એન્ટીએ પોલીસને કહ્યું હતું કે તેણે બંને છોકરીઓને ટાવર પરથી પડતી નજરોનજર જોઈ હતી. પણ તેમને જુબાની માટે બોલાવ્યા જ નહિ! યુનિવર્સિટીમાં જર્મન, ફ્રેંચ, અને રશિયન ભાષાઓના અધ્યાપક તરીકે કામ કરતા પ્રો. હેન્રી ચાર્લ્સ શોને બન્ને છોકરીઓને ટાવર પરથી પડ્યા પછી તરત જોઈ હતી. એટલું જ નહિ, તેમણે એમ પણ કહ્યું હતું કે આરોપી અસલાજી અને પોલીસના અધિકારી મેકડેરમોટને ટાવરથી થોડે દૂર જઈને ખાનગીમાં કશીક વાત કરતા પોતે જોયા હતા. એટલું જ નહિ, તેમણે તો સામે ચાલીને કહ્યું કે ખટલા વખતે હું જુબાની આપવા આવીશ. ત્યારે મેકડેરમોટે તેમને કહ્યું કે ‘કેમ? તમે બુદ્ધિનું દેવાળું કાઢ્યું છે કે શું? આ ખટલામાં તમારે વચ્ચે પડવાની જરૂર નથી.’ અને તેમને પણ અદાલતે બોલાવ્યા નહિ! ટાવર પાસેના બગીચામાં રમતાં બે બાળકોએ પણ અસલાજી વિરુદ્ધની વાત પોલીસને જણાવી હતી. પણ આવી વાતમાં બાળકોની વાત પર વિશ્વાસ મૂકી શકાય નહિ એમ જણાવી અદાલતે તેમની જુબાની નોંધી નહિ. યુનિવર્સિટીના ત્રણ નોકરો આત્મારામ બાબાજી, ગંગાજી હિરજી, અને હેમચંદ કચરાએ બંને છોકરીઓને ટાવર પર ચડતી જોઈ હતી. પણ આ ત્રણમાંથી એક્કેને અદાલતે બોલાવ્યા નહિ. એક વિક્ટોરિયાના ડ્રાઈવરે અગાઉ કહ્યું હતું કે મેકડેરમોટે તેની ગાડી ભાડે કરી હતી. સાથે એક હવાલદાર અને સકલાજી પણ હતા. સકલાજીએ નોટો ગણીને પાંચ હજાર રૂપિયા (એ વખતે ઘણી મોટી રકમ ગણાય) મેકડેરમોટને અને ૫૦૦ રૂપિયા હવાલદારને આપ્યા હતા તે મેં નજરોનજર જોયું હતું. પણ તેને જ્યારે જુબાની માટે બોલાવવામાં આવ્યો ત્યારે તેણે ફેરવી તોળ્યું અને કહ્યું કે પોલીસ પાસે ખોટું નિવેદન કરવા માટે મને લાંચ આપવામાં આવી હતી! અદાલતે જે સાક્ષીઓને જુબાની માટે બોલાવ્યા તે બધાએ સકલાજીની તરફેણમાં જુબાની આપી હતી. અને તેમાંથી એકે સાક્ષીની ઊલટતપાસ કરવામાં આવી નહિ.
ઘડિયાળો મૂકાયા પહેલાંનો રાજાબાઈ ટાવર
કોરોનરની કોર્ટ પછી ખટલો સેશન્સ કોર્ટમાં ગયો. પણ ત્યાં પણ સકલાજીને નિર્દોષ ઠરાવવામાં આવ્યો. માત્ર પારસી સમુદાયમાં જ નહિ, મુંબઈના લોકોના મોટા વર્ગમાં આ ફેંસલા સામે અસંતોષનો વંટોળ જાગ્યો અને આખા કેસ અંગે ફેરવિચારણા કરવા સરકારને વિનંતી કરવાનું નક્કી થયું. આ માટે એક સમિતિ બનાવાઈ હતી. સર જમશેદજી જીજીભાઈ બેરોનેટ તેના પ્રમુખ હતા. તેમના ઉપરાંત આ સમિતિમાં નીચેના સભ્યો જોડાયા હતા : સર દીનશાહજી માણેકજી પિતિત બેરોનેટ, સોરાબજી ફરામજી પટેલ, ફરામજી દિનશાહજી પિતિત, ડો. કેખશરૂ નસરવાનજી બહાદુરજી, અને ફરદુનજી મેરવાનજી બનાજી.
રાજાબાઈ ટાવરના ઉપલા માળ
આ સમિતિએ મુંબઈ સરકારને એક અરજી મોકલી હતી. તેમાં મુખ્ય માગણી એ હતી કે ‘ટાવર મર્ડર કેસ’ અંગે ઉપયોગી થાય તેવી માહિતી આપનાર વ્યક્તિ માટે સરકારે પાંચ હજાર રૂપિયાનું ઇનામ જાહેર કરવું જોઈએ. અને આવી માહિતીને આધારે આ કેસ ચીફ પ્રેસિડન્સી મેજિસ્ટ્રેટની અદાલતમાં ફરીથી ચલાવવો જોઈએ. ૧૦ જૂન, ૧૮૯૧ના રોજ સરકારે તેનો જવાબ આપ્યો. સરકારે જણાવ્યું કે આવી બાબતોમાં સરકારને માહિતી આપવી એ દરેક નાગરિકની ફરજ છે. એટલે તે માટે સરકારે ઇનામ આપવાં નહિ એવું સાત વરસ પહેલાં ગ્રેટ બ્રિટનની સરકારે ઠરાવ્યું છે તે હિન્દુસ્તાનને પણ લાગુ પડે છે. આ કેસમાં કોઈ અસાધારણ કે અપવાદરૂપ બાબત હોય તેવું સરકાર માનતી નથી. માટે આ તબક્કે સરકાર આવું કોઈ ઇનામ જાહેર કરવા માગતી નથી. અલબત્ત, ભવિષ્યમાં સંજોગો બદલાય તો સરકાર ઇનામ આપવા અંગે ફેરવિચારણા કરી શકે. વળી આ ખટલાનો ચુકાદો આવ્યા પછી કોઈ નવી હકીકતો કે પુરાવા બહાર આવ્યા નથી એટલે આ કેસ ફરી ચલાવવાની જરૂર સરકાર હાલતુરત તો જોતી નથી.
સરકાર તરફથી આ જવાબ મળ્યા પછી મુંબઈના અખબાર ‘જામે જમશેદ’ના તંત્રીએ સરકારને લખી જણાવ્યું કે તેમના અખબાર તરફથી આવું પાંચ હજારનું ઇનામ જાહેર કરવાની મંજૂરી આપવામાં આવે. તેના જવાબમાં સરકારે જણાવ્યું કે કોઈ ખાનગી અખબારે શું કરવું અને શું ન કરવું એ અંગે સરકાર કશું કહી શકે નહિ. પણ સરકાર એ વાત તરફ ધ્યાન દોરવા માગે છે કે આવું ઇનામ સરકાર ક્યારે ય જાહેર નહિ કરે એવું સરકારે કહ્યું નથી. ભવિષ્યમાં નવા / જુદા સંજોગો ઊભા થાય તો સરકાર પોતાના નિર્ણયમાં ફેરબદલો કરી શકે છે. પણ જો આ રીતે ખાનગી વ્યવસ્થા થઈ ચૂકી હોય તો પછી ભવિષ્યમાં સરકાર ફરીથી ઇનામ જાહેર કરી શકે નહિ. વળી એક ખાનગી અખબારે જાહેર કરેલા ઇનામના જવાબમાં મળેલી માહિતી કાયદાની અદાલતમાં સ્વીકારાય કે કેમ એ અંગે સરકારને પૂરેપૂરી શંકા છે.
સરકારનો ઈશારો સમજી જઈને એ અખબારે ઇનામ જાહેર કરવાનું માંડી વાળ્યું. પણ મુંબઈના લોકો? એ માની ગયા? ન માન્યા? એ અંગે વધુ વાત હવે પછી.
e.mail : deepakbmehta@gmail.com
XXX XXX XXX
પ્રગટ : “ગુજરાતી મિડ-ડે”; 22 માર્ચ 2025