આજે મુંબઈમાં આર્મેનિયન ચર્ચ છે, પણ તેમાં જનાર એક પણ આર્મેનિયન નથી
મિસિસ પોસ્તાન્સના જમાનામાં મુંબઈ કરતાં કલકત્તામાં આર્મેનિયનોની વસતી ઘણી વધારે હતી. તેઓ નોંધે છે કે છેલ્લી વસતી ગણતરી (૧૮૧૪) પ્રમાણે કલકત્તામાં ૪૮૦ આર્મેનિયન રહેતા હતા. જો કે એ પછીનાં ૨૬ વરસમાં ફક્ત ૨૫ આર્મેનિયનોનો ઉમેરો થયો હતો. જ્યારે મુંબઈ ઇલાકામાં તો તેમની વસતી લગભગ નગણ્ય કહી શકાય. જે થોડા છે તે મોટે ભાગે બસરા સાથે કિંમતી રત્નો, ઘરેણાં, કે ઘોડાના વેપારમાં રોકાયેલા છે. પણ ઘણાખરા સારા એવા પૈસાદાર બનેલા છે. મુંબઈના કોટ વિસ્તારમાં આર્મેનિયનોનું ફક્ત એક જ દેવળ આવેલું છે. મુંબઈમાં આર્મેનિયનોની વસતી તો ઘણી ઓછી છે, પણ અહીંના સમાજમાં તેમનું સ્થાન મોભાદાર છે.
પણ હવે પોસ્તાન્સબાનુની આંગળી છોડીને આપણે આ આર્મેનિયનો વિષે વધુ વાત કરવી પડશે. પહેલી વાત તો એ કે આ આર્મેનિયનો એટલે કોણ? મૂળ ક્યાંના? ભૂગોળની દૃષ્ટિએ આર્મેનિયા પશ્ચિમ એશિયાનો એક ભાગ. પણ સંસ્કૃતિ, રાજકારણ, વગેરેમાં તેનો ઘરોબો પૂર્વ યરપ સાથે. દરિયા કિનારા વગરનો આ દેશ તુર્કી, જ્યોર્જિયા, અઝરબૈજાન, અને ઈરાનથી ઘેરાયેલો છે. આ નાનકડા દેશનો ઇતિહાસ શરૂ થાય છેક ઈ.સ. પૂર્વે ૧૬મી સદીથી. તે દિવસથી ૧૯૧૮ના મે મહિનાની ૨૮મી તારીખ સુધી રાજાશાહી. તે દિવસે દેશ બન્યો રિપબ્લિક ઓફ આર્મેનિયા. પણ ૧૯૨૦ના નવેમ્બરની ૨૯મીએ સોવિયેત યુનિયને જીતીને પોતાના સામ્રાજ્યમાં ભેળવીને નામ આપ્યું આર્મેનિયન સોવિયેત સોસ્યાલિસ્ટ રિપબ્લિક. આઝાદ થવાની લડતને પ્રતાપે ૧૯૯૧ના સપ્ટેમ્બરની ૨૩મીએ દેશ ફરી આઝાદ બન્યો. ૧૯૯૫માં દેશનું નવું બંધારણ બન્યું જે આજે પણ અમલમાં છે. આખા દેશની વસતી લગભગ ૩૨ લાખ.
આર્મેનિયા અને હિન્દુસ્તાન વચ્ચેના સંબંધના પુરાવા છેક ઈ.સ. પૂર્વે ૩૫૦ની આસપાસથી મળે છે. એક અહેવાલ પ્રમાણે આર્મેનિયન વેપારી અને રાજદૂત, નામે થોમસ કાના, જમીન માર્ગે ઈ.સ. ૭૮૦માં મલબાર પહોંચ્યો હતો. ૧૫મી સદીમાં આર્મેનિયાનો ઘણો પ્રદેશ પરદેશીઓએ જીતી લીધો ત્યારે ત્યાંના ઘણા લોકો હિજરત કરી બીજા દેશોમાં ગયા હતા. તેમાંના કેટલાક મોગલ સલ્તનતના પ્રદેશમાં આવીને ઠરીઠામ થયા. રાજા અકબરની એક રાણી મરિયમ આર્મેનિયન હતી અને તેમના મુખ્ય ન્યાયાધીશ અબ્દુલ હાય આર્મેનિયન હતા. બંગાળ અને પંજાબના નવાબોના લશ્કરોમાં પણ ઘણા આર્મેનિયનો હતા. કંપની સરકારની સાથે આર્મેનિયાએ ૧૬૮૮ના જૂનની ૨૨મીએ કરાર કર્યા. તેને કારણે આર્મેનિયન લોકોને તાજના રાજ હેઠળના બધા પ્રદેશોમાં રહીને પોતપોતાનો વ્યવસાય કરવાની છૂટ મળી. એટલું જ નહિ, પરદેશી તરીકે અંગ્રેજો જે હક ભોગવતા તે બધા આર્મેનિયનોને પણ મળ્યા. પોર્ટુગીઝ અને ફ્રેંચ વસાહતીઓનો પ્રભાવ ઓછો કરવા માટે અંગ્રેજો આર્મેનિયન વેપારીઓનો ઉપયોગ કરવા માગતા હતા. બીજા દેશોની જેમ હિન્દુસ્તાનમાં વસેલા મોટા ભાગના આર્મેનિયનો વેપારધંધામાં રોકાયેલા હતા. મોટા ભાગના ખૂબ પૈસાદાર હતા. તેમણે દેશના જુદા જુદા ભાગોમાં આર્મેનિયન ચર્ચ પણ બંધાવ્યાં. આર્મેનિયાનું પહેલું બંધારણ ઈ.સ. ૧૭૭૩માં મદ્રાસ(હાલનું ચેન્નાઈ)માં લખાયું હતું. અમેરિકન બંધારણ તે પછી બાર વરસે લખાયું. એક જમાનામાં હિન્દુસ્તાનનાં ઘણાં શહેરોમાં આર્મેનિયનોની સારી એવી વસતી હતી. આગરા, સુરત, મુંબઈ, કાનપુર, કલકત્તા, મુર્શિદાબાદ, ચેન્નાઈ, ગ્વાલિયર, લખનૌ, લાહોર, ઢાકા વગેરે બ્રિટિશ હિન્દુસ્તાનનાં શહેરોમાં આર્મેનિયન વેપારીઓ ફેલાયેલા હતા.
મુંબઈમાં પહેલવહેલા આર્મેનિયનો સુરત અને મલબારથી આવેલા. તેમાંના મોટા ભાગના કાં કાપડના, કાં જરઝવેરાતના વેપારી. મુંબઈના કોટ વિસ્તારમાં આશરે ૨૦૦ વરસ પહેલાં તેમણે પોતાની કોલોની સ્થાપી. તે વખતની ટેમરિન્ડ લેનને એસ્પ્લનેડ રોડ સાથે જોડતી ગલ્લીનું નામ આર્મેનિયન લેન હતું. આર્મેનિયનોનું બીજું મોજું મુંબઈ આવ્યું તે ઈરાન, ઈસ્તાંબુલ, અને બૈરુતથી. ત્યાં તેમને પોતાના ધર્મ અને જાન-માલ સામે ખતરો જણાતાં તેઓ હિજરત કરી મુંબઈ આવ્યા. આ લોકો મોટે ભાગે તૈયાર ઘરેણાં, મરીમસાલા, અને હીરાના વેપારમાં રોકાયા.
કોટ વિસ્તારમાં આવેલી સેન્ટ પીટર્સ આર્મેનિયન ચર્ચ
તેમાંના એક ધનાઢ્ય વેપારી જેકોબ પીટરે ૧૭૯૬માં કોટ વિસ્તારમાં આવેલી મેડોઝ સ્ટ્રીટ પર ‘ઓર્થડોક્સ ચર્ચ ઓફ સેન્ટ પીટર ધ એપોસ્ટલ’ બંધાવ્યું. આ મેડોઝ સ્ટ્રીટ અગાઉ અંગ્રેજ બજાર તરીકે ઓળખાતી. જનરસ સર વિલિયમ મેડોઝ ૧૭૮૮થી ૧૭૯૦ સુધી મુંબઈના ગવર્નર અને કમાન્ડર ઇન ચીફ હતા. ૧૭૯૦માં તેમની બદલી મદ્રાસ પ્રેસિડન્સીના ગવર્નર અને કમાન્ડર ઇન ચીફ તરીકે થઈ. ટીપુ સુલતાન સામેની અંગ્રેજોની લડાઈની શરૂઆત થઈ ત્યારે તેનું નેતૃત્વ તેમણે લીધું હતું. પણ પછી થોડા જ વખતમાં કોઇમ્બતુર ખાતે ટીપુના સૈન્યના હુમલા સામે તેમને પીછેહઠ કરવી પડી ત્યારે ગવર્નર જનરલ લોર્ડ કોર્નવોલીસે લડાઈનું નેતૃત્વ પોતે સંભાળી લીધું અને મેડોઝ તેમના હાથ નીચે રહીને લડ્યા. તે પછી પણ એક વાર તેમની ગણતરી ખોટી પડતાં અંગ્રેજ સૈન્ય પરનું ટીપુનું આક્રમણ સફળ થયું. પરિણામે ખુદ કોર્નવોલીસ પોતે થોડું ઘવાયા. મેડોઝે શરમના માર્યા આપઘાત કરવાનો પ્રયત્ન કર્યો, પણ સફળ થયા નહિ.
જો કે જે કાંઈ બન્યું એ માટે કોર્નવોલીસે મેડોઝને માથે ક્યારે ય દોષનો ટોપલો ઓઢાડેલો નહિ. આ રસ્તાના નાકા પર આવેલા એક મકાનમાં મેડોઝ રહેતા હતા એટલે તેમનું નામ આ રસ્તાને આપવામાં આવ્યું. આઝાદી પછી આ રસ્તો નગીનદાસ માસ્તર રોડ બન્યો. વ્યવસાયે વકીલ એવા નગીનદાસે આઝાદી માટેની ચળવળમાં ભાગ લીધો હતો. તેઓ ૧૯૪૪માં મુંબઈના મેયર બન્યા હતા. એ જ વરસે મુંબઈની ગોદીમાં જે ભયંકર વિસ્ફોટ થયો અને જાનમાલની ભારે ખુવારી થઈ ત્યારે મેયર તરીકે તેમણે ખૂબ જ ત્વરાથી અને સાવધાનીથી જરૂરી પગલાં લીધાં હતાં. પણ હજી ઘણા મુંબઈગરા તો આ રસ્તાને મેડોઝ સ્ટ્રીટ તરીકે જ ઓળખે છે.
અરારત હાઉસ
મેડોઝ સ્ટ્રીટ પરની આર્મેનિયન ચર્ચની બરાબર સામે આવેલા મકાનનું નામ છે ‘અરારત’. આ નામ જરા વિચિત્ર લાગે છે, નહિ? પણ જે લોકો બાઈબલના કથાનકોથી પરિચિત છે તેઓ જાણે છે કે આર્મેનિયામાં માઉન્ટ અરારત નામનો પર્વત આવેલો છે. બાઈબલમાંની નોહાઝ આર્કની કથા તો જાણીતી છે. મહા વિનાશક પૂરમાંથી ઉગારવાને માટે નોહાએ પોતાના વહાણમાં દરેક પ્રકારના જીવના બે-બે સભ્યોને લઈને વહાણ હંકારી મૂક્યું. જ્યારે મહાપૂર શમ્યું ત્યારે નોહાનું વહાણ જે જગ્યાએ આવીને નાંગર્યું તે આ માઉન્ટ અરારત પાસે. આ મકાન જેના આંગણામાં આવેલું છે એ સેન્ટ પીટર્સ ચર્ચનો પાયો ૧૭૯૬ના ઓક્ટોબરની પહેલી તારીખે નખાયો હતો. જો કે પછીથી એ જ જગ્યાએ ૧૯૫૭માં નવું ચર્ચ બાંધવામાં આવ્યું. થોડાં વરસ પહેલાં એ ચર્ચ ઇન્ડિયન ઓર્થડોક્સ ચર્ચને સોંપી દેવામાં આવ્યું, જ્યાં હવે એ પંથના લોકો પ્રાર્થના કરવા જાય છે.
ઝબેલ જોશી
પણ આજે આ ચર્ચમાં પ્રાર્થના કરવા કોઈ આર્મેનિયન સ્ત્રી કે પુરુષ જતા નથી. કેમ? કેમ? એ બધા નાસ્તિક બની ગયા છે? ના. તો? કારણ હવે મુંબઈમાં એક પણ આર્મેનિયન વ્યક્તિ કાયમી વસવાટ કરતી નથી. હા, સત્તાવાર ચોપડે મુંબઈમાં એક જ આર્મેનિયન વ્યક્તિ વસે છે. એ છે શ્રીમતી ઝબેલ જોશી. શું? જોશી અટક અને છે આર્મેનિયન? હા, જી. મૂળ બૈરૂતનાં વતની. ત્યાં જ કિશોર જોશી નામના ગુજરાતી કાપડનો વેપાર કરે. બંને મળ્યાં. પ્રેમમાં પડ્યાં, લગ્ન કીધાં. ત્યારે ઝબેલની ઉંમર ત્રેવીસ વરસની. આજે તેઓ કહે છે : ‘પહેલા હું એક મુમ્બઈગરાના પ્રેમમાં પડી. મુંબઈ આવ્યા પછી મુંબઈના પ્રેમમાં પડી. હું મારી જન્મભૂમિમાં રહી છું તેના કરતાં વધુ વરસ મુંબઈમાં રહી છું. અને હા, ઇન્ડિયા સિવાયના બીજા કોઈ દેશમાં સ્થાયી થવાનો હું વિચાર પણ ન કરી શકું. તેમનાં માતા-પિતા લેબનોનમાં રહેતાં હતાં અને ઝબેલનો જન્મ પણ ત્યાં જ થયેલો. એટલે અરબી ભાષા તો બરાબર જાણે. અરબી જાણે એટલે હિન્દી-ઉર્દૂ શીખવાનું અઘરું નહિ. મુંબઈ આવ્યા પછી ગુજરાતી પણ શીખી ગયાં, અને મરાઠી પણ સમજતાં થયાં. કુટુંબમાં આ બધી ભાષા બોલાય. પણ ત્રણે દીકરીઓને આગ્રહપૂર્વક આર્મેનિયન અને ગુજરાતી ભાષા શીખવી. મેડોઝ સ્ટ્રીટમાં આવેલ ચર્ચમાં બાપ્તિસ્મા પણ અપાવ્યું.
લગ્ન પછી ઝબેલ મુંબઈ આવ્યાં એ ખરું. પણ મુંબઈને અને હિન્દુસ્તાનને તો તેઓ તે પહેલાંથી ચાહતાં થયાં હતાં. કઈ રીતે? હિન્દી ફિલ્મો જોઈને. વતનમાં એક જ થિયેટર હિન્દી ફિલ્મો બતાવતું. ઝબેલ એ બધી ફિલ્મો જુએ. મુંબઈનો દરિયા કિનારો, ઊંચાં-મોટાં મકાનો, વિશાળ રાજમાર્ગો, તેના પર દોડતી વિક્ટોરિયા કહેતાં ઘોડા ગાડી – આ બધાંનું તેમને જબરું આકર્ષણ. મુંબઈ આવ્યા પછી ઘરમાં ખ્રિસ્તી તહેવારો ઉજવાય તેમ નવરાત્રીમાં ગરબા પણ થાય અને દિવાળીમાં સાથિયા પુરાય અને ફટાકડા ફૂટે. આર્મેનિયન ખ્રિસ્તી પરંપરામાં નાતાલ છઠ્ઠી જાન્યુઆરીએ ઉજવાય. પણ ઝાબેલના ઘરમાં બે વખત ક્રિસમસ ઉજવાય : ૨૫મી ડિસેમ્બરે, અને છઠ્ઠી જાન્યુઆરીએ.
ટ્યૂલીપ જોશી
જો કે પતિના અવસાન પછી તહેવારોની ઉજવણી થોડી મંદ પડી ગઈ. વળી હવે ઝબેલ ઘણો વખત વિદેશમાં સ્થાયી થયેલી દીકરીઓ સાથે ગાળે છે. અલબત્ત, મુંબઈની આવનજાવન તો ચાલુ જ છે. તેમની એક દીકરી ટ્યૂલિપ જોશી ૨૦૦૨થી ૨૦૧૫ સુધી ફિલ્મોમાં અભિનયના ક્ષેત્રે સક્રિય હતી. હિન્દી ઉપરાંત કન્નડ, પંજાબી, મલયાલમ અને તેલુગુ ફિલ્મોમાં પણ કામ કર્યું હતું. વિલે પાર્લેની જમનાબાઈ નરસી સ્કૂલ અને મીઠીબાઈ કોલેજમાં અભ્યાસ કર્યો. ઈ.સ. ૨૦૦૦માં ફેમિના મિસ ઇન્ડિયા સ્પર્ધામાં ભાગ લીધો ત્યારે કેટલીક જાહેર ખબર એજન્સીઓનું તેના તરફ ધ્યાન ગયું અને તે એ ક્ષેત્રમાં દાખલ થઈ. ત્યાર બાદ તેને પહેલી ફિલ્મમાં કામ કરવા મળ્યું તે હતી ‘મેરે યાર કી શાદી હૈ.’ ફિલ્મ ક્ષેત્રના કેટલાક આગેવાનોની સલાહ માનીને તેણે ફિલ્મો પૂરતું ‘સંજના’ નામ રાખ્યું. જો કે થોડા વખત પછી ફિલ્મો માટે ફરીથી પોતાનું મૂળ નામ અપનાવ્યું. આ ઉપરાંત તેમણે વ્યવસાય તરીકે વૈદિક જ્યોતિષશાસ્ત્રને અપનાવ્યું છે.
મુંબઈના આર્મેનિયનો વિષે વધુ વિગતે વાત કરવા માટે આજે આપણે મિસિસ પોસ્તાન્સની આંગળી છોડી દેવી પડી. પણ હવે આવતે અઠવાડિયે ફરી તેમની સાથે મુંબઈમાં લટાર મારશું. ત્યાં સુધી હાજ્જોક્સ! (એટલે કે ગુજરાતીમાં આવજો.)
e.mail: deepakbmehta@gmail.com
XXX XXX XXX
(પ્રગટ : “ગુજરાતી મિડ-ડે”; 02 માર્ચ 2024)