હરારી એમના પુસ્તક “Sapiens: A Brief History of Humankind”-માં પાણિનિ વિશે લખે છે :
“The greatest linguistic achievement in human history was not the invention of writing, but the invention of grammar. The first grammar was written by a Hindu grammarian named Panini, who lived around the 5th century BCE. Panini’s grammar was a masterpiece of logic and precision, and it has remained the standard grammar of Sanskrit for over 2,500 years.
“What makes Panini’s grammar so remarkable is that it is not just a descriptive grammar, but also a generative grammar. That is, Panini’s grammar does not just describe how Sanskrit is spoken, but it also explains how new Sanskrit words and sentences can be created.
“Panini’s grammar is based on a system of rules that can be used to generate any possible Sanskrit word or sentence. These rules are so powerful that they can even be used to generate sentences that have never been spoken before.
“Panini’s grammar is a remarkable example of human creativity and ingenuity. It is a testament to the power of the human mind to understand and systematize the complexity of language.”
આ ફકરાઓનો ગુજરાતીમાં શબ્દશ: અનુવાદ કરવાનું કારણ નથી. પરન્તુ મારે એ જણાવવું છે કે તેઓ કયા મુદ્દાઓને મહત્ત્વ આપે છે :
૧ :
માનવ-ઇતિહાસમાં તેઓ લેખનને નહીં પરન્તુ વ્યાકરણની શોધને મોટામાં મોટી ભાષાપરક સિદ્ધિ ગણે છે, અને પાણિનિને પહેલા વૈયાકરણ લેખે છે, એમના વ્યાકરણને તર્ક અને ચૉક્કસાઇનો માસ્ટરપીસ લેખે છે :
૨ :
પાણિનિનું વ્યાકરણ માત્ર વર્ણનાત્મક નથી પણ સંસૃજનાત્મક છે :
૩ :
એમનું વ્યાકરણ એવી નિયમાવલિથી ઘડાયું છે કે એને સંભાવ્ય સંસ્કૃત શબ્દ કે વાક્ય, કે અરે, કદી ન ઉચ્ચારાયાં હોય એવાં વાક્યોના સંસૃજન માટે પણ પ્રયોજી શકાય :
૪ :
પાણિનિ-રચિત વ્યાકરણ માનવીય સર્જકતા અને મૌલિકતાનું અસાધારણ દૃષ્ટાન્ત છે, ભાષાની સંકુલતાને સમજીને પદ્ધતિમાં બાંધી આપનારી માનવચિત્તશક્તિનો પુરાવો છે.
હવે, પાણિનિ-રચિત વ્યાકરણને ‘એ.આઈ.’ સાથે મૂકી જોઈએ તો શું જોવા મળે છે?
પાણિનિ-રચિત વ્યાકરણ નિયમોથી બદ્ધઆબદ્ધ સિસ્ટમ છે, જ્યારે, ‘એ.આઈ.’-સિસ્ટમ્સ ટિપિકલિ ડેટા-ડ્રિવન છે. એટલે કે, પાણિનિ-રચિત વ્યાકરણ ભાષાની સંરચનાને વર્ણવતી નિયમાવલિ પર ઊભું છે, જ્યારે, ‘એ.આઈ.’-સિસ્ટમ્સ ટૅક્સ્ટ-ડેટાના વિશાળ કદના જથ્થાથી માત્રતાલીમ પામ્યું છે.
આ ફર્ક નિર્ણાયક છે : માણસ માટે પાણિનિ-રચિત વ્યાકરણના અર્થો પકડવાનું વધારે સરળ છે, જ્યારે, ‘એ.આઈ.’-સિસ્ટમ્સને સમજવાનું મુશ્કેલ છે. વધારે નૉંધપાત્ર તો એ છે કે ભાષાની સંકુલતાને પામીને તેને પદ્ધતિમાં બાંધનારી માનવચિત્તશક્તિનો પુરાવો તો બન્નેથી મળે છે !
++
હરારી એમના પુસ્તક “21 Lessons for the 21st Century”-માં જણાવે છે કે –
પાણિનિ અને ભર્તૃહરિની વિચારસરણીઓ ‘એ.આઈ.’ વિશેની આપણી સમજ માટે પ્રસ્તુત અને ઉપકારક છે. કેમ કે માનવ-બુદ્ધિને પામવા માટે બન્નેની કૃતિઓમાં ભાષાને ગુરુચાવી ગણવામાં આવી છે.
પાણિનિ-રચિત વ્યાકરણ સંસ્કૃત ભાષામાં બોલવા કે લખવા માટેની નિયમાવલિ જ નથી બલકે ભાષાની ગર્ભિતે રહેલી સંરચનાનું નિરૂપણ છે. ભર્તૃહરિ એક ડગ આગળ ભરે છે અને કહે છે કે ભાષાની એ સંરચના જગતને આપણે જે દૃષ્ટિએ ઘટાવીએ છીએ તેનું માત્ર પ્રતિબિમ્બ નથી પરન્તુ એ સંરચના જેને આપણે વિચાર કહીએ છીએ તેનો પાયો છે.
હરારીએ કહ્યું છે કે ભાષા આપણને માણસ બનાવે છે, એ વડે આપણે વિચારો અને લાગણીઓનું આદાનપ્રદાન કરી શકીએ છીએ, સમ્બન્ધો બાંધીએ છીએ, સંસ્કૃતિનું સર્જન કરીએ છીએ. ભાષા આપણી બુદ્ધિમત્તાનો પાયો પણ છે. એ આપણને તર્ક કરવા દે છે, કોયડાઓના ઉકેલ શોધવામાં અને નૂતન ચીજો શીખવામાં મદદ પણ કરે છે.
માનવ-બુદ્ધિ વિશેની આપણી સમજની ચાવી છે એવા પોતાના દાવા માટે હરારી ભર્તૃહરિનો હવાલો આપતાં જણાવે છે કે ‘The structure of language and the structure of consciousness are similar’. ભાષાની સંરચના અને ચેતનાની સંરચના સમરૂપ છે.
મેં શોધી લીધું કે ભર્તૃહરિનું એ વચન સંસ્કૃતમાં મૂળે આમ છે : चित्तं शब्दात्मकं ब्रह्म I એટલે કે શબ્દ અને બ્રહ્મની આવશ્યક પ્રકૃતિ – આત્મકમ્ – ચિત્ત છે.
આ સૂત્ર ભાષા વિશેની ભર્તૃહરિની મીમાંસા “વાક્યપદીય”-માંથી છે. ભર્તૃહરિ દર્શાવે છે કે ભાષા સંક્રમણનું સાધન માત્ર નથી, પણ વાસ્તવિકતાની સંરચનાનું પ્રતિબિમ્બ પણ છે. તેઓ એમ પણ દર્શાવે છે કે ચિત્ત અને ભાષા અવિષ્લેશ્ય છે. તેઓ એટલે લગી કહે છે કે ચિત્ત, ભાષા, અને બ્રહ્મ એકમેવ આન્તરિક વાસ્તવના ઉન્મેષો છે.
चित्तं शब्दात्मकं ब्रह्म વચનનો સાર પકડીએ : ‘એ.આઈ.’-સિસ્ટમ્સ વિશ્વને સમજે તેમ જ તેની સાથે વિનિમય કરે એવા એના સર્જન માટે માણસે સમજવું જોઈશે કે ચેતનાની સંરચના શું છે, અને એ સમજવા માટે સમજવું જોઈશે કે ભાષાની સંરચના શું છે.
ભર્તૃહરિનું એ વચન સૂચવે છે કે ભાષા પ્રયોજીએ છીએ એથી વિશ્વને જે ઘાટ મળે છે તદનુસાર આપણે વિશ્વને વિચારીએ છીએ અને પામીએ છીએ. આ વચનનો ફિલસૂફી, મનોવિજ્ઞાન તેમ જ ભાષાવિજ્ઞાન પરનો પ્રભાવ જાણવા લાંબી મજલ કાપવી પડે, જે પ્રસ્તુત વાતો માટે અનિવાર્ય નથી.
= = =
(09/29/23 : USA)
સૌજન્ય : સુમનભાઈ શાહની ફેઇસબૂક દીવાલેથી સાદર