ટ૫કા જેવા હોંગકોંગના વિદ્રોહનું કારણ ચીનનું સંપૂર્ણ લોકતંત્રના વચનમાંથી ફરી જવું છે
1947માં ભારત સ્વતંત્ર થયું એ સદી વિદેશી ગુલામીમાંથી રાષ્ટ્રોને સંસ્થાનવાદમાંથી મુકત થવાની હતી. એ સદીમાં ચીન સહિત એશિયાના અનેક દેશો સ્વતંત્ર થયાં. ગાંધી અને જવાહરલાલ નેહરુ જેવાં અનેક રાષ્ટ્રીયસ્તરના નેતાઓ લોકતંત્રના ચુસ્ત હિમાયતી હતા. એટલું જ નહિ પણ લોકતંત્રનું જતન કરી શકે એવા વિચારો અને અનુરૂપ નાગરિક સંસ્થાઓ સ્થપાઈ હતી. પરિણામે આજે સ્વરાજને લગભગ પોણાસો વરસ થવા આવ્યા, તો ય ભારતમાં લોકતંત્ર છે. ભારતમાંથી જ અલગ બનેલા પડોશી દેશ પાકિસ્તાનમાં કે એ જ અરસામાં મુકત બનનાર ચીનમાં લોકતંત્ર પાંગરી શકયું નથી. આ દેશોની જનતા લોકતંત્ર ઝંખે છે પણ એને એક યા બીજા રસ્તે દાબી દેવાય છે.
ચીન જનસંખ્યામાં ભારતથી પણ મોટો દેશ હોવા છતાં અને રશિયા કરતાં જુદી રીતે કિસાનક્રાંતિ થઈ, પણ ત્યાં લોકતંત્ર ના પાંગર્યુ અને માઓત્સેતુંગના નેતૃત્વવાળી સામ્યવાદી છતાં બિનલોકતાંત્રિક સરકાર સ્થપાઈ. આજે ત્યાં આર્થિક ઉદારીકરણ વ્યાપક રીતે અપનાવાયું છે પણ લોકતંત્ર નથી. વિશ્વની કુલ વસતીના માત્ર 45 ટકા જ લોકતંત્ર ભોગવે છે. બીજે લોકતંત્ર સ્થિર નથી તો કયાંક એક જ પક્ષનું એકહથ્થું શાસન છે, તો કયાંક લશ્કરનું આધિપત્ય છે અને કયાંક હજૂ વિદેશી શાસન ટકી રહ્યું છે. આ સંદર્ભમાં હોંગકોંગના વિદ્યાથીઓના ‘છત્રી વિદ્રોહે’ દુનિયાનું ધ્યાન ખેચ્યું છે. શું આ સફળ થશે? વિશ્વનો નકશો જોઇએ તો, સાડત્રીસ લાખ ચોરસમાઈલ વિસ્તારમાં રહેતા 130 કરોડની જનસંખ્યાવાળા ચીનના સામ્યવાદી સામ્રાજયના ખૂણે સાગરકાંઠે માત્ર 415 ચોરસ માઈલમાં પથરાયેલું એક કરોડથી પણ ઓછી વસ્તીવાળું હોંગકોંગ એક ટપકા જેવડું છે.
180 વરસ સુધી બ્રિટિશ સામ્રાજયનો ભાગ રહ્યા પછી 1993માં ચીનને સોપાયું અને ચીનનો સ્વાયત્ત પ્રાંત બન્યું. કુદરતી સંપત્તિ વગરનું હોંગકોંગ કુદરતી બંદર હોવાના કારણે વિશ્વનું વેપાર કેન્દ્ર બન્યું છે. બ્રિટને હોંગકોંગ ચીનને સોપવાનું નકકી કર્યું ત્યારે જબ્બર વિરોધ થયેલો, એટલે ચીનને પુખ્ત મતાધિકાર આધારિત ચૂંટણીનું વચન આપવું પડેલું. ત્યારે ચીનનો ટાઇનાનમેન ચોકનો વિદ્રોહ હજૂ તાજો હતો. એટલે ચીને પુખ્ત મતાધિકાર આધારિત ચૂંટણીનું વચન આપી એક રાષ્ટ્રમાં બે પ્રથા એવું સૂ્ત્ર વહેતું કર્યું હતું. ૫ણ હોંગકોંગના શાસકની ચૂંટણી 2017 સુધી ઠેલી દીધી હતી. હવે 2017 નજીક છે, ત્યારે શાસનના રૂપ વિષે 31મી અૉગસ્ટે વાત બહાર આવી કે હોંગકોંગ પોતાના શાસકની ચૂંટણી પુખ્ત મતાધિકારથી કરશે, પણ ઉમેદવારો બે કે ત્રણ ચીનનો સામ્યવાદી પક્ષ નકકી કરશે. ઉમેદવારી સ્વતંત્ર ઢબે નહિ થઈ શકે.
બસ, હોંગકોંગ અને દુનિયાના લોકતંત્ર ચાહકોને જાણ થઈ કે હોંગકોંગમાં પણ ચીની ઢબની લોકશાહી સ્થપાશે અને સપ્ટેમ્બરથી શાળાના હજારો વિદ્યાર્થીઓ સાચા લોકતંત્ર માટે મેદાનમાં આવ્યા છે. હોંગકોંગના સરકારી દફતરોમાં જવાના દસ લેનના રાજમાર્ગ પર હજારો વિદ્યાર્થીઓ જમા થયા. પ્રારંભમાં પોલિસ શાંત રહી પણ પછી શાળાના આ શાંતિમય વિરોધ કરનાર વિદ્યાર્થીઓ પર પાણી છોડયું, ટીયરગેસ છોડયો, છેલ્લે મરચાંની ભૂકી ફેંકી. વિદ્યાર્થીઓએ મરચાંની ભૂકી અને ટીયરગેસથી બચવા છત્રીઓ ધરી. એટલે એનું નામ “છત્રી વિદ્રોહ” પડી ગયું. વિદ્યાર્થીઓએ અમેરિકામાંથી ઉદાહરણ લઈ નામ આપ્યું, “OCCUPY CENTRAL WITH LOVE AND PEACE’’.
આ વખતે તો ચીને વાટઘાટોનું નિમંત્રણ મળ્યું તો વિદ્યાર્થી આગેવાનોએ પરિણામ નહિ આવવાની ખાતરી છતાં સ્વીકાર કરેલો. જેથી વધુ સંગઠિત થવાનો થોડો સમય મળે. હવે તો ચીનના શાસકો આ વિરોધને પોતાના વિરોધી દેશોનું કાવત્રું માને છે. વિદ્યાર્થીઓમાં સૌથી વધુ પ્રિય આગેવાન એવા માત્ર 17 વરસના જોશુઆ વોગે તો વિદ્યાર્થીઓને વધુ બેડીંગ સાથે આવવા હાકલ કરી અને હવે કેટલાક તો માર્ગો પર રહેવા મકકમ છે. હવે પોલિસે 18 કલાકની શિફ્ટ ગોઠવી દીધી છે. ચીની સત્તાવાળાઓએ ચૂંટણીનું વરસ 2017 નકકી કર્યું ત્યારે, એમની ગણતરી એવી હતી કે, આવતાં વરસોમાં ધીમે ધીમે હોંગકોંગવાસીઓ ચીનના વિકાસથી આકર્ષાશે. પણ એવું બન્યું નથી.
આજે પણ હોંગકોંગવાસીઓમાં એવી લાગણી પ્રબળ છે કે, અમે પહેલા હોંગકોંગવાસીઓ છીએ. ચીની પછી છીએ. ચીની સત્તાવાળાઓના મનમાં ભય છે કે, હોંગકોંગનું આ આંદોલન ચીનમાં તો નહિ પ્રસરે ને? કારણ ચીનમાં વિદ્યાર્થીઓ અને સત્તાવાળાઓ વચ્ચે વરસોથી 36ના આંકડાનો સંબંધ રહ્યો છે. હોંગકોંગનો વિદ્રોહ હાઇસ્કૂલના વિદ્યાર્થીઓએ શરૂ કર્યો છે. આમા સંપૂણ લોકતંત્ર ચીની ઢબની નહિ સાથોસાથ ચીની ઢબના અર્થતંત્ર સામે પણ વિરોધ છે. ચીનમાં માત્ર હોંગકોંગમાં જ ચોથી જૂનથી ટાઇનાનમેન ચોકની વિદ્યાર્થીઓની કત્લેઆમને યાદ કરાય છે. ઘણીવાર હવા એવી જામે કે, હવામાં ઉડતી રજકણ તુફાન સામે વિજયી થાય છે અને વૃક્ષોને ઉખેડી નાંખતું તોફાન રજકણ સામે હારી જાય છે.
[સનત મહેતા લેખક ગુજરાત રાજ્યના પૂર્વ નાણાપ્રધાન છે.]
સૌજન્ય : “દિવ્ય ભાસ્કર”, Oct 30, 2014
![]()


આ શબ્દો છે સુરત જેમની જન્મભૂમિ હતું, ગુજરાતી સાહિત્ય પરિષદની સ્થાપના જેમને આભારી છે તે રણજિતરામ વાવાભાઈ મહેતાના. આ શબ્દો લખાયા હતા ઇ.સ. ૧૯૦૯માં. પણ રણજિતરામભાઈએ આજથી ૧૦૩ વર્ષ પહેલાં લખેલા આ શબ્દો નીચે સહી કરવા માટે આજનો કોઈ પણ આભાસી સ્વેચ્છાએ તૈયાર થશે. લાગે છે કે આટલાં વર્ષોમાં કશું જ બદલાયું નથી. સાધનોની મુશ્કેલી આજે પણ એટલી જ છે, બલકે વધી છે. વર્ષ દરમ્યાન પ્રગટ થતાં બધાં જ પુસ્તકોની માહિતી મળી રહે એવી કોઈ વ્યવસ્થા ઊભી કરવાની અને તેને ધગશ અને કુશળતાથી નિયમિત રીતે ચલાવવાની જરૂર આજે પણ આપણને વર્તાતી નથી. એવી માહિતી મેળવવા પત્રો લખીએ તો આજે ચાર જવાબ પણ કદાચ ન મળે.
‘જ્ઞાનસુધા’ પછી બીજો પ્રયત્ન કર્યો વિજયરાય વૈદ્યે, તેમના ‘કૌમુદી’ ત્રૈમાસિકમાં. હકીકતમાં તેઓ તો વાર્ષિક કરતાં પણ આગળ વધીને ત્રિમાસિક સરવૈયું રજૂ કરવા મથી રહ્યા હતા. ૧૯૨૪માં પ્રગટ થયેલા ‘કૌમુદી’ના પહેલા જ અંકથી તેમણે ‘સમકાલીન સાહિત્યપ્રવાહ’ શીર્ષક નીચે પુસ્તકોનુ સરવૈયું પ્રગટ કરવાનું શરૂ કરેલું. વિલક્ષણ અને વિચક્ષણ વિવેચક વિજયરાય ચીલાચાલુ રીતે તો આવાં કામ કરે જ શાના? પહેલા અંકમાં આગલા ત્રણ મહિનામાં પ્રગટ થયેલાં પુસ્તકો વિશે લંબાણથી લખેલું. તો બીજા અંકમાં ‘૧૯૮૦નું વાઙમય’ નામનો લાંબો લેખ એક મિત્રને પત્ર રૂપે લખેલો. તેની શરૂઅતમાં તેમણે મિત્રને ઉદ્દેશીને લખેલું: “ગઈ પચ્ચીસીનું યુરોપી સાહિત્ય તમે ઘણું વાંચ્યું છે પણ આજના અગ્રણી ગુજરાતી લેખકોને તો સાભિમાન ઉવેખવામાં જ મહત્તા ને શોભા માની છે. નવાં નવાં પુસ્તકો કેવાં ને કેટલાં બહાર પડે છે તેની અધૂરી જાણ પણ તમને નથી. તમે કોઈ પણ માસિક નિયમિતપણે વાંચીને આજના લેખકવર્ગના બલાબલનો ક્યાસ કાઢતા નથી.” આજે પણ આવા ‘મિત્રો’ આપણી વચ્ચે ક્યાં નથી? એ જ અંકમાં ‘સમકાલીન સાહિત્યપ્રવાહ’માં ૧૯૨૪ના ‘ત્રીજા ચરણનું વાઙમય’ની વિસ્તૃત સમાલોચના તો આપી જ છે. પણ તેમણે તેમાં માત્ર પુસ્તકોનાં લખાણની જ વાત નથી કરી. રૂપરંગને આધારે પુસ્તકોને પદ્મિની, હસ્તીની, ચિત્રીણી, અને શંખિની, એવા ચાર વિભાગોમાં વહેંચ્યાં છે અને દરેક પુસ્તકને પોતે અમુક વર્ગમાં શા માટે મૂક્યું છે તે સમજાવવા પુસ્તકોનાં રૂપરંગની ચર્ચા કરી છે. જો કે વાર્ષિક સમીક્ષાનું આ કામ ‘કૌમુદી’નાં પહેલાં બે વર્ષ સુધી જ ચાલુ રહ્યું હતું.
‘કૌમુદી’ પછી વાર્ષિક સમીક્ષાનો પ્રયત્ન ફરી એક વાર ગુજરાત વર્નાક્યુલર સોસાયટી (હાલની ગુજરાત વિદ્યાસભા) તરફથી થયો. ૧૯૩૦માં ‘ગ્રંથ અને ગ્રંથકાર’નો પહેલો ભાગ પ્રગટ થયો તેમાં ‘ગ્રંથકાર ચરિત્રાવળી’ની સાથે ‘સન ૧૯૨૯નું ગ્રંથ પ્રકાશન’ નામથી સરવૈયું રજૂ થયું હતું. બીજું એક કરવા જેવું કામ સાથોસાથ થયું તે એ વર્ષમાં પ્રગટ થયેલાં પુસ્તકોની વર્ગીકૃત યાદી પ્રગટ કરવાનું. આખું પુસ્તક ‘તૈયાર કરનાર’ તરીકે જેમનું નામ છપાયું છે તે હીરાલાલ પારેખ જ તેના કર્તા હતા. ૧૯૩૮ સુધી ‘ગ્રંથ અને ગ્રંથકાર’નું પ્રકાશન દર વર્ષે નિયમિત રીતે થતું રહ્યું અને એ આઠે ભાગમાં પુસ્તકોની વર્ગીકૃત યાદી છપાતી રહી. જો કે કેટલાક ભાગમાં વાર્ષિક ગ્રંથસમીક્ષા જોવા મળતી નથી. ત્યાર બાદ ૧૯૪૪માં પ્રગટ થયેલા નવમા ભાગમાં ‘પાંચ વર્ષના સાહિત્ય ઉપર દૃષ્ટિપાત’ નામનો સુદીર્ઘ લેખ છે, પણ તેના કર્તાનો નિર્દેશ એ પુસ્તકમાં ક્યાં ય નથી. તે પછી ૧૦મો ભાગ પ્રગટ થાય છે છેક ૧૯૫૨માં. તેમાં ૧૦૦ પાનાંનો પહેલો વિભાગ છે ‘ગયા દાયકાના વાઙમય પર દૃષ્ટિપાત.’ ૧૯૬૬માં પ્રગટ થયેલા ‘ગ્રંથ અને ગ્રંથકાર’ના ૧૧મા અને છેલ્લા ભાગમાં ૧૯૫૧થી ૧૯૬૦ સુધીના સાહિત્યનું પ્રવાહ દર્શન ૧૧૮ પાનાંમાં રજૂ થયું છે.
ગુજરાત વિદ્યા સભાએ શરૂ કરેલું કામ ગુજરાત સાહિત્ય સભાએ ઉપાડી લીધું તેમ ગુજરાત સાહિત્ય સભાનું કામ ગુજરાતી સાહિત્ય પરિષદે તેનાં જ્ઞાનસત્રોમાંની ‘સરવૈયું’ની બેઠકો દ્વારા ઉપાડી લીધું. અલબત્ત, જે કામ રણજિતરામ મહેતા, હીરાલાલ પારેખ, કે મધુસૂદન પારેખ એકલે હાથે કરતા એ કામ માટે ઉત્તરોત્તર વધુ ને વધુ મોટી વિવેચકોની ટીમ મેદાનમાં ઉતારવી પડે છે. પણ આ બેઠકોમાં રજૂ થતાં વક્તવ્યોને પ્રગટ કરવા અંગે આટલાં વર્ષોમાં કોઈ કાયમી અને નિયમિત વ્યવસ્થા ઊભી કરી શકાઈ નથી. ક્યારેક બધાં વક્તવ્યો પરિષદના મુખપત્ર ‘પરબ’માં છપાય છે, ક્યારેક અમુક થોડાં જ છપાય છે, ક્યારેક એક પણ નથી છપાતું. કેટલાક સમીક્ષકો પોતાનું વક્તવ્ય અન્ય કોઈ સામયિકમાં છપાવવાની વ્યવસ્થા કરી લે છે, કેટલાક નથી કરતા તેમનાં વક્તવ્યો બોલાયા પછી હવામાં ઊડી જાય છે. આવી સ્થિતિને કારણે સરવૈયાની પ્રવૃત્તિ ભવિષ્યના અભ્યાસીઓ માટે બહુ ઉપયોગી બની ન શકે તેમ બને. પરિષદે સરવૈયાની બેઠકોમાં રજૂ થતાં વક્તવ્યોના નિયમિત પ્રકાશનની વ્યવસ્થા કરવાની જવાબદારી ઉપાડી લેવી જોઈએ.