પર્યુષણ દરમિયાન માંસાહાર પર પ્રતિબંધની માગણી કરી રહેલા મુંબઇના જૈન સમુદાયને ‘મુસ્લિમોની જેમ’ નહીં વર્તવાની શિવસેનાની ‘સલાહ’ને (શિવસેનાને તો ઊંબાડિયા મૂકવાની આદત છે કહીને) ગંભીરતાથી ન લઇએ તો પણ એમાંથી વ્યાપક જનમાનસમાં પડેલો દમિત ભાવ બહાર આવે છે: અને તે એ કે, જૈનો પોતાને હિન્દુઓથી અલગ માને છે અને આ માન્યતામાં હવે એ કટ્ટરવાદી પણ બની રહ્યા છે.
ભારતના 50 લાખ જૈનોને (મુસ્લિમોની જેમ) લઘુમતીનો કાનૂની દરજ્જો આપવામાં આવ્યો છે એટલે ‘હિન્દુત્વની રખેવાળ’ શિવસેનાનો ‘આક્રોશ’ સમજી શકાય તેવો છે, પણ સાચો નથી. બહુ ઓછા લોકો એ હકીકતથી વાકેફ છે કે જૈનોમાં અલગાવની જે ભાવના પેદા થઈ છે તેની પાછળ પૌરાણિક હિન્દુઓનો માંસાહાર અને હિંસક વ્યવહાર કારણભૂત છે. બૌદ્ધિક કાળમાં પશુઓના બલિ ચઢાવવાની હિન્દુઓની પરંપરાનો સૌથી પહેલો વિરોધ જૈનોએ કર્યો હતો.
હિન્દુ ગ્રંથ મનુસ્મૃિતને ટાંકીને જૈન સાધુ હેમચંદ્રાચાર્ય(ધંધૂકા)એ કહેલું કે ગલત શાસ્ત્રોના પ્રભાવમાં આવીને હિન્દુઓ હિંસક બની ગયા છે. દિગંબર સાધુ અલંકાએ વ્યંગમાં એમ કહ્યું હતું કે હત્યા કરવાથી જો મોક્ષ મળતો હોય તો તેમણે શિકારી કે માછીમાર બની જવું જોઈએ. એટલા માટે જ પૌરાણિક સમયથી જ જૈનોએ વેદ, મહાભારત અને રામાયણને ગલત શાસ્ત્ર ગણીને અમાન્ય ઠરાવ્યા હતાં. પાછળથી જૈનોએ આ જ ગ્રંથોને આગવી રીતે લખેલા, જેને હિન્દુઓ સ્વીકારતા નથી.
હિન્દુ રામાયણમાં રામના હાથે રાવણનો વધ થાય છે પરંતુ જૈનોના રામાયણમાં રામ અહિંસક છે અને રાવણ લક્ષ્મણના હાથે મરાય છે. વાલ્મીકિએ રામને ક્ષત્રિય રાજા તરીકે પેશ કર્યા હતા જ્યારે જૈન સંસ્કરણોમાં રામ જૈન મૂલ્યોના પાલન કરનારો એક સાધારણ અહિંસક રાજા છે. એવી જ રીતે જૈન મહાભારતમાં કૃષ્ણની ટીકા કરવામાં આવી છે કારણ કે મહાભારતના હિંસક યુદ્ધ માટે એ જ જવાબદાર છે. જૈન મહાભારતમાં યુદ્ધના અંતે કૃષ્ણ મોક્ષ નથી પામતા પરંતુ હિંસાની સજા રૂપે સાતમા નર્કમાં સબડે છે.
જૈનોના 22મા તીર્થંકર નેમિનાથ કેવી રીતે સાધુ બન્યા તેની પાછળ પણ કૃષ્ણનો હિંસક અભિગમ જવાબદાર છે. જૈન સંસ્કરણ પ્રમાણે નેમિનાથ કૃષ્ણના ભત્રીજા થાય. કૃષ્ણના પિતા વાસુદેવના ભાઈ સમુદ્ર વિજયનો પુત્ર એટલે નેમિનાથ. કૃષ્ણએ આ નેમિનાથમાં ચક્રવર્તી રાજા બનવાનાં લક્ષણ જોયેલાં પણ નેમિનાથ બચપણથી જ આધ્યાત્મમાર્ગી હતો એટલે એનામાં સાંસારિક વૃત્તિઓ પેદા કરવા માટે કૃષ્ણએ એની જ એક રાણી સત્યભામાની બહેન રાજુલ (રાજમતી) સાથે નેમિ કુમારનું ‘ચોકઠું’ ફિટ કરી દીધું. આ નેમિ કુમાર ઘોડે ચઢીને રાજુલને પરણવા જતો હતો ત્યારે રસ્તામાં એણે જોયું કે લગ્નમાં લોકોને ખવડાવવા-પીવડાવવા માટે કૃષ્ણએ અસંખ્ય પ્રાણી-પશુઓનું માંસ રાંધ્યું હતું. આ હિંસા જોઇને નેમિનું હૃદય દ્રવી ઊઠ્યું અને એણે સંસારનો ત્યાગ કરી દીધો.
હિન્દુઓને એ જાણીને આઘાત લાગે કે ઘણા પંડિતો અને અભ્યાસુ ભગવદ્દગીતાને હિંસાને પ્રોત્સાહન આપતા ગ્રંથ તરીકે જુએ છે. અગાઉના સોવિયત સંઘમાં ઇસ્કોન દ્વારા ગીતાનો પ્રચાર જોરશોર પર હતો ત્યારે ગીતામાં હિંસાનો ઉપદેશ છે તેવા આરોપસર ત્યાંની અદાલતમાં ઇસ્કોન પર પ્રતિબંધ મૂકવાની માગણી થઈ હતી.
આમાં આશ્ચર્ય પામવા જેવું નથી. જગતના તમામ ધર્મો પર હિંસાને પ્રોત્સાહન આપવાનું કલંક છે. પૌરાણિક સંઘર્ષોથી લઈને આધુનિક યુદ્ધો સુધીમાં જેટલી ખૂનામરકી થઈ છે તેની પાછળ એક યા બીજી ધાર્મિક માન્યતા કારણભૂત રહી છે. કોઈપણ ધર્મના મૂળમાં હિંસા ન હોય તો પણ એના અર્થઘટનો અને અનુસરણો વ્યાપક હિંસા, ઉપદ્રવ, હત્યા અને દંગલમાં પરિણમ્યાં છે. ધર્મના નામ પર જ્યારે જ્યારે લોકો સંગઠિત થયા છે ત્યારે ત્યારે સંઘર્ષ પેદા થયો છે. આનું કારણ એ કે પ્રત્યેક ધર્મ ‘પોતાના સત્ય’માં માને છે. મારા સત્ય વિરુદ્ધ તમારું સત્ય આવે એટલે ઝઘડો થાય.
એટલા માટે જ, આતંક કે હિંસાનો કોઈ ધર્મ કે દેશ નથી એવી ચોકલેટ ગળે ઊતરે તેવી નથી. ચોપડીઓમાં પ્રેમ અને શાંતિના પાઠ ભણાવાય તે ઠીક પરંતુ હિંસા અને હેવાનિયત ધર્મ અને રાષ્ટ્રની સીમાઓમાં જ મોટાં થાય છે તે સમજવા યુનિવર્સિટીમાં ભણવા જવાની જરૂર નથી. પ્રેમ અને શાંતિના નામે ક્યાંક બે ધર્મો વચ્ચે દંગલ છે તો ક્યાંક એક ધર્મમાં બે લોકોના ભેગા થવાની સામે સંઘર્ષ છે.
યુનિવર્સિટી ઓફ ઓકલાહોમામાં ધાર્મિક બાબતોના પ્રોફેસર ચાર્લ્સ કિંમ્બાલે ‘વેન રિલિજિયન બીકમ્સ ઇવિલ’ નામની કિતાબમાં ધર્મના નામે હિંસા અને યુદ્ધોનો ઇતિહાસ લખતાં કહ્યું હતું કે તમામ ધર્મો મૂળભૂત રીતે હકારાત્મક અને શાંતિના પ્રેરક છે પરંતુ એમાં (1) સત્ય પર એકાધિકાર (2) અંધશ્રદ્ધા (3) આદર્શ કાળની કલ્પના (4) સાધ્ય સાધનને ઉચિત ઠેરવે અને (5) ધર્મયુદ્ધની માન્યતા બળવત્તર બને ત્યારે હિંસા પેદા થાય છે.
જૈનોની જેમ જ જેનો ઉદય અહિંસાના વિચારની આસપાસ જ થયો છે તે બૌદ્ધ ધર્મ પણ હિંસાનું કલંક સહન કરી રહ્યો છે. બૌદ્ધવાદ, જે મુખ્યત્વે ચિંતનાત્મક છે, તે ઘણા દેશોમાં સંગઠિત ધર્મ તરીકે સ્થાપિત થઈ ચૂક્યો છે અને એ મુલકના બીજા ધર્મો સાથે સંઘર્ષમાં ય ઊતર્યો છે. શ્રીલંકામાં બોદુ બાલા સેના (બૌદ્ધ શક્તિદળ) નામનું લડાયક ધાર્મિક સંગઠન અન્ય સંપ્રદાયો અને લઘુમતીઓ પર ત્રાસ વર્તાવવા માટે જાણીતું છે. થાઇલેન્ડ, મ્યાનમાર, જાપાન અને ચીનમાં ઘણાં બૌદ્ધ ધાર્મિક સંગઠનો ખુલ્લેઆમ હિંસાને સાધ્ય પ્રાપ્ત કરવા માટેના સાધન તરીકે વાપરે છે.
આ પણ એક વિચિત્રતા જ છે કે જૈનોની જેમ હિન્દુવાદમાં હિંસાની હાજરીના કારણે જ છૂટા પડેલા બૌદ્ધ ધર્મમાં હવે હિંસા પ્રવેશી ગઈ છે. મજાની વાત એ છે કે હિંસાનો સહારો લેનાર દરેક ધર્મ પોતપોતાની રીતે એ હિંસાને ઉચિત પણ ઠેરવે છે. આમાં મૂળભૂત પ્રશ્ન એ છે કે : હિંસા સારી છે ખરાબ? એક્ચુઅલી, પ્રકૃતિ અને સમાજની રચના જ હિંસાત્મક છે. પ્રકૃતિમાં પશુઓ હિંસાનો સહારો લઈને જીવતાં રહે છે. એમના ઊંચ-નીચ(કમજોર અને બળવાન)નો ક્રમ, પ્રદેશાધિકાર અને જીવન સહવાસીની પસંદગી હિંસાના આધારે નક્કી થાય છે. માનવીય સભ્યતાની સ્થાપના પણ હિંસાથી થઈ છે. જંગલોનો નાશ કરવો, નદી-નાળા ઉલેચવા, પર્વતો તોડવા, પશુઓને ગુલામ બનાવવાં અને એનું ભક્ષણ કરવું એ માનવીય હિંસા જ છે. જંગલમાં પશુઓ ભૂખ સંતોષવા હત્યા કરે છે. સમાજમાં સંપત્તિનું જતન કરવા હિંસા થાય છે.
પ્રકૃતિ અને સભ્યતાની હિંસામાં એક પાયાનો ફરક એ છે કે માત્ર માણસ જ એક એવું પ્રાણી છે જે એની માન્યતા કે વિચારણા રક્ષણ માટે હિંસા કરે છે. ધાર્મિક હિંસાનો જન્મ જ માણસની એના વિચાર પ્રત્યેની અંધશ્રદ્ધામાંથી પેદા થાય છે. આપણા ધાર્મિક નિયમોથી લઈને કાનૂની વ્યવસ્થામાં એક નિહિત હિંસા છે. રોડ ઉપર બંદૂક લઈને પહેરો ભરતા પોલીસમેનથી લઈને ન્યુિક્લયર બોમ્બની પૂરી ગોઠવણમાં સંગઠિત હિંસા છે. સભ્ય સમાજની રચના કરવા હિંસા જરૂરી છે એવું આપણી તમામ વ્યવસ્થાઓમાં દેખીતી રીતે નજરે પડે છે.
અને હવે તો આપણે એક એવા સમયમાં જીવી રહ્યાં છીએ જ્યાં આચારાત્મક હિંસા અને વિચારાત્મક હિંસા એકબીજાની બરોબર છે. એક સૈનિક એની બંદૂક વડે પીડા પહોંચાડી શકે છે તેવી જ રીતે એક ભણેલો-ગણેલો માણસ એના વિચારથી દુ:ખ આપી શકે છે. આપણે વિચારાત્મક હિંસાને હિંસા ગણતા નથી. જૈન-બૌદ્ધ ધર્મના અહિંસાના વિચારને ગાંધીજીએ અપનાવ્યો ત્યારે તેમણે વૈચારિક હિંસાના જોખમને પણ મહત્ત્વ આપેલું. એટલે ચાર્લી હેબ્દો નામનું ફ્રેન્ચ સાપ્તાહિક મહંમદ પેગમ્બરની મજાક કરતા કાર્ટૂન પ્રગટ કરે એ ઉશ્કેરણી પણ કહેવાય અને (વૈચારિક) હિંસા પણ.
ગાંધીજીએ સામાજિક સાફ-સફાઈ કરવા માટે આધ્યાત્મના મંદિરમાં પડેલા અહિંસાના ઝાડુને બહાર કાઢેલું. આજે એ જ અહિંસાના ઝાડુનો ઉપયોગ સખ્તી આચરવામાં ય થઈ રહ્યો છે. મહારાષ્ટ્ર સરકારે ગાયના માંસાહાર પર પ્રતિબંધ મૂક્યો ત્યારે એની પાછળનો તર્ક ગાયોનું જતન કરવાનો હતો. કોણે શું ખાવું અને ના ખાવું એના આ વૈચારિક સંઘર્ષમાંય કેટલી હિંસા છે એ સમજવું અઘરું નથી.
અસલમાં ખાવા-પીવાની આદતો લોકોની ભૌગોલિક પરિસ્થિતિ, આર્થિક હાલત અને સામાજિક રચના સાથે જોડાયેલી છે. સમય અને સંજોગો પ્રમાણે એ બદલાતી પણ રહે છે. અગર મારા દૈનિક આહાર પર કોઈકનું નિયંત્રણ હોય તો એ પણ એક પ્રકારની અહિંસક હિંસા જ છે. નિરામિષતાની આ રાજનીતિમાંથી સમજવા જેવું એટલું જ છે કે આપણા ધાર્મિક આયામો ક્યારેક તો હિંસક બની જ જાય છે. એમાંથી અહિંસાનો આયામ પણ બાકાત રહ્યો નથી. અહિંસાનો આગ્રહ પણ હિંસા જ કહેવાય? સોચો.
સૌજન્ય : “દિવ્ય ભાસ્કર”, 20 સપ્ટેમ્બર 2015
https://www.facebook.com/permalink.php?story_fbid=1480085558986165&id=1379939932334062&substory_index=0
![]()


લતા મંગેશકરને ૨૦૦૧માં ભારતરત્ન મળ્યો અને એમ.એસ. સુબ્બલક્ષ્મીને ૧૯૯૮માં ભારતરત્ન એનાયત થયો હતો. લતા મંગેશકરને ભારતરત્ન એનાયત થયો એના ત્રણ વર્ષ અગાઉ એમ.એસ. સુબ્બલક્ષ્મીને એ ઇલકાબ એનાયત થયો હતો. એમ.એસ. સુબ્બલક્ષ્મી ભારતનાં પહેલા મહિલા ગાયિકા છે જેમને ભારતનો પહેલો સંગીતક્ષેત્રનો ભારતરત્ન ઇલકાબ મળ્યો હતો. છતાં કોઈએ લતા મંગેશકરનું નામ સાંભળ્યું હોય અને એમ.એસ. સુબ્બલક્ષ્મીનું નામ ન સાંભળ્યું હોય એવું બની શકે છે. બંને સંગીતક્ષેત્રની હસ્તીઓ છે. બંને દેવીઓ છે. દેવીઓમાં સરખામણી ન હોય છતાં આ તો એક સાદો અભ્યાસ છે. સરખામણી કોઈને નીચા દેખાડવા માટે જ ન હોય, પણ એક પ્રમાણ મેળવવા માટે પણ હોઈ શકે. બસ એ રીતે જ આ સરખામણીને નિહાળવી. છતાં કોઈને એવું લાગતું હોય કે આ ગુસ્તાખી છે તો મિચ્છામી દુક્કડમ.
મુંબઈમાં મકબૂલ ફિદા હુસૈનનાં કેટલાંક ચોક્કસ ઠેકાણાં હતાં. જેમ કે, તળ મુંબઈમાં આવેલા મેટ્રો સિનેમા પાસેની ઈરાની કેફે. ત્યાંના પારસી ઢબના ગોળ ટેબલ અને ટિપિકલ ખુરશીઓ પર બેસીને હુસૈનસાહેબ કલાકો કાઢી નાખતા હતા. ઉપરાંત, ક્યારેક જુહૂના પૃથ્વી થિયેટરમાં જઈ ચઢે. અમદાવાદ આવે ત્યારે જૂના અમદાવાદની લકી રેસ્ટોરાંની ચા પીવાનું ન ચૂકે. એ રેસ્ટોરાંને ખાસ ચિત્ર દોરીને હુસૈનસાહેબે ભેટ આપેલું જે આજે રેસ્ટોરાંની રોનક વધારે છે.
૩ જાન્યુઆરી, ૧૯૮૮ના રોજ દૂરદર્શન પર 'તમસ' ટીવીસિરીઝ તરીકે રજૂ થવાની શરૂ થઈ ત્યારે લોકો હલબલી ગયા હતા. ચાર હપ્તાની એ ટીવીસિરીઝ એક વૈચારિક આંદોલન જેવી હતી. [આ લેખને અંતે આ ચારે ય ભાગની કડી મૂકી છે : તંત્રી] હિન્દીના મહાન સાહિત્યકાર ભીષ્મ સહાનીની નવલકથા 'તમસ' પરથી ફિલ્મમેકર ગોવિંદ નિહલાનીએ ટીવીસિરીઝ બનાવી હતી. જેમાં દીના પાઠક, ઓમ પુરી, દીપા સાહીથી માંડીને મંજાયેલાં કલાકારોનો જમાવડો હતો. ભારત-પાકિસ્તાનના વિભાજન બાદ દેશ બે ટુકડાઓમાં વહેંચાઈ ગયો અને પછી જે ખાનાખરાબી સર્જાઈ એનું રુવાંટાં સળગાવી દે એવું ચિત્રણ 'તમસ'માં છે.
ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખ તરીકે ચૂંટાયેલા ચન્દ્રકાન્ત ટોપીવાળાના વિવેચનના વિભાજિત પટ પરના ઘણાં પુસ્તકો અભ્યાસીને પણ અઘરાં કે નિરસ જણાય છે. પણ ‘મારો આતમરામ’ (2009) નામનો તેમના ‘અંગત લેખનોનો સંચય’ પ્રસન્ન કરી દેનારો છે. વળી આ વિદ્વાન અધ્યાપક-સમીક્ષક-કવિ એ જીવનનો આનંદ માણનારા એક બહુરુચિસંપન્ન વ્યક્તિ કેવી રીતે છે તે પણ આ પુસ્તક બતાવે છે. ‘પારકૃતિત્વ’, ‘વાનરવૈયાકરણ’,‘ગણવર્તી’,‘ગલતા’,‘અનુગ્ર પરંપરા’, ‘યુરિ લોત્મનનો સંકેતમંડળનો ખ્યાલ’ જેવા નાનાવિધ દુર્બોધ શબ્દપ્રયોગો તેમની લેખિની ઠેર ઠેર સહજ રીતે પ્રક્ષેપે છે. એટલે તેમની કલમ જ્યારે પ્રાઇમસ, કોગળા, કંટોલા, હથોડી, માખી, કરોળિયા, લાલચુડી, ઇડલી, થેલી, કરચલી જેવી વૈખરીમાં વિહાર કરે છે ત્યારે વાચકને મરમાળા રસિક ‘ચં.ટો.’ દેખાય છે. સરેરાશ ત્રણ પાનાં ધરાવતાં સિત્તેર લખાણોનાં પાર્શ્વ પ્રકાશને બહાર પાડેલા પુસ્તકના ‘અંતરંગ’માં લેખક કહે છે : ‘મારા ગદ્યની આ બીજી બાજુ છે. સૈદ્ધાન્તિક વિવેચન અને પ્રત્યક્ષવિવેચનમાં શિસ્તબદ્ધ, ઠાવકું અને ચુસ્ત રહેલું ગદ્ય અહીં હળવા વિનોદવ્યંગ અને રમતિયાળ વળાંકોમાં ઊતરી પડ્યું છે.’ આ ગદ્યાંશ જુઓ : ‘આમ તો મારો પ્રભાતનો નિત્યક્રમ શાકથી જ શરૂ થાય છે. એ જ મારું પ્રભાતિયું કામ. શાકને જોવું, સ્પર્શવું, ચૂંટવું, સમારવું, કાપવું – બધાના ભાગ્યમાં નથી. મોગરીની એક એક સેરને તપાસી કૂણી કૂણી જુદી પાડી એને ઝીણી મોળવી … વિખરાતી રજ સાથે ફ્લાવરના ફોડવા તૈયાર કરવા .. ટીંડોળાને ઊભા કે આડા ગોળ સમારવાની મીઠી મૂંઝવણમાં પડવું …’ આહારવિદ્યા, રાંધણકલા અને સ્વાદેન્દ્રીય પરનાં રસદાર નિબંધો છે. ઘ્રાણેન્દ્રિયની તકલીફને લઈને તે ‘નાસિકાકાંડ’ લખે છે : ‘છેવટે નાકલીટી તાણી ડૉક્ટર પાસે પહોંચ્યાં. નસકોરામાં ચીપિયા નખાવ્યા.’ સોમરસેટ મૉમને યાદ કરીને લેખક ‘નાણું છઠ્ઠી ઇન્દ્રિય’ વિશે લખે છે. નાનામોટા પ્રસંગો-અનુભવોથી દુરારાધ્ય વિવેચકના વ્યક્તિત્વના રંગો અને માન્યતાઓ ઊઘડતાં જાય છે. ‘પોતાને વિશ્વાસનો અનુભવ થતો રહે તે માટે ટાઈ’ પહેરે છે. ઊંચા સ્ટૂલ , ચકડોળ અને કૂતરાંથી ડરે છે. પણ લખે છે : ‘મને મૃત્યુનો ભય નથી રહ્યો અને ઈશ્વર છેવટે તો નથી જ (મારે માટે) એટલે મને ઈશ્વરનો ભય નથી રહ્યો.’ વળી તે એમ પણ કહે છે : ‘દરેક જીવ અનન્ય છે. દરેક જીવમાં મારે જીવવું છે. મને મોક્ષ નથી જોઈતો.’ અન્યત્ર લખે છે : ‘તમે હાક મારશો એટલે બધું કામ પડતું મેલીને હું ફિલ્મ જોવા તમારી સાથે નીકળીશ’, અથવા ‘મન અનાયાસ માછલીની જેમ ટીવી તરંગોમાં બેએક કલાક ખુશહાલ તર્યા કરે છે.’ લખાવેલી પ્રસ્તાવના તેમને ‘બેહૂદી ચીજ’ લાગે છે. પોતાની આવી વાતો ઉપરાંત લેખક બાળપણનાં સંભારણાં, લયભંડોળ, વાચનનો ઢોળ, મુંબઈનું શિક્ષણ અને મહાનગરમાંથી દેશવટો, આચાર્ય તરીકેનું કામ વગેરે વિશે પણ લખે છે. દીકરી-દૌહિત્રીઓનાં સ્નેહચિત્રો છે. નાના ભાઈ ચૈતન્ય, કલાકાર નિમેષ દેસાઈ, વિવેચક કૃષ્ણરાયન, ‘ખોળી લાવેલા’ હિબ્રૂ કવિ યહૂદા અમિચાઈ, મિત્ર જયંત ગાડીત અને ‘રૂપેરી અવાજ’ના સ્વામી અનિરુદ્ધ બ્રહ્મભટ્ટને લેખકે અલગ અલગ નિબંધોમાં સરસ રીતે યાદ કર્યા છે. ‘રીંછસત્ર’ અને મરાઠી સંતકવિ વિશેનો ‘ચોખોબા જડ્યો’ બહુ જ વાચનીય છે. સાતેક લેખો ખુદનાં સર્જન-વિવેચનની કેફિયત પ્રકારના છે. શહેરના બગીચા, માખી, ઊંઘ, ખંડેર, ટ્રેન, પક્ષી દર્શન ‘ટ્રાયમ્ફ ઑફ ધ વિલ’ ફિલ્મ જેવા વિષયો પર ઉત્તમ લલિત નિબંધો મળે છે. જો કે એકંદરે પહેલા ચોંત્રીસેક નિબંધો ઓછા ‘સાહિત્યિક’ વધુ દુન્યવી, અને એટલે વધુ વાચનીય જણાય છે. અલબત્ત વિચાર અને અભિવ્યક્તિમાં ક્યાં ય કનિષ્ઠતા (મિડિયોક્રિટી) નથી, સુબોધ ગુણવત્તા છે.