
courtesy : "The Daily Telegraph", 31 January 2018
![]()

courtesy : "The Daily Telegraph", 31 January 2018
![]()
હાર્વી કાળો (આફ્રિકન અમેરિકન) હતો. ૧૯૭૨માં મારી સાથે લોન્ગ આયલેંડ – ન્યુ યોર્કના વિસ્તારમાં આવેલા એક ટેક્સટાઈલ પ્રિન્ટીંગ પ્લાંટમાં કામ કરતો હતો.
હાર્વી, કાળો એટલે? કાળો ભૂત લાગે! સવા છ ફૂટ ઊંચું કદ કોઈને પણ ડરાવે. ચાલે તો જાણે ડોલતો ગજરાજ! અંધારામાં ઊભો હોય તો તેના ચમકતા સફેદ દાંત જ એકલા દેખાય. જો આવડતા હોય તો ‘હનુમાન ચાલીસા’નો પાઠ કરવાનો આ જ સમય. પણ સ્વભાવે મીંદડી. જો કોઈ તેની સાથે ઊંચા અવાજે વાત પણ કરે તો ય હાર્વી ગભરાય. એટલે ઝઘડો ટાળવા કાયમ મોં હસતું રાખતો.
કોઈ પણ કહી શકે કે તેને સૌથી વધારે ડર તેની પત્ની ઇલિઝાબેથનો લાગતો. ઇલિઝાબેથનું નામ તેની જીભે વાતેવાતે આવતું. અમારી સાથે બર્ની વિલિયમ્સ પણ કામ કરતો હતો. તે બન્ને મિત્રો હતા. બર્ની પણ આફ્રિકન–અમેરિકન હતો; પણ તે વાને થોડો ગોરો હતો. એટલે તે પોતે આફ્રિકન ગણાવવામાં નાનમ સમજતો. તેમાં તેની પત્ની સેન્ડી ગોરી અમેરિકન હતી. તેનું તેને અભિમાન રહેતું. હું તેને કહેતો કે : ગોરી કે કાળી; પત્ની એટલે પત્ની! પત્નીની એક જુદી નાત હોય છે. બર્નીને તેની પત્નીએ પોતાનો પડ્યો બોલ ઝીલવાની ટેવ પાડી હતી. એટલે જ્યારે તે વર્ક પર મોડો પડતો, તો પત્નીના નામનું બહાનું કાઢતો. જ્યારે હાર્વીને ગોરા–કાળાની મગજમારી નહોતી. બર્નીની ઈચ્છા હોલીવુડમાં જવાની હતી. પણ કમનસીબે મારા જેવા ઇન્ડિયનના હાથ નીચે ભેરવાઈ ગયો હતો. અને મારી કુંડલીમાં એવું તો શું હતું કે હું જનમ્યો ભારતમાં અને પનારો પડ્યો દસ હજાર માઈલ દૂર આ લોકોની સાથે!
હું પ્રિન્ટીંગ પ્લાંટના કલર ડિપાર્ટમેંટનો ઈનચાર્જ હતો. સ્ટાફમાં બીજા પચીસ વર્કર હતા. તે બધાનો હું સુપરવાઈઝર હતો. અમે બપોરની બીજી શિફ્ટમાં કામ કરતા હતા અને રાતે સાડાદસે છૂટી જતા. સામાન્ય રીતે હું સ્ટાફ સાથે ભળતો નહીં. હું હજુ અમેરિકાથી બરાબર ટેવાયલો નહોતો. એટલે આ કાળા આફ્રિકન–અમેરિકન મને ડરામણા લાગતા. જ્યારે હાર્વીને પહેલવહેલો જોયો ત્યારે મને મારી કલ્પનાનો, મહાભારતના ભીમ અને બકાસુરના પ્રસંગનો બકાસુર યાદ આવ્યો હતો. અને ખરેખર બકાસુરની જેમ જ આ બકાસુર પણ બહુ ખાતો. એક બાજુ હાથ વજન કરતા હોય તો ય, કાંઈને કાંઈ ચાવતો હોય. હાર્વી પ્લાંટમાં પ્રિન્ટીંગ માટે જોઈતા જાતજાતના કલરનું ટિકિટ પ્રમાણે વજન કરતો. તે તેની ડ્યુટી હતી. બર્નીને હું ટિકિટ આપતો. બર્ની તે ટિકિટો હાર્વીને આપતો. હાર્વી તે કલર તૈયાર કરતો. દિવસના અંતે જાતજાતના કલર્સના કારણે આ કાળા હાર્વી પર ભૂરા–પીળા કલરના લીસોટા દેખાતા. તે તેને ભયાનક રૂપ આપતા. ઘેર જતાં પહેલાં અમારા દરેક વર્કરે ફરજિયાત શાવર–બાથ લેવો પડતો. જો તેમ ન હોત તો ભૂતાવળ છૂટી હોય તેવું લાગે.
એક બપોરે હાર્વી મારી ઓફિસમાં આવ્યો. મને કહે : ‘જાની, મારા કલરરૂમમાં આવ.’ હું હાર્વીના કલરરૂમમાં ગયો. હાર્વી કહે, ‘તને અમેરિકન પાઈ ખબર છે? એપલ પાઈ તો અમારા અમેરિકાની સ્પેશ્યાલિટી છે. મારી વાઈફ બહુ સરસ બનાવે છે. તે તારા માટે લાવ્યો છું.’ મેં તેને કહ્યું કે : ‘આટલી મોટી દસ ઈંચની પાઈ મારાથી નહીં ખવાય.’ બર્ની કહે, ‘હું ખાવા લાગીશ.’ એપલ પાઈ એટલે બાફેલા એપલ પર ખાંડની ચાસણી નાખેલી મીઠાઈ. અમેરિકામાં જાતજાતના ફ્ૃૂટ્સની બનેલી પાઈ મળે. પછી અમે કામ કરતાં કરતાં તે પાઈ આરોગી. અને પછી તો હાર્વી રોજ પાઈ લાવતો. મેં જોયું તો મારું તો નામ માત્ર હતું; હાર્વીને જ પાઈ ભાવતી. મને થતું કે હાર્વીએ જન્મતાની સાથે દૂધની જગ્યાએ પાઈ માંગી હશે. કદીક તે પાઈને બદલે કેક લાવતો. આમ અમારો સમ્બન્ધ આગળ વધ્યો. ખાસ કારણ તો એની ખાવાની ટેવને લીધે. બર્ની પણ હાર્વી માટે ખાવાની વાનગીઓ લાવતો. પણ નવાઈની વાત એ હતી કે મને પણ તેમની જ્યાફતમાં જોડતો. પણ જો તે વાનગી વેજીટેરિયન હોય તો જ હું જોડાતો. તેમનો ઉત્સાહ બહુ રહેતો. હું ઇન્ડિયન હતો. બીજા દેશમાંથી આવ્યો હતો એટલે મને નવું નવું ફૂડ ટેસ્ટ કરાવવા માંગતા હતા. અમારો સમ્બન્ધ સાથે કામ કરવા કરતાં, ખાવાની વાનગીઓને લીધે વધ્યો.
એક દિવસે એ બન્નેને મેં મારે ત્યાં નોતર્યાં. મારો એક ઈરાદો એ પણ હતો કે મારાં પત્ની કોઈ કાળા અમેરિકનને નજીકથી જૂએ અને તેમનાથી ન ડરે. તે બન્ને એક શનિવારે આવ્યા. તેમણે પ્રેમથી હસીને વાતો કરી. પોતાના રૂમમાં છુપાઈ ગયેલી મારી દીકરીઓ પણ બહાર નીકળીને રમવા લાગી. એમને દેશી ભોજન ન ભાવ્યું. કશામાં મરચું નહોતું નાખ્યું; તો ય દરેક વાનગી તેમને તીખી લાગી. અમેરિકનોનું આ જ તો દુ:ખ છે, બીચારા મરીમસાલામાં શું સમજે ! ગુલાબજાંબુ બહુ ગળ્યાં લાગ્યાં. ફક્ત લુખ્ખી પૂરીઓ બે હાથે તોડીતોડીને ખાધી. કાળા અમેરિકનોને તળેલી વસ્તુઓ બહુ ભાવે. તેમાં પણ ‘ફ્રાઈડ ચીકન’ મળે તો તો, બ્રાહ્મણને લાડુ મળ્યા બરાબર! તેમને ભોજનનો આનંદ તો ન મળ્યો; પણ એક ઇન્ડિયન ફેમિલીને મળ્યાનો તેમને સંતોષ હતો. જતાંજતાં હાર્વીએ એટલું જ કહ્યું, ‘તમે લોકો પાણી તો એવી રીતે પીઓ છો કે જાણે બીયર ન પીતા હો?’
એક બપોરે હાર્વી મારી ઓફિસમાં આવ્યો. બેંક પાંચ વાગે બંધ થાય તે પહેલાં, પોતાનો તે દિવસે મળેલો પગારનો ચેક વટાવવા જવાની તેણે રજા માંગી. બેંક અમારા પ્લાંટની નજીકમાં જ હતી. હાર્વી પંદરેક મિનિટમાં આવી જશે એમ ધાર્યું હતું; પણ તે ન આવ્યો. પછી લગભગ અડધા કલાક પછી એનો ફોન આવ્યો. ગભરાયેલા અવાજે મને બેંકમાં આવવાનું કહ્યું. જતાંવેંત મેં જોયું તો, બહાર બેચાર પોલીસ–કાર હતી. અંદર હાર્વીને ખુરશી પર બેસાડ્યો હતો. અંદર ગયો. પોલીસ મારા માટે તૈયાર જ હતી. મારે પોલીસોને જાતજાતના સવાલોના જવાબ આપવા પડ્યા. પછી મને આખી વાત સમજાઈ.
થયેલું એવું કે, બેંકમાં બે ચાર કસ્ટમર હતા. કેશિયરની બારી પર હાર્વીનો બીજો નંબર હતો. તેણે જોયું કે તેની આગળના કસ્ટમરે કેશિયર સામે ગન ધરી અને બેંક લૂંટવા પ્રયત્ન કર્યો! હાર્વીને ખ્યાલ આવી ગયો કે શું ચાલી રહ્યું છે. હાર્વીએ પાછળથી પેલાના માથામાં પોતાનો પોલાદી મુક્કો માર્યો. પેલા લુંટારાભાઈ જમીન પર પડ્યા અને હાથમાંની ગન પણ દૂર ઊડી ગઈ. હાર્વી એની છાતી પર બેસી ગયો. એ તો લુંટારાભાઈએ સવારે કોઈ સારાનું મોં જોયું હશે, બાકી હાર્વી કોઈની છાતી પર બેસે તો તેના રામ જ રમી જાય! એટલામાં પોલીસ આવી ગઈ અને કાળા હાર્વીને ચોર માની તેને જ બે ડંડા ફટકાર્યા અને લુંટારાની સાથે તેને પણ પકડી લીધો. કાળા અમેરિકનોને પોલીસનો આ જ પ્રોબ્લેમ છે. હાર્વીએ પોલીસને જણાવ્યું કે તે અમારી કંપનીમાં કામ કરે છે. તો પોલીસે મારી જુબાની લેવા મને બોલાવ્યો. મારી ઊલટ તપાસ પછી પોલીસે હાર્વીને છોડી દીધો. અને બીજે દિવસે બેંકે હાર્વીને બોલાવીને સરસ શેમ્પેઈનની બોટલ ભેટ આપી. અને લોકલ છાપામાં હાર્વીનો ફોટો આવ્યો તે જુદું.
તેવામાં અમારી કંપનીના પ્રિન્ટીંગ બિઝનેસમાં મંદી આવી ગઈ. લોકો પ્રિન્ટ વિનાના બ્લુ જીન્સ પહેરતા થઈ ગયા. કંપની બંધ પડી ગઈ. અમે સૌએ નવી જોબ શોધી લીધી.
બરાબર સત્તર વરસ પછી હું પ્લાસ્ટિક એન્જીિનયર્સની કોન્ફરન્સમાં ન્યુ યોર્ક ગયો હતો. બપોરે લંચ લઈને ટાઈમ્સ સ્ક્વેર એરિયામાં ચાલતો હતો, અને મેં જોયું કે કોઈ કાળો અમેરિકન બૂમો પાડતાં પાડતાં મારી પાછળ દોડતો હતો. આ માણસ મારી પાછળ કેમ દોડે છે? નક્કી, આપણું આવી બન્યું! આ ન્યુ યોર્ક છે. રોજના વીસત્રીસ ખૂન થાય છે. મેં દોટ મૂકી; પણ પેલા કાળાએ મને પકડી પાડ્યો. જોયું, તો તે હાર્વી હતો! હું એને જોઈને ખુશ થઈ ગયો! તેનો પહેલો સવાલ એ હતો કે “મને જોઈને તું કેમ નાસતો હતો?” પછી મેં સમજાવ્યું કે આ ન્યૂ યોર્ક છે. અહીં કોઈના પર ભરોસો ન કરાય. અમે ભેટી પડ્યા. પછી હાર્વીકુમાર બોલ્યા, ‘અમારા કાળા લોકોની તો ઈમ્પ્રેશન જ ચોર–લુંટારાની છે ને!’ તે હવે ત્યાંની બેંકમાં સિક્યુરિટી ગાર્ડ હતો. જાત જાતની વાતો કરી. જૂનાં સંસ્મરણોને વાગોળતાં અમે બન્નેએ હાવર્ડ જોન્સન રેસ્ટોરાંમાં એપલ પાઈ ખાધી. અને છૂટા પડ્યા.
અમને બન્નેને ખબર હતી કે હવે નહીં મળાય. પણ મારા સ્મરણપટમાં તો પેલો વિશાળ કાય હાર્વી, એક સસલાની માફક લપાયો છે.
ખાસ નોંધ :
અમેરિકામાં આફ્રિકન–અમેરિકન પ્રજા માટે ફેબ્રુઆરી મહિનામાં ‘બ્લેક હીસ્ટ્રી મન્થ’ની ઊજવણી થાય છે. ટીવી પર કે બીજા પ્રિન્ટ મીડિયામાં તેમના વિશે સારી સારી વાતોનો પ્રચાર–પ્રસાર થાય છે. તે પ્રસંગે ‘સન્ડે ઈ.મહેફીલ’ પણ તેને માટે યોગ્ય એવી, પરાણે વહાલા લાગે તેવા એક આફ્રિકન–અમેરિકન ‘હાર્વી વિલિયમ્સ’ની આ સ્મરણીય ચરિત્રકથા રજૂ કરે છે.
હરનિશભાઈ હાલ તેમના આગામી ગ્રંથ માટે ‘હાસ્ય–ચરિત્રો’ લખવામાં વ્યસ્ત છે .. આગામી દિવસોમાં એમનું એ પુસ્તક ‘હાસ્ય–ચરિત્ર’ પ્રકાશિત થઈ રહ્યું છે. તેમાંનો આ એક નવો લેખ તે ‘હાર્વી વિલિયમ્સ’. શરૂઆતથી જ ‘સ.મ.’ના જબરા ચાહક અને સાચા સમર્થક રહેલા ભાઈ હરનિશ જાનીએ, ‘સન્ડે ઈ.મહેફીલ’ માટે આ લેખ, સ્નેહથી મોકલ્યો તે બદલ તેમનો ખૂબ આભાર ..
− ઉત્તમ ગજ્જર
સર્જક–સમ્પર્ક : 4-Pleasant Drive, Yardville, NJ-08620-USA • Email : harnishjani5@gmail.com
સૌજન્ય : ’સન્ડે ઈ.મહેફીલ’ – વર્ષઃ તેરમું – અંકઃ 393 –February 04, 2018
![]()
જેમનાં ગીતો આઝાદીની લડત દરમ્યાન ચોરે ને ચૌટે ગવાતાં હતાં
જ્ઞાની કવિ અખાની એક જાણીતી પંક્તિ છે: ‘છીંડું ખોળતાં લાધી પોળ, અખા હવે કર ઝાકમઝોળ.’ “બુદ્ધિપ્રકાશ”ના ઓગસ્ટ ૨૦૧૭ના અંકમાં ‘બ્રિટિશ સરકાર દ્વારા પ્રતિબંધિત ગુજરાતી પુસ્તકો’ લેખ પ્રગટ થયો તે પછી કંઈક આવો જ અનુભવ થયો. એ લેખમાં લખ્યું હતું: “૧૯૩૦માં પ્રગટ થયેલી ‘રાષ્ટ્રીય રણગીતો’ નામની ૧૮ પાનાંની પુસ્તિકાના નિવેદનનું પહેલું વાક્ય આ પ્રમાણે છે: ‘અંધ કવિ શ્રી હંસરાજભાઈને તો ગુજરાત બરોબર ઓળખે છે જ.’ પણ આજે ૮૬ વર્ષ પછી પ્રયત્નો કરવા છતાં અંધકવિ હંસરાજભાઈ વિશેની માહિતી મળી શકી નથી.” આ વાંચીને અમરેલીથી શ્રી કિશોરભાઈ મહેતાએ લાંબો પત્ર લખી હંસરાજભાઈ અંગેની કેટલીક વિગતો મોકલી. ૨૦૧૦માં પ્રગટ થયેલ કાલિન્દી પરીખ સંપાદિત પુસ્તક ‘હંસ-માનસ’ની નકલ પણ મોકલી. તેમાંથી બીજી કેટલીક માહિતી મળી. પછી તો ખાંખાખોળાં શરૂ કર્યાં. હંસરાજભાઈનાં ત્રણ પુસ્તકો જોવા મળ્યાં:
૧૯૨૨માં પ્રગટ થયેલ ‘કાવ્ય ત્રિવેણી.’ ૧૩૨ પાનાંના આ પુસ્તકના ટાઇટલ પેજ પર છાપ્યું છે: ‘રચી પ્રસિદ્ધ કરનાર હંસરાજ હરખજી અમરેલીવાળા.’ પુસ્તક છપાયું છે ભાવનગરના જાણીતા સરસ્વતી છાપખાનામાં. એ જમાનામાં તેની એક હજાર નકલ છપાઈ હતી. તેમાંનાં ઘણાંખરાં કાવ્યો હંસરાજભાઈની ઉત્કટ દેશદાઝને પ્રગટ કરે છે. પુસ્તકની શરૂઆતમાં ‘ચી. ભાઈ હંસરાજ હરખજીનું સંક્ષેપ જીવન વૃત્તાંત’ છાપ્યું છે જે લખ્યું છે તેમના પિતા હરખજી કલ્યાણજીએ. તેમાં જણાવ્યું છે કે હંસરાજભાઈનો જન્મ સંવત ૧૯૪૮ના આસો વદી ૪(એટલે ૨૫ સપ્ટેમ્બર, ૧૮૯૨)ના રોજ થયો હતો. જન્મ વખતે તેમની આંખોમાં કશો રોગ નહોતો, પણ છ એક મહિનાની ઉંમરે આંખની તકલીફ શરૂ થઈ. પહેલાં ઘરગથ્થું ઉપાય કર્યા, અને પછી દાક્તરી સારવાર. તે માટે છ મહિના જૂનાગઢ રહીને ડોક્ટર ત્રિભુવનદાસની દવા કરી. પણ છેવટ ત્રણ-ચાર વર્ષની ઉંમરે બંને આંખો ગુમાવી. પરંપરાગત રીતે શિક્ષણ આપવાનું શક્ય નહોતું એટલે મીણના અક્ષરો અને આંકડા બનાવી સ્પર્શ દ્વારા અક્ષરજ્ઞાન આપ્યું. યાદદાસ્ત સારી હોવાથી કવિતા અને ભૂગોળનું શિક્ષણ સાંભળીને મેળવ્યું, અને આઠ વર્ષની ઉંમરે બીજા ધોરણની પરીક્ષામાં પાસ થયા. પછી એ જ રીતે ગુજરાતી છઠ્ઠા ધોરણ સુધીનો અભ્યાસ મોટે ભાગે અમરેલીમાં રહી પૂરો કર્યો. સાથોસાથ ગાયન અને તબલાં તથા હારમોનિયમ વાદનની તાલીમ પણ લીધી. છ એક મહિના મુંબઈની વિક્ટોરિયા બ્લાઈન્ડ સ્કૂલમાં દાખલ થયા અને બ્રેલ લિપિનું જ્ઞાન મેળવ્યું, પછી ફરી અમરેલી જઈ અંગ્રેજી શીખ્યા અને મેટ્રિકની પરીક્ષા આપી, પણ વિજ્ઞાનના વિષયમાં નાપાસ થયા. પછી ત્રણ વર્ષ વડોદરા રહી ત્યાંની મુખ્ય સંગીત શાળામાં તાલીમ લીધી અને ફિડલ, વીણા, દિલરૂબા, સિતાર, જલતરંગ જેવાં વાદ્યો વગાડતાં શીખ્યા. એક જલસામાં ફિડલ વગાડવા માટે ૭૫ રૂપિયાનું ઇનામ મેળવ્યું. પછી અમરેલી જઈ હારમોનિયમ શિક્ષક તરીકેની નોકરી કરી. ૧૯૨૧ના ડિસેમ્બરની ૧૪મી તારીખે લખેલા આ જીવન વૃત્તાંતને અંતે તેમના પિતા લખે છે: “ભાઈ હંસરાજની કવિત્વ, વાદ્ય અને ગાયનની શક્તિ ઘણી સારી અને ઊંચા પ્રકારની છે. તે સાથે તેમની યાદદાસ્ત પણ ઘણી સારી અને ઉત્તમ છે.”
જીવન વૃત્તાંત પછી હંસરાજભાઈનું ચાર પાનાંનું નિવેદન છપાયું છે. તેમાંથી જાણવા મળે છે કે ૧૯૨૧-૧૯૨૨ના અરસામાં અમરેલીના ખાદી ભંડારે કાઠિયાવાડમાં બધે ફરીને પોતાનાં ગાયન-વાદનથી સ્વદેશીનો પ્રચાર કરવાનું કામ હંસરાજભાઈને સોપ્યું હતું. પોતે જે લખે છે તેની ગુણવત્તા અંગે તેઓ પૂરેપૂરા સભાન છે. નિખાલસતથી લખે છે: “મારાં કેટલાંક ગીતો માત્ર જન સમાજ પર અસર કરવા સારૂ માત્ર જોડકણાં છે. એમાં કવિતાનો એક પણ અંશ નથી. એવાં જોડકણાંને કવિતા કહી કાવ્યમાતાનો ઉપહાસ હું હરગિજ ન કરૂં.” આ ‘કાવ્ય ત્રિવેણી’નું પહેલું વહેણ ભક્તિ કે અધ્યાત્મને લગતી ૩૯ રચનાઓનું છે. બીજું વહેણ દેશભક્તિની રચનાઓનું છે. આ વિભાગની શરૂઆતમાં અલગ ‘અર્પણ પત્રિકા’ અને ‘મંગળાચરણ’ની પદ્યકૃતિઓ મૂકી છે. માતૃભૂમિને અર્પણ કરતાં લખે છે:
ઓ હિન્દ! ધર્મ ધાત્રી, સઘળું તને સમર્પું;
તેત્રીસ કોટિ ત્રાત્રી, સઘળું તને સમર્પું.
આ દેહ ને જીવન આ, આત્મા અને હૃદય આ;
આ પ્રેમ, આ સબંધો, સઘળું તને સમર્પું.
આ બીજા વહેણમાં ઉપરની બે કૃતિઓ ઉપરાંત બીજી ૩૭ કૃતિઓ છે. ત્રીજા વહેણમાં ૨૩ કૃતિઓ છે, જેમાંની કેટલીક સ્વદેશીનો પ્રચાર કરતી, વ્યસનોનો વિરોધ કરતી, અને પ્રકીર્ણ પ્રકારની છે. ત્યાર બાદ ક્રમાંક આપ્યા વગર ૧૨ રચનાઓ મૂકી છે, જે સંભવતઃ પુસ્તક છપાઈ રહેવા આવ્યું હશે ત્યારે ઉમેરી હશે. વ્યસનોનો વિરોધ કરતી રચનાઓમાં હોટેલનો વિરોધ કરતી એક રચના પણ છે. હોટેલ સામેના વિરોધનું એક મુખ્ય કારણ એ કે તેમાં વર્ણાશ્રમના ભેદ જળવાતા નથી.
એક જ ડોલ તણી ગંગામાં સર્વે પ્યાલા પાવન થાય,
શૂદ્ર તણો પીધેલો પ્યાલો એમ જ બ્રાહ્મણને દેવાય.
એકબીજાના મુખ વિષે અથડાએ એક બીજાના શ્વાસ,
શસ્ત્ર વિના વર્ણાશ્રમ કેરું હોટલ વાળે સત્યાનાશ.
હંસરાજભાઈનું સૌથી મહત્ત્વનું પુસ્તક નવેમ્બર ૧૯૩૮માં પ્રગટ થયું હતું. ૮૮૦ પાનાંના આ દળદાર કાવ્યસંગ્રહનું નામ છે ‘હંસ માનસ’. અમરેલીના મિનરવા પ્રિન્ટિંગ પ્રેસમાં છપાયેલા અ પુસ્તકની કિંમત ફક્ત ત્રણ રૂપિયા હતી. તેનું એક કારણ એ કે પુસ્તકના પ્રકાશનની બધી જવાબદારી ભાવનગર રાજ્યના દીવાન સર પ્રભાશંકર પટ્ટણીએ ઉપાડી લીધી હતી. પુસ્તકના ટાઇટલ પેજ પર પ્રકાશક તરીકે પણ તેમનું જ નામ છાપ્યું છે. જો કે પુસ્તક પ્રગટ થાય તે પહેલાં ૧૯૩૮ના ફેબ્રુઆરીની ૧૬મી તારીખે પટ્ટણીસાહેબનું અવસાન થયું હતું. કવિએ પુસ્તક તેમને જ અર્પણ કર્યું છે અને છ પાનાંનું અર્પણ કાવ્ય તથા ફોટો પણ મૂક્યાં છે. પુસ્તકમાં હંસરાજભાઈનો પણ ફોટો છે. પુસ્તકની શરૂઆતમાં કાકાસાહેબ કાલેલકરની બે પાનાંની પ્રસ્તાવના છે. જો કે માંદગીને કારણે કાકાસાહેબ બધાં કાવ્યો વાંચી શક્યા નહોતા. છતાં તેઓ લખે છે: “કવિ હંસરાજ ગુજરાતના જાહિર જીવનના એક અત્યંત ઉજ્જવળ યુગના પ્રતિનિધિ થઇ શક્યા છે. ગુજરાતે જે જે પરાક્રમો કર્યાં, જે જે ક્ષેત્રો ખેડ્યાં, તે બધાં સાથે કવિએ સમરસ થઈ તેનું વાતાવરણ ગુજરાતી ભાષામાં શબ્દબદ્ધ કરી આપ્યું છે. કવિની ભાષા સરળ છે, સંસ્કારી છે, અને જોમદાર છે.”
કાકાસાહેબની પ્રસ્તાવના પછી હંસરાજભાઈનું પાંચ પાનાનું નિવેદન છે, જેનો મોટો ભાગ જુદી જુદી વ્યક્તિઓનો અભાર માનવા પાછળ રોકાયો છે. હા, તેમાંથી એ માહિતી મળે છે કે હંસરાજભાઈ આઝાદીની લડત દરમ્યાન ૧૯૨૩, ૧૯૩૦ અને ૧૯૩૨માં જેલમાં ગયા હતા. અને પુસ્તકમાંનાં ઘણાં કાવ્યો કારાવાસ દરમ્યાન લખાયાં હતાં. સંગ્રહમાંની રચનાઓને આઠ વિભાગમાં વહેંચી છે: છંદ વિભાગ (૧૭ રચનાઓ), યુવાન વિભાગ (૭૪), રાસ વિભાગ (૫૫), બાળ વિભાગ (૧૧), હરિજન વિભાગ (૩૨), અધ્યાત્મ વિભાગ (૫૩), ભક્તિ વિભાગ (૮૬), અને શેષ વિભાગ (૬૪). કુલ ૩૯૨ રચનાઓ.
હંસરાજભાઈનું ત્રીજું પ્રકાશન તે માત્ર ૩૦ પાનાંની એક પુસ્તિકા. આ લખનારે તેની જે નકલ જોઈ છે તેનું ટાઇટલ પેજ ગેરવલ્લે ગયું છે. પણ દરેક પાનાની ઉપર ફોલિયો લાઈનમાં ‘હંસ માનસ’ એવું પુસ્તકનું નામ છાપ્યું છે. છેલ્લે પાને છાપેલી માહિતી પ્રમાણે રાણપુરના સ્વાધીન મુદ્રણાલયમાં મનુભાઈ અમૃતલાલ શેઠે આ પુસ્તિકા છાપી હતી અને કવિ હંસે ભાટીઆ શેરી, અમરેલીથી પ્રગટ કરી હતી. ‘હંસ માનસ’ નામથી કવિનો દળદાર સંગ્રહ પ્રગટ થયો તે પહેલાં આ પુસ્તિકા છપાઈ હતી કે તે પછી તે જાણવું મુશ્કેલ છે. પણ મોટું પુસ્તક પ્રગટ થયા પછી તે જ નામ ધરાવતી અ પુસ્તિકા પ્રગટ થઈ હોય તેવો સંભવ વધારે છે. બીજી એક વાત પણ ખાસ ધ્યાન ખેંચે છે: એ જમાનામાં હંસરાજભાઈની સૌથી વધુ ગવાતી રચના તે ‘ટોપીવાળાનાં ટોળાં ઊતર્યા.’ પણ ‘કાવ્ય ત્રિવેણી’ પુસ્તકમાં કે ૧૯૩૮માં પ્રગટ થયેલ ‘હંસ માનસ’માં આ રચના જોવા મળતી નથી. બ્રિટિશ સરકારે તેના પર પ્રતિબંધ મૂક્યો હતો તેને કારણે આમ બન્યું હોય. પણ રાણપુરમાં છપાયેલી પુસ્તિકામાં આ રચના જોવા મળે છે જે પૂરાં સાત પાનાં રોકે છે. ‘માનસનાં મોતી’ નામનો ૪૫ રચનાઓ સમાવતો સંગ્રહ પણ પ્રગટ થયો હતો એવી માહિતી મળે છે, પણ આ લખનારને તે જોવા મળ્યો નથી.
૨૦૧૦માં કાલિન્દી પરીખ સંપાદિત ‘હંસ-માનસ’ સંગ્રહ અમરેલીના સ્વામી વિવેકાનંદ વિદ્યાભારતી ટ્રસ્ટ તરફથી પ્રગટ થયો છે. તેમાં કુલ ૧૨૯ રચનાઓ સમાવી છે. પાછલા પૂંઠા પર ‘ટોપીવાળા’ કાવ્યની ફક્ત ૧૯ પંક્તિ છાપી છે. આખું કાવ્ય પુસ્તકમાં નથી. પુસ્તકની શરૂઆતમાં કિશોરભાઈ મહેતા, કાલિન્દી પરીખ, છેલભાઈ વ્યાસ, જસવંત કાનાબાર (કવિ હંસના પિત્રાઈ મોટા ભાઈ) તથા રાજેન્દ્ર દવેનાં લખાણો મૂકાયાં છે. તેમાંથી જસવંત કાનાબારના લખાણમાંથી કેટલીક મહત્ત્વની માહિતી મળે છે.
૧. કવિ હંસ અપરિણીત હતા. ૨. ૧૯૪૮ સુધી તેઓ અમરેલીની ભાટીઆ શેરીમાં આવેલા નાના મકાનમાં એકમાત્ર બહેન ગોદાવરીબહેન, તેમના પતિ કાનજીભાઈ, તથા ભાણેજ અમૃતલાલ સાથે રહેતા હતા. ત્યાર બાદ સંગીતનાં ખાનગી ટ્યૂશન આપવા તેઓ મુંબઈ ગયા અને ૧૯૪૮થી કાલબદેવી પરના ‘આર્ય નિવાસ’ નામના ગેસ્ટ હાઉસમાં કાયમી ધોરણે રૂમ રાખી રહેવા લાગ્યા. થોડા વખત પછી ભાણેજ અમૃતલાલ અને તેમનાં પત્ની સાવિત્રીબહેનને પણ મુંબઈ બોલાવી ગાયવાડીમાં ભાડાની જગ્યામાં રાખ્યાં. ૩. એ જ અરસામાં જસવંત કાનાબાર પણ મુંબઈવાસી બન્યા હતા અને હંસરાજભાઈને સતત સાથ આપતા હતા. ૪. હંસરાજભાઈ સારા ગાયક પણ હતા તેથી મુંબઈમાં ઘણી વાર ઘર, મંદિર, વગેરેમાં ગાવા જતા. ૧૯૫૭ના માર્ચ મહિનાના એક ગુરુવારે (લેખમાં તારીખ આપી નથી પણ ૧૯૫૭ના માર્ચની ૭, ૧૪, ૨૧ અને ૨૮મી તારીખે ગુરુવાર હતો એટલે અ ચારમાંની કોઈ એક તારીખે) રાતે ભૂલેશ્વરની ફૂલ ગલ્લીમાં કુંવરજીભાઈના ઘરમાં આવેલા જલારામબાપાના મંદિરમાં ભજનો ગાવા ગયા હતા. રાતના સાડા અગિયારના સુમારે પોતાનું ‘આવ્યો તમારે દ્વાર, આવ્યો તમારે દ્વાર, મંદિરિયે લ્યો લ્યો હરિ!’ એ ભજન ગાતાં અત્યંત ભાવવિભોર થઇ ગયા અને અણધાર્યા હૃદયરોગના હુમલાથી એ જ સ્થળે તેમનું અવસાન થયું.
XXX XXX XXX
'બુદ્ધિપ્રકાશ'ના ડિસેમ્બર 2017ના અંકમાં પ્રગટ
e.mail : deepakbmehta@gmail.com
![]()

