બી.જે.પી.ના રાજ્યસભાના સભ્ય અને એક સમયના પત્રકાર સ્વપ્ન દાસગુપ્તાએ તેમની ‘ટાઈમ્સ ઓફ ઇન્ડિયા’માંની પાક્ષિક કૉલમમાં લખ્યું હતું કે અદાલતોએ સામાજિક સુધારાઓ કરનારા ચુકાદા આપતા પહેલાં સમાજને સુધરવાની તક આપવી જોઈએ. સમાજમાંનાં નવી સમજ પ્રાપ્ત કરેલા લોકો પોતાના સમાજનું પ્રબોધન કરે, નવા વિચારો અને અભિગમ સ્વીકારવા માટે પોતાના સમાજના લોકોને તૈયાર કરે, સામાજિક સુધારાનાં આદોલન કરે, પ્રજાને માનસિક રીતે તૈયાર કરે એ પછી જો કાયદા બને તો એ વધારે સફળ નીવડે. અદાલતોના ચુકાદાઓ પણ એ પછી જ ઉપયોગી થઈ શકે. બાકી માથે મારવામાં આવેલા ચુકાદાઓનો કોઈ અર્થ નથી.
તેમની વાત કંઇક અંશે સાચી છે. જો કે આ બાબતે પણ બે અભિપ્રાય છે. એક અભિપ્રાય સ્વપ્ન દાસગુપ્તાએ કહ્યો એવો છે અને બીજો અભિપ્રાય એવો છે કે સમાજ આપમેળે સુધરે એની રાહ જોઇને બેસી રહીએ તો મૂળભૂત માનવીય મૂલ્યો આધારિત આધુનિક રાજ્ય સેંકડો વરસ પછી પણ સાકાર ન થાય. માટે કેવું રાજ્ય જોઈએ છે એ લખીને બંધારણમાં અંકે કરી લેવું જોઈએ અને એ પછી નાગરિકને તેને અનુકૂળ બનાવવા પ્રબોધન કરવું જોઈએ. એ ઉપરાંત કાયદાનો ડારો હોવો જોઈએ અને અદાલતોની કાયદાના અમલ બાબતમાં અને કાયદામાંની ત્રુટિ બાબતમાં ચાંપતી નજર હોવી જોઈએ. લક્ષ અંકે કરી લો અને એ પછી શિક્ષણ દ્વારા, સમાજ પ્રબોધન દ્વારા, કાયદા દ્વારા અને ન્યાયતંત્ર દ્વારા સમાજને તૈયાર કરો. આઝાદી પછી ભારતે બીજો માર્ગ અપનાવ્યો હતો જેને કારણે ભારતીય રાજ્ય હસ્તક્ષેપી રાજ્ય તરીકે ઓળખાય છે. મૂળભૂત માનવીય મૂલ્યોથી વિરુદ્ધની કોઈ પ્રવૃત્તિ ધર્મ, સામાજિક રિવાજ કે પરંપરાના નામે થતી હશે તો રાજ્ય હસ્તક્ષેપ કરશે. ટ્રીપલ તલાક, ભારતીય દંડસંહિતાના સેક્શન ૩૭૭, સેક્શન ૪૯૮ અને હવે સબરીમાલા અંગેના સર્વોચ્ચ અદાલતના ચુકાદા આ રીતના હસ્તક્ષેપી છે.
સ્વપ્ન દાસગુપ્તાએ આવી દલીલ કરતો લેખ સમલિંગી સંબંધો વિશેનો સેક્શન ૩૭૭ અંગેનો સર્વોચ્ચ અદાલતનો ચુકાદો આવ્યો ત્યારે લખ્યો હતો. બી.જે.પી.એ સમલિંગી સંબંધો વિશે અથવા કહેવાતા અકુદરતી જાતીય સંબંધોના કેટલાક લોકોના અધિકાર વિશે ચુપકીદી સેવી હતી. બોલવાનું જ નહીં. સર્વોચ્ચ અદાલતે મોંમાં આંગળા નાખીને કેન્દ્ર સરકારને પોતાની ભૂમિકા સ્પષ્ટ કરવા કહ્યું ત્યારે કેન્દ્ર સરકારે એટલું જ કહ્યું હતું કે અદાલત જે કોઈ ભૂમિકા લે તેની સામે સરકારને કોઈ વાંધો નથી. આવી જ ભૂમિકા સેક્શન ૪૯૮ની બાબતમાં અને સબરીમાલાની બાબતમાં પણ હતી. ટેકેદાર રૂઢિચુસ્ત હિન્દુઓ નારાજ ન થવા જોઈએ.
સવાલ એ છે કે પહેલાં સ્વૈછિક સામાજિક સુધારા, પછી કાયદા અને એ પછી અદાલતોનો હસ્તક્ષેપ એ બ્રહ્મજ્ઞાન ટ્રીપલ તલાક વખતે ક્યાં છુપાઈ ગયું હતું? જ્યારે મુસલમાનો દલીલ કરતા હતા કે પહેલાં અમારા સમાજને તૈયાર થવા દો ત્યારે નફરત સાથે દલીલ કરવામાં આવતી હતી કે તમે તો હજારો વરસ સુધી સુધરો નહીં તો અમારે શું અમારી મુસ્લિમ ભગિનીઓને ન્યાયથી વંચિત રાખવાની? રાજધર્મ નામની કોઈ ચીજ ખરી કે નહીં? ગુજરાતના મુખ્ય પ્રધાન રાજધર્મ ભલે ચૂકી ગયા હોય, વડા પ્રધાન ન ચૂકી શકે. ગુજરાતના મુખ્ય પ્રધાને મુસ્લિમ સ્ત્રીઓને મુસલમાનોની સંખ્યા વધારવા રાહત છાવણીઓમાં બચ્ચા જણનારી તરીકે ઓળખાવી હતી. પણ પછી એ જ નરેન્દ્ર મોદીને વડા પ્રધાન થયા પછી અચાનક કેવી અનુકંપા જાગી મુસ્લિમ બહેનો માટે! ભક્તો તો પોરસાતા હતા કે મુસ્લિમ સ્ત્રીઓ મનોમન નરેન્દ્ર મોદીને ભાઈ માનીને રાખડી બાંધે છે.
કેન્દ્રના એક માત્ર પોણા કદના પ્રધાન (બાકીના અડધા કદના પણ નથી) અરુણ જેટલીએ શબરીમાલાના સર્વોચ્ચ અદાલતના ચુકાદા પછી કહ્યું હતું કે સામાજિક સુધારાઓ સૂચવનારા કાયદાઓ અને અદાલતી ચુકાદાઓ દરેક સમાજ માટે એકસરખા હોવા જોઈએ. આ ભૂમિકાએથી તો ટ્રીપલ તલાકના પ્રશ્ને કેન્દ્ર સરકારે સક્રિય ભૂમિકા લઈને મુસ્લિમ બહેનોની રાખડી ઉઘરાવી હતી. સંસદમાં ટ્રીપલ તલાક પર પ્રતિબંધ મૂકતો કાયદો ઘડ્યો હતો. તો પછી સબરીમાલાના ચુકાદાનો વિરોધ શા માટે કરવામાં આવે છે? હિન્દુ બહેનો પણ મનોમન નરેન્દ્ર મોદીને ભાઈ માનીને રાખડી બાંધવા આતુર છે. તેઓ કાગડોળે ભાઈ પાસેથી વીરપસલીની રાહ જોઇને બેઠી છે, પણ હિન્દુ બહેનોનો ધરવામાં આવેલો વીરો હંમેશ મુજબ ચૂપ છે. અદાલતમાં સુનાવણી ચાલતી હતી ત્યારે પણ હિન્દુ બહેનોની તરફેણમાં મુસ્લિમ બહેનોના વીરાએ કોઈ ભૂમિકા નહોતી લીધી. હિન્દુ નરપુંગવ મુસ્લિમ બહેનોની યાતના જોઈને વિલાપ કરે અને હિન્દુ બહેનોનાં દુખડાં સામે આંખ આડા કાન કરે એવા હિન્દુ રાજ્યની કોઈએ કલ્પના નહીં કરી હોય.
ભક્તરાજ, કાંઈ સમજાય છે?
સંઘપરિવારની ભૂમિકામાં અને રૂઢિચુસ્ત મુસલમાનોની ભૂમિકામાં ઝાઝો ફરક નથી. બીજાએ સુધરવું જોઈએ, બાકી અમારો ધર્મ તો શ્રેષ્ઠ અને ખામીરહિત છે. એટલે પોતાના ધર્મમાં સુધારા કરવાની કે કાયદાકીય/અદાલતી હસ્તક્ષેપની વાત આવે ત્યારે તેઓ કાં વિરોધ કરે છે અથવા ચૂપ રહે છે. સુધરે એ જેનામાં ખામી હોય. અમારા સમાજમાં પણ દુર્ગુણો છે અને સુધરવાની જરૂર છે એમ કહેવા માટે ૫૬ ઈંચની છાતી જોઈએ જે ગાંધીજીમાં હતી. કાન આમળનારાને કોઈ પૂજ્ય મહાત્મા કહે? ગાંધીજીને હિન્દુઓ કહેતા હતા. આઘાત એ વાતનો છે કે પોતાને ગાંધીજીનો વારસદાર સમજનાર કૉન્ગ્રેસ પણ સબરીમાલાના ચુકાદાનો વિરોધ કરી રહી છે. રાહુલ ગાંધીને પણ હિન્દુ બહેનોની રાખડી નથી ખપતી.
માત્ર ભારતમાં નહીં, જગત આખામાં વામનયુગ ચાલી રહ્યો છે.
સૌજન્ય : ‘કારણ-તારણ’, નામક લેખકની કટાર, “ગુજરાતી મિડ-ડે”, 12 અૉક્ટોબર 2018
![]()



છ-સાત મહિના પહેલાં અમદાવાદની મુલાકાત વખતે સ્વભાવે, દેખાવે અને કંઠે ખૂબ સુંદર એક વ્યક્તિને મળવાનું નક્કી કર્યું હતું. ગુજરાત કોલેજ પાસેના એમના ઍપાર્ટમેન્ટમાં સાંજે સાડાપાંચે ડોર બેલ વગાડતાં જ એ સૂરમલિકા સદેહે પ્રત્યક્ષ થાય છે. એમને જોતાં જ હું ૪૦ વર્ષ પહેલાંની યાદોમાં ખોવાઈ જાઉં છું. કોલેજકાળની શરૂઆતનાં વર્ષો. અમારી એચ.કે. આર્ટ્સ કોલેજ સાંસ્કૃિતક રીતે અગ્રેસર ગણાય. એટલે શહેરમાં યોજાતા કાર્યક્રમોની ખબર પડવા માંડી હતી. એ દરમિયાન જ સાંભળ્યું કે કોઈક શ્રુતિ વૃંદનો કાર્યક્રમ યોજાયો છે. સંગીતમાં પહેલેથી જ ખૂબ રસ હોવાને લીધે કુતૂહલવશ એ કાર્યક્રમ સાંભળવા ગઈ અને જે આનંદ પડ્યો એ કેટલાં ય વર્ષો સુધી બરકરાર રહ્યો હતો. પછી તો શ્રુતિ વૃંદના પ્રોગ્રામ જ્યાં થાય ત્યાં અમે પહોંચી જઈએ. એમાં એક યુગલ આંખે ઊડીને વળગે એવું અનોખું હતું. એ યુગલ એટલે સંગીતજ્ઞ રાસબિહારી દેસાઈ અને વિભા દેસાઈ. રાસબિહારી દેસાઇનો ધીર-ગંભીર, ઘેઘૂર અવાજ તથા વિભા દેસાઈની ઊંચી-પાતળી કાયા, ગૌર વર્ણ, સુંદર ચહેરો અને લલાટે શોભતો મોટો ચાંદલો એ અમારું એમના પ્રત્યેનું પ્રથમ દૃષ્ટિનું આકર્ષણ. વિભાબહેનનો કામણગારો કંઠ એ વખતે તો સ્પર્શી જ ગયો હતો, પરંતુ આજે પણ એમના અવાજની મીઠાશ, તાજગી અને વૈભવ જરા ય ઓછાં નથી થયાં. આ વિભા દેસાઇ સાથે સંગીત સત્સંગ કરવા હું પહોંચી ગઈ હતી. પછી તો સ્મૃિતઓ ધોધમાર વરસી. એકાદ કલાકની ગોષ્ઠિ પછી જતાં જતાં એમણે કવિ માધવ રામાનુજનું અમર ભટ્ટે સ્વરબદ્ધ કરેલું એક અદ્ભુત ગીત કોઈના અનહદ સ્મરણમાં આંખ ભીની … સંભળાવ્યું ત્યારે માની શકાતું નહોતું કે આટલો તાજગીપૂર્ણ અવાજ અને રેન્જ ઉંમરના આ પડાવે વિભાબહેને કેવી રીતે જાળવી રાખ્યો હશે!
એવો જ બીજો સુંદર ગરબો, હવે મંદિરનાં બારણાં ઉઘાડો મોરી માત … પુરુષોત્તમ ઉપાધ્યાયના બુલંદ કંઠે સાંભળવો એ અપ્રતિમ લહાવો છે. યોગાનુયોગે આ ત્રણેય સર્વોત્તમ ગરબા અવિનાશ વ્યાસે રચ્યાં છે. અવિનાશ વ્યાસ અંબા માના પરમ ભક્ત હતા. દર વર્ષે અંબાજી જવાનો તેમનો ક્રમ હતો. માતાજીની મૂર્તિ સામે ગીત રચે, ગાતા જાય અને રડતા જાય. માડી તારા મંદિરિયે ગીત વિશેનો ૧૯૭૭નો એક પ્રસંગ વર્ણવતાં વિભા દેસાઈ કહે છે, "શ્રુતિ વૃંદની એલ.પી. ‘શ્રવણમાધુરી’નું મુંબઈમાં રેકોર્ડિંગ હતું. સુપ્રસિદ્ધ સંગીતકાર હૃદયનાથ મંગેશકરના સહયોગમાં રેકોર્ડિંગ યોજાયું હતું. લીડ રાસબિહારી દેસાઈ કરવાના હતા. એવામાં હૃદયનાથજીને શું સૂઝયું કે એમણે રાસભાઈને કહ્યું કે આ છોકરી પાસે આ ગીત ગવડાવો. મારે એને સાંભળવી છે. હું તો અવાક્ થઈ ગઈ. અમારે તો કોરસમાં ગાવાનું હતું એટલે મેં સોલો ગીત તરીકે તૈયારી કરી જ નહોતી. રેકોર્ડિંગ પૂરું થયાં પછી બધાં આ ગીત સાંભળવાં બેઠાં. શ્રોતાઓમાં પૂજ્ય ભાઇ એટલે કે અવિનાશ વ્યાસ, ક્ષેમુ દિવેટિયા, ગૌરાંગ વ્યાસ પણ હતા. અવિનાશભાઈ એકદમ ધ્યાનમગ્ન થઈ ગયા. ગીતમાં સમગ્રપણે ખોવાઈ ગયા, વિહ્વળ થઈ ગયા. એ જ અજંપાની અકળામણ. આંખો વધુ લાલ અને એ જ અસલ મૂર્તિ જે અંબાજીના ગર્ભદ્વારની અંદર માતાજીના ગોખ-યંત્ર સમક્ષ અમે જોઈ હતી. એમને સ્વસ્થ થતાં જરા વાર લાગી પણ પછી બોલ્યા, "આવું મનેે અંબાજીના મંદિરની બહાર કદાચ પહેલી જ વાર થયું. છેવટે ગીત મારા જ અવાજમાં રેકોર્ડ થયું. આ ઘટના હું જીવનમાં ક્યારે ય ભૂલી શકું નહીં.
વિભા વૈષ્ણવ જે લગ્ન પછી વિભા દેસાઇ બન્યાં અને એડિશનલ ઈન્કમટેકસ ઓફિસર તરીકે નિવૃત્ત થયાં એમને માતા-પિતા બન્ને તરફથી સંગીતનો વારસો મળ્યો હતો. પિતા આગ્રા ઘરાનાના ગાયક હતા. શરૂઆતમાં સંગીતની તાલીમ ગુલામ અહમદખાં સાહેબ પાસેથી એમણે મેળવી હતી. જીવનમાં સંગીતની શરૂઆત કયારે અને કેવી રીતે થઈ એ વિશે જણાવતાં વિભાબહેન કહે છે, "જીવનમાં સંગીતનાં તાણાવાણા વણાવાની ઘટના એટલી સૂક્ષ્મ છે કે એ ક્યાં, ક્યારે અને કઈ રીતે ઘટી એ વર્ણવવું મુશ્કેલ છે. સંગીત મને પિતા પાસેથી વારસાગત મળ્યું. સંગીતનું વાતાવરણ ઘરમાં જ અને સ્કૂલ-કોલેજના કાર્યક્રમો તથા યુવા મહોત્સવોમાં હું ગાતી હતી. આકાશવાણી પર ચાન્સ મળ્યો ત્યારે તો ખૂબ ખુશ થઈ ગઈ હતી, પરંતુ સંગીતને સમજીને ગાતાં શીખી રાસભાઈ પાસેથી. મારો અવાજ મોટો અને ખુલ્લો. ફેંકીને ગાવાની ટેવ. પણ અવાજને અપ્લાય કેવી રીતે કરવો, ગીતના શબ્દો સમજીને સ્વરરચનાને કેવી રીતે ન્યાય આપવો એ બધી સમજણ મને એમની પાસેથી મળી. વારસામાં મળેલા સૂરના પ્રવાહને રાસભાઈના સાયુજ્યે વેગ-પ્રવેગ મળ્યો. શ્રુતિ વૃંદમાં કોરસમાં ગાવાને લીધે અહમ્ ઓગાળીને માત્ર સૂરમાં એકાકાર થઈ જવાની સઘન તાલીમ મળી. મારો અવાજ બુલંદ હોવાથી વૃંદ ગાનમાં મારે તો હંમેશાં બીજી હરોળમાં જ બેસવાનું કે ઊભા રહેવાનું આવતું. રાસભાઈની પત્ની છું એટલે મને આગળ ઊભા રહેવા મળે એવું કંઈ નહીં. આ એક પ્રકારની તાલીમ જ હતી.