લોકશાહીમાં ચૂંટણી અનિવાર્ય પ્રક્રિયા છે. એથી લોકમિજાજનો સત્તાધારીઓ અને વિપક્ષોને પરિચય મળે છે. સૌથી ઉત્તમ તો એ હોય કે ચૂંટણી લોકકેળવણીનું પર્વ બને. લોકોની પીડા, આકાંક્ષા અને પરિસ્થિતિનો સાચો ખ્યાલ મેળવાય. આવું-તો જ શક્ય છે, જો રાજકર્તાઓ અને વિપક્ષો પોતાનાં નીતિ અને આયોજન-અમલ અંગે પ્રામાણિક હોય. તો ચૂંટણીમાં પ્રચારની થોડીક ધૂળ ઊડે, પણ ધોરણો છોડીને કોઈ ન વર્તે. આ લોકશાહીની, જવાબદાર નાગરિકત્વની અને લોકાભિમુખ વહીવટની લક્ષ્મણરેખાઓ છે.
આજે આનાથી ઊલટું ચિત્ર જોવા મળે છે. મોટાં સૂત્રો બોલવાનાં, પણ પાળવાનાં નહીં, ધાર્મિક, જ્ઞાતિગત લાગણીઓને ઉશ્કેરી – બહેકાવી પરિણામના આંકડામાં ફેર પાડી દેવાનો. એકાદ મુદ્દો પકડાય તો એને પતંગની જેમ ચગાવવાનો, જેનો દોર પહેલેથી નબળો હોય, કપાઈ શકે. એવાં વચનો આપવાનાં જેમાં એકાંગી લાભ હોય, પણ મૂળ સમસ્યાનો ઉકેલ ન હોય. અને અમે જ રાષ્ટ્રનું ભલું કરવાવાળા છીએ, સામાવાળા તો દેશને નુકસાન કરનારા છે, એવું પ્રજાને ઘૂંટીઘૂંટીને પાવાનું; દારૂ, ભેટસોગાદો, પૈસા, ચોખા, વસ્તુઓ આપીને પ્રજાને તત્કાલ મૂર્છિત કરી દેવાની. પછી પાંચ વર્ષ યથેચ્છ વિહરવાનું – આ અને આવા મુદ્દાઓને સોશ્યલ મીડિયામાં વહેતા મૂકી દેવાના – પણ પછી ભૂતકાળને ભૂલી જવાનો. ભૂતકાળમાં જેમણે દેશ માટે ઉત્તમ પ્રદાન કર્યું, એમને ભૂલી જવાના, કેવળ પોતાને જ ઉપસાવવાના. આ સઘળું ટૂંકનજરિયા રાજકારણની વિકૃતિઓ છે. લોહીની વિકૃતિ શરીર ઉપર ફોલ્લારૂપે દેખાય તેમ આતંકવાદ, ધાર્મિક ઝનૂન, અત્યંત વિષય આર્થિક અસમાનતા રાષ્ટ્ર-શરીર ઉપર દેખાય, ત્યારે આ બધામાં થાગડથીગડ ઉપાયો કરવાના અને બકરાને કૂતરું સાબિત કરતા રહેવાનું. આ આજની ભારતીય રાજકારણની તાસીર છે. ચૂંટાઈ જવું, બહુમતી મેળવી લેવી, સરકાર બનાવી લેવી એમાં જ જાણે ઇતિશ્રી ગણી લેવાની. પછી પ્રજાની કોઈ તમા ન રાખવાની. વચ્ચે પ્રજા કાંઈક બોલે, જાગી છે, એમ દેખાય, ત્યારે લોલીપોપની જેમ એકાદ ગળચટ્ટી યોજના જાહેર કરી દેવાની, પરંતુ એનો અમલ કરવાનું જરૂરી નહીં. આ સઘળું ટૂંકી દૃષ્ટિની પેદાશ છે. સફળતા જ લક્ષ્ય છે. પ્રજાઘડતર, પ્રજાશક્તિનો વિકાસ, પ્રજાકીય પ્રૌઢતા એ જાણે વિચારણાનો મુદ્દો જ નથી. દેશના મુખ્ય પક્ષો કે પ્રાદેશિક પક્ષો આ ધૂન ઉપર નાચી રહ્યા છે.
ગમે તેટલો વૈભવ, ગમે તેટલી સત્તા, ગમે તેટલી નિર્ણાયક તાકાત મળે, પરંતુ એનો ઉપયોગ પ્રજાકીય ઉત્થાનમાં ન યોજાય, તો એ નિરર્થક જાય છે, એ દુનિયાનો ઇતિહાસ કહે છે. વળી, રાજકીય પક્ષો તો આવે-જાય છે, પરંતુ રાષ્ટ્ર તો છે જ, રહેવાનું છે. તો રાષ્ટ્ર શરીર ઉપર ઉજરડા ન પડે એ જોવાનું કર્તવ્ય તમામ પક્ષો અને રાજકર્તાઓનું ગણાય. આ ભૂલીને, આજે તો ધોરણો ભૂલીને અનૈતિકતાને ગૌરવ અપાઈ રહ્યું છે. ગમે તેટલું ખોટું કરો, પણ જીતો – એ સૂત્ર તત્કાળ લાભકર્તા લાગે, લાંબે ગાળે રાષ્ટ્રને ઘસારો પહોંચાડે છે. તમામ ક્ષેત્રે અસાધારણ પ્રદાન કરનાર ગ્રીસ અને રોમની સંસ્કૃતિ કેવળ થોડા પથ્થરોના બાંધકામ રૂપે જ આજે હયાત છે, એ યાદ રાખવા જેવું છે.
શ્રેષ્ઠ રાજકર્તા એ છે જે તત્કાલીન પ્રશ્નોને ઉકેલે છે, સાથે પ્રજાની તાકાત, સમજ અને ઇષ્ટ માટેના આગ્રહને વિકસાવે છે. તો પ્રજા તત્કાલીનતાનાં મોજાં ઉપર ઊઠતી-પછડાતી ન રહે.
આજના કેટલાક મુદ્દાઓને આ નજરે તપાસીએ તે જરૂરી છે :
૧. એનું ખૂબ ગૌરવગાન થાય છે કે ભારત પાસે સૌથી વધુ મોટું યુવાધન છે. જો આટલું મોટું (લગભગ ૪૦ કરોડ) યુવાધન હોય, તો એને કામ કેમ આપવું એ અંગેના આયોજન માટેની વિચારણા દેખાતી નથી. ટેવો અને વલણો એવાં વિકસ્યાં છે કે તમામને બેઠાડુ એવી સરકારી નોકરી જ જોઈએ છે. કોઈ પણ દેશમાં આઠ ટકાથી વધુ સરકારી નોકરી નથી હોતી. પરિશ્રમનાં કામો હજારો હોય છે, પરંતુ ઘર, શાળા, સમાજરચના, વિચારસંક્રમણ ક્યાં ય પરિશ્રમનું ગૌરવ ઊભું કરવામાં આવતું નથી. ઊલટું, શ્રમિક જાણે હલકો, મૂર્ખ, નાસમજ ગણાય છે. એને વળતર ઓછું મળે છે. જો શ્રમિકને વળતર વધુ મળતું હોય, તો સરકારી નોકરી કે બેઠાડુ કામો માટેની આંધળી દોટ નહીં રહે. એથી બાળકના ઘડતરકાળમાં જ પરિશ્રમના ગૌરવ માટેનાં વલણો અને ટેવો વિકસવાં જોઈએ, એ માટેનાં કાર્યક્રમો અભ્યાસક્રમમાં જ હોવા જોઈએ. ‘આટલા લાખ કે કરોડને અમે કામ આપશું’ એમ બોલવું સહેલું છે, પરંતુ એમ ગોઠવવાનું આયોજન શું હશે, તે કોઈ પક્ષ જાહેર કરતો નથી. એવી મનોવૃત્તિ ઊભી કરવા કેવું શિક્ષણ હશે તેની વાત કોઈ કરતું નથી. વચનોની લહાણીથી રાષ્ટ્રનું નિર્માણ નથી થતું.
૨. રાજકીય પક્ષોને લાગે છે કે ધાર્મિક લાગણીઓને વળ ચડાવીને અમે અમારું કામ કાઢી લઈશું. ધાર્મિક હોવાની સાબિતીઓ આપવી, મંદિરો માટે એકદમ શ્રદ્ધા પ્રગટ કરવી, અન્યધર્મીઓ જોખમી છે અને અમે જ સાચા ભારતીયો છીએ, એમ બાળાગોળીની જેમ પ્રજાને સતત પાતા રહેવું એ આજની મુખ્ય રીતો છે. એ ભૂલી જવાય છે કે આ દેશ ઘણો વિશાળ છે, આખાં રાજ્યો વિવિધ ધર્મના લોકોથી વસેલાં છે, ત્યારે સર્વધર્મસમભાવની ગાંધીજીની વાત જ આ રાષ્ટ્રને અખંડ રાખી શકશે. ખરેખર તો ધર્મ વ્યક્તિગત બાબત છે – જેને જે રુચે તે ધર્મ પાળે. લોકશાહી માટે તો નાગરિકધર્મ જ મુખ્ય અને મહત્ત્વનો છે. ધર્મના અમુક બાહ્ય દેખાવો અને વ્યવહારો ધારણ કરીને વ્યક્તિ સામાજિક નિયમોને નિર્લજ્જપણે અવગણે, તોડે કે મરોડે, તો એવી વ્યક્તિને ધાર્મિક નહીં ગણી શકાય. પછી એ ગમે તે ધર્મ પાળતો હોય. આ અંગેની જાગૃતિ લાવવા માટે રાજકીય પક્ષો પોતાની ફરજ સમજતા નથી. એમને ધાર્મિક તત્ત્વો નહીં, સાંપ્રદાયિક સંકુચિતતા જ વધુ ફાવે છે. સ્વરાજની લડતમાં, સ્વરાજ પછી અને છેલ્લા બે દાયકામાં આ મુદ્દે મુખ્ય-ગૌણનો વિવેક ચુકાઈ ગયો છે. સામાજિક ઉત્તરદાયિત્વ એ જ આજનો રાષ્ટ્રધર્મ હોઈ શકે. તો આપણે સામાજિક સમરસતા, આર્થિક સમાનતા અને સહિષ્ણુતાનો ભાવ કેળવી શકીશું.
૩. પંડિત નેહરુના વખતથી દેશના આર્થિક આયોજન અંગે દ્વિધા રહી છે. ગાંધી-વિનોબાનાં માર્ગ-વિચાર-દર્શન એમને પચ્યાં નથી. ઔદ્યોગિકીકરણનો મહિમા તો ખૂબ થયો, પરંતુ યુરોપ-અમેરિકાની તુલનાએ આ દેશની ૧૩૦ કરોડની વસ્તીને સ્થાનિક-સ્વમાનપૂર્ણ રોજી મળે, એવું આયોજન આપણા રાજકર્તાઓનાં દિલ-દિમાગમાં બેઠું નથી. એને ગંભીરતાથી લેવાતું નથી. એની સમતુલા કેમ સ્થપાય એ અંગે પ્રામાણિકપણે વિચારાતું નથી. સરકારી આંકડા જ બોલે છે કે દેશમાં ૪૦ ટકા વસ્તી (એટલે લગભગ ૫૦ કરોડ લોકો) ગરીબીની રેખા નીચે જીવે છે. એનું જીવનસ્તર ઊંચું લાવવાનું આયોજન શું છે, એ અંગે નામ પાડીને ન કહેવું એમાં રાજકીય કુનેહ ગણાય છે.
જેમ કે ખેડૂતોનાં દેવાં માફ કરવાની હમણાં હોડ ચાલે છે, પરંતુ ખેડૂત દેવાદાર ન થાય એ માટે તેમને જરૂરી ખાતર-બિયારણ-પાણી મળી રહે, એ માટે દેવું ન કરવું પડે, ઉત્પાદનનો વાજબી ભાવ મળે, પાકના રોગનો કુદરતી ઉપચાર થાય, પાક માટેની યોગ્ય સલાહ મળે, ઉત્પાદનનું ગ્રામકક્ષાએ પાકામાલ રૂપે રૂપાંતર, પાકને બજાર મળે, (ઉત્તમ કૃષિવૈજ્ઞાનિક સ્વામિનાથન સમિતિએ આ અંગેની ભલામણો દાયકા પહેલાં કરી છે, પણ એને લોકસભામાં મૂકવાનું પણ જરૂરી ગણાયું નથી.) આ બધું અઘરું, ખૂબ ધ્યાન માગી લે તેવું અને પાયાનું કામ છે.
બૅંકનું લેણું લેવું અને ભરપાઈ ન કરવું એ મોટા ઉદ્યોગપતિથી લઈને નાના ખેડૂત કે કારીગરને ટેવ પાડવામાં આપણે કયો નાગરિકધર્મ કે રાષ્ટ્રધર્મ શિખવાડી રહ્યા છીએ એ પ્રશ્ન છે. ખેડૂતો આત્મહત્યા ન કરે, દેવાં નીચે ન દબાય, એ વધુ ને વધુ સ્વનિર્ભર બને, એ માટેનાં વિગતવાર પગલાં અને આયોજન દરેક રાજકીય પક્ષે જાહેર કરવાં જોઈએ. જેને લોકો બહુમતી આપે તેમણે પાંચ વર્ષમાં એનું ઓછામાં ઓછું ૫૦ ટકા પરિણામ આપવું જોઈએ અને નવી ચૂંટણીમાં એ ચહેરો લઈને પ્રજા સામે જવું જોઈએ.
આજની ટુકડા ફેંકીને તત્કાલ રાજી રાખવાની નીતિ લાંબા ગાળે અજંપો, અસંતોષ અને રોષને જન્મ આપનારી છે.
એટલે પક્ષ આ હોય કે તે, ટૂંકું નહીં, લાંબું જુએ. પ્રજા પણ ટૂંકું નહીં, લાંબું જુએ. ટૂંકા સ્વાર્થો કે સંકુચિત વફાદારીને બદલે રાષ્ટ્રહિતને કેન્દ્રમાં મૂકવામાં આવશે, તો આપણે વિશ્વગુરુ બનવાનું રંગીન સ્વપ્ન જોઈએ છીએ, તેમાં અનુભવને આધારે, ગૌરવભેર નમૂના રૂપે બે-ચાર વાત જગતના ચોકમાં કહી શકીશું. આપણું સૂત્ર આવું હોય : ‘સમગ્રતાથી વિચારીએ, સૌનો વિચાર કરીએ, પાયાના ઉપાયો લઈએ, આપણું લક્ષ્ય સર્વોદયનું હોય,’ તો ગાંધીને ૧૫૦મે વર્ષે યાદ કરવાનું લેખે લાગશે.
E-mail : mansukhsalla@gmail.com
સૌજન્ય : “નિરીક્ષક”, 01 જાન્યુઆરી 2019; પૃ. 08 – 09
![]()



તેની નીચે જડે છે સ્વતંત્ર પાર્ટીનો ઉપપ્રમુખ. સામ્યવાદી વલણ ધરાવતી કોન્ગ્રેસનો વિરોધ કરવા અને દેશમાં સાચી સ્વતંત્રતા લાવવા ભારતીય રાજકારણના ભીષ્મપિતામહ રાજાજી સાથે મળીને અમે એ નવો પક્ષ સ્થાપેલો. મેં આ દુનિયામાંથી વિદાય લીધી તે પછી ત્રણેક વર્ષે એ પાર્ટી પણ ભૂંસાઈ ગઈ. એના ઉપપ્રમુખનું નામ પણ છો ભૂસાઈ જતું. હા, અમે એ પાર્ટી દ્વારા નેહરુના સમાજવાદી સમાજરચનાના ધ્યેયનો વિરોધ કરેલો. પણ નેહરુ માટે અંગત રીતે તો મને માન જ હતું. અરે, હા. જવાહરલાલનું નામ આવ્યું તે પરથી એક વાત યાદ આવે છે. ૧૯૪૮ના જાન્યુઆરીની ત્રીસમી તારીખની એ ગોઝારી સાંજ. ગાંધીજીના અંતિમ સંસ્કાર કરવા માટે યોગ્ય જગ્યા શોધીને નક્કી કરવાની કપરી જવાબદારી જવાહરલાલ અને સરદારે મને અને હરુભાઈને, એચ.એમ. પટેલને, સોંપી. મોટરમાં અને પગપાળા, અમે જમના નદીને કિનારે ફરી વળ્યા. અગ્નિસંસ્કાર તો સ્મશાનભૂમિમાં જ થવા જોઈએ એવો કેટલાક સ્થાનિક નેતાઓનો આગ્રહ હતો. પણ તેમ કરવામાં રહેલી મુશ્કેલીઓ અમે તેમને સમજાવી. રાષ્ટ્રપિતાની સમાધિ કેવી હોવી જોઈએ, ભવિષ્યમાં એ સ્થળ કેવું પવિત્ર તીર્થધામ બની રહેશે તેનું કાલ્પનિક ચિત્ર મેં રજૂ કર્યું. છતાં કેટલાક લોકોએ જવાહરલાલ પાસે જઈ વિરોધ નોંધાવ્યો. વહેલે પરોઢિયે નેહરુ અને સરદાર એ જગ્યા જોવા ગયા. ઝાઝા ખુલાસાની જરૂર ન પડી. બંનેએ સંમતિની મહોર મારી દીધી. આ એ જ જગ્યા જે પછીથી ‘રાજઘાટ’ તરીકે ઓળખાઈ છે. પણ આજે તો એ રાજઘાટ ઉપવાસના ને વિરોધના છાશવારે થતા તમાશાનું થાનક બની ગયું છે. એટલે પાવડાને સપાટે ભલે ફેંકાઇ જતો એ ‘આઈ ફોલો ધ મહાત્મા’ કહેનારો મુનશી. અને એની આગળ-પાછળ ઓ જાય પેલા ઉત્તર પ્રદેશના ગવર્નર મુનશી, ને પેલા સેન્ટ્રલ ગવર્મેન્ટના ઓનરેબલ મિનિસ્ટર ઓફ ફૂડ એન્ડ એગ્રિકલ્ચર કે.એમ. મુનશી.
ચારે તરફ ધૂળ ઊડે છે. ઢગ નાનો થતો જાય છે. હું પરસેવો લૂછું છું ને કોદાળી ટેકવીને મારાં પરાક્રમ જોઉં છું. ઢગને તળિયે સાત વર્ષનો છોકરો દેખાય છે. કેડે સાંકળી, હાથે સોનાની કલ્લી, કાને મોતીની કડી. દુબળો, ગંભીર, ને લાડકો. સુરતમાં, મોટા મંદિરના ઘરના ચોકમાં ધનુષ્ય-બાણે રમતો એ કનુભાઈ. હા, જડ્યો, એ કનુભાઈ આખરે પકડાયો. હું કનુભાઈ ન હોત તો બીજું શું હોત! કંઈ જ નહીં. આ સત્ય છે, હા, મારું સત્ય.’ લોપામુદ્રા’ના વિશ્વરથના શબ્દો આજે ય મારા કાનમાં ગુંજે છે: ‘મારું સત્ય એ મારું જ.’ ચાલો, ૮૪ વર્ષના આયુષ્યના પોપડા એક પછી એક ઉખેડી નાખ્યા. ગોવર્ધનરામના નવીનચંદ્ર ઉર્ફે સરસ્વતીચંદ્રનો જન્મ ૧૮૮૭માં, મારો જન્મ પણ એ જ સાલમાં, ડિસેમ્બરની ૩૦મી તારીખે બપોરે બાર વાગ્યે, ભરૂચમાં. કોદાળી-પાવડાથી ઘણું બધું તોડ્યું-ફોડ્યું, ઉખેડ્યું-ફેંક્યું પણ પાવડા-કોદાળીથી બચાવીને સ્વપ્નસિદ્ધિની શોધમાં કરેલા પ્રવાસના માર્ગ પરના ત્રણેક માર્ગસૂચક સ્તંભો મેં સાચવી રાખ્યા છે. તેની થોડી વાત કરું?
પણ સપનાં કાંઇ રાતોરાત સફળ થતાં નથી. સપનાંનું પણ વાવેતર કરવું પડે છે. મેં એક સપનાનું વાવેતર કર્યું ૧૯૩૮ના નવેમ્બરની સાતમી તારીખે. ત્યારે મારી ઉંમર હતી એકાવન વર્ષની. એ દિવસે તો મેં એક બીજ વાવ્યું હતું. પણ વખત જતાં તેમાંથી વટવૃક્ષ વિકસ્યું. આ વટવૃક્ષ તે ભારતીય વિદ્યા ભવન. કેવી રીતે એની શરૂઆત થયેલી? એક દિવસ એક મેલોઘેલો માણસ મને મળવા આવ્યો. મેલી પાઘડી, ઠેર ઠેર થીગડાં મારેલો કોટ, મોઢા પર દીનતા અને નમ્રતા. આવો માણસ મને કહે છે: ‘મારે છ લાખ રૂપિયાનું દાન આપવું છે.’ મને મનમાં શંકા હતી કે આવો દરિદ્રી માણસ ખરેખર દાન આપશે ખરો? મેં કહ્યું ‘જોઈશું.’ કશું બોલ્યા વગર એ ચાલતો થયો. થોડા દિવસ પછી પાછો આવ્યો. કહે: ‘તે દિવસે મેં છ લાખ રૂપિયાનું દાન આપવાની દરખાસ્ત કરી હતી, પણ આપે કહ્યું, જોઈશું. એટલે પછી એ પૈસા મેં તાતા ડીફર્ડ શેરમાં રોક્યા. હવે એના આઠ લાખ રૂપિયા થયા છે. આજે સોમવતી અમાસ છે. હિંદુ ધર્મમાં આજના દિવસે દાન કરવાનો મોટો મહિમા છે. માટે આ પૈસા લો અને સંસ્કૃતના ને ગાયોના ઉદ્ધાર માટે કંઇક કરો.’ એ નમ્ર ફિરસ્તો હતો મુન્ગાલાલ ગોયેન્કા. એમનું એ દાન બન્યું ભવનના સપનાનું બીજ.
અને હવે કોદાળી-પાવડાના ઘાથી બચાવીને રાખેલો છેલ્લો મહામૂલો પથ્થર. મારા જીવનની બીજી બધી વાતો ક્યારેક કદાચ ભૂલાઈ જશે. પણ તે દિવસે જોયેલા સપનાને સાકાર કરવા માટે મેં જે કર્યું તે તો લાંબા વખત સુધી ભૂલાશે નહીં. એ પથ્થર પર લખ્યું છે જૂન, ૧૯૧૨. એવું તે શું બન્યું હતું ત્યારે? ‘સુંદરી સુબોધ’ નામના માસિકના એ મહિનાના અંકમાં એક વાર્તા પ્રગટ થઈ હતી: ‘મારી કમલા.’ કનૈયાલાલ માણેકલાલ મુનશી, બી.એ. એલેલ.બી.એ લખેલી અને એ જ નામે પ્રગટ કરેલી ટૂંકી વાર્તા. ગુજરાતીમાં છપાયેલું મારું પહેલવહેલું લખાણ. પછી તો ‘કમલા’થી ‘કૃષ્ણાવતાર’ સુધીની લાંબી લેખનયાત્રા ચાલી. વાર્તાઓ તો થોડી જ લખી, પણ નવલકથા ઘણી લખી, નાટકો ઘણાં લખ્યાં, આત્મકથા લખી, બીજું પણ ઘણું લખ્યું. અનેક પાત્રોનું સર્જન કર્યું. એ બધાં મારાં સંતાનો જેવાં છે. તેમનામાં જીવ મેં મૂક્યો છે, પણ એ બધાં જીવે છે પોતાની રીતે. એમને વિશે ક્યારેક વિવેચકોએ, ક્યારેક વાચકોએ, તો ક્યારેક ખુદ પાત્રોએ જ ફરિયાદ પણ કરી છે. કરે. કયા સંતાનને તેનાં માતાપિતા સામે કોઈ ને કોઈ ફરિયાદ નથી હોતી?