પ્રાથમિક શિક્ષણ નિયામકની કચેરીએ ૨૨ એપ્રિલ, ૨૦૨૦ના રોજ એક પરિપત્ર બહાર પાડીને એકથી આઠ ધોરણમાં માસ પ્રમોશનની જાહેરાત કરી છે. આ જાહેરાત બિનશરતી રીતે અગાઉ કરાઈ હતી ને વિદ્યાર્થીના માર્ક કે ગ્રેડ કેવી રીતે નક્કી કરવા તેની માર્ગદર્શિકા પણ વર્તમાનપત્રોમાં જાહેર થઈ છે. તે ખાનગી અને સરકારી તમામ શાળાઓને લાગુ પડે છે.
તેના કેટલાક મુદ્દાઃ (૧) કોઈને નાપાસ જાહેર કરવા નહીં. (૨) સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટમાં માસ પ્રમોશનથી ઉપર ચડાવાયા છે તેવી નોંધ મૂકવી. (૩) વિદ્યાર્થીઓના આગલા સત્રના પરિણામનો આધાર લઈ ૧૬૦ માર્કમાંથી પરિણામ નક્કી કરવું.
આગલાં પરિણામો પરથી ગ્રેડ કે ટકાવારી નક્કી કરીને હોંશિયાર વિદ્યાર્થીને અલગ તારવી શકાશે, એ સારી વાત છે. તેને તેના હકનું પરિણામ મળશે, પણ હકનું પરિણામ મેળવીને આગળ જતા વિદ્યાર્થી પર માસ પ્રમોશનનો ઠપ્પો શું કામ લાગવો જોઈએ? ને તેના લિવિંગ સર્ટિફિકેટ પર માસ પ્રમોશનનો શેરો મારવાનું વધારે અન્યાયી ને અવિચારી પગલું ગણાશે. કારણ તેને માસ પ્રમોશનનો કોઈ લાભ મળ્યો નથી. તેને મળેલા પરિણામ માટેની ક્ષમતા તેણે આગલી પરીક્ષાઓમાં પુરવાર કરી છે. હા, આગલાં પરિણામો પરથી વિદ્યાર્થી નાપાસ થતો હોય કે ઇ-ગ્રેડ મેળવતો હોય તો તેને પ્રમોશન સરકારની હાલ નક્કી કરાયેલી નીતિ પ્રમાણે ભલે માસ પ્રમોશન મળે ને તેના લિવિંગ સર્ટિફિકેટ પર પણ ભલે માસ પ્રમોશનનો શેરો લાગે. શિક્ષણ વિભાગે આ અંગે ફેરવિચારણા કરવી જોઈએ.
જો માસ પ્રમોશન હોય તો માર્કિંગ ન હોય ને માર્કિંગ હોય તો માસ પ્રમોશન ન હોવું જોઈએ. ચોક્કસ સંજોગોમાં માર્કિંગ અનિવાર્ય બનતું હોય, તો માસ પ્રમોશનનો શેરો નાપાસને જ લાગવો જોઈએ. એ સિવાયના વિદ્યાર્થીઓ સામાન્ય રીતે પાસ થયા હોય એ રીતે જ તેમની નોંધ લેવાવી જોઈએ. ૧૯૭૪-૭૫માં ગુજરાતમાં નવનિર્માણ આંદોલન વખતે બધા વિદ્યાર્થીઓને માસ પ્રમોશનનો લાભ અપાયેલો, ત્યારે આ માર્કિંગ કે ગ્રેડની ફોર્મ્યુલા લાગુ કરાઈ ન હતી.
e.mail : ravindra21111946@gmail.com
સૌજન્ય : “નિરીક્ષક” − ડિજિટલ આવૃત્તિ; 25 ઍપ્રિલ 2020
![]()


વાત ૧૯૪૫ની બ્રિટનની છે. જગતના ઇતિહાસમાં 'ન ભૂતો, ન ભવિષ્યતિ' એવું બ્રિટિશ સામ્રાજ્ય કે જેના રાજમાં સૂરજ કદી આથમતો ન હતો, એ કપરા કાળમાંથી પસાર થઈ રહ્યું હતું. અર્ધમૂછાળા આર્યન(હિટલર)ને તો કેમેય કરીને ઘૂંટણીએ પાડયો, પણ પેલો અર્ધનગ્ન ફકીર કેમેય ટસનો મસ થતો ન હતો. સંસ્થાનોમાંથી આઝાદીની માગણી ઉત્તરોત્તર બળવત્તર થતી જતી હતી. આ વસમા સમયમાં દેશ સચવાઈ જાય એ સારુ જૂના હરીફોએ આપસી મતભેદો તત્પુરતા માળિયે ચઢાવી ગઠબંધનની સરકાર બનાવી. પ્રધાનપદે કન્ઝર્વેટિવ પાર્ટી—રૂઢિગત પક્ષના વિન્સ્ટન ચર્ચિલ અને નાયબ વડાપ્રધાનના પદે લેબર પાર્ટી— મજૂર પક્ષના ક્લેમેન્ટ એટલી. ચર્ચિલ વ્યક્તિત્વે ઓજસ્વી, વાક્ ચતુર અને વક્તવ્યોમાં સિંહગર્જના કરનાર, તો બીજી બાજુ એટલી સંયમિત, કુલીન અને ઓછાબોલા. યુદ્ધની આંટીઘૂંટીમાં બાહોશ એવા ચર્ચિલે લડાઈના કપરા દિવસોમાં પોતાનાં વીજળિક ભાષણોથી બ્રિટિશ પ્રજા અને સેનાનું મનોબળ બાંધી રાખ્યું, તો બીજી બાજુ પહેલી નજરે બિનપ્રભાવશાળી જણાતા પરંતુ વિધવિધ વિચારધારાવાળા લોકો પાસેથી પોતાનું કામ કઢાવી જાણનારા એટલીએ આંતરિક વ્યવસ્થાઓ સાચવી લઈ દેશ બાંધી રાખ્યો.