ભારતમાં અંગ્રેજી પેપરબૂક્સના અનુવાદને લોકપ્રિય બનાવવાનું કામ કરનાર મુંબઈના જયકો પ્રકાશનના માલિક અશ્વિન શાહે સ્વર્ગસ્થ પત્રકાર વિનોદ મહેતાના સંપાદનમાં ૧૯૮૧માં ભારતનું પહેલું રવિવારીય સમાચારપત્ર 'ધ સન્ડે ઓબ્ઝર્વર' શરૂ કર્યું હતું. એ ભારતનું સૌથી પહેલું સુંદર રીતે ડીઝાઇન થયેલું પેપર હતું. વિનોદ મહેતા બ્રિટિશ પત્રકારત્વની સ્કૂલની કંઠી પહેરીને મોટા થયા હતા, અને લંડનના 'સંડે ટાઈમ્સ' અથવા 'ધ ઓબ્ઝર્વર'ની તર્જ પર એક ઉદારવાદી વિચાર અને કળા-સાહિત્ય-સિનેમાનું પેપર શરૂ કરવાની એમની તમન્ના હતી. અશ્વિન શાહે તેમને એ મેદાન પૂરું પાડ્યું હતું.

'ધ સન્ડે ઓબ્ઝર્વર' સ્માર્ટ અને ઇન્ટેલિજન્ટ પેપર હતું. એમાં દરેક વિષય પર બધું જ છૂટથી લખાતું હતું. એમાં જે છપાતું હતું, તેનાથી સ્થાપિત લોકો(રાજકારણીઓ, બિઝનેસમેન, ફિલ્મસ્ટાર્સ)ને માઠું લાગતું, પણ વાંચકોને મજા આવી જતી. દેશના અંગ્રેજી પત્રકારત્વના એ વખતનાં 'હુઝ હુ' લોકો એમાં લેખો લખતા હતા, જેમ કે ખુશવંત સિહ, એમ.વી. કામથ, કે.આર. સુંદર રાજન, નયનતારા સહેગલ, પ્રીતિશ નંદી, વીર સંઘવી, શોભા ડે વગેરે. એ ટીમમાં એક નામ અનિલ ધારકર પણ હતું.
અનિલ તેમાં ટેલિવિઝનની રીવ્યુ કોલમ લખતા હતા. આજે ૨૫૦-૩૦૦ ચેનલોની ભીડમાં એવી કોલમો ગાયબ થઇ ગઈ છે, પણ ત્યારે ટેલિવિઝન નવું-નવું હતું, અને ભારતના લોકો એને હજુ સમજી રહ્યા હતા. અનિલ ધારકર ' 'ધ સન્ડે ઓબ્ઝર્વર'માં અઠવાડિએ એના ક્લાસ લે. કોલમો લખવાનો એ કેવો સમય હતો, અને ખાસ કરીને અનિલ ધારકર કેવી માટીમાંથી ઘડાયા હતા, તેનો 'ધ સન્ડે ઓબ્ઝર્વર'ના સમયનો એક કિસ્સો અનિલ ધારકરે ૨૦૧૫માં વિનોદ મહેતાનું અવસાન થયું, ત્યારે લખ્યો હતો :
"હું તેમાં ટી.વી. પર સપ્તાહિક કોલમ લખતો હતો. તે વખતે માત્ર બે જ ચેનલો હતી. બંને દૂરદર્શનની. એમાં રાજીવ ગાંધી એટલા છવાયેલા રહેતા કે મેં તેનું નામ ‘પી.એમ.દર્શન’ પાડ્યું હતું. દૂરદર્શનની આ ચાપલૂસીથી હું કંટાળી ગયો હતો. એકવાર મેં 'રાજીવ ગાંધી રાજીવ ગાંધી રાજીવ ગાંધી રાજીવ ગાંધી' એમ 300 વખત નામ ટાઈપ કરીને કોલમ લખી. વિનોદે કોલમ વાંચી અને થોડીવાર તાકી રહ્યા, પછી કહ્યું, 'બસ આટલું જ?'
'યસ,' મેં કહ્યું, અને હું હજુ આગળ બોલવા જતો હતો, ત્યાં એ ખુરશીમાંથી ઝાટકા સાથે ઊભા થયા અને એક સબ એડિટર પાસે જઈને તેને સમજાવ્યું કે આ વિચિત્ર લેખને કેવી રીતે પાનામાં ગોઠવવાનો છે. વાચકોમાં ધમાલ મચી ગઇ. અમુક લોકોએ વખાણ કર્યા, તો મોટા ભાગના લોકોએ કહ્યું કે તું અને વિનોદ ગાંડા થઈ ગયા છો."
ગયા સપ્તાહે, ૭૪ વર્ષની ઉંમરે અલવિદા ફરમાવી ગયેલા અનિલ ધારકર ભારતમાં અંતિમ લિબરલ એડિટરો પૈકીના એક હતા. તેમની સાથે કામ કરી ચુકેલા મશહૂર સ્પોર્ટ્સ એડિટર અયાઝ મેમણ કહે છે કે, "અનિલનો ટેસ્ટ શુદ્ધ હતો, સરસ શબ્દો લખતા હતા, લખે ત્યારે બધું તાદશ્ય થાય. પત્રકાર તરીકે એ આઝાદ ખયાલોવાળા તદ્દન લોકતાંત્રિક હતા. એ બધાની વાતો અને મત સાંભળતા હતા."
દેશનાં અમુક ઉત્તમ કોટીનાં પત્ર-પત્રિકાઓમાં એ એડિટર-લેખક હતા. અમુક નામો : ધ ઇલ્યુસ્ટ્રેટેડ વીકલી, ધ ઇન્ડેપેન્ડેન્ટ, મિડ-ડે ઈંગ્લીશ, ધ ઇકોનોમિક ટાઈમ્સ, ધ હિંદુ, ધ ઇન્ડેપેન્ડેન્ટ (લંડન), ફોરેન પોલિસી (વોશિંગ્ટન), ડેબોનેર, ધ સન્ડે ઓબ્ઝર્વર.
એકવાર તેમણે કહ્યું હતું, "કોઈને અભિમાન લાગશે, પણ હું બહુમુખી છું. મેં બહુ ટોપીઓ પહેરી છે. યાદી લાંબી છે. મેં પેપર કાઢ્યાં છે, કોલમો લખી છે, ટી.વી. ચેનલ ચલાવી છે, સ્ક્રિપ્ટ લખી છે, પુસ્તકો લખ્યાં છે. હું બહુ જુદું-જુદું કરતો રહું છું. અજાણ્યા લોકો મને કહે કે તેઓ મારી કોલમો વાંચે છે અને કાપીને સાચવી રાખે છે, ત્યારે મને બહુ આનંદ થાય છે."
અનિલ ધારકરના પિતા ભારતીય રેલવેમાં કામ કરતા હતા, એટલે અનિલનો ઉછેર મુંબઈ, ગોરખપુર અને વડોદરામાં થયો હતો (તેમનાં બહેન રાની ધારકર વડોદરામાં અંગ્રેજીનાં પ્રોફેસર હતાં). પિતાની નોકરીની જ અસર હશે, જેથી અનિલ ભારતમાં ગણિતમાં ડિગ્રી મેળવીને લંડન યુનિવર્સિટીમાંથી મિકેનિકલ એન્જીનિયરિંગ કર્યું હતું. મુંબઈમાં પાછા આવી આવીને તેમણે એક આર્કીટેક્ચર ફર્મની નોકરી શરૂ કરી હતી, જેમાં એમનું કામ બહુમાળી ઈમારતોમાં ફાયર-સેફટીની જોગવાઈ કરવાની હતું.
એમને સિનેમાનો બહુ શોખ હતો, એટલે સેન્સર બોર્ડમાં તેમને સભ્યપદ મળ્યું હતું, તેમાંથી લખવાનો વ્યવસાય વિકસ્યો. પાછળથી તે નેશનલ ફિલ્મ ડેવલપમેન્ટ કોર્પોરેશનના વડા બન્યા હતા. અનિલ ધારકરે જ રિચાર્ડ એટનબરોની 'ગાંધી' ફિલ્મની સ્ક્રિપ્ટ મંજૂર કરી હતી અને ઇન્દિરા ગાંધીના ટેબલ પર મુકાવી હતી. શ્રીમતી ગાંધીએ કહ્યું હતું, “એન.એફ.ડી.સી. પૈસા તો બહુ નહીં ફાળવે, પણ સરકારી તંત્રો પૂરી મદદ કરશે."
છેલ્લાં વર્ષોમાં અનિલ ધારકરનું મહત્વનું યોગદાન મુંબઈ લિટરેચર ફેસ્ટિવલ હતું (જે હવે તાતા લિટરેચર ફેસ્ટિવલ તરીકે ઓળખાય છે). મુંબઈના લોકો પુસ્તકો વાંચતા નથી એવી ફરિયાદો સાંભળીને અનિલને વિચાર આવ્યો હતો કે આ વાત ખોટી છે. મુંબઈમાં સાહિત્યનો મેળાવડો થતો નથી એટલે એવું લાગે છે, બાકી શહેરના લોકોના વાંચનનો ટેસ્ટ સુંદર છે. એમાંથી લિટરેચર ફેસ્ટિવલ જન્મ્યો હતો, જે આજે દસ વર્ષ પછી મુંબઈનો અનિવાર્ય વાર્ષિક તહેવાર બની ગયો છે.
લાંબા સમયની મિત્ર અને સહલેખિકા શોભા ડે કહે છે કે, “એમાં પણ અનિલને બદલાતી રાજકીય હવા સામે ઊભા રહેવામાં ખચકાટ ન હતો. નાગરિક તરીકે તેમને વધતી વૈચારિક અસહિષ્ણુતાની ચિંતા હતી. ફેસ્ટિવલમાં ચર્ચા માટે એ જે રીતે સાહસિક વિષયોની પસંદગી કરતા હતા, તેના પરથી એ ફલિત થતું હતું. એના સખ્ત વિરોધ પણ થયા હતા, પરંતુ અનિલ પાછા પડતા ન હતા. મને ખાતરી છે કે અમુક લેખકોને પડતા મુકવાનું અનિલ પર દબાણ હશે, પણ એ શાલીનતા અને મક્કમતાથી તેનો સામનો કરતા હતા.
લિટરેચર ફેસ્ટિવલમાં થતા વિવાદોને લઈને ૨૦૧૩માં અનિલ ધારકરને એક સવાલ પૂછવામાં આવ્યો હતો, ત્યારે તેમણે તેમની ચિરપરિચિત શાલીનતાથી મક્કમ જવાબ આપ્યો હતો, “વિવાદ થાય તો શું થયું? મને લાગે છે કે જ્યાં પણ લેખકો ભેગા થાય, ત્યારે એવું થવું સ્વાભાવિક છે. જ્યાં સુધી વિવાદ વૈચારિક સ્તરે રહે અને ગાળાગાળી કે હિંસાના સ્તરે ન જાય, મને એમાં કોઈ ખોટું જણાતું નથી. આપણા દેશમાં હવે મુસીબત એ છે કે ભિન્ન મત માટે સંપૂર્ણ અસહિષ્ણુતા છે. ભિન્ન મત હોય તો શું વાંધો છે? બીજી વ્યક્તિને મત પ્રગટ કરવાની આઝાદી હોય, તો તે વિચારોની પ્રગતિ માટે લાભદાયી છે.”
અનિલ ધારકરના જવાથી આઝાદ ખયાલીનો આપણો એક અગત્યનો અવાજ બંધ થઇ ગયો છે.
સૌજન્ય : લેખક, રાજ ગોસ્વામીની ફેઇસબૂક દિવાલેથી સાભાર
![]()


૫થી ૬ હજાર યાર્ડમાં પથરાયેલાં મેદાનમાં નિશ્ચિત અંતર પર, ૧૮ વર્તુળાકારના નાના ખાડા હોય, જેને અંગ્રેજીમાં hole કહેવામાં આવે છે. દરેક holeના અંતર જુદા જુદા હોય અને કેટલાં ફટકામાં બોલ ‘હોલ’માં ( hole) પડવો જોઈએ તે પણ મુકરર કરવામાં આવ્યું હોય છે. કોઈના ૩, ૪, કે ૫ એમ જુદા જુદા ફટકા આપવામાં આવ્યા હોય છે. જો તમે આપેલ નંબરમાં સફળ થાવ તો ‘પાર’ (par) કહેવાય. ઓછામાં સફળ થાવ તો ‘બર્ડી ‘(birdie) કે ‘ઈગલ’ (eagle) થઈ કહેવાય અને વધુ ફટકા મારવા પડે તો ‘બોગી’(bogey) કહેવાય.
વાઇરસનાં પધરામણાંને એક વર્ષથી ઉપર થઇ ગયું છે. વૈશ્વિક સ્વાસ્થ્ય, અર્થતંત્ર અને રાજકારણ પર વાઇરસના ભરડાએ હજી ઢીલું મૂક્યું નથી. વેક્સિન લેતી તસવીરો પણ હવે તો સોશ્યલ મીડિયા પર જોઇને કંટાળો આવે છે પણ માસ્ક, સેનિટાઇઝર, લૉકડાઉન, નાઇટ કર્ફ્યુ તો, માળા, હજી જિંદગીમાંથી જલદી જાય એવું કંઇ લાગતું નથી. વાઇરસના વૈશ્વિક આંકડાઓની રમત ચાલ્યા કરે છે પણ આ બધાંની વચ્ચે આખી દુનિયાની સરહદો પર, ખાસ કરીને કોનફ્લિક્ટ ઝોન્સ પર રોગચાળાનો આગવો પ્રભાવ પડ્યો છે. આમ તો બધાં જ અગત્યના રાષ્ટ્રોએ વાઇરસ સામે લડવામાં જરૂર પડ્યે એકબીજાને ટેકો આપ્યો. વેક્સિન ડિપ્લોમસી ભલેને શક્તિ પ્રદર્શન હોય પણ અંતે તેનાથી પણ રાષ્ટ્રોને પરસ્પર મદદ મળી.