જો બધું સમુસૂતરું ઊતરશે તો તમે આ લેખ વાંચતા હશો, ત્યાં સુધીમાં અમેરિકન પ્રજાનો તો છૂટકારો થઈ ગયો હશે. અમેરિકનોએ મહાપરાણે પોતાની આઝાદી અને લોકતંત્ર બચાવ્યાં છે. ગયા નવેમ્બર મહિનામાં અમેરિકામાં પ્રમુખપદની ચૂંટણી યોજાઈ ત્યારે પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનો પરાજય થયો હતો. એ પરાજય નિર્ણાયક હતો, પરંતુ જેવો હોવો જોઈએ એવો નહોતો. અમેરિકાની ચૂંટણીમાં થયેલા મતદાનમાં કુલ સાડા પંદર કરોડ મતદાતાઓએ મતદાન કર્યું હતું જેમાંથી ટ્રમ્પને સાડા સાત કરોડ મત મળ્યા હતા. વિજેતા ઉમેદવાર અને હવે અમેરિકાના ૪૬મા પ્રમુખ બનેલા જો બાયડનને આઠ કરોડ મત મળ્યા હતા. બે વચ્ચે ફરક માત્ર પચાસ લાખનો હતો.
જે માણસને લાત મારીને તગેડવો જોઈતો હતો એને સાડા સાત કરોડ પોપ્યુલર વોટ મળે? મળે. આજના યુગમાં મળે. માત્ર અમેરિકામાં જ નહીં જગતમાં એવા અનેક ચૂંટાયેલા નેતાઓ છે જેઓ આવડત વિનાના છે, સરમુખત્યાર છે, આત્મમુગ્ધ છે, મન ફાવે એવા નિર્ણયો લે છે અને સભ્યતાના ધારાધોરણોને ગણકારતા નથી. અમેરિકા જેવા લોકતાંત્રિક દેશમાં ૩૦ હજાર વખત અસત્ય કે અર્ધસત્ય બોલવાનો ટ્રમ્પનો રેકોર્ડ છે. આમ છતાં ય પ્રમુખપદની ચૂંટણીમાં પરાજય પછી પરાજય સ્વીકારવાનો ટ્રમ્પે અસ્વીકાર કર્યો ત્યારે તેને ટેકો આપનારા અમેરિકનો મોટી સંખ્યામાં હતા. છઠ્ઠી જાન્યુઆરીએ કેપિટોલ હિલ પર જે ઘટના બની એ તો અમેરિકન લોકતંત્ર માટે કલંકરૂપ ઘટના છે. અમેરિકન પ્રમુખ લોકતંત્રના મંદિર ઉપર હુમલો કરનારા સમર્થકોનાં ટોળાંને ઉશ્કેરતા હતા, શાબાશી આપતા હતા, તેમની ગુંડાગર્દીને બિરદાવતા હતા અને તેમને દેશભક્તિ તરીકે ઓળખાવતા હતા.

courtesy : Dave Brown, "The Independent"; 14 January 2021
ડોનાલ્ડ ટ્રમ્પમાં દોકડાની આવડત નથી એ તો જગજાહેર છે. તેઓ અમેરિકન લોકતંત્ર માટે કલંકરૂપ પ્રમુખ તરીકે ઇતિહાસમાં સ્થાન પામશે. ઇતિહાસ તો તેમને ન્યાય આપવાનો જ છે, પણ વર્તમાનનું શું? ટ્રમ્પ બિરાદરીએ જગત આખાના વર્તમાનને જે રીતે ઉતર્ડ્યો છે એને ફરી સાંધતા વર્ષો જશે અને એ પણ પૂરેપૂરો સંધાશે કે કેમ એ તો શંકા જ છે. રાજકીય નિષ્ણાતો કહે છે કે સૌથી મોટી કસોટી રિપબ્લિકન પાર્ટીની થવાની છે. થવાની શું, થઈ રહી છે. એ કસોટી સંયત જમણેરી અમેરિકા અને ઝનૂની જમણેરી અમેરિકા વચ્ચે થવાની છે.
અમેરિકામાં ૧૮૬૧-૧૮૬૫ના આંતરવિગ્રહ પછીથી જમણેરી રિપબ્લિકન પાર્ટી – જે અમેરિકામાં જી.ઓ.પી. (ગ્રાંડ ઓલ્ડ પાર્ટી) તરીકે ઓળખાય છે – સંયત જમણેરી માર્ગ અપનાવતી આવી છે. ધર્મનો બચાવ કરે, ખ્રિસ્તી હોવા માટે ગર્વ અનુભવે, વ્હાઈટ ક્રિશ્ચિયન અમેરિકન ફર્સ્ટની વાતો કરે, ગર્ભપાતનો વિરોધ કરે, સમલિંગી લગ્નનો કે સંબંધોનો વિરોધ કરે, થોડો વંશવાદી અભિગમ અપનાવે, વસાહતીઓ વિરોધી નીતિ અપનાવવાની વાતો કરે, ખાનગી નાગરિકના શસ્ત્ર ધરાવવાના અધિકારનો બચાવ કરે, વગેરે. આ બધું સંયત સ્વરમાં માપમાં કરવામાં આવે. આંતરવિગ્રહ પછી તેમને બોધપાઠ મળી ગયો હતો કે બોટલ ખોલીને જીન બહાર કાઢવામાં જોખમ છે. જમણેરી રૂઢિચુસ્ત મતદાતાઓને ભાવે એવી ભાષામાં બોલો પણ ધૂણાવો નહીં. ધૂણાવશો તો પછી ધૂણનારાઓ અંકુશમાં નહીં રહે.
ડોનાલ્ડ ટ્રમ્પે દૂરદર્શિતાનો અભાવ, ગાંડપણ અને સ્વકેન્દ્રી અભિગમથી પ્રેરાઈને જેમાં જીન પૂરવામાં આવ્યો હતો એ બોટલનું ઢાંકણું ખોલી નાખ્યું. સોશ્યલ મીડિયા તો હાથવગાં હતાં જ એમાં કેમ્બ્રિજ એનેલિટીકા જેવા પૈસા ખાતર ભાંગફોડ કરવાનો ધંધો કરનારાઓએ બળતામાં ઘી હોમ્યું. સામે પક્ષે રાજ કરતાં પણ આવડતું નહોતું, એટલે ત્યાં પણ ભોપાળું જ હતું. હવે જી.ઓ.પી. (રિપબ્લિકન પાર્ટી) સામે પ્રશ્ન છે કે કેપિટોલ હિલનો કબજો કરનારા ઝનૂની અમેરિકનોને ધૂણતા અટકાવવા કઈ રીતે? કે પછી જે માર્ગ ટ્રમ્પે અપનાવ્યો હતો અને જે માર્ગ કેટલાક ઝનૂની શ્વેત ખ્રિસ્તીઓને ગમે છે એને જાળવી રાખવો? મૂળ જગ્યાએ પાછા ફરવું કે પછી રિપબ્લિકન પાર્ટીમાં પેદા થયેલા ન્યુ નોર્મલને નોર્મલ તરીકે સ્વીકારી લેવું? મૂળ જગ્યા હતી હળવા શ્વેત અમેરિકન ખ્રિસ્તીત્વની અને નવી જગ્યા છે ઝનૂની શ્વેત અમેરિકન ખ્રિસ્તીત્વની. અત્યારે અમેરિકામાં અને જગતમાં ટ્રમ્પ પછીના અમેરિકા કરતાં ટ્રમ્પ પછીના જી.ઓ.પી.ની ચર્ચા વધુ તીવ્ર રીતે ચાલી રહી છે.
અહીં એક વાત નોંધવી જોઈએ કે જે પડકાર અત્યારે અમેરિકામાં રિપબ્લિકન પાર્ટી સામે છે એ પડકાર આવતી કાલે આપણે ત્યાં ભારતીય જનતા પક્ષ સામે પણ પેદા થવાનો છે. હળવા હિન્દુત્વના સ્વસ્થતાના બિંદુ ઉપર પાછા ફરવું મુશ્કેલ બની જશે. અમેરિકામાં તો વળી રિપબ્લિકન પાર્ટી પાસે સ્વસ્થ અને સંયત રૂઢિચુસ્ત જમણેરી રાજકારણનો વારસો છે અને એ લગભગ દોઢસો વરસ જૂનો છે. એ વારસો પાછા ફરવામાં ઉપયોગી થઈ શકે એમ છે. બી.જે.પી. પાસે એવો કોઈ વારસો પણ નથી. અહીં ભારતીય સામ્યવાદી પક્ષની યાદ આવે છે. ભારતને આઝાદી મળી એ પછી બી.ટી. રણદીવેના નેતૃત્વમાં સામ્યવાદી પક્ષે ભારતનાં બંધારણ સહિત ભારતીય રાજ્યનો જ સમૂળગો અસ્વીકાર કર્યો અને તેને સશસ્ત્ર ક્રાંતિ દ્વારા ઉથલાવવાની અને રાજ્યનો કબજો કરવાની જાહેરાત કરી. તેમને એમાં સફળતા તો મળી નહીં, પરંતુ પાંચેક વરસે જ્યારે તેમણે અપનાવેલા માર્ગની અવ્યવહારુતાનું ભાન થયું તો ત્યાં સુધીમાં ઘણું નુકસાન થઈ ચુક્યું હતું અને હજુ આજે પણ સામ્યવાદી પક્ષો તેની કિંમત ચૂકવી રહ્યા છે. આત્યંતિકતાના કેટલાક તાત્કાલિક લાભ હોય છે તો તેના લાંબા ગાળાનાં નુકસાન પણ હોય છે.

courtesy : Dave Brown, "The Independent"; 21 January 2021
ટૂંકમાં અત્યારે એમ લાગે છે કે ટ્રમ્પ પછીના અમેરિકાને થાળે પડવામાં એટલી મુશ્કેલી નહીં આવે જેટલી ટ્રમ્પ પછીના પક્ષને થાળે પડવામાં મુશ્કેલી આવવાની છે. અમેરિકામાં લોકતાંત્રિક સંસ્થાઓ મજબૂત છે, અને ત્યાંના મીડિયા આપણે ત્યાં છે એવા સાવ બીકાઉ ગોદી મીડિયા નથી. આ ઉપરાંત નવા પ્રમુખ બાયડન અને તેમનાં ઉપ-પ્રમુખ કમલા હેરિસ સમજદાર અને સ્વસ્થ છે. જો કે તેમણે ઝનૂની જમણેરીઓનો સામનો કરવો પડશે અને એ એટલો આસાન નહીં હોય જેટલો પાછલાં વર્ષોમાં હતો. ધ્યાન રહે, સાડા સાત કરોડ અમેરિકનોની અંદર આજે પણ ટ્રમ્પ બેઠો છે.
પ્રગટ : ‘વાત પાછળની વાત’, નામક લેખકની કટાર, “ગુજરાતમિત્ર”, 21 જાન્યુઆરી 2021
![]()


અરે, દૂર દેશાવરમાં ય સંન્નિષ્ઠ સાહિત્ય-સંગીત પ્રેમીઓ અદ્દભુત કામ કરે છે. અમેરિકામાં કૃષાનુ મજમુદાર, રથિન મહેતા, ફાલ્ગુની શાહ કાર્યરત છે. કેલિફોર્નિયામાં જયશ્રી મરચન્ટ, શિવાની દેસાઈ, જયશ્રી ભક્તા, હેતલ જાગીરદાર ભટ્ટ, મનીષા જોશી સાહિત્ય ક્ષેત્રે પ્રવૃત્ત છે. જાગૃતિ દેસાઈ શાહ ગુજરાતી રેડિયો સાથે સંકળાયેલાં છે. ઓસ્ટ્રેલિયામાં આરાધના ભટ્ટ ગુજરાતી રેડિયો ચલાવે છે. લંડનમાં વિપુલ કલ્યાણી સાહિત્યની ધૂણી ધખાવીને બેઠા છે તો લેસ્ટરમાં સ્વ. ચંદુ મટાણી અને હવે એમના પુત્ર હેમંત મટાણી સંગીત પ્રવૃત્તિને લોકો સુધી પહોંચાડી રહ્યા છે. પરંતુ, લંડનના ગિરીશ ચાંદેગ્રાનું ગુજરાતી ગીતોનું કલેક્શન જોઈને આભા બની જવાય. અવિનાશ વ્યાસથી માંડીને આલાપ દેસાઈ અને પ્રહર વોરા જેવા યુવા કલાકારો સુધી અનેક કલાકારોનાં અસંખ્ય ગીતો એમની પાસે છે. ગિરીશ ચાંદેગ્રા લંડનમાં જ ઊછરીને સેટલ થયા છે. વ્યવસાયે આઇ.ટી. એન્જિનિયર ગિરીશભાઈને આઠ વર્ષની વયથી જ ગુજરાતી અને હિન્દી સંગીત પ્રત્યે અપાર આકર્ષણ હતું. બ્રિટિશ કલ્ચર અને અંગ્રેજી ભાષા સાથે જ મોટા થયેલા ગિરીશભાઈએ ગુજરાતી/હિન્દી લખવા/બોલવાની તાલીમ વારાણસી અને અમદાવાદના ગુરુઓ પાસે લીધી હતી.
સહેલું નથી. તાજેતરમાં જ એમણે પોતાની યુટ્યુબ ચેનલ 'ગિરીશ પ્રકાશ' પર આ ખજાનો ખુલ્લો મુકવાનું શરૂ કર્યું અને બે-ત્રણ અદ્ભુત ગીતો સાંભળવા મળ્યાં. આશાપુરા મા … તથા ઓછું પડે તો માફી દઈ દ્યો ગીતો આશા ભોંસલેના અવાજમાં, વનમાં ચાંદલિયો ઊગ્યો સુમન કલ્યાણપુરના કંઠે તેમ જ સોલી કાપડિયાના અવાજમાં આશિત દેસાઈએ સ્વરબદ્ધ કરેલું રમણલાલ વસંતલાલ દેસાઈએ લખેલું ગીત પતંગ જ્યોત ઘેલો સાંભળવાની ખૂબ મજા આવી.

કેટલાંક પતંગિયા જેવાં કીટકો, જેને હિન્દીમાં આપણે પરવાના કહીએ છીએ. 'શમા પે પરવાના'ના નામે અનેક વાતો ચાલે છે. હકીકતે એમાં પ્રેમ જેવું કશું નથી. ક્યાંક વાંચેલું કે આ પરવાના દીવાની જ્યોત તરફ આકર્ષણ ધરાવતા નથી. પણ તે આ જ્યોતને લીધે તેમની દિશા ચૂકી જાય છે. આ પતંગ પ્રકારના જીવડાં દિશાસૂચક હોય છે. આ જીવડાં સૂરજ કે ચંદ્રના પ્રકાશનો ઉપયોગ દિશા સૂચક તરીકે કરે છે. આ કારણે તે દીવાની જ્યોત તરફ આગળ વધે છે અને નજીક જતાં દીવામાં બળી મરે છે. પતંગિયાં દિવસે જ નીકળે છે. પાંખ ઊંચી રાખીને બેસે છે જ્યારે પતંગ કે પરવાના રાત્રે જ નીકળે છે. તે પતંગિયાં જેવાં તેજસ્વી નથી. એ તેની પાંખો શરીર સાથે ચોટાડીને બેસે છે. દીવાની જ્યોતથી આકર્ષાઈને એની નજીક જતાં એ બળી મરે છે.
ગીતના ગાયક સોલી કાપડિયા કહે છે કે, "રેકોર્ડિંગ પછી આ ગીત મેં ખરા અર્થમાં એન્જોય કર્યું હતું. મારી વય એ વખતે ઘણી નાની. દક્ષેશભાઈના ઘરે અમે રિહર્સલ માટે ભેગાં થતાં. એ વખતે મને ર.વ. દેસાઈનો ખાસ પરિચય પણ નહોતો પરંતુ આ ગીત ગાયા પછી મેં આખો કાવ્ય સંગ્રહ વાંચ્યો અને મજા આવી. ગાયક તરીકે દર બીજા દિવસે અમારે ગીતો રેકોર્ડ કરવાનાં આવે પરંતુ બધાં ગીતો ગમે ય નહીં અને યાદ પણ ના રહે. પરંતુ, આ ગીત રેકોર્ડ કરીને ઘરે આવ્યો ત્યારે એની ટ્યુન સતત મનમાં રમતી હતી. આશિતભાઈને પણ ગીત રેકોર્ડ થયા પછી ખૂબ ગમ્યું હતું. એ વખતે આ કેસેટ ખાસ્સી લોકપ્રિય થઈ હોવાથી આ પતંગ ગીતની ફરમાઈશ વિદેશમાં પણ આવતી હતી. અત્યારે તો એ સાવ ભૂલાઈ ગયું હશે, પરંતુ આપણી પાસે આવાં સુંદર ગીતોનો અમૂલ્ય ખજાનો છે એ જ મોટી વાત છે."