એક હતો રાજા.
એણે
જેની હત્યા કરવી હોય
એને
કોઈ ગુનામાં પકડતો
અને પછી
ફાંસીની સજા
આપી દેતો.
વાર્તા પૂરી.
સૌજન્ય : “નિરીક્ષક”, 01 ડિસેમ્બર 2021; પૃ. 15
![]()
એક હતો રાજા.
એણે
જેની હત્યા કરવી હોય
એને
કોઈ ગુનામાં પકડતો
અને પછી
ફાંસીની સજા
આપી દેતો.
વાર્તા પૂરી.
સૌજન્ય : “નિરીક્ષક”, 01 ડિસેમ્બર 2021; પૃ. 15
![]()
છેવટે વિવાદાસ્પદ કૃષિકાયદા રદ્દ કરવાની જાહેરાત વડા પ્રધાનશ્રીએ કરી, જે આંદોલનને પૂર્વે વગોવવામાં બાકી રાખવામાં આવ્યું ન હતું એમાં સરકારે પોતાની ભૂલ કબૂલ કરી છે. ખેડૂતોમાં આંદોલનને ખાલિસ્તાન ચળવળ સાથે, આતંકીઓની પ્રવૃત્તિ સાથે અને માઓવાદી સાથે સાંકળવામાં આવ્યું હતું. દેશના ભાગલા પડાવવા માંગતા લોકો આ આંદોલન ચલાવી રહ્યા છે, એમ કહેવામાં આવ્યું હતું. વડા પ્રધાનશ્રીએ પોતે આ ‘આંદોલન જીવી’ લોકો ચલાવી રહ્યા છે એવો આક્ષેપ કર્યો હતો; ટૂંકમાં, જે કાયદાઓનો વિરોધ કરવામાં આવી રહ્યો હતો, તે ખેડૂતોના હિતમાં ન હતો, એમ સરકાર માનતી હતી – આજે પણ સરકારની પૉઝિશન એ જ છે વડા પ્રધાનશ્રીએ પોતે સરકાર ખેડૂતોને આ કાયદા દ્વારા થનાર લાભ સમજાવી શકી નથી, એવી રજૂઆત કરી છે.
હવે સરકાર એક સમિતિ રચીને ખેડૂતો માટે નવું પૅકેજ તૈયાર કરશે. એવી જાહેરાત કરવામાં આવી છે. આ સમિતિમાં રાજ્યસરકારોના પ્રતિનિધિઓ, કેન્દ્રસરકારના પ્રતિનિધિઓ અને નિષ્ણાતો હશે. એ સમિતિ જે ભલામણો કરશે, તેનો અમલ કરવાનો પ્રયાસ કરવામાં આવશે. આનો અર્થ એ થયો કે જ્યાં સુધી સમિતિ ભલામણ નહીં કરે ત્યાં સુધી કૃષિ ક્ષેત્રે સુધારા થશે નહીં અને વર્તમાન નીતિ ચાલુ રહેશે.
આજે જે નીતિ ખેતીના ક્ષેત્રે ચાલી રહી છે, તે પચાસ વર્ષ જૂની છે. દેશમાં અનાજની તીવ્ર તંગી પ્રવર્તતી હતી અને દેશ અનાજની આયાતો ઉપર નભતો હતો, ત્યારે હરિયાળી ક્રાંતિનો અમલ કરવા માટે આ નીતિ અમલમાં મૂકવામાં આવી હતી. એમાં ખેડૂતોને હરિયાળી ક્રાંતિની ટૅક્નોલૉજી અપનાવવા માટે પ્રોત્સાહનો આપવામાં આવ્યાં હતાં. એના એક ભાગ રૂપે લઘુતમ ટેકાના ભાવોની(એમ.એસ.પી.)ની ખાતરી આપવામાં આવી હતી, તેમ જ રસાયણિક ખાતરોનો ઉપયોગ વધે તે માટે એના ઉપર સબસિડી આપવાની નીતિ જાહેર કરવામાં આવી હતી અને ફૂડ કૉર્પોરેશનની રચના કરીને ખેડૂતો પાસેથી અનાજ ખરીદવાની વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી.
હવે દેશમાં અનાજની તંગી રહી નથી અને અનાજની વિપુલતાનો પ્રશ્ન ઊભો થયો છે. બીજી બાજુ કઠોળ અને તેલીબિયાંની અછત પ્રવર્તે છે. તેને કારણે અવાર-નવાર દેશને ખાદ્યતેલોની અને કઠોળની આયાતો કરવી પડે છે. બીજો એક પ્રશ્ન પણ ઊભો થયો છે. ઉદ્યોગોમાં વિકાસ દ્વારા ખેતી પરનું ભારણ આપણે ઘટાડી શક્યા નથી. ઉદ્યોગોનો એટલો વિકાસ થયો નથી કે જેથી ખેતી ક્ષેત્રે રોકાયેલા લોકોની સંખ્યા ઘટાડી શકાય. બીજી બાજુ, વસ્તીવધારો મોટા પ્રમાણમાં થવાથી બીજા વિકલ્પોના અભાવે ગ્રામીણ લોકો ખેતીમાંથી રોજગારી અને આવક મેળવવા પ્રયત્ન કરે છે. આને કારણે ખેડૂતો પાસે રહેતી જમીન ઘટતી જાય છે. દેશમાં આજે લગભગ ૭૦ ટકા ખેડૂતો પાસે અઢી એકરથી ઓછી જમીન છે. જેમાંથી એમને પૂરતી આવક મળતી નથી. આ ખેડૂતોને વધારે ઉત્પાદક બનાવવાની દિશામાં વિચારવાનું છે. એ માટે ખેતીના ક્ષેત્રે વૈવિધ્ય લાવવાની જરૂર છે. કેટલાક સુધારાઓની બાબતમાં અર્થશાસ્ત્રીઓમાં સર્વાનુમતિ પ્રવર્તે છે. જેમ કે વીજળી, રાસાયણિક ખાતરો, વગેરે પર સબસિડી આપવાને બદલે ખેડૂતોને સીધી નાણાકિય સહાય કરવી. ખેતી ક્ષેત્રે વિશેષ મૂડીરોકાણની જરૂર છે, જેથી ખેડૂતોની આવકમાં વધારો કરી શકાય.
આમ, ખેતી ક્ષેત્રે અનેક સુધારાઓ કરવા જરૂરી છે. ખેતીક્ષેત્રે સરકારે કરેલા સુધારાની કસુવાવડ થઈ એનાથી જો સુધારાવિરોધી માનસ સર્જાશે તો એ ખેડૂતો અને ખેતી માટે પ્રતિકૂળ નીવડશે. ખેતી ક્ષેત્રે સુધારાનો સમય ક્યારનો વીતી ગયો છે. ત્રણેક દાયકા પહેલાં એ સુધારાનો આરંભ થવો જોઈતો હતો. ખેતીને વધારે ઉત્પાદક બનાવવાની દિશામાં વિચારવાના બદલે ‘મનરેગા’ જેવી રોજગારીસર્જક યોજનાઓ દ્વારા ખેતી ક્ષેત્રે પૂરક રોજગારી સર્જવામાં આવી, જેનાથી ખેતી ક્ષેત્રે રોકાયેલા લોકોનું, ખાસ કરીને, ખેતમજૂરોનું કેટલાક મહિનાઓ પૂરતું રોજગારસર્જન થયું પણ તેનાથી લાંબા ગાળાનું હિત સધાતું નથી. ખેતી ક્ષેત્રે આપણે જુદી રીતે વિચારવું પડે, એવી સ્થિતિ સર્જાઈ છે, ઉપર નોંધ્યું તેમ ઉદ્યોગોના વિકાસ દ્વારા આપણે ખેતીક્ષેત્રનું ભારણ ઘટાડી શક્યા નથી. દક્ષિણ કોરિયા, ચીન વગેરે દેશો એ દિશામાં સફળ થયા છે, પણ આપણે સફળ થઈ શક્યા નથી.
હવે ખેડૂતનેતાઓએ લઘુતમ ટેકાના ભાવોને કાનૂની દરજ્જો આપવાની માંગણી કરી છે. લઘુતમ ટેકાના ભાવોનાં લાભ મહદંશે પંજાબ, હરિયાણા અને ઉત્તર પ્રદેશના પશ્ચિમ ભાગને મળે છે. દેશના મોટા ભાગના ખેડૂતોને એના લાભ નથી મળતો એમ કહીએ તો ચાલે. કહેવાનો મુદ્દો એ છે કે ખેડૂતોની આવક વધારવા માટે લઘુત્તમ ટેકાના ભાવોની નીતિ સમગ્ર દેશમાં સફળ થઈ શકે એમ નથી. આંદોલનકારી ખેડૂતોના નેતાઓ પોતાનાં હિતનો જ વિચાર કરી રહ્યા છે. વળી, બજારતંત્ર ઉપર આધારિત અર્થવ્યવસ્થામાં ભાવોને નિયમિત કરવાનું હિતાવહ નથી. એમાંથી બજારની કામગીરીમાં વિકૃતિ સર્જાય છે. સરકાર પાસે આજે બફરસ્ટૉક માટે જોઈએ, એનાથી બમણો જથ્થો ઘઉં અને ચોખાનો છે. આનો અર્થ એ થાય કે ઘઉં અને ડાંગરનું વધારે પડતું ઉત્પાદન થાય છે. બજારને એની રીતે કામ કરવા દેવું જોઈએ અને જ્યાં અનિવાર્ય હોય, ત્યાં જ સરકારે દરમિયાનગીરી કરવી જોઈએ.
પાલડી, અમદાવાદ
સૌજન્ય : “નિરીક્ષક”, 01 ડિસેમ્બર 2021; પૃ. 03
![]()
કપરાં કોરોનાકાળમાં વટહૂકમથી લેવાયેલાં ત્રણ કૃષિબિલ આખરે મોદી સરકારે પાછા ખેંચવા પડ્યાં! ૧૪ મહિના કડકડતી ઠંડી, કાળઝાળ ગરમી, ભારે વરસાદ ઉપરથી સરકારી ત્રાસ છતાં ય ખેડૂતો ડગ્યાં નહીં. નવસો ખેડૂતો શહીદ થયાં છે. ઉત્તરાખંડથી યુ.પી. સુધી સરકારે સેંકડો ખેડૂતો પર આંદોલન કરવા બદલ કેસો કર્યાં છે. સામ, દામ, દંડ, ભેદની તમામ સરકારી પ્રયુક્તિને કિસાન એકતાએ પાછી પાડી. મોદીનો પહેલો પરાજય સુપ્રિમ કૉર્ટ આ ત્રણ કોર્પોરેટી કાળા કાનૂન સ્થગિત કર્યા હતા ત્યારે જ થયો હતો, પરંતુ આંદોલનથી એ નિર્ણયને બળ મળ્યું. કિસાન આંદોલનની આ જીત ભારતની રાજનીતિમાં ઐતિહાસિક સીમાચિહ્ન છે.
હજુ હમણાં જ બે દાયકા પૂર્વે નંદીગ્રામમાં ત્રણ હજાર કિસાનો મરી ગયાં, સેંકડો સ્ત્રીઓ પર બળાત્કાર થયાં પણ ટાટાને જમીન આપવા બાબતમાં કિસાનો ઝુક્યાં નહીં અને એમનો વિજય થયેલો એ અત્યારે યાદ આવે. ટાટા માટે લાલ જાજમ અને માર્ક્સને ટાટા કરનાર બંગાળની પાંત્રીસ વર્ષની સરકારનું નંદીગ્રામે પતન કર્યું. ગાંધીજીનો ભારતીય રાજનીતિમાં પ્રવેશ ચંપારણના કિસાન આંદોલનથી, વલ્લભભાઈ પટેલની આગળ 'સરદાર’ વિશેષણ ઉમેરાયું બારડોલીના કિસાન આંદોલનથી. આ પરંપરામાં આ કિસાનોના સત્યાગ્રહને ય જોવો જોઈએ. આઝાદી પછી તેલંગણામાં કિસાનોએ નેહરુને ય હંફાવેલા અને જમીનદારીનો કાયદો રદ્દ કરાવેલો.
નાનપણથી આપણને ભણવામાં આવે છે કે ભારત ખેતીપ્રધાન દેશ છે. પણ ભારતમાં ખેડૂત જ અવગણાતો જાય છે – સહુથી વધારે. ભારત ગામડાંમાં જીવે છે એમ પણ કહેવાયું છે. આ છ લાખ ગામડાંમાં ભારત રોજ રોજ મરે છે. મોદી આવ્યા ત્યારે ભૂખમરાથી પીડિતોનો આંકડો ત્રીસ કરોડથી ઓછો હતો (એ પણ કંઈ આશ્વાસન પામવા જેવી વાત નહોતી જ) આજે જેમને મહિને પાંચ કિલો અનાજ અપાય છે એવાનો આંકડો એંસી કરોડ છે. એંસી કરોડને રોજનું પચાસ ગ્રામ અનાજ મળે છે! મનરેગામાં ૧૫૦ રૂપિયા દલાલી ન આપે તો કામ મળતું નથી. આમાંના મોટા ભાગનાં ખેતમજૂરો જ છે. યુ.પી.ની જેમ અન્ય સરકારોએ પણ આગામી ચાર વર્ષ સુધી મજૂર કાયદાઓ સ્થગિત કર્યાં છે! કહેવાનો અર્થ છે આ સરકાર ખેડૂત, મજૂર, ગરીબ, વિદ્યાર્થી વિરોધી સરકાર છે. તેથી મોદી સરકારનું આ દેખીતું ‘હૃદયપરિવર્તન’ આગામી દિવસોમાં આવી રહેલી પાંચ રાજ્યોની ચૂંટણીનું દબાણ છે. પોતાની સઘળી તાકાત વાપર્યા છતાં, ૭,૦૦૦ કરોડ ખર્ચા છતાં, બંગાળનો પરાભવ તાજો છે. તેથી શૂરા બોલ્યા ન ફરે, એ ફર્યાં છે! સત્તાના મદમાં મસ્ત સરકારને કિસાન એકતાએ ઠેકાણે લાવી દીધી છે. હવે જ કિસાન આંદોલનની અને રાજનીતિની કસોટી છે. ભા.જ.પ.ના આ મતદાર કિસાનો ભા.જ.પ.થી નિભ્રાંત થયાં છે અને 'વોટ પે ચોટ’ના સૂત્રોચ્ચાર કરે છે, અને કુંભકર્ણની નિંદ્રામાં ખલેલ પાડી છે.
આમ છતાં, આ બિલ પાછા ખેંચતી વખતે પણ એમણે તંગડી તો ઊંચી જ રાખી છે! કિસાનોના એક જૂથને મનાવી ન શક્યાં એટલે બિલ પાછા ખેંચું છું. અરે ભાઈ, ભારતના કયાં કિસાન સંગઠને આ બિલનું સ્વાગત કરેલું એ તો બતાવો? એક બે મીડિયામાં ચમકેલાં એ પણ બનાવટી નીકળ્યાં! આ બિલ વાપસીના ભાષણમાં એક પણ શબ્દ, જીવ ગુમાવેલાં કિસાનો માટે નહીં? આ તમારી સંવેદનશીલતા?! તમે કહો છો કે કિસાનોના ભલા માટેના કાનૂન હતા તો કેમ તમે એકવાર પણ કિસાનોને મળવા ન ગયા? તમારા રહેઠાણથી કેવળ ૨૫ કિલોમીટર જ દૂર હતા! અયોધ્યા-સોમનાથના આંટાફેરા મરાય પણ જગતના તાતને મળવાનો સમય જ નહીં, અને હવે મગરના આંસુ! કિસાનોના હિતમાં આ બિલ હતા એ સરાસર જુઠ્ઠાણું છે. સંસદને વંદન કરીને સંસદમાં તમે પ્રવેશ્યા પછી તમે સતત સંસદનું ચીરહરણ કર્યું છે. કોઈ પણ સુધારો સંસદીય સમિતિની ચર્ચા વિચારણા પછી થાય એના બદલે સીધો ‘વટ્ટ હુકમ’. સંસદીય સમિતિની રચના જ નહીં! એ જ રીતે સાંસદો, સાથીપક્ષો સાથે વિધિવત્ની બેઠક વગર જ પાછો ખેંચવાની જાહેરાત! આ સરકાર છે કે કોઈ પેઢી? કૃષિસુધારણાઓ રાજ્યસરકારના ક્ષેત્રમાં આવે છે તો તમે કેન્દ્રીય હસ્તક્ષેપ દ્વારા પુનઃ સંસદીય ગરિમાનો ભંગ કર્યો. વળી, ચૂંટાયેલા પ્રધાનો ચેનલે ચેનલે કિસાનોને નક્સલવાદી, દેશદ્રોહી, ખાલિસ્તાની ગણાવે. તમે એકવાર પણ એક પણ નેતાને એ અંગે ટકોર્યા હતા? તેથી જ કિસાનનેતાને તમે જાહેરમાં બિલ પાછું ખેંચ્યું છતાં વિશ્વાસ નથી. કૃષિબિલ તમારા ઘોષણાપત્રનો ભાગ હતું જ નહીં. ઘોષણાપત્રમાં પ્રતિવર્ષ બે કરોડ નોકરીઓ હતી. ક્યાં છે? તમે જે નથી કરવાનું એ કરો છો, કરવાનું છે એ નથી કરતાં એનું નોટબંધી પછીનું આ બીજું ઉદાહરણ છે.
ભારતમાં ૬૦ કરોડ ખેડૂતો છે. એમના સંતાનો તમે જેની સાથે દિવાળી ઊજવી એ ભારતીય સેનામાં છે. જેણે કદી ગાય દોહી નથી, ગાયની સાની (ખોરાક) તૈયાર નથી કરી એ એકાએક કૃષિબિલ લાવી નાંખે? કિસાનસંગઠનોને બિલ આવતાં પહેલાં બોલાવી શકાત. અરે, બિલ પાછું ખેંચ્યું ત્યારે પણ કિસાનનેતાઓને બોલાવી, પત્રકાર પરિષદ બોલાવી, સન્માનપૂર્વક પાછું ખેંચી શકાત. બિલવાપસી પશ્ચાત્ના તમારા ભાષણમાં અહંકારમઢી નમ્રતા દેખાઈ જતી હતી. કૃષિબિલ લાવતા કે પાછું ખેંચતા સાથી પક્ષો કે વિરોધ પક્ષોને ય કંઈ નહીં પૂછવાનું? તમે ભારતના રાજા છો કે લોકતંત્રના વડા? ઉત્તર પ્રદેશથી ઉત્તરાખંડ, રાજસ્થાન વગેરે જગ્યાએ જગ્યાએ કિસાન આંદોલન સંદર્ભે થયેલી ધરપકડો તાકીદે રદ્દ કરો, સેંકડો કેસો પાછા ખેંચો, જો તમારામાં સંવેદનશીલતા બચી હોય તો.
આ આંદોલને બતાવી દીધું કે રાજનીતિ એ શિક્ષિતોનો ઠેકો નથી. પછી ચૂંટણીમાં વેરવાના અઢળક નાણાં જ છે, ભોંયુ પ્રચારમાધ્યમો ખડા પગલે ૨૪ ગુણ્યા ૭ [24 x 7] સેવામાં લાગેલાં રહેશે. ગામેગામ કિસાન આંદોલને નાની-નાની સભાઓ કરી તીવ્રપણે કોર્પોરેટ હાઉસની ગુલામી કરી રહેલ સરકારને ચૂંટણીમાં પરચો દેખાડવાનું કામ હજુ કરવું પડશે. શેરડીના ૭,૦૦૦ કરોડ સરકારને ચૂકવવાના બાકી છે, એ લેવાના છે. સમગ્ર ભારતમાં સૌથી વધુ મોંઘી વીજળી યુ.પી.માં છે, ઔદ્યોગિક એકમોને વીજળી-પાણીમાં અભૂતપૂર્વ લાભ અપાય છે એ ખેડૂતોએ માંગવો રહ્યો. ગુજરાતમાં નેનોને એક યુનિટ ૪૦ પૈસે વીજળી મળે છે! આંદોલનની ચાદર સમેટી લેવાને બદલે કિસાનોએ ભારતીય લોકતંત્રના તારણહાર બની, ભજન કરનારને ભગવાનના ભજન કરવા મોકલી દેવા જોઈએ. જેમને અદાણી અંબાણી પર ખૂબ જ વહાલ ઉભરાતું હોય એમને ત્યાં નોકરી કરવા મોકલી દેવા જોઈએ. પાંચ ટ્રિલિયન ઇકોનોમીની વાત કરનારાં તમે જે તબાહી સર્જી છે એને ‘રૂક જાવ’ કહેનાર કિસાન આંદોલન ધન્યવાદને પાત્ર છે.
સૌજન્ય : “નિરીક્ષક”, 01 ડિસેમ્બર 2021; પૃ. 04
![]()

