ગાંધીજી અને મુંબઈના જીવનનો એક યાદગાર દિવસ
૧૯૧૫ના જાન્યુઆરી મહિનાની નવમી તારીખ. શનિવાર. શિયાળો હજી ગયો નહોતો, અને ઉનાળાને આવવાને વાર હતી. જો કે તે દિવસે ભાગ્યે જ કોઈને એવો ખ્યાલ હતો, પણ હિન્દુસ્તાનના ઇતિહાસમાં આ દિવસ ખૂબ મહત્ત્વનો બની રહેવાનો હતો. તે દિવસે સવારે લગભગ સાડા સાત વાગે એસ.એસ. અરેબિયા નામનું જહાજ મુંબઈના બારામાં નાંગર્યું. બે ભૂંગળાંવાળું અને વરાળથી ચાલતું આ જહાજ ૧૮૯૮માં બંધાયું હતું અને તે પી. એન્ડ ઓ. નામની કંપનીની માલિકીનું હતું. કલાકના ૧૮ દરિયાઈ માઈલની ઝડપે ચાલતું આ જહાજ એ વખતે ખૂબ ઝડપી ગણાતું હતું. એ દિવસે એ જહાજ પર એક ખાસ મુસાફર અને તેમનાં પત્ની પણ હતાં. અગાઉથી સરકારની મંજૂરી લઈને એ બે મુસાફરો બીજા મુસાફરોની જેમ ગોદી પર નહિ, પણ એપોલો બંદર પર ઊતરે એવી ખાસ વ્યવસ્થા કરવામાં આવી હતી. સાધારણ રીતે વાઈસરોય અને રાજામહારાજાઓ જ આ રીતે એપોલો બંદર પર ઉતરી શકતા. એવું અસાધારણ માન મેળવનાર એ બે મુસાફરો તે મોહનદાસ કરમચંદ ગાંધી અને તેમનાં પત્ની કસ્તૂરબા.

જ્યાં ગાંધીજી અને કસ્તૂરબા ઊતર્યાં એ ગેટવે ઓફ ઇન્ડિયા બંધાયા પહેલાંનું એપોલો બંદર
ગાંધીજીને આવકારવા માટે એક ખાસ સ્ટીમ લોન્ચમાં મુંબઈના કેટલાક મહાનુભાવો એસ.એસ. અરેબિયા ઉપર ગયા હતા. તેમાં શેઠ નરોત્તમ મોરારજી, જમશેદજી બી. પીતીત, સર ભાલચંદ્ર કૃષ્ણ, બી.જી. હોર્નીમેન, બહાદુરજી વગેરેનો સમાવેશ થતો હતો. તો બીજી એક સ્ટીમ લોન્ચમાં નારણદાસ ગાંધી અને રેવાશંકર જગજીવન ઝવેરી ગાંધીજીને આવકારવા ગયા હતા. ગાંધીજી અને કસ્તૂરબા જ્યારે એપોલો બંદર પર ઊતર્યાં ત્યારે તેમને આવકારવા ત્યાં સેંકડો લોકો એકઠા થયા હતા. મૂળ યોજના તો એપોલો બંદર પર ગાંધીજીનો જાહેર સત્કાર કરવાની અને પછી સરઘસ આકારે તેમને શહેરમાં લઇ જવાની હતી. પણ સરકારે તે માટે મંજૂરી આપી નહોતી. એટલે એ વાત પડતી મૂકવી પડી હતી.
મુંબઈમાં આવતાંવેંત સભાઓ, મુલાકાતો, મિજબાનીઓ માટેની માગણીઓનો તો જાણે વરસાદ વરસ્યો હતો. ગાંધીજી મુંબઈ આવ્યા તે જ દિવસે ‘બોમ્બે ક્રોનિકલ’ નામના અખબારને તેમણે મુલાકાત આપી હતી. ૧૦મી તારીખે ગાંધીજી કેટલાક કુટુંબીજનોને મળવા બજારગેટ સ્ટ્રીટ ગયા હતા. ત્યાં તેઓ પહેલી વાર સ્વામી આનંદને મળ્યા હતા. પછીનાં વર્ષોમાં સ્વામી ગાંધીજીના નિકટના સાથી બન્યા હતા. તે જ દિવસે કોટ વિસ્તારમાં બે સત્કાર સમારંભ યોજાયા હતા. કોટ વિસ્તારના રહેવાસીઓ તરફથી પ્રભુદાસ જીવણજી કોઠારીની વાડીમાં, અને મોઢ વણિક જ્ઞાતિ તરફથી જીવણદાસ પીતાંબરદાસના બંગલે. એ વખતે ૧૭ વર્ષની ઉંમરના રઘુનાથ બ્રહ્મભટ્ટનું નાટક ‘બુદ્ધદેવ’ મુંબઈના એમ્પાયર થિયેટરમાં આશારામ મૂળજીની નાટક કંપની ભજવી રહી હતી. તેમણે પણ ગાંધીજી માટે સમારંભ યોજ્યો હતો. આ નાટકનું એક ગીત ‘સાર આ સંસારમાં ન જોયો’ આજ સુધી નાટકપ્રેમીઓની જીભ પર રમતું રહ્યું છે.

જે. બી. પીતિતના બંગલે પાર્ટીમાં ગાંધીજી અને કસ્તૂરબા
૧૧મી જાન્યુઆરીએ ઘાટકોપર ખાતે સન્માન સમારંભ યોજાયો હતો. રાવબહાદુર વસનજી ખીમજી પ્રમુખસ્થાને હતા. ચાંદીના કાસ્કેટમાં તેમને માનપત્ર અપાયું ત્યારે ગાંધીજીએ ભાષણમાં કહ્યું કે જેને માથે છાપરું નથી અને જેના ઘરને બારણાં નથી તેવા માણસને તમે સોના-ચાંદી આપો તે શા ખપનું? ૧૨મી જાન્યુઆરીએ ગાંધીજી અને કસ્તૂરબાના માનમાં એક શાનદાર સમારંભ પેડર રોડ પર આવેલા જે.બી. પીતિતના ‘માઉન્ટ પીતિત’ નામના બંગલે યોજાયો હતો. ત્યારે ૬૦૦ જેટલા ‘દેશી’ તેમ જ અંગ્રેજ મહેમાનો હાજર હતા. પ્રમુખસ્થાને હતા સર ફિરોઝશાહ મહેતા. એ સમારંભના ઠાઠ અને રૂઆબથી ગાંધીજી અકળાઈ ગયા હતા. કિંમતી ભેટો માટેનો અણગમો આ સમારંભમાં પણ તેમણે વ્યક્ત કર્યો હતો.
૧૩મી જાન્યારીએ હીરાબાગ ખાતે બોમ્બે નેશનલ યુનિયન તરફથી સભા યોજાઈ હતી. તે માટેનું આમંત્રણ ન હોવા છતાં બાળ ગંગાધર ટીળક તેમાં હાજર રહ્યા હતા એટલું જ નહિ, ભાષણ પણ કર્યું હતું. ૧૪મી તારીખે ગુજરાત સભા તરફથી ગિરગામના મંગળદાસ હાઉસ ખાતે ‘ગાર્ડન પાર્ટી’ યોજાઈ હતી. પ્રમુખસ્થાને હતા મહંમદઅલી ઝીણા. કનૈયાલાલ મુનશીએ ગાંધીજીનો પરિચય આપ્યો હતો. બંનેએ ગાંધીજીના મુક્ત કંઠે વખાણ કર્યાં હતાં. આ સમારંભમાં ઘણાંખરાં ભાષણો અંગ્રેજીમાં થયાં હતાં. ગાંધીજીએ જવાબ ગુજરાતીમાં આપ્યો હતો અને ગુજરાતીઓના મેળાવડામાં ભાષણો અંગ્રેજીમાં થયાં એ અંગે ટકોર કરી હતી. આત્મકથામાં ગાંધીજી નોંધે છે કે ગુજરાતીઓના કાર્યક્રમમાં ભાષણો અંગ્રેજીમાં થયાં એ અંગે આ રીતે ગુજરાતીમાં બોલીને મેં નાનકડો સત્યાગ્રહ કર્યો હતો. ૧૪મી તારીખે જ ગાંધીજીએ મુંબઈના ગવર્નર લોર્ડ વિલિન્ગડનની મુલાકાત પણ લીધી હતી. ૧૫મી તારીખે સાંજે મુંબઈની સ્ત્રીઓ તરફથી કસ્તૂરબાને માનપત્ર આપવામાં આવ્યું હતું. માધવ બાગમાં યોજાયેલા સમારંભમાં લેડી ફિરોઝશાહ મહેતા પ્રમુખસ્થાને હતાં. તે જ દિવસે ગોપાળ કૃષ્ણ ગોખલે મુંબઈ આવતાં ગાંધીજી તેમને મળવા ગયા હતા. તે જ દિવસે રાત્રે ગાંધીજી અને કસ્તૂરબા પોરબંદર, રાજકોટ, વગેરે કાઠિયાવાડનાં શહેરોમાં જવા માટે ટ્રેનમાં નીકળ્યાં. બંનેએ થર્ડ ક્લાસમાં મુસાફરી કરી હતી. એ વખતે કાઠિયાવાડ જવા માટે વિરમગામ સ્ટેશને ટ્રેન બદલવી પડતી. એ સ્ટેશને બ્રિટિશ રાજ્યની હદ પૂરી થતી અને દેશી રાજ્યોની હદ શરૂ થતી. એટલે વિરમગામ સ્ટેશને બધા મુસાફરોનો સામાન ખોલાવીને તપાસતા અને જકાત વસૂલતા. અને જરૂર લાગે તો મુસાફરની દાક્તરી તપાસ પણ કરતા. એ વખતે પ્લેગનો રોગચાળો ફેલાયો હતો અને મુસાફરીને દિવસે ગાંધીજીને થોડો તાવ હતો. એટલે એમની દાક્તરી તપાસ થઇ હતી પણ તેમને રોકવામાં આવ્યા નહોતા.

૧૯૧૫મા દક્ષિણ આફ્રિકાથી મુંબઈ આવ્યાં ત્યારે ગાંધીજી અને કસ્તૂરબા
ગાંધીજી દક્ષિણ આફ્રિકાથી હિન્દુસ્તાન પાછા આવ્યા તે પછી પચાસ વર્ષે, ૧૯૬૫માં, કનૈયાલાલ મુનશીએ લખ્યું હતું : “સૌ પ્રથમ તો ગાંધીજીએ અહિંસક આંદોલન દ્વારા રામરાજ્ય સ્થાપવાની વાત કરી ત્યારે એ કાળના નેતાઓએ એને સ્વપ્નદૃષ્ટાની તરંગલીલા કહી; ઘણાએ એમની વાતને હસી કાઢી; તેઓને લાગ્યું કે અવ્યવહારુ ધર્માત્માનું આ આંધળું સાહસ છે. પરંતુ ગાંધીજીની આ નવી પદ્ધતિ એ પછી તેમની પ્રેરણામાંથી જાગેલા આંદોલનમાં અજમાવાઇ, અને તેનું સામર્થ્ય સૌને સમજાયું. ગાંધીજીનો અહિંસાનો આગ્રહ નિર્બળતામાંથી નહોતો પ્રગટ્યો. એ શક્તિમાંથી આવ્યો હતો.” મુનશીના આ શબ્દો વાંચતાં સત્ય અને અહિંસાના પૂજારી ગાંધીજીને અંજલિ આપતાં કવિ કરસનદાસ માણેકે લખેલા લાંબા કાવ્ય ‘કલ્યાણયાત્રી’ની બે પંક્તિ યાદ આવે છે :
સત્યનું કાવ્ય છો બાપુ, કાવ્યનું સત્ય છો તમે,
ઝંખતી કાવ્યને સત્યે સૃષ્ટિ આ આપને નમે.
XXX XXX XXX
પ્રગટ : “ગુજરાતી મિડ-ડે”; 12 ઓક્ટોબર 2024
E.mail : deepakbmehta@gmail.com
![]()




કિશોરલાલ સમૂળી ક્રાન્તિનો વિચારપક્ષ લઈને આવ્યા છે. તદનુસાર, સમૂળી ક્રાન્તિ માટે માનવજીવનમાં અનિવાર્યપણે સંકળાયેલાં ધર્મ, અર્થ, રાજ્ય, કેળવણી એ ચાર ક્ષેત્રોમાં ક્રાન્તિ થવી જરૂરી છે. કિશોરલાલના લેખનની વિશેષતા એ છે કે દરેક ક્રાન્તિ માટે એમણે પૂરતી વિચારણા કરી છે, અને અ-પૂર્વ રોચક વિધાનો કર્યાં છે : જેમ કે, ધર્મોને ‘નિષ્પ્રાણ’ કહ્યા છે. આર્થિક ક્રાન્તિ માટે તેમાં ‘ચારિત્ર્ય’-ને ઉમેર્યું છે. લોકશાહીને સ્થાને ‘સુરાજ્ય’-નો પ્રકલ્પ દર્શાવ્યો છે. શિક્ષણ અને કેળવણી વચ્ચેનો ‘ભેદ’ આગળ કર્યો છે. વગેરે.
ગોવર્ધનરામ સાક્ષર અને તેના જીવનનો, એટલે કે, તેની પુરુષાર્થભરી કારકિર્દી વિશેનો, પોતાનો વિચારપક્ષ રજૂ કરે છે. લેખક સાક્ષરજીવનના પ્રકારથી વાત શરૂ કરીને, શુક, બાલ, લક્ષણ, એ ત્રણ દૃષ્ટાઓનાં સ્વરૂપ અને કાર્યપદ્ધતિ વીગતે સમજાવે છે. નૉંધપાત્ર વિશેષતા એ છે કે ગોવર્ધનરામ સાક્ષરત્વના ઇતિહાસને તેનાં મૂળ અને વ્યાપ સહિત રજૂ કરે છે. વિસ્તૃત પરિશિષ્ટ સહિતના ૨૫૪ પાનનો આ અપૂર્ણ ગ્રન્થ એ રીતે પૂર્ણ દીસે છે કે લેખકે એમાં અનેક જીવનકથાઓ, ઘટનાઓ અને દૃષ્ટાન્તો વડે તેમ જ લગભગ પાને પાને સંસ્કૃત અને અંગ્રેજી અવતરણો વડે પોતાનાં મન્તવ્યો પુષ્ટ કર્યાં છે. એ અર્થમાં સાક્ષરજીવનવિષયક વિચારપક્ષને ચૉક્કસ આધાર મળ્યો છે, આકાર મળ્યો છે. વગેરે.
હરારીનાં બધાં પુસ્તકોમાં તેમ “Nexus”-માં પણ એવી જ ગુણવત્તાઓ હાજર છે. આપણે જોઈ શકીએ છીએ કે હરારી માહિતી-જાળના ઇતિહાસને તેનાં મૂળ અને વ્યાપ સહિત પુસ્તક સમગ્રમાં રજૂ કરી રહ્યા છે. વળી, એમાં પણ વિષય-વિભાજન તેમ જ ઐતિહાસિક ઘટનાઓ, કથાઓ અને દૃષ્ટાન્તોના આધારો સાથેની સુચારુ વ્યવસ્થા છે, અને હરારીએ પોતે જ વાચકો માટે એ વ્યવસ્થાને, કહો કે, ફ્રૅન્ડલિ બનાવી આપી છે. પોતે પુસ્તકના દરેક ભાગમાં અને તેનાં પ્રકરણોમાં મુખ્ય શું અને કેમ પીરસ્યું છે અને ગૌણને કેમ ટાળ્યું છે, શું કહેવું પોતાને અભિપ્રેત છે અને પોતાની મર્યાદામાં રહીને શેને વિશે ચૂપ રહેવું છે, તે પૂરી વ્યવસ્થાની વાત એમણે વીગતે કરી છે, જુઓ :