આશ્ચર્ય, આઘાત અને રમૂજમિશ્રિત સમાચારો મળતા રહે છે, જેમાં આપણા શાસકો અને અમલદારોના બૌદ્ધિક સ્તર, ઇરાદાઓ, માનસિકતાનો પડઘો પડતો જોવા મળે છે.
આવકવેરા અધિકારીઓએ કોઈ શાળામાં જઈને ત્યાંનાં બાળકોને, તે મોટી વયનાં થાય ત્યારે, કરચોરી ન કરવાના શપથ લેવડાવ્યા. અરે મારા સાહેબો! ભવિષ્યની ચિંતા છોડો, અત્યારે આ પ્રકારના શપથ કોની પાસે લેવડાવવા તે આપ જાણો જ છો. નેતાઓ, ઉચ્ચ પદાધિકારીઓ, રમતવીરો, અભિનેતાઓ વગેરે પાસે જતાં આપ મહાનુભાવોને કોણ રોકે છે ? દેખીતો આવકનો કોઈ સ્રોત ન હોવા છતાં છાશવારે પોતાની પાસે અમુક કરોડોની સંપત્તિ હોવાનું ગર્વભેર જાહેર કરનાર કદાવર વ્યક્તિને પૂછો તો ખરા કે ‘ભાઈ, આટલી સંપત્તિ આવી ક્યાંથી ?’ અને બિચારાં નિર્દોષ બાળકો … કે પછી નબળો ધણી બૈરી પર શૂરો? (જો કે હવે બૈરીને શૂરાતન બતાવવાના દિવસો ગયાં.)
હમણાં વડીલ મહેન્દ્ર મેઘાણીએ પોતાના સાર્થક જીવતરનાં સત્તાણું વર્ષ પૂરાં કરી અઠ્ઠાણુંમાં વર્ષમાં પ્રવેશ કર્યો, ત્યારે one man institute જેવા મહેન્દ્રભાઈના પ્રદાનની નોંધ લેવાનું, આપણાં વર્તમાનપત્રો અને વિશ્વવિદ્યાલયો તથા વિવિધ જાહેર સંસ્થાઓ કેમ ચૂકી ગયાં હશે ? પણ એ નથી કોઈ રાજકીય હસ્તી, કોઈ ઉદ્યોપગતિ, કોઈ અમલદાર – પછી આમ જ થાયને? આપણી પાસે કોઈ શપથ લેવડાવ્યા વિના તેમણે આપણાં બાળકોને ઉમદા વાચન મળે તે માટે જાત ઘસી નાખી છે. એમનાં નામ અને કામથી અજાણ નાગરિકો અને અધ્યાપકો પણ મળી રહેવાની પૂરી સંભાવના.
ભૂતપૂર્વ ધારાસભ્યો પેન્શનની માગણી લઈ મેદાનમાં આવ્યા છે. સહેજે પચીસ-ત્રીસ લાખ ખર્ચીને વિજેતા થયેલા અને તે પછી વિવિધ આર્થિક લાભ મેળવનારા આ સેવકોની (!) કફોડી હાલત માટે દયા ખાવી રહી. નોકરીમાં નવાસવા જોડાયેલા યુવાનોને વિદ્યાસહાયક / અધ્યાપક-સહાયકના રૂપાળા નામે, ‘સમાન કામ, સમાન વેતન’ના નિયમને અવગણી પાંચ વર્ષ શોષણ કરવાનું અને પછી નિવૃત્તિકાળે ‘પેન્શન’થી વંચિત રાખવાના. એમના વતી કોણ બોલશે?
ખલેલ પહોંચાડે એવા ઘટનાઓ બનતી જ રહે છે. આકાશ વિજયવર્ગીય જેલમાંથી બહાર આવે તો તેને આવકારવા તેના સમર્થકો પહોંચી જાય. મીઠાઈ વહેંચવામાં આવે. There are many to bat for him. આપણી સહાનુભૂતિ તો જેના પર આકાશ તૂટી પડ્યું, એ સહાયક અમલદાર માટે જ હોય.
કેટકેટલાની ચિંતા કરવાની? સ્વામી આનંદે તેમના પુસ્તક ‘બાહ્યાન્તર યાત્રા’માં તુલસીદાસના એક પદનો ઉલ્લેખ કર્યો છે, જેમાં આ સંતકવિ કહે છે. આયખું અલ્પ છે, વેદ, પુરાણ, કાવ્યકલાનો વ્યાપ મોટો છે, ચિત્ત ક્યાં ક્યાં પરોવવું? ‘બાતન કી એક બાત’ જન્મ સુધારવો હોય, તો રામનામ લેવું.
આપણે ય સો વાતની એક વાત – બાતન કી એક બાત – સાક્ષીભાવે બધું નિહાળ્યા કરવું. ન મૂંગા રહેવાય, ન બોલાય. ભલા લોકો પર સિતમ ગુજારાય ત્યારે જે.પી., લોહિયા, ઉમાશંકર, માવળંકર વગેરેની ખોટ ખૂબ સાલે છે. ક્યારેક એમના બરની કોઈ પ્રતિભા મળી રહેશે, એ શ્રદ્ધાના બળે ટકી જવાશે.
ગાંધીનગર
સૌજન્ય : “નિરીક્ષક”, 16 જુલાઈ 2019; પૃ. 15
![]()


અમારા પરિવારમાં ઉત્તરોત્તર પિતૃમાતૃભ્રાતૃમૂર્તિવત્, મારા તો જો કે બહુધા બિરાદર જેવા બની રહેલા મનુભાઈએ વર્ષો પર નયનાની શૈક્ષણિક મથામણ અને કંઈક વ્યાકુળ વૈષ્ણવી આરત જોઈને એને કહેલું કે તું અનિલભાઈને મળ. આ લખું છું, ત્યારે જોઉં છું કે મનુભાઈ લૉબીનું પગથિયું ઊતરવામાં છે અને એક હાથ ઊંચો કરી, અનાયાસ જ ઊંચે દીવા ભણી તર્જની ચીંધી કહે છે : ‘હું તો કેળવણીકાર છું, પણ શિક્ષક તો અનિલ છે.’ બનતાં બની આવેલી એમની આ મુદ્રા સંભારું છું, ત્યારે એમનાં અતિપ્રિય બાઇબલવચનો સ્મૃતિમાં દડી આવે છે કે દીવાને ટોપલા તળે ઢાંકશો મા. એને તો ડુંગરટોચે સ્થાપો, જેથી સૌને એનો પ્રકાશ મળે.
આ ચાન્સેલર એ રવીન્દ્ર-પરંપરામાં ‘આચાર્ય’ તરીકે ઓળખાય છે, જેમ ઉમાશંકર જોશી શાંતિનિકેતનના આચાર્ય થયા હતા. વસ્તુતઃ રવીન્દ્રનાથ અને શાંતિનિકેતનને અહીં ચહીને સંભાર્યા છે. રવીન્દ્રનાથ ગ્રામલક્ષ્મીને, પ્રકૃતિને ચાહનારા અને સૌંદર્યના ઉપાસક હતા. આપણે ત્યાં ક્વચિત્શ્રેયસ કે ક્વચિત્ ચી.ન. વિદ્યાવિહાર જેવી શાળાઓને સાચદિલ પણ હુલાવીફુલાવીને શાંતિનિકેતન કહેવાયેલ છે. કરાંચી-માંગરોળના શારદાગ્રામ વિશે પણ આવી સરખામણીનો સહજ ઉમળકો પ્રસંગે પ્રગટ થયેલ છે. પણ આંબલા જેવા ગામડામાં, વંચિતબહુલ શાળામાં સૌંદર્યાનુભવ શક્ય બને ત્યારે તે આ બધાં ઉદાહરણોને વટી જતી ગાંધી-રવીન્દ્ર મિલનભૂમિની એક નવી જ મિસાલ કાયમ કરે છે.