નરેન્દ્ર મોદી ૨૦૧૪ કરતાં પણ વધુ બેઠકો સાથે લોકસભાની ચૂંટણી જીત્યા, ત્યારે મારાં બે અનુમાન હતાં અને હજુ આજે પણ છે કે તેઓ આ વખતે તેમની બીજી મુદ્દત દરમ્યાન આર્થિક મોરચે ધ્યાન કેન્દ્રિત કરશે અને અર્ણવ ગોસ્વામીઓને તેમ જ આર્મી ઓફ ટ્રોલ્સને ડામીને રાખશે. આવાં બે અનુમાન કરવા પાછળનાં અનેક કારણો છે.
વાચકોને યાદ હશે કે પાંચ વરસના અંતે નરેન્દ્ર મોદીએ તેમની સિદ્ધિઓ બતાવીને લોકસભાની બીજી મુદ્દત માટે મત નહોતા માગ્યા; પરંતુ તેમણે દેશપ્રેમ, રાષ્ટ્રવાદ અને કૉન્ગ્રેસનો ઇતિહાસ યાદ કરાવીને મત માગ્યા હતા. તેઓ ચૂંટણી ભલે જીતી ગયા, પરંતુ તેમને પોતાને એટલી તો જાણ હોય જ કે તેમની પહેલી મુદ્દત આર્થિક મોરચે નાદારીની હતી તે ત્યાં સુધી કે તેઓ કોઈ બાબતે શ્રેય લઈ નહોતા શક્યા. તેમને (અને વાચકોને પણ) એ વાતની યાદ હશે કે આગલી યુ.પી.એ. સરકાર સામે પોતે ઝાંખા ન દેખાય એ માટે જી.ડી.પી.ના માપદંડ બબ્બે વાર સુધારવામાં આવ્યા હતા. પહેલીવારમાં માપદંડને બદલીને યુ.પી.એ. સરકારનો જી.ડી.પી. ઘટાડી નાખ્યો હતો અને એ પછી હજુ એક વાર જી.ડી.પી.નો માપદંડ બદલીને પોતાનો વધારી દીધો હતો. આને રમતગમતની ભાષામાં ખેલદિલીનો અભાવ કહેવાય અથવા અંચઈ કહેવાય, પણ સમરથ કો નહીં દોષ ગુંસાઈ.
તેમને (અને વાચકોને પણ) એ વાતની પણ યાદ હશે કે તેમણે રિઝર્વ બેંકની મરણ મૂડી માગવી પડી હતી અને એવું ભારતના ઇતિહાસમાં પહેલીવાર બન્યું છે. નબળામાં નબળી સરકારે રિઝર્વ બેંકની મરણ મૂડી નથી માગી. સરકારે જ્યારે ડોશીની મરણમૂડી વાપરવાની જીદ કરી ત્યારે તેના વિરોધમાં રિઝર્વ બેંકના ગવર્નર ડૉ. ઊર્જિત પટેલે રાજીનામું આપી દીધું હતું. તેમને (અને વાચકોને પણ) એ વાતની પણ યાદ હશે કે રિઝર્વ બેંકના બબ્બે ગવર્નરો, કેન્દ્ર સરકારના આર્થિક સલાહકાર, નીતિ આયોગના ડેપ્યુટી ચેરમેન જેવા દેશનું અર્થતંત્ર સંભાળનારા અડધો ડઝન ચાવીરૂપ માણસો મુદ્દત પૂરી કર્યા વિના જતા રહ્યા છે અને તેમને એ વાતની પણ યાદ હશે કે તેમની જગ્યાએ કોઈ તેજસ્વી માણસ આવવા રાજી નથી. બી.એસ.સી. થયેલા માણસને રિઝર્વ બેકનો ગવર્નર બનાવવો પડ્યો છે, અર્થશાસ્ત્રમાં કોઈ ખ્યાતિ નહીં ધરાવનારા કોઈ એક અજાણ્યા આંગળિયાતને નીતિ આયોગનો ડેપ્યુટી ચેરમને બનાવવો પડ્યો છે અને આર્થિક સલાહકારની જગ્યા એક વરસથી ખાલી પડી છે.
તેમને (અને વાચકોને પણ) એ વાતની પણ જાણ હશે કે બેકારીનો દર વધી રહ્યો છે એવું કહેનાર ચાવીરૂપ સરકારી સંસ્થા નેશનલ સેમ્પલ સર્વેનો અહેવાલ દબાવી દીધો હતો. સરકાર પોતે જ પોતાની એજન્સીઓના અહેવાલ અને એ પણ સેમ્પલ સર્વેને દબાવે અને તેનો અસ્વીકાર કરે એવું પણ ભારતમાં પહેલી વાર બન્યું હતું. નેશનલ સેમ્પલ સર્વેની રચના શબ્દ જ સૂચવે છે એમ નમૂનારૂપ ડેટા એકઠા કરવા માટે કરવામાં આવી હતી જેને આધારે સરકાર પ્રાથમિકતા નક્કી કરી શકે અને જરૂર પડ્યે પ્રાથમિકતા બદલી શકે. જો રોજગારીમાં ઘટાડો થતો નજરે પડે તો સમજદાર શાસકો તેનો ઘટાડો કેમ રોકવો અને રોજગારી કઈ રીતે પેદા કરવી એ વિષે વિચારવા માંડે. શાસકોને સમયાંતરે નેશનલ સેમ્પલ સર્વે સેમ્પલ ડેટા ચકાસીને જાણ કરતી રહે કે દેશમાં શું બની રહ્યું છે. ઉદ્દેશ એ છે કે શાસકો ઊંઘમાં ઝડપાઈ ન જાય. નરેન્દ્ર મોદી દેશના પહેલા એવા શાસક છે જેમણે જગાડનારને જ ઓરડામાં પૂરી દીધો.
આટલાં પ્રમાણ પૂરતાં છે, નહીં? જો હજુ વધુ જોઈતાં હોય તો પંદર-વીસ બીજાં મળી શકે એમ છે. નરેન્દ્ર મોદી આ બધું જાણે છે એટલે તેમણે ૨૦૧૯ની લોકસભાની ચૂંટણી દેશપ્રેમ અને રાષ્ટ્રવાદને નામે લડી હતી, કૉન્ગ્રેસને ગાળો આપીને લડી હતી; સિદ્ધિઓના નામે નહોતી લડી. પ્રજાને ભૂલવાડી દેવાય, પણ કર્તાને તો યાદ જ હોય જ કે આપણે શું ઉકાળ્યું છે.
આ હકીકત જોઈને મને એમ લાગતું હતું કે હવે તેમને બીજી મુદ્દત મળી જ છે તો તેનો ઉપયોગ તેઓ આર્થિક મોરચે ધ્યાન આપીને કરશે. જો દેશના સફળ વડા પ્રધાનમાંના એક તરીકે અમર થવું હોય તો આ કર્યે જ છૂટકો છે. દેશપ્રેમને બહેકાવીને અને બીજાને ગાળો દઈ દઈને તમે ક્યાં સુધી રોડવો? તમારે તમારું રળતર કરવું જ રહ્યું. અમર બનવાનો આ જ એક માર્ગ છે અને નરેન્દ્ર મોદી તો પાછા મહત્ત્વાકાંક્ષી માણસ છે. બીજું, જાગતિક સ્તરે આર્થિક પડકારો ઘણા મોટા છે અને તે વધવાના છે. જાગતિક મંદી, નિકાસમાં ઘટાડો, ચીન સાથેની હરીફાઈ, રોબોટાઈઝેશન, અમેરિકા-ઈરાન વચ્ચેની તંગદિલી, ભારતને આપવામાં આવેલો ખાસ દરજ્જો અમેરિકાએ રદ્દ કર્યો વગેરે પ્રકારના અનેક પડકારો ઊભા છે અને તેમાં વધારો જ થવાનો છે. એ રીતે પણ વડા પ્રધાને આર્થિક મોરચે ધ્યાન આપવું પડે એમ છે.
મારા સહિત દેશમાં અનેક લોકોને એમ લાગતું હતું કે આ વખતે વડા પ્રધાન કોઈ પ્રોફેશનલ ઈકોનોમિસ્ટને નાણા પ્રધાન બનાવશે જેમ પી.વી. નરસિંહ રાવે ડૉ. મનમોહન સિંહને બનાવ્યા હતા. વડા પ્રધાને નિર્મલા સીતારામનને નાણા પ્રધાન બનાવ્યાં ત્યારે જ અડધી ઉમેદ આથમી ગઈ હતી. આનો અર્થ એવો નથી કે નિર્મલા સીતારામન કાંઈ કરી શકે એમ નથી અને નિષ્ફળ નીવડવાનાં છે. તેઓ કદાચ જાદુ કરી પણ શકે, પરંતુ તેમની પૃષ્ઠભૂમિ જોતાં એવી શક્યતા બહુ ઓછી છે. આમ કેટલીક બાબતે સફળતા મેળવીને અમર બનવા માટે બીજી વાર દાવ રમવા મળ્યો હોવા છતાં પણ વડા પ્રધાને તેને ગંભીરતાથી લીધો નથી એમ તેમનું પ્રધાન મંડળ જોતાં લાગે છે. એક વિદેશ પ્રધાન છોડીને એ જ જૂના ચહેરાઓ છે જેમાંના ૯૦ ટકા લોકો પહેલી મુદ્દતમાં કાંઈ ઉકાળી શક્યા નહોતા.
બીજી વાર દાવ રમવા અને રેકોર્ડ સુધારવાની તક બહુ ઓછા નસીબદાર લોકોને જ મળતી હોય છે. નરેન્દ્ર મોદી આવા નસીબદાર છે અને છતાં ય કોઈ સજ્જ માણસને નાણા પ્રધાન બનાવીને મંગલાચરણ કરવાની જગ્યાએ નિર્મલાચરણ કર્યું છે. આમ અડધી ઉમેદ તો જતી રહી છે.
હવે રહી બીજાં અનુમાનની વાત તો એ આવતા અઠવાડિયે.
[‘વાત પાછળની વાત’, નામક લેખકની કટાર, “ગુજરાતમિત્ર”, 06 જૂન 2019]
![]()


મસમોટાં વ્યવસ્થાતંત્રોની બેદરકારી અને મોટા ભાગના નાગરિકોની સંવેદનહીનતાની વચ્ચે, એકલા હાથે સેંકડો ઝાડ ઉછેરી પોતાના વિસ્તારોને હરિયાળા રાખનારા એકલવીર વૃક્ષપ્રેમીઓ વિરોધાભાસ અને પ્રેરણા બંને પૂરાં પાડે છે. કર્ણાટકનાં 106 વર્ષનાં થિમ્માકા એમાંનાં જ એક છે. આ વર્ષે માર્ચ મહિનામાં તેમને પદ્મશ્રી સન્માન એનાયત કરવામાં આવ્યું. થિમ્માક્કાએ ગયાં પાંસઠ વર્ષમાં આઠ હજાર ઝાડ ઊછેર્યાં છે, જેમાં 384 જેટલાં વડનાં ઝાડનો પણ સમાવેશ થાય છે. થિમ્માકા બેંગલોરથી સિત્તેરેક કિલોમીટર પર આવેલાં હુલિકલ ગામમાં રહે છે. અહીંથી ચાર કિલોમીટર પર આવેલાં કુદુર ગામની વચ્ચેના રસ્તાની બંને બાજુએ તેમણે વાવેલાં વડથી લીલી કમાન બની ગઈ છે. આ શીતળ રસ્તો ય થોડાંક વર્ષો પહેલાં જેમને આકરો લાગતો હતો તેવા વૃક્ષશત્રુઓએ કેટલાંક વડ કાપવા માટેની હિલચાલ શરૂ કરી, જેનો ગામના સભાન નાગરિકોએ વિરોધ કર્યો, પોલીસ ફરિયાદ થઈ, માધ્યમોમાં વાત ઝળકી અને થિમ્માક્કાનું કામ કર્ણાટકમાં કંઈક જાણીતું થયું. અત્યારે તેઓ દુનિયાભરમાં જાણીતાં છે. બી.બી.સી.એ 2016માં થિમ્માક્કાનો વિશ્વનાં સહુથી પ્રભાવશાળી અને પ્રેરણાદાયી એવી સો મહિલાઓની યાદીમાં સમાવેશ કર્યો. ઉપરાંત તેમને દેશ અને દુનિયાનાં અનેક સન્માનો મળી ચૂક્યા છે. રાષ્ટ્રપ્રમુખે તેમને પદ્મશ્રી સન્માન આપ્યું ત્યારે તેમણે રામનાથ કોવિંદને માથે હાથ મૂકીને આશીર્વાદ આપ્યા. દેશના ઇતિહાસમાં આવો આ પહેલો જ કિસ્સો હતો. કોવિંદે તેમની ટ્વિટમાં આ મતલબનું લખ્યું : ‘પદ્મ પુરસ્કારના સમારંભમાં ભારતની સહુથી ઉત્તમ અને સુપાત્ર વ્યક્તિઓને માન આપવાનો વિશેષાધિકાર રાષ્ટ્રપતિને હોય છે. પણ આજે દેશનાં સૌથી મોટી ઉંમરના પદ્મ સન્માનિત વ્યક્તિ એવાં, કર્ણાટકનાં 107 વર્ષનાં પર્યાવરણવિદ્દ સાલુમરદા થિમ્માક્કાએ મને આશીર્વાદ આપવાનું ઉચિત માન્યું તે વાત મને સ્પર્શી ગઈ છે.’ થિમ્માક્કાને કન્નડામાં લોકો ‘સાલુમરદા’ એટલે કે ‘વૃક્ષોની હરોળ વાવનાર’ તરીકે ઓળખે છે. તેમના ગૌરવ માટે વપરાતા બીજા કેટલાક શબ્દો છે ‘વનમિત્ર’, ‘નિસર્ગરત્ન’, ‘વૃક્ષશ્રી’, ‘પરિસરમાતા’ અને ‘વૃક્ષમાતા’.
