રે કોરોના જીવનપથનો પ્રશ્ન સંકીર્ણ કીધો
ગોઝારા તેં જગસકલને છેહ કેવો છ દીધો.
આવું તો ના કદી પણ બન્યું વિશ્વના યુદ્ધમાંયે
વૈજ્ઞાનિકો મૂંઝવણમહીં ઝૂઝતા છે સદાયે.
છે ચાઈના, ઈટલી, અમરિકા જુઓ પૂર્ણ ત્રસ્ત
સર્વે સ્થિત સ્વગૃહનગરે અદ્યપિ અસ્તવ્યસ્ત.
આ કોરોના સ્થલજલ વિશે દૃશ્ય ના, તોય વ્યાપ્ત
ને પૃથ્વીના સકલજનને માત્ર પીડા જ પ્રાપ્ત.
કોઈ બેસી નિજઘરમહી દૈવને દોષ દેતું
શું સત્તાનો કસૂર પણ હોઈ શકે, કોઈ કહેતું.
આ તે કેવી વિકટ ઘડી કે વ્યગ્ર વ્યાકુળ વિશ્વ
ના કોઈનો અમલ જરીયે, દીર્ઘ કે હોય હ્રસ્વ.
ભીતિ લૈને લય પ્રલયની સંભ્રમે સૃષ્ટિ સ્તબ્ધ,
અંતે ઉર્વી પ્રકૃતિ પરિતોષે પરિપુષ્ટિ લબ્ધ.
સૌજન્ય : “નિરીક્ષક” − ડિજિટલ આવૃત્તિ; 24 ઍપ્રિલ 2020
![]()


કોરોના વાઇરસનું કારણ શોધવાનું આટલું બધું દુષ્કર લાગે તેમ છે. કોરોના વાઇરસે મૂડીવાદી અર્થવ્યવસ્થાને લગભગ આવા અગોચર સ્તરે લાવીને મૂકી દીધી છે. મૂડીવાદનાં નયનો કામણ પાથરનારાં છે. કારણ કે એમાં અમાપ વપરાશનું અને અતિ ઉચ્ચ જીવન ધોરણનું કાજળ ભરપૂર માત્રામાં ઠાંસીઠાંસીને ભર્યું છે. એ મુઠ્ઠીભર અમીર લોકોની પસંદ છે, એટલું જ નહીં પણ તે તેમની સાથે તાલ મિલાવતા દુનિયાભરના સત્તાધીશોને વધુ ગમે છે. પણ આ કાજળની કાળાશ છતી થઈ ગઈ છે. હવે એ કેટલી કોને ગમે છે એનું માપ કોરોના પછીના અર્થતંત્ર – રાજતંત્રનો પાયો બનશે.
કોરોના વાઇરસના શરૂઆતના તબક્કે તેને ફેલાવવામાં ધાર્મિક રીતરિવાજોની પણ નોંધપાત્ર ભૂમિકા રહી છે. બીજી તરફ, વાઇરસના ખોફને પારખ્યા પછી ઘણાં ધાર્મિક સંગઠનો વહેલાં કે મોડાં જાગ્યાં પણ છે. આ બંને બાબતોનાં કેટલાંક ઉદાહરણ.