ભારત સરકાર કહે છે એમ રિલાયન્સનું નામ સૂચવવામાં ભારત સરકારની કોઈ ભૂમિકા નથી તો શું ફ્રાન્સના ભૂતપૂર્વ પ્રમુખ ખોટું બોલે છે? જો ઓલાન્દ ખોટું બોલતા હોય તો કહો કે ઓલાન્દ જુઠ્ઠાડા છે, પણ ભારત સરકારના વકીલો એમ પણ નથી કહેતા કે ઓલાન્દ જૂઠું બોલે છે
હવે આબરૂ ઢાંકવા માટે અંજીરનું પાન પણ બચ્યું નથી. રાફેલ વિમાનસોદામાં થયેલા ભ્રષ્ટાચારમાં ધ્રુજારી પેદા કરતો ધડાકો ફ્રાન્સના ભૂતપૂર્વ પ્રમુખ ફ્રાન્કોઇસ ઓલાન્દે કર્યો છે. ગયા વરસે ભારત સરકારે દ’સૉલ્ટ એવિયેશન કંપની સાથે વિમાનનો સોદો કર્યો ત્યારે ઓલાન્દ ફ્રાન્સના પ્રમુખ હતા. તેમણે કહ્યું છે કે ભારત સરકારે (ભારત સરકારે એટલે કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પોતે, કારણ કે સોદો કરવામાં આવ્યો ત્યારે એ સમયના સંરક્ષણપ્રધાન મનોહર પર્રિકરને ફ્રાન્સ નહોતા લઈ જવામાં આવ્યા) રિલાયન્સનું નામ સૂચવ્યું હતું અને એ પછી અમારે કાંઈ કહેવાપણું કે કરવા જેવું હતું જ નહીં. આમ કોણ કહે છે? ફ્રાન્સના એ સમયના પ્રમુખ ખુદ.
થોભો. એ પછી શુક્રવારે ફ્રાન્સની વર્તમાન સરકારના સંરક્ષણમંત્રાલયે ખુલાસો કરતું એક નિવેદન બહાર પાડ્યું છે જેમાં કહેવામાં આવ્યું છે કે દ’સૉલ્ટ એવિયેશન કંપની ભારતમાં કોને ભાગીદાર બનાવે છે એની સાથે ફ્રાન્સ સરકારને કોઈ લેવા-દેવા નથી. જે કંપનીને ભાગીદાર તરીકે પસંદ કરવામાં આવી હોય એને માટે ભારત સરકાર અનુકૂળ હોવી જોઈએ. અમારા માટે આટલું પૂરતું છે. આનો અર્થે થયો કે ફ્રેન્ચ સરકારે દ’સૉલ્ટ કંપનીને કહી દીધું હતું કે કંપની ભારતીય ભાગીદાર તરીકે જેને પણ પસંદ કરો એ કંપની માટે ભારત સરકારની મંજૂરી છે. બે દેશ વચ્ચેના સંબંધોને આંચ ન આવવી જોઈએ.
હવે કહો, દ’સૉલ્ટ એવિયેશન કંપનીએ ભારતીય ભાગીદાર તરીકે કઈ કંપની પસંદ કરી હતી? હિન્દુસ્તાન ઍરોનૉટિક્સ લિમિટેડ (HAL)ને. કોના કહેવાથી? આગળની યુનાઇટેડ પ્રોગ્રેસિવ અલાયન્સની સરકારના કહેવાથી. શા માટે ભારત સરકારે HAL માટે આગ્રહ રાખ્યો હતો? કારણ કે એ ભારત સરકારની માલિકીની છે અને બીજું, વિમાન બનાવવાનો પાંચ દાયકાનો અનુભવ છે. ભારતમાં બીજી એક પણ કંપની નથી જે HAL જેટલો અનુભવ અને ક્ષમતા ધરાવતી હોય.
તો ભારત સરકારે દ’સૉલ્ટ એવિયેશનની ભારતીય ભાગીદાર કંપની તરીકે HALને પસંદ કરી હતી અને દ’સૉલ્ટ અને HAL ભાગીદારીની દિશામાં તૈયારી કરવા માટે મંજૂરી પણ આપી દીધી હતી. ફ્રાન્સની સરકારના શુક્રવારના નિવેદન મુજબ ફ્રાન્સ સરકારને કોઈ વાંધો હતો જ નહીં કારણ કે વિમાનનો સોદો ભારત સરકાર અને દ’સૉલ્ટ વચ્ચેનો હતો, પૈસા ભારત સરકારે આપવાના હતા અને ભવિષ્યની ભાગીદારી માટે જે કંપની પસંદ કરવામાં આવી હતી એ ભારત સરકારને મંજૂર હતી બલકે ભારત સરકારે જ એને પસંદ કરી હતી.
એ પછી દ’સૉલ્ટ અને HAL વચ્ચે વાતચીત શરૂ થાય છે, પણ હમણાં કહ્યું એમ ભારત સરકાર તો કેન્દ્રમાં હતી જ; કારણ કે રૂપિયા ભારત સરકારે ચૂકવવાના હતા અને વિમાન દેશના સંરક્ષણ માટે ખરીદવાનાં હતાં, ૨૬મી જાન્યુઆરીએ પરેડમાં બતાવવા માટે નહીં. દ’સૉલ્ટ પાસેથી કેટલાં વિમાનો રેડી ટુ ફ્લાય કન્ડિશનમાં લેવાં, કેટલાં ભારતમાં બનાવવાં, કેટલી ટેક્નૉલૉજી ફ્રેન્ચ કંપની HALને ટ્રાન્સફર કરશે, વિમાનનું કેટલું ઉત્પાદન ભારતમાં થશે, કેટલું ફ્રાન્સમાં થશે, કુલ મળીને કેટલો સમય લાગશે, ફ્રેન્ચને ટ્રાન્સફર કરેલી ટેક્નૉલૉજી હંગામી હશે કે કાયમ માટે હશે, તૈયાર વિમાનની કિંમત કેટલી અને ટેક્નૉલૉજીની કિંમત કેટલી એ દરેક બાબતે ચર્ચા કરવામાં આવી હતી. આ બધી ચર્ચા ભારત સરકાર કરી રહી હતી, કારણ કે રૂપિયા ભારત સરકાર ચૂકવવાની હતી અને તકાદો ભારતના સંરક્ષણનો હતો.
એ પછી જે ગેમ થઈ ગઈ એ વિશે હું આ કૉલમમાં લખી ચૂક્યો છું. ૨૦૧૫ની ૧૦ એપ્રિલે વડા પ્રધાનની ફ્રાન્સની મુલાકાતની તૈયારી ચાલી રહી હતી એ પહેલાં ૨૫ માર્ચે દ’સૉલ્ટ કંપનીના CEOએ સોદાની તૈયારી વિશે સંતોષ વ્યક્ત કરતાં કહ્યું હતું કે તેમની HALના અધ્યક્ષ સાથેની વાતચીત સફળ રહી હતી. બધી જ તૈયારીઓ થઈ ગઈ છે અને સમજૂતીની વિગતો સ્પષ્ટ થઈ ગઈ છે. તેમના શબ્દોમાં – હું કેટલો ખુશ છું એની કલ્પના તમે નહીં કરી શકો. દ’સૉલ્ટ અને HALની જવાબદારીઓની ભાગીદારી(ટેક્નૉલૉજી આપવાની અને ૭૦ ટકા ઉત્પાદન HAL ભારતમાં કરશે)ની બાબતમાં અમે પ્રતિબદ્ધ છીએ. મને હવે ખાતરી છે કે બહુ જલદી સોદા પર હસ્તાક્ષર થવાના છે અને એ વાતે હું ઉત્સાહિત છું. આ નિવેદન વડા પ્રધાન ફ્રાન્સ જાય એના ૧૬ દિવસ પહેલાંનું છે.
વડા પ્રધાન ફ્રાન્સ જવાના હતા એના એક અઠવાડિયા પહેલાં ભારત સરકારના વિદેશસચિવ શું કહે છે એ જુઓ: તેમણે પણ એ જ વાત કરી હતી જે દ’સૉલ્ટના CEOએ કરી હતી. તેમણે કહ્યું હતું કે રાફેલ વિમાન બનાવનારી ફ્રેન્ચ કંપની, દેશનું સંરક્ષણમંત્રાલય અને HAL સોદાને આખરી ઓપ આપી રહ્યાં છે. આ ભારતના વિદેશસચિવનું નિવેદન છે. ૨૦૧૫ની ૧૦ એપ્રિલે વડા પ્રધાન ફ્રાન્સ જાય છે અને રાફેલના કરવામાં આવેલા સોદામાંથી HAL ગાયબ થઈ જાય છે. HALને ગાયબ કરવામાં આવશે અને તેની જગ્યાએ અનિલ અંબાણીની રિલાયન્સ ડિફેન્સ નામની તાજી-તાજી રજિસ્ટર થયેલી કંપની દાખલ થશે એની બે અઠવાડિયાં પહેલા સુધી દ’સૉલ્ટના CEOને (આઇ રિપીટ CEOને) તેમ જ ભારત સરકારના વિદેશસચિવને અઠવાડિયા પહેલાં સુધી જાણ પણ નહોતી. કેટલી સીક્રેટ ગેમ હતી એની કલ્પના કરી જુઓ. એ સમયે રિલાયન્સ ડિફેન્સ કાગળ પણ અસ્તિત્વ ધરાવતી કંપની હતી.
ફ્રાન્સના ભૂતપૂર્વ પ્રમુખ કહે છે કે ભારત સરકારે (નરેન્દ્ર મોદી વાંચો) રિલાયન્સનું નામ આપ્યું હતું એમાં અમે શું કરીએ? ફ્રાન્સની વર્તમાન સરકાર કહે છે કે દ’સૉલ્ટ એવિયેશન જે કોઈ ભારતીય કંપની સાથે ભાગીદારી કરે એ ભારત સરકારને પસંદ છે કે નહીં એની સાથે અમને લેવા-દેવા છે એનાથી વધુ નહીં. વેચનાર, ખરીદનાર અને લાંબા ગાળાના ભાગીદાર વચ્ચે સહમતી હોય એટલું અમારા માટે પૂરતું છે.
આવો ખુલાસો કે બચાવ ફ્રાન્સના આજી-માજી શાસકો કરી શકે, ભારત સરકાર પણ કરે? અરે ભાઈ રૂપિયા તમારા ખિસ્સામાંથી જાય છે અને સંરક્ષણનો પ્રશ્ન તમારા દેશનો છે. ફ્રન્સને શું લેવા-દેવા? રૂપિયા અને ભવિષ્યનો તકાદો તમારો છે. આમ છતાં આપણા વકીલ-કમ-બ્લૉગર નાણાપ્રધાન અરુણ જેટલી અને કાયદાપ્રધાન રવિશંકર પ્રસાદ કહે છે કે રિલાયન્સનું નામ આગળ કરવામાં ભારત સરકારની કોઈ ભૂમિકા નથી. એ તો એ બે કંપની (દ’સૉલ્ટ અને રિલાયન્સ)નો અંગત પ્રશ્ન છે. દ’સૉલ્ટને HAL કરતાં રિલાયન્સનો પ્રસ્તાવ વાજબી લાગ્યો હશે તો એની સાથે સમજૂતી કરી એમાં ભારત સરકાર શું કરે? બોલો. જાણે કે કેમ બે કંપનીઓએ ખમીસ ખરીદવાનો સોદો કર્યો હોય. ભાઈ, ભારતના સંરક્ષણ માટે ભારતની પ્રજા ખર્ચો કરી રહી છે, કોઈ બે કંપનીઓ વચ્ચે વેપારનો સોદો નથી.
ભારત સરકાર કહે છે એમ રિલાયન્સનું નામ સૂચવવામાં ભારત સરકારની કોઈ ભૂમિકા નથી તો શું ફ્રાન્સના ભૂતપૂર્વ પ્રમુખ ખોટું બોલે છે? જો ઓલાન્દ ખોટું બોલતા હોય તો કહો કે ઓલાન્દ જુઠ્ઠાડા છે, પણ ભારત સરકારના વકીલો એમ પણ નથી કહેતા કે ઓલાન્દ જૂઠું બોલે છે. બે સામેના છેડાની ભૂમિકા લેનારી બન્ને વ્યક્તિ સાચી ન હોઈ શકે. વળી માત્ર ઓલાન્દ નહીં, વર્તમાન શાસકો પણ બીજી ભાષામાં એ જ કહે છે જે ઓલાન્દ કહે છે. તો કોણ જૂઠું બોલે છે? ભારત સરકારે જૂઠું બોલનારનું નામ પાડવું જોઈએ.
કૉન્ગ્રેસના પ્રમુખ રાહુલ ગાંધીએ માત્ર આટલું પૂછ્યું એમાં વકીલસાહેબો અકળાઈ ગયા. કાયદાપ્રધાન રવિશંકર પ્રસાદે કહ્યું છે કે રાહુલમાં દોકડાની આવડત નથી, તે તો તેમના પરિવાર થકી ઊજળા છે. માન્યું, પણ આ ખુલાસો થયો કે ગાળ થઈ? આને અકળામણ કહેવાય કે સ્પષ્ટતા. તેમણે આગળ કહ્યું છે કે રાહુલ ગાંધી આખા જગતમાં આદર ધરાવતા લોકલાડીલા વડા પ્રધાનને (નરેન્દ્ર મોદીને) બદનામ કરે છે. હવે કોઈ લોકલાડીલા હોય એટલે ટીકા ન કરાય? તેમની સામે પ્રશ્ન ન કરાય? કયા તર્કશાસ્ત્રમાં આમ કહેવામાં આવ્યું છે? એ હિસાબે તો ગાંધીજી અને જવાહરલાલ નેહરુ આપણા વડા પ્રધાન કરતાં હજાર ગણા વધુ લોકલાડીલા અને જગતભરમાં આદરણીય હતા, પરંતુ તેમને બદનામ કરવાની એક તક છોડવામાં નથી આવતી. ઊલટું તેમને બદનામ કરવા માટે જુઠ્ઠાણાંની ફૅક્ટરી ચોવીસે કલાક ચાલે છે.
મૂળ તો સંરક્ષણપ્રધાને ખુલાસો કરવો જોઈએ, પણ તેઓ વકીલ નથી અને અત્યારે વકીલોની જરૂર છે. આ સરકાર વકીલો ચલાવે છે. ખુલાસો તો વડા પ્રધાને પોતે કરવો જોઈએ કારણ કે રિલાયન્સનું નામ તેમણે પોતે આપ્યું હતું, પરંતુ એવું બનવાનું નથી. પોલું હોય ત્યારે ચડી બેસવાની અને પકડાઈ જઈએ તો મોઢું સીવી લેવાની બહાદુરી તેઓ ધરાવે છે.
રવિશંકર પ્રસાદના તર્ક મુજબ જોઈએ તો ડૉ. મનમોહન સિંહ લોકપ્રિય નહોતા એટલે તેમની છાતી પર ચડી બેસવાનો નરેન્દ્ર મોદીને અધિકાર હતો, પરંતુ નરેન્દ્ર મોદી લોકપ્રિય છે એટલે રાહુલ ગાંધીને છાતી પર ચડી બેસવાની વાત તો બાજુએ રહી, ઇશારત કરવાનો પણ અધિકાર નથી.
વકીલસાહેબોનો બચાવ જોઈને ફેસબુક પર ભક્તો દ્વારા કરવામાં આવતી દલીલોની યાદ આવે છે. દલીલનો જવાબ દલીલથી આપવાની જગ્યાએ કોઈની ઠેકડી ઉડાડવી, ગાળો આપવી, ગંદી ઇશારતો કરવી, તેનો સાચો-ખોટો ઇતિહાસ યાદ કરાવવો, લેબલ ચોડવાં, મોઢું ફેરવી લેવું, હોઠ સીવી લેવા એ મર્દાનગીનાં લક્ષણો નથી.
સૌજન્ય : ‘કારણ-તારણ’, નામક લેખકની કટાર, “ગુજરાતી મિડ-ડે”, 25 સપ્ટેમ્બર 2018