મહાત્મા ગાંધીને અંગત કહી શકાય તેવા મિત્રો ન હતા, પરંતુ મિત્રતાની વ્યાખ્યા કરતાં તેમણે કહ્યું હતું, "જે મિત્રતા દરેક બાબતમાં સહમતીનો આગ્રહ રાખે તેને મિત્રતા ન કહેવાય. સાચી મિત્રતા એને કહેવાય જે પ્રમાણિક અને તીક્ષ્ણ મતભેદોને પણ સહન કરી શકે." મિત્રતાની તેમણે આ વ્યાખ્યા જાહેરજીવનમાં આવ્યા પછી કરી હતી, કારણ કે તેઓ એ રાહ પર ચાલતા હતા, જ્યાં ડગલેને પગલે મતભેદોને અવકાશ હતો. ગાંધીજી દરેકને પોતાનો મિત્ર જ માનતા હતા, કારણ કે સમભાવ રાખવો તેમનો સૌથી મોટો ગુણ હતો. એટલા માટે જ, ૨૩ જુલાઈ, ૧૯૩૯ના રોજ તેમણે એડોલ્ફ હિટલરને પત્ર લખ્યો, ત્યારે તેમાં તેમણે હિટલરને પણ 'માય ફ્રેન્ડ'નું સંબોધન કર્યું હતું.
એ અર્થમાં તેમના અનેક મિત્રો હતા, પરંતુ આપણે જે ઇન્ટિમેટ અથવા દિલોજાન દોસ્તીની વાત કરીએ છીએ, એ અર્થમાં ગાંધીજીના કોઈ મિત્રો હતા? તમને આશ્ચર્ય થશે, પરંતુ તેમને એવા કોઈ મિત્રો ન હતા એટલું જ નહીં, ગાંધીજી એ પ્રકારની અંગત મિત્રતાના વિરોધી હતા. આપણે મિત્રો સાથે મોટા થઇએ છીએ અને મિત્રતા આપણને મોટા કરે છે. આપણે બે પ્રકારની જિંદગી જીવીએ છીએ; અંગત અને ખુલ્લી. આપણા મિત્રો પણ બે પ્રકારના હોય છે; જેની સાથે સુખ-દુઃખની ખાનગી વાતો શેઅર કરી શકાય તેવા, અને જેની સાથે સામાજિક કે વ્યવસાયિક જીવનની આપલે થઇ શકે તેવા.
એવું કહેવાય છે કે જે લોકો અધ્યાત્મની કક્ષાએ પહોંચી જાય છે, તેઓ અંગત સંબંધોની દુનિયામાંથી મોક્ષ લઇ લે છે. ગાંધીજીના કિસ્સામાં એ પ્રક્રિયા યુવાનીમાં જ શરૂ થઇ ગઈ હતી. એ જ્યારે હાઇ સ્કૂલમાં ભણતા હતા, ત્યારે જ તેમને પહેલીવાર એવો અહેસાસ થયો હતો કે તેઓ અંગત મિત્રતા માટે બન્યા જ નથી. અંગત મિત્રતાથી મોઢું ફેરવી લેવા વિશે તેમણે વિગતવાર લખ્યું છે.
ત્યારે તેમને અમુક અંગત મિત્રો હતા. તેમાંથી બે મિત્રોના સંબંધમાં તેમનો અનુભવ સારો ન હતો. એક મિત્રતા લાંબી ટકી ન હતી, કારણ કે ગાંધીજીએ બીજો એક મિત્ર બનાવ્યો તો પહેલા મિત્રએ નારાજ થઈને સંબંધ કાપી નાખ્યો. બીજાની મિત્રતા ઘણાં વર્ષો ચાલી, પણ ગાંધીજી તે સંબંધને 'મારી જિંદગીનું દુઃખદ પ્રકરણ' ગણાવે છે.
એ મિત્ર(ગાંધીજીએ તેનું નામ નથી આપ્યું) હકીકતમાં તેમના વચેટ ભાઈ કરસનદાસ ગાંધીનો મિત્ર હતો. આ મિત્ર અને કરસનદાસ એક જ ક્લાસમાં હતા. ગાંધીજી કહે છે કે આ મિત્રમાં દુર્ગુણો હતા (કદાચ એ શરાબ, માંસાહાર અને બીડીઓ પીવા તરફ ઈશારો હતો) અને તેમના ભાઈ તેમાં 'અભડાઈ' ગયેલા હતા. ગાંધીજી તેને સુધરવા માટે તેના મિત્ર બન્યા હતા, પણ એમાં ગાંધીજી પોતે માંસાહાર(અને બીડીઓ પીવાના)ના રવાડે ચઢ્યા.
તેમનાં માતા પૂતળી બાઈ, મોટાભાઈ લક્ષ્મીદાસ ગાંધી અને પત્ની કસ્તૂરબાને ગાંધીજીની આ મિત્રતા ગમતી ન હતી અને ત્રણેએ ગાંધીજીને ચેતવ્યા હતા. ગાંધીજી ન માન્યા. ઉપરથી મિત્રતાને ઉચિત ઠેરવતાં કહ્યું, "તમને તેના દોષની ખબર છે, પણ ગુણ ખબર નથી. મને તે આડે માર્ગે નહીં લઇ જાય, કેમ કે મારો તેની સાથેનો સંબંધ કેવળ તેને સુધારવાને ખાતર છે. તે જો સુધરે તો બહુ સરસ માણસ નીવડે એમ મારી ખાતરી છે. તમે મારા વિશે નિર્ભય રહેજો."
પરિવારે વિશ્વાસ કરી લીધો. આ મિત્રના પ્રતાપે જ ગાંધીજીને 'જ્ઞાન' થયું હતું કે રાજકોટના શિક્ષકો, ગૃહસ્થો અને હાઇ સ્કૂલના વિધાર્થીઓ માંસાહાર અને મદ્યપાન કરે છે. ગાંધીજીને તેનું દુઃખ અને આશ્ચર્ય તો થયું, પણ વાત ત્યાં ન અટકી. આ મિત્ર અને તેના ભાઈબંધોએ ગાંધીજીને એવું ઠસાવી દીધું કે આપણે માંસાહાર નથી કરતા એટલે જ આપણે માયકાંગલા રહી ગયા છીએ અને અંગ્રેજો એ ખાઈને તગડા થયા છે એટલે આપણા પર રાજ કરે છે! તેમના વચેટ ભાઈએ પણ એમાં સૂર પુરાવ્યો.
અંગ્રેજોને સમજવાનું ગાંધીજીનું એ સૌ પહેલું 'લેશન' હતું, પણ એમાં તેઓ એ પાઠનો અમલ પોતાના પર જ કરતા થઇ ગયા. ગાંધીજીની સરખામણીમાં તેમનો મિત્ર પહેલવાન અને હિમ્મતવાન હતો. એ દોડતોકુદતો હતો અને માર ખાવાની શક્તિ હતી. ગાંધીજી માયકાંગલા અને બીકણ હતા. એ બીમાર રહેતા હતા અને ચોર, ભૂત, સાપ વગેરેથી ડરતા હતા. ગાંધીજીએ મિત્ર જેવા થવા માટે માંસાહાર ચાલુ કરી દીધો! “દેશ આખો માંસાહાર કરે તો અંગ્રેજોને હરાવી શકાય, એમ હું માનતો થયો.” એમ તેઓ લખે છે.
ગાંધીજીએ એક વર્ષ સુધી પાંચ-છ વખત માંસાહાર કર્યો, પણ એમાં ઘરે જૂઠું બોલવું પડતું હતું. તેમનો આત્મ ડંખવા લાગ્યો, અને માતાપિતાને છેતરવાં ન પડે એટલે પછી માંસાહાર બંધ કરી દીધું. મિત્રનો પ્રભાવ હજુ પણ પડવાનો હતો. એકવાર એ મિત્ર ગાંધીજીને વેશ્યા પાસે લઇ ગયો. પૈસાનો વ્યવહાર મિત્રએ કર્યો હતો. ગાંધીજીએ સ્ત્રી સાથે રૂમમાં પુરાયા. તેઓ લખે છે, “આ કોટડીમાં હું તો આંધળો જ થઇ ગયો. મને બોલવાનું ભાન ન રહ્યું. શરમનો માર્યો સ્તબ્ધ થઇ એ બાઇની પાસે ખાટલા પર બેઠો, પણ બોલી જ ન શકયો. બાઇ ગુસ્સે થઇ ને મને બેચાર ‘ચોપડી’ ને દરવાજો જ બતાવ્યો. તે વેળા તો મારી મરદાનગીને લાંછન લાગ્યું એમ મને થયું, ને ધરતી મારગ દે તો તેમાં પેસી જવા ઈચ્છ્યું.”
આવા બીજા ચાર પ્રસંગો તેમની જિંદગીમાં આવ્યા હતા, પણ તે તેમાંથી બચી ગયા હતા. આ અનુભવોમાંથી ગાંધીજી અંગત મિત્રતાથી વિમુખ થઇ ગયા. તેમની આત્મકથામાં તેઓ લખે છે, “સુધારો કરવા સારુ પણ માણસે ઊંડા પાણીમાં ઊતરવું નહીં જોઇએ. જેને સુધારવા છે તેની સાથે મિત્રતા હોય નહીં. મિત્રતામાં અદ્વૈતભાવના હોય. એવી મિત્રતામાં સુધારાને અવકાશ બહુ ઓછો હોય છે. મારો અભિપ્રાય એવો છે અંગત મિત્રતા અનિષ્ટ છે, કેમ કે મનુષ્ય દોષને ઝટ ગ્રહણ કરે છે. ગુણ ગ્રહણ કરવાને સારુ પ્રયાસની આવશ્યકતા છે. જેને આત્માની, ઈશ્વરની મિત્રતા જોઇએ છે તેણે એકાકી રહેવું ઘટે છે, અથવા આખા જગતની સાથે મૈત્રી કરવી ઘટે છે.”
ગાંધીજીએ એ પછી ક્યારે ય કોઈ અંગત મિત્રતા કેળવી ન હતી. પાછળથી તેમના જે પણ મિત્રો બન્યા હતા, તે તેમના સાર્વજનિક જીવન સાથે સંકળયેલા હતા. ગાંધીજીએ તેમનું અંગત જીવન જ સાર્વજનિક કરી નાખ્યું હતું એટલે ઘનિષ્ઠ મૈત્રીની જરૂરિયાત ખતમ થઇ ગઈ હતી.
પ્રગટ : ‘બ્રેકીંગ વ્યુઝ’ નામક લેખકની સાપ્તાહિક કોલમ, ‘સંસ્કાર’ પૂર્તિ, “સંદેશ”, 01 ઑગસ્ટ 2021
![]()


વિનાયક દામોદર સાવરકર અને હિન્દુત્વવાદીઓ કહે છે કે આપણી સમસ્યા માણસાઈની છે, કહો કે માણસાઈના અતિરેકની છે. એમાં વળી, ઓછામાં પૂરું હિંદુઓની સરસાઈવાળા હિંદુ રાષ્ટ્રવાદની કલ્પના હજુ તો હાથ લાગી ન લાગી એટલામાં માણસાઈના મેરુ સમાન મોહનદાસ કરમચંદ ગાંધી પેદા થયો અને એણે તો માણસાઈને એક અપૂર્વ ઊંચાઈ આપી. આશ્રમની ઝૂંપડીમાં બેસીને સંતોની જેમ ગાંધીજીએ કશું કર્યા વિના માણસાઈનો ઉપદેશ આપ્યો હોત તો ગાંધીજીને તેમણે વધાવી લીધા હોત. કહેવા થાત કે જુઓ આપણે કેટલા મહાન છીએ અને કેવા મહાન વિચારો ધરાવીએ છીએ. ગાંધીજીના પગમાં સાષ્ટાંગ દંડવત્ પ્રમાણ કર્યા હોત અને ખૂન કરવાની તો જરૂર જ ન પડી હોત. પણ ગાંધીજીએ તો ગામના ઉતાર જેવા રાજકારણમાં માણસાઈને દાખલ કરી. આ ધરતી ઉપર આ અપૂર્વ પ્રયોગ હતો અને હું ગર્વ સાથે કહી શકું કે આવું માત્ર ભારતમાં જ બની શકે. હવે માણસાઈના મેરુ સમાન કોઈ માણસ રાજકારણમાં માણસાઈને દાખલ કરે તો પછી તેને બદનામ પણ કરવો પડે અને ખૂન પણ કરવું પડે. હિંદુ રાષ્ટ્રવાદી રાજકારણની એ જરૂરિયાત ત્યારે પણ હતી અને આજે પણ છે. રોજેરોજ તેને બદનામ કરીને તેને રસ્તામાંથી ધકેલવાનો પ્રયાસ કરવામાં આવે છે. તેમને ગાંધીજી સામે કોઈ અંગત વાંધો નથી, તેમને માણસાઈયુક્ત રાજકારણ સામે વાંધો છે અને આ જગત એ ડોસાનું કૌતુક કરતાં થાકતું નથી!
સ્વાભાવિકપણે માણસ જાતે મેળવવાના, મેળવેલું ટકાવી રાખવાના, બીજાનું છીનવી લેવાના અને બીજો છીનવી ન લે એ માટે સાવધ રહેવાના રસ્તાઓ શોધ્યા છે. બાવડાંના બળ અને પથ્થરથી લઈને અણુબોંબ સુધીના અનેક આયુધો માણસે વિકસાવ્યા છે. આ જગતમાં સતયુગ ક્યારે ય નહોતો. સતયુગ એ દરેક અર્થમાં ભલા માણસ બની રહીને જીવવાની આપણી અધૂરી રહેલી મહેચ્છાની પરીકથા છે. અથવા એમ કહો કે દરેક અર્થમાં માનવ બની રહીને ક્યારેક કોઈ જીવતું હતું એની માનવમને કરેલી મીઠી કલ્પના છે. સતયુગ ક્યારે ય હતો જ નહીં. દરેક યુગમાં માણસ ટકી રહેવાની જદ્દોજહદ કરતો હતો જેમાં મોકો મળે તો બીજાનું છીનવી લેવું અને બીજાથી સાવધાન રહેવાનો સમાવેશ થાય છે. સુજ્ઞ વાચકના ધ્યાનમાં એક વાત આવી જ ગઈ હશે કે ‘આપણે’ સામે ‘બીજા’નો ભેદ આદિકાળથી છે.
યુદ્ધ કે કોઇ પણ રાજકીય તણાવ જ્યારે કોઇ દેશને પકડમાં લે, ત્યારે તેનાં પરિણામ જોખમી જ હોય છે. એમાં પણ રાજકારણની અસ્તવ્યસ્ત સ્થિતિમાં આતંકવાદી જૂથો અથવા તો કટ્ટરવાદી જૂથ જ્યારે આ સંજોગોમાં પ્રવૃત્ત થઇ જાય, ત્યારે સ્થિતિ વણસવા માંડે. અફઘાનિસ્તાન એ આવા સંઘર્ષમય સંજોગોનું ઉદાહરણ છે. યુ.એસ.એ.ના સૈન્યએ અફઘાનિસ્તાનમાંથી વિદાય લીધી ત્યારે કાયમી યુદ્ધની ટીકા કરનારાઓએ અમેરિકન પ્રેસિડન્ટ જો બાઇડેનના આ પગલાંને વખાણ્યું ખરું પણ અફઘાન સરકારનું પડી ભાંગવું, તાલિબાનની પકડ ફરી મજબૂત થવી અને અલ-કાયદાની હિંસક પ્રવૃત્તિઓ ફરી શરૂ થવાની વકીની ચિંતા પણ ઘણાંએ વ્યક્ત કરી. હિંસાના કિસ્સા તો બનવા જ માંડ્યા છે, પણ સ્ત્રી અધિકારો, સ્વાસ્થ્ય અને શિક્ષણની દિશામાં અમેરિકન સૈન્યનની હાજરીમાં જે પણ થોડું ઘણું કામ થયું હતું તેની પર જોખમ તોળાઇ રહ્યું છે અને આ જોખમ ટાળવાના રસ્તા હોઇ તો શકે છે, જેમાં સૈન્યના હોવા કે ન હોવાથી કોઇ સીધો ફેર પડતો નથી, પણ એ રીતે આ સંજોગોને નાણવાની, તે અંગે કંઇ કરવાની તસ્દી કોણ લેશે તે એક મોટો પ્રશ્ન છે.