એક હતો રાજા.
એણે
જેની હત્યા કરવી હોય
એને
કોઈ ગુનામાં પકડતો
અને પછી
ફાંસીની સજા
આપી દેતો.
વાર્તા પૂરી.
સૌજન્ય : “નિરીક્ષક”, 01 ડિસેમ્બર 2021; પૃ. 15
![]()
એક હતો રાજા.
એણે
જેની હત્યા કરવી હોય
એને
કોઈ ગુનામાં પકડતો
અને પછી
ફાંસીની સજા
આપી દેતો.
વાર્તા પૂરી.
સૌજન્ય : “નિરીક્ષક”, 01 ડિસેમ્બર 2021; પૃ. 15
![]()
કપરાં કોરોનાકાળમાં વટહૂકમથી લેવાયેલાં ત્રણ કૃષિબિલ આખરે મોદી સરકારે પાછા ખેંચવા પડ્યાં! ૧૪ મહિના કડકડતી ઠંડી, કાળઝાળ ગરમી, ભારે વરસાદ ઉપરથી સરકારી ત્રાસ છતાં ય ખેડૂતો ડગ્યાં નહીં. નવસો ખેડૂતો શહીદ થયાં છે. ઉત્તરાખંડથી યુ.પી. સુધી સરકારે સેંકડો ખેડૂતો પર આંદોલન કરવા બદલ કેસો કર્યાં છે. સામ, દામ, દંડ, ભેદની તમામ સરકારી પ્રયુક્તિને કિસાન એકતાએ પાછી પાડી. મોદીનો પહેલો પરાજય સુપ્રિમ કૉર્ટ આ ત્રણ કોર્પોરેટી કાળા કાનૂન સ્થગિત કર્યા હતા ત્યારે જ થયો હતો, પરંતુ આંદોલનથી એ નિર્ણયને બળ મળ્યું. કિસાન આંદોલનની આ જીત ભારતની રાજનીતિમાં ઐતિહાસિક સીમાચિહ્ન છે.
હજુ હમણાં જ બે દાયકા પૂર્વે નંદીગ્રામમાં ત્રણ હજાર કિસાનો મરી ગયાં, સેંકડો સ્ત્રીઓ પર બળાત્કાર થયાં પણ ટાટાને જમીન આપવા બાબતમાં કિસાનો ઝુક્યાં નહીં અને એમનો વિજય થયેલો એ અત્યારે યાદ આવે. ટાટા માટે લાલ જાજમ અને માર્ક્સને ટાટા કરનાર બંગાળની પાંત્રીસ વર્ષની સરકારનું નંદીગ્રામે પતન કર્યું. ગાંધીજીનો ભારતીય રાજનીતિમાં પ્રવેશ ચંપારણના કિસાન આંદોલનથી, વલ્લભભાઈ પટેલની આગળ 'સરદાર’ વિશેષણ ઉમેરાયું બારડોલીના કિસાન આંદોલનથી. આ પરંપરામાં આ કિસાનોના સત્યાગ્રહને ય જોવો જોઈએ. આઝાદી પછી તેલંગણામાં કિસાનોએ નેહરુને ય હંફાવેલા અને જમીનદારીનો કાયદો રદ્દ કરાવેલો.
નાનપણથી આપણને ભણવામાં આવે છે કે ભારત ખેતીપ્રધાન દેશ છે. પણ ભારતમાં ખેડૂત જ અવગણાતો જાય છે – સહુથી વધારે. ભારત ગામડાંમાં જીવે છે એમ પણ કહેવાયું છે. આ છ લાખ ગામડાંમાં ભારત રોજ રોજ મરે છે. મોદી આવ્યા ત્યારે ભૂખમરાથી પીડિતોનો આંકડો ત્રીસ કરોડથી ઓછો હતો (એ પણ કંઈ આશ્વાસન પામવા જેવી વાત નહોતી જ) આજે જેમને મહિને પાંચ કિલો અનાજ અપાય છે એવાનો આંકડો એંસી કરોડ છે. એંસી કરોડને રોજનું પચાસ ગ્રામ અનાજ મળે છે! મનરેગામાં ૧૫૦ રૂપિયા દલાલી ન આપે તો કામ મળતું નથી. આમાંના મોટા ભાગનાં ખેતમજૂરો જ છે. યુ.પી.ની જેમ અન્ય સરકારોએ પણ આગામી ચાર વર્ષ સુધી મજૂર કાયદાઓ સ્થગિત કર્યાં છે! કહેવાનો અર્થ છે આ સરકાર ખેડૂત, મજૂર, ગરીબ, વિદ્યાર્થી વિરોધી સરકાર છે. તેથી મોદી સરકારનું આ દેખીતું ‘હૃદયપરિવર્તન’ આગામી દિવસોમાં આવી રહેલી પાંચ રાજ્યોની ચૂંટણીનું દબાણ છે. પોતાની સઘળી તાકાત વાપર્યા છતાં, ૭,૦૦૦ કરોડ ખર્ચા છતાં, બંગાળનો પરાભવ તાજો છે. તેથી શૂરા બોલ્યા ન ફરે, એ ફર્યાં છે! સત્તાના મદમાં મસ્ત સરકારને કિસાન એકતાએ ઠેકાણે લાવી દીધી છે. હવે જ કિસાન આંદોલનની અને રાજનીતિની કસોટી છે. ભા.જ.પ.ના આ મતદાર કિસાનો ભા.જ.પ.થી નિભ્રાંત થયાં છે અને 'વોટ પે ચોટ’ના સૂત્રોચ્ચાર કરે છે, અને કુંભકર્ણની નિંદ્રામાં ખલેલ પાડી છે.
આમ છતાં, આ બિલ પાછા ખેંચતી વખતે પણ એમણે તંગડી તો ઊંચી જ રાખી છે! કિસાનોના એક જૂથને મનાવી ન શક્યાં એટલે બિલ પાછા ખેંચું છું. અરે ભાઈ, ભારતના કયાં કિસાન સંગઠને આ બિલનું સ્વાગત કરેલું એ તો બતાવો? એક બે મીડિયામાં ચમકેલાં એ પણ બનાવટી નીકળ્યાં! આ બિલ વાપસીના ભાષણમાં એક પણ શબ્દ, જીવ ગુમાવેલાં કિસાનો માટે નહીં? આ તમારી સંવેદનશીલતા?! તમે કહો છો કે કિસાનોના ભલા માટેના કાનૂન હતા તો કેમ તમે એકવાર પણ કિસાનોને મળવા ન ગયા? તમારા રહેઠાણથી કેવળ ૨૫ કિલોમીટર જ દૂર હતા! અયોધ્યા-સોમનાથના આંટાફેરા મરાય પણ જગતના તાતને મળવાનો સમય જ નહીં, અને હવે મગરના આંસુ! કિસાનોના હિતમાં આ બિલ હતા એ સરાસર જુઠ્ઠાણું છે. સંસદને વંદન કરીને સંસદમાં તમે પ્રવેશ્યા પછી તમે સતત સંસદનું ચીરહરણ કર્યું છે. કોઈ પણ સુધારો સંસદીય સમિતિની ચર્ચા વિચારણા પછી થાય એના બદલે સીધો ‘વટ્ટ હુકમ’. સંસદીય સમિતિની રચના જ નહીં! એ જ રીતે સાંસદો, સાથીપક્ષો સાથે વિધિવત્ની બેઠક વગર જ પાછો ખેંચવાની જાહેરાત! આ સરકાર છે કે કોઈ પેઢી? કૃષિસુધારણાઓ રાજ્યસરકારના ક્ષેત્રમાં આવે છે તો તમે કેન્દ્રીય હસ્તક્ષેપ દ્વારા પુનઃ સંસદીય ગરિમાનો ભંગ કર્યો. વળી, ચૂંટાયેલા પ્રધાનો ચેનલે ચેનલે કિસાનોને નક્સલવાદી, દેશદ્રોહી, ખાલિસ્તાની ગણાવે. તમે એકવાર પણ એક પણ નેતાને એ અંગે ટકોર્યા હતા? તેથી જ કિસાનનેતાને તમે જાહેરમાં બિલ પાછું ખેંચ્યું છતાં વિશ્વાસ નથી. કૃષિબિલ તમારા ઘોષણાપત્રનો ભાગ હતું જ નહીં. ઘોષણાપત્રમાં પ્રતિવર્ષ બે કરોડ નોકરીઓ હતી. ક્યાં છે? તમે જે નથી કરવાનું એ કરો છો, કરવાનું છે એ નથી કરતાં એનું નોટબંધી પછીનું આ બીજું ઉદાહરણ છે.
ભારતમાં ૬૦ કરોડ ખેડૂતો છે. એમના સંતાનો તમે જેની સાથે દિવાળી ઊજવી એ ભારતીય સેનામાં છે. જેણે કદી ગાય દોહી નથી, ગાયની સાની (ખોરાક) તૈયાર નથી કરી એ એકાએક કૃષિબિલ લાવી નાંખે? કિસાનસંગઠનોને બિલ આવતાં પહેલાં બોલાવી શકાત. અરે, બિલ પાછું ખેંચ્યું ત્યારે પણ કિસાનનેતાઓને બોલાવી, પત્રકાર પરિષદ બોલાવી, સન્માનપૂર્વક પાછું ખેંચી શકાત. બિલવાપસી પશ્ચાત્ના તમારા ભાષણમાં અહંકારમઢી નમ્રતા દેખાઈ જતી હતી. કૃષિબિલ લાવતા કે પાછું ખેંચતા સાથી પક્ષો કે વિરોધ પક્ષોને ય કંઈ નહીં પૂછવાનું? તમે ભારતના રાજા છો કે લોકતંત્રના વડા? ઉત્તર પ્રદેશથી ઉત્તરાખંડ, રાજસ્થાન વગેરે જગ્યાએ જગ્યાએ કિસાન આંદોલન સંદર્ભે થયેલી ધરપકડો તાકીદે રદ્દ કરો, સેંકડો કેસો પાછા ખેંચો, જો તમારામાં સંવેદનશીલતા બચી હોય તો.
આ આંદોલને બતાવી દીધું કે રાજનીતિ એ શિક્ષિતોનો ઠેકો નથી. પછી ચૂંટણીમાં વેરવાના અઢળક નાણાં જ છે, ભોંયુ પ્રચારમાધ્યમો ખડા પગલે ૨૪ ગુણ્યા ૭ [24 x 7] સેવામાં લાગેલાં રહેશે. ગામેગામ કિસાન આંદોલને નાની-નાની સભાઓ કરી તીવ્રપણે કોર્પોરેટ હાઉસની ગુલામી કરી રહેલ સરકારને ચૂંટણીમાં પરચો દેખાડવાનું કામ હજુ કરવું પડશે. શેરડીના ૭,૦૦૦ કરોડ સરકારને ચૂકવવાના બાકી છે, એ લેવાના છે. સમગ્ર ભારતમાં સૌથી વધુ મોંઘી વીજળી યુ.પી.માં છે, ઔદ્યોગિક એકમોને વીજળી-પાણીમાં અભૂતપૂર્વ લાભ અપાય છે એ ખેડૂતોએ માંગવો રહ્યો. ગુજરાતમાં નેનોને એક યુનિટ ૪૦ પૈસે વીજળી મળે છે! આંદોલનની ચાદર સમેટી લેવાને બદલે કિસાનોએ ભારતીય લોકતંત્રના તારણહાર બની, ભજન કરનારને ભગવાનના ભજન કરવા મોકલી દેવા જોઈએ. જેમને અદાણી અંબાણી પર ખૂબ જ વહાલ ઉભરાતું હોય એમને ત્યાં નોકરી કરવા મોકલી દેવા જોઈએ. પાંચ ટ્રિલિયન ઇકોનોમીની વાત કરનારાં તમે જે તબાહી સર્જી છે એને ‘રૂક જાવ’ કહેનાર કિસાન આંદોલન ધન્યવાદને પાત્ર છે.
સૌજન્ય : “નિરીક્ષક”, 01 ડિસેમ્બર 2021; પૃ. 04
![]()
અધ્યાપનકાળના કેટલાક બનાવો (3) …
સપ્ટેમ્બર ૧૯૭૭માં હું ગુજરાત યુનિવર્સિટીના ભાષા-સાહિત્ય ભવનમાં જોડાયો. ૨૭ વર્ષનો મારો દીર્ઘમાં દીર્ઘ અધ્યાપનકાળ ભાષાભવનમાં વીત્યો છે. લૅકચરર તરીકે જોડાયેલો. પછી રીડર થયો, વિભાગીય અધ્યક્ષ થયો, પ્રોફેસર થયો, પ્રોફેસર-ઇમેરિટસ થયો; વક્તા થયો, વિવેચક થયો, વાર્તાકાર થયો, વગેરે વગેરે જે કંઇ થયો, એ સારી પૅઠે અમદાવાદમાં થયો.
જો કે અમદાવાદ કદી પણ મારું સ્વપ્ન ન્હૉતું. મારી પસંદગી ન્હૉતી. મારે જાત પર જોર લાવીને પસંદ કરવું પડેલું. તો પણ એક વાતે છેલ્લે સારું લાગેલું કે ગુજરાતી સાહિત્યને માટેના એક ઉત્તમ વિભાગમાં છું. એમ પણ લાગેલું એ વાતે કે ક્યારેક મારી ભાષાના ઉત્તમ કવિ ઉમાશંકર જોશી વિભાગના અને સમગ્ર ભાષાભવનના અધ્યક્ષ હતા.
યાદ કરતાં યાદ આવે છે કે ભવનના બહુ ઓછા મિત્રો બહુ ઓછી વાર મારા ઘરે આવેલા છે. કોઇ કોઇ તો વારંવાર બોલવવા છતાં નહીં આવેલા. ક્રમે ક્રમે એમ જાણવા મળેલું કે અમદાવાદમાં ભલભલા સાહિત્યકારોના ઘરે ભલભલા સાહિત્યકારો નથી ગયા. એટલું ખરું કે મરણપથારી જેવા છેલવારકા પ્રસંગે ડોકિયું કરી આવ્યા હોય.
મને અને રશ્મીતાને – વડોદરા બાજુના રસિક જીવોને – એ અમદાવાદી લુખ્ખાસ સમજાતી ન્હૉતી. પણ સ્વીકારી લીધેલું કે એવી એમની શૈલી છે. જો કે રાધેશ્યામ શર્મા, ચન્દ્રકાન્ત ટોપીવાળા, ચિનુ મોદી, લાભશંકર ઠાકર અવારનવાર આવતા.
‘શબરી’-માં રહેવા ગયા પછી તો મેં રમૂજમાં કહેવા માંડેલું – અમે તો રાહ જોઇશું જ પણ જ્યારે આવો ત્યારે અમારે ઘરે રામ સ્વરૂપે આવજો. મને જણાવતાં આનન્દ થાય છે કે
વડીલોમાં સૌથી વધુ કોઇ અમારે ત્યાં આવ્યું હોય તો તે ઉમાશંકર જોશી હતા.
એમની સાથેની મારી અંગતતા સાવ વિલક્ષણ હતી. બધું છતાં ઉમાશંકરનું આકર્ષણ રહેતું, મને ગમ્યા કરતા. હું કંઈ ‘સંસ્કૃતિ’-નો લેખક નહીં. અલબત્ત, મારી એક વાર્તા ‘હર્ષદલાલ હ. અને બીજાં’ એમને બહુ ગમેલી. એમણે ‘સંસ્કૃતિ’-માં પ્રકાશિત કરેલી – ૧૯૯૨ જેટલાં વહેલાં. એટલો પૂર્વાનુબન્ધ હતો. બીજો પૂર્વાનુબન્ધ એ હતો કે બોડેલીથી હું પ્રિન્સિપાલની હેસિયતે યુનિવર્સિટી-મીટિન્ગો માટે અમદાવાદ આવતો. ચન્દ્રકાન્ત ટોપીવાળા પણ પ્રિન્સિપાલ, તે એ ય આવતા. અમે બન્ને કવિ-કુલપતિને મળવા જતા. ફાઇલો કોરાણે મૂકીને ઉમાશંકર અમારી સાથે ખુલ્લા મનની ઘણી વાતો કરતા.
એટલે, ભવનમાં જોડાયા પછી મને એક ઇચ્છા બહુ થતી કે એમને એમના ઘરે નિરાંતે મળાય તો કેવું સારું. પણ ભવનના સાથીઓ કહે : એમને ઘેર ઍપૉઇન્ટમૅન્ટ વિના ન જવાય; ફોન કરવો પડે. ત્યારે એઓ વિભાગીય અધ્યક્ષ ન્હૉતા રહ્યા તો પણ એવું કેમ હશે, એવું મને ખૂંચ્યા કરે …
ત્યારે મારે ત્યાં ફોન નહીં, કેમ કે દુર્લભ હતા, ખાસ્સા દુર્લભ. ભવનનો ઑફિસ-ફોન વાપરી શકાતો’તો પણ એ બાપડો એક-નો-એક તે ગિરદી બહુ રહેતી. એટલે ફાવટ ન આવે. મેં નક્કી કરેલું કે મળે ત્યારે પૂછી લેવું – ફોન કર્યા વિના આવી શકાય? એમણે તરત કહેલું : હા-હા, શું કામ નહીં; માત્ર ભાળ મેળવી લેવી કે હું અમદાવાદ બહાર તો નથી ને …
એમની એ સમ્મતિનું પરિણામ એ આવ્યું કે શરૂમાં હું એકલો અને પછીથી રશ્મીતા તેમ જ બન્ને દીકરા – અમે સૌ – એમને ત્યાં જતાં થઈ ગયેલાં. બેસતા વર્ષે અચૂક જઇએ. પણ વળતું પરિણામ અતિ સુન્દર આવ્યું. ઉમાશંકર પણ અમારે ત્યાં, કૅમ્પસના ઘરે, બી-૩માં, આવતા થઈ ગયા.
મારી નવલકથા ‘ખડકી’ પ્રકાશિત થઈ ત્યારે એઓ અમારે ત્યાં પહેલી વાર આવેલા. પુસ્તક પ્રકાશિત થાય એટલે ઘરે મિત્રોને બોલાવવા અને શિરો ખવડાવવો એ મારો શિરસ્તો હતો. મારા ગુરુ સુરેશ જોષી પાસેથી શીખ્યો છું. આજે પણ ચાલુ છે. રશ્મીતા બનાવે. ‘ખડકી’ વિશે મેં થોડી વાત કરેલી. એ સાંભળીને ઉમાશંકરે કહેલું – સુમન પાસેથી આપણને હવે કસબાના જીવનની નવલકથાઓ મળશે. ત્યારે શિરો એમને બહુ ભાવેલો. એટલે આવે ત્યારે દરેક વખતે કહે : થોડો શિરો ખાઈશ : અમને પણ બહુ ઉમળકો રહેતો કે કેટલી સારી વાત છે.
એક સાંજે એવું બન્યું કે હું ને રશ્મીતા સ્કૂટર પર એમને મળવા ગયાં. જવાબ મળ્યો કે – એ તો તમારે ત્યાં આવવા નીકળી ગયા છે …! અમારા આનન્દાશ્ચર્યનો પાર નહીં. ફોન વિનાની એ બિન-તારી દિલ્લ્ગી યાદ આવતાં આજે પણ રોમાંચિત થવાય છે.
જઈને જોયું તો કવિશ્રી બી-૩ના આંગણાંમાં બેઠેલા. બન્ને બાજુ એક એક ઊંચા આસોપાલવ ને વચ્ચે અમારો પાટી ભરેલો જૂનો પણ સારો ખાટલો, તે પર બેઠેલા. ફૂલ-છોડવા, પવન, પંખીઓ, રોડ પરનાં વાહનો ને ઝૂમતાં વૃક્ષો વચ્ચે કવિશ્રી પૂર્વરાગ – મદીર જોડે વાતો કરતા’તા …
ચાલતા આવે. ક્હૅતા – કૅમ્પસમાં નીકળી પડવું પહેલેથી ગમે છે મને. થોડું દૂર પડે, પણ ચાલવાનું તો થઇ જાય …
બન્ને દીકરાને પોતાના મિત્ર ગણતા. મને ઈન્લૅન્ડ લખ્યું હોય તો ડાબી બાજુનો પત્ર અમને બન્નેને સમ્બોધ્યો હોય; ને જમણી તરફનો દીકરાઓને. સ્કૂલ ઑફ આર્કિટૅક્ચરમાં દીક્ષાન્ત પ્રવચન માટે ગયા હશે કોઇ વરસે. ભરી સભામાં અંગ્રેજીમાં પૂછેલું : મારો મિત્ર મદીર શાહ તે તમારે ત્યાંનો જ ને … વગેરે.
એમનો સર્વસંગ્રહ ‘સમગ્ર કવિતા’ પ્રગટ્યો તેને અર્ઘ્ય આપવાના મૂળ ભાવથી મેં પુસ્તિકા લખી – ‘ઉમાશંકર : સમગ્ર કવિતાના કવિ : એક પ્રોફાઇલ’. (૧૯૮૨). પુસ્તિકા પૂરી પ્રકાશિત થાય એ પહેલાં જ કેટલાકોએ ટીકા શરૂ કરી દીધેલી. એની વ્યથાકારક વાર્તા હવે પછી કરીશ.
= = =
(November 29, 2021: Ahmedabad)
સૌજન્ય : સુમનભાઈ શાહની ફેઇસબૂક દિવાલેથી સાદર
![]()

