(( મિત્રો ! ગઇ કાલે પ્રકરણ ૧૦-થી પ્રારમ્ભ કર્યો પણ એ મારી ભૂલ હતી. મારા યુવાનમિત્ર પ્રિયાંક ઠાકરે મારું ધ્યાન દોર્યું કે છેલ્લે હું ૧૪-મા પ્રકરણ લગી તો સાર-સંક્ષેપ આપી ચૂક્યો છું. એટલે મેં શોધખોળ મચાવી અને પ્રકાશિત એ બધાં જ પ્રકરણો મેળવી લીધાં. પ્રિયાંકનો ખૂબ ખૂબ આભાર માનું છું. લખાઇ ગયેલાં મારાં લેખનો વિશે હું બેતમા થઈ જઉં છું એટેલે કે હું બહુ જ અવ્યવસ્થિત માણસ છું, એ હકીકત એક વધારે વાર દૃઢ થઈ, એનું દુ:ખ છે, એટલો જ આનન્દ છે. એ ૧૪-મું પ્રકરણ ફરીથી રજૂ કરું છું. ))
== આ નવલકથાના ૪૬ ભાષામાં અનુવાદ થયા છે. કેટલા મૂળને અનુસરીને, કેટલા અંગ્રેજી અનુવાદને અનુસરીને, તે જાણવું કઠિન છે. પણ હું જેના અંગ્રેજી અનુવાદને અનુસરું છું એ છે, ગ્રેગરી રબાસા.
માર્ક્વેઝે જણાવ્યું છે કે રબાસાના અનુવાદને પોતે ખૂબ ચાહે છે. એમણે એટલે સુધી કહ્યું છે કે હું એને પોતાના અધિકારથી ઊભેલી એક સ્વતન્ત્ર કલાકૃતિ ગણું છું. ==
પ્રકરણ : ૧૪
મેમેનાં છેલ્લાં વૅકેશનો અને કર્નલ ઔરેલિયાનો બ્વેન્દ્યાનો મૃત્યુશોક, બન્નેના દિવસો સાથે સાથે થઈ ગયા. ઘરનાં બારણાં બંધ રાખવામાં આવેલાં. એટલે,પાર્ટીઓ પણ બંધ હતી. બધાં મોટેથી ન્હૉતાં બોલતાં, ફુસફુસ કરે; વગર અવાજે જમતાં; દિવસમાં ત્રણ વાર જપમાળા કરતાં -પ્રાર્થના -રોઝરી. શોક પાળવા વિશે ફર્નાન્ડાએ ઘરમાં ઘણી સખ્તાઈ વાપરેલી.
મેમે, ઔરેલિયાનો સેગુન્દો અને ફર્નાન્ડા કાર્પિયોની પહેલી દીકરી. એ મોટી થવા લાગેલી, બાપના જેવી જ મજાકિયા સ્વભાવની હતી. મા-એ ક્લેવિકોર્ડ શીખવાનું દબાણ કરેલું પણ મેમે દેખાવ એવો કરતી જાણે ક્લેવિકોર્ડમાં પોતાને બહુ જ રસ પડી રહ્યો છે.
મેમે બાપ સાથે હળી જાય છે. કેમકે એ બન્નેને ફર્નાન્ડા બાબતે સરખો સ્વાર્થ હતો. સ્વાર્થ એ કે ફર્નાન્ડાની ટીકાટપ્પણી કરી શકાય. બન્નેને ફર્નાન્ડા ગમતી ન્હૉતી.
મેમે કેટલીક અમેરિકન છોકરીઓ જોડે બેનપણાં કરી લે છે, એમની જોડેના સમ્બન્ધને વધારતી રહે છે, એટલે, એને થોડુંક અંગ્રેજી પણ આવડી જાય છે. ગરમીના દિવસોમાં વામકુક્ષી ટાણે ય એના ક્લેવિકોર્ડની પ્રૅક્ટિસ ચાલતી હોય, જોકે એમાંથી ય શોકના સૂર પડઘાતા’તા !
ઔરેલિયાનો સેગુન્દો એના રિવાજ પ્રમાણે ઘરે સૂવા આવતો પણ દીકરીને વૅકેશન હોય ત્યારે. કાયદેસરની પત્ની તરીકે ફર્નાન્ડાએ પોતાના કેટલાક અધિકાર જતાવ્યા હોય, એટલે પણ એને આવવું પડતું’તું. પરિણામે, પછીના વર્ષે મેમે માટે નાની બેનનો જન્મ થયો. મા-ની ઇચ્છા વિરુદ્ધ એને બાપ્તિસ્મા અપાયો અને નામ રાખવામાં આવ્યું, અમરન્તા ઉર્સુલા. અમરન્તા ઉર્સુલા એમનું ત્રીજું સન્તાન.
બ્વેન્દ્યાઓની બીજી પેઢીની છેલ્લી જીવિત વ્યક્તિ મોટી અમરન્તા પોતાના વર્તમાનની તુલનામાં એકાકી અને પસ્તાવાભર્યા અતીતમાં વધારે જીવતી’તી. એને એના મૃત્યુનો પૂર્વાભાસ થાય છે અને પોતાના અન્તિમ સંસ્કાર માટે કફન શીવવાનું શરૂ કરે છે. કફન પૂરું કર્યા પછી એણે આખા કસબાને જણાવેલું કે પોતે સાયંકાળે મૃત્યુ પામવાની છે; એમ પણ દર્શાવ્યું હતું કે પોતે લોકો પાસેથી જીવિતો મૃતકોને લખે છે એવા પત્રો પણ ઇચ્છે છે.
અમરન્તા ઘરડી થઈ ગયેલી, બધાંથી જુદી હતી, અલગ જીવતી’તી, તેમછતાં હજી સુદૃઢ અને ટટાર દીસતી’તી, નરવું સ્વાસ્થ્ય એણે પહેલેથી સાચવી રાખેલું. કોઈ જાણી શકેલું નહીં કે શા કારણે એણે કર્નલ જેરિનાલ્ડો માર્ક્વેઝને પાણીચું પકડાવેલું, અને છાના રુદનને માટે જાતને કેદ કરી દીધેલી. રેમેડિયોઝ ધ બ્યુટિના સ્વાર્ગારોહણ વખતે કે ઔરેલિયાનોઓની બરબાદી વખતે કે કર્નલ ઔરેલિયાનો બ્વેન્દ્યાના અન્તકાળે, કોઈએ એને રડતી નહીં જોયેલી.
છતાં, આ દુનિયામાં એ સૌથી વધુ ચાહતી’તી કર્નલ ઔરેલિયાનો બ્વેન્દ્યાને. જોકે એ ચાહના એણે કર્નલને ચેસ્ટનટ વૃક્ષ નીચે પેલા લોકો લાવ્યા એ પહેલાં કદી વ્યક્ત નહીં કરેલી. પોતે કર્નલના દેહને ઊંચકવામાં મદદ કરેલી, સૈનિકનો ગણવેશ પહેરાવેલો, દાઢી કરી આપેલી, વાળ ઓળી આપેલા, અને કર્નલ કીર્તિના ઉજમાળા દિવસોમાં મીણ વડે મૂછોને તાવ દેતા, તે પણ અમરન્તાએ કરી આપેલું.
બધાંને એમાં કશો પ્રેમ ન્હૉતો વરતાયો. કેમકે બધાંને એમ કે એમાં શું? મૃત્યુ પાછળની વિધિ બાબતે અમરન્તા પાવરધી છે ! જીવન સાથેના કૅથલિક ધર્મસમ્બન્ધને અમરન્તા સમજતી નથી એ મુદ્દે ફર્નાન્ડા નારાજ થઈ ગયેલી. એને એમ લાગ્યું હતું કે અમરન્તા માત્રમૃત્યુ સાથેના સમ્બન્ધને જ સમજે છે; એમ સમજે છે કે કૅથલિક જાણે કે ધર્મ નથી પણ અન્ત્યેષ્ઠિ વિધિવિધાનોનો ઇસ્કોતરો છે !
અમરન્તા જીવનભરની યાદોનાં થીગડાંથી એવી તો લપેટાઈ ગયેલી કે ધરમની એ બધી ઝીણી વાતો સમજવાનું એના માટે શક્ય જ ન્હૉતું રહ્યું. પોતાના અતીતને અકબંધ રાખતી રાખતી એ ઘરડી થઈ ગયેલી.
મેમેનું ભણતર પૂરું થયું, એને ક્લેવિકોર્ડિસ્ટના ડિપ્લોમાનું સર્ટિફિકેટ અપાયું. ઘરમાં શોકની પણ સમાપ્તિ થઈ ગઈ. મહેમાનોને મેમેની કલા ગમતી અને એના દ્વિમુખી સ્વભાવની બધા પ્રશંસા કરતા. એનો હસીમજાકિયો સ્વભાવ અને થોડી નાદાની જોતાં એમ જ થાય કે જીવનમાં એ કશી ઠાવકી પ્રવૃત્તિ કરશે કે કેમ. પણ જેવી એ ક્લેવિકોર્ડ વગાડવા બેસે, એક જુદી જ છોકરી લાગે, એણે અણધારી પરિપક્વતા દાખવી હોય, વયસ્ક લાગે. પછીથી તો હમેશાં એ એમ જ રહી.
આ મેમે બનાના પ્લાન્ટેશનમાં મિકેનિક તરીકે કામ કરતા મૌરિસિયો બેબિલોનિયાના પ્રેમમાં પડે છે. મૌરિસિયો પણ કશી છોછ રાખ્યા વિના એને અતિશય પ્રેમ કરતો હોય છે. એની નિખાલસતા અને ગમ્ભીરતાથી મેમે પ્રભાવિત થઈ ગયેલી. મૌરિસિયાની પછવાડે હમેશાં પીળાં પતંગિયાં ઊડતાં…
એક વાર ફર્નાન્ડા બન્નેને મૂવી થીએટરમાં ચુમ્બન કરતાં જોઈ ગઈ; એટલે પછી પ્રેમમાં પાગલ મેમેને એણે ઘરમાં જ રહેવાની સજા ફરમાવી. પણ મૌરિસિયો મેમે સાથે સમ્ભોગાર્થે રોજ રાતે ઘરમાં ઘૂસે છે એવી જ્યારે ફર્નાન્ડાને ખબર પડી, બૅકયાર્ડમાં એણે એક ગાર્ડ નિમ્યો. એક વાર મૌરિસિયો જેવો આવ્યો કે તરત ગાર્ડે ગોળી મારીને એની કરોડરજ્જુને વેરવિખેર કરી નાખી; એને હમ્મેશને માટે પંગુ બનાવી દીધો.
મેમે નૃત્ય, સ્વીમિન્ગ અને ટૅનિસ તો શીખી ગઈ પણ હવે એને અંગ્રેજી ભાષા ખૂબ ગમવા માંડી. ઔરેલિયાનો સેગુન્દો દીકરીની પ્રગતિ માટે બહુ ઉત્સાહી હતો. એક ટ્રાવેલિન્ગ સેલ્સમૅન પાસેથી ઇન્ગ્લિશ ઍન્સાયક્લોપીડિયાના છ ગ્રન્થ લઈ આવેલો. મેમે નવરાશે નવરાશે વાંચતી.
પ્રેમલા-પ્રેમલીઓની ગપ્પાંબાજીમાં અને બેનપણીઓ સાથેના પ્રયોગોમાં કરેલી પીછેહઠમાં મેમેએ જે ધ્યાન ખરચેલું, એને ગ્રન્થોના આ વાચને કબ્જે કરી લીધું. શિસ્તમાં રહેવા માટેની એ કોઈ જબરજસ્તી ન્હૉતી, પણ જાહેર ક્ષેત્રે જે જાતની ખાનગી વાતો ચાલતી’તી તેમાંથી એનો રસ ઊડી ગયેલો. મદીરાપાનના એ પ્રસંગને એણે યાદ કરી જોયો. એને થયું, કેવું બાલિશ સાહસ હતું એ. પ્રસંગ મેમેને એટલો બધો ફનિ લાગેલો કે એ બધું એણે પિતા ઔરેલિયાનો સેગુન્દોને વીગતે વર્ણવી બતાવેલું. સેગુન્દોએ એને, ‘તારી મા-એ જાણ્યું હોત તો?’ કહ્યું અને ખડખડાટ હસ્યો. મેમે એને ખાનગીમાં વ્હાલથી આવું કંઈક ક્હૅ, ત્યારે એ આવું જ વર્તતો.
એણે મેમે પાસેથી વચન મેળવેલું કે મેમે એને પોતાના પહેલા પ્યારની વાત એવા જ વિશ્વાસથી કરશે. અને, મેમેએ જણાવેલું કે એને રેડ-હેડેડ અમરિકન છોકરો ગમી ગયેલો. ઔરેલિયાનો સેગુન્દોએ ‘તારી મા જાણે તો શું થાય, જાણે છે?’ એમ હસીને પૂછેલું. જોકે મેમેએ જણાવેલું કે છોકરો હવે પોતા માટે દૃશ્ય નથી કેમકે એ પોતાને દેશ પાછો ચાલી ગયો છે.
મેમેની પરિપક્વ વિવેકશીલતાએ પરિવારને સરવાળે શાન્તિનો અનુભવ કરાવેલો.
હવે, ઔરેલિયાનો સેગુન્દો, પેત્રા કોટ્સને વધારે સમય આપવા લાગ્યો છે. વીતેલા દિવસોમાં કરેલા ભ્રષ્ટાચાર માટે એના શરીર અને આત્માએ અનુમતિ નહીં આપેલી, છતાં, એ બધાંને સરખું કરવા માટેની એક પણ તક એ ચૂક્યો નહીં.
અમરન્તાને લાગ્યું હતું કે મૃત્યુ એને એનો માર્ગ બતાવી રહ્યું છે. ચૉથી ફેબ્રુઆરીની રાતે વંટોળ ફુંકાય છે અને પાવર પ્લાન્ટ ખોરવાઈ જાય છે. પણ બીજે દિવસે સવારના આઠ વાગ્યે અમરન્તા, કોઈ સ્ત્રીએ કદી ન સરજી હોય એવા, કલાકૃતિ સમા, કફન પર છેલ્લો ટાંકો ભરે છે. કશા નાટકવેડા કર્યા વિના અમરન્તા જણાવે છે કે પોતે સાયંકાળે મૃત્યુને વરશે.
માકોન્ડોમાં બધે સમાચાર પ્રસર્યા અને બપોરના ત્રણ સુધીમાં તો પાર્લરમાં પત્રો ભરેલું એક આખું કાર્ટૂન આવી ગયું. અમરન્તાએ અસ્વસ્થતા કે વેદનાનો અણસાર પણ આવવા દીધો નહીં. એ સ્વસ્થ હતી અને કર્તવ્યપૂર્તિને કારણે થોડી જુવાન પણ દેખાતી’તી. એ પહેલાં જેવી જ સરળ અને એવી જ દુબળી-પાતળી હતી. એનાં જડબાં કઠોર હતાં, કેટલાક દાંત ગાયબ હતા, નહિતર, હતી તેથી પણ એ વધારે જુવાન લાગત. પત્રોને એક બૉક્સમાં મૂકી સીલબંધ કરવા માટે એણે જાતે ઘરનાંને મદદ કરી; અને કહ્યું કે -બૉક્સને મારી કબરમાં એવી રીતે ગોઠવજો કે ભેજથી બગડી ન જાય.
એ પછી એ હતી ત્યાં જ હતી.
અમરન્તા કુંવારી જ મરી.
અમરન્તાના મૃત્યુ પછી ઉર્સુલા પોતાના બેડમાં સૂવા લાગી અને વરસો લગી જાણે જાગી જ નહીં. નાની અમરન્તા ઉર્સુલા એને મળી જતી. એની જોડે ઉર્સુલાને બહુ ગોઠી જાય છે અને એમની વચ્ચે સરસ વ્હાલપભર્યો સમ્બન્ધ રચાય છે.
હવે, સાન્તા સોફિયા દ લા પિયેદાદ ઉર્સુલાની સંભાળ લેવા માંડી છે. ઉર્સુલાના બેડરૂમમાં જમવાનું લઈ જાય, સ્નાન માટે અન્નાટો ફળમાંથી બનાવેલું પાણી લઈ જાય, માકોન્ડોમાં જે કંઈ બને એ બધાથી એને વાકેફ પણ રાખે.
ઉર્સુલાને ઔરેલિયાનો સેગુન્દો પણ અવારનવાર મળવા જતો, એના માટે કપડાં વગેરે લાવતો. ઉર્સુલા એ બધું પથારી પાસે મૂકી રાખે. એમ કરતાં કરતાં ઘણા ઓછા સમયમાં એણે બધું હાથવગું રહે એવી પોતાની એક આગવી દુનિયા બનાવી લીધી. એણે નાની અમરન્તામાં પ્રેમતત્ત્વનાં બી રોપેલાં. નાની પણ એના જેવી જ હતી, ઉર્સુલાએ એને પુસ્તકો વાંચતી પણ કરેલી.
ઉર્સુલાના સ્વભાવની સરળતા, પોતા પાસે હોય એથી પ્રસન્ન રહેવાની એની વૃત્તિ, વગેરેથી કોઈને લાગે કે સો વર્ષના ભારથી એ કુદરતી રીતે જ જિતાઈ ગઈ છે, તેમછતાં, સમજાય એવું છે કે એને દેખાતું ન્હૉતું. જોકે કોઈને ય લાગે નહીં કે એ સાવ જ અન્ધ છે.
મેમેનો પ્રેમી મૌરિસિયો બેબિલોનિયા એકાન્તે ઘરડો થઈને મૃત્યુ પામે છે -ન કશો વિલાપ -ન વિરોધ -વિશ્વાસઘાતની ન કશી યાદ. પીળાં પતંગિયાંએ એને બહુ સતાવેલો. પતંગિયાંથી એને પળભરની ય શાન્તિ નહીં મળેલી.
= = =
(Dec 30, 2022 : USA)
(Feb 18, ’24 : A’bad)
સૌજન્ય : સુમનભાઈ શાહની ફેઇસબૂક દીવાલેથી સાદર
![]()



કહેવત એટલે જીવંત ભાષાના દેહ પરનું અત્તરનું પૂમડું. આજે આપણે જેને ‘અભણ’ કહીએ તેવાં સ્ત્રી-પુરુષો પણ વાતચીતમાં કહેવતોનો છૂટથી ઉપયોગ કરે. પણ હવે શહેરીકરણને પ્રતાપે શિક્ષિત વર્ગની રોજની બોલચાલમાં કહેવતોનો ઉપયોગ ઓછો ને ઓછો થતો જાય છે. પણ આપણે ત્યાં મુદ્રણની સગવડ આવી તે પછી સમાજમાં પ્રચલિત કહેવતોને એકઠી કરીને સાચવી લેવાના ઘણા પ્રયત્ન થયા. આવો પહેલો પ્રયત્ન થયો છેક ૧૮૦૮માં, અને તે પણ એક સરકારી નોકરી કરતા અંગ્રેજ ડોક્ટરને હાથે. મુંબઈ ઇલાકામાં કામ કરતા અંગ્રેજ અધિકારીઓ અને પાદરીઓને મદદરૂપ થવાના ઈરાદાથી ડો. રોબર્ટ ડ્રમન્ડે ગુજરાતી-મરાઠી-અંગ્રેજીનું સંયુક્ત વ્યાકરણ લખીને પ્રગટ કર્યું: Illustrations of the grammatical parts of the Guzerattee, Mahratta & English Languages. ગુજરાતી વ્યાકરણની સોદાહરણ સમજણ આપવા ઉપરાંત આ પુસ્તકમાં તેમણે ૧૭૦ જેટલી ગુજરાતી કહેવતો નોંધી છે અને તેનો અંગ્રેજી અનુવાદ પણ આપ્યો છે.
પણ ડ્રમન્ડનું આ પુસ્તક માત્ર કહેવતોનું પુસ્તક નથી. એવું પુસ્તક આપણને પહેલી વાર મળે છે ૧૮૫૦માં. કંપની સરકારમાં ઉચ્ચ હોદ્દાઓ ધરાવનાર એલેક્ઝાન્ડર કિનલોક ફોર્બ્સની સૂચનાથી કવીશ્વર દલપતરામે ‘કથનસપ્તશતી’ નામનું પુસ્તક તૈયાર કર્યું. તેમાં ૭૦૦ કહેવતો સંઘરાઈ છે. દલપતરામનું અ પુસ્તક પ્રગટ થયું ત્યારે જ તેની સામે બે ફરિયાદ ઊઠી. એક તો, સાત સોની સંખ્યા ઘણી ઓછી છે. બીજું ઘણી બધી જાણીતી કહેવતો તેમાં જોવા મળતી નથી. ગુજરાત વર્નાક્યુલર સોસાયટી(આજની ગુજરાત વિદ્યા સભા)એ દલપતરામનું પુસ્તક પ્રગટ કરેલું. ફરિયાદને ધ્યાનમાં લઈને મગનલાલ વખતચંદને બીજું પુસ્તક તૈયાર કરવા સોસાયાટીએ જણાવ્યું. મગનલાલે પોતાનું પુસ્તક પણ ઉતાવળે તૈયાર કર્યું અને ૧૮૫૧માં તો તે પ્રગટ થઈ ગયું. દલપતરામે નહિ સંઘરેલી એવી લગભગ ૧,૮૦૦ કહેવત મગનલાલે પોતાના પુસ્તકમાં સમાવી છે.
૧૮૬૫માં પ્રગટ થયેલું પેશતનજી કાવશજી રબાડીનું ‘કહેવત મુલ ઇઆને ચાલુ વપરાતી કહેવતોની ઉતપતી અને તવારીખનો મુખતેશર શારાઉંશ’ જરા જૂદી ભાત પાડતું પુસ્તક છે. કારણ, અહીં માત્ર કહેવતો સંઘરાઈ નથી, પણ તેની પાછળની કથાઓ પણ લેખકે આપી છે. ૨૦૭ પાનાંના પુસ્તકમાં લેખકે ૪૩ જેટલી કહેવતો પાછળની કથાઓ સમાવી છે. પુસ્તકની ભાષા, અલબત્ત, પારસી ગુજરાતી છે.
માત્ર ૩૨ વરસની ઉંમરે ૧૮૮૮માં જમશેદજી નસરવાનજી પીતીતનું અવસાન થયું તે પહેલાં તેમણે ‘કહેવતમાળા’નો ઘણો મોટો ભાગ તૈયાર કર્યો હતો. પણ તે પુસ્તક પ્રગટ થયું છેક ૧૯૦૩માં. સ્કૂલમાં ભણતા હતા ત્યારથી જમશેદજીને કહેવતો ભેગી કરવાનો શોખ જાગ્યો હતો. તેમણે એકઠી કરેલી દસ હજાર જેટલી કહેવતો ‘કહેવતમાળા’ એવા મથાળા સાથે એ વખતના જાણીતા સામયિક ‘વિદ્યામિત્ર’માં હપ્તાવાર પ્રગટ થઈ હતી. જમશેદજીના અવસાન પછી તેમના નિકટના મિત્ર જીજીભાઈ પેસ્તનજી મિસ્ત્રીએ એ સામગ્રીને સુધારી, મઠારીને ૧૯૦૩માં બે ભાગમાં ‘કહેવત-માળા’ પુસ્તક પ્રગટ કર્યું હતું. આ પુસ્તકમાં લગભગ ૧૨ હજાર જેટલી ગુજરાતી કહેવતો અકારાદિ ક્રમે ગોઠવી છે. અને સાથોઆથ દેશ અને દુનિયાની બીજી ભાષાઓની સમાંતર કહેવતો પણ આપી છે. મહારાષ્ટ્ર રાજ્ય ગુજરાતી સાહિત્ય અકાદમીએ ૨૦૦૯માં આ પુસ્તકનું પુનર્મુદ્રણ કર્યું હતું.
જમશેદજીનું પુસ્તક પ્રગટ થયું તે પહેલાં ૧૮૯૩મા દામુભાઈ ડાહ્યાભાઈ મહેતાનું ‘ગુજરાતી કહેવતો’ પુસ્તક પ્રગટ થયું હતું. દામુભાઈનો જન્મ ૧૮૬૨માં. મુંબઈની એલ્ફિન્સ્ટન કોલેજના વિદ્યાર્થી. ૧૮૮૩માં બી.એ. અને ૧૮૮૫માં એમ.એ. અને બી.એસસી. થયા પછી ૧૮૮૭માં એલ.એલ.બી.ની ડિગ્રી મેળવી. પછી વડોદરા ટ્રેનિંગ સ્કૂલના હેડ માસ્ટર તરીકે નોકરીની શરૂઆત કરી. પછી શિક્ષણ ખાતામાંથી ન્યાય ખાતામાં ગયા અને અમરેલી પ્રાંતના જજ બન્યા. આ પુસ્તક પ્રગટ થયું ત્યારે તેઓ વડોદરાના એક્સ્ટ્રા આસિસ્ટન્ટ જજ હતા. પુસ્તકની પ્રસ્તાવના વાંચતાં જણાય છે કે કોલેજના અભ્યાસ દરમ્યાન અંગ્રેજી કહેવાતોના સંગ્રહ તેમના જોવામાં આવેલા. ત્યારથી તેમણે મનોમન નક્કી કરેલું કે ગુજરાતી ભાષાનો આવો કહેવત સંગ્રહ તૈયાર કરવો. એટલે કોલેજમાં ભણતા હતા ત્યારથી જ તેમણે ગુજરાતી કહેવતો એકઠી કરવાનું શરૂ કર્યું. એ માટે ઘણાં પુસ્તકો વાંચ્યાં. વડોદરા રાજ્યની નોકરીમાં જોડાયા પછી પણ તેમણે આ કામ ચાલુ રાખ્યું. “કહેવતોનો સંગ્રહ એટલો મોટો થઈ ગયો કે તેનાં કાગળીઆંઓ સાચવી રાખવાનું કામ પણ કઠણ થવા લાગ્યું.” એટલે આ પુસ્તક તેમણે છપાવવાનું નક્કી કર્યું. પ્રસ્તાવના પછી દામુભાઈએ કહેવત વિષે વિસ્તૃત નિબંધ લખ્યો છે.