
ગ્રીષ્મ ઋતુ છે. સૂરજનો સુંદર પ્રકાશ વેરાય છે. બપોરના બે વાગ્યા છે. આપણા દેશમાં શિયાળાની બપોરે હોય એવી મીઠી લહેરખી છે. વાતાવરણ કેટલું ખુશનુમા છે, ને છતાં મારું મન કેવું ઉદાસ છે એ સમજાવી નહીં શકું. ઊર્મિલ પ્રકૃતિનાં બધાં લક્ષણો મારું ચિત્ત પાથરી રહ્યું છે : મારું શ્વાસતંત્ર ધીમું છે, હું મૌન ધરીને બેઠો છું, રીતભાતે ગંભીર છું, વગેરે વગેરે. આના જેવી સલૂણી બપોરે કોઇ મને કવિ કહી બેસે એવું છે, કારણ કે ચોપાસ વિસ્તરેલી વૃક્ષરાજિ મારા ચિત્તને પુલકિત કરે છે, વાસંતી વાયરો વાઇ રહ્યો છે, અને પંખીગાન ચાલે છે. વસંતઋતુ આ દેશમાં સાચો અવતાર ધરીને આવી છે. આપણા દેશમાં તો વસંત જ ક્યાં છે? છે માત્ર ચારે ય તરફ વસંતનો મહિમા કરતાં અને દખણાદા વાયરાએ એમનાં પ્રાણમાં પ્રેમાગ્નિ ફૂંક્યો છે એવી મિથ્યા વાતો કરતાં વિયોગી પ્રેમીજનો. એવું કેમ ન બને? ફાગણના વાયુ તો સાવ ભોળા લોકને પણ અગનઝાળમાં લપેટે છે – એ તો એમનો સિલસિલો છે!

દરિયાકાંઠાના ટોર્ક્વે નામે ગામમાં અમારો નિવાસ છે. ચારેય બાજુ ટેકરીઓ છે. સ્ફટિક-શો સ્વચ્છ દિવસ છે – વાદળાંનું નામ નહીં, ધુમ્મસ નહીં, અંધકાર નહીં. ચોપાસ વૃક્ષો છે, પંખીડાંનાં કૂજન છે, ફૂલબિછાત છે. હું ટર્નબ્રિજ વેલ્સમાં હતો ત્યારે વિચાર આવેલો કે કામણ-દેવ મદન અહીં આવે તો ઝાડીઝાંખરામાંથી બે-ચાર પણ જંગલી ફૂલ તેના બાણને શોભાવવા માટે ન મળે. પણ દર મિનિટે એક સાથે હજાર પુષ્પ-બાણ ફેંકી શકે એવું આયુધ મદન મહાશય શોધી કાઢે, અને દિવસ ને રાત બાણ વરસાવ્યા કરે તો પણ અહીંનો ફૂલભંડાર ખૂટે તેમ નથી. જ્યાં પગ મૂકો ત્યાં ફૂલો જ ફૂલો છે. અમે રોજ ડુંગરાઓમાં રખડવા જઇએ છીએ. બધે ગાયો ને ઘેટાં ચરતાં જોવા મળે. કેટલેક ઠેકાણે ચડાણ એવાં હોય કે ચડવું-ઊતરવું આકરું બને છે. તો ક્યાંક વળી કેડા સાંકડા, ને બેઉ બાજુથી ઝાડવાં ઝૂકીને અંધારું પાથરતાં હોય, અને છોડવાં ને વેલા રસ્તો રોકીને ઊગ્યાં હોય. સૂરજદેવનો પ્રકાશ મધુરો છે. હૂંફાળી હવા હિંદુસ્તાનની યાદ આપે છે. આ થોડીક ઉષ્મા પણ પ્રાણીમાત્રમાં સુસ્તી સીંચે છે. ઘોડાંની ચાલ નિરાંતવી છે, તો લોકને પણ ક્યાં ય જવાની ઉતાવળ નથી – તમામ જીવ જાણે ટહેલી રહ્યા છે. અને હું અત્યારે તો પ્રમાદવિદ્યાની તપસ્યા કરી રહ્યો છું; પત્રલેખન માટે ભાગ્યે જ ક્ષણો બચે છે. દરરોજ ત્રણસો બગાસાં તો ખાતો હોઇશ. કોઇ ચોપડી ઉઘાડું, ને અરધા કલાક માટે નજર દોડાવું, પછી બે કલાકના આંખ-બિડામણમાં જંપી જાઉં. કલમને શાહીમાં બોળું તો એ ભગીરથકાર્ય બની જાય છે, અને આંખોના પલકાર માટે કે શ્વાસ લેવા માટે જહેમત પડે છે. આના જેવું કોઇ સ્થળ નહીં હોય : રળિયામણો નદીતટ, લહેરાતાં ખેતરો, વાંચવાનાં સરસ પુસ્તકો, ગોષ્ઠી માટે સમયની મોકળાશ, ગાવા માટે એકાંત, અને જરી ગપ્પાબાજી માટેના અવસર!
આ સાગરતીર મને બહુ ગમે છે. ભરતી ટાણે કાંઠા પરની તોતિંગ શિલાઓ ગરક થઇ જાય છે, માત્ર ટોપકાં પાણીબહાર દેખાય છે – જાણે નાના ટાપુડા. દરિયાકાંઠે નાનામોટા ટેકરા છે. મોજાંની થપાટો ટેકરીઓમાં ગુફાઓ કોરી કાઢે છે. ઓટ આવે ત્યારે ક્યારેક અમે ગુફાઓના એકાંતમાં જઇને બેસીએ છીએ. બહાર અફાટ સમુદ્ર ઘૂઘવે છે. દૂરદૂર નાનકી નૌકાઓ સરકતી દેખાય છે. સૂર્યપ્રકાશનો તોટો નથી. કર્મશૂન્યતાની આ ઋતુ ગાળવા આથી વધુ સારી જગ્યા હશે? કોક દિવસ હું ટેકરીઓ પર જાઉં, ઘાસ અને ખડકોથી ઘેરાયેલું કોઇ એકાંતધામ શોધીને ત્યાં પુસ્તક વાંચું. પણ ના, ચોપડીનાં પાનાંમાં ખોવાઇ જવાની આ જગ્યા નથી. અહીંની નિરાંત-ઉત્તેજક શાંતિમાં વાચનની એકાગ્રતા શક્ય નથી. આ નીલરંગી સાગર અને સ્વચ્છ આકાશમાંથી ઊતરતી તડકી શા કામનાં? એકાદ-બે લીટી વાંચીએ, ઘૂઘવતા દરિયાને થોડીવાર નીરખીએ, અને પછી સેંકડો વિચારોની અટવીમાં અટવાઇ જઇએ. જો કે, ધ્યાન ચૂકીએ તો વિચારો આવે છે તેનો પણ ખ્યાલ ખોઇએ. બસ, ત્યારે પછી હાથમાં પકડેલું પેલું પુસ્તક સાંભરે, અને એ વાંચવાનો દૃઢ નિશ્ચય કરીએ. પણ બીજી લીટીના અલ્પવિરામે પહોંચતાંવેંત ચિત્ત આપણું ધ્યાન ચુકાવીને કહ્યાબહાર છટકીને કદી ધારી ન હોય એવી જગ્યાએ પહોંચી જાય છે. મનજીબંધુ દિવસભર આવી સંતાકૂકડી રમ્યા કરે છે અને અઢી દિવસમાં દોઢ પાનું જ વાંચી શકાય છે.
પણ, આ બધો મારો બકવાસ છે. એક હજાર વિચારો મનમાં ઘૂમરાયા કરે છે, પણ એ બધા ડાહ્યાડમરા થઇને નથી આવતા; બધા શબ્દો, વેરવિખેર અને અસંબદ્ધ, ધક્કામુક્કી કરતા મારા ચિત્તના સરિયામ રસ્તે ભટકે છે પણ એકબીજાને ઓળખતાય નથી. અને, તો પછી, વિચારોનાં ચીંથરાંની થીગડથાગડ જેવો આ પત્ર વાંચવા જેવો ખરો?
['રવીન્દ્ર-પત્રમધુ' પુસ્તકમાં]
(રવીન્દ્રનાથના પત્રો : સંપાદન અને અનુવાદ – જયંત મેઘાણી; ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય; કિંમત – રૂ. 280)
https://www.facebook.com/jayant.meghani.5/posts/10222398310093374
![]()


નિ:શંકપણે, વર્ષ ૨૦૨૦ કોરોના વાઇરસનું છે. તેનો આશય માનવજાતનું નિકંદન કાઢી નાખવાનો હોવાનો સત્તાવાર સ્વીકાર થઈ ચૂક્યો છે. ગયા વર્ષે વૈજ્ઞાનિકોએ ઔપચારિક રીતે ‘એન્થ્રોપોસેન’ યુગની, એટલે કે જેમાં માનવજાત કુદરતનું નિકંદન કાઢી રહી છે તેવા સમયની, શરૂઆતની જાહેરાત કરી. તેના એક વર્ષ પછીનું આ વર્ષ છે. આ બે અંતભણીનાં યુદ્ધોના મુખ્ય કથાનકમાં બીજાં અનેક નાનાં કથાનકો પણ છે. જેમ કે, અનેક દેશોમાં જમણેરીઓ અને લોકશાહી-તરફી પરિબળો વચ્ચે ચાલી રહેલું યુદ્ધ, નાગરિક એટલે એક તરફ ઘરબાર સાથે સ્થાપિત લોકો જ હોય અને બીજી તરફ વિચરતી અને સ્થળાંતરિત પ્રજાનો પણ સમાવેશ થાય એ બે વિચાર વિશેનું યુદ્ધ, રાજ્ય વિશેના ધર્મઆધારિત ખયાલ અને ધર્મ સિવાયના ખયાલ વચ્ચેનું યુદ્ધ. બીજી પણ પેટાકથાઓ છે, જે લિંગ, વર્ગ, ઓળખ, ભાષા અને ઇતિહાસની ફરતે ઘૂમી રહી છે. આપણી વચ્ચે અને આપણી આજુબાજી એટલું બધું બની રહ્યું છે કે કોઈ પણ ભાવિ ઇતિહાસકાર માટે ૨૦૨૦ના વર્ષનું સંપૂર્ણ વર્ણન કરવું એ બહુ મોટો પડકાર બની રહેશે. વર્તમાન ક્ષણના ખભે, એ જે ઇતિહાસ ઘડી રહી છે તેનો ભારે બોજો આવી પડ્યો છે, માટે તેની પાસે ભૂતકાળ યાદ કરવાનો સમય ના હોય તે સમજી શકાય. નવેસરથી મળેલી સ્મૃતિ ઘણી વાર વર્તમાનમાં ઘડવામાં આવતાં કથાનકોને વેરવિખેર કરી નાખતી હોય છે, અને કોરાણે કરવામાં આવેલી સ્મૃતિ આવાં કથાનકોની વિશ્વસનીયતા પર શંકા ઊભી કરી શકે છે.
યાદ કરવા લાયક બે-એક સાહિત્યિક કૃતિઓ પણ છે – એ કારણે નહિ કે અન્યથા તે કદાચ ભૂલાઈ જશે, પણ એ કારણે કે અન્યથા આપણે કદાચ ભૂલી જઈશું કે આપણા સમયમાં આપણે ક્યાં ઊભા છીએ. તેમાંથી એક કૃતિ ફ્રેન્ચ નવલકથાકાર અને વિચારક આલ્બેર કામુની છે. 1947માં પેરિસની ગાઈમાર પ્રકાશન સંસ્થાએ ‘લા પેસ્ત’ તરીકે પ્રકાશિત કરી અને 1948માં સ્ટુઅર્ટ ગિલ્બર્ટે ‘ધ પ્લેગ’ નામે અંગ્રેજી અનુવાદમાં રજૂ કરી, તે આ નાની એવી નવલકથાની વિશ્વભરમાં ચર્ચા થઈ. કામુ 29 વર્ષની ઉંમરથી તેના પર કામ કરી રહ્યા હતા. તેમને ‘પ્લેગને રીડીમ કરવા’ (એટલે કે પ્લેગની બિહામણી બાજુની સામે કંઈક શુભ સર્જન કરી પરત આપવા, કહો કે પ્લેગનું શોધન કરવા) એક નવલકથા લખવાનો વિચાર હતો. આમ તો તેમણે નવલકથામાં તેમના વતન અલ્જિરિયામાં રોગચાળાના લાંબા ઇતિહાસને આશરો લીધો હતો, પણ તેમના સમયના વાચકોને અને પછીની પેઢીઓના વાચકોને એ સમજવામાં વાર ના લાગી કે કામુ જે પ્લેગ વિશે લખી રહ્યા હતા તે મરકી હતી ફાસીવાદની. નવલકથાને નાની સફળતા મળી તે 1957માં માત્ર 44 વર્ષના કામુને સાહિત્ય માટેનું નોબેલ પારિતોષિક મળ્યું તેમાં જોવા મળી, અને વધુ ઝળહળતી સફળતા મળી તે એ કે પોતપોતાના સમયે અસ્તિત્વની કટોકટીમાં ફસાયેલી દુનિયાભરમાં એક પછી એક યુવા પેઢી દાર્શનિક પોષણ માટે તેના તરફ વળતી રહી. ‘ધ પ્લેગ’નું મુખ્ય પાત્ર છે ઓરોં શહેરનો બેર્નાર રિય, જે અવિસ્મરણીય અસ્તિત્વવાદી વલણ લે છે, “હું જ્યાં હોઉં ત્યાં અને જે થઈ શકે તે કરવું”. 75 વર્ષ પહેલાં યુરોપ પર બર્જન-બેલ્સેનની ગંધ છવાયેલી હશે, ત્યારે કામુ તેના વાચકોને કહેવા માગતા હતા : મહેરબાની કરીને પલાયન થવાની વાત કરશો નહિ, બસ, લડત ચાલુ રાખો.
બીજું પુસ્તક જે મને સાદ દે છે તે એરિક બ્લેરની રાજકીય દૃષ્ટાન્તકથા છે. ભલે બહુ થોડા અંશે, પણ તેઓ આપણા પોતાના બિહારીબાબુ હતા. બિહારના મોતિહારીમાં તેમનો જન્મ થયો. પિતા અંગ્રેજ અને માતા ફ્રેન્ચ-બર્મિઝ હતા. નાનપણમાં બ્લેરને ભણતર માટે ઇંગ્લૅન્ડ મોકલવામાં આવ્યા. જેમતેમ શાળાજીવન પૂરું થયું ત્યારે ૧૯ વર્ષની ઉંમરે તેમણે ઈન્ડિયન ઈમ્પિરિયલ પોલીસ સર્વિસમાં જોડાવાનું પસંદ કર્યું અને બર્મામાં નોકરી માગી. તેમણે પોલીસની નોકરી ચાલુ રાખી હોત, પણ વણસતી તબિયતના કારણે તેમણે બ્રિટિશ ઈન્ડિયા છોડીને બ્રિટન પરત થઈ પત્રકાર અને લેખક તરીકેની કારકિર્દી અજમાવી. તેમણે લેખક તરીકે તખલ્લુસ અપનાવ્યું, ‘જ્યોર્જ ઓર્વેલ’. પછી તો એ ઉપનામ તેમને જ નહિ, વિશ્વ સાહિત્યને પણ વળગેલું રહ્યું. તેમની લઘુનવલ ‘એનિમલ ફાર્મ’ 1945માં પ્રકાશિત થઈ હતી, આજથી 75 વર્ષ પહેલાં. તેનો ફ્રેન્ચ અનુવાદ પ્રસિદ્ધ થયો 1947માં, જે વર્ષે કામુની ‘ધ પ્લેગ’ પ્રકાશિત થઈ.
ફ્રેન્ચ કામુ અને અંગ્રેજ ઓર્વેલની પેઢીના વધુ એક વિશિષ્ટ લેખક હતા અમેરિકન હૅમિંગ્વે. તેમની લઘુનવલ ‘ધ ઓલ્ડ મેન એન્ડ ધ સી’ (1952) પણ ‘એનિમલ ફાર્મ’ અને ‘ધ પ્લેગ’ પછી ગણતરીનાં વર્ષોમાં પ્રકાશિત થઈ. અર્નેસ્ટ હૅમિંગ્વેને કામુ કરતાં થોડાં વર્ષો પહેલાં નોબેલ પારિતોષિક મળ્યું. ૨૦૨૦માં આપણે પારાવાર આર્થિક સંકડામણ અને ઇતિહાસમાં અભૂતપૂર્વ એવા વાઇરસના ફેલાવાથી ત્રસ્ત છીએ, જ્યારે આપણે એવી દુનિયા જોઈ રહ્યા છીએ જેમાં રાષ્ટ્રીય સીમાઓ કારાવાસની દીવાલો જેવી બની રહી છે, જ્યારે આપણે દરેક ‘અન્ય’ને વાઇરસવાહક અને સંભવિત જોખમ તરીકે જોતા શીખી રહ્યા છીએ, ત્યારે આપણે બે ઘડી સમય કાઢીને યાદ કરવું જોઈએ કે ૩૦મી એપ્રિલ ૧૯૪૫ના રોજ હિટલરે આત્મહત્યા કરી ત્યારથી ૧૯૫૨ વચ્ચે ઓર્વેલ, કામુ અને હેમિંગ્વે જેવા લેખકોએ દુનિયાને નવી સંવેદનશીલતા, અસીમ આશા અને તેમના સમયના રોગચાળાઓનો સામનો કરવાના નવા રસ્તા બતાવ્યા હતા. એક વાર સુનિશ્ચય કરી લો, તો પછી બુઢ્ઢો માણસ, ધ ઓલ્ડ મૅન, પણ અશક્ય જણાતું કામ કરી શકે છે. એક વાર સુનિશ્ચય થઈ જાય, તો પછી ભલે થાકેલી હોય, પણ પ્રાચીન સંસ્કૃતિ અશક્યને શક્ય બનાવી શકશે, ભલે વાઇરસ ઘાતક રહ્યો તો રહ્યો!
1924ની સાલ, સપ્ટેમ્બર મહિનો. સમાચાર આવ્યા કે રવીન્દ્રનાથ ટાગોર પેરુ દેશ જતાં રસ્તામાં આર્જેન્તીનાના અમારા મહાનગર બ્યુએનોસ આયરેસમાંથી પસાર થવાના છે. મેં ‘ગીતાંજલિ’ અંગ્રેજીમાં વાંચી હતી; એ પહેલાં તો આન્દ્રે જીદે કરેલો ફ્રેન્ચ અનુવાદ અને એક સ્પૅનીશ અનુવાદ પણ હું માણી ચૂકેલી. કવિનું આવું આગમન અમારે માટે એક મોટો પ્રસંગ હતો; મારે પોતાને માટે તો એક લાખેણો અવસર હતો.