સંઘ શ્રેષ્ઠીઓ જોગ
ભલે માર્ગદર્શક મંડળની અભરાઈએથી પણ અડવાણીએ કહ્યું હતું કે, પૂર્વ વડા પ્રધાન નરસિંહરાવના મૃત્યુ પછી સોનિયા ગાંધીના નેતૃત્વમાં કાઁગ્રેસે સદ્દગત નેતાની ધોરણસરની અંતિમયાત્રાની કાળજી ન લીધી, એમની ઘોર અવહેલના કરી એવું તમે અમારા પક્ષમાં નહીં જુઓ.

પ્રકાશ ન. શાહ
આજે કર્પૂરી, આવતીકાલે અડવાણી અને પરમ દિવસે ? કદાચ કાંસીરામ ભારતરત્નની આ સંભવિત શૃંખલાને કેવી રીતે જોશું, વારું ? સામાજિક ઇજનેરી અને હિંદુત્વના મેળમિલાપથી ચુનાવી દિગ્વિજયની રણનીતિ તરીકે સ્તો.
રહો. લાલકૃષ્ણ અડવાણીને ભારતરત્ન બનાવાયા, જેમ પૂર્વે અટલબિહારી વાજપેયીને પણ જાહેર કરાયા હતા – આ ઘટનાક્રમને વિનય સીતાપતિ જરી જુદી રીતે ય જુએ છે અને ઘટાવે છે. સીતાપતિને ઓળખ્યા ને ? ‘જુગલબંદી : ધ બી.જે.પી. બીફોર મોદી’ના લેખક. વાજપેયી-અડવાણીની ખાસાં સાઠ વરસની સહયાત્રા ફરતે થયેલી આ નિરુપણા છે.
સીતાપતિ કહે છે કે આ પુસ્તકના લેખન દરમિયાનમાં હું અડવાણીને મળ્યો ત્યારે મેં નરસિંહરાવ વિશે લખેલું પુસ્તક પ્રકાશિત થયેલું હતું, અને અડવાણીએ તે વાંચ્યું પણ હતું. વાતવાતમાં અડવાણીએ કહ્યું કે નરસિંહરાવના મૃત્યુ પછી સોનિયા ગાંધીના નેતૃત્વમાં કાઁગ્રેસે સદ્દગત નેતાની ધોરણસરની અંતિમ યાત્રાની કાળજી ન લીધી, બલકે એમની ઘોર અવહેલના કરી એવું તમે અમારા પક્ષમાં નહીં જુઓ. અડવાણીનું આ અવલોકન એ દિવસોમાં આવ્યું હતું જ્યારે માર્ગદર્શક મંડળ નામની રૂપાળી અભરાઈએ એમને ચડાવી દેવામાં આવ્યા હતા. વાજપેયીની વાત કરીએ તો નરેન્દ્ર મોદીને ગુજરાતના મુખ્ય મંત્રીપદેથી પાણીચું પરખાવવાની એમની ઇચ્છા લગારે ગુપ્ત નહોતી ને નથી. પણ, આ જ વાજપેયી ન.મો.ના પ્રથમ પ્રધાન મંત્રી કાળમાં ભારતરત્ન તરીકે પોંખાયા, અને બીજા કાળમાં આજે અડવાણી પોંખાઈ રહ્યા છે. સોનિયા-રાવના કાઁગ્રેસ મોડેલ કરતાં વાજપેયી-મોદી અને અડવાણી-મોદી મોડેલ ચોક્કસ જ એક જુદી છાપ લઈને આવે છે.
વિનય સીતાપતિએ આ સંબંધભાતને અનુલક્ષીને સમજૂતી આપતાં ‘હિંદુત્વ ફેવિકોલ’ એવું નામ આપ્યું છે. વાજપેયી જે રીતે હિંદુત્વની લવચિક ને લચીલી વ્યાખ્યામાં ગયા – અમારું હિંદુત્વ સાવરકરનું નથી એ ખાસ સંભાળ લઈને કહ્યું તે જોતાં આ ફેવિકોલ એ હિંદુત્વ કરતાં વધુ તો સંગઠનભાવનાનું છે એમ જ કહેવું જોઈએ.
વાજપેયી-અડવાણી-મોદી ત્રિકોણને કેવળ ભારતરત્ન પ્રકરણ જેવા ઓઠાથી સમજાવવાથી અને ભા.જ.પ.ને બક્ષવાની ભૂમિકા જો કે એટલી દુરસ્ત નથી જેટલી ઉપલક ઉભડક લાગે છે. પ્રશ્ન આ છે કે વહેવાર તો સાચવી લીધો, પણ પછી શું. વાજપેયી અને અડવાણીનાં પક્ષ જોગ હિતવચનો ભારતરત્નની આડશે લપાઈ જાય તો કથિત ફેવિકોલ એક અર્થમાં બે-મતલબ બની રહે છે એનું શું.
વાજપેયીએ સંઘ-જનસંઘ સંબંધ સંદર્ભે કહેવા જોગ બધુ જ જનતા ભંગાણ પછી સાઇન્ડ આર્ટિકલમાં ચોખ્ખે ચોખ્ખું આખેઆખું લખ્યું હતું અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘને દો ટૂક કહ્યું હતું કે તમે નક્કી કરો, આર્ય સમાજની જેમ સુધારસંગઠના છો કે પછી રાજકીય મહત્ત્વાકાંક્ષી પક્ષવત છો. જનતા પક્ષના ઘટક તરીકે જનસંઘ પરની સંઘપકડ વિશેની ફરિયાદ અને બીજું ઘણુંબધું એમાં હશે.
આ જ મુદ્દો અડવાણીએ બીજે છેડેથી પકડ્યો હતો. ઝીણા પ્રશ્ને એમને આંતરવામાં આવ્યા અને ભા.જ.પે. પોતાની મુસ્લિમવિરોધી છબી સુધારવાની તક ખોઇ ત્યારે એમણે કહ્યું હતું કે પક્ષના નિર્ણયો સંઘના દબાણ હેઠળ થાય છે એવો સંદેશો જાય તે પક્ષ અને પરિવાર બેઉ સારુ ઇષ્ટ નથી. 1992ની છઠ્ઠી ડિસેમ્બરને એમણે એક વિષાદી ને દુઃખદ દિવસ તરીકે ચહીને ઓળખાવવાનું પણું જોયું હતું તે મુદ્દો સંઘચિંતનમાં (વિ.હિં.પ.-બજરંગ વિશેષ સંદર્ભમાં) નહીં ઊતર્યો હોવાની એમની લાગણી સતત રહી.
અલબત્ત, ભારતરત્ન શો વિવેકોપચાર એમને ઠીક લાગ્યો હશે અને વિનય સીતાપતિને પણ એ અન્યથા વસ્યો હશે. પરંતુ એમણે ઉપસ્થિત કરેલા પ્રશ્નો, જેનો અહીં તો અણસાર માત્ર છે, ખાસી આંતરબાહ્ય તપાસ માગી લે છે. ભા.જ.પ.ને અને સંઘને સમજાવું જોઈએ કે એમનો ઇતિહાસ ખાસી જવાબદારી લઈને આવે છે. સાઠ સાઠ વરસની જુગલબંદીને જે ઓછુંવત્તું સમજાયું ને અડ્યુંનડ્યું એની સમજ છેલ્લા દોઢ દાયકાની જુગલબંદ જોડીને કે સંઘશ્રેષ્ઠીઓને કેટલી હશે ? ન જાને.
e.mail : prakash.nireekshak@gmail.com
પ્રગટ : ‘પરિપ્રેક્ષ્ય’, “દિવ્ય ભાસ્કર”; 07 ફેબ્રુઆરી 2024
![]()


કહેવત એટલે જીવંત ભાષાના દેહ પરનું અત્તરનું પૂમડું. આજે આપણે જેને ‘અભણ’ કહીએ તેવાં સ્ત્રી-પુરુષો પણ વાતચીતમાં કહેવતોનો છૂટથી ઉપયોગ કરે. પણ હવે શહેરીકરણને પ્રતાપે શિક્ષિત વર્ગની રોજની બોલચાલમાં કહેવતોનો ઉપયોગ ઓછો ને ઓછો થતો જાય છે. પણ આપણે ત્યાં મુદ્રણની સગવડ આવી તે પછી સમાજમાં પ્રચલિત કહેવતોને એકઠી કરીને સાચવી લેવાના ઘણા પ્રયત્ન થયા. આવો પહેલો પ્રયત્ન થયો છેક ૧૮૦૮માં, અને તે પણ એક સરકારી નોકરી કરતા અંગ્રેજ ડોક્ટરને હાથે. મુંબઈ ઇલાકામાં કામ કરતા અંગ્રેજ અધિકારીઓ અને પાદરીઓને મદદરૂપ થવાના ઈરાદાથી ડો. રોબર્ટ ડ્રમન્ડે ગુજરાતી-મરાઠી-અંગ્રેજીનું સંયુક્ત વ્યાકરણ લખીને પ્રગટ કર્યું: Illustrations of the grammatical parts of the Guzerattee, Mahratta & English Languages. ગુજરાતી વ્યાકરણની સોદાહરણ સમજણ આપવા ઉપરાંત આ પુસ્તકમાં તેમણે ૧૭૦ જેટલી ગુજરાતી કહેવતો નોંધી છે અને તેનો અંગ્રેજી અનુવાદ પણ આપ્યો છે.
પણ ડ્રમન્ડનું આ પુસ્તક માત્ર કહેવતોનું પુસ્તક નથી. એવું પુસ્તક આપણને પહેલી વાર મળે છે ૧૮૫૦માં. કંપની સરકારમાં ઉચ્ચ હોદ્દાઓ ધરાવનાર એલેક્ઝાન્ડર કિનલોક ફોર્બ્સની સૂચનાથી કવીશ્વર દલપતરામે ‘કથનસપ્તશતી’ નામનું પુસ્તક તૈયાર કર્યું. તેમાં ૭૦૦ કહેવતો સંઘરાઈ છે. દલપતરામનું અ પુસ્તક પ્રગટ થયું ત્યારે જ તેની સામે બે ફરિયાદ ઊઠી. એક તો, સાત સોની સંખ્યા ઘણી ઓછી છે. બીજું ઘણી બધી જાણીતી કહેવતો તેમાં જોવા મળતી નથી. ગુજરાત વર્નાક્યુલર સોસાયટી(આજની ગુજરાત વિદ્યા સભા)એ દલપતરામનું પુસ્તક પ્રગટ કરેલું. ફરિયાદને ધ્યાનમાં લઈને મગનલાલ વખતચંદને બીજું પુસ્તક તૈયાર કરવા સોસાયાટીએ જણાવ્યું. મગનલાલે પોતાનું પુસ્તક પણ ઉતાવળે તૈયાર કર્યું અને ૧૮૫૧માં તો તે પ્રગટ થઈ ગયું. દલપતરામે નહિ સંઘરેલી એવી લગભગ ૧,૮૦૦ કહેવત મગનલાલે પોતાના પુસ્તકમાં સમાવી છે.
૧૮૬૫માં પ્રગટ થયેલું પેશતનજી કાવશજી રબાડીનું ‘કહેવત મુલ ઇઆને ચાલુ વપરાતી કહેવતોની ઉતપતી અને તવારીખનો મુખતેશર શારાઉંશ’ જરા જૂદી ભાત પાડતું પુસ્તક છે. કારણ, અહીં માત્ર કહેવતો સંઘરાઈ નથી, પણ તેની પાછળની કથાઓ પણ લેખકે આપી છે. ૨૦૭ પાનાંના પુસ્તકમાં લેખકે ૪૩ જેટલી કહેવતો પાછળની કથાઓ સમાવી છે. પુસ્તકની ભાષા, અલબત્ત, પારસી ગુજરાતી છે.
માત્ર ૩૨ વરસની ઉંમરે ૧૮૮૮માં જમશેદજી નસરવાનજી પીતીતનું અવસાન થયું તે પહેલાં તેમણે ‘કહેવતમાળા’નો ઘણો મોટો ભાગ તૈયાર કર્યો હતો. પણ તે પુસ્તક પ્રગટ થયું છેક ૧૯૦૩માં. સ્કૂલમાં ભણતા હતા ત્યારથી જમશેદજીને કહેવતો ભેગી કરવાનો શોખ જાગ્યો હતો. તેમણે એકઠી કરેલી દસ હજાર જેટલી કહેવતો ‘કહેવતમાળા’ એવા મથાળા સાથે એ વખતના જાણીતા સામયિક ‘વિદ્યામિત્ર’માં હપ્તાવાર પ્રગટ થઈ હતી. જમશેદજીના અવસાન પછી તેમના નિકટના મિત્ર જીજીભાઈ પેસ્તનજી મિસ્ત્રીએ એ સામગ્રીને સુધારી, મઠારીને ૧૯૦૩માં બે ભાગમાં ‘કહેવત-માળા’ પુસ્તક પ્રગટ કર્યું હતું. આ પુસ્તકમાં લગભગ ૧૨ હજાર જેટલી ગુજરાતી કહેવતો અકારાદિ ક્રમે ગોઠવી છે. અને સાથોઆથ દેશ અને દુનિયાની બીજી ભાષાઓની સમાંતર કહેવતો પણ આપી છે. મહારાષ્ટ્ર રાજ્ય ગુજરાતી સાહિત્ય અકાદમીએ ૨૦૦૯માં આ પુસ્તકનું પુનર્મુદ્રણ કર્યું હતું.
જમશેદજીનું પુસ્તક પ્રગટ થયું તે પહેલાં ૧૮૯૩મા દામુભાઈ ડાહ્યાભાઈ મહેતાનું ‘ગુજરાતી કહેવતો’ પુસ્તક પ્રગટ થયું હતું. દામુભાઈનો જન્મ ૧૮૬૨માં. મુંબઈની એલ્ફિન્સ્ટન કોલેજના વિદ્યાર્થી. ૧૮૮૩માં બી.એ. અને ૧૮૮૫માં એમ.એ. અને બી.એસસી. થયા પછી ૧૮૮૭માં એલ.એલ.બી.ની ડિગ્રી મેળવી. પછી વડોદરા ટ્રેનિંગ સ્કૂલના હેડ માસ્ટર તરીકે નોકરીની શરૂઆત કરી. પછી શિક્ષણ ખાતામાંથી ન્યાય ખાતામાં ગયા અને અમરેલી પ્રાંતના જજ બન્યા. આ પુસ્તક પ્રગટ થયું ત્યારે તેઓ વડોદરાના એક્સ્ટ્રા આસિસ્ટન્ટ જજ હતા. પુસ્તકની પ્રસ્તાવના વાંચતાં જણાય છે કે કોલેજના અભ્યાસ દરમ્યાન અંગ્રેજી કહેવાતોના સંગ્રહ તેમના જોવામાં આવેલા. ત્યારથી તેમણે મનોમન નક્કી કરેલું કે ગુજરાતી ભાષાનો આવો કહેવત સંગ્રહ તૈયાર કરવો. એટલે કોલેજમાં ભણતા હતા ત્યારથી જ તેમણે ગુજરાતી કહેવતો એકઠી કરવાનું શરૂ કર્યું. એ માટે ઘણાં પુસ્તકો વાંચ્યાં. વડોદરા રાજ્યની નોકરીમાં જોડાયા પછી પણ તેમણે આ કામ ચાલુ રાખ્યું. “કહેવતોનો સંગ્રહ એટલો મોટો થઈ ગયો કે તેનાં કાગળીઆંઓ સાચવી રાખવાનું કામ પણ કઠણ થવા લાગ્યું.” એટલે આ પુસ્તક તેમણે છપાવવાનું નક્કી કર્યું. પ્રસ્તાવના પછી દામુભાઈએ કહેવત વિષે વિસ્તૃત નિબંધ લખ્યો છે.