વિરાજ એ વિશાળ ગારમેન્ટ સ્ટોરની ઇન્ડિયન કોમ્યુિનટીનો BBC રેડિયો હતો. મુખ્ય દરવાજા પાસે જ એનું કામ હતું એટલે આવતાં-જતાં બધાની ખબર પૂછતો રહેતો અને ખાસ તો બધાને ખબર આપતો રહેતો. બુધવારનો દિવસ ઓછામાં ઓછો વ્યસ્ત રહેતો હોવાથી તેને બધા જોડે વાતો કરવાનો અચ્છો સમય મળી રહેતો.
બપોરે સાડા બારે ક્લોક ઈન કરીને તે શોપ ફ્લોર પર આવ્યો. પોતાનો નેઇમ-બેજ સરખો જ કરતો હતો અને તેણે સ્વામીજીને જોયા. નકુલ પટેલ શાંત પ્રકૃતિનો માણસ અને સ્વામિનારાયણનો સગવડિયો અનુયાયી, એટલે સ્ટોરમાં તેને બધાં સ્વામીજી કહેતાં. ‘જય સ્વામિનારાયણ, સ્વામીજી. હાઉ ઇઝ લાઇફ?’ વિરાજે તેમને પૂછ્યું.
‘બસ હાલે છે.’ સ્વામીજીએ મિરાજ તમાકુને નીચલા હોઠ વચ્ચે દબાવતાં કહ્યું, ‘તમે ક્યો ..’
‘આપણું તો તમને ખબર જ છે. જિંદગી ઝંડવા, ફિરભી ઘમંડવા.’ વિરાજે જવાબ આપ્યો. જિંદગી પ્રત્યે તેને હંમેશાં ફરિયાદ રહેતી. ‘M.Sc. Biotech કરીને હેંગર પર કપડાં લટકાવીએ છીએ.’
‘ઇ તો એમ જ હોય, માલિક. બેંકમાં પાઉન્ડ પડવા જોઇએ.’ સ્વામીજીએ તમાકુનો રસ લેતાં-લેતાં પ્રેક્ટિકલ વાત કરી, ‘હારી નોકરી ના મળે ત્યાં હુધી આંયા કુટાવું જ પડે ને?’
એક વાગે મિતુલની શિફ્ટ શરૂ થતી. જેવો તે શોપ ફ્લોર પર આવ્યો કે વિરાજે તેને ઝડપી લીધો. વિરાજ પૂણેમાં ફિઝિયોથેરાપિસ્ટ હતો. અહીં આવીને તે એ ક્ષેત્રમાં આગળ પણ ભણ્યો, પણ એ જ ક્ષેત્રની નોકરી મેળવવામાં પાસપોર્ટનો રંગ આડો આવતો હતો એટલે એ પણ ન છૂટકે આ કપડાંની દુકાનમાં લાગી ગયો હતો. બધા તેને ‘ડૉકટર સાહેબ’ કહીને જ કટાક્ષ કરતા. ‘શું ડૉકટર સાહેબ! આવી ગયા કપડાંને કસરત કરાવવા?’ વિરાજે આદત મુજબ વ્યંગબાણ છોડ્યું.
‘આવવું જ પડેને, ડિયર?’ મિતુલે નાક પર નીચે સરકી આવેલાં ચશ્માંને દર્શિકાથી ઉપર ચડાવ્યા, ‘તમારું હજું પણ જિંદગી ઝંડવા, ફિરભી ઘમંડવા?’
‘એક્ઝેટલી. હવે તું બી શીખી ગયોને? તું જ કોઈ ઉપાય બતાવને યાર. આખો દિવસ નીચે પડેલાં કપડાં ઊઠાવીને તો આ કમરનો કૂચો થઈ ગયો છે. શું કરવું?’ વિરાજે ફરિયાદ કરી.
‘એ બધું તો ચાલ્યા કરે હવે. મને એમ કહે કે આપણો ઇંગ્લિશ બાબુ કેમ નથી દેખાતો?’ મિતુલે વાત બદલીને બાજુમાં આવીને ઉભેલા સ્વામીજીને પૂછ્યું. આવા ઘણા દર્દીઓને તેણે સાજા કર્યા હતાં પણ અહીં આ પરિસ્થિતિમાં તેનો ઉલ્લેખ થતાં એ નિસહાયતાની લાગણીથી ઊભરાઈ જતો. તેને ફિઝિયોથેરાપિસ્ટના બદલે આવું કામ કરવું પડતું, તેની નાનમ લાગતી.
‘ઇ કે’દુનો એચ.આર.માં ગ્યો છે. ગમે ત્યારે ટપકી પડશે.’ સ્વામીજીએ કહ્યું. મેનેજર પણ ભારતીય જ હતો, ત્રણ-ચાર વર્ષ લંડનમાં રહ્યાં બાદ તે લંડનના નામે મોટા ઘરની છોકરીને પરણી લાવ્યો હતો. મોટા ઘરમાં ઉછરેલી એ છોકરીએ કદી ય કામ નહોતું કર્યું એટલે લગ્ન પછી પણ સુહાસને જ ઘરના બધાં કામ કરવાં પડતાં. એક વાર પે-ડે પાર્ટીમાં બે-ત્રણ પેગ વધારે પીને એ પોતાના મનની વાત બકી ગયો અને કૂથલીકારોને તો જાણે ખજાનો મળી ગયો. ત્યારથી સુહાસની પીઠ પાછળ તેને ‘ઇંગ્લિશ બાબુ, દેશી મેમ’ ફિલ્મ યાદ કરીને ઇંગ્લિશ બાબુ તરીકે ઓળખવામાં આવતો. ધીરે-ધીરે સામાન્ય વાતચીતમાંથી કૂથલી શરૂ થઈ અને થોડી વારમાં એ ત્રણેય, બધા જ ઇમિગ્રન્ટ્સની જેમ, નોકરી-વિઝા-ઘરની વાતો કરવા લાગ્યા.
‘હાલો, હાલો, કામે વળગો. ઇ આવતો જ લાગે છે કોઈ ગોરીને લઈને.’ અડધા કલાક બાદ મરાઠી મેનેજર સુહાસને આવતો જોઈને સ્વામીજીએ ટહુકો કર્યો અને બિલાડીને જોઈને સરકી જતાં ઉંદરોની જેમ ત્રણેય સરકી જઈને કામે વળગ્યા. કોઈ નવી છોકરી આવી હશે એટલે સુહાસે તેને બધુ સમજાવતો હશે, તેવું ત્રણેયને લાગ્યું પણ અજીબ વાત એ હતી કે નવી છોકરી જોડે એક ઊંચો, કોકેશિયન ચહેરો ધરાવતો આદમી પણ ફરતો રહેતો હતો. તેની પીઠ આ લોકો તરફ રહેતી એટલે એ શું કરે છે તે સમજાતું નહીં પણ જ્યાં-જ્યાં નવી છોકરી ગઈ, ત્યાં-ત્યાં એ આદમી પણ ગયો. સુહાસે ફરી-ફરીને આખો સ્ટોર અને તેને લગતી વિવિધ વ્યવસ્થાઓ નવી છોકરીને બતાવી. એકાદ કલાક બાદ સુહાસે આખી ટીમને લોડિંગ-બેમાં ભેગી કરી.
વિરાજ, નકુલ, મિતુલ, મોહમ્મદ, મુમ્બા, ઓક્સાના અને સેન્ડ્રા – બધા જ આવી ગયાં એટલે મેનેજર સુહાસે કહ્યું, ‘ગાઇસ, મિટ દનીસા. તે આજે જ આપણા સ્ટોરમાં જોડાઈ છે.’ કહીને તેણે નવી છોકરીનો પરિચય કરાવ્યો. દનીસાએ નાનું છોકરું બોલે તેમ ખૂબ પ્રયત્ન પછી ઘોઘરા અવાજે ‘હાઇ ..’ કહ્યું અને પછી તેના હાથના ઊપયોગથી કંઈક ઇશારો કર્યો. તરત જ તેની બાજુમાં ઉભેલા પેલા કોકેશિયન પુરુષે કહ્યું, ‘હાઇ, હું દનીસા, ઇસ્ટોનિયાથી આવેલી છું.’ ત્યારે બધાના દિમાગમાં બત્તી થઈ. દનીસા બધીર હતી અને તેને કામમાં મદદ કરવા તેની જોડે ઇન્ટરપ્રિટર આવ્યો હતો. ‘હું સાંભળી નથી શકતી કારણ કે મેન્યુફેક્ચરિંગ ડિફેક્ટ છે.’ ઇન્ટરપ્રિટર બોલ્યો એટલે દનીસા હસી, પણ બીજો સ્ટાફ અવઢવમાં હતો કે હસવું કે નહીં. ઇન્ટરપ્રિટર પોતાની તરફ અંગૂઠો કરીને દનીસાના શબ્દો બોલ્યો, ‘આ મારો ઇન્ટરપ્રિટર છે, માઇકલ, જે અહીં બે અઠવાડિયા મને મદદ કરશે. પછી હું જાતે જ તમારી સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશ. ધીરજથી મને સમજવાનો પ્રયત્ન કરજો અને કંઈ પણ કામ પડે, તો તમારી મદદે હું હાજર જ છું.’
બધા ફોર્મલી ‘હાઇ .. હલ્લો …’ કરીને પાછા કામમાં પરોવાઈ ગયા પણ વિરાજથી રહેવાતું નહીં. તે વારે-વારે પાછો ફરીને દનીસાને કામ કરતી જોઈ લેતો. તે વાંકી પડીને શોપ-ફ્લોર પર પડેલાં કપડાં ઊઠાવતી, અસ્તવ્યસ્ત થઈ ગયેલાં કપડાંને સરખા ગોઠવતી, આડીઅવળી જગ્યાએ પડેલાં કપડાંને તેની યોગ્ય જગ્યાએ ગોઠવતી અને તેના ઇન્ટરપ્રિટરની મદદથી ગ્રાહકો જોડે વાત કરતી. લંચ સુધી એમ જ ચાલ્યું. લંચ ટાઇમમાં વિરાજે સ્વામીજીને પૂછ્યું પણ ખરું, ‘શું લાગે છે આ દનીસાનું? કેટલી ટકશે આ કામમાં?’ અને જવાબમાં સ્વામીજીએ બંને ખભાને કાન સુધી ઊંચા કરીને આશ્ચર્ય વ્યક્ત કર્યું. દનીસા આખો દિવસ વાંકી પડીને કપડાં ઊઠાવતી રહી અને ઇન્ટરપ્રિટરની મદદથી બધું સમજવાનો પ્રયત્ન કરતી રહી.
સાંજે જ્યારે વિરાજની શિફ્ટ પૂરી થવાની હતી, ત્યારે બધાને ‘બાય’ કહી તે છેલ્લે દનીસા જોડે ગયો. કઈ રીતે વાત કરવી એની અવઢવ હતી, છતાં તેણે આદત મુજબ પૂછી નાખ્યું, ‘દનીસા, હાઉ ઇઝ લાઇફ?’ દનીસાએ બંને હાથની મુઠ્ઠીઓ વાળીને અંગૂઠા ઊંચા કરીને ‘થમ્બ્સ અપ’ વાળી મુદ્રા બનાવી અને તેનો ઇન્ટરપ્રિટર બોલ્યો, ‘આઇ એમ ફાઇન. યુ?’
વિરાજ તેનો ‘જિંદગી ઝંડવા …’ વાળો ડાયલોગ બોલવા જ જતો હતો અને તેણે દનીસા તરફ જોયું, તેના ઇન્ટરપ્રિટર તરફ જોયું અને …
e.mail : chiragthakkar.jay@gmail.com
('અોપિનિયન", 26 માર્ચ 2013)
![]()


‘ઝટ્ટ ડોળિ નાંખો રે, મનજળ થંભ થયેલું’
ઓગણીસમી સદીના સાહિત્યના વિવેચન વિશે વાત કરતાં સૌથી પહેલી જરૂર જણાય છે તે ઓગણીસમી સદીના પૂર્વાર્ધ પર સવિશેષ ધ્યાન આપીને એ સમયગાળામાં પ્રગટ થયેલાં પુસ્તકો અને સામયિકોના મહત્ત્વને સમજવાની અને સ્વીકારવાની. આપણા સાહિત્યમાં અર્વાચીન યુગની શરૂઆત નર્મદ-દલપતનાં લખાણોથી જ થઈ એવી માન્યતા આપણા વિવેચનમાં ઘર કરી ગઈ છે. નર્મદ અને દલપત એ આપણા સાહિત્યના અર્વાચીન યુગના બે મુખ્ય અને મહત્ત્વના પુરસ્કર્તા ખરા, પણ સમય દૃષ્ટિએ પહેલા પુરસ્કર્તા નહીં. અર્વાચીનતાનાં વૃત્તિવલણોનો સીધો સંબંધ બે સાહિત્યેતર ઘટનાઓ સાથે રહેલો છે. કાળક્રમે જોતાં આમાંની પહેલી ઘટના તે મુદ્રણનું આગમન અને બીજી ઘટના તે બ્રિટીશ પદ્ધતિના શાળા-શિક્ષણની અને પછી ઉચ્ચ શિક્ષણની શરૂઆત. આ શરૂઆત ૧૯મી સદીના પૂર્વાર્ધમાં મુંબઈમાં થઈ. ૧૮૦૮માં પહેલવહેલું છપાયેલું ગુજરાતી પુસ્તક મુંબઈમાં છપાઈને પ્રગટ થયું ત્યારથી ૧૮૫૨ સુધીમાં આપણી ભાષામાં ઓછામાં ઓછાં ૩૦૦ પુસ્તકો પ્રગટ થયાં હતાં. તેમાંનાં મોટા ભાગનાં પદ્યમાં નહીં, ગદ્યમાં લખાયેલાં હતાં. અને છતાં અર્વાચીન ગુજરાતી ગદ્યની શરૂઆત ૧૮૫૦માં પ્રગટ થયેલા દલપતરામના ‘ભૂત નિબંધ’થી કે ૧૮૫૧માં પ્રગટ થયેલા નર્મદના નિબંધ ‘મંડળી મળવાથી થતા લાભ’થી થઈ, એમ આપણે વર્ષોથી માનતા-મનાવતા આવ્યા છીએ. વાત જો સર્જનાત્મક ગદ્યની જ કરવાની હોય તો તો આ બંને કૃતિઓનું ગદ્ય પણ સર્જનાત્મક ગદ્ય નથી જ. હકીકતમાં અર્વાચીન ગુજરાતી ગદ્યનો આરંભ ૧૮૫૦ કરતાં ઘણો વહેલો પારસીઓ, પાદરીઓ, અને પરદેશી અમલદારોને હાથે થઈ ચૂક્યો હતો. અલબત્ત, તેમાંનું ઘણુંખરું ગદ્ય કાં અનુવાદ માટે, કાં ધર્મપ્રચાર માટે, કાં શાલેય શિક્ષણ માટે પ્રયોજાયું હતું, પણ તેથી એ અર્વાચીન ગદ્ય નહોતું એમ કેમ કહી શકાય? પણ આપણા સાહિત્યના ઇતિહાસમાં થોડા અપવાદોને બાદ કરતાં આપણે પારસીઓ, પાદરીઓ, અને પરદેશીઓના પ્રદાનની તો અવગણના જ કરી છે. ૧૮૪૪માં સુરતથી પ્રગટ થયેલા ‘પિલગ્રિમ્સ પ્રોગ્રેસ’ના અનુવાદ ‘યાત્રાકરી’નો અને અનુવાદક ફાધર વિલિયમ ફ્લાવરનો ઉલ્લેખ આપણા સાહિત્યના ઇતિહાસમાં ક્યાંય જોવા નહીં મળે. ચાલો, એ તો અનુવાદ હતો, પણ ૧૮૪૪માં જ પૂરાં સાતસો પાનાંમાં કાવસજી સોરાબજી કાવસજી પટેલે ‘ચીનનો અહેવાલ’ નામનું પ્રવાસ વર્ણનનું પુસ્તક મુંબઈથી પ્રગટ કરેલું. તેની વાત કોઈએ કરી છે? કરીએ તો તો પછી નર્મદ-દલપતનો ગદ્યના પ્રારંભક હોવાનો હક્ક લૂંટાઈ જાય ને? પણ ખુદ નર્મદે પોતે ગુજરાતી ગદ્યને જન્મ આપ્યાનું માન કેપ્ટન જર્વિસને આપ્યું છે અને ૧૮૨૮ના વરસથી ‘ગદ્યમાં લખવાનું શરૂ થયું’ એમ કહ્યું છે. પણ આ કેપ્ટન જર્વિસ કોણ હતો, એણે શું શું લખેલું એની ભાળ મેળવવાનો પ્રયત્ન કોણે કર્યો છે? ૧૮૬૭માં પ્રગટ થયેલા અભિજ્ઞાન શાકુંતલ નાટકના ઝવેરીલાલ યાજ્ઞિક અને દલપતરામ ખખ્ખરના બે અનુવાદ સંસ્કૃતમાંથી થયેલા પહેલા અનુવાદ તરીકે ઓળખાવાતા આવ્યા છે. પણ એ બંને મહાનુભાવોનો જન્મ પણ નહોતો થયો ત્યારે, છેક ૧૮૨૪માં સંસ્કૃતમાંથી પંચતંત્રનો અનુવાદ ‘પંચોપાખીઆંન’ નામે ફરદુનજી મર્ઝબાનજીએ કર્યો હતો એ વાત સાહિત્યના ઇતિહાસ કે વિવેચનમાં કોઈએ નોંધી છે? ૧૮૫૭માં મુંબઈ યુનિવર્સિટી શરૂ થઈ તે પછી કેટલાંક વર્ષો સુધી આ ‘પંચોપાખીઆંન’ પાઠ્યપુસ્તક તરીકે ભણાવાતું હતું અને ૧૮૮૨ સુધીમાં તેની છ આવૃત્તિ પ્રગટ થઈ હતી. તેનાથી પણ પહેલાં, ૧૮૨૧માં બાયબલના નવા કરારનો અનુવાદ સુરતમાં છપાઈને પ્રગટ થયો હતો. જેમ્સ સ્કિનર અને વિલિયમ ફાઈવી નામના લંડન મિશનરી સોસાયટીના બે પરદેશી પાદરીઓ ગુજરાતી ભાષા શીખીને બાયબલનો અનુવાદ ગુજરાતી ગદ્યમાં કરે, જ્યારે નર્મદનો જન્મ પણ થયો નહોતો અને જ્યારે દલપતરામની ઉંમર માંડ દોઢેક વર્ષની હતી ત્યારે કરે, એ હકીકત આપણા વિવેચને કે ઇતિહાસે નોંધી પણ છે? પણ આ બે પાદરીઓ પણ પહેલા ગદ્યકાર નથી. તેમના પહેલાં ‘કમતરીન ખાકસાર મુનશી ડોશાભાઈ મોબેદ શોહરાબજી ભરવચી’એ કરેલો ‘મોગલાઈ ઊનાની હકીમ લોકોનો ઊહવાલ તથા તે લોકોની નશીહતો’ નામનો અનુવાદ ૧૮૧૮માં મુંબઈના ફરદુનજી મર્ઝબાનજીના છાપખાનામાં છપાઈને પ્રગટ થયો હતો. અને આ જ ફરદુનજી મર્ઝબાનજીએ ૧૮૧૫ના ડિસેમ્બરની ૨૫મી તારીખે પોતે કરેલા અનુવાદનું ૪૧૦ પાનાંનું પુસ્તક પોતાના છાપખાનામાં છાપીને પ્રગટ કર્યું હતું. એનું નામ ‘દબેસ્તાનુલ મઝાહેબ.’ કોઈ પુસ્તકનો અનુવાદ પ્રગટ કરતાં પહેલાં કોઈ જાણકાર પાસે તેની ચકાસણી કરાવવાનું આજે પણ આપણને બહુ જરૂરી લાગતું નથી, અને પરિણામે કઢંગા અનુવાદો ખડકાતા જાય છે. ફરદુનજી પોતે ફારસીના સારા જાણકાર હતા, ગુજરાતી તો તેમની માતૃભાષા હતી, છતાં પોતે ફારસીમાંથી કરેલા આ અનુવાદની ચકાસણી તેમણે ત્રણ-ત્રણ જાણકારો પાસે કરાવી હતી અને તેમનાં પ્રમાણપત્ર પ્રસ્તાવનામાં આમેજ કર્યાં હતાં. અને છતાં ગુજરાતી ગદ્યલેખન અંગે આટલી સભાનતાભરી કાળજી રાખનારનું નામ પણ આપણે લેતા નથી. અર્વાચીન મરાઠી સાહિત્યના વિકાસ અને ઘડતરમાં પરદેશીઓ અને પાદરીઓએ આપેલા ફાળા અંગે સંશોધન કરી, અભ્યાસપૂર્વક લખાયેલાં પુસ્તકો પ્રગટ થયાં છે. પણ આપણે પુસ્તકો લખવાની વાત તો દૂર રહી, પરદેશીઓ અને પાદરીઓના ફાળાની નોંધ પણ કેટલી લીધી છે? પારસીઓની ભાષાને ‘અશુદ્ધ’નું લેબલ લગાડીને આપણે પહેલાં તેમના સાહિત્યને મુખ્ય પ્રવાહથી અલગ માનવાનું અને પછી એ અલગ પ્રવાહની અવગણના કરવાનું શરૂ કર્યું. આ વલણની શરૂઆત પોતાની કૃત્રિમ રીતે સંસ્કૃતમય ભાષાનો ફાંકો ધરાવતા પંડિત યુગના કેટલાક લેખકોથી થઈ અને ભાષાશુદ્ધિના આગ્રહી એવા ગાંધી યુગના કેટલાક લેખકોએ એ વલણને વધુ દૃઢ બનાવ્યું. એક ઉદાહરણ રૂપે આ વાક્ય જુઓ : ‘૧૮૨૨માં ગુજરાતની સાહસિક પારસી કોમના એક નબીરાએ ‘મુમબઈ સમાચાર’ નામે અઠવાડિક કાઢવા માંડ્યું … ભલે મુંબઈથી શરૂ થયેલું, પણ આ ગુજરાતી ભાષાનું સાહસ હતું.’ ગુજરાતી સાહિત્ય પરિષદે પ્રગટ કરેલા બહુખંડી ‘ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ’ના ત્રીજા ભાગની ભૂમિકામાં યશવંત શુકલે આ શબ્દો લખ્યા છે. બીજે ક્યાંય નહીં ને સાહિત્યના આવા વિસ્તૃત ઇતિહાસમાં પણ આમ નામ વગર મભમ વાત થાય એ કેવું? ‘૧૮૬૪માં એક નાગર નબીરાએ ‘ડાંડિયો’ નામે સામયિક કાઢવા માંડ્યું’ એમ કોઈ લેખક લખે ખરો? ૧૯૭૬માં પ્રગટ થયેલી પહેલી આવૃત્તિમાં આમ છપાયું. ૨૦૦૫માં બીજી શોધિત-વર્ધિત આવૃત્તિ પ્રગટ થઈ ત્યારે પણ એ પારસી નબીરાનું નામ આપવાનું ન તો બીજી આવૃત્તિના વિદ્વાન સંપાદક કે પરામર્શકને જરૂરી લાગ્યું, કે ન તો પ્રકાશક સંસ્થાને જરૂરી લાગ્યું.
નર્મદે પોતાનો પહેલો ગદ્યલેખ ભાષણ રૂપે મુંબઈની બુદ્ધિવર્ધક સભામાં રજૂ કર્યો હતો એટલા પૂરતી આપણે એ સભાને યાદ કરીએ છીએ, પણ આ સભાની પણ વિગતે વાત આપણે કેટલી કરીએ છીએ? હકીકતમાં, ૧૮૫૧માં, લગભગ એક જ વખતે, લગભગ સરખા નામવાળી બે સંસ્થાઓ શરૂ થઈ હતી. તેમાંની એક તે નર્મદે શરૂ કરેલી ‘જુવાન પુરુષોની અન્યોઅન્ય બુદ્ધિવર્ધક સભા’. કોલેજનો અભ્યાસ પડતો મૂકીને નર્મદને સુરત જવું પડ્યું અને તેની દોરવણી વગર આ સભા ઝાઝો વખત ચાલી શકી નહીં. બીજી બાજુ ગંગાદાસ કિશોરદાસે એલ્ફિનસ્ટન કોલેજના પ્રોફેસર પાટન સાથે મસલત કરીને ૧૮૫૧ના આરંભમાં ‘બુદ્ધિવર્ધક હિંદુ સભા’ની સ્થાપન કરી. તેના પહેલા પ્રમુખ હતા પ્રાણલાલ મથુરાદાસ, સેક્રેટરી હતા મોહનલાલ રણછોડદાસ ઝવેરી, જ્યારે ગંગાદાસ પોતે હતા ખજાનચી. ૧૮૫૧ના ફેબ્રુઆરીના ઉત્તરાર્ધમાં નર્મદ મુંબઈ છોડી સુરત ગયો તે પછી ૧૮૫૧ના માર્ચની ૩૦મી તારીખથી તેણે સ્થાપેલી મંડળી પ્રાણલાલ મથુરાદાસવાળી ‘બુદ્ધિ વર્ધક સભા’માં ભળી ગઈ. લગભગ ૧૮૭૦ સુધી આ સભા અને તેનું સામયિક ‘બુદ્ધિવર્ધક ગ્રંથ’ વધતે ઓછે અંશે કાર્યરત રહ્યાં હતાં. ૧૮૯૪-૯૫માં થોડા વખત માટે તે સંસ્થા ફરી સક્રીય બની ત્યારે તેના નામમાંથી ‘હિંદુ’ શબ્દ કાઢી નાખવામાં આવ્યો. છેવટે ૧૯૩૪ના જુલાઈની ૨૯મી તારીખે તે ફાર્બસ ગુજરાતી સભામાં વિલીન થઈ ગઈ. આજે ફાર્બસ ગુજરાતી સભાનું પુસ્તકાલય ઔપચારિક રીતે ‘બુદ્ધિવર્ધક પુસ્તકાલય’ તરીકે ઓળખાય છે એટલા પૂરતું હજી એ સંસ્થાનું નામ રહ્યું છે. પણ આ સંસ્થાના ઇતિહાસ અને કામગીરીની આપણે ઝાઝી ચિંતા કરી નથી. ‘બુદ્ધિવર્ધક ગ્રંથ’ની લગભગ આખી ફાઈલ મુંબઈની કે.આર. કામા ઓરિયેન્ટલ ઇન્સ્ટિટ્યૂટમાં સચવાઈ છે. એકના એક ચવાઈ ગયેલા વિષયો પર પીએચ.ડી. માટે ‘શોધનિબંધ’ લખનારાઓની નજર આજ સુધી તેમાં દટાયેલા ખજાનાને શોધી શકી નથી.