આશ્ચર્ય, આઘાત અને રમૂજમિશ્રિત સમાચારો મળતા રહે છે, જેમાં આપણા શાસકો અને અમલદારોના બૌદ્ધિક સ્તર, ઇરાદાઓ, માનસિકતાનો પડઘો પડતો જોવા મળે છે.
આવકવેરા અધિકારીઓએ કોઈ શાળામાં જઈને ત્યાંનાં બાળકોને, તે મોટી વયનાં થાય ત્યારે, કરચોરી ન કરવાના શપથ લેવડાવ્યા. અરે મારા સાહેબો! ભવિષ્યની ચિંતા છોડો, અત્યારે આ પ્રકારના શપથ કોની પાસે લેવડાવવા તે આપ જાણો જ છો. નેતાઓ, ઉચ્ચ પદાધિકારીઓ, રમતવીરો, અભિનેતાઓ વગેરે પાસે જતાં આપ મહાનુભાવોને કોણ રોકે છે ? દેખીતો આવકનો કોઈ સ્રોત ન હોવા છતાં છાશવારે પોતાની પાસે અમુક કરોડોની સંપત્તિ હોવાનું ગર્વભેર જાહેર કરનાર કદાવર વ્યક્તિને પૂછો તો ખરા કે ‘ભાઈ, આટલી સંપત્તિ આવી ક્યાંથી ?’ અને બિચારાં નિર્દોષ બાળકો … કે પછી નબળો ધણી બૈરી પર શૂરો? (જો કે હવે બૈરીને શૂરાતન બતાવવાના દિવસો ગયાં.)
હમણાં વડીલ મહેન્દ્ર મેઘાણીએ પોતાના સાર્થક જીવતરનાં સત્તાણું વર્ષ પૂરાં કરી અઠ્ઠાણુંમાં વર્ષમાં પ્રવેશ કર્યો, ત્યારે one man institute જેવા મહેન્દ્રભાઈના પ્રદાનની નોંધ લેવાનું, આપણાં વર્તમાનપત્રો અને વિશ્વવિદ્યાલયો તથા વિવિધ જાહેર સંસ્થાઓ કેમ ચૂકી ગયાં હશે ? પણ એ નથી કોઈ રાજકીય હસ્તી, કોઈ ઉદ્યોપગતિ, કોઈ અમલદાર – પછી આમ જ થાયને? આપણી પાસે કોઈ શપથ લેવડાવ્યા વિના તેમણે આપણાં બાળકોને ઉમદા વાચન મળે તે માટે જાત ઘસી નાખી છે. એમનાં નામ અને કામથી અજાણ નાગરિકો અને અધ્યાપકો પણ મળી રહેવાની પૂરી સંભાવના.
ભૂતપૂર્વ ધારાસભ્યો પેન્શનની માગણી લઈ મેદાનમાં આવ્યા છે. સહેજે પચીસ-ત્રીસ લાખ ખર્ચીને વિજેતા થયેલા અને તે પછી વિવિધ આર્થિક લાભ મેળવનારા આ સેવકોની (!) કફોડી હાલત માટે દયા ખાવી રહી. નોકરીમાં નવાસવા જોડાયેલા યુવાનોને વિદ્યાસહાયક / અધ્યાપક-સહાયકના રૂપાળા નામે, ‘સમાન કામ, સમાન વેતન’ના નિયમને અવગણી પાંચ વર્ષ શોષણ કરવાનું અને પછી નિવૃત્તિકાળે ‘પેન્શન’થી વંચિત રાખવાના. એમના વતી કોણ બોલશે?
ખલેલ પહોંચાડે એવા ઘટનાઓ બનતી જ રહે છે. આકાશ વિજયવર્ગીય જેલમાંથી બહાર આવે તો તેને આવકારવા તેના સમર્થકો પહોંચી જાય. મીઠાઈ વહેંચવામાં આવે. There are many to bat for him. આપણી સહાનુભૂતિ તો જેના પર આકાશ તૂટી પડ્યું, એ સહાયક અમલદાર માટે જ હોય.
કેટકેટલાની ચિંતા કરવાની? સ્વામી આનંદે તેમના પુસ્તક ‘બાહ્યાન્તર યાત્રા’માં તુલસીદાસના એક પદનો ઉલ્લેખ કર્યો છે, જેમાં આ સંતકવિ કહે છે. આયખું અલ્પ છે, વેદ, પુરાણ, કાવ્યકલાનો વ્યાપ મોટો છે, ચિત્ત ક્યાં ક્યાં પરોવવું? ‘બાતન કી એક બાત’ જન્મ સુધારવો હોય, તો રામનામ લેવું.
આપણે ય સો વાતની એક વાત – બાતન કી એક બાત – સાક્ષીભાવે બધું નિહાળ્યા કરવું. ન મૂંગા રહેવાય, ન બોલાય. ભલા લોકો પર સિતમ ગુજારાય ત્યારે જે.પી., લોહિયા, ઉમાશંકર, માવળંકર વગેરેની ખોટ ખૂબ સાલે છે. ક્યારેક એમના બરની કોઈ પ્રતિભા મળી રહેશે, એ શ્રદ્ધાના બળે ટકી જવાશે.
ગાંધીનગર
સૌજન્ય : “નિરીક્ષક”, 16 જુલાઈ 2019; પૃ. 15
![]()


વાત જો કે રાહુલ ગાંધી અને કૉંગ્રેસ આસપાસ કરવી છે, પણ શરૂઆત આપણે સ્પીકર ઓમ બિરલા અને સાંસદ પ્રેમચન્દ્રનથી કરીશું. રેવોલ્યુશનરી સોશલિસ્ટ પાર્ટીના પ્રેમચન્દ્રન, એકમાત્ર ચુંટાયેલા એમ.પી. છે. પણ સ્પીકરે, પોતે જ્યારે ગૃહમાં આસનસ્થ ન હોય ત્યારે દાયિત્વ નિભાવવા વાસ્તે પેનલ પર રહેવા પૂછ્યું ત્યારે એમણે આ નિમંત્રણ હોંશે હોંશે કબૂલ કીધું. હમણાં એક મુલાકાતમાં સરસ વાત કરી પ્રેમચન્દ્રને કે હું વિરોધપક્ષમાં એકમાત્ર છું – પણ સ્પીકરે મને બરક્યો એથી હું ઋણી છું; કેમ કે વિપક્ષનીયે જેમ લડાકુ તેમ એક વિધાયક ભૂમિકા છે. વાંસોવાંસ પ્રેમચન્દ્રને બીજી એક વાત પણ બિલકુલ મુદ્દાની ઉમેરી કે ગૃહમાં સૌથી મોટા વિપક્ષ તરીકે કૉંગ્રેસના નેતાને વિધિવત્ દરજ્જો આપવો જોઈએ. અમુક ટકા બેઠકોનો એવો કોઈ નિયમપોથી પરનો થપ્પો નથી. સી.પી.એમ.ના ગોપાલનને, એમના પક્ષની બેઠકો આજની કૉંગ્રેસ સંખ્યા કરતાં ખાસી ઓછી હોવા છતાં વિપક્ષ નેતાનો દરજ્જો અપાયેલો એ પૂર્વદૃષ્ટાંત પણ એમણે આ સંદર્ભમાં ઠીક સંભારી આપ્યું હતું.