
courtesy : Surendra, "The Hindu", 26 December 2019
![]()

courtesy : Surendra, "The Hindu", 26 December 2019
![]()
ગયા સપ્તાહના લેખમાં ચાર પ્રશ્ન ઉપસ્થિત કરવામાં આવ્યા હતા.
૧. સામાજિક સમાનતામાં માનનારા અને બ્રાહ્મણોનું પેટ ભરનારા યાચનાપરક કર્મકાંડોનો નિષેધ કરનારા શ્રમણ ધર્મના ઉપદેશો છતાં કેમ સનાતન ધર્મ પર તેની કોઈ અસર નહોતી થઈ? ત્યાં સુધીમાં ઇસ્લામ પણ ભારતમાં આવી ગયો હતો અને તેની સામાજિક સમાનતા તેમ જ ઇસ્લામિક બંધુત્વથી પણ સનાતન ધર્મ અક્ષુણ રહ્યો હતો એવું કેમ બન્યું? શંકરના લિંગનું પ્રક્ષાલન કરો અને જે રીતે પાણી ખાસ સ્પર્શ કર્યા વિના થાળામાં ઢોળાઈ જાય એવું કેમ બન્યું? હિંદુનો અને હિંદુસમાજનો પીંડ કેનો બનેલો છે?
૨. હિંદુ-મુસ્લિમ એકતા માટે જેટલા પ્રયાસ મુસલમાનોએ કર્યા હતા એટલા હિંદુઓએ નહોતા કર્યા. આમીર ખુસરો, બીજા સૂફીઓ, કબીર, અકબર, દારા શિકોહ અને બીજા અનેક લોકોએ હિંદુ-મુસ્લિમ એકતા માટે પ્રયાસ કર્યા છે. આની સામે ગાંધીજીના થવા સુધી હિંદુ પ્રતિસાદ નહીં જેવો હતો. આનું શું કારણ?
૩. મધ્યકાલીન હિંદુ સંતો રાંકની સાથે માનવતાથી વર્તવાની, માણસાઈની શીખ આપતા હતા; પરંતુ એની પાછળની પ્રેરણા અનુકંપા હતી, સામાજિક સમાનતા નહોતી. પ્રસ્થાપિત હિંદુ સમાજના સ્વરૂપ વિષે અને કુલ મળીને ભારતીય સમાજના સ્વરૂપ વિષે જે વિચારમંથન થવું જોઈએ તેનો સદંતર અભાવ હતો.
એવું નહોતું કે ત્યારે વિદ્વાનો નહોતા પાક્યા, પણ હિંદુ વિદ્વાનો વેદાંતની શાખા-ઉપશાખાઓની ચર્ચા કરવામાં મશગૂલ હતા. દ્વૈતીને અદ્વૈતીને પછાડવામાં કે અદ્વેતીને દ્વૈતીને પછાડવામાં જેટલો આનંદ આવતો હતો એટલો ગામની બહાર છેવાડે રહેતા દલિતની યાતના સાંભળવામાં કે પોતાના ઘરમાં રસોડામાં આંસુ સારતી સ્ત્રીની યાતના સાંભળવામાં કોઈ રસ નહોતો. એમ તો કાવ્યશાસ્ત્રમાં અને સૌંદર્યશાસ્ત્રમાં પણ એ યુગમાં ઘણું મૌલિક કામ થયું છે. એટલે વિદ્વતાનો અભાવ હતો એવું નહોતું. અને છતાં ય વરવી અને શરમજનક વાસ્તવિકતાઓ તેમને નજરે જ નહોતી પડતી. એવું કેમ? ઉદાસીનતા? અને જો ઉદાસીનતા હતી તો આવી? વરવી વાસ્તવિકતા હિંદુઓને નિર્બળ બનાવી રહી છે તેનું પણ તેમને ભાન નહોતું? અને જો ભાન હતું તો કોઈ ચિંતા જ નહોતી?
૪. શા માટે એકાદબે અપવાદ છોડીને દરેક વખતે વિદેશીઓની સામે હિંદુઓનો પરાજય થયો હતો? આ સવાલ જરૂર હિંદુ મસ્તિષ્કમાં પાછળના ભાગમાં કોઈક જગ્યાએ દબાયેલો પડ્યો હશે, પણ એનો મુક્ત સ્વીકાર અને ખુલ્લી ચર્ચા એ યુગમાં થઈ હોય એવું જોવા મળતું નથી. કોઈ બીમાર માણસ પોતાની બીમારીના કારણો વિષે પણ ન વિચારે? કે પછી બીમાર હોવાની વાસ્તવિકતાનો જ સ્વીકાર કરવામાં નહોતો આવતો? શું હિંદુ આ-લોકની વરવી અને શરમજનક વાસ્તવિકતાથી બચવા માટે, તેનાથી ભાગવા માટે પરલોક પ્રશ્નોમાં રસ લેતો હતો? શું મધ્યકાલીન હિંદુ દાર્શનિક મીમાંસા ભાગેડુ હતી?
અસ્તિત્વને વ્યાખ્યાયિત કરનારા નિર્ણાયક સવાલો હતા જે હિંદુઓને કવરાવવા જોઈતા હતા, પણ હિંદુ તેની સામે નજર પણ નહોતો નાખતો. આની વચ્ચે યુરોપિયનો આવ્યા હતા અને યુરોપિયનોને હિંદુઓનું આવું વલણ વિચિત્ર લાગ્યું હતું. તેમણે આવી કોઈ પ્રજા જગતમાં જોઈ નહોતી.
એવું નહોતું કે ઈ.સ.ની ૧૫મી સદીમાં યુરોપનો ભારત સાથે કે ભારતનો યુરોપ સાથે પહેલો પરિચય થયો હતો. પ્રાચીન યુગમાં સિકંદર અને બીજા યવનો ભારત આવ્યા હતા. કૌટિલ્યના ‘અર્થશાસ્ત્ર’માં; ‘વિદેશી’, ‘શત્રુ’, ‘અન્ય’, ‘શંકાસ્પદ’ મુખ્યત્વે યવન છે. એમ કહી શકાય કે પ્રાચીન ભારતીય રાષ્ટ્રવાદ આખે આખો યવનોને નજરમાં રાખીને લખાયો છે. પરંતુ એ પછીનાં વર્ષોમાં ભારતનો યુરોપ સાથેનો સંબંધ કપાઈ ગયો હતો. એનું કારણ ઇસ્લામનો પ્રાદુર્ભાવ હતું. વચ્ચે પશ્ચિમ એશિયાના ઇસ્લામિક દેશો આવી ગયા હતા જેણે યુરોપ અને ભારત વચ્ચેના સંબંધોને બે દિશામાં પ્રભાવિત કર્યા હતા. એક તો મુસલમાનોનાં આક્રમણો પૂર્વ યુરોપ પર થઈ રહ્યાં હતા અને યુરોપ તેનો સામનો કરવામાં રોકાયેલું હતું. આ સિવાય ઈસાઈઓ અને મુસલમાનો વચ્ચે ક્રુઝેડ અને જીહાદ ચાલતી હતી. બીજું, એ યુગમાં ઇસ્લામ જગતનો સૌથી યુવાન, સર્વ માટે ઉપલબ્ધ, આજની પરિભાષામાં કહીએ તો સમાજવાદી અને હણહણતી ચેતના દ્વારા ધબકતો ધર્મ હતો.
આ બંને કારણે મુસ્લિમ દેશો અને મુસલમાન ભારત અને યુરોપ વચ્ચે એક જ સમયે બેવડી ભૂમિકા ભજવતા હતા. પૂર્વ યુરોપ પરનાં મુસ્લિમ આક્રમણો અને ક્રુઝેડ અને જીહાદને કારણે ભારત અને યુરોપ વચ્ચે અંતરાલ પડ્યો હતો. હવે યુરોપિયનો માટે ભારત આવવું મુશ્કેલ બની ગયું હતું. વચ્ચે મુસ્લિમ વિશ્વ હતું. બીજી બાજુ ભારતીય જ્ઞાન મુસ્લીલ દેશો દ્વારા યુરોપ પહોંચતું હતું એટલે પશ્ચિમ એશિયાના મુસ્લિમ દેશો એક જ સમયે સેતુનું તેમ જ પૂર્વ-પશ્ચિમ વચ્ચે સુવર્ણ મધ્યનું કામ કરતા હતા. વ્યાપારની વાત કરીએ તો ભારતની ચીજવસ્તુઓ પણ આરબ વેપારીઓ ભારતથી આયાત કરીને યુરોપ નિકાસ કરતા હતા. ઉપર કહ્યાં એવાં પરિબળોને કારણે ભારતના વેપારીઓને ક્યારે ય સૂઝ્યું જ નહોતું કે આપણે આપણી ચીજવસ્તુઓની નિકાસ સીધી યુરોપમાં કરીને વધારે પૈસા કમાઈ શકીએ.
આ સમય ઝાઝો ટક્યો નહોતો. ઇસ્લામ એક રાજકીય ધર્મ છે એટલે ખલીફાઓની સત્તાના રાજકારણનો શિકાર બનવા લાગ્યો. ધર્મના નામે સત્તાનું રાજકારણ ખેલાતું હતું. ઇસ્લામ એનો ધબકાર ખોવા લાગ્યો. મુસલમાનોમાં બૌદ્ધિક વ્યાપાર, વિચાર-વિવેક હાંસિયામાં ધકેલાવા લાગ્યા અને તેની જગ્યા ધર્મચુસ્ત ઈસ્લામે લેવા માંડી. આ બાજુ યુરોપમાં પુનર્જાગરણનો યુગ શરૂ થયો જેણે યુરોપની પ્રજાની વિચારવાની રીત જ બદલી નાખી. આને કારણે શંકા કરવાનું, પ્રશ્નો કરવાનું, ચોકસાઈ કરવાનું, ખાતરી કરવાનું, નક્કર ખાતરી ન થઈ શકે તેવા કહેવાતા પ્રમાણોને નકારવાનું વલણ વધતું ગયું.
સાહસવૃત્તિ આનું સ્વભાવિક પરિણામ હતું કારણ કે હવે બાયબલનાં, ચર્ચાનાં અને પાદરીઓનાં કે પોપનાં ગૃહિતોને નકારવામાં આવ્યાં હતાં. પોસ્ટ ડેટેડ ચેક જેવા પરલોકનું સુખ કમાવાની જગ્યાએ ઈહલોકમાં સુખ કમાવાનું અને આ જનમમાં જ ભોગવવાનું વલણ પેદા થયું હતું. હવે યુરોપિયનો આખા જગતમાં ફરી વળ્યા હતા અને તેમાં મુસ્લિમ દેશો અવરોધ પણ પેદા કરી શકે તેમ નહોતા અને તેની સેતુની ભૂમિકાની પણ જરૂર નહોતી. બીજું હવે મુસલમ દેશો અવરોધ, સેતુ કે સુવર્ણ મધ્ય એમ ત્રણમાંથી કોઈ ભૂમિકા ભજવી શકે એમ નહોતા. ટૂંકમાં યુરોપનું જાગરણ થયું હતું અને મુસ્લિમ વિશ્વની ધબકતી ચેતનાનો અંત આવવા લાગ્યો હતો.
ભારતમાં હિંદુઓ આગળ કહ્યું એવી કોશેટા-અવસ્થામાં મસ્ત હતા!
e.mail : ozaramesh@gmail.com
પ્રગટ : ‘દૂધનું દૂધ, પાણીનું પાણી’ નામક લેખકની સાપ્તાહિક કટાર, ‘સંસ્કાર’ પૂર્તિ, “સંદેશ”, 29 ડિસેમ્બર 2019
![]()
દેશમાં ધાર્મિક અસમાનતા અને અસલામતી ફેલાવવાની સંભાવના ધરાવતા કાનૂનને દૂર કરીને બંધારણની જાળવણી થાય તેવાં ધ્યેયથી વિદ્યાર્થીઓ એકંદર અહિંસક રીતે સરકારની સામે પડ્યા છે. તેમનાં હૈયે સારા સમાજ માટેની આરત વસેલી છે. તે બૅનરો ને પોસ્ટરોમાં વંચાય છે. સૂત્રો અને ગીતોમાં સંભળાય છે.

આખા દેશના યુવા વિદ્યાર્થીઓમાં જુવાળ જાગ્યો છે. જામિયા મિલિયા ઇસ્લામિયા યુનિવર્સિટીમાં થયેલ પોલીસ દમન તેનું નિમિત્તમાત્ર જ છે. ખરું કારણ વિવાદાસ્પદ નાગરિકતા સુધારણા ધારો અને સેક્યુલર દેશની સરકારનું તેની પાછળનું માનસ છે. વિદ્યાર્થીઓ ઓછી ફી, વધુ માર્ક્સ, વધારે સગવડો, નોકરી-ધંધો ,સત્તા જેવી માગણીઓ માટે રસ્તા પર ઊતર્યા નથી. આ વાજબી માગણીઓ કરતાં ય અત્યારની નિસબત અલગ છે. સમાજમાં ધાર્મિક અસમાનતા અને અસલામતી ફેલાવવાની ક્ષમતા ધરાવતા કાનૂનને દૂર કરીને બંધારણની જાળવણી થાય તેવાં ધ્યેયથી વિદ્યાર્થીઓ એકંદર અહિંસક રીતે સરકાર સામે પડ્યા છે. તેમનાં હૈયે સારા સમાજ માટેની આરત વસેલી છે. તે બૅનરો ને પોસ્ટરોમાં વંચાય છે. સૂત્રો અને ગીતોમાં સંભળાય છે. દિલ્હીનાં ઇન્ડિયા ગેટ પર સેંકડો વિદ્યાર્થીઓએ મીણબત્તીના અજવાળે બંધારણનાં આમુખનું સમૂહ વાચન કર્યું તે યાદગાર હતું. રવીશકુમારે 18 ડિસેમ્બરના પ્રાઇમ ટાઇમ શોમાં જામિયાની દસ વિદ્યાર્થિનીઓ સાથેની મનને હલાવી દેનારી વાતચીત બતાવી છે. તેમાં વિદ્યાર્થિનીઓ કેવાં જોખમો અને ખૌફમાંથી પસાર થઈ રહી છે તેનું નિખાલસ બયાન મળે છે, જે માધ્યમોમાં અત્યારે સુધી નહીંવત આવ્યું હતું. સાથે યુવતીઓના સોંસરા શબ્દોમાં, અત્યારે મુસ્લિમ નાગરિકોમાંની ઓળખ અને અસ્તિત્વની અસલામતીની પીડાની ઝલક તેમ જ તેમના માટે હિન્દુ સમાજ કેવી રીતે સહસંવેદન ધરાવી શકે તેની ઝાંખી મળે છે.
આઝાદીની લડતનો ઇતિહાસ, સમન્વવયવાદી સાંસ્કૃતિક પરંપરા અને ઉત્તમ ઍકેડેમિક રેકૉર્ડ ધરાવતી જામિયા મિલિયાના પરિસરમાં પોલીસે 15 ડિસેમ્બરે જુલમ ચલાવ્યો. તેની સામે 17 ડિસેમ્બરે ચાળીસેક ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓના વિદ્યાર્થીઓએ કરેલાં વિરોધ પ્રદર્શનમાં કોઈ એક જ સંગઠન, આગેવાનના કે રાજકીય પક્ષના નેજા વિના છાત્રો લગભગ સ્વયંભૂ રીતે રસ્તા પર ઊતર્યા. તેમાં વિદ્યાર્થિનીઓની સંખ્યા પણ ઘણી હતી. આતંકિત જામિયાને તેનાથી ખૂબ દૂરનાં ગુવાહાટી ને કોલકાતા, ચેન્નાઇ ને પુડુચેરીની સંસ્થાઓના યુવાઓએ પણ સાથ આપ્યો હતો. પટના અને બનારસ, અમદાવાદ અને મુંબઈ પણ હતાં. અભ્યાસેતર બાબતોમાં માત્ર આર્ટસ, કૉમર્સ, હ્યૂમૅનિટિઝ કે માસ કૉમ્યુનિકેશનનાં જ વિદ્યાર્થીઓ હોય એવી મધ્યમ વર્ગીય ધારણા અહીં ખોટી ઠરી હતી. એન્જિનિયરિંગ ટેક્નોલૉજિ, ડિઝાઈન, પ્લાનિન્ગ, મૅનેજમેન્ટ, લૉ, સાયન્સ રિસર્ચ જેવી અનેક શાખાઓના વિદ્યાર્થીઓ હતા.
આવી છાત્રશક્તિ દેશને પિસ્તાળીસ વર્ષ પૂર્વે જોવા મળી હતી. 1973-74માં ગુજરાતના વિદ્યાર્થીઓએ ભ્રષ્ટાચાર અને મોંઘવારીના મુદ્દે નવનિર્માણ આંદોલન ચલાવ્યું હતું. નવનિર્માણને પગલે જયપ્રકાશ નારાયણની આગેવાની હેઠળ દેશમાં ભ્રષ્ટાચાર-વિરોધી જે.પી. આંદોલન ચાલ્યું. તે પછી કદાચ પહેલી જ વાર દેશના વિદ્યાર્થીઓનો નોંધપાત્ર હિસ્સો વ્યાપક સામાજિક ધ્યેયથી શાસકોની સામે પડ્યો છે.
શાસકોનું વિદ્યાર્થીઓ માટેનું સંવેદન જાણીતું છે. નવનિર્માણમાં ચીમનભાઈ પટેલની કૉન્ગ્રેસ સરકારની પોલીસે કરેલા ગોળીબારોમાં વિદ્યાર્થીઓ અને નાગરિકો શહીદ થયા હતા. રાજકીય પક્ષો ચૂંટણી ટાણે યુવાધનનું ગૌરવ કરે છે, ઊગતી પેઢીઓને નોકરીનાં સપનાં દેખાડે છે, લોકશાહીમાં મતદાનનું પવિત્ર કર્તવ્ય પાર પાડવા ઝુંબેશો ચલાવે છે. પણ એ જ મતોથી ચૂંટાયેલો પક્ષ સરકાર બનાવે છે ત્યારે વિદ્યાર્થીઓની અપેક્ષાઓ અને તેમના પ્રશ્નોને સામાજિક-રાજકીય પરિપ્રેક્ષ્યમાં જોવાને બદલે કાયદો અને વ્યવસ્થાના પ્રશ્નો તરીકે જુએ છે. વિદ્યાર્થી-વિરોધ પર પોલીસ તૂટી પડે છે. ગુસ્સો અને આક્રોશ વિદ્યાર્થીસહજ હોય છે. ભાંગફોડ પણ થાય છે. તેની સામે ધોરણસરનાં પગલાં લઈ જ શકાય. પણ સરકાર મોટે ભાગે પ્રમાણભાન છોડીને છેડાની પ્રતિક્રિયા આપે છે. પ્રકૃતિગત રીતે ઉત્સાહી, ઉદ્યમી અને ઉમદા યુવા માનસને ખલનાયક તરીકે ચિતરે છે. સહુથી ખરાબ તો એ કે અસંમતિ અને વિરોધનો તેમનો નાગરિક અધિકાર છિનવી લે છે. યુનિવર્સિટીઓમાં વ્યાપક માનવતાવાદી શિક્ષણ મેળવીને સરકારના મૂડીવાદી કે કોમવાદી એજન્ડા સામે સવાલ ઊઠાવનાર જાગૃત યુવાવર્ગને રાષ્ટ્રવિરોધી ગણવામાં આવે છે. વૈવિધ્ય, સ્વાતંત્ર્ય, સર્જકતા, સંવાદ, વિમર્શ, વિરોધ, વિદ્રોહની તાલીમશાળાઓ તરીકે વિશ્વમાં સદીઓથી સ્વીકાર પામેલ યુનિવર્સિટી નામના જ્ઞાનકેન્દ્રને સરકાર પોતાનાં વૈચારિક ઢાંચામાં બાંધીને પોતાને અનુકૂળ નાગરિકો ઊભા કરવા ધારે છે.
આ માનસથી કેન્દ્રની ભા.જ.પ. સરકારે પાંચેક વર્ષમાં અનેક વિદ્યાર્થી-વિરોધોને દબાવી દીધા છે : પૂનાની ફિલ્મ ઍન્ડ ટેલિવિઝન ઇન્સ્ટિસ્ટ્યૂટ ઑફ ઇન્ડિયાના વિદ્યાર્થીઓની ઍકેડેમિક માગણી, કનૈયાકુમારની આગેવાની હેઠળનું જે.એન.યુ.નું આંદોલન, વિશ્વવિદ્યાલય અનુદાન આયોગની પ્રવેશ અને શિષ્યવૃત્તિની અન્યાયી નીતિ સામેની ‘ઑક્યુપાય યુ.જી.સી.’ ચળવળ, રોહિત વેમુલાની આત્મહત્યા વખતના વિદ્યાર્થીઓના દેખાવો જેવા દાખલા સહજ રીતે યાદ આવે. કનૈયાકુમાર, જિજ્ઞેશ મેવાણી, રામચન્દ્ર ગુહા, વિવેક અગ્નિહોત્રીને શિક્ષણ સંસ્થાઓમાં વ્યાખ્યાન માટે ન બોલાવી શકાય. યુનિવર્સિટી પ્રાંગણમાં સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રીયલ સિક્યોરિટી ફોર્સ જેવાં અણછાજતાં સુરક્ષા દળની નિમણૂક કરવામાં આવે. મુસ્લિમ સંસ્કૃત પ્રોફેસરને કૉલેજ છોડી દેવી પડે. આવી ઘટનાઓ માટેનો માહોલ ઊભો થાય તેમાં અધ્યાપકોના એક વર્ગની અને નાગરિક સમાજની નિષ્ફળતા જેટલી સરકારની સક્રિયતા જવાબદાર છે.
વિરોધ કરનાર વિદ્યાર્થીવર્ગની સામે સોશ્યલ મીડિયામાં કીચડ ઊછળે છે. અલબત્ત પત્રકારો અને નાગરિકોનો એક હિસ્સો વિદ્યાર્થીઓની તરફેણમાં છે. તેના દ્વારા વિરોધ કરનારા વિદ્યાર્થીઓને વેઠવી પડતી હાડમારી, તેમ જ દેખાવોમાં તેમની સર્જકતા, મક્કમતા, અહિંસક નીડરતાના કિસ્સા મળતા રહે છે. જામિયાનાં રમખાણોમાં ધરપકડ થયેલાંમાં કોઈ પણ વિદ્યાર્થી નથી એમ પોલીસે જણાવ્યું છે. અલબત્ત, અન્યત્ર ક્યાંક વિદ્યાર્થીઓ અને બીજા દ્વારા થયેલી તોડફોડના રસ્તા સામે સર્વોચ્ચ અદાલતે લાલ આંખ કરી છે. જામિયાના અત્યાચાર સામે સર્વોચ્ચ અદાલત દ્વારા તપાસની માગણી વિદ્યાર્થીઓ વતી ઇન્દિરા જયસિંહ અને કૉલીન ગોન્સાલ્વીસ જેવાં બાહોશ વકીલોએ કરી હતી. અમદાવાદનાં વિરોધ-પ્રદર્શન દરમિયાન વિદ્યાર્થીઓની સાથે રહેનારામાં નિસબત ધરાવતા નાગરિકો સાથે રિતિકા ખેરા, રાઘવન રંગરાજન અને નવદીપ માથુર જેવાં અધ્યાપકો પણ હતાં.
જામિયામાં તો ખુદ યુનિવર્સિટીનાં વાઇસ-ચાન્સલર નજમા અખ્તર એક પત્રકાર પરિષદના માધ્યમથી વિદ્યાર્થીઓની પડખે ઊભાં રહ્યાં. તેમણે યુનિવર્સિટીના સત્તાવાળાની મંજૂરી વિના પોલીસના કૅમ્પસ-પ્રવેશ અને વિદ્યાર્થીઓ સાથેની તેમની બર્બરતા સામે સખત વિરોધ નોંધાવીને યુનિવર્સિટી હિંસાચાર અને તોડફોડ માટે પોલીસ સામે એફ.આઈ.આર. અને ન્યાયિક તપાસની માગણી કરશે એમ કહ્યું. કાયદાના વિરોધ દરમિયાન પથ્થરમારો અને આગજની કરનાર યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ નહીં પણ બહારનાં માણસો હતાં એવી સ્પષ્ટતા પણ તેમણે કરી. પોલીસે વિદ્યાર્થીઓને પહોંચાડેલી ઇજાઓ અને યુનિવર્સિટીનાં ગ્રંથાલય સહિતની મિલકતને પહોંચાડેલાં નુકસાનની વાત કરીને તેમણે સવાલ કર્યો: ‘વિદ્યાર્થીઓની લાગણીઓને જે નુકસાન થયું છે તેની ભરપાઈ કોણ કરશે ? બચ્ચે જો સિચ્યુએશન સે ગુજરે હૈ ઉસે આપ દોબારા ઠીક નહીં કર સકતે.’
વિદ્યાર્થીઓ માટે આવી ઊંડી આસ્થા છાત્રવર્ગના હિતના હંમેશના સમર્થક ઉમાશંકર જોશીએ નવનિર્માણ આંદોલન વખતે વિદ્યાર્થીઓ પર પોલીસે કરેલાં જુલમના સંદર્ભમાં સપ્ટેમ્બર 1974ના એક લેખમાં પ્રકટ કરી હતી. તેમના યાદગાર શબ્દો છે : ‘યુવક-યુવતીઓ શોષિત જનતા માટે જાનફેસાની કરવા બહાર પડતાં હોય તેમને જે દેશની નેતાગીરી રિબાવે, વેરવિખેર કરવા મથી છૂટે … એ દેશના ભાવિને વિશે શું કહેવું – બલકે તે દેશનાં તો નહીં પણ તે નેતાગીરીના ભાવિ વિશે શું કહેવું ? દેશનું ભાવિ તો સામાજિક અન્યાય સાંખી ન લેનાર મુઠ્ઠીભર યુવક-યુવતીઓ હશે તો પણ ઉજળું-ઉજળું જ છે.’
અને છેલ્લે, અમદાવાદમાં થયેલાં વિરોધ પ્રદર્શનમાં જોડાનાર વિદ્યાર્થીઓને ગુજરાત સરકારે ઇન્ટેલિજન્સ બ્યુરો અને પોલીસ થકી ડરાવવાની શરૂઆત કરી હોવાના અખબારી અહેવાલો ગુરુવારે પ્રસિદ્ધ થયા છે.
**********
20 ડિસેમ્બર 2019, રિવાઇઝડ 26 ડિસેમ્બર 2019
“નવગુજરાત સમય”, શનિવાર, 28 ડિસેમ્બર 2019ના અંકમાં પ્રગટ લેખકની ‘ક્ષિતિજ’ નામક સાપ્તાહિક કટારની રજૂઆત
![]()

