કોરોના સામે લડવાના એક ભાગરૂપે વડાપ્રધાન મોદી લૉક ડાઉન લંબાયાંના સમાચાર આપી ગયા. એ પછી અમારા એક પરિચિત, વીસેક વર્ષના યુવાને ટિ્વટ કરીને પોતાને થયેલી મૂંઝવણ વ્યક્ત કરી કે બીજું બધું તો ઠીક, પણ મોદીજી, અત્યારે વાળંદની દુકાન સહિત બધું જડબેસલાક બંધ છે, ત્યારે તમારા વાળ અને દાઢી આટલા સરસ શેપમાં કઈ રીતે રાખો છો?
… પોતાની પાસે બધીયે સુખસુવિધા હોય ત્યારે બીજાંને અગવડ ભોગવી લેવાની શિખામણ આપવાનું કેટલું સહેલું છે. કહેવાનો મતલબ એ નહીં કે દરેક રાજકારણીએ લઘરવઘર વેશે ટી.વી. પર દેખાવું જોઈએ. પણ તમે જ કહો, એ લોકો જ્યારે એમને પણ અત્યારે પડી રહેલી તકલીફોની વાત કરે ત્યારે થોડી ચીડ તો ચઢે ને?
થોડા દિવસ પહેલાં કર્ણાટકના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન કુમારાસ્વામીએ લૉક ડાઉનની ઐસીતૈસી કરીને અઢીસોથી ત્રણસો મહેમાનોની હાજરીમાં એમના દીકરાનાં લગ્ન કર્યાં. ઉપરથી કહ્યું કે દેશ પર આવેલા સંકટ સમયે એમણે સાદાઈથી ફંક્શન પતાવ્યું. લગ્નવિધિમાં મૂરતિયાના દાદાજી, દેશના માજી વડાપ્રધાન દેવે ગોવડાએ પણ ભાગ લીધો. વર્તમાન મુખ્ય મંત્રી ભા.જ.પ.ના યેદુરપ્પાએ એમને અભિનંદન આપતા કહ્યું કે બધું નિયમાનુસાર થયું હતું. લૉક ડાઉનનો ભંગ કરીને સહેજ પણ બહાર ડોકાતા લોકોને ડંડા ફટકારતી પોલીસ એ લગ્નસ્થળની બહાર સામાન્ય જનતાને, ખાસ કરીને મીડિયાને દૂર રાખવાની ડ્યુટી બજાવતી હતી. એમને ગુસ્સો નહિ આવ્યો હોય? નિયમો આ નેતાઓ માટે નથી?
ગુસ્સો અમારે ત્યાં બૅન્કમાં જૉબ કરતી એક સ્ત્રીને પણ સખત આવે છે, જ્યારે અત્યારના સંજોગોમાં ગરીબોને મદદ કરવા માટે નેતાઓ ભાષણ આપે છે. એ કહે છે કે મારે રોજ બેંકમાં હાજરી આપવી પડે છે. મૂકવા માટે હસબન્ડે ગાડી લઈને આવવું પડે છે. સરકારે જાહેર કરેલી કોઈ મદદ લેવા માટે ગરીબ કહેવાતા લોકોનાં ટોળાં બેન્ક પર ઉભરાય છે, શાંતિ રાખવાનું કહીએ તો ઝઘડે છે. ઘેર જઈને ઘરકામ કરવાનું, કામવાળી બાઈનો પગાર ચાલુ રાખવાનો. કોવિડ-19 સામે લડવા માટે સરકારે મદદ માગી, તો તરત એક દિવસનો પગાર પણ આપી દીધો. એક સ્વૈછિક સંસ્થા અન્ન વિતરણ માટે ફાળો પણ લઈ ગઈ. પણ ડૉક્ટર્સને દેવ ગણતા લોકો અમને તો જાણે માણસમાં પણ નથી ગણતાં. મોદીજીને અમે નથી દેખાતાં? ઉપરથી ભાષણ સાંભળવાના કે જરૂરતમંદોને મદદ કરજો. બસ, મારાથી હવે વધુ મદદ નહીં થાય.
દેશના લગભગ દરેક ઉદ્યોગપતિ, ફિલ્મ સ્ટાર્સ, ક્રિકેટર્સ… ટૂંકમાં આપણે જેમને રિચ એન્ડ ફેમસ કહીએ એ મહાનુભાવોએ ટી.વી. અને સોશિયલ મીડિયા પર આવીને જનતાને ઘરમાં રહેવાની અપીલ કરે છે. હવે એ સેલિબ્રિટીઝ ભોળાભાવે સરકારી અપીલને દોહરાવતી હોય, ત્યાં સુધી પ્રૉબ્લેમ નથી પણ પછી એ લોકો કહે કે જુઓને, હું પણ ઘરમાં બેઠો/બેઠી છું, ત્યારે મારા દિમાગની કમાન છટકે. અલ્યાઓ, તમે જે ઘરમાં બેઠાં છો, એની સાઈઝ કેવડી છે? એમાં કેટલા રૂમ છે? તમારે ત્યાં દિવસરાત કામ કરતાં નોકરોનો સ્ટાફ છે ને? લૉક ડાઉન દરમ્યાન સત્તાધારી રાજકારણીઓને બાદ કરતાં, બીજાં બધાંને તકલીફ થઇ રહી છે, એની ના નહિ. પણ મહેરબાની કરીને ફાલતુ સરખામણી કરવાનું છોડો. ’
e.mail : viji@msn.com
સૌજન્ય : “નિરીક્ષક” − ડિજિટલ આવૃત્તિ; 02 મે 2020
![]()


જડ સમાજવ્યવસ્થા અને તેની રુઢિઓ સામે બંડખોર ફુલે દંપતી ભારોભાર કરુણા અને માનવીય સંવેદનાથી સભર હતું. ૧૮૯૦માં મહાત્મા ફુલેના અવસાન પછી તેમણે સ્થાપેલ “સત્યશોધક સમાજ” મારફત સાવિત્રી ફુલેએ તેમના સમાજસુધારણાના કાર્યોને આગળ વધાર્યા હતા. ૧૮૯૭માં મુંબઈ અને પુણેમાં પ્લેગ ફાટી નીકળ્યો હતો. અનેક લોકો તેમાં ટપોટપ મરવા માંડયાં હતાં. સાવિત્રીબાઈ ફુલેએ પ્લેગગ્રસ્તોની સારવાર અને સેવાનું કામ આરંભ્યું. તેમના ડોકટર દીકરા યશવંતે પુણેમાં દવાખાનું શરૂ કરી મરકીના ચેપગ્રસ્તોની સારવાર શરૂ કરી હતી. ચેપ લાગવાની પૂરેપૂરી શક્યતા છતાં પ્લેગગ્રસ્તોને શોધી શોધીને સાવિત્રીબાઈ તેમને પુત્રના દવાખાને લઈ આવતાં હતાં. તેમની સેવાશુશ્રૂષાથી દરદી સાજા પણ થતાં હતાં. પુણેની સડક પર પડેલા એક પ્લેગગ્રસ્ત અસ્પૃશ્ય બાળકનો ઈલાજ કરવો તો દૂર, કોઈ તેની નજીક પણ ફરકતું નહોતું. સાવિત્રીબાઈને તેની ભાળ મળતાં તેઓ તે બાળકને ખભે ઊંચકી દવાખાને લાવ્યા. ઘણા વખતથી મરકીગ્રસ્તોની સેવા કરતાં સાવિત્રીબાઈને આખરે ચેપ લાગ્યો અને ૧૦મી માર્ચ ૧૮૯૭ના રોજ પ્લેગને કારણે તેમનું અવસાન થયું હતું. તે પછી સેનામાં ડોકટર તરીકે જોડાયેલા યશવંત ફુલેએ ૧૯૦૫ના પ્લેગ વખતે પુણે આવી ફરી પ્લેગગ્રસ્તોની સારવાર કરી હતી. એક દિવસ તેમને પણ ચેપ લાગ્યો અને મૃત્યુ પામ્યા. આજના કોરોના વોરિયર્સના સમયમાં ફુલે માતા-પુત્રનું આ બલિદાન પણ સંભારવાની જરૂર છે.
ગાંધીજીના જીવનમાં આવેલા મરકીના મુકાબલાના એકાધિક પ્રસંગો પણ આજે પ્રાસંગિક છે. વિલાયતમાં બેરિસ્ટર થઈ સ્વદેશ આવેલા મોહનદાસ કરમચંદ ગાંધીનું પ્રામાણિકતાથી સત્યની વકીલાત કરવાનું વલણ રોટલા રળી આપે તેવું નહોતું. એ દરમિયાન દક્ષિણ આફ્રિકાથી દાદા અબ્દુલાનું કહેણ આવ્યું એટલે તે દક્ષિણ આફિકા ગયા. ત્યાં કુલીપણાનો અનુભવ થયો, તો ગિરમીટિયાની સમસ્યા સમજાઈ, તેની વિરુદ્ધમાં સત્યાગ્રહ કર્યો અને સફળતા મેળવી. મોહનદાસ ગાંધી દક્ષિણ આફ્રિકામાં ન માત્ર વકીલ રહ્યા, જાહેર કામ કરતા પણ થયા હતા. દક્ષિણ આફ્રિકામાં ગરીબ ગિરમીટમુક્ત હિંદીઓને ત્યાંના લોકો ‘કુલી’ તરીકે ઓળખતા અને તેમને શહેરોમાં નોખા રાખવામાં આવતા હતા. આવી જગ્યા “કુલી લોકેશન” કહેવાતી હતી. જોહાનિસબર્ગના હિદીઓ નવ્વાણું વરસના જમીનના ભાડાપટ્ટે ગંદકી અને ગીચતાથી ભરેલા કુલી લોકેશનમાં રહેતા હતા. એ વસાહતમાં ન સડક હતી, ન વીજળી હતી અને ગંદકીથી ભરેલાં પાયખાનાં હતાં. આ વસાહતમાં ગંદકી અને ખરાબી વધી તો સ્થાનિક મ્યુનિસિપાલિટીએ તેનો કબજો મેળવવાની તજવીજ હાથ ધરી. બેરિસ્ટર મોહનદાસ ગાંધી તેમાં વસતા હિંદીઓનો માલિકી હક અને વળતરનો કેસ “હાર થાય કે જીત, પટ્ટાદીઠ દસ પાઉન્ડ”ના હિસાબે લડ્યા અને જીત્યા.