મને ડાયાબીટીસ છે એવી પહેલી વાર ખબર પડી, પછી થોડા દિવસે એક મિત્રની પુત્રીનાં ચિત્રોનું પ્રદર્શન યોજાયું હતું. તેના ઉદ્ઘાટન પછી આઈસક્રીમ આપવામાં આવતો હતો. મેં ‘ના’ પાડી. બાજુમાં બેઠેલા કવિ લાભશંકર ઠાકર બોલી ઊઠ્યા : ‘આઈસક્રીમની ના પાડો છો?’ મેં કારણ જણાવ્યું. એક વડીલ તરત જ મારે ડાયાબીટીસમાં શું કરવું અને શું ન કરવું એની ઢગલાબંધ સલાહ આપવા લાગ્યા. લાભશંકરભાઈ ગુસ્સે થઈ ગયા. પૂછ્યું: ‘તમને ડાયાબીટીસ છે?’ વડીલે ના પાડી. લાભશંકરે કહ્યું : ‘તો પછી શા માટે વણમાગી સલાહ આપવા બેઠા છો? એણે તમારી સલાહ માગી?’
વણમાગી સલાહ આપવાની મનોવૃત્તિ ધરાવતા લોકોને એમાં કશું અયોગ્ય લાગતું નથી. તેઓ સામેની વ્યક્તિના અંગત ક્ષેત્રમાં હસ્તક્ષેપ કરી રહ્યા છે, એવો વિચાર પણ એમને આવતો નથી. તેઓ માને છે કે એમની સલાહ પ્રમાણે ચાલવાથી આ સંસાર સુનિયોજિત ઢબે ચાલશે. આવા લોકો સામેની વ્યક્તિની નિર્ણયશક્તિ અને ડહાપણનો અસ્વીકાર કરે છે. તેઓ બીજી વ્યક્તિના વિચારો, લાગણી, સંજોગો કે એની સમજણને સ્વીકારવા તૈયાર હોતા નથી. એમને ‘સલાહો’ ઓકવાનો રોગ હોય છે.
ઘણા લોકો માટે વણમાગી સલાહ આપવાની પ્રવૃત્તિ ‘ટાઈમ પાસ’ હોય છે. તેઓ આ જગતમાં ઊભી થનારી બધી પરિસ્થિતિઓનો હલ જાણતા હોય છે. ટ્રેનમાં, બસમાં કે લોકો ભેગા થયા હોય ત્યાં; કોઈ પણ ઓળખાણ વિના આ નિષ્ણાતો સલાહ આપવા લાગે છે. એક બાળક ટ્રેનમાં તોફાન કરતું હતું; ત્યારે સલાહ આપવાના આજન્મ ભેખધારી એક ‘મહાત્મા’ બાળકની માતાને, કોઈ પૂર્વ ઓળખાણ વગર, બાળઉછેર વિશે જાતજાતની સલાહનો વરસાદ વરસાવવા લાગ્યા. એક ભાઈ બીમાર મિત્રને મળવા હૉસ્પિટલમાં ગયા. ડૉક્ટરના ‘પ્રિસ્ક્રીપ્શન’થી જૂદી સલાહ આપવા લાગ્યા. ડૉક્ટર આવ્યા. પેલા ભાઈએ ડૉક્ટરને યોગ્ય ટ્રીટમેન્ટ માટે સલાહ આપવાનું શરૂ કર્યું. સાસુ-વહુના સમ્બન્ધમાં સલાહ આપનાર બહેનોનું ટોળું બહુ મોટું હોય છે.
બાળકો મોટાં થાય ત્યાં સુધી સલાહો સાંભળીને થાકી જાય છે. ફિલોસોર રૂસોએ વ્યક્તિ અને સમાજના સંબંધના સંદર્ભમાં કહ્યું છે: ‘દરેક વ્યક્તિ જન્મે ત્યારે સ્વતંત્ર વ્યક્તિ હોય છે; પરંતુ પછી એ અનેક સલાહની સાંકળોથી બંધાતી જાય છે.’ દરેક વ્યક્તિ પુખ્ત થયા પછી આ સાંકળના બંધનમાંથી મુક્ત થવા માગે છે; પરંતુ વણમાગી સલાહ આપનારા લોકો એમને છૂટવા દેતા નથી. સલાહકારોની પડીકી તૈયાર જ હોય છે – બાળકો માટે આ, ગૃહસ્થ જીવન માટે આ, વૃદ્ધાવસ્થા માટે આ પડીકી.
મેં ગ્રેજ્યુએશન માટે મુખ્ય વિષય તરીકે ‘ગુજરાતી સાહિત્ય’ મુખ્ય વિષય રાખ્યો. મારા માતૃપક્ષના દૂરના સગા, અર્થશાસ્ત્રના પ્રૉફેસર હતા. એમણે કહ્યું: ‘તું ગુજરાતી લઈને શું ઉકાળશે? વધારેમાં વધારે પંતુજી થઈશ.’ મારા પિતાજી આજન્મ શિક્ષક હતા. એ ગમ ખાઈ ગયા; પરંતુ મારી બાએ કહ્યું: ‘વીનુએ બહુ વિચારીને નિર્ણય લીધો હશે. અમે ય એમાં માથું મારતાં નથી.’ એ મુરબ્બીએ મારા પિતાજીની લાગણીનો વિચાર કર્યો નહોતો. એવા લોકો ક્યારેક અજાણતાં જ અન્ય વ્યક્તિનું અપમાન કરી બેસે છે.
સાદોસીધો વણલખ્યો નિયમ છે : ‘સલાહ માગવામાં આવી હોય અને અનિવાર્ય હોય તો જ આપવી જોઈએ.’ વણમાગી સલાહ આપનાર વ્યક્તિ નિકટની સંબંધી હોય તો એની સલાહનો અમલ કરવામાં આવતો નથી, તે જોઈને એ હર્ટ થાય છે. અંગત પરિવારમાં, મિત્રોમાં, સંબંધોના બૃહદ્દ વર્તુળમાં આવા પ્રકારની લાગણીથી સંબંધ વણસે છે. એક બહેને કહ્યું છે: ‘આવા વખતે હું સ્મિત કરતી રહું છું, દાંત દબાવી, માથું હલાવ્યા કરું છું અને મનોમન ભગવાનને પ્રાર્થના કરું છું કે આ વ્યક્તિ હવે બોલતી બંધ થાય તો સારું.’
કોઈએ વણમાગી સલાહ આપતા લોકોને જણાવ્યું છે: ‘મારી જિંદગીનું ચાલકબળ હું છું, તમે તો આગંતુક નિરીક્ષક છો. તમે મારા વિશે કશું જાણતા નથી, અધૂરી માહિતીના આધારે અનુમાનો કરો છો, તમે મારી ચિંતા છોડી દો; તમારી ચિંતા કરો.’ વણમાગી સલાહકારોથી કંટાળેલા એક જણે કહ્યું: ‘તમે મને સલાહ આપવા ઉત્સુક હો તો હાથ ઊંચો કરો અને પછી એ હાથથી તમારું મોઢું બંધ કરો.’
જો કે ‘વણમાગી સલાહ ‘ન’ આપવાની ‘સલાહ’ આપવી એ પણ; ‘એક જાતની ‘વણમાગી સલાહ’ જ છે ને?!!’
••••
વીનેશભાઈ પરિચયના મોહતાજ નથી. ‘દિવ્ય ભાસ્કર’ દૈનિકની રવિવારીય પૂર્તિ ‘રસરંગ’માં એમની કૉલમ ‘ડૂબકી’ શીર્ષકથી પ્રકાશિત થાય છે. આ લેખ તા. 02-12-2018ની ‘રસરંગ’ પૂર્તિના પાન બે પરથી લેખકશ્રીની પરવાનગીથી અને ‘દિવ્ય ભાસ્કર’ના સૌજન્યથી સાભાર ….
@@@
લેખકસમ્પ ર્ક : (vinesh_antani@hotmail.com)
સૌજન્ય : ’સન્ડે ઈ.મહેફીલ’- વર્ષ : સોળમું – અંક : 470- January 17, 2021
![]()


આજે
ગુજરાતીઓની શાન જેવું છે. સુરતનાં ધાબાંઓ પર અચૂક સાંભળવા મળે. ફિલ્મી ગીતોની ભરમાર વચ્ચે હવે નવાં ગુજરાતી ગીતો પણ પ્રજા સાંભળતી થઈ છે. તેથી અમદાવાદના યુવા કલાકાર રાગ મહેતાએ એક સરસ મજાનું પતંગ ગીત આ ઉતરાણે રિલીઝ કર્યું.
ડાયનેમિક કલાકારો રાગ મહેતા અને આકાશ શાહે મળીને છેલ્લાં થોડાંક વર્ષોમાં દસ ઓરિજિનલ ગુજરાતી ગીતો આપ્યાં છે. ‘ઊડે ઊડે રે પતંગ …’ ગીત વિશે રાગ મહેતા કહે છે, ‘ઊડે રે પતંગ ગીત માટે અમે સૌ ઉત્તેજના અનુભવીએ છીએ. વિડિયોગ્રાફી, શબ્દ અને સૂરના સુંદર સંયોજનને લીધે આખું ગીત મજેદાર બન્યું છે.’
ઉજ્જ્વલ દવે લિખિત આ ગીત કમ્પોઝ અને ડિરેક્ટ કર્યું છે આકાશ શાહે. મૌલિકા પટેલ, રાગ મહેતા અને આકાશ શાહના અભિનય સાથેનો આ વીડિયો પણ રોમેન્ટિક અને મસ્તીસભર છે. ગીતની પંક્તિઓને અનુરૂપ ભાવ સાથે રજૂ થયેલું આ ગીત ‘ઊડે રે પતંગ …’ આ વખતે અમદાવાદનાં ધાબાંઓ પર સાંભળવા મળે તો નવાઈ નહીં.