૧૮મી સદીમાં જેરેમી બેન્થામએ ઉપયોગિતાવાદનો સિદ્ધાંત આપ્યો. આ સિદ્ધાંત મુજબ રાજ્યે એવા કાયદા બનાવવા જોઈએ જે લોકોને મહત્તમ ખુશી આપે અને નિમ્નતમ પીડા આપે. પરંતુ દેશમાં હાલની સ્થિતિ જોતાં NDA સરકાર ઉપયોગિતાવાદ સિદ્ધાન્તનો કંઇક અલગ અંદાજમાં ઉપયોગ કરી રહી છે. કેમ કે હાલમાં NDA સરકાર એવા કાયદા બનાવી રહી છે જે લોકોને મહત્તમ પીડા અને નિમ્નતમ સુખ આપી રહ્યો છે. NDA સરકાર ઘરવાપસી, લવ જેહાદ, ત્રણ તલાક, આર્ટીકલ ૩૭૦, કાશ્મીર બ્લોકેજ, જેવા હિન્દુ – મુસ્લિમ નેશનલ સિલેબસ સમાન મુદ્દા આગળ ધરી હિન્દુ – મુસ્લિમ ડિબેટ કરાવવા સિટિઝન અમેન્ડ્મેન્ટ એક્ટ (CAA) અને નેશનલ રજીસ્ટર ઓફ સિટિઝન્સ (NRC) જેવા મુદ્દા આગળ ઘરી રાષ્ટ્ર બનવાની કોશીશ કરી રહી છે. પરંતુ સરકાર એ રાષ્ટ્ર નથી અને એ બની પણ ન શકે તેમ છતાં સિટિઝન અમેન્ડ્મેન્ટ એક્ટ સંસદના બંન્ને ગૃહમાં પાસ થઇ ગયો છે, અને રાષ્ટ્રપતિની મંજૂરી પણ તેને મળી ગઈ છે; ઉપરાંત નેશનલ રજીસ્ટર ઓફ સિટીઝન્સની પણ કાર્યવાહી ચાલુ થઇ ગઈ છે. આમ લોકશાહી દેશમાં પ્રથમ વખત ધર્મના આધારે નાગરિકતા આપવામાં આવશે.
સિટીઝન અમેન્ડ્મેન્ટ એક્ટ ૨૦૧૯ની નવી જોગવાઈ :
આ એક્ટની નવી જોગવાઈ મુજબ અફઘાનિસ્તાન, પાકિસ્તાન, અને બાંગ્લાદેશમાં લઘુમતી તરીકે વસવાટ કરતા અને ધાર્મિક રીતે સતાવણી પામેલા પીડિત હિન્દુ, શીખ, ખ્રિસ્તી, જૈન, બૌદ્ધ અને પારસી ધર્મના નાગરિકોને જરૂરી દસ્તાવેજ ન હોય તો પણ ભારતની નાગરિકતા આપવાની જોગવાઈ કરવામાં આવી છે. ઉપરોક્ત ધર્મના નાગરિકોએ ૩૧ ડિસેમ્બર ૨૦૧૪ સુધી ભારતમાં પ્રવેશ કરી લીધો છે તો તેઓ નાગરિકતા માટે આવેદન કરી શકશે. ઉપરાંત ૩૧ ડિસેમ્બર ૨૦૧૪ પછી ઉપરોક્ત ધર્મના નાગરિકો ભારતમાં આવ્યા હશે તો તેઓને હવે સળંગ ૧૧ વર્ષની જગ્યાએ ફક્ત ૫ વર્ષનો સળંગ વસવાટ કરવાનો રહેશે અને તેઓને નાગરિકતા મળી જશે. ઉપરોક્ત ધર્મના નાગરિકોને ગેરકાયદે ઘૂષણખોરી કરનારા નહીં માનવામાં આવે. તેમ જ ઉપરોક્ત ધર્મના નાગરિકો સામે ભારતમાં પહેલેથી કોઈ ગેરકાયદે ઘૂષણખોરી કે નાગરિકતા સાબિત કરવા અંગેનો કોઈ કાનૂની કેસ ચાલી રહ્યો હશે તો તે કેસ આપમેળે સમાપ્ત થઇ જશે. ઓવરસીઝ સિટીઝન્સ ઓફ ઇન્ડિયા (OCI) કાર્ડધારકોને આજીવન વિઝા અને ભારતમાં કામ કરવાની પરવાનગી હોય છે. પરંતુ આ કાર્ડ કૌભાંડ કરીને મેળવ્યું હશે અને કાર્ડધારકની નોધણીના ૫ વર્ષની અંદર કોઈ અપરાધમાં ૨ કે તેથી વધુ વર્ષની સજા થઇ હોય તો ભારતની સુરક્ષા સબંધે આવા લોકોની નાગરિકતા રદ્દ થશે પણ તેઓને કાનૂની રીતે પોતાનો પક્ષ રજૂ કરવાનો હક મળશે. ઉપરાંત આ વિધેયકનો લાભ એવા લોકોને પણ મળશે જેઓ પાસપોર્ટ અને વિઝા વગર ભારતમાં પ્રવેશેલા છે અને તેમના વિઝા કે પાસપોર્ટ રદ્દ થઇ ગયા છે, હવે તેઓને પણ નાગરિકતા માટે અરજી કરવાની મંજૂરીની જોગવાઈ કરવામાં આવી છે. આ નવા કાયદામાં અફઘાનિસ્તાન, પાકિસ્તાન અને બાંગ્લાદેશના મુસ્લિમોને સામેલ કરવામાં આવ્યા નથી તેમ જ ઉપરોક્ત ત્રણેય દેશોમાં વસવાટ કરતા અને ધાર્મિક રીતે સતાવણી પામેલા પીડિત અહેમદિયા સમુદાય, ઇસ્માઇલી સમુદાય, મુઝાહીર સમુદાય, અને શિયા સમુદાયનો પણ સમાવેશ કરવામાં આવ્યો નથી. આ સાથે મુસ્લિમોને ઘૂષણખોર માનવામાં આવશે અને અન્ય છ ધર્મના લોકોને શરણાર્થી માનવામાં આવશે.
ઉત્તર – પૂર્વ ભારતના રાજ્યો માટે કાયદો લાગુ નહિ પડે
ભારતીય બંધારણની અનુસૂચિ ૬ મુજબ ચાર રાજ્યો આસામ, મેધાલય, મિઝોરમ, ત્રિપુરાના ટ્રાઇબલ એરિયાને વિશેષ સવલતો અને સ્વાયતતા આપવામાં આવેલી છે. તેથી ભારતના ઘણાં કાયદા ત્યાં અમલી બની શકતા નથી, તેથી વિશેષ જોગવાઈ હેઠળ નવો બનેલો નાગરિકતા કાયદો ઉપરોક્ત રાજ્યોના ટ્રાઇબલ એરિયામાં અમલી બનશે નહિ. તેથી ત્યાં બાંગ્લાદેશમાંથી આવતી કોઈ પણ વ્યક્તિ ના વસવાટ કરી શકશે, ના જમીન ખરીદી શકશે, ના ઉપરોક્ત રાજ્યોમાં વસવાટ કરી ભારતીય નાગરિકતા મેળવી શકશે.
ઉત્તર-પૂર્વના અન્ય ત્રણ રાજ્યો અરુણાચલ પ્રદેશ, મિઝોરમ, નાગાલેન્ડ “ઇનર લાઈન પરમીટ” અંગેની વિશેષ સુવિધા ધરાવે છે, આ ઇનર લાઈન પરમીટની એવી જોગવાઈ છે કે ઉપરોક્ત રાજ્યોમાં એ રાજ્ય સિવાયની વ્યક્તિને ત્યાં જવું હોય તો રાજ્ય સરકારની પરમીટ લેવી પડે છે. એ પરમીટની મર્યાદા બહાર કોઈ ત્યાં રહી ન શકે, કાયમી ધોરણે વસવાટ ન કરી શકે, ઉપરાંત રાજ્ય સરકારને યોગ્ય લાગે તો પરમીટ માટે કોઈને ના પણ પાડી શકે. ઉત્તર – પૂર્વ રાજ્યોમાં મણિપુર માટે પણ ઇનર લાઈન પરમીટ કાયદો રાજ્ય વિધાનસભામાં પાસ થઇ ગયો છે, પરંતુ હજુ રાષ્ટ્રપતિની મંજૂરી મળી નથી પણ જેમ રાષ્ટ્રપતિની મંજૂરી મળશે તો મણિપુર રાજ્યમાં પણ ઇનર લાઈન પરમીટની વિશેષ સવલત રાજ્યને પ્રાપ્ત થઇ જશે.
નેશનલ રજીસ્ટર ઓફ સિટીઝન (NRC)
ભારત અને પાકિસ્તાનના ભાગલા પડ્યા બાદ, કેટલાંક લોકોએ આસામમાંથી પૂર્વ પાકિસ્તાન (હાલનું બાંગ્લાદેશ) સ્થળાંતર કર્યું પરંતુ તેમની જમીન આસામમાં હતી તેમ જ ભાગલા બાદ લોકોની અવરજવર બંને વિસ્તારોમાં રહી, જેના માટે ૧૯૫૧માં NRC તૈયાર કરવામાં આવ્યું. ૧૯૭૧માં પૂર્વ પાકિસ્તાનનું બાંગ્લાદેશમાં રૂપાંતર થયા બાદ મોટી સંખ્યામાં શરણાર્થીઓનું સ્થળાંતર થયું જેનાથી આસામની વસ્તીમાં વધારો થઇ ગયો. આસામ સંધી અનુસાર ૨૫ માર્ચ ૧૯૭૧ પહેલાં આસામમાં ગેરકાનૂની રીતે પ્રવેશ કરેલ લોકોને તથા જે વ્યક્તિનો જન્મ આસામમાં થયો હોય તેને પણ આ યાદીમાં સમાવિષ્ટ કરી ભારતીય નાગરિકતા આપવામાં આવશે. NRC એક રજીસ્ટર છે જેમાં બધા ભારતીય નાગરિકોની વિગતોનું વર્ણન કરવામાં આવ્યું છે. વર્ષ ૨૦૧૪માં સુપ્રીમ કોર્ટના આદેશ અનુસાર આસામ રાજ્યની NRC અપડેટ થઇ હતી. ૧ જાન્યુઆરી ૨૦૧૮ના રોજ એન.ડી.એ. સરકારે આસામ રાજ્યમાં ગેરકાયદે રીતે વસતા લોકોને ઓળખી કાઢવા સંપૂર્ણ રાજ્યની નેશનલ રજીસ્ટર ઓફ સિટીઝનની પ્રથમ યાદી બહાર પાડી હતી. ત્યારબાદ સંપૂર્ણ યાદી બહાર પાડવામાં આવી જેમાં ૧૯ લાખ લોકોના ૧૨ અલગ અલગ જરૂરી દસ્તાવેજો ન હોવાના કારણે યાદીમાં નામ ના આવ્યા. આ ૧૯ લાખ લોકોમાં ૧૪ લાખ હિન્દુ છે અને બાકીના મુસ્લિમો છે. એન.ડી.એ. સરકારને એવુ હતું કે એ યાદીમાં મુસ્લિમો વધુ નીકળશે, પરંતુ હિન્દુ વધુ નીકળતાં એન.ડી.એ. સરકાર સિટીઝન અમેન્ડ્મેન્ટ એક્ટ ૨૦૧૯ લાવ્યું.
આ એક્ટ મુજબ અફઘાનિસ્તાન, પાકિસ્તાન, અને બાંગ્લાદેશમાં વસવાટ કરતા અને ધાર્મિક સતાવણી પામેલા પીડિત હિન્દુ, શીખ, ખ્રિસ્તી, જૈન, પારસી, બૌદ્ધ ધર્મના લોકોને ધર્મના આધારે નાગરિકતા આપવાની જોગવાઈ કરવામાં આવી, પરંતુ આ એક્ટમાં મુસ્લિમોને સામેલ કરવામાં આવ્યા નથી, તેમ જ ઉપરોક્ત ત્રણેય દેશોમાં વસવાટ કરતા અને ધાર્મિક રીતે સતાવણી પામેલા પીડિત અહેમદિયા સમુદાય, ઇસ્માઇલી સમુદાય, મુઝાહીર સમુદાય, અને શિયા સમુદાયના લોકોનો પણ સમાવેશ કરવામાં આવ્યો નથી. સિટીઝન અમેન્ડ્મેન્ટ એક્ટ ૨૦૧૯નો નાગરિકતા આપવાનો બંધારણીય કે તાર્કિક આધાર તો કોઈ છે નહિ, આનો આધાર NRCમાં છુપાયેલો છે. અહીં નાગરિકતા સાબિત કરવાની જવાબદારી નાગરિકોના શિરે છે. જો કોઈ નાગરિક પોતાની નાગરિકતા નહિ સિદ્ધ કરી શકે તો તો તેને ડિટેન્શન સેન્ટરમાં (અટકાયત કેન્દ્ર) નાંખી દેવામાં આવશે. પણ નવા નાગરિકતા કાયદા મુજબ મુસ્લિમ છોડી છ ધર્મના નાગરિકોને તો નવા કાયદા હેઠળ નાગરિકતા મળી જશે. નવા કાયદા મુજબ મુસ્લિમો પીડિત હશે તો પણ તેમને નાગરિકતા નહિ મળે. સિવાય કે કોઈ મુસ્લિમ કાયદેસર રીતે નાગરિકતા પ્રાપ્ત કરવા માંગતો હોય તો તેઓને એક પ્રક્રિયા મારફતે નાગરિકતા મળી શકશે, પરંતુ તેઓને ૧૧ વર્ષ ભારતમાં વસવાટ કર્યા બાદ નાગરિકતા મળશે. મુસ્લિમ છોડી અન્ય છ ધર્મના નાગરિકો જો ગેરકાયદે રીતે ભારતમાં આવ્યા હશે, તો તેઓને ભારતની નાગરિકતા મળી જશે પણ મુસ્લિમોને નહિ મળે. અહીં ખરેખર તો સરકારે સાબિત કરવું જોઈએ કે જે કોઈ વ્યક્તિ ભારતનો નાગરિક નથી તો ક્યા દેશનો નાગરિક છે. પણ અહીં લોકોએ સાબિત કરવું પડશે કે તે ભારતનો નાગરિક છે. NRCમાં જે લોકોનું નામ નથી ઉપરાંત ફોરેનર ટ્રિબ્યુનલમાં પણ જે વ્યક્તિને નાગરિક માનતો નથી તેઓને એ પણ બતાવવામાં આવતું નથી કે તેઓ ક્યા દેશના નાગરિક છે. તેઓને નાગરિકતા વિહોણા દર્શાવી અટકાયત કેન્દ્રમાં નાંખી દેવામાં આવશે.
CAA અને NRC સામે વિરોધ
સિટીઝન અમેન્ડ્મેન્ટ એક્ટ ૨૦૧૯માં મુસ્લિમોને ષડયંત્ર હેઠળ ઇરાદાપૂર્વક બાકાત રાખી આપખુદી વર્તવામાં આવી છે. બંધારણમાં ક્યાં ય એવુ લખેલું નથી કે ધર્મના આધારે નાગરિકતા આપવામાં આવે. જો ધાર્મિક સતાવણી આધાર હોય તો બધા ધર્મના લોકોને નાગરિકતા આપવામાં આવવી જોઈએ. ધર્મના આધારે કોઈ ભેદભાવ ના કરી શકાય, ભલે પછી તે વ્યક્તિ ભારતની નાગરિક હોય કે ના હોય. બંધારણના આર્ટીકલ ૧૪ મુજબ ધર્મના આધારે ભેદભાવ ના કરી શકાય તેમ જ ધર્મના આધારે કોઈ કાયદો પણ ના બનાવી શકાય. આ આર્ટીકલ મુજબ જે લોકો ભારતના નાગરિક નથી, છતાં તેને રાઈટ ટુ ઇક્વાલિટી હશે, રાઈટ ટુ પર્સનલ લિબર્ટી હશે, રાઈટ ટુ રિલીજિયન હશે ઉપરાંત આ આર્ટીકલ નિશેષ ફરમાવે છે કે સરકાર એવો કોઈ કાયદો ન બનાવી શકે જે આપખુદ (ARBITARY) હોય તેથી આર્ટીકલ આપખુદ કાયદા સામે પણ રક્ષણ આપે છે.
નવા નાગરિકતા કાયદામાં ફક્ત ત્રણ દેશોમાંથી આવતા મુસ્લિમ છોડી અન્ય છ ધર્મના લોકોને નાગરિકતા આપવાની વાત છે. પણ નેપાળમાં મધેશિયા સમુદાય સાથે પણ ધાર્મિક સતાવણી થાય છે, મ્યાનમારમાં રોહીન્ગ્યા સમુદાય પર પણ ધાર્મિક આધાર પર અત્યાચાર થાય છે. શ્રીલંકામાં તમિલો પર અને તિબ્બતમાં બૌદ્ધ સાથે ધાર્મિક સતાવણી થાય છે. આ ઉપરાંત બાંગ્લાદેશમાં નાસ્તિકો પર પણ હુમલા થાય છે. તેમ જ ઉપરોક્ત ત્રણેય દેશોમાં વસવાટ કરતા અને ધાર્મિક રીતે સતાવણી પામેલા પીડિત અહેમદિયા સમુદાય, ઇસ્માઇલી સમુદાય, મુઝાહીર સમુદાય, અને શિયા સમુદાયના લોકોનો પણ સમાવેશ કરવામાં આવ્યો નથી. તેથી સરકાર ધાર્મિક રીતે લોકો વચ્ચે ભાગલા પાડી પોતાની રાજનીતિ ચમકાવા માંગે છે. સરકાર સ્પષ્ટ રીતે ધાર્મિક આધાર પર નાગરિકતા આપી રહી છે જો નાગરિકતાનો આધાર માનવતા હોય તો માનવ અધિકારના દાયરામાં રહીને અન્ય ધર્મના સમુદાયને પણ નાગરિકતા આપવામાં આવવી જોઈએ.
નવા નાગરિકતા કાયદાની સૌથી વધુ ભનાયકતા એ છે કે જ્યારે સમગ્ર દેશમાં NRC થશે અને જે લોકો નાગરિકતા સાબિત કરવા જરૂરી દસ્તાવેજ રજૂ નહિ કરી શકે તો તેઓને ફોરેનર ટ્રિબ્યુનલમાં નાગરિકતા સાબિત કરવી પડશે અને જો તેઓ ટ્રિબ્યુનલમાં પણ નાગરિકતા સાબિત નહિ કરી શકે તો જે તે નાગરિકોને ડિટેન્શન સેન્ટરમાં બંધ કરી દેવામાં આવશે. પરંતુ જો હિન્દુ, શીખ, ખ્રિસ્તી, પારસી, બૌદ્ધ, જૈન પોતાની નાગરિકતા સાબિત નહિ કરી શકે તો તેઓને નવા કાયદા મુજબ ધાર્મિક આધાર પર આપમેળે નાગરિકતા મળી જશે. તેઓને કોઈ ડિટેન્શન સેન્ટરમાં નહિ પુરવામાં આવે. ઉપરાંત તેઓની સામે કોઈ ગેરકાયદે ઘૂષણખોરીના ટ્રિબ્યુનલમાં કેસ ચાલી રહ્યા હશે તો તેવા કેસ પણ સમાપ્ત થઇ જશે. પરંતુ મુસ્લિમો નાગરિકતા અંગે જરૂરી દસ્તાવેજ રજૂ નહિ કરે તો તેઓને ફોરેનર ટ્રિબ્યુનલમાં નાગરિકતા સાબિત કરવી પડશે અને જો તેઓ ટ્રિબ્યુનલમાં પણ નાગરિકતા સાબિત નહિ કરી શકે તો તેઓને ડિટેન્શન સેન્ટરમાં બંધ કરી દેવામાં આવશે. ઉપરાંત જે મુસ્લિમો સામે પહલેથી ઘૂષણખોરીના કેસ ચાલી રહ્યા હશે તે કેસો પણ સમાપ્ત નહિ થાય. મુસ્લિમો સિવાય અન્ય છ ધર્મના નાગરિકોને સમગ્ર રાહત મળશે પણ મુસ્લિમોની નાગરિકતા છીનવી તેઓને રાષ્ટ્ર વિહોણા બનાવી દેવામાં આવશે.