દુનિયા આખીમાં વધતું ઔદ્યોગિક પ્રદૂષણ અને સજીવ કચરો અનેક પ્રકારના રોગ ફેલાવતાં જીવાણુઓને જન્મ આપે છે. શહેરની ગીચતા એને ઝડપથી ફેલાવવામાં મદદ કરે છે. છેલ્લા ૨૦ વર્ષમાં એઇડ્સ, સાર્સ, H1N1 અને હવે કોરોના (કોવિદ-૧૯) જેવી બીમારીઓએ દુનિયા આખીને ભરડો લીધો. બીમારીઓ, દરિયાઈ વાવાઝોડાં અને વરસાદી પ્રકોપો જેવી આફતો બદલાતાં વાતાવરણ, બદલાયેલી જીવનશૈલી અને વિચાર્યા વગરના વિકાસની ભૂખનું પરિણામ છે. જેમ બિનજરૂરી વિકાસની ભૂખ વધશે એમ આવી પ્રકૃતિપ્રેરિત આપદાઓ વધશે.
અનિચ્છાએ પણ લાદવા પડેલા લૉક ડાઉનથી કેટલાક લાંબાગાળાના ફાયદા દેખાયાના સમાચારો આવતા રહે છે. જેમ કે જલંધરથી હિમાલયની પર્વતમાળા દેખાવી, ગંગા, યમુના અને નર્મદાનાં પાણી શુદ્ધ થવાં, ગબ્બરનું શિખર દૂરથી દેખાવા માંડવું કે આકાશ સાફ દેખાવું. વિચારવા જેવી વાત છે કે વાતે વાતે દવાખાને દોડતા લોકો બંધ થયા છે. ડરાવી ડરાવીને કરાતા વેપાર, પ્રદૂષણ ફેલાવતા ઉદ્યોગો, જેના ઉત્પાદન વગર આપણે મઝાથી અત્યારે જીવી રહ્યા છીએ, એનાથી થતી પૈસાની હેરફેર એટલે જી.ડી.પી.! જેમ જેમ જરૂરી કે બિનજરૂરી નાણાકીય વહેવારો વધે એ વધતો જી.ડી.પી.! એટલું સમજો કે વધતાં શહેરો કે વધતો જી.ડી.પી. માણસના સુખની નિશાની નથી જ નથી. વધતો જી.ડી.પી. સામાન્ય જનતાને સુખી કરે જ એવું નથી. સામાન્ય જનતા બીમાર પડે એની પરવા રાખ્યા વિના, પ્રદૂષણ ફેલાવીને, જમીનો વેચીને, ખનિજો ખોદીને જી.ડી.પી. વધારાય છે.! એટલા માટે જ જી.ડી.પી. શું છે એ પહેલાં સમજીએ ને પછી હઈશો હઈશો કુટીએ! જી.ડી.પી. નીચો રાખીને માણસ-સમાજ વધારે સુખી અને સ્વસ્થ થઇ જ શકે છે! સામાન્ય જનતાના સુખ અને જી.ડી.પી.ને કોઈ સંબંધ નથી.
સામાન્ય સમાજે સરકારો પાસે સુખ માંગવાનું છે, જી.ડી.પી. નહીં …! ભલે સરકાર કોઈ પણ પક્ષની હોય. જી.ડી.પી. પ્રકૃતિનું સંતુલન બગાડે છે, જ્યારે હદથી વધારે સંતુલન ખોરવાય ત્યારે પ્રાકૃતિક વિપદા આવે છે. પ્રાકૃતિક વિપદા જીવનની ક્ષણભંગુરતાની જેમ જ શહેરની ઝાકમઝોળની ક્ષણભંગુરતા પણ દેખાડી દે છે. ‘વિકાસનું તકલાદીપણું’ તરી આવે છે, અસ્તિત્વનો સવાલ ઊભો થાય ત્યારે શહેર દગો દઈ દે છે, વતનનું ગામ યાદ આવે છે. વતનમાં જ સલામતીનો, પોતાપણાનો સાદ સંભળાય છે. એટલે, કંઈ ના મળે તો ચાલતાં ય વાટ તો વતનની જ પકડાઈ જાય છે. સુરતની જ વાત કરીએ તો તાપીની રેલ હોય, હીરામાં મંદી હોય, પ્લેગ હોય કે કોરોના, છેલ્લે હાથ પકડીને સલામતી અને સધિયારો તો વતનનું ગામ-ખોરડું જ આપે છે, જ્યાં જી.ડી.પી. ઓછો પરંતુ, સુખ-સલામતી-પર્યાવરણ (પ્રકૃતિ) વધારે હોય છે. આવનારા સમયમાં વતનના ગામ-ખોરડે સધિયારો શોધવો પડે એવી ઘટનાઓ વારંવાર બને એવી સંભાવના વધવાની. કારણ કે, શહેરો હવે થાક્યાં છે, વધારે બોજ સહન કરી શકે એવી એમની સ્થિતિ જ નથી, ચાહે સાફ-સફાઈ-રહેઠાણ-આરોગ્ય-શિક્ષણ-પરિવહન-સલામતી-રોજગાર કે કમાણી આપવાની હોય! શહેરોની ક્ષમતા પૂરી થઇ એટલે હવે વળતા વતનની વાત પકડવાના દિવસો આવશે જ.
સૌજન્ય : “નિરીક્ષક” – ડિજિટલ આવૃત્તિ; 16 ઍપ્રિલ 2020