મધ્યપ્રદેશમાં બજરંગ સેના નામના રૂઢિચુસ્ત હિન્દુ સંગઠને ખજુરાહો મંદિરના પરિસરમાં વેચાતા કામસૂત્ર સંબંધી પુસ્તકો ઉપર પ્રતિબંધ મૂકવાની માગણી કરી છે. છત્તરપુર પોલીસને આપેલી એક અરજીમાં સેનાના અધ્યક્ષા જ્યોતિ અગ્રવાલે કહ્યું છે કે, આ બધું ભારતની સંસ્કૃિત અને પરંપરા વિરુદ્ધનું છે અને વિદેશી પ્રવાસીઓના મનમાં ગલત છબી ઊભી થાય છે. બજરંગ સેના કોણ છે અને એનું શું વજૂદ એ સવાલ બીજો છે, પરંતુ એણે અધિકૃત રીતે સંવૈધાનિક વ્યવસ્થા હેઠળ આ ‘અનૈતિકતા’ની સાફ-સફાઇ કરવાની માગણી કરી છે તે ભારતના એક મોટા વર્ગમાં વધી રહેલા ‘લૈંગિક શુદ્ધતા’(સેક્સુઅલ પ્યુરિફિકેશન)ના આગ્રહનું પ્રતિબિંબ છે.
આ જ તર્જ ઉપર રાજસ્થાન હાઇકોર્ટના ન્યાયમૂર્તિ મહેશ શર્માએ મોરને રાષ્ટ્રીય પક્ષી ઘોષિત કરવા પાછળનો એવો તર્ક પેશ કર્યો હતો કે મોર સેક્સ નથી કરતો અને એનાં આંસુ પીને ઢેલ ગર્ભવતી બને છે. ભગવાન કૃષ્ણએ પણ મોરના આ ‘બ્રહ્મચર્ય’ના કારણે જ મોરપંખ ધારણ કર્યું હતું, એવું ન્યાયમૂર્તિ શર્માએ ઉમેર્યું હતું. લૈંગિક આનંદ હિન્દુ પરંપરામાં એક અગત્યનો હિસ્સો રહ્યો છે એ વાત નવી નથી. સંસ્કૃત સાહિત્યથી લઇને ધાર્મિક કવિતાઓ, શિલ્પકળા અને લોકસાહિત્યમાં નરથી લઇને નારાયણ સુધીના સંસારનું શૃંગારિક જીવન વ્યક્ત થયું છે. એવું કહેવામાં જરા ય અતિશયોક્તિ નથી કે સેક્સ પ્રત્યે સૌથી વધુ તંદુરસ્ત અભિગમ ભારતીય પરંપરામાં હતો અને જગતમાં સેક્સને લઇને પહેલું શિક્ષણ અને સાયન્સ પણ પૌરાણિક ભારતમાંથી જ આવ્યું હતું.
મુદ્દો ‘ભારતનો ભૂતકાળ કેવો ભવ્યો હતો’ એનું ગીત ગાવાનો નથી. મુદ્દો એ છે કે જો ભારતીય સંસ્કૃિત અને પરંપરા આ નથી તો કેવી રીતે સેક્સની શરમ, પાબંદી, દકિયાનૂસી, પાપી અને અપરાધી માનસિકતા આપણી સંસ્કૃિત અને પરંપરા બની ગઇ? 2005માં દક્ષિણની અભિનેત્રી ખુશ્બૂ સામે 24 કોર્ટ કેસ થયેલા જે સુપ્રીમ કોર્ટ સુધી ગયેલા. કેમ? કારણ કે ખુશ્બૂએ એઇડ્સ સામે જાગૃતિ કેળવવાના આશયથી સુરક્ષિત સેક્સની વાત કરેલી.
તેણે એવું પણ કહ્યું કે લગ્ન પહેલાં પણ સેક્સ હોય તો એ સુરક્ષિત હોવો જોઇએ. ‘આ વાત તમિળ સંસ્કૃિતની વિરોધી છે’ એવા તર્ક સાથે ખુશ્બૂ સામે ફરિયાદો નોંધાઇ ગઇ. હકીકતમાં, લૈંગિક બાબતોને લઇને આધુનિક ભારતમાં જે પીડા અને બેચેની પેદા થઇ છે તે અબ્રાહ્મિક ધર્મો(યહૂદી, ઇસાઇ ને ઇસ્લામ)ના સંસર્ગને કારણે થઇ છે. દાખલા તરીકે ભારત ઉપર બ્રિટિશરોનું સીધું શાસન આવ્યું તે પછી બ્રિટિશરોએ ભારતીયોના લૈંગિક ઉદારવાદને ભારતીયોની હીન કક્ષાની સાબિતી તરીકે જોવાનું શરૂ કર્યું. શર્મની અને શુદ્ધતાની સંસ્કૃિત અહીંથી આવી છે.
સમલૈંગિકતાને અપરાધના દાયરામાંથી બહાર કાઢવાનો કેસ 2012માં સુપ્રીમ કોર્ટમાં આવ્યો ત્યારે એટર્ની જનરલ ગુલામ વહાણવટીએ પાબંદીને ઉઠાવવાના સમર્થનમાં કહ્યું હતું કે, ‘બ્રિટિશ ઇન્ડિયન પીનલ કોડ (1860માં) અમલમાં આવ્યો તે પહેલાં બ્રિટિશરોની સરખામણીમાં ભારતીય સમાજમાં સમલૈંગિકતાને લઇને ખાસ્સી સહનશીલતા હતી, પરંતુ પછી પરિવાર અને સેક્સના પ્રજનનીય ઉદ્દેશનાં વિક્ટોરિયન મૂલ્યો અને નૈતિકતાની અસર સમાજ ઉપર પડી હતી.’
સેક્સ પ્રત્યે ભારતીયોમાં જે ખુલ્લાપણું હતું તે જોઇને બ્રિટિશરોને આઘાત લાગવા પાછળ એક ચિંતા એ પણ હતી કે, ‘આ સ્વછંદી ભારતીય નર-નારીઓ અંગ્રેજી લોકોના સંસર્ગમાં આવે તો?’ ભારતીયો ગંદા છે, જાહીલ છે અને અસભ્ય છે, એવી બ્રિટિશ ધારણા માટે ભારતીયોની ‘સ્વચ્છંદતા’ હાથવગી બની ગઇ. એમાંથી જ બ્રહ્મોસમાજ, આર્ય સમાજ, બેંગાલ મૂવમેન્ટ, પ્રાર્થના સમાજ અને થિયોસોફી સમાજ જેવાં સંગઠનો દ્વારા ભારતમાં સુધારાવાદી ચળવળ શરૂ થઇ. આ નવી ચેતનાના કારણે સ્ત્રીઓનાં શિક્ષણ, લગ્નની ઉંમર, વિધવાવિવાહ જેવા આવકારદાયક પરિવર્તન તો આવ્યાં જ, સાથે જ સેક્સને લઇને શુદ્ધતાનો અભિગમ પણ આવ્યો.
1927માં અમેરિકન ઇતિહાસકાર કેથરીન માયોનું એક પુસ્તક ‘મધર ઇન્ડિયા’ આવ્યું હતું, જેણે ગાંધીજીનું પણ ધ્યાન ખેંચ્યું હતું. માયોએ કહેલું એમાં ભારતીય સમાજ, સંસ્કૃિત અને ધર્મની મુસીબતો માટે ભારતીય પુરુષોની ‘કાછડી છૂટી’ સેક્સુઆલિટી જવાબદાર છે અને એના કારણે જ અનિયંત્રિત હસ્તમૈથુન, બળાત્કાર, સમલૈંગિકતા, વેશ્યાગીરી, લૈંગિક રોગો, નાની ઉંમરે મૈથુન અને ગર્ભાવસ્થા જેવી મુશ્કેલીઓ આવી છે. ગાંધીજીએ આ પુસ્તકને ‘ગટરનાં ઢાંકણા ખોલીને અંદર ઝાંખનાર ગટર ઇન્સ્પેક્ટરના રિપોર્ટ’ જેવું ગણાવ્યું હતું.
ભારતના વિવિધ વર્ગોમાં અને પાછળથી રાષ્ટ્રીય સ્તરે જે સુધારાવાદી ચળવળ ચાલી એમાં આદર્શ પુરુષ, આદર્શ સ્ત્રી, આદર્શ બાળક અને આદર્શ પરિવાર બનાવવાનો પ્રોજેક્ટ અહમ હતો, અને એનું મૉડલ હતો વિક્ટોરિયન પરિવાર. આ એ જ સમય હતો જ્યારે હિન્દુ પરંપરામાં અદ્્ભુત રીતે સંતુલિત રહેલા ચાર પુરુષાર્થ(ધર્મ, અર્થ, કામ અને મોક્ષ)માંથી કામનું ‘સ્ખલન’ શરૂ થયું. જેને લૈંગિક સ્વછંદતા કહેવામાં આવે છે તે હિન્દુ સેક્સુઆલિટી હકીકતમાં આધ્યાત્મિકતામાં પરિવર્તિત થવાનો રસ્તો હતી. હિન્દુએ સેક્સનો નિષેધ કર્યો નહોતો, પરંતુ જીવનનો જ હિસ્સો ગણીને એની સાથે ‘શાંતિ કરાર’ કર્યા હતા.
શુદ્ધતાના આગ્રહમાં આ કરાર તૂટ્યા છે અને ભારતીય પરંપરાના ઇતિહાસમાં પહેલીવાર સેક્સને લઇને ફોબિયા અને ઉન્માદ ઊભો થયો છે. શંૃગાર અને સંયમ (ઇરોટિક અને અસેટિક) વચ્ચેના ખોરવાયેલા આ સંતુલનને કારણે જ એક તરફ જીવન જીવવાની કળા ઉપરના પુસ્તક કામસૂત્રને આપણે પોર્નોગ્રાફી અને સેક્સ મેન્યુઅલ ગણતા થઇ ગયા છીએ અને બીજી તરફ એક સમાજ તરીકે સેક્સ અને સ્ત્રી સંબંધી અપરાધોથી આપણે મધ્ય પૂર્વ અને આફ્રિકન દેશોની જેમ લૈંગિક રીતે દમિત દેશોની હરોળમાં આવી ગયા છીએ. ભારતની આ સંસ્કૃિત અને પરંપરામાં ગર્વ લેવા જેવું કશું જ નથી.
સૌજન્ય : ‘બ્રેકિંગ વ્યૂઝ’ નામક લેખકની સાપ્તાહિક કોલમ, ‘રસરંગ’ પૂર્તિ, “સન્નડે ભાસ્કર”, 02 જુલાઈ 2017